Sunday, October 25, 2015

નવી એવોર્ડ એક્સચેન્જ-રીટર્ન પોલિસી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૧૦-૨૦૧૫ 

અમેરિકામાં તમે માલ ખરીદો અને તમને સંતોષ ન થાય તો ત્રીસ દિવસમાં પાછો આપી શકો છો. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતાં. આનો લાભ લઈ અમુક એ.બી.સી.ડી. અને આઈ.બી.સી.ડી. દિવાળી પર સપરિવાર કપડાં ખરીદી, દિવાળીમાં ટેગ સંતાડીને પહેરે અને અઠવાડિયા પછી પાછું આપી આવે છે. આપણા ગુજરાતીઓ પ્રેક્ટિકલ છે. મળતો લાભ લેવો એ મંત્ર છે. જોકે ગુજરાતી જ શું કામ? આ બધા ભારતીયોને લાગુ પડે છે. એમાં કવિ-લેખકો પણ બાકાત નથી. 

હમણાં એવોર્ડ રીટર્ન કરવાની સીઝન ચાલુ થઈ છે. સાહિત્ય એકેડમી જાણે પસ્તીની દુકાન હોય એમ એવોર્ડ રીટર્ન થઈ રહ્યાં છે/એવું કરવાની જાહેરાત થઈ રહી છે. એવોર્ડમાં મળેલી જર્જરિત શાલ કોઈએ પાછી આપી હોય એવું પણ ધ્યાનમાં નથી આવતું. જોકે શાલ પાછી આપનાર શાલ ધોઈને પાછી આપે એવી અપેક્ષા રાખવી સાવ યોગ્ય પણ નથી. એવોર્ડ અપાય એની કિંમત હોય છે. એવોર્ડ સાથે મળેલા રૂપિયા વ્યાજ સહિત પાછાં આપ્યા હોય એવું પણ જાણવામાં નથી આવતું.

કેટલાક એવોર્ડથી વ્યક્તિની હસ્તીની ઘણીવાર લોકોને જાણ થતી હોય છે. અમુક મહાનુભાવો તો પોતે જે સમારંભમાં હાજરી આપતા હોય ત્યાં એમની ઓળખ વિધિમાં એમને મળેલા એવોર્ડ, પારિતોષિકકે મળેલા સન્માનનો ઉલ્લેખ થાય એની ચોકસાઈ રાખતા હોય છે. અમુક લેખકો/ કવિઓ એમના પુસ્તકો ઉપર કે પુસ્તકની અંદર એમને મળેલા ઇનામઅકરામ અને એવોર્ડના નામનો ઉલ્લેખ પણ કરતા હોય છે. જે તે એવોર્ડ કે પારિતોષિકઆપનાર સંસ્થાઓએ ‘ગુલઝાર’ ચિંધ્યા રાહે ‘मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है’ કહીને આવી ‘ઇનડાયરેકટ અર્નિંગ’ પરની ‘બ્રાંડ રોયલ્ટી’ની પણ ‘રીકવરી’ કાઢવી જોઈએ. આ ઉપરાંત પોતે સ્વીકારેલા સિદ્ધાંતને અનુસરીને સર્જકોએ પોતે જ આ ઇનામ-અકરામના ઉલ્લેખ સાથેના પુસ્તકો વેચાણમાંથી પરત લઇ અને ઉલ્લેખ વગરના પુસ્તકો મુકીને આ પ્રકારના વિરોધને બળ આપવું જોઈએ. અમને લાગે છે કે આમ કરવાથી આ ઝુંબેશમાં પ્રકાશકોને પણ જોડી શકાશે.

ઓસ્કાર જેવા એવોર્ડ વેચાય નહિ તેના માટે રીટર્ન સુવિધા છે. આપણે ત્યાં એવોર્ડ રીટર્ન પોલિસી બદલવી પડશે તેવું સાહિત્ય અકાદમીને લાગે છે. અમને તો લાગે છે કે રીટર્ન કરવાની કિંમત લેવી જોઈએ. કારણ કે એવોર્ડના નામે પુસ્તક વેચાણ, બોર્ડમાં સ્થાન, અન્ય સન્માન, એ બધું ગણો તો એવોર્ડનું કાગળિયું પાછું આપવું એ કેરી ખાઈ લીધાં પછી ગોટલો પાછો આપવા જેવું છે. નવા એવોર્ડ લેવા હોય એમની ઇનામની રકમ ડિપોઝીટ તરીકે જમા કરાવી લેવી જોઈએ. જેથી એવોર્ડ રીટર્ન કરે તો ડિપોઝીટ જપ્ત થઈ શકે. આ ઉપરાંત એવોર્ડનાં ઉપયોગનું એન્યુઅલ રીટર્ન ભરવાનું ફરજીયાત કરવું જોઈએ જેથી એવોર્ડના ઇનટેન્જીબલ લાભોનું વેલ્યુએશન થઈ શકે, જેથી એવોર્ડ રીટર્ન થાય તો એની રીટર્ન પ્રાઈસ નક્કી કરી શકાય.

આપણે ત્યાં ઈનામમાં શાલ ઓઢાડવાનો રીવાજ છે. આવી શાલો ઠાકુરની શાલની જેમ વરસો વરસ વપરાતી પણ હોય છે. આ સંજોગોમાં શાલ પાછી આપતાં પહેલા ડ્રાયક્લીન કરાવીને પાછી આપવી એવું ફરજીયાત કરવામાં આવે. જોકે આવું ન કરે તો જર્જરિત શાલ અકાદમીના સ્ટોરમાં ઉંદર મારવાની દવાનું કામ કરે તેવી તક પણ રહી છે. અકાદમી ખાતે પણ આવા પરત આવેલા એવોર્ડ, પ્રમાણપત્ર, શાલ, ખેસ, ટોપી, પાઘડી વગેરેનું એક કાયમી પ્રદર્શન પણ ઉભું કરી શકાય જેમાં વસ્તુ નીચે જે તે મહાનુભાવ કયા ક્ષેત્રના કર્મી હતા એનો વિગતવાર પરિચય અને કઈ ઘટના, બાબત કે વિચારના વિરોધમાં અથવા કઈ વ્યક્તિ કે સંસ્થા સામે વાંધો પડવાથી એ વસ્તુ પરત કરેલ છે તેની વિગતો મુકવી જોઈએ. પછીના વર્ષોમાં જે ઉદાત્ત હેતુસર આવી હસ્તીઓએ આ મહાન ત્યાગ કર્યો હતો એનાથી સમાજીક પ્રવાહોમાં કેવા મોટા ફેરફાર આવ્યા એની ઉપર સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ, અને એના માટે રીસર્ચ સ્કોલરશીપો પણ અપાવી જોઈએ.

જેમ વિદેશ જઈ પાછાં આવનાર ફોરેન રીટર્ન કહેવાય છે, એમ જ એવોર્ડ લઈને રીટર્ન કરે તેને એવોર્ડ રીટર્ન કહી શકાય. એક જમાનામાં ફોરેન રીટર્નનું જેવું મહત્વ દેશીઓમાં હતું તેવો દબદબો અત્યારે સ્યુડો-બૌદ્ધિકોમાં એવોર્ડ રીટર્ન કવિ-લેખકોનો છે. ખાસ કરીને જેઓ વિઝાના ધક્કા ખાઈ રિજેક્ટનો સિક્કો મરાવી પાછાં આવ્યા છે, તેવા એવોર્ડ વંચિતો આવા એવોર્ડ રીટર્ન સાહિત્યકારોની ખુમારી પર વારી જાય છે. પહેલાના જમાનામાં લોકો ખર્ચો કરીને વિદેશ જનાર સગાનાં ફોટા ‘વિદેશ ગમન’ એવા શીર્ષક હેઠળ છાપામાં છપાવતા. એમ શરુશરુમાં એવોર્ડ-રીટર્નનાં ફોટા છપાય છે, ટીવી ઇન્ટરવ્યુ પણ થાય છે. પણ એમના આદર્શો સાથે જે કોઈ પાંચ-પચ્ચા જણા સંમત થતા હોય એમણે ભેગા થઈને, ખાલી ફેસબુક-ટ્વીટર પર મંજીરા વગાડીને અભિવાદન કરવાને બદલે, આવા અઠંગ ‘પરતકરું’ કવિ-લેખક-કલાકારશ્રીને નવી, નોન-રીટર્નેબલ, શાલ ઓઢાડીને સન્માન કરવું જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે ‘તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ’ અને અમને ખાતરી છે કે આખા બ્રહ્માંડમાં સંભવી શકે એવા એલિયન સહીતના તમામ પ્રકારનાં લોકો આપણા દેશમાં જ મળી આવશે, એટલે આવું સન્માન કરવાના આ પગલાને વધાવનારા (વાંદરાને દારુ પાનારા કોણ બોલ્યું?) અદકપાંહળા પણ મળી જ આવશે જ.

મસ્કા ફન
 

સેલ્ફી ઈફેક્ટ : આ નવરાત્રીમાં સૌથી વધુ કંઇ જોવા મળ્યુ હોય તો એ છે ... ખેલૈયાઓની બગલ !!!

Sunday, October 18, 2015

નવરાત્રીના બિન-ખેલૈયાઓ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૧૦-૨૦૧૫

‘અમે આખો દિવસ આખા ઘરનું વૈતરું કરીને કૂચે મરી જઈએ છીએ તો પણ કોઈને અમારી પડી નથી.’ લગભગ દરેક ગુજરાતી ગૃહિણી ક્યારેકને ક્યારેક આ ડાયલોગ બોલી હશે. આ વાંચીને તમને રડવું આવતું હોય તો તમારા પિયરીયા તરીકે અમે ખભો આપવા તૈયાર છીએ. પણ તમને અમારી વિનંતી છે મહેરબાની કરીને કે છાના રહો. અમારે એવા પીડિતોની વાત કરવાની છે જેમની હાલત તમારા જેવી જ છે. એ લોકો પણ અથાગ મહેનત કરે છે, પણ એમની ખાસ નોંધ લેવાતી નથી. આવા લોકોને પડદા પાછળના કલાકારો કહેવાય છે. અત્યારે નવરાત્રી ચાલે છે એટલે ખાસ ગરબા મહોત્સવોના પડદા પાછળના કલાકરોની વાત કરવાની.

પહેલાં તો ચોખવટ એ કરવાની કે પડદો નાટક અને સિનેમામાં જ હોય છે જયારે ગરબા ખુલ્લા સ્ટેજ ઉપરથી ગવાતા હોય છે અને ખુલ્લા મેદાનમાં રમાતા હોય છે એટલે એમાં પડદા જેવું કંઈ હોતું નથી. એમાં ગરબા કરનાર ગરબા કરે છે, છોકરાઓ ગર્લ-ફ્રેન્ડ સાથે સેલ્ફીઓ પાડે છે, ગ્રુપવાળા નાસ્તા-પાણીની જાફ્ત ઉડાવે છે, કાકા-કાકીઓ અને ડોહાઓ આ બધાના ચંપલો, પાણીની બોટલો અને છોકરાં સાચવે છે અને કાર્યક્રમ પુરો થાય એટલે આ બધા જ પૃષ્ઠભાગ ખંખેરીને રવાના થઇ જાય છે. પણ એમને ગાનારા, ઢોલ-ટીમ્બાલી-ડ્રમસેટના તાલે નચાવનારાથી માંડીને, સાઉન્ડવાળા, ફરાસખાનાવાળા, જનરેટર/ લાઈટવાળા, આ બધાની સુરક્ષાની જવાબદારી સંભાળતા સિક્યોરીટીવાળા અને છેલ્લે આખું મેદાન વાળીને બીજા દિવસ માટે તૈયાર કરનારા સુધી કોઈનું ખાસ ધ્યાન નથી પડતું. ભલું થજો મુન્નાભાઈનું કે એમણે ઝાડુવાળાને ‘જાદુકી ઝપ્પી’ આપીને એમને અને એમના જેવા અનેકને સન્માન બક્ષ્યું!

આ તહેવારમાં સૌથી મોટો ફાળો મ્યુઝીકલ પાર્ટીઓનો હોય છે. લોકો છ મહિના અગાઉથી છાપામાં ‘રાસ-ગરબાના આયોજન માટે મળો’ના ફ્લેગ સાથે જાહેરાતો આવવાની શરુ થઇ જાય છે. હવે આમાં પણ કોમ્પીટીશન વધી છે. જે ગાયકોના નામ ચાલ્યા છે એમને નવ દિવસમાં આખા વર્ષની કમાણી થઇ જતી હોય છે. બીજો મોટોભાગ આખું વર્ષ ડાયરા અને ફીલ્મી ગીતોની ઇવનિંગ કરનારા લઇ જતા હોય છે કારણ કે એ લોકો પાસે ટીમ હોય છે. બાકી તો ક્વોલીફાઈડ એન્જીનીયર સામે જેમ કડીયાકામ કરી કરીને કોન્ટ્રકટર બનેલા અભણ લોકો પણ હરીફાઈમાં ઉતરી પડતા હોય છે, એમ બીજા સારા કલાકારોને આમાં મંદિર ઓટલે બેસી ‘પેટી લઈને પાલટી ચલાવનારા’ની કોમ્પીટીશનનો પણ સામનો કરવો પડતો હોય છે. પણ પછી હઉ હઉનું રળી લેતા હોય છે.

જોકે ગરબાનું ગ્રુપ ચલાવવું પણ સહેલું નથી. આમાં એક ગ્રુપમાં ઢોલ, ઢોલક, તબલા, ટીંબાલી, ઓક્ટોપેડ, ડ્રમ સેટ, સાઈડ રીધમ વગેરે સહિતના સંખ્યા બંધ પર્કશનીસ્ટ ઉપરાંત ગીટારિસ્ટ, બેન્જો પ્લેયર અને ફાડુ કક્ષાના કી-બોર્ડ પ્લેયરોની જરૂર પડતી હોય છે. કરમની કઠણાઈ એ છે કે નવરાત્રીના ટાઈમે આ બધાની ખેંચાખેંચી ચાલતી હોય છે. આ બધાને સાથે રાખવા એ ઉંદરડાથી ભરેલો કોથળો સાચવવા જેવું કામ છે! બારેમાસ સાથે કામ કરનારા પણ શરમ રાખ્યા વગર ભાવ માગી લેતા હોય છે. આ બધામાં લોડ બધો કી-બોર્ડ પ્લેયર અને ઢોલી ઉપર હોય છે. એક જમાનામાં તો મોંમાં રૂમાલ ભરાવીને નગીન ડાન્સ કરનારા તૈણ જણા માટે ચાર વાગ્યા સુધી પણ વગાડવું પડતું હતું. એ જમાનામાં આંગળીઓ ઉપર પટ્ટીઓ લગાડેલી હોય એવા કોઈને પણ પૂછો તો જવાબ મળતો કે ‘ગરબાની નાઈટ કરી છે’! ભલું થજો જજ સાહેબોનું કે હવે રાત્રે બાર વાગે તબલા ટાઢા કરી નાખવા પડે છે.

ઉંચો ભાવ લેનારે તમામ કક્ષાએ ક્વોલીટી આપવી પડે છે. છતાં એવા ગ્રુપોમાં ગાયકીમાં અમદાવાદના રિક્ષાવાળાની જેમ સુરો ફેરવનારાને સહન કર્યા છે. પારખું લોકો હોય ત્યાં આવા ભોપાળા પછી ઝઘડા પણ થતા જોયા છે. એવરેજ કક્ષાની ઓરકેસ્ટ્રામાં લીડ સિંગર સિવાયના સિંગરોમાં ફિક્સ પગારિયાની જેમ જ ભરતી થતી હોય છે. અમને પણ અનેક ઓફરો મળી છે જે અમે ભારપૂર્વક નકારી છે. એરેન્જરો મોટે ભાગે કુટુંબમાં, સોસાયટીમાં કે કોલેજના ફંકશનોમાંથી જ હન્ટિંગ કરતા હોય છે. એ બધાનું કામ નાટકમાં ‘મહારાજનો જય હો, મહારાણીજી પધાર્યા છે...’ બોલનારા ભાલાવાળા કરતા વિશેષ હોતું નથી. બધા ‘રે લોલ ...’ બોલે એટલે એમણે પણ ‘રે લોલ ...’ કરી નાખવાનું હોય છે.

સાઉન્ડના કોન્સોલવાળાએ તો સિંગરોના ડફણાં જ ખાવાના હોય છે. કોઈ તમને બે ઘોડા ઉપર એક એક પગ રાખીને ઉભા ઉભા ચાની લહેજત લેવાનું કહે તો કેવો હાલ થાય એવો જ હાલ કોન્સોલવાળાનો હોય છે. સ્ટેજવાળા મોનીટરના લેવલની મેથી મારતા હોય છે તો ખેલૈયાઓ ‘કંઈ જામતું નથી. જરા બાસ વધારો તો જરા પગ ઉપડે ...’ની ફરમાયેશ કરી જતા હોય છે. સરવાળે પહેલા જ કલાકમાં બપોરના બે વાગ્યાથી આદુ ખાઈને કરેલા સાઉન્ડ બેલેન્સીંગની માસીના વિવાહ સંસ્કાર કૂતરા સાથે થઇ જતા હોય છે.

હવે તો ગરબા આયોજકોએ સીસીટીવી લગાડવા પડે છે, પણ એથી ગઈકાલ રાત સુધી મજુરીકામ કરતાં અને રાતોરાત સિક્યોરીટીમેન બની ગયેલા પશાભાઈ જેવાઓનું મહત્વ ઓછું નથી થતું. જેમ ભૂત હોતું નથી, કોઈએ જોયું નથી, છતાં બધાં ભૂતમાં માને છે, તેમ હથિયારધારી સિક્યોરીટીની હાજરીમાં જ બેંકો લુંટાતી હોવા છતાં હથિયારનાં નામે ખાલી સિસોટી ધરાવનાર સિક્યોરીટીનું મહત્વ ઘટતું નથી. આવી સિક્યોરીટી અને સિસોટી બંનેમાં એક જ સામ્યતા હોય છે કે એ હવાથી ચાલે છે અને અવાજ કરવાથી વિશેષ કશું કરી શકતાં નથી. એમાંય હજારોની સંખ્યામાં લોકો આવતાં હોય અને એક નવરેશ એની સાથે દલીલમાં ઉતરે એટલામાં બીજાં અનેક વાહન પોતાની ઈચ્છિત રીતે અવ્યવસ્થિત પાર્ક કરીને હાલતા થાય છે.

અમને તો લાગે છે કે પાછાં આવેલા એવોર્ડઝ આ બધાં વંચિતોને આપવા જોઈએ.

મસ્કા ફન






Sunday, October 11, 2015

ક્યા કરું મૌસી મેરા તો દિલ હી કુછ એસા હૈ

કટિંગ વિથ અધીર બધિર અમદાવાદી | ૧૧-૧૦-૨૦૧૫
મહાનાયક, સુપર સ્ટાર, પ્રોફેશનલીઝમની જીવતી મિસાલ, નમ્રતાનાં મહાસાગર હ્રદયસમ્રાટ અમિતાભજીનો આજે જન્મદિવસ છે. બચ્ચન સાહેબના પિકચરો જોઈ જોઇને મોટાં થયા છીએ એટલે અમારી જીંદગીમાં, અમારા કપડામાં, અને ક્યારેક હેરસ્ટાઈલમાં પણ એમનો ભારે પ્રભાવ હતો. હજીય અમે તો વાતચીતમાં એમનાં ડાયલોગનો ઉપયોગ કરીએ છીએ. સારા ડાયલોગ તો લખાતાં રહે છે પણ અમિતજીનાં મોઢે બોલાય ત્યારે એ અમર થઈ જાય છે. હજુય એમની ફિલ્મના ડાયલોગ્સમાંથી સૌને પ્રેરણા મળે છે.

વાદે અક્સર તૂટ જાતે હૈ કોશિશે કામયાબ હો જાતી હૈ: વિકિપીડિયા કરતાં વધુ જ્ઞાન ફિલ્મ શરાબીમાં વિકીબાબુ અને મુનશીજીનાં સંવાદોમાં ભર્યું છે. અહીં મીનાજી જયારે બર્થ ડે પાર્ટીમાં આવવાની કોશિશ કરીશ એવું કહે છે તેનાં જવાબમાં અફલાતુન અદા અને અવાજમાં વિકીબાબુ ઉપરોક્ત ડાયલોગ ‘હમે આપકી ઉસ કોશિશકા ઇન્તેઝાર કરેંગે’ કહે છે. અહીં જે માણસ ૧૧૦% કામ થઈ જશે એવું કહે તેનાંથી સાવચેત રહેવાનો સંદેશ છુપાયેલો છે. એનાં કરતાં, હું કોશિશ કરીશ એવું કહેનારનાં સફળ થવાના ચાન્સ વધારે હોય છે. એમાંય કારીગર વર્ગ અને ગર્લફ્રેન્ડનાં વાયદા કદી મનાય જ નહિ.

ક્યા કરું મૌસી મેરા તો દિલ હી કુછ એસા હૈ: શોલેમાં બસંતીની માસી આગળ મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટવાળી પ્રોડક્ટ એટલે કે વિરુનું માંગુ નાખવા જનાર જય માર્કેટિંગની બેમિસાલ મિસાલ છે. આમાં માંગુ બકબક કરીને કાન પકવી નાખતી બસંતી માટે નાખ્યું છે એ જાણવા છતાં એ જે ઈમાનદારીથી રજૂઆત કરે છે તે જોતાં એ આજના ટેલી શોપિંગ શોના એન્કરો કરતા આગળ હતો એ બતાવે છે. માસી આગળ વીરૂનાં એક એક અવગુણને એ ગુણ તરીકે એવી રીતે રજૂ કરે છે કે માસીને પણ એની સેલ્સમેનશીપ પર માન થઈ આવે છે, જેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરતાં જય ઉપરોક્ત ડાયલોગ કહે છે. અહીં, મૌસી રૂપી ક્લાયન્ટના નકારાત્મક ફીડબેક વચ્ચે એ વિરુ નામની બેકાર પ્રોડક્ટને પ્રમોટ કરવામાં એ જરાય કચાશ રાખતો નથી.. આજકાલ સેલ્સ અને માર્કેટિંગમાં નબળી પ્રોડક્ટ ચલાવવા માટે આવી સ્કીલની જરૂર છે. સૌથી છેલ્લે કોલ પૂરો થાય ત્યારે પાર્ટીના રીએક્શન જાણવા છતાં ઓર્ડર ફોર્મ ખોલીને બેસવાની (તો મેં યે રિશ્તા પક્કા પાક્કી સમજુ?) જયની અદા એક અઠંગ સેલ્સમેનનાં ગુણ ઉજાગર કરે છે. 

દારુ પીને સે લીવર ખરાબ હોતા હૈ : સત્તે પે સત્તામાં બચ્ચન સાહેબે અમજદ ખાનને દારુ પીતાં પીતાં આ જ્ઞાન આપ્યું હતું. કોર્પોરેટ વિશ્વમાં પાર્ટી કલ્ચર ઘર કરી ગયું છે તેમના માટે આ ડાયલોગ ચેતવણી સમાન છે. અમિતજી અહીં રવિ નામ ધરાવે છે તે દારુ પીતાં પીતાં વારંવાર લવારો કરે છે કે ‘મુઝે આદત નહિ હૈ’. દરેક દારુડીયો એમ માનતો હોય છે કે એ કન્ટ્રોલમાં જ પીવે છે. પણ એ પીને જે ખેલ કરતો હોય છે એનાં વિડીયો બનાવો તો ચોક્કસ વાઈરલ થાય.

ડોન પાન નહીં ખાતા થા : ડોનમાં અમિતાભે એક ખૂંખાર સ્મગલરનો યાદગાર રોલ કર્યો હતો. એ પછી બીજા ઘણાં સેલ્ફ પ્રોકલેઈમ્ડ ડોન આવી ગયા પણ આજે પણ લોકો અસલ ડોનને જ યાદ કરે છે. આ ફિલ્મમાં ડોનના એક ખૂખાર ગેંગના લીડર તરીકે કેટલાક ગુણો હતા. શોલેનો ગબ્બર દેશી તમાકુ ખાતો હતો જયારે ડોન પાન પણ નહોતો ખાતો. બીજું, એણે પોતાની ગેંગમાં નવી ભરતી કરવા માટે જીપીએસસીની જેમ રીટન ટેસ્ટ રાખી, અને પેપરમાં ખોટા પ્રશ્નો પુછાઈ જાય તો પાછળથી ગ્રેસીંગ આપવાના લફરામાં પડવાને બદલે, સીધો પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં માનતો હતો. ઝીન્નત અમાન જેવી સેક્સ બોમ્બને પણ ભરતી થવા માટે ડોનના પહેલવાનને ધોબીપછાડ આપવી પડી હતી. એ બતાવે છે કે ડોનનાં રીક્રુટમેન્ટ રૂલ્સ મજબૂત હતા. ‘છોકરી જંગલી બિલ્લી જેવી સ્ફૂર્તીલી અને ખતરનાક હોવી જોઈએ’ એવા એક માત્ર ક્રાઇટેરિયાથી ઉમેદવારની પસંદગી કરી હોવા છતાં એની ભરતીને ગેંગમાંથી કોઈએ હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરીને પડકારી નહોતી એ એનો લીડર તરીકેનો હોલ્ડ બતાવે છે.

I can talk English, I can walk English, I can laugh English: નમકહલાલમાં આ ડાયલોગ ગામડિયા એવા અર્જુન સિંગનાં મોંઢે સાંભળવા મળે ત્યારે કોન્ફિડન્સનું મહત્વ સમજાય છે. અર્જુન ગામડેથી શહેરમાં આવ્યો છે અને ઈન્ટરવ્યુમાં જયારે મેનેજર એને પૂછે છે કે અંગ્રેજી આવડે છે? ત્યારે એનો ફુલ્લ કોન્ફિડન્સથી જવાબ આપે છે, એ પણ પૂરી દોઢ મિનીટ સુધી ધાણીફૂટ અંગ્રેજીમાં. એ સમયે પણ મેનેજરો અત્યારની જેમ દોઢડાહ્યા હતાં,પોસ્ટની (બેલબોય) જરૂરિયાત હોય કે નહીં અંગ્રેજી આવડતું હોય એવો આગ્રહ રાખતા હતાં. પણ અર્જુન સિંગ જરાય મોળો પડ્યા વગર ઈન્ટરવ્યુ પાસ કરી નોકરી સિક્યોર કરી લે છે. બેકારીના સમયમાં યુવાનો માટે આએકદમ પ્રેરણાદાયકઉદાહરણ છે.

ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ : આવું એ કહેતો અને માનતો. ધંધો ચલાવવો હોય તો આ ગુણ જરૂરી છે. તમારી બિઝનેસ સ્ટ્રેટેજીમાં તમને કોઈ આંબી જાય કે તમારી મહેનત બધી ટેક્સમાં જતી હોય તો પછી તમારા અને ડુંગરપુરિયામાં કોઈ ફેર નથી. બીજું કે અગિયાર અગિયાર દેશોની પોલીસ ડોનની પાછળ હતી. પોલીસ પાછળ દોડતી હોય એને ક્વોલીફીકેશન ગણવું જરા વધારે પડતું છે. આપણે ત્યાં ત્રણ દરવાજા દબાણ ખસેડવાની ગાડી આવે ત્યારે ગંજી-જાંગીયા અને બંગડી-બુટ્ટીની લારી ચલાવનારાની પાછળ હોમગાર્ડ અને કોન્સ્ટેબલોનું ધાડું દોડતું હોય છે, પણ એમાંથી એકોય ડોન બન્યો હોય એવું અમારી જાણમાં નથી. આ ઉપરાંત છેલ્લા શ્વાસ સુધી લડત ચાલુ રાખવી એ એનો મૂળ મંત્ર હતો અને એટલે જ એ ઝખ્મી હતો પણ એણે એનું ‘ડોનત્વ’ (ગુણુદાદા અને બક્ષીબાબુની જેમ અમને પણ નવા શબ્દો બનાવવાનો હક્ક છે) ટકાવી રાખ્યું હતું અને શ્વાસ હતાં ત્યાં સુધી ડી.એસ.પી.ને શરણે થયો નહોતો.
જન્મદિન પર અમારા સાદર ચરણસ્પર્શ સ્વીકારશો અમિતજી.
મસ્કા ફન
અમાં... ઇતની દેર સે મૈ કાર કી બાતે કરતા હું ઓર તુમ યે બેકાર કી (શાન)

જીવન ચલને કા નામ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૧૦-૨૦૧૫ | અધીર અમદાવાદી |

મારા બેટરહાફને ઘરમાં વસ્તુઓની ગોઠવણીમાં ફેરબદલ કરવાની ટેવ છે. આ ટેવ વસ્તુઓ પૂરતી જ છે એટલું સારું છે. આ ફેરબદલને કારણે કોક સવારે જે ખાનામાં શેવિંગ ક્રીમ મળવી જોઈએ એને બદલે છાપામાંથી કાપેલી રેસિપીનાં કટિંગ મળે છે. જોકે આવું થાય એટલે અમે શેવિંગ ભૂલી જઈ એ કટિંગમાં ખોવાઈ જઈએ છીએ. એ કટિંગમાંની એકપણ આઈટમ ઘરમાં બની નથી એવો વિચાર ઝબકી જાય છે. પછી એમ થાય છે કે જે થાય છે એ સારા માટે. જોકે છોકરી લગ્ન પહેલા છોકરાને પસંદ કરે ત્યારે એ ઘર સિલેક્ટ કરતી વખતે જેમ ‘આમાં આટલા ફેરફાર કરીશું, ડ્રોઈંગ રૂમમાંથી કિચનનો દરવાજો થોડો મોટો કરાવીશું, પ્લેટફોર્મ અને બાથરૂમ નવા બનાવીશું, અને બાલ્કનીમાં હીંચકો મુકાવીશું એટલે મારી ચોઈસનું થઈ જશે’ એવું વિચારે છે તેમ છોકરા બાબતે પણ એવું જ વિચારતી હોય છે. ‘થોડો માવડિયો છે’, ‘માવો ખાવાની ટેવ છે’, ‘વાળ ઓળતા આવડતું નથી’, ‘મૂછો સારી લાગતી નથી’, આ બધું બદલવાના એ ખ્વાબ જોતી હોય છે. પણ એ બદલતાં બદલતાં જિંદગી વીતી જાય છે. પેલો વાળ ઓળતાં શીખે ત્યાં સુધીમાં એને ટાલ પડી ગઈ હોય છે.

સરકારો બદલાય છે. જૂની પેનલ જાય છે અને નવી પેનલ આવે છે. નવું મેનેજમેન્ટ આવે એટલે જૂનાં મેનેજમેન્ટમાં કેટલાં ગુણ હતાં એ ખબર પડે છે. જુના કચકચિયા બોસ જાય અને નવા કડક બોસ આવે એટલે જુનો કચકચિયો બોસ સારો લાગે. ઉત્સાહથી ચૂંટેલી નવી સરકાર ઇન્કમટેક્સમાં રાહત ન આપે એટલે નોકરિયાતોને લાગી આવે. એટલે કદાચ સારું અને ખરાબ બધું સાપેક્ષ છે. 
એક જૂની ચ્યવનપ્રાશની એડવર્ટાઈઝમાં ડૉ. શ્રીરામ લાગૂ કહેતા કે ‘જો ખરા હૈ વો કભી નહિ બદલતા’. આ વિધાન સારી ક્વોલીટીનું સૂચક હતું. પણ અમુક લોકો ‘હમ નહિ સુધરેંગે’ની કેટેગરીમાં આવે છે. આવા માણસોને કાળા વાળને બદલે ધોળા આવે કે ટુ-વ્હીલરને બદલે ફોર વ્હીલર આવે ત્યારે પણ એના એ જ રહે છે. સ્કુટર ચલાવનાર પાસે કાર આવે ત્યારે એ કાર પણ સ્કુટરની જેમ ચલાવે છે. આંખે બેતાલાનાં ચશ્માં આવે તો પણ યુવતીઓને ત્રાંસી આંખે જોવામાં કોઈ ફેરફાર નથી થતો. માણસને ધોળા આવે તો એ હજુ કાળા છે એમ માનીને ગુલાંટો મારવાનું ભૂલતો નથી. શિક્ષક ઉદ્યોગપતિ બને પણ એ ટ્યુશન કરવાનું નથી છોડી શકતો. કેશિયરને પત્તા ચીપવા બેસાડો તો દરેકને બેવાર ગણીને પત્તા આપે એમાં એ વહેંચે ત્યાં સુધી અડધાં તો ઊંઘી જાય એવું બને. સિવિલ એન્જીનીયર લગ્નમાં જાય તો માથે ટોપી પહેરી અને કમરમાં મેઝરટેપ ભરાવીને જ જાય છે, પછી ભલે શેરવાની પહેરી હોય. અને પચાસ મિનીટથી ઓછો સમય હોય તો પ્રોફેસરને બોલવા ઉભો જ ન કરાય!

એ તો સૌને ખબર હશે કે બોસ અને પત્નીને સુધારવા અશક્ય હોય છે. બલ્કે આમ તો કોઈને જ સુધારી નથી શકાતાં. જેલમાં કેદીઓ સુધરવાને બદલે નવી ગેંગ બનાવવામાં અને જેલવાસના સમયનો ઉપયોગ કરી, અગાઉ કરેલી ભૂલો ન થાય એવું જડબેસલાક પ્લાનિંગ કરવામાં વાપરે છે. જે સુધરે છે એ જાતે જ પોતનામાં ફેરફાર લાવે છે. ગાંધીજીના અક્ષર હોય કે શક્તિ કપૂરના લક્ષણ, એ પ્રાણની સાથે જ જાય છે. કોઈને સુધારવા કરતાં જાતે સુધરવું સહેલું છે. પણ જે મનુષ્યો પોતાની જાતનું કહ્યું નથી માનતાં એ બીજાના ઉપદેશથી સુધરે એવી આશા રાખવી વધારે પડતી છે. અમારી પોતાની વાત કરીએ તો અમે રિસેપ્શનમાં બુફે કાઉન્ટર પર ઉભા હોઈએ ત્યારે અમારો ઓલ્ટર ઈગો અમને સામે ઉભો ઉભો મીઠાઈનાં પાત્રથી દૂર જવા સૂચના આપે છે, પણ એની દરકાર કર્યા વગર અમે રસમલાઇ કે રબડી પ્રેમથી વાડકીમાં ભરી લઈએ છીએ.

‘હુ મુવ્ડ માય ચીઝ’ બેસ્ટ સેલરમાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી ફેરફારને અપનાવવાની વાત કરી છે. મોટાભાગના લોકો પોતાની નોકરી, ઘર, રેસ્ટોરાં, મોબાઈલ, કાર, દોસ્તોનાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી શકતાં નથી. જો બોસ કે મેનેજમેન્ટને સુધારી ન શકાતું હોય તો નોકરી બદલી લેવી જોઈએ. સગવડ, સુખ અને શાંતિ માટે ઘરનાં પડદા, ટીવી, સોફા, મોબાઈલ, કોમ્પ્યુટર, કામવાળા જે બદલી શકાતું હોય એ બદલી નાખવું. ભૂતકાળ બદલી શકાતો નથી, પણ ભવિષ્ય તો ચોક્કસ બદલી શકાય છે. જે બદલી શકાય એવું નથી એને સ્વીકારી લેવું. જોકે આવું કહેવું સહેલું છે, બાકી આજકાલ નવું લાવવું સહેલું છે, પણ જુનું કાઢવું ઘણું અઘરું છે !!!

ગાંધીજીએ કહ્યું છે કે તેમ જે ફેરફાર દુનિયામાં જોવા ઈચ્છો છો એ ફેરફાર તમે બનો. કલાપી કહે છે કે સુંદરતા પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે. કશુંક મેળવવા માટે કશુંક બનવું પડે છે. વિદ્યા બાલન જેવી પત્ની જોઈતી હોય તો ઘરમાં પહેલા ટોઇલેટ બંધાવવા પડે. ઐશ્વર્યા જેવી પત્ની જોઈતી હોય તો પપ્પા અમિતાભ જેવા વજનદાર જોઈએ. અને મનમોહન જેવા પતિ જોઈતાં હોય તો પૂર્વજન્મમાં ખુબ સત્કર્મો કરેલાં હોવા જોઈએ. જોકે રાહુલ અને તુસ્સાર જેવા સંતાનો સત્કર્મોની જીવનમાં કેટલી જરૂર છે તે દર્શાવે છે.

એવું કહ્યું છે ને કે વા ફરે વાદળ ફરે, પણ શૂરા બોલ્યા નવ ફરે. હરિશ્ચન્દ્ર અને રઘુકુળમાં સત્ય અને વચનબધ્ધતા હતી. હવે તો માણસ જુઠ્ઠું બોલે એટલી વખત કાગડો કરડે તો જગતના બધાં કાગડાં અપચાથી મરી જાય. કોર્ટકેસમાં ફસાયેલા ફિલ્મસ્ટાર્સને ન્યાયતંત્ર કરતાં વકીલમાં વધુ વિશ્વાસ હોય છે, કે પુરાવા ગમે તેટલા સજ્જડ હોય વકીલ મેનેજ કરી લેશે.

કેટલીક વાતોમાં ફેરફારને અવકાશ નથી. જે બની ચુક્યું છે એમાં ફેરફારને અવકાશ નથી. કુતરું કરડે પછી ઇન્જેક્શન જ લેવા પડે, જે કરવાનું હોય તે કુતરું ન કરડે એ માટે કરવાનું હોય. મચ્છર કરડી જાય એટલે મેલેરિયા થાય, એને ઘરમાં ઘૂસતાં અટકાવવા પ્રયત્નો કરવા પડે. દૂધ ફાટી જાય તે સંધાવાનું નથી, એમાંથી પનીર બની શકે. સેન્ડ થયેલી મેઈલ કે મેસેજ પાછો નથી આવતો. ચોરાયેલી ઘડિયાળ પાછી મળી શકે છે, પણ જે સમય જતો રહે છે તે પાછો આવતો નથી. ● 
 
----------------
 ઋણસ્વીકાર
------------------
સપ્ટેમ્બર ૨૦૧૦થી શરુ થયેલ મુંબઈ સમાચાર સાથેની લેખન યાત્રા આ લેખ સાથે પાંચ વર્ષ પુરા કરી વિરામ લે છે. આ અરસામાં લગભગ ૨૫૦ ઉપર લેખ મુંબઈ સમાચારમાં પ્રગટ થયા. મુંબઈ સમાચારમાં સૌ પ્રથમ લખવા માટે આમન્ત્રણ આપનાર તે વખતના તંત્રી પિંકીબેન દલાલ અને અત્યારના તંત્રી નિલેષભાઈ, પૂર્તિ કોર્ડીનેટ કરતાં કમલભાઈ જોષી સૌનો દિલથી આભાર. આ યાત્રા દરમિયાન બધી રીતે પ્રોત્સાહન આપનાર મિત્રો અને વાંચકોનો ઋણસ્વીકાર.
 
પર્સનલ પ્રાયોરીટી અને અન્ય લેખન પ્રકાર પર કામ કરવાનો આશય આ નિર્ણય માટે જવાબદાર છે. નવગુજરાત સમયમાં બધિર અમદાવાદી સાથેની કોલમ યથાવત છે. 
 
થેંક યુ મુંબઈ સમાચાર .....

Sunday, October 04, 2015

મચ્છર એક, ગુણ અનેક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૪-૧૦-૨૦૧૫
 
વિશ્વમાં દર વર્ષે ૭૦ કરોડ લોકોને મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. મચ્છરમાં પણ એનાફિલીસ મચ્છરની માદા ખતરનાક છે, જેના કરડવાથી મેલેરિયા થાય છે. મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યું, ચીકન ગુનિયા, એન્સીફ્લાઈટીસ વગેરે જેવા સાંભળવાથી ડરી જવાય તેવા રોગ અઢી મીલીગ્રામ વજનનું મચ્છર કરડવાને લીધે થાય છે. નાના પાટેકરે તો એક ફિલ્મમાં મચ્છરને કારણે માણસ હિજડો બની જાય છે એવી પણ થિયરી રજૂ કરી હતી, જેને વૈજ્ઞાનિક માન્યતા તો નહોતી મળી પણ લોકપ્રિયતા જરૂર મળી હતી. હિન્દી ફિલ્મોમાં વેક્યુમ ક્લીનરથી ડિલીવરી, ત્રણ ભાઈઓનું લોહી હાથમાંથી નીકળી ઉપર લટકતી બોટલમાં ગુરુત્વાકર્ષણનાં નિયમોની ઐસીકીતૈસી કરીને પહોંચી જાય અને ત્યાંથી, લેબમાં ક્રોસ-મેચ કર્યા વગર, ડાયરેક્ટ બુઢીયાને ચડાવવામાં આવે તેવી ઘટનાઓ બની છે, જેને પ્રેક્ષકોએ હરખભેર, સપરિવાર ફિલ્મ જોવા જઈ સમર્થન આપેલું છે.
 
મચ્છરની ઉત્પત્તિ પાણીમાં થાય છે. છતાં એ જળચર નથી. એમ તો મચ્છર હવામાં ઉડે છે અને ઈંડા મુકે છે પણ એ પક્ષી નથી. મચ્છર ગણગણે છે પણ એ ગાયક કે ગાયિકા નથી. એ કરડે છે પણ કુતરું નથી. મચ્છરના કરડવાથી હડકવા નહિ, પણ હડકવાનો પ્રાસ જેની સાથે બેસે છે તેવો મેલેરિયા થાય છે. મચ્છર ભેજવાળી, કાળી અને અંધારી જગ્યામાં વધુ જોવા મળે છે, અને મચ્છરનો ત્રાસ અંધારી આલમનાં ત્રાસ કરતાં જરા પણ ઓછો નથી. અંધારી આલમની હડફેટે ચઢો તો તમારી નેટવર્થનું ધોવાણ થાય છે, મચ્છરની અડફેટે ચઢો તો લોહીમાં પ્લેટલેટસ અને તમારી સંપત્તિનું ધોવાણ થાય છે, અને આ કાર્યમાં સફેદ ડગલા પહેરેલા ડોકટરો દૂતનું કામ કરે છે.

મચ્છર જન્મી, મોટા થઈને બે મુખ્ય કામ કરે છે. ગણગણવાનું અને કરડવાનું. ગણગણવા માટે મચ્છર કાનની આસપાસ આવે છે. એ એકલાં એકલાં કે ખૂણામાં ભરાઈને ગીત ગાતાં હોય તો પણ અમે જોવા કે સાંભળવા ગયા નથી, અથવા બીજાં કોઈએ આવો અભ્યાસ કર્યો હોય તો અમે એ અભ્યાસનો અભ્યાસ નથી કર્યો. એક મચ્છર ગણગણતો હોય ત્યારે બીજા મચ્છર સંગતમાં તબલા કે મંજીરા વગાડતા હોય છે એવું યુરોપની કોઈ યુનીવર્સીટીનો સંશોધક જાહેર કરશે તો અમે માનવા તૈયાર છીએ કારણ કે ‘યુરોપીયનો એટલે યુરોપીયનો’ (લાભુ મેરાઈ, મુ. શાહબુદ્દીનભાઈ ફેઈમ). મચ્છર ગુજરાતી ગરબા કે હિન્દી ફિલ્મી ગીતો કરતાં વેસ્ટર્ન મ્યુઝિકમાં મહારત ધરાવે છે તેવું મચ્છરનાં ગણગણવા અને ઇલેક્ટ્રિક ગીટારનાં અવાજની સામ્યતાને લીધે લાગે છે. ટૂંકમાં અમારા સંશોધન પરથી અમે ચોકસાઈપૂર્વક માત્ર એટલું જ કહી શકીએ છીએ કે મચ્છરને કાનમાં વાત કરવાની ટેવ છે. કાનમાં ખાનગી વાત થતી હોય છે, જેને અંગ્રેજીમાં ગોસિપ કહે છે, જે માટે મહિલાઓ કુખ્યાત છે. આમ મહિલા મચ્છરો કરડે છે, અને મચ્છર ગોસિપ કરે છે એ બેઉ મચ્છરોમાં પણ મહિલાઓનાં વર્ચસ્વ તરફ ઈશારો કરે છે. રૂડયાર્ડ કિપલિંગે પણ એક કવિતામાં કહ્યું છે કે ‘The Female of the Species is More Deadly than the Male.’ અમને પણ આ વાતમાં અસ્થમા એટલે કે દમ લાગે છે.

મચ્છર કરડવાથી તાવ આવે છે. તાવ ટાઢ વાઈને આવે છે. ટાઢ ચઢવાથી દાઢી કકડે છે. જાણે મચ્છરને દાંતથી ભચડી ન નાખવાનો હોય! મેલેરિયાની દેશી અને વિદેશી બધી દવાઓ કડવી હોય છે, અને એ ખાનારની જીભ સહિત જીવન કડવું થઈ જાય છે. જોકે જેની જીભ પહેલેથી કડવી હોય તેવા આખાબોલા લોકોને મેલેરિયા થાય ત્યારે જ તેમની જીભ કડવી છે એ ખબર પડે છે. ચીકન ગુનિયા થવાથી સાંધાનાં દુખાવા થાય છે અને સામાન્ય રીતે પચાસની ઉંમરે જે રીતે ચાલતા હોય છે તેમ છમાં પાંચ, છને પાંચ સ્ટાઈલમાં કોઈપણ ઉંમરે ચાલતાં જોવા મળે છે.

ઘરમાં એક જણને તાવ આવે એટલે ઘરમાં બ્યુગલો, રણભેરી, પીપૂડા આવું કશું વગાડ્યા વગર સંગ્રામના મંડાણ થઈ જાય છે. એ પછી જે કરડતાં નથી કે મેલેરિયા માટે જવાબદાર નથી તેવા નર મચ્છર પણ સૂકાં ભેગું લીલુંનાં ધોરણે હડફેટે ચઢે છે. ગુજ્જેશો સ્પોર્ટ્સમાં જરાય આગળ પડતા નથી, છતાય મચ્છરના પ્રતાપે દરેક ઘરમાં રેકેટ, અને તે પણ પાછાં ચાઇનીઝ, વસાવેલાં જોવા મળે છે. નવરાત્રી વગર ઘરમાં પછી તાળીઓ પડે છે, અને જો ઘરનો પુરુષ ઉત્સાહી જીવ હોય તો આજુબાજુમાંથી લીમડાની ડાળી તોડી લાવી ઘરમાં ધુમાડો કરી મચ્છર સહિત ગરોળી, વંદા, અને અન્ય મનુષ્યોનું જીવન દુષ્કર કરી મુકે છે.

પશુ-પક્ષીઓને ભગાડવા માટે આમ તો જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. એમાં પ્રાદેશિક ફેરફાર પણ હોઈ શકે. તમે તમિલનાડુમાં જઈને ગાયને હિયો હિયો ... કહીને હાંકવા જાવ તો ગાય તમારી સામે તાકી રહે એવું બને. આપણે ત્યાં પ્રાણીઓની પ્રકૃતિ પ્રમાણે, મોટે ભાગે દૂરથી જ; હોડ, હઇડ, હટ્ટ, ત્રો ત્રો, બપ્પો બપ્પો, છૂ...છૂ..., ડચડચ... એવા વિધવિધ અવાજો કરી ભગાડવાનો રીવાજ છે. કમનસીબી એ છે કે હટ્ટ... કહેવાથી પાંચસો કિલોની ભેંશ હટી જાય છે પણ માખી કે મચ્છરને હટ્ટ... કહીને કે ડચકારા બોલાવીને ઉડાડી શકતા નથી. એમ થતું હોત તો આપણે ત્યાં મચ્છર અગરબત્તીના બદલે ડચકારા બોલાવવાના મશીનો પોપ્યુલર હોત. તો કરવું શું? સામાન્ય રીતે આવા જટિલ પ્રશ્નોનાં જવાબ શાસ્ત્રોમાં મળે છે, પણ મચ્છર ભગાડવા માટે શાસ્ત્રો ફેંદવાની વિદ્વાનોએ મનાઈ કરી છે. એમની વાત પણ સાચી છે. તમને મચ્છર કરડવા માટે ટાંપીને બેઠું હોય ત્યારે પોથી ફેંદવાને બદલે એ જ પોથી મચ્છર ઉપર ઝીંકવાથી વધુ સારા પરિણામો મળે છે, એવું ગમે તે બાબ્ભઈ કે બચુભ’ઈ તમને કહી શકશે. ●

મસ્કા ફન

દિલકો દેખો ચેહેરા ના દેખો (રૂપાળી છોકરી કાર્ડિયોગ્રામ લેતા ડોક્ટરને)