Monday, August 13, 2012

મોજાની જોડ સખી નહિ જડે રે લોલ ....


 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૨-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી |
શોધવાથી ભગવાન પણ મળી જાય છે એવું ભક્ત લોકો કહે છે, પણ મોજાની જોડ શોધવી એ ઘણીવાર ભગવાન શોધવા જેટલું અઘરું કામ સાબિત થાય છે. જનનીની જોડની જેમ, તેમ નવાં મોજાં વાપરવા કાઢો એટલે ટૂંક જ સમયમાં મોજાની જોડ જડતી નથી. કદી એક મોજું નથી જડતું તો ક્યારેક બંને ખોવાઈ જાય છે. મધ્યમવર્ગમાં તો ગણીને ચાર-પાંચ જોડી મોજા હોય, એમાંથી દર મહિને એક બે આમ ઓછાં થતાં જાય એટલે બ્લુ પેન્ટ નીચે કથ્થાઈ મોજા પહેરવાનો વારો આવી જાય. કમનસીબ લોકો સાથે આવું બને ત્યારે એમણે પેન્ટ પણ પાછું ટૂંકું પહેર્યું હોય, જેથી મોજું ઊડીને જોનારની આંખે વળગે છે.

એવું મનાય છે કે મોજાની જોડીમાં જો એકસૂત્રતા હોય તો બેઉ મોજાં એક સાથે ખોવાય છે, પણ જોડના બે મોજા વચ્ચે જો વિસંવાદિતા હોય તો એક મોજું એકલું પણ ખોવાઈ શકે છે. બેઉ ખોવાય તો મોજાના નામનું આપણે નાહી નાખવું પડે છે, પણ જો એક ખોવાય તો પૂરા સાડી સત્તર રૂપિયાનું એ મોજું શોધવા આપણી વધારે પત્તર ખંડાય છે. મોજા શોધવા ખાનામાં જુનાં બૂટ-ચંપલ ઊંચાનીચા કરી, ઢીંચણભેર પડી વાંકા વળી એને શોધવા યથાશક્તિ પ્રયત્ન કરવો પડે છે અને કમર દુખવા લાગે કે વધારે વાર વાંકા ન રહી શકાય એટલે એવી અઘરી જગ્યાઓ પર તપાસ કરવાનું પડતું મૂકી ઊભાઊભા શોધી શકાય એવી જગ્યાઓ પર તપાસ શરુ કરવામાં આવે છે. પણ મોજું એમ સહેલી અને નિર્ધારિત જગ્યા પર ખોવાવા માટે સર્જાયું નથી હોતું, તે શોધનારને ક્યારેય સમજાયું નથી અને આ વાંચ્યા પછી સમજાય તો નસીબ એમનાં!

સારસ બેલડી માટે એવું કહેવાય છે કે એ જોડીમાં જ રહે છે અને એક મરી જાય તો બીજું જીવી નથી શકતું. મોજાની જોડીમાં પણ કંઈક આવું જ છે. એક મોજું ખોવાય એટલે બીજું ફેંકી દેવું પડે. જોકે લોકો એમ કંઈ ફેંકી દેતાં હશે? મહિનો દા'ડો તો બીજું જડી જશે એ આશામાં એક મોજું સાચવી રાખવામાં આવે છે. પણ સુકાવવાની જગ્યાઓ, ઊડીને પડવાની જગ્યાઓ, કપડાં રાખવાના ખાનાઓની સર્વગ્રાહી તપાસ ત્રણ ચાર મહિને પૂરી થાય અને જેમ વણઉકેલાયેલો પોલીસ કેસ સી-સમરી ભરીને ફાઈલ થઈ જાય, એમ મોજાની તપાસ છેવટે પડતી મૂકવામાં આવે છે.

આમ વિખૂટું પડી ગયેલું મોજું જવલ્લે જ બીજાં મોજા સાથે જોડી બનાવી પહેરવામાં આવે છે. પણ કરકસરમાં માનનારી આપણી પ્રજા, એક સાજું સમું મોજું ફેંકી થોડી દેતી હશે? એટલે બચેલું મોજું જો કોટન મટીરીયલનું હોય તો એને ધોઈને ચાના ડાઘ સાફ કરવા કે પોતા તરીકે ઉપયોગમાં લેવાય છે. અમદાવાદમાં તો પહેલાં ઉતરાણમાં ખપાટિયાની ફીરકી વપરાતી, એમાં દોરી ન ભરાઈ જાય એનાં માટે મોજું ચઢાવવામાં આવતું. તે પ્રજા આખું વરસ આવા અનાથ મોજા સાચવી રાખતી. જોકે ઉતરાણ સમયે એ સાચવી રાખેલા મોજા ક્યાં ખોવાઈ ગયાં હોય અથવા અઠવાડિયા પહેલાં જ કોઈકે ફેંકી દીધાં હોય એવું પણ ઘણી વાર બનતું.

ખોવાયેલું એક મોજું શોધવાની સૌથી સહેલી રીત એ છે કે તમે પહેલું મોજું કે જે ખોવાયું નથી તે ફેંકી દો. તરત જ તમને ખોવાયેલું મોજું જડશે. પણ જે તમે ફેંકી દીધું છે એ મોજું કચરાપેટીમાં શોધવા જવું શક્ય ન હોવાથી જડેલું મોજું પણ પછી ફેંકી દેવું પડશે. આ માનવજીવનની કરુણતા છે. આ મોજાં ખોવાય એ રોજીંદી ઘટનામાં પતિઓના સદનસીબે તમે ભૂલકણા છો અને બધું જ્યાં-ત્યાં ભૂલી આવો છોએવું પત્નીના મુખે સાંભળવા ટેવાયેલા પતિઓને પણ કદી મોજાં ખોવાવા માટે જવાબદાર ઠેરવવામાં આવતાં નથી, કારણ કે માણસ પહેરેલા મોજાં કદીયે રસ્તામાં, બસ ટ્રેઇન, બસ-સ્ટેન્ડ કે ઑફિસમાં ભૂલી જઈ શકતો નથી.

ખોવાયેલ કે માત્ર ખાનામાં પડેલા મોજા શોધવા બાબતે પતિઓના બે પ્રકાર પાડી શકાય. સ્વનિર્ભર પતિઓ અને પત્ની-નિર્ભર પતિઓ. સ્વનિર્ભર મોજાપતિઓ ઑફિસથી આવી જાતે મોજાં કાઢી ધોવાના કપડા ભેગાં મૂકી દે છે. સવારે એ જાતે જ કપડાની થપ્પીમાંથી મોજા શોધી પણ કાઢે છે. આવા પતિઓ ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યા હોય એવી સ્ત્રીઓને મળે છે. બાકીની સ્ત્રીઓનાં પત્નીનિર્ભર પતિઓ મોજાં શોધવા માટે પત્નીનો આશરો લે છે. ખાનું સામે જ હોય પણ એ શોધવાની તસ્દી લેવાને બદલે મારું ગ્રે કલરનું મોજું કાઢી આપએવા ઑર્ડર છોડે છે. એમાં પેલી જે મોજાને ગ્રે કલરનું સમજતી હોય એને પેલો એશ કહેતો હોય, એટલે એ ભાંજઘડમાં ઓફિસ જતાં મોડું જ થાય ને?

માનવ ચંદ્ર પર તો ક્યારનોય પહોંચી ગયો છે. મંગળ અને બીજાં ગ્રહો સુધી એ પહોંચવા થયો છે. પણ પગમાંથી મોજા કાઢ્યા પછી એ ધોવા માટે જાય, ધોવાય, સુકાય અને એનાં નિર્ધારિત સ્થાને પાછાં ગોઠવાય એ વચ્ચે એ વિખુટા ન પડે તેવી કોઈ શોધ હજુ સુધી અમેરિકા પણ કરી શક્યું નથી. મોજા એકબીજા સાથે જાતે જ જોડાઈને રહી શકતાં હોત અથવા એવું થાય તે માટે કોઈ ઉપકરણની શોધ થઈ હોત તો દુનિયાના ઘણાં પુરુષો ઓફિસ સમયસર પહોંચી શકત. જો આ લેખ વાંચીને કોઈ આવું ઉપકરણ શોધ કરે તો મહેરબાની કરીને આ લખનારને રોયલ્ટી પહોંચાડવા નમ્ર વિનંતી છે.

મચ્છરો બિનસાંપ્રદાયિક હોય છે

 | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૨-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી |   
 
મચ્છર એક ઘરેલું જંતુ છે, પણ એ પાલતુ જંતુ નથી એટલું સારું છે. હજુ કોઈએ સારી બ્રીડના મચ્છર પાળ્યા હોય એવું સાંભળ્યું નથી. ભારતના ખૂણે ખૂણામાં એ મળી આવે છે. આમ છતાં ભારતમાં એની કેટલી વસ્તી છે એ અંગે આરોગ્ય મંત્રાલય કે WHO  જેવી સંસ્થાઓ પાસે પણ કોઈ નક્કર માહિતી નથી. મચ્છરોની વસ્તી ગણતરીનાં ટેન્ડર આપણે ત્યાં હજુ બહાર નથી પડ્યા એ બતાવે છે ભારત હજુ વર્લ્ડ ભ્રષ્ટ્રાચાર કૅપિટલ નથી બન્યું!

ચોમાસું બેસે એટલે મચ્છરોની વસ્તી મનુષ્યોની વસ્તીને ધ્રુજાવવા મેદાને પડે છે. માનવવસ્તી નેસ્તનાબૂદ ન થાય એ માટે મ્યુનિસિપાલિટીમાં એક મેલેરિયા ખાતું હોય છે. આ ખાતું મશીન થકી આપણા ટૅક્સનાં રૂપિયાના ધુમાડા કરે છે, જેના પરિણામસ્વરૂપે મચ્છરો ધુમાડો ન હોય તેવાં અંતરિયાળ વિસ્તારોમાં સ્થાનાન્તર કરે છે. મચ્છરોના ડોક્ટરો મચ્છરોને આવા સ્થળોએ હવાફેર કરવા માટે જવા ચિઠ્ઠી લખી આપતાં હશે. મચ્છરોની દુનિયામાં આવા સ્થળ લોહી પીવાલાયક સ્થળ તરીકે ઓળખાતાં હશે. જોકે અંતમાં મચ્છર કોને કરડશે તે દવા છાંટનારની મુનસફી પર આધાર રાખે છે, અને અમુક તમુક સોસાયટીમાં આ ધુમ્રકર્તાની સાળીની નણંદના જેઠ રહેતાં હોય તો એ સોસાયટીના મચ્છરો અને દમિયલ વડીલોનું આવી બને છે.

મચ્છરને કરડવા સિવાય આપણાં કાન પાસે આવીને ઑડિશન આપવાનો શોખ સામાન્ય રીતે જોવા મળે છે. ભમરા અને મચ્છર બંને ગુંજારવ કરતા હોવા છતાં ભમરાના ગુંજારવને જ ગીતોમાં સ્થાન મળ્યું છે (ગુન ગુના રહે હૈ ભંવરે...) એ મચ્છરનાં જીવનની કરુણતા છે. જો કે મચ્છર બેલડીમાં ટીમવર્કનો અભાવ હોઈ એક સાથે એક જ મચ્છર આપણા કાનમાં ગાય છે. આમ બેઉ કાનમાં એક સાથે મચ્છર ડ્યુએટની સ્ટીરિયોફોનિક ઇફેક્ટ આપણા નસીબમાં નથી લખાઈ. મચ્છરનો અવાજ એ કાનની નજીક આવે એટલે સંભળાય એ કારણે મચ્છરો ગોપનીયતામાં માનતા હોય એવું પણ માની શકાય.
મચ્છરો કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતા નથી. અથવા તો એવું કહી શકાય તો મચ્છરો બિનસાંપ્રદાયિક હોય છે. આથી જ્યાં ભજન કે ગરબા ચાલતાં હોય અથવા તાળીઓ પડે એવા અન્ય કોઈ કાર્યક્રમો થતા હોય ત્યાં મચ્છર સમાજની સ્થાપિત આચારસંહિતા મુજબ જતાં નથી. તાળીઓ પાડી રૂપિયા ઉઘરાવતાં લોકો મચ્છરોને સૌથી વધારે ભયભીત કરે છે. આવા લોકો હોય ત્યાંથી પચાસ પચાસ ગાઉ દૂર મચ્છરોની મા એમના બચ્ચાઓને સાવધાન કરી દેતી હોય છે.

ડોક્ટરોની સિઝન વરસાદ પડે અને મચ્છરો થાય એનાં પંદર દિવસ પછી બેસે છે. આ સીઝનમાં કોઈ પણ જનરલ પ્રેકટીશનર કાશ્મીર કે યુરોપ ફરવા જતો નથી. ખરેખર તો ચોમાસાની સિઝન સારી જાય તો એ પછી દિવાળીમાં ડૉક્ટર એની ઉજવણી કરવા દેશદેશાવર જાય છે. એવું જાણવા મળ્યું છે કે ડોક્ટરોના ઘરમાં પણ મચ્છર પ્રતિરોધક દવાઓ અને ધુમાડા થતા હોય છે, આમ છતાં ડૉક્ટર પરિવારોમાં મચ્છરને ઘૃણાની દ્રષ્ટિએ નથી જોવામાં આવતા. એટલે જ ડૉક્ટર પરિવારોમાં તને મચ્છરની જેમ મસળી નાખીશજેવા ક્રૂર શબ્દ પ્રયોગો પણ કદી પ્રયોજવામાં આવતાં નથી. આમ મચ્છરોને ડોક્ટરોના મિત્ર પણ કહેવાય છે.

જિંદગીમાં દરેક માણસને કોઈનું કોઈ લોહી પીનાર મળી આવે છે. પતિનું લોહી પત્ની પીવે છે, પત્નીનું લોહી કામવાળો, ઇસ્ત્રીવાળો, શાકવાળો વગેરે પીવે છે, આ બધાં વાળાઓ જો ખુલ્લામાં સૂઈ જાય તો એમનું લોહી મચ્છરો પીવે છે. મચ્છરોનું લોહી પણ કોઈ પીતું હશે, પણ એ અંગે અમારી પાસે ચોક્કસ માહિતી નથી તો વાચકો દરગુજર કરે. જનરલી આપણને ક્યુલેક્સ અને એનાફીલીસ પ્રકારના મચ્છરો દ્વારા કરડવામાં આવે છે. એમાં એનાફીલીસ મચ્છરની માદા કરડે એનાથી મેલેરિયા નામનો રોગ થાય છે. આમ, માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે એ હકીકતનો સહારો લઈ અમુક પુરુષો સ્ત્રીઓને બદનામ પણ કરે છે.

જો કે મચ્છરો માત્ર મનુષ્યોને જ કરડે છે એ ઘણું હીણપતભર્યું કૃત્ય છે. મચ્છર પ્રાણીઓને કરડતાં હશે, પણ પ્રાણીઓને મેલેરિયા થયો હોય એવું અમે કદી સાંભળ્યું નથી. કદી કૂતરાને ટાઢિયો તાવ આવ્યો હોય એવું અમે તો જોયું નથી, તમે પણ નહીં જ જોયું હોય. જો કૂતરાને ટાઢિયો તાવ ચઢતો હોત તો ગુજરાતી જીવદયા પ્રેમી જનતા કૂતરાને પણ ધાબળા ઓઢાડવા જાત એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી.

ડ-બકુ
શું તું સાચે જ છે આટલી પ્યારી બકા ?
કે બહેર મારી ગઈ છે બુદ્ધિ મારી બકા?