Monday, June 25, 2012

આજે કયું શાક કરું ?


 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

ડોલરની સરખામણીમાં ઘસાઈ ગયેલ રૂપિયો, મોંઘવારી, અબજો રૂપિયાનાં ભ્રષ્ટ્રાચાર થયાનાં આરોપો, અને સાથી પક્ષોને કઈ રીતે સાચવવા? કે ભારતના પ્રૅસિડેન્ટ કોને બનાવવા? જેવા અનેક યક્ષ-પ્રશ્નો અને બીજાં અનેક મીની-યક્ષ પ્રશ્નો વચ્ચે પ્રધાનમંત્રીએ દેશ કઈ રીતે ચલાવવો એ નક્કી કરવામાં નહિ પડતી હોય એટલી તકલીફ ગૃહિણીને આજે કયું શાક કરવુંએ નક્કી કરવામાં પડે છે. પાછું દેશની અમુક સમસ્યાઓ અને કોયડાઓને તો નફ્ફટની જેમ અધ્ધર લટકતા છોડી શકાય છે, પણ ગુજરાતી ઘરોમાં શાક તો રોજ બને એટલે શાક બનાવનારને જ્યાં સુધી આ સવાલનો મનગમતો જવાબ ન મળે ત્યાં સુધી આખા ઘરને બાનમાં લઈને ફરે છે.

જો દરેક ઘરને એક દેશ ગણો તો એમાં સત્તાધારી પક્ષ, વિપક્ષ, અપક્ષ અને સમર્થકો મળી આવે છે. સંસદની જેમ આ પક્ષો અંદર અંદર લડ્યા કરે છે. પછી એ ટીવી પર કઈ સિરીયલ જોવી, કોણે ક્યારે છાપું વાંચવું અને કેટલી વાર સુધી વાંચવું, કે પછી કયું શાક બનાવવું એ બાબત હોય. એકંદરે ગુજરાતી પરિવારમાં ભાખરી, શાક અને ખીચડી ખવાતા હોય છે. એમાં ભાખરી અને ખીચડીમાં ઝાઝા પર્યાય મળતાં નથી, એટલે શાક દ્વારા ભોજનમાં વૈવિધ્ય લાવવાની કોશિશ લાગતી વળગતી વ્યક્તિઓ દ્વારા થતી હોય છે. સંસદમાં જેમ અમુક બિલ વિપક્ષને ચર્ચાનો મોકો આપ્યા સિવાય ગુપચુપ પસાર કરી દેવામાં આવે છે એમ જો ગૃહિણી ધારે તો એ પોતાની મરજીનું શાક બનાવી દે છે. પછી જમતી વખતે જે ધાંધલ થાય એનો સામનો સરકાર જેમ પેટ્રોલનાં ભાવવધારાનો બચાવ કરે એમ કરે છે. રોજ નવા શાક ક્યાંથી લાવું?’, ‘રસ્તામાં શાકમાર્કેટ આવે છે તો આપણને એમ થાય છે કે કોઈ દિવસ હું શાક લેતો આવું?’ ‘ઉનાળામાં ત્રણ જ શાક આવે છે, એમાંથી રીંગણ તો તમને ભાવતાં નથી’, ‘ભાવ સાંભળ્યા છે?’, ‘ચાર દિવસથી શાકવાળી નથી આવી’, જેવા જુનાં અને નીવડેલા કારણો આગળ ધરી દેવામાં આવે છે.

આમ શાક ન મળતાં હોવાને લીધે ઘણાં ઘરોમાં બટાકા ડીફોલ્ટ શાક તરીકે બને છે. જોકે આ બટાકામાં ઘણી વરાઇટી આવે છે, જેમ કે બટાકા, બટાટા, બટેકા, બટેટા, આલુ, પોટેટો, વગેરે. બટાકા સહિષ્ણુ એટલે બધા શાક સાથે એ જાય એટલે એ યુનિવર્સલ શાક પણ કહેવાય. પણ બટાકાનું શાક એટલું ઓછી મહેનતે બને છે એ કારણે કાળક્રમે અનુભવોથી શાક સુધરવાને બદલે બગડતું જાય છે. એમાં પાછું આજકાલ આરોગ્ય સંબંધિત જાગૃતિ વધી છે એટલે બટાકાના રસાવાળા શાકમાં તેલ ઓછું અને પાણી વધતું જાય છે. એકંદરે હળદરના સૂપમાં બટાકાના ટુકડા (ક્રમ્સ) નાખ્યાં હોય એવા બટાકાના શાક ખાવા મળે છે. બટાકાની અન્ય વરાઈટી એટલે બટાકાની સૂકી ભાજી. એમાંય હળદર, જીરું અને લાલ-લીલાં મરચાં સિવાય ખાસ કશું પડતું ન હોઈ અમુક સમયે તો બાફેલા બટાકા જ ખાતાં હોઈએ એવું લાગે. એમાં પાછાં બટાકા બાફવાના ધારાધોરણ નિર્ધારિત ન હોઈ ક્યારેક કાચાં તો ક્યારેક વધારે બફાઈને બટાકાનો શીરો પણ પણ બની જાય. પણ હોમમેકર જો માર્કેટિંગ સારું જાણતી હોય તો એ ગમે તેવો માલ પધરાવી શકે છે.

પણ જે લોકશાહીમાં માને છે એ ઘરનાં સૌ સભ્યોને સાથે લઈ ને ચાલે છે. તો કોઈક અનિર્ણીત હોવાને કારણે આ પ્રશ્ન પૂછે છે. આજે કયું શાક બનાવું ?’ એ પ્રશ્નનો એક જવાબ જો મળે તો સવાલ પૂછનારે પૂર્વજન્મમાં ઘણાં પુણ્ય કર્યા હશે અને એનું ફળ આ જન્મે મળે છે એમ માની લેવું. સામાન્ય રીતે ઘરમાં ચાર જણને જો આ સવાલ પૂછવામાં આવે તો ચારેય જુદો જવાબ આપે છે. એમાંથી બે જણના જવાબ પ્રમાણેનું શાક હાજરસ્ટોકમાં ન હોવાથી એમની દરખાસ્તને બરખાસ્ત કરી દેવામાં આવે છે. હવે રહ્યા બે જણા. આમાંથી એક જણ ગૃહિણીની પસંદનો જવાબ આપે છે અને બીજો વિરુદ્ધનો. પણ અંતે ધાર્યું ગૃહિણીનું થાય છે. આમ છતાં જેમ ડિમ્પલ યાદવ બિનહરીફ ચૂંટાઈ આવે તોયે એ લોકશાહી કહેવાય, એમ ગૃહિણીએ સૌને વિશ્વાસમાં લઈ શાક બનાવ્યું એનો યશ તો એ મેળવે જ છે.

જોકે આવા સવાલ પુછાય એટલે અમુક અબુધ જીવો હરખાઈ ઊઠે છે કે જોયું, મારા ઘરમાં મારી મરજી વિરુદ્ધ પાંદડું (શાક) પણ બનતું નથી’. રોજ રીંગણ કે રોજ બટાકા ખાઈ કંટાળેલ આવો અબુધ જીવ બે ઘડી તો હવે પોતાની પસંદગીનું શાક બનશે એવા દિવાસ્વપ્નમાં રાચતો થઈ જાય છે. પણ દૂધી, ચોળી, સૂરણ, કંકોડા, પરવળ જેવા ચિત્ર વિચિત્ર સ્વાદ ધરાવતાં શાક બે વાર ઘરમાં બને એટલે માઈનો લાલ ફરમાઇશ કરતો બંધ થઈ જાય છે. અને ફરી વાર અલી પૂછવા આવે કે આજે કયું શાક કરુંતો એક પણ સેકન્ડના વિલંબ વગર કહે છે કે તું તારે કરને જે કરવું હોય તે, મહેરબાની કરીને મને પૂછીશ નહિ’.  

પણ આ શાકની કર્તા ભારે ચતુર હોય છે. ઘણીવાર તો ઘરમાં એક જ શાક પડ્યું હોય તેમ છતાં આજે કયું શાક કરું?’ એવું પૂછે. આવા પ્રશ્ન પૂછનારની હિંમતને પણ આ લખનાર સલામ કરે છે. લિંકને કહ્યું છે કે તમે બધાં લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો, તમે થોડા લોકોને બધો સમય મૂર્ખ બનાવી શકો, પણ તમે બધાં લોકોને બધો સમય મૂર્ખ ન બનાવી શકો. અમને લાગે છે અબ્રાહમ લિંકનના ઘરમાં શાક બનતું જ નહીં હોય.

જોઈએ છે રાષ્ટ્રપતિ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

છેલ્લા કેટલાય દિવસોથી કોણ રાષ્ટ્રપતિ બનશે એ બાબતે ભારે ચર્ચા ચાલી રહી છે. આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં કદાચ ઉમેદવાર નક્કી થઈ ગયાં હશે. મિક્સ વેજીટેબલ સરકારનું આ દુ:ખ છે. પહેલાં તો રાષ્ટ્રપતિ બની જાય પછી ખબર પડતી. હવે તો જુદી જુદી પાર્ટીઓ પોતાના ઉમેદવાર આગળ કરી રહી છે. મમતા દીદીએ મનમોહન સિંઘનું નામ સૂચવી બધાંને ચકિત કરી દીધાં છે. જોકે અણ્ણાએ ડો. સિંઘને ક્લીનચીટ આપી હોવાથી મનમોહન સિંઘ પણ રાષ્ટ્રપતિ બની શકે છે. પણ આ બધી મગજમારી કરવાને બદલે ધારો કે રાષ્ટ્રપતિ પદ માટે જાહેર ખબર આપી યોગ્ય વ્યક્તિ શોધવામાં આવે તો ? તો એ જાહેરાત કેવી હોય તેની અમે કલ્પના કરી છે.

જોઈએ છે
ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ભારતીય નાગરિક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ નોકરીમાં સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન, ભથ્થાં, સગવડો અને રહેવા માટે બધાંને ઈર્ષ્યા આવે એવો બંગલો મળશે. અગાઉના ઉમેદવારોએ કઈ સગવડો ભોગવી કે તેઓએ કેટલી વખત સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લીધી હતી તે જાણવા માટે ૨૦ રૂપિયા ભરીને આર.ટી.આઈ. હેઠળ અલગથી અરજી કરવી. ઉમેદવારની  યોગ્યતા માટે નીચે મુજબના ધારાધોરણ ઠેરવેલા છે, જે સમય અને સંજોગો અનુસાર ફેરફારને પાત્ર રહેશે. તો આ પદ માટે યોગ્યતા ધરાવનાર ઉમેદવારોએ નિયત ફોર્મમાં અરજી પોતાની સહી/અંગૂઠાનું નિશાન કરી, તાજેતરનો ઓરીજીનલ ફોટો (ફોટોશોપ કર્યા વગરનો), બાયૉડેટા, જરૂરી પ્રમાણપત્રો સાથે દિન સાતમાં અરજી કરવી. જાહેરાતનો હેતુ યોગ્ય પસંદગી જ છે.

આ પદ માટે નીચેની વયમર્યાદા ૩૫ વર્ષની છે પણ ઉપરની વયમર્યાદા નથી. જોકે ઉમેદવારની શારીરિક ફિટનેશ સારી હોય તે ઇચ્છવા યોગ્ય છે. કાર્યકાળ દરમિયાન ઉમેદવારે અવારનવાર સ્ટેજ પર ચડવાનું રહેતું હોઈ ચડ-ઉતરમાં સ્ફૂર્તિ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. આ પદવાન્છુક ઉમેદવાર દેશ વિદેશમાં મુસાફરી કરવાનો શોખીન હોવો જોઈશે. જેટ લેગ ઉતરવામાં અઠવાડિયું થતું હોય તેવાં ઉમેદવારે અરજી કરવી નહિ. વિમાનમાં બેસવાથી પગમાં દુખાવો થતો હોય કે વિમાની મુસાફરીમાં ઊલટી ઉબકા થતા હોય એવા ઉમેદવારે અરજી કરવાની તસ્દી લેવી નહિ. ઉમેદવાર કોઈનાં ટેકા વગર  વિમાનમાં જાતે ચઢી ઉતરી શકે તે જરૂરી છે. ઉમેદવાર હારતોરાનો ભાર ઊંચકવા માટે જાતે સક્ષમ હોવો જોઈશે.

આ પદના ઉમેદવારને પ્રેરણાદાયી ભાષણનો અનુભવ જરૂરી છે. અગાઉ કરેલાં ભાષણો પૈકી ત્રણ ભાષણની  સીડી અરજીની સાથે મોકલવાની રહેશે. આ ઉપરાંત અરજદારને ઉદઘાટન કરવાનો અનુભવ જરૂરી છે. આ પોસ્ટની પૂર્વ લાયકાત તરીકે એક વરસમાં ઓછામાં ઓછાં ૧૦૦ ઉદઘાટન કરેલાં હોવા જરૂરી છે. અરજી સાથે અગાઉ કરેલાં ઉદઘાટનનાં ફોટાઓની સીડી ત્રણ નકલમાં સામેલ કરવી. પુરુષ ઉમેદવારોની પત્ની જરૂર પડે ઉદ્ઘાટન કરી શકે તેવી હોય તે આવશ્યક છે. કુંવારા ઉમેદવારોની અરજી પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

આ પદ માટે કપડાં કે હેરસ્ટાઈલ અંગે કોઈ બાધ નથી. પુરુષોમાં ધોતિયું, લુંગી અને લેંઘો પહેરનારની અરજી પણ સ્વીકારવામાં આવશે. જોકે ભૂતકાળમાં જાહેરમાં બર્મુડા પહેરીને ફરેલ લોકોએ અરજી કરવી નહિ. આજ રીતે વાળની લંબાઈ અને રંગ અંગે કોઈ જરૂરિયાત નક્કી નથી થઈ. ખભા સુધી લાંબા કે વાંકડિયા વાળધારી પુરુષો પણ અરજી કરી શકે છે. વાળનો રંગ કુદરતી રીતે સફેદ હોય તેવાને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. સ્ત્રી ઉમેદવારની વેશભૂષા અંગે કોઈ ધારાધોરણ નક્કી થઈ શક્યા નથી, જે નક્કી થશે તો એ ઉમેદવારને બંધનકર્તા રહેશે.

ઉમેદવારે વડાપ્રધાન અથવા વડાપ્રધાનથી મોટી હસ્તી કહે તો ઝાડુ મારવા તૈયાર છુંએ મુજબનું સોગંદનામું સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવાનું રહેશે. ઉમેદવારને જ્યાં કહે ત્યાં, અને જ્યારે કહે ત્યારે સહી કરવાની ટેવ હોય તે આવકાર્ય છે. જે ઉમેદવારને હાં જી હાં’  એવું બોલવાની ટેવ હોય તેવાં ઉમેદવારને સિલેક્ટ થયાં બાદ આપવામાં આવતી ફરજિયાત ટ્રેનીંગમાંથી મુક્તિ આપવામાં આવશે. સરકાર તરફથી આવેલા કાગળિયાં સહી વગર પાછાં મોકલવાના સ્વપ્ના જોતાં વ્યક્તિઓની અરજી સ્વીકારવામાં આવશે નહિ. સરકારના રબર સ્ટેમ્પ છેઆવી કૉમેન્ટ સાંભળી જેનું લોહી ઊકળી ઊઠતું હોય તેવાં લોકોએ અરજી કરવાની તસ્દી લેવી નહિ. તો ઉપર મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારે રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી મોકલી આપવાની રહેશે. ઉમેદવારની પસંદગીની જાહેરાત સૌથી તેજ ચેનલ પર કરવામાં આવશે જેથી રૂબરૂ ધક્કો ખાવો નહિ.
ડ-બકા
આકાશમાં જ્યાં દેખાઈ પહેલી વાદળી બકા,
ચસકી ગઈ કેટલાય કવિઓની ડાગળી બકા.

Wednesday, June 20, 2012

કભી હા, કભી ના

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

ઘણાં લોકો નિર્ણય લઈ ન શકે એટલે સિક્કો ઉછાળે છે. પછી સિક્કો જે નિર્ણય આપે એ નિર્ણય ગમે નહિ એટલે બીજી વાર સિક્કો ઉછાળે. બીજીવાર સિક્કો પહેલાથી વિરુદ્ધ પડે એટલે પછી ત્રીજીવાર સિક્કો ઉછાળે. આખરે સિક્કો જે ચુકાદો આપે તે મંજૂર ન હોઈ પોતે જે નિર્ણય માટે કૂણી લાગણી ધરાવતાં હોય તે નિર્ણય લેવા સિક્કો અને સિક્કો ઉછાળવાથી આવેલું પરિણામ બંને બાજુમાં મૂકી દે છે. પણ એમ જાતે નિર્ણય લે તો આવનાર પરિણામની જવાબદારી પણ ઊઠાવવી પડે એ કારણસર છેવટે પોતાનાં મિત્ર, ગુરુ, મમ્મી કે પપ્પા, અને આખરે પત્નીને પૂછે છે. છેવટે પત્ની એમ કહે કે આ વખતે દરિયા કિનારે નહિ, હિલસ્ટેશન જઈએ’, ત્યારે એ કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. આવા લોકો પાસે શોલેવાળો સિક્કો હોય તોયે નકામો !

નિર્ણય લેવામાં મદદરૂપ થવા વિજ્ઞાન ન હોત તો આપણે કદાચ અડધાં ભૂખ્યા રહેતાં હોત. હા, ‘દાળ ચઢી હશે કે નહિ?’ એ નિર્ણય લેવામાં ગૃહિણી જો ઉતાવળ કરે તો કાચી દાળ થાય, અને જો મોડો નિર્ણય લેવાય તો દાળ ગળી અથવા બળી જાય. એટલે કૂકરમાં વ્હીસલ ઉર્ફે સીટી મૂકવામાં આવી છે. ત્રણ સિટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો’. આ સૂચના બાથરૂમના બંધ બારણાં પાછળથી એટલી બધી વખત અપાઈ હશે કે ભારતીય પતિદેવો, કે જે રસોઈમાં કાચાં છે, એ લોકો પણ એટલું તો શીખી જ ગયાં છે. આવું જ બે મિનિટમાં બનતા નુડલ્સનું છે. કેટલું પાણી નાખવું અને કેટલી વાર ગેસ ચાલુ રાખવો એની સૂચના પેકેટ ઉપર લખી હોય. અંદર સ્વાદ અનુસાર કેટલું મીઠું, મરચું, હળદર વગેરે નાખવાનું એ પણ નક્કી કરવાની તક પણ કોઈને આપવામાં આવતી નથી. મસાલાનું પેકેટ તૈયાર જ હોય. આમ, વિજ્ઞાન અને રેડી-ટુ-કૂક ફૂડ્ઝ આપણી નિર્ણય લેવાની શક્તિને કુંઠિત કરી રહ્યા છે, જે દેશ માટે એક અતિ ગંભીર સમસ્યા છે. આવું અમને લાગે છે.

અમારા મિત્ર પવન કનનનો કિસ્સો જાણવા જેવો છે. કનન એની અટક નથી, ઉપનામ છે. કનનએટલે કશું નક્કી નથી’.  એને પૂછો કે રવિવારે હું કવિ સંમેલનમાં જવાનો છું, આવવું છે ?’ તો જવાબ મળે કનન’. એને પૂછો કે વેકેશનનો શું પ્રોગ્રામ છે?’ તો જવાબ મળે કનન’. આ પવનીયો પરણવા લાયક થયો, જાતે છોકરી પસંદ કરવાનો તો સવાલ જ નહોંતો, મા-બાપે છોકરી પસંદ કરી લીધી ત્યારે પણ એ હેમ્લેટી દ્વિધામાં હતો. ધ કેવ્શ્ચન વોઝ, ટુ મેરી ઓર નોટ ટુ મેરી? પણ થનાર થઈને રહે છે, એટલે લગ્ન થયાં, અને પછી એની પત્નીએ બાજી સંભાળી લીધી હતી.

મહાન યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટે યુદ્ધમાં નિર્ણય લેવાની શક્તિને અગત્યની ગણાવી હતી. ડોક્ટરોને તો ચાલુ ઓપરેશને કટોકટીમાં નિર્ણય લેવા પડતાં હોય છે. ક્રિકેટરો પણ ઘડીના છઠ્ઠાં ભાગમાં ડાઈવ મારી કૅચ ઝડપતાં હોય છે, જોકે એમાં કોકવાર એવું બને કે ચોગ્ગો રોકું કે કૅચ કરું?’ એ દ્વિધામાં બંને હાથથી જાય. વાહન હાંકતી વખતે કે રસ્તો ક્રોસ કરતી વખતે પણ ત્વરિત નિર્ણય લેવો પડે છે. અરે, ચાલવામાં પણ ક્યારેક રમૂજી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તમે જોજો, ગાર્ડનનાં નાના ટ્રૅક પર તમે ચાલતાં હોવ અને સામે બીજાં સજ્જન સામે આવે તો તમે જમણી બાજુ ખસો તો એ સજ્જન પણ એ જ દિશામાં ખસશે, પછી તમે ડાબી બાજુ જશો તો એ પણ એજ દિશામાં ખસી રસ્તો આપશે. બંનેનાં મગજ જાણે મિરર ઈમેજની જેમ ન વર્તતા હોય! અમે તો આવા સંજોગોમાં ઊભા રહી જઈ સામેવાળા પર નિર્ણય છોડી દઈએ છીએ. અમે પરણેલા છીએ ને!

જોકે અમુક સંજોગોમાં નિર્ણય ન લેવો ફાયદાકારક બની રહે છે. આ દર્દ માટે ડૉક્ટર પાસે જવું કે કેમ?’ આ નિર્ણય લેવામાં વાર કરો તો દરદ જાતે મટી જાય એવું પણ બને. આવું જ ઘણાં ઉપવાસીઓનું હોય છે, બે ચાર દહાડા ભૂખ્યા રહેવા દો એટલે ઉપવાસ જાતે સમેટી લે. પત્ની વારંવાર રિસાઈને પિયર જતી રહેતી હોય ત્યારે પણ થોડી ઢીલની નીતિ અપનાવો તો એ જાતે પાછી આવી જાય. પણ આ બધાં કિસ્સામાં નિર્ણય ન લેવો જોખમી સાબિત થઈ શકે છે.

પણ અમુક લોકોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશું’, એવું કહી નિર્ણય ટાળી દેવાની ટેવ હોય છે. નિર્ણય ન લેવાથી પછી થવા કાળે થવાનું થઈને રહે છે. કૉમન વેલ્થ ગેમ્સમાં છેલ્લી ઘડી સુધી કૉન્ટ્રેક્ટ અપાયા નહિ, પછી ઉતાવળે કામ પૂરું કરાવતાં ઓછી ગુણવત્તાનું એકંદરે મોંઘું કામ આપણને મળ્યું હતું. આ નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ નિર્ણય લેવા બાબતે ઢીલી નીતિ માટે એટલાં જાણીતાં હતાં કે એમની એ નીતિ નરસિંહરાવ નીતિ તરીકે જાણીતી થઈ હતી.  

સિવિલ એન્જીનીયરીંગ પ્રોજેક્ટ્સમાં સાઇટ ઉપર ઘણાં નિર્ણયો લેવાના હોય. શાપુરજી પાલોનજી કંપનીમાં અમે જ્યારે નોકરી કરતાં ત્યારે અમારા ક્લાયન્ટનાં જનરલ મૅનેજર બહુ અન-ડીસીસીવ હતાં. ગજબની સેન્સ ઑફ હ્યુમર ધરાવતાં અમારા સિનિયર રાવલ સાહેબ એમને કભી હા, કભી ના’ (કહાકના) કહેતાં હતાં. આ કહાકના પ્રકારનાં લોકો એન્જિન ડ્રાઈવરની નોકરીને લાયક હોય છે. એક જ પાટા પર દોડ્યા કરવાનું, લાલ લાઈટ દેખાય તો ઉભા રહેવાનું અને લીલીએ ઉપાડવાની. પણ આવા લોકોના હાથમાં કસાબ અને અફઝલ ગુરુ જેવાનું ભાવિ નક્કી કરવાનું સોંપ્યું હોય તેવા દેશનું શું થાય ?
 

વર્લ્ડ માઈનસ ફેસબુક


 | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી

ફેસબુક નહોતુ ત્યારે પણ દુનિયા પોતાની ધરી પર ગોળ ફરતી હતી. ફેસબુક નહિ હોય તો પણ દુનિયા ગોળ જ ફરશે. પણ ૨૦૨૦માં ફેસબુક બંધ થઈ જશે એવી આગાહી જ્યારથી કોઈ એરિક જેક્સન નામનાં કાળમુખાએ કરી છે ત્યારથી ઘણાં દુનિયા સ્થગિત થઈ જવાની હોય એમ ડરી ગયા છે. અમુક તમુક સાલમાં પૃથ્વી પર પેટ્રોલનું ટીપુંય નહીં બચ્યું હોય, કે ગ્લોબલ વોર્મિંગનાં કારણે સમુદ્રની સપાટી એટલી ઊંચી આવી જશે, કે અડધું મુંબઈ ડૂબી જશે, કે ૨૦૧૨માં પૃથ્વીનો સર્વનાશ થઈ જશે, જેવા વરતારો ઘોળીને પી જનારી આપણી પ્રજા ફેસબુક બંધ થશે તો શું?’ એ વિચારે બાવરી બની ગઈ છે.

ફેસબુક ચલણમાં આવ્યું એ પછી મૅરેજ-બ્યુરોમાં કાગડા ઊડવા લાગ્યા છે એવું અમને લાગે છે. તો લગ્નમેળાઓ ફેસબુકને કારણે સુમસામ થઈ ગયાં છે. હવે લડકા લડકી ફેસબુક પર જ મળીને રાજી થઈ જાય છે એટલે કાજીએ એમનાં લગ્નના ફોટા ફેસબુક પર લાઈક કરવાના જ રહે છે. પણ એ વિચારો કે ફેસબુક પર ચોકઠાં કેમ આસાનીથી ગોઠવાઈ જાય છે? અમને લાગે છે કે રીયલ લાઇફ કરતાં કદાચ ફેસબુક પર ફિલ્ડિંગ ભરવી સહેલી પડે છે, અને પાછું આમાં તમારી ગણતરી રોડ-રોમિયોમાં નથી થતી. એટલે જેવો છોકરીનો સાચો ફોટો જોવા મળે, અથવા ખાતરી થાય કે આ જ સાચો ફોટો છે, એટલે છોકરાઓ ગરમ તેલમાં ભજિયું મૂકે એટલી સિફતથી પ્રપોઝલ મૂકી દે છે. પાછું આ ગરમ તેલના છાંટા ઊડે તો દાઝવાનો વારો આવે એવું કશું ફેસબુકમાં નથી થતું. કારણ કે બહુ બહુ તો છોકરી અન-ફ્રૅન્ડ કે બ્લૉક કરે, સેન્ડલ કે ઝાપટ તો ન પડે ને? પણ ફેસબુક બંધ થશે તો ફરી લગ્નમેળાઓ અને મેરજ-બ્યુરોનો સુવર્ણયુગ આવશે એ નક્કી છે.  

અમે નોંધ્યું છે કે વૈશ્વિક મંદી અને ફેસબુકનો ઉદય એ બે લગભગ એક સાથે બન્યા છે. એમ સમજો કે મંદીથી લોકો બેકાર થયાં અને એમને ટીંગાવા માટે ફેસબુક મળ્યું. આ જોતાં ફેસબુકને અમેરિકન સરકારનું સત્તાવાર સમર્થન હોય એવું પણ બની શકે, અને એટલે જ ૨૦૨૦ની સાલમાં મંદી પૂરી થાય ત્યારે ફેસબુક બંધ કરવામાં આવતું હોય એમ બને. પણ એ જે હોય તે, ફેસબુક નહિ હોય તો ઓફિસોમાં પ્રોડક્ટીવીટી વધશે જ. જે ઓફિસોમાં હાલ ફેસબુક વાપરી શકાય છે ત્યાં તો કામકાજ એકદમ વધી જશે, આવી કંપનીઓનાં શેરમાં ઉછાળો પણ આવે એવું બને. પણ જ્યાં પહેલાં ફેસબુક પર પાબંદી હતી, ત્યાં ફેસબુક બંધ થવાથી કોઈ ફેર નહિ પડે. આમ મૅનેજમેન્ટને પહેલી વાર ફેસબુકના ફાયદા દેખાશે. જોકે ઑફિસમાં ટાઈમપાસ માટે લોકો હવે શૂન્ય ચોકડી જેવી રમતો તરફ વળશે.

ફેસબુક આજકાલ છૂટાછેડા માટે ખૂબ બદનામ છે. અનેક દેશોમાં ફેસબુક પર પાર્ટનરની બેવફાઈના પુરાવા મળવાથી લોકો છૂટાછેડા લે તેવી ઘટનાઓ બની રહી છે. ફેસબુક બંધ થવાથી આવી રીતે થતાં છૂટાછેડાનું પ્રમાણ ઘટી જશે. છૂટાછેડા માટે કારણો જલ્દી જડશે જ નહિ. કોર્ટો પણ આજકાલ જોરથી નસકોરા બોલાવે છેકે માવો ખાય છે, મોઢું ગંધાય છેજેવા કારણસર છૂટાછેડા આપતી નથી. આમ ચટ મંગની, પટ શાદી, ને ઝટ છૂટાછેડાએવી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણો દેશ ધકેલાઈ રહ્યો હોય એવું અમુક લોકોને જે લાગતું હતું, તે હવે નહિ લાગે. આમ છતાં છૂટાછેડા લેવા હશે તેવાં લોકો ડીટેકટીવ એજન્સીનો સહારો લઈ શકશે. આમ દેશમાં બેકારીની સમસ્યા થોડી હળવી થશે. સરકાર પછી આખા પાનાની જાહેરાતો છપાવી બેકારીની સમસ્યા અમે હલ કરી એવો જશ પણ ખાટી શકશે.  

જોકે ફેસબુક બંધ થવાથી ઘણાં આશ્ચર્યજનક પરિણામો આવશે. જેમ કે ઈન્ટરનેટનાં વપરાશમાં ધરખમ ઘટાડો થશે. કેટલાય ફેસબુકીયા કવિઓનું અકાળ નિધન થશે. તો ફેસબુક રોજ પર બે-ચાર નવી રચનાઓપોસ્ટ કરવાની ટેવ ધરાવતાં કવિઓ લોકોને રૂબરૂમાં પકડીને કવિતા સંભળાવશે, જેના કારણે મારામારીની ઘટનાઓમાં વધારો થશે. આ બાજુ નવરાં પતિદેવો સાંજે ફેસબુકના બદલે ટીવી પર ચોંટશે એટલે રિમોટ માટે થતી ઘરેલું હિંસાના બનાવોમાં પણ એકાએક વધારો થશે. તોયે અમુક પત્નીઓ એવી પણ આશા રાખે છે કે પતિઓ પરિવાર માટે હવે વધારે સમય ફાળવી શકશે. જોકે અમુકને એવી પણ ધાસ્તી છે કે ફેસબુક બંધ થઈ જશે તો ભારતની વસ્તીમાં ઉછાળો આવશે!

ડ-બકુ
હે  દુનિયામે ઓર ભી કામ ફેસબુક કે સિવા ..

Tuesday, June 12, 2012

વેકેશન પૂરું થતાં


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

વેકેશન પૂરું થવા આવે એટલે જે હળવા થવા માટે પ્રવાસે જઈ આવ્યાં હોય એ લોકો જ થાકીને ઠૂંશ થઈ ગયાની ફરિયાદો કરતાં હોય છે. છોકરાઓ ઉનાળુ ક્રિકેટ અને ટેનિસ કોચિંગ કૅમ્પમાં તોડાઈને ઢીલાં થઈ ગયાં હોય એટલે જલદી વેકેશન પૂરું થાય એવું મનોમન ઇચ્છતા હોય. છોકરીઓને મમ્મી ઘરનાં જુદા જુદાં કામોમાં હોંશિયારીપૂર્વક જોતરી દેતી હોય છે, પણ એમને પણ આ શોષણની જાણ થતાં એ ફરી સ્કૂલ કૉલેજના મુક્ત વાતાવરણમાં જવા અને મિત્રોને મળવા તત્પર હોય છે. તો પપ્પા લોકોનું કેલેન્ડર આ વેકશનીયા સેનાનાં કાર્યક્રમોને કારણે મહિનાભરથી ખોરવાઈ ગયું હોવાથી એ પણ ક્યારે વેકેશન પૂરું થાય એની રાહ જોતાં હોય છે. અને મમ્મીઓ, ખાસ કરીને જેમનાં પતિ અમારી માફક પ્રોફેસર કે શિક્ષક હોય એવી, વેકેશન દરમિયાન વધી ગયેલા કાર્યભારથી કંટાળીને સ્કૂલ કૉલેજ ક્યારે ખૂલે તેની રાહ જોતી હોય છે.

આમાં પુરુષોની દશા અતિ ખરાબ હોય છે. એમ જ કહોને ગધેડાં જેવી. બોસ જ્યારે રજા આપે ત્યારે એ વેકેશન લઈ શકે છે, અને પત્ની કહે ત્યાં એ જાય છે. ત્યાં જઈ એ છોકરાં કહે તેવી બધી પ્રવૃત્તિઓ કરે છે. આમાં એની મરજી મુજબનું ખાવાનું અને પીવાનું મળી જાય એમાં એણે સંતોષ માણવાનો. ઘરનાં ભોજનથી છુટકારો મળે એટલે ભયોભયો. પણ એનો આ આનંદ પણ ક્ષણભંગુર હોય છે. સાઉથ ઇન્ડિયામાં જઈને કોપરેલમાં બનાવેલ પંજાબી સબ્જી ખાય એમાં ત્રણ દિવસમાં તો એનો પંજાબી ભોજન પરથી વિશ્વાસ ઊઠી જાય. કોઈક તો જિંદગીભર પંજાબી નહીં ખાઉ એવા શપથ પણ લઈ લે. પણ એક બાજુ આવા વિચિત્ર સ્વાદવાળું પંજાબી શાક અને ઘેર પહોંચીને પેલું આંતરે દિવસે બનતું સદાબહાર કોબીનું શાક આ બે વચ્ચે કયું સારું?’ એ નક્કી કરે ત્યાં સુધીમાં તો એ જ સ્ટીલની થાળીમાં એજ કોબીનું શાક અને ભાખરી હંમેશની જેમ પીરસાઈ જાય છે! 

વેકેશન પૂરું થાય એટલે લોકો એકબીજાને તમે આ વખતે ક્યાં ગયાં હતાં ?’ એવું પૂછે તેવો નવો રિવાજ આપણે ત્યાં છે. પણ પૌલ થેરોક્સનાં કહેવા મુજબ પ્રવાસની વાતો ભૂતકાળમાં કરવાની જ મઝા આવે છે. કદી હિલસ્ટેશન પર ફરવા ગયાં હોવ તો ઘોડેસવારી કરતાં લોકોને ધ્યાનથી જોજો. અડધાના મોઢા પર કોઈ ભાવ જ ન જોવા મળે. જોને હિલસ્ટેશને આવ્યાં એટલે ઘોડે બેસવું પડે તો બેઠાં. એમાં થોડા દાંત કઢાય છે?’ તો બીજાં અડધાના શ્વાસ ઘોડો ખીણની ધારે ચાલતો હોઈ અધ્ધર થઈ ગયાં હોય. એમાં ઘોડો પથરાળ રસ્તે ચાલતો હોય તો બેસનારના પાછળના ભાગે વાગતું હોય. એટલે એ પાછાં ઘોડાની પીઠથી થોડા અધ્ધર થઈને બેઠાં હોય. આમ, શ્વાસથી અને બેઠકથી બેઉ રીતે અધ્ધર અને હાલકડોલક મનુષ્ય ઘોડો ગંતવ્ય સુધી પહોંચે ત્યાં સુધી આજુબાજુનું સૌંદર્ય અને ઘોડેસવારીની મઝા લગીરેક નથી લઈ શકતો. પણ ઊતરવાનું આવે એટલે ટટ્ટાર થઈ, વાળ સરખાં કરી, કાઉબોય હૅટ ચઢાવી ફોટા પડાવી લે છે. આ ફોટા પછી ફેસબુક પર ચઢાવી વેકેશન ન ભોગવનારને જલાવવા વપરાય છે. વેકેશન અને હોલીડેમાં ખર્ચેલા નાણાનું પૂરું વળતર ત્યારે એને મળે છે.

વેકેશનમાં ફરીને પાછાં આવો ત્યારે જે તે સમયે ખૂબ ગમેલો આર્ટ પીસ આપણા ડ્રોઇંગરૂમમાં શોભતો નથી એવું ભાન થાય છે. જે કાઉબોય હૅટ ફોટામાં બહુ સરસ લાગતી હતી એ હૅટને કઈ ખીંટી પર લટકાવવી એ સમસ્યા બની જાય છે, અને છેવટે એ ઉકેલ માંગતા કોયડાને તિજોરી ઉપર ચઢાવી દેવામાં આવે છે જે અંતે ત્રણ દિવાળી સુધી સાફસૂફીની સાહેબી પામી ચોથી દિવાળીએ વપરાયા વગર કચરામાં નિકાલ પામે છે. પાછું આ વેકેશન પૂરું થવા આવે ત્યારે જ વેકેશનમાં કરવા ધારેલ કાર્યો પણ યાદ આવે છે. જૂની સીડીઓ અને ફ્લોપીઓનો નિકાલ, ચોપડીઓ ગોઠવવાનું કે જુનાં કપડાનો નિકાલ કરવાનું રહી ગયું એ વેકેશનના છેલ્લા દિવસે ખબર પડે છે. હશે, હવે રવિવારે રવિવારે કરીશું એમ એ પણ હંમેશની જેમ મુલતવી રખાય છે. 

વેકેશન પૂરું થતાં દીકરા દીકરીઓનો પરિવાર પાછો ફરે ત્યારે મા-બાપ એકલાં અટુલા પડી જતાં હોય એમની વ્યથા વાર્તાઓ અને કાવ્યોમાં બહુ સરસ રીતે ઝિલાઈ છે. પણ કાવ્યો અને વાર્તાઓમાં એ વાવાઝોડું જાય પછી મમ્મીજીને કેટલાં દહાડાનું કામ આપતું જાય છે એ નથી લખ્યું હોતું. કરિયાણું ખલાસ થઈ જવાથી લઈને રિમોટનાં સેલ સુધી બધું ફરી પૂર્વવત્ કરવામાં અઠવાડિયું નીકળી જાય છે. કેટલીય વસ્તુઓ ખોવાઈ ગઈ હોય, અને ગઈ દિવાળીએ ખોવાયેલી કેટલીય વસ્તુઓ જડી પણ હોય. અરે, દાદા દાદી માટે સોનાની ઈંટો એવી આ પૌત્ર-પૌત્રીઓની વાનરસેના અનઇન્સ્ટોલ થવાથી સોસાયટીની લોકલ વાનરસેના અને પડોશીઓ સુધ્ધાં નિરાંત અનુભવતા હોય છે. આમ, અનેક ખટમીઠાં સંભારણા સાથે વેકેશન પૂરું થાય છે. પણ અમારા જે વાચકો કોઈ કારણસર વેકેશન માણી શક્યા નથી એમનાં માટે એક અંગ્રેજી સુવાક્ય અમારા તરફથી સપ્રેમ. લાફ્ટર ઇઝ એન ઇન્સ્ટન્ટ વેકેશન’. જે તમે ગમે ત્યારે માણી શકો છો.