Wednesday, December 27, 2017

શું બદલાયું નથી ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૭-૧૨-૨૦૧૭

સ્ટીમ એન્જીનથી ચાલતી ટ્રેનમાં અમે મુસાફરી કરેલી છે, અને બુલેટ ટ્રેનમાં પણ કરીશું એવી આશા છે. એક સમયે ટ્રેન કે એસટીમાં મુસાફરી કરતા ત્યારે મમ્મી એલ્યુમિનિયમની બરણીમાં પાણી ભરતી, હવે શતાબ્દીમાં સુરત જઈએ મિનરલ વોટર રેલ્વે તરફથી આપવામાં આવે છે. છેક દસમાં ધોરણમાં અમને સાયકલ મળી હતી, અને અત્યારે કાર ચલાવીએ છીએ અને ભવિષ્યમાં ડ્રાઈવરલેસ કાર પણ આવશે તો એમાં પણ બેસીશું. જિંદગીમાં બદલાવ અનિવાર્ય છે, પરંતુ આપણી જિંદગીમાં ઘણું એવું છે જે બદલાયું નથી, અને ૨૦૧૮માં બદલાશે પણ નહીં.

દાખલા તરીકે છાશ. શીત પ્રદેશોમાં ઠંડા પીણાં વેચતી કંપનીઓ ભારતમાં આવી, પરંતુ ગુજરાતમાં છાશને ટક્કર આપી શકી નથી. આટલા વર્ષોથી છાશ બને છે પરંતુ હજુ પણ દહીંમાં પાણી અથવા તો વધુમાં વધુ પાણીમાં દહીં નાખીને છાશ બને છે. હા, ભેળસેળ થાય એ વાત જુદી. કોક લીંબુના ફૂલના પાણીમાં મમરા નાખીને ડુપ્લીકેટ છાશ બનાવે કે પછી દૂધ અને કાગળનો પલ્પ નાખી જાડી કરે પરંતુ હજુ કોઈએ વેચાણ વધારવા માટે ચીઝ છાશ કે ચોકલેટ છાશ બનાવવી નથી પડી. દેવો માટે અમૃતનું જે સ્થાન છે એવું જ મનુષ્યો ના જીવનમાં છાશનું સ્થાન છે એવું આપણા વડવાઓ કહેતા. સંસ્કૃતના એક સૂત્રમાં છાશ એટલે કે તક્ર માટે ‘भोजनान्ते च तक्रं पथ्यम्’ જેવું લખી કોલા અને મિનરલ વોટરના ધંધાના પેટ પર લાત મારી છે. એટલે જ આજકાલ અમુક લોકો સંસ્કૃતનો વિરોધ કરતા હશે એવું સહેજેય કોઈને લાગે.

શિયાળો આવ્યો, એમાં જાતજાતના વસાણા મળે છે જેવા કે અડદિયા, સાલમ પાક, કચરિયું. એમાંનો મેથીપાક તો એક જમાનામાં શિક્ષકોનો પણ ખાસ્સો પ્રિય હતો. તમે જુઓ હજુ આમાં પણ કોઈ પંજાબી કે ઇટાલિયન આઈટમે ઘૂસ નથી મારી. શિયાળામાં કોઈના ઘેર જશો તો તમને કોઈ કાચની ડીશમાં ચકતા આપીને એમ નહીં કહે કે ‘આ ઇટાલિયન વસાણું છે. યાં એને ફીયાનો ગ્રીકો સાગુ કે, અમારા રાહુલકુમાર લાવ્યા છે ખાસ ઇટાલીથી’. એટલું જ નહીં વસાણા ખાવાની પદ્ધતિ પણ હજુ બદલાઈ નથી. ઘરના છોકરા હજુ એનાથી દુર ભાગે છે અને ઘરના ચાલીસી વટાવી ચુકેલા પુરુષો હજુય વસાણા ઘરમાં જ બને એવી અપેક્ષા રાખે છે, અને એકવાર બને એટલે એને નાસ્તાની જેમ જ ખાય છે!

આજનું ગંજીફરાક એ કાલનું પોતું છે. આ આપણા સમાજનું સત્ય છે. ગંજીફરાકની સંગતમાં આજકાલ ઉતરેલા ટી-શર્ટ અને બર્મુડા આવી ગયા છે, પણ પોતું મારવા માટે ગંજીફરાક આજે પણ હીટ છે. અમને તો ખાતરી છે કે હડપ્પા અને મોહેન જો દડોના સમયમાં પણ ગંજી આ કામ માટે વપરાતા હશે. ગંજીના કેટલાક ગુણ એવા છે જે દર્શાવે છે કે આ કાર્ય માટે એનાથી વધુ યોગ્ય બીજું કશું જ નથી. લુંગી કે ધોતિયું પણ નહિ. રાજકારણમાં ધોતિયાકાંડ પછી ધોતિયા આમેય આઉટડેટેડ છે. હની સિંઘના લુંગી ડાન્સ ગીતની મદદથી લુંગીને ઉઠાવવાના પ્રયત્નો થયા હતા પણ બર્મુડા અને બોક્સર ચડ્ડીઓએ એમની મનશા બર આવવા ન દીધી. આ માટે એની લવચીકતા એટલે કે ફલેકસીબિલિટી જવાબદાર છે. નવું ગંજી આ પૃથ્વીનો જેટલો વિસ્તાર આવરી નથી શકતું એનાથી વધુ વિસ્તાર વપરાઈને તાર તાર થઇ ચૂકેલું ગંજી આવરી શકે છે. ખેલાડી ધારે તો એક સપાટામાં ખંડનો ચોથા ભાગમાં પોતું મારી શકે. અહી લવચીકતા પોતાનો ભોગ આપીને ગંજીની પાછલી જિંદગીને પ્રવૃત્તિમય બનાવે છે; એને અર્થપૂર્ણ જીંદગી જીવી જવાનો સંતોષ આપે છે. ગઈ સદી અને ગયા મિલેનિયમમાં ગંજી પોતા માટે વપરાતું હતું અને આ મિલેનિયમમાં પણ વપરાશે.

ઓટોગીયર ધરાવતી કારો માર્કેટમાં આવી પણ એકટીવાવાળી આંટીઓ પગ ઘસડીને જ બ્રેક મારે છે. હવે તો તળિયામાં બ્રેક લાઈનર લગાવેલા ચંપલ-સેન્ડલ બજારમાં મળતા થાય એની જ રાહ જોવાય છે. કાકાઓ હજુય કારના દરવાજા ખોલીને રસ્તા ઉપર પાનની ઉલટી કરે છે. રીવર્સ ગીયર અને સાઈડ સિગ્નલવાળી રીક્ષાઓ આવી ગઈ છતાં આજે પણ રિક્ષાવાળા પગથી જ સાઈડ બતાવે છે. તમે દરવાજાવાળી રીક્ષાઓ બનાવશો તો એ દરવાજામાં ફાકું પાડીને પણ પગથી જ સાઈડ બતાવશે. કી ઇગ્નીશનવાળા ટુ વ્હીલર્સ બે ત્રણ પ્રયત્ને ચાલુ ન થાય તો આજે પણ લોકો એને નમાવીને ચાલુ કરી જોવાનું ચૂકતા નથી. કારમાં રીવર્સ કરતી વખતે જોવા માટે રીઅર વ્યુ કેમેરા લાગ્યા હોય તોયે હજુ ‘આવવા દો આવવા દો ..’ કહેનારાઓ ફાજલ નથી પડ્યા. અને કારના દરવાજામાં આન્ટીનો ભરાયેલો દુપટ્ટો, બાઈકના સાઈડ સ્ટેન્ડ અને હેડલાઈટ ચાલુ હોય તો સો કામ પડતા મૂકી વાહનચાલકનું ધ્યાન દોરવાના પરમાર્થ કરનારા હજુ મરી પરવાર્યા નથી, એ ખરેખર આનંદ પામવા જેવી વાત છે.  
પરંપરાગત રીતે ઉજવાતા તહેવારોમાં ચિત્ર સ્પષ્ટ નથી. દિવાળીમાં ઘરે સેવ-સુંવાળી પરંપરા લુપ્ત થઇ ગઈ છે. દિવાળી કાર્ડનું સ્થાન વોટ્સેપ અને ફેસબુકે લઇ લીધું છે. પણ ગઈ દિવાળી સુધી ફટાકડા હજી અડીખમ છે; ભવિષ્યનું ભગવાન જાણે. ઉત્તરાયણને ઘણા લોકોએ દાઢમાં ઘાલી છે પણ હજી સુધી એ લોકો દોરી-પતંગ વગર ઉત્તરાયણ કરવાનો વિકલ્પ આપી શક્યા નથી. ઉત્તરાયણ પછી પાણી વગર હોળી રમવાનો આગ્રહ કરતા મેસેજીસ ચાલુ થઇ જશે; પણ હોળીના દિવસે કેમિકલ ડાઈ-ઓઈલ પેઈન્ટથી રંગાયેલા અને પાણીથી લથબથ ઘેરૈયાઓ આ વખતે પણ જોવા મળશે. મીલેનીયમ બદલાશે પણ અમદાવાદીઓ દશેરા ઉપર ફાફડા-જલેબી ખાવાનું નહિ છોડે એ નક્કી છે. સો ફિકર કરુ નકો....

મસ્કા ફન

કેપ્રી એ મૉરલી ટૂંકો લેંઘો અને લુંગીએ અલગ ઢબથી પહેરેલું ડિઝાઈનર ધોતિયું છે.

Wednesday, December 20, 2017

ચુંટણી અને પરીક્ષાના પરિણામ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૧૨-૨૦૧૭
 
ચૂંટણી રંગેચંગે પતી ગઈ. રીઝલ્ટ પણ આવી ગયા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. પણ ચુંટણી યોજાય કે પછી પરીક્ષા અપાય તે સમયથી પરિણામ સુધીનો સમય, કે જેમાં ‘ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ’ થઈ ગયું હોય છે એ સમય ઘણો કપરો હોય છે. કારણ કે સીલ ખુલે ત્યારે ઘણાની કારકિર્દીને બુચ વાગી જાય છે. પરીક્ષામાં તો પરિણામ પછી બીજા વિકલ્પો હોય છે, પણ ચુંટણીમાં ભારે ખર્ચ કર્યા પછી કોસ્ટ બેનીફીટ એનાલિસીસમાં બેનિફિટની કોલમમાં આર્યભટ્ટની શોધ દેખાય ત્યારે ભલભલાને લાગી આવે !

ઉમેદવારોનો કોન્ફિડન્સ બંનેમાં લાકડા જેવો હોય છે. આવો આત્મવિશ્વાસ જાળવી રાખવા પ્રથમ લક્ષ્યાંક પાસ થવાનું હોય છે. આ ઇલેકશનમાં ‘પાસ’ ને કારણે થોડાઘણા નાપાસ થયા, પણ ગાજ્યા મેહ વરસ્યા નહીં. સભામાં જેટલા લોકો આવ્યા એટલા વોટ મળ્યા નહીં. પરીક્ષામાં જેટલા પાનાં ભર્યા હોય એટલા માર્ક પણ ન આવે એવું કંઇક! પરીક્ષામાં પાસ થવા ૩૫ માર્ક અને ઇલેકશનમાં જીતવા માટે બહુમતી અગત્યની છે. રાજકારણીઓ પાસે ડીગ્રી હોય તો પણ થર્ડ ક્લાસ ડીગ્રી હોય છે. એટલે જ પાસીંગ માર્ક અગત્યના છે. હારેલા રાજકીય પક્ષો ઈ.વી.એમ.ને દોષ દઈ શકે છે અથવા ‘અમારો વોટ શેર વધ્યો છે’, ‘ગ્રામ્ય વિસ્તારમાં અમે આગળ છીએ’ કે પછી ‘પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી છે’ કહીને તંગડી ઉંચી રાખી શકે છે. જયારે પરીક્ષામાં નાપાસ થયેલો જણ ‘ભલે હું નાપાસ થયો, પણ મારું ગ્રાંડ ટોટલ સત્યાવીસથી વધીને અઠ્યોતેર થયું છે’ કે પછી ‘ઓ.એમ.આર. રીડર હેક થયેલું હતું’ એમ કહીને બાપાના મારમાંથી બચી શકતો નથી. આ કઠોર સત્ય છે.

પરીક્ષા પછી પેપર સોલ્વ કરીને કે પછી વેબસાઈટ ઉપર ‘આન્સર કી’ જોઇને અને ચૂંટણી પછી એક્ઝીટ પોલથી રીઝલ્ટનો અંદાજ લગાવી શકાય છે. એક્ઝીટ પોલમાં મત આપી આવેલા લોકોનો અભ્યાસ અને સર્વે દ્વારા કોણ જીતશે અને કોણ હારશે એનો અંદાજ લગાવવામાં આવે છે. પરીક્ષા પત્યા બાદ મા-બાપને તો ખબર જ હોય છે કે પોતાનો ચિરંજીવી શું ધોળીને આવ્યો હશે! એમાં અમુક ભણેલા ગણેલા માબાપ પેપર લઈને ‘આમાં શું લખ્યું, આનો જવાબ શો આવ્યો?’ એવા પ્રશ્નો પૂછી પોતાનો ડર સાચો છે, એ સાબિત કરતા હોય છે. ચૂંટણીમાં એટલો ફેર છે કે પોતાનો ઉમેદવાર ચામાં ગયેલા ટોસ્ટ જેટલો ઢીલો હોય તો પણ ‘અમારો ઉમેદવાર જીતશે જ’ એવો દાવો થાય છે!

પરિણામ એ જાતકે કરેલા પુરુષાર્થનું ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણે ફળની ચિંતા કર્યા વગર પુરુષાર્થ કરવાની સલાહ આપી છે. આમ છતાં તમારી ફ્રુટની થેલીમાં ગાય મોઢું નાખતી હોય તો એને ‘હૈડ.. હૈડ..’ કહેવાનું કામ તો તમારે પોતે જ કરવું પડે. પરિણામ એક મુકામ છે. પરિણામ પછી કઈ દિશામાં આગળ વધવું એ નક્કી કરવામાં આવતું હોય છે. એ માટે પુરુષાર્થ પણ સાચી દિશામાં કરવો જોઈએ. સાયકલ સ્ટેન્ડ ઉપર હોય અને તમે પેડલ માર્યા કરો તો પ્રગતિ ન થાય. સારા પરિણામ માટે સચોટ આયોજન પણ કરવું પડતું હોય છે. મેથ્સનું પેપર આપવા સાયન્સની કાપલીઓ લઈને પહોંચી જાવ કે ચૂંટણી ટાણે જ જીભ લપસે એ સેલ્ફ ગોલ છે. આવા કિસ્સાઓમાં ભગવાન પણ મદદ ન કરી શકે.

પરિણામ પછી પણ બેનીફીટ ઓફ ડાઉટ ચૂંટણી ઉમેદવારને મળે છે, પરીક્ષા આપનારને નહીં. ચુંટણીમાં કેટલાય કાળાધોળા કરીને ટીકીટ મેળવી હોય, પાર્ટી ફંડમાં કે પક્ષના નેતાઓને કરોડો આપી ટીકીટ મેળવી હોય, જીતવા માટેકેટલાય દાવપેચ કર્યા હોય, ચુંટણીપ્રચારમાં મહાનુભાવોને ઉતારી દીધા હોય, અને એ પછી ચુંટણી હારે તો ‘ઈવીએમ ટેમ્પર થયા’, ‘સામેવાળી પાર્ટી પ્રજાને છેતરી ગઈ’, ‘જાતિવાદ નડ્યો’, ‘એન્ટીઇન્કમબન્સી નડી ગઈ’ જેવા ખુલાસા તૈયાર હોય છે. પરંતુ બોર્ડમાં ફેલ થનારના મા-બાપ તરફથી આવી સહાનુભુતિ નથી મળતી, એણે તો ‘રખડી ખાધું’, આખો દાડો મોબાઈલ હાથમાંથી છૂટે તો ને?’, ‘એને તો સીધું ધીરુભાઈ અંબાણી થવું છે, ભણવું નથી’ એવું બધું સાંભળવું પડે છે. આમ બંનેમાં ખરાબ પરિણામના કારણો પહેલેથી ખબર હોય છે. પરંતુ ચુંટણી હારનાર ફરી પોતાના ધંધે લાગી જાય છે, પણ પરીક્ષામાં ફેલ થનારનું જીવન અઘરું થઈ જાય છે. મા-બાપો આપણી પાર્ટીઓ જેટલા ઉદાર બને તો કેટલાય આપઘાત નિવારી શકાય!

પરીક્ષામાં નાપાસ થાવ તો રી-ટેસ્ટ અથવા રેમેડીયલ એક્ઝામ આપીને પાસ થઇ શકો પણ કમનસીબે ચુંટણીમાં એવું નથી. હવે મધ્યસત્ર ચૂંટણીની પ્રથા લુપ્ત થવા આવી છે એટલે પાંચ વર્ષ રાહ જોવી ફરજીયાત છે. પરિણામ પરીક્ષાનું હોય કે ચૂંટણીનું, જે આવે તે સ્વીકારવું પડે છે. અમિતાભ બચ્ચને એક વાર કે.બી.સી.માં એક સ્પર્ધકને કહ્યું હતું કે ‘મનને ગમતું થાય તો સારું જ છે, પણ ન થાય તો વધુ સારું છે. જે થઇ રહ્યું છે એ ન ગમતું હોય તો પણ એને ઈશ્વરેચ્છા સમજીને સ્વીકારજો; એણે તમારા માટે કૈંક સારું જ વિચાર્યું હશે.’ આ બધી ફિલોસોફી ઝાડવાનું કારણ એટલું જ કે ચૂંટણીનું પરિણામ તમારી ઈચ્છા મુજબ ન આવ્યું હોય તો મોળા પડતા નહિ; કીકો મારતા રહેજો. ફિલ્મો ફ્લોપ ઉપર ફ્લોપ જાય તોયે દેવ આનંદ અને રામ ગોપાલ વર્માએ ફિલ્મો બનાવવાનું છોડ્યું નહોતું.

મસ્કા ફન રાંધનારે શું રાંધ્યું છે એ નક્કી કરવું એ ઘણીવાર બીગબોસ શોનો અમુક પાર્ટીસીપન્ટ ભાઈ છે કે બહેન છે એ નક્કી કરવા જેટલું જ અઘરું હોય છે.

Wednesday, December 13, 2017

અર્જુનને ચૂંટણી જ્ઞાન

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૧૨-૨૦૧૭

ઈલેકશનનું ફોર્મ ભરવા જતાં અર્જુન થોડો ઢીલો જણાતો હતો. આમ તો એ મજબુત હતો, પરંતુ દુર્યોધન જેવા સામે લડવાનું એને બીલો ડીગ્નીટી લાગતું હતું. એણે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પરમ સખા શ્રી કૃષ્ણને સંબોધીને કહ્યું ‘મને તો આ સઘળું નિરર્થક જણાય છે. સો-સો ભ્રાતાઓ મારી વિરુદ્ધમાં છે. મારા મિત્રો, મામાઓ, પુત્રો, પૌત્રો, ભીષ્મ દાદા, ગુરુ દ્રોણ દુર્યોધનના પક્ષે રહીને લડવાના છે. એટલું જ નહિ પણ ભૂતકાળમાં શિક્ષકો અને આચાર્યોને યોદ્ધાઓ યાદીની બનાવવાની કામગીરીમાંથી મુક્ત કરવા માટે આચાર્ય સંઘની આગેવાની લઈને હડતાલની ધમકી આપી ચુક્યા હતા એવા આચાર્ય દ્રોણે કૌરવોના પક્ષે ફોર્મ ભરી દીધું છે. દુર્યોધન મારા કટ્ટર હરીફ કર્ણને એના જ્ઞાતિબંધુઓને સારથીની ભરતીમાં અનામત મળે એ માટે વચન આપી ચુક્યો છે. કૌરવોએ કર્ણના સારથી પિતા અધિરથની માગણી ઉપર ફિક્સ પગારદાર સારથી સહાયકોને નોકરીમાં કાયમી કરવાનું ઢંઢેરામાં સમાવ્યું છે. મારા મામા શલ્ય પોતે કર્ણના પ્રચારની ધુરા સંભાળવાના છે, પરંતુ એ અંદરખાને કર્ણને એની ઓકાત બતાવતા રહેવાના છે. આ પ્રજા, એક પક્ષની સભામાં જાય છે, ભજીયા કોક બીજાના ખાય છે, અને વોટ કોક ત્રીજાને આપી આવે એવી ઉસ્તાદ થઇ ગઈ છે. આવા માહોલમાં ચૂંટણી લડવાનો મને જરાય ઉત્સાહ નથી આવતો. મને તો હવે આ ડીપોઝીટના રૂપિયા પણ ડુલ થતાં જણાય છે. પછી શ્રી કૃષ્ણે, ફોર્મ ભરવાનો સમય વીતી જાય નહીં એનું ધ્યાન રાખીને અર્જુનને ટૂંકમાં ચુંટણી જ્ઞાન આપ્યું. 

‘હે સખા, ભીષ્મ અને દ્રોણની તું ચિંતા ન કર, એમને સલાહકાર મંડળમાં બેસાડવાને બદલે ટીકીટ આપીને દુર્યોધને ભૂલ કરી છે. ભલે તેઓ પોતે ધરખમ ખેલાડી હોય, પણ સામા છેડે સ્ટેન્ડ આપનારા મજબુત ન હોઈ ભલે દ્રોણ-ભીષ્મ ઈત્યાદી એમના વરદાનને કારણે ભલે છેલ્લે સુધી બેટિંગ કરે, પણ આપણે બીજા નબળા ખેલાડીઓની વિકેટ પાડતા રહીશું તો છેલ્લે એમણે દાવ ડીકલેર કર્યા સિવાય કોઈ ઉપાય નહીં રહે. વળી આપણે અશ્વત્થામા નામનો એક ડમી ઉમેદવાર ઉભો રાખવાની સ્ટ્રેટેજી કરી છે, જે હારશે તો દ્રોણ શસ્ત્રો હેઠા મૂકી દેશે એ તો તું જાણે જ છે. વળી ભીષ્મનો ઉપાય શિખંડીના રૂપમાં થઈ ગયો છે. રહ્યા કૌરવો, તો એ ઘેટાઓના ટોળા સામે તમે પાંચ સિંહ પૂરતા છો’.

‘હે વત્સ, જેમ આત્મા એક ખોળિયું મુકીને બીજા ખોળિયામાં પ્રવેશે છે એમ જ નેતાઓ એક પક્ષ છોડીને (ટીકીટ આપે એવા) બીજા પક્ષમાં જોડાય છે. અમુક તો પવનની દિશા જોઇને ફરે છે. આ ચૂંટણી છે. આજે જે પોતાનો ટેકો દુર્યોધનને આપે છે એ કાલે તને આપશે. જે લોકો ગઈકાલે આપણા પક્ષમાં હતા એ આજે સામા પક્ષે ઉભા છે એનો પણ શોક ન કરીશ કારણ કે गतासूनगतासूंश्च नानु शोचन्ति पंडिता: અર્થાત વિદ્વાનો જીવતા-મુએલાઓનો શોક કરતા નથી. સૈનિકો તો બિચારા સેનાપતિ દોરવે એમ દોરવાઈ જાય છે એટલે કાલે કૌરવ તરફથી લડતા સૈનિકોને પુરતું કારણ મળે તો એમને મોં ફેરવી લેતા જરીકે વાર નહીં લાગે. વળી આત્માને અગ્નિ બાળી શકતો નથી કે પવન સુકવી શકતો નથી માટે પોતાના ટેકેદારો સહીત આપણા શરણમાં આવેલા અન્ય પક્ષના અસંતુષ્ઠ નેતાને સીબીઆઈ કે ઇન્કમટેક્સથી અભયદાન આપી પક્ષમાં ભેળવી દેવામાં તું વાર ન કર.
 

‘હે પાર્થ, યુદ્ધ ખાલી સગા-સંબંધીના વોટ-સપોર્ટથી નથી જીતાતું. એના માટે ભજીયા, ગોટા અને ચવાણાના ઇંધણના સહારે મતવિસ્તાર ખૂંદી વળે એવા કાર્યકરોનો સમૂહ અનિવાર્ય છે. આવા કાર્યકરોના ખોટા બીલો પણ પ્રેમથી સહી કરી ચૂકવી દેવામાં સાર છે. ચુંટણી સભામાં જયારે કાગડા ઉડતા હોય, ત્યારે સોશિયલ મીડિયામાં સ્ટેજ પર ભેગા થયેલા સ્થાનિક નેતાઓના ફોટા મુકવા અને જો સભા ભરાયેલી જણાય તો પબ્લિકના ફોટા મુકાય. આમ છતાં સભામાં હાજરી પાંખી જણાય તો ચિક્કાર જનમેદનીના ફોટોશોપ કરેલા ફોટા અને અર્જુન ... અર્જુન ...ના નારા ડબ કરેલા ચૂંટણી સભાના વિડીયો ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરનારા અને એને ટોપ ફાઈવમાં ટ્રેન્ડ કરાવનારા ટ્વિટરાટીઓના ઝુંડની જરૂર પડે છે. અહીં મને ‘ગોવાળિયો’ કહીને ટ્રોલ કરનાર જરાસંધ કે મને ભાંડતી ઉપરાછાપરી સો સો ટ્વિટ કરનાર શિશુપાલ જેવા દુશ્મનોના ઉચ્ચારણોનો યથાયોગ્ય ઉપયોગ કરવો ઘટે છે અથવા એમનો ચતુરાઈથી નિકાલ કરવો પડે છે’.

‘હે કૌન્તેય, ચૂંટણી અને યુદ્ધમાં એક પક્ષની હાર થાય જ છે, પરંતુ હારમાં જે ઉદ્વેગ પામતો નથી કે જીત્યા બાદ જે પ્રધાનપદાની સ્પૃહા રાખતો નથી એ નર આજીવન લોક સેવક બની રહે છે અને અતિ સામાન્ય જીવન જીવતા એના કુટુંબીઓના ફોટા છાપામાં છપાતા રહે છે. હે પાર્થ, રાજકારણમાં પદપ્રાપ્તિ જ મોક્ષ ગણાય છે. કોર્પોરેટર બનનાર ધારાસભ્ય બનવાના અને ધારાસભ્ય બનનાર સંસદસભ્ય બનવાના સપના જુએ છે. પ્રધાનપદ ન મેળવી શકનાર બોર્ડ કોર્પોરેશનમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ રહે છે. જે નર પદલાલસા પર કાબુ મેળવે છે અથવા જાહેરમાં પોતાને પદની લાલસા નથી એમ દર્શાવે છે એ ઝડપથી સલાહકાર મંડળમાં સ્થાન પામે છે. માટે હે કુંતિપુત્ર, રાજકારણમાં રહીને ચુંટણી ન લડવાની બેવકૂફ જેવી વાત પડતી મુક અને વિના સંકોચ ઉમેદવારી પત્ર ભર, બાકીનું હું મેનેજ કરી લઈશ’.

મસ્કા ફન શિયાળામાં
અંધારા રૂમમાં લાઈટ ચાલુ કરવા જતાં,
જયારે પંખાની સ્વીચ ચાલુ થઈ જાય ...
ત્યારે સાલું લાગી આવે !

Wednesday, December 06, 2017

ચૂંટણી મહાભારત- ટીકીટની ફાળવણી



કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૧૨-૨૦૧૭

ચૂંટણી યુદ્ધ અત્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. મહાભારતની જેમ બે પ્રમુખ પક્ષ છે અને એ પક્ષના સમર્થકો આ યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપી રહ્યા છે. મહાભારતના યુદ્ધનું આજકાલની ચૂંટણીની પદ્ધતિમાં વર્ણન કરવું હોય તો કંઇક આમ કરી શકાય.

ઈલેકશન કમિશને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ ખેલાય એ માટે નોટીફીકેશન બહાર પાડ્યું છે. બંને પક્ષ ભારતવર્ષના જીતી શકે તેવા રાજાઓ તથા સગાઓને પોતાના પક્ષમાં લેવા કવાયતો ચાલુ કરી દીધી છે. અમુકે તો વગર માંગ્યે પોતે કૌરવ અથવા પાંડવના પક્ષમાં છે તેવું એફીડેવીટ કરી દીધું છે. જયારે અમુક અડૂકિયા-દડુકિયા યુદ્ધ બાદ જીતનાર પોતાને શું આપશે એ અંગે ટર્મ્સ એન્ડ કન્ડીશન ડ્રાફ્ટ કરવામાં પડ્યા છે.

ભગવાનના જયેષ્ઠ બંધુ બલરામજી તો ઈલેકશન પોલીટીક્સથી એટલા કંટાળેલા હતા કે એમણે તો એ સમય દરમિયાન એલટીસી વપરાય એ રીતે રેવતીજી સાથે દુરના પ્રદેશોમાં યાત્રા કરવા જવાનું જાહેર કરી દીધું હતું. દુર્યોધન એમનો શિષ્ય હોવાથી એ આ સમાચારથી નિરાશ થયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાને સોનાની નગરી બનાવી ચુક્યા હતા એટલે એમણે હવે દ્વારકાના રોડ પર ખાડા છે, સરકારે ગોમતી નદી પર રીવરફ્રન્ટ બનાવવા સિવાય બીજું કોઈ મોટું કામ નથી કર્યું, દ્વારકામાં બાળકો કુપોષિત છે વગેરે જેવા કોઈ પાયા વગરના આક્ષેપોનો સામનો કરવાનો નહોતો. એટલે જ એમણે પોતે ઇલેકશનમાં ઉભા ન રહેવાનું નક્કી કર્યું હતું. એમાં બેય બાજુ સગા હતા એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જતું હતું. વળી, કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું હોય અને પોતે દ્વારકામાં બેઠા બેઠા લાઈવ કવરેજ જુએ એના કરતાં મેદાનમાં રહેવાનો વિકલ્પ એ વિચારી રહ્યા હતા. સારા ક્રિકેટરો રીટાયર થયા બાદ કોમેન્ટ્રી આપે છે એમ.

દુર્યોધન અને અર્જુન બંને એકજ સમયે શ્રી કૃષ્ણનો ટેકો માંગવા પહોંચી ગયા છે. અર્જુન પ્રજાસેવક તરીકે એમના પગ પાસે, અને દુર્યોધન પોતે ઓલરેડી સત્તામાં હોવાથી રોફમાં સોફા પર બેઠો હતો. શ્રી કૃષ્ણ ઊંઘમાંથી ઉઠી ચા પી અને ફ્રેશ થાય છે ત્યાં એમની નજર ચિંતાતુર અર્જુન પર પડે છે. એ પછી એમની નજર સામે સોફામાં બેસી મોબાઈલમાં ટ્વીટર પર પોતાના દ્વારકા જવાથી થયેલ હંગામા અંગેની પોસ્ટ વાંચી રહેલા દુર્યોધન પર પડે છે.


શ્રી કૃષ્ણ બંનેને તેમના આવવાનું પ્રયોજન પૂછે છે. બંને કુરુક્ષેત્રમાં થનાર મહાભારતના યુદ્ધમાં ભગવાનનો ફોલોઅર્સ સહિતનો સપોર્ટ માંગે છે. જોકે શ્રી કૃષ્ણ પોતે લડવાના નહોતા અને કૌરવ અને પાંડવ બંને સગામાં થતા હોઈ એમણે પોતાના નારાયણીસેના તરીકે ઓળખાતા તમામ ફોલોઅર્સ અથવા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતે એકલા, એમ બેવિકલ્પ આપે છે. અર્જુનને પ્રથમ ચોઈસ કરવાનું કહે છે. શ્રી કૃષ્ણને ટ્વીટર પર ફોલો કરનારા અને ફેસબુક પર એમની બધી પોસ્ટ્સ લાઈક કરનારા દુર્યોધન માટે આ મોટો આંચકો હતો, કારણે કે ભગવાનની કાશી, કૌશલ, મગધ, અંગ, વંગ, કલિંગ, પૌન્ડ્ર વગેરેને પરાજિત કરનારી અજેય નારાયણીસેના જો અર્જુન માંગી લે તો પછી આ સેનાને ટ્રોલ કરવી અઘરી પડી જાય, પરંતુ દુર્યોધનના આશ્ચર્ય વચ્ચે અર્જુને માત્ર શ્રી કૃષ્ણ માંગ્યા હતા, અને એ પણ એમની શરત મુજબ – નિશસ્ત્ર અને એકલા!

દુર્યોધનને તો બગાસું ખાતા મોંમાં પેંડો આવી ગયો! એણે તો દ્વારકાના સેનાપતિ કૃતવર્માને કૌરવ પાર્ટીનો ખેસ પહેરાવતો ફોટો પણ ટ્વીટર પર પોસ્ટ કરી દીધો. કૌરવ પ્રેરિત છાપા હસ્તિનાપુર સમાચારે તો કૌરવો અડધું મહાભારત જીતી ગયા હોય એ રીતે આ સમાચારને રજુ કર્યા. જયારે અમુક તટસ્થ કહેવાતી ચેનલોએ પોતાના મનગમતા પ્ર-વક્તાઓની પેનલ થકી ‘અર્જુને કાચું કાપ્યું’ એવો ચુકાદો તો આપ્યો, પરતું અગાઉ અનેકવાર ખોટા પડયા હોઈ આવું સ્પષ્ટ નહીં, પણ ગોળગોળ કહ્યું; જેથી ભવિષ્યમાં અર્જુન જીતે તો સોશિયલ મીડિયા બૌદ્ધિકોને મોઢું બતાવી શકે. એમના પાળેલા સેફોલોજીસ્ટે પણ આંકડા એવી રીતે મેળવ્યા હતા કે ઓપીનીયન પોલના પરિણામો બંને પક્ષોની જીતના સરખા ચાન્સીસ બતાવતા હતા. મતદાનની સાંજે પણ આ જ આંકડામાં થોડો ફેરફાર કરીને એક્ઝીટ પોલ તરીકે બતાવવાનું નક્કી હતું.

ટિકિટોની વહેંચણી એટલે કે વ્યૂહરચનામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ભીષ્મ પિતામહે પોતે પાંડવોને નહિ હરાવે, મહિલા સામે નહિ લડે, કર્ણને યુદ્ધની ટીકીટ આપવામાં ન આવે અને શ્રી કૃષ્ણ ઉમેદવારી કરશે તો પોતે ફોર્મ પાછું ખેંચશે એવી વિચિત્ર શરતો મૂકી. પાંડવોએ ૭૫ વર્ષનો કાયદો કરીને અપવાદરૂપ કિસ્સામાં જ વૃદ્ધ યોદ્ધાઓ ઉતાર્યા હતા. દુર્યોધન એ પગલાની ઠેકડી પણ ઉડાવી ચુક્યો હતો એટલે વૃદ્ધ હોવા છતાં દુર્યોધને ભીષ્મને સેનાપતિના ચહેરા તરીકે જાહેર કર્યા અને શરત મુજબ પ્રથમ યાદીમાંથી કર્ણનું નામ દૂર કરવામાં આવ્યું.

અતિરથીઓ અને મહારથીઓથી ભરેલી કૌરવસેના સામે પાંડવોની હાર નિશ્ચિત જાણી કેશવે નેપથ્યમાંથી દોરી સંચાર સ્વહસ્તક રાખ્યો હતો. ભીષ્મને હરાવવા માટે એમણે પૂર્વાશ્રમની નારી એવા શિખંડીનું ડમી ફોર્મ ભરીને તૈયાર જ રાખ્યું હતું. ભીષ્મ પછી વન ડાઉનમાં દ્રોણ આવવાના હતા અને એમની વિકેટ પાડવા માટે ધૃષ્ટદ્યુમ્નને તો તૈયાર કર્યો જ કર્યો પણ સાથે યુધીષ્ઠીર અશ્વત્થામાના નામાંકનની એફિડેવિટમાં સંદિગ્ધ માહિતી આપે એવી ગોઠવણ પણ કરી રાખી હતી. ભીમ માટે દુર્યોધન-દુ:શાસન તો સહદેવ માટે શકુનીનું ટાર્ગેટ નિશ્ચિત હતું. આમ એકંદરે બધું ગોઠવાઈ ગયું હતું.

આ દરમ્યાન હસ્તિનાપુરની પ્રજા શું કરતી હતી? હસ્તિનાપુરની પ્રજા તેલ જોતી હતી અને તેલની ધાર જોતી હતી કારણ કે કૌરવો જીતે કે પાંડવો, સિઝનમાં તેલના ભાવનું ભડકે બળવું નક્કી હતું! એટલે એમણે સંજયની ચેનલમાંથી ગેરકાયદે કેબલો ખેંચીને મફતમાં યુદ્ધનું લાઈવ ટેલીકાસ્ટ જોવાનું મુનાસીબ માન્યું હતું,

મસ્કા ફન

બોર્ડની એક્ઝામ વખતે પડાવેલો ફોટો એ મનુષ્યની ઉત્ક્રાંતિનો પુરાવો ન ગણાય.

Wednesday, November 29, 2017

રિસેપ્શનનું સ્ટેજ અને જિંદગીનું રંગમંચ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૯-૧૧-૨૦૧૭


“હમ સબ તો રંગમંચ કી કઠપૂતલીયાં હૈ જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલીઓમેં બંધી હૈ, કૌન કબ કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા હૈ ..” આનંદનો આ ફેમસ ડાયલોગ રિસેપ્શનના સ્ટેજ પર બહુ યાદ આવે છે. તમે નવપરણિતોને શુભેચ્છા આપવા કમ કવર પકડાવવા લાઈનમાં ઉભા રહો એટલે પછી તમારા હાથમાં કશું નથી રહેતું. પછી લાઈનમાં ધરાર ઘુસતી આંટીઓ, અમુક સગાવહાલાને પ્રાયોરીટી ચેક-ઇન કરાવતી વરની માસી, સ્ટેજ પર વરનો હાથ પકડીને ઘેર આવવાનું આમંત્રણ આપતા ભાવવિભોર પપ્પાના ફ્રેન્ડ અને એમાં હા એ હા કરતો વર, અને ટાઈમ મેગેઝિનમાં છપાવવા પાડતો હોય એટલી વાર લગાડતો ફોટોગ્રાફર, આ સૌ ભેગા મળીને તમારી અને સાડી ત્રણસોની ડીશ વચ્ચેના સમયને મેનેજ કરે છે.

રિસેપ્શનના સ્ટેજમાં જમણી બાજુ લાઈન કરવી કે ડાબી બાજુ એના કોઈ ધારાધોરણ નથી. આ વિષય પર શાસ્ત્રોમાં માહિતી શોધવી પણ નિરર્થક છે, કારણ કે રિસેપ્શન એ ભારત માટે પ્રમાણમાં નવો રીવાજ છે. હિંદુ વિધિમાં કલોકવાઈઝનું મહત્વ છે એટલે ડાબી તરફ એન્ટ્રી રખાતી હોય છે. જોકે આમ કરવામાં જો સ્ટેજની જમણી બાજુ એન્ટ્રી તરફ હોય તો વચ્ચેના માનવસમુદાયને ઓળંગીને તમારે સ્ટેજની ડાબી તરફ સુધી જવું પડે છે. આમ કરવામાં રસ્તામાં ભટકાતા પરિચિતોને પરાણે મળવામાં અને બીજાની ઓળખાણ કરવા-કરાવવામાં સ્ટેજ સુધી પહોંચતા અડધો કલાક જેટલો સમય નીકળી જાય છે. રિસેપ્શનમાં પધારતા ‘વા’ના પેશન્ટોના વ્યુ પોઈન્ટથી જોઈએ તો મેઈન એન્ટ્રીથી સ્ટેજના પગથીયા બને તેટલા નજીક હોવા જોઈએ. એક અમદાવાદી તરીકે અમારું સજેશન છે કે મહેમાનને સીધા સ્ટેજ ઉપર થઈને જ એન્ટ્રી મળે એવું ગોઠવવવું જોઈએ; શું છે કે મહેમાનોએ ગિફ્ટના બોક્સ અને ચાંલ્લાના કવર ઉચકી ઉચકીને ફરવું ન પડે અને કોઈની ગિફ્ટ/ કવર આપવાની ઈચ્છા અધુરી ન રહી જાય.

એમાં બ્યુટીપાર્લરમાં જઈ આઇડેન્ટિટી સ્વીચ કરી આવેલી નવવધૂ અને બ્યુટીશીયનને ત્યાં જઈ આવ્યા બાદ માત્ર ચકાચક દાઢી અને હેરસ્ટાઈલ વડે કન્યાને મળતા ભાવને બીટ કરવા માંગતો વર, સ્થળ પર મોડા આવે છે. લાઈન થવાનું આ પહેલું કારણ છે. બીજું કારણ છે ચાલુ દિવસોમાં થતા રીસેપ્શનોમાં ઓફિસેથી ઘેર જઈ કપડા બદલી, ગામના બીજા છેડે પહોંચી, કાર પાર્કિંગની મહામહેનતે મળેલી જગ્યાએથી મેઈન ગેટ સુધી રીક્ષા ન મળતા પદયાત્રા કરી છેક સવા આઠ વાગે એકસાથે તૂટી પડતા મહેમાનો. ત્રીજું કારણ છે સ્ટેજ પર જવા માટે કોરમ થાય એની રાહ જોતા અન્ય પરિવારજનો જે મનમોહન દેસાઈની ફિલ્મની જેમ છેલ્લી ઘડીએ ભેગા થાય છે. યું કી દેખનેવાલી બાત યે હૈ કી એ વખતે લાઈનમાં મોટે ભાગે વર-કન્યાની રાહ જોઈને જમી ચુકેલા લોકો હોય છે; પરિણામે વર-કન્યાના કપડા પરફયુમથી અને હાથ ઊંધિયા તથા પનીરની ‘સબ્જી’ની તેલ મિશ્રિત સોડમથી મઘમઘતા હોય છે અને એજ એમની સજા છે.

ક્યુમાં ઉભા ઉભા શું કરવું? આ પ્રશ્નનો જવાબ અમારા પરમ મિત્ર અને અમારી સોસાયટીના પંદર નંબરના બંગલામાં રહેતા પુષ્કર કે. સળીકર (કે એટલે કેશવરાવ) પાસે છે. આપણે જાણીએ છીએ કે વેલકમ ડ્રીંક તરીકે ઓળખાતા પીણા અને સ્ટાર્ટર તરીકે ઓળખાતી વાનગીઓનું સર્જન ભોજનોત્સુક ભોજનપટુ વ્યક્તિને ધરપત બંધાવવા માટે જ થયું છે. અમારો પુષ્કી મોકા-એ-વારદાત પર પહોંચીને સૌ પહેલું કામ આ બે ચીજો સર્વ કરતા વેઈટરને કયુમાં ઉભેલા લોકો માટે સર્વિસ સતત ચાલુ રાખવાનું કહી આવે છે. લાઈન લાંબી હોય અને સ્ટાર્ટર સારું હોય તો સમય સુખરૂપ પસાર થઇ જાય. આ તો શું કે નંબર આવે ત્યાં સુધી એક કામ પતે. જસ્ટ એક ટીપ. અહીં કેચઅપવાળા હાથ ક્યાં લુછવા એ વિષે કવિ મૌન છે. આ બાબતે સમાજ આપ જેવા ભાવકો પાસે મૌલીક્તાની આશા રાખીને બેઠો છે.

મોટે ભાગે તો લોકો લાઈનમાં કોઈ કુટુંબી કે ઓફિસના કલીગને શોધીને એની સાથે ઘૂસ મારી દેતા હોય છે. અને એવું કરાય કારણ કે આખુ ઝૂંડ એક ફોટામાં પતી જતું હોઈ પાછળવાળા અને સ્ટેજવાળા બંનેને આ ફાવે એવી વ્યવસ્થા છે. જોકે એમાં પાછો આપણો સ્વભાવ નડે. ઘરડા કાકી-કે માસી આપણી આગળ ઘૂસ મારે તો આપણી અંદરનું સ્ત્રી દાક્ષિણ્ય આપણને કફોડી દશામાં મુકે. કાકી ઘૂસે અને કોઈ બોલે નહિ એટલે કાકા પણ આવી જાય. પછી ક્રમશ: એમની વહુ અને દીકરો પણ જોડાઈ જાય. પછી તમારે આ ખેલ જોયા કરવાનો અને પાછળ ઉભેલી પત્નીની કોણીના ગોદા ખાધા કરવાના.

રિસેપ્શનની લાઈનમાં કંઈ લેવાનું હોતું નથી; એટલે સ્ટેજ પર અભિનંદન સહીત કવર આપનારાઓની લાઈન માટે આનંદના જ ડાયલોગને થોડો ફેરફાર કરીએ તો ‘બાબુ મોશાય લાઈન લંબી નહીં બડી હોની ચાહીએ’, એ હિસાબે આપણે ત્યાં લાઈનને બદલે ટોળું જ વધારે હોય છે. સ્થળ-કાળ ભૂલ્યા હોય કે પછી દ્રષ્ટિ વિવાહ માટે પ્રયત્નશીલ હોય; પણ અમુક વિરલાઓ સ્ટેજ પર જવાનું ન હોવા છતાં જ્યાં લાઈન લાગી હોય ત્યાં ટોળે વળી અમસ્તી વાતો કરતા ઉભા હોય છે જેના કારણે આપણને ‘લાઈન બહુ મોટી છે’ એવી છાપ પડે છે. વર્ષો પહેલા એક લગ્નના ગરબામાં આવા જ ટોળા પાસે અમે ઉભા હતા ત્યારની ઘટના છે. યજમાનના એક ઉત્સાહી વડીલ અમારી પાસે આવ્યા અને હાથ પહોળા કરીને ટોળાને ડીનર એરિયા બાજુ દોરતા કહે કહે ‘તમે લોકો પહેલા જમી લો પછી તમારે આખી રાત વગાડવાનું છે.’ માટે પૂછપરછ કરીને ઉભા રહેવું. જય હો ...

મસ્કા ફન

गीता मे परमो गुरु: - ગીતા જ મારા પરમ ગુરુ છે.
ગીતામાં આ વાક્ય ભગવાન શ્રીકૃષ્ણે અને
વ્યવહારમાં ગીતા બેનના હસબંડે કહ્યું છે.

Wednesday, November 22, 2017

કલ્પનાના ગધેડાં દોડાવવા પર કવિઓનો ઈજારો નથી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૨-૧૧-૨૦૧૭

કવિઓ માટે એવું કહેવાય છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’.અહીં કવિ કહેવા એ માંગે છે કે લાખો કિલોમીટર દૂર રહેલો રવિ પોતાના કિરણોથી જ્યાં નથી પહોંચી શકતો ત્યાં કવિ પહોંચી શકે છે. એ ન્યાયે મંગળ ગ્રહની અંધારી બાજુ પરના પૈસાપાત્ર જીવો જો મુશાયરાનું નિમંત્રણ મોકલે તો આપણા કવિઓ સ્પેસ શટલ કે સ્પેસસુટની રાહ જોયા વગર માત્ર લેંઘા-ઝભ્ભા અને બગલથેલાથી સજ્જ થઈને કવિતાની પાંખે મંગળ પર પહોંચી જાય એ વાતમાં મીનમેખ નથી. અહીં પૃથ્વીવાસી ફેસબુકના કવિઓનું કારખાનું શનિ-રવિ, દિવાળી-બેસતું વરસ, હોળી-ધૂળેટી એવા કોઈ પણ વાર તહેવારની રજા વગર ચાલતું રહે છે. કવિ આફ્રિકાનો નકશો જોયા વગર આફ્રિકાના વિષુવવૃત્તિય જંગલોની પરિકલ્પના કરી શકે છે. કવિ ગોળનો ટુકડો ખાઈને રસમલાઈ વિષે લખી શકે છે. એક કવિ જ કહી ગયા છે કે પંખી, નદી, પવનની લહેરકી અને કવિને કોઈ રોકી શકતું નથી. ઔચિત્ય ન ભંગ થાય એટલે આ કલ્પનાના ગધેડાને અમે અહીં જ અટકાવીએ છીએ. પરંતુ કવિનો ઈજારો હવે કલ્પનાશક્તિ પર રહ્યો નથી. હવે ચૂંટણીની હવા ચાલી છે એમાં નેતાઓ કવિઓથી પણ આગળ નીકળી ગયા છે. હવે નેતાઓ એક બાજુથી બટાકા નાખીને બીજી બાજુથી સોનાના સિક્કા નીકળે એવા મશીન બનાવવાની કલ્પના કરવા સુધી પહોંચી ગયા છે!  


આપણે આગળ રોકેલું ગધેડું કવિના બદલે આ મશીન તરફ દોડાવીએ. કલ્પના કરો કે તમે શોપિંગ મોલમાં જાવ છો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદો છો. બીલ થાય છે રૂ. ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા. પેમેન્ટ કરવા માટે તમે બેંક દ્વારા તમને અપાયેલું પર્સનલ પોસ કમ એટીએમ મશીન એટલે કે બટાટાની વેફર પાડવાની છીણી કાઢીને એની ઉપર ડેબીટ કાર્ડ એટલે કે બટાકુ ‘ખચ્ચ’ ‘ખચ્ચ’ એમ બે વાર ઘસીને બબ્બે હજારના બે પતીકા પાડીને પેમેન્ટ કરો છો. તમે તો માલ લઈને ચાલતી પકડો છો, પણ કાઉન્ટર બોય બાકી વધેલી ‘રકમ’ પાછી લઇ જવા બોલાવે છે. તમે દૂરથી જ ‘કીપ ધ ચેન્જ. કાલે પૂનમ છે, ફરાળ બનાવવામાં વાપરજે’ કહીને નીકળી જાવ છો. આ હા હા હા ... આવું બને તો કેશલેસ ઈકોનોમીનું સપનું સાકાર થઇ જાય કે નહિ? જેને જુઓ એ છીણી-બટાકુ લઈને ફરતું હોય!

દીવાસ્વપ્નમાં રાચવું એ કંઈ ખોટું નથી, પણ શેખચલ્લી ના બનાય. માનનીય અબ્દુલ કલામ સાહેબે એમની આત્મકથામાં કહ્યું છે કે સ્વપ્ન એ નથી જે તમે સુતાં સુતાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા ના દે. પણ રાજકારણમાં હાઈવે જેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી. જરાક બેદરકાર રહો તો હરણની સીતા થઈ જાય. હમણાં એક નેતાએ મેડ ઇન પાટણ મોબાઈલથી ચાઈનાના લોકો સેલ્ફી લેતા હોય એવી કલ્પના કરી. કિતને ઉચ્ચ વિચાર! ચાઈનામાં કોઈ સેલ્ફી લે અને પાટણમાં એક જણને મોબાઈલ ફેક્ટરીમાં ફીટરની કે એવી કોઈ નોકરી મળે. પછી તો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાથી પાટણની સ્પેશીયલ ટ્રેનો ચાલુ કરવી પડે. હદ તો ત્યારે થાય જયારે વિદેશ પ્રવાસે નીકળેલા ચાઈનાના કોઈ ચીંગ ચાંગ ચુને એની પરણેતર એમ ગાઈ સંભળાવે કે ‘ચીંગ ચાંગ ચુ જી રે, મારે હાટુ પાટણથી મોબાઈલ મોંઘા લાવજો’. પટોળાની ભાતના મોબાઈલ! વાહ વાહ.... મોબાઈલ નહીં ને મોબાઈલના કવર પટોળાની ભાતના બનાવે તોયે ભલું ! કે પછી કોઈ નારી પેલું ગીત ગાતી હોય કે ‘એક પાટણ શહેરની નાર પદમણી ... ભાતીગળ ચૂંદલડી લહેરાય, મોબાઈલીયું ટુડુક ટુડુકટુડુક ટુડુક ટુડુક ટુડુક થાય ...’

આપણા દેશને જરૂર છે આવા આર્ષદ્રષ્ટા નેતાઓની. એવા નેતાઓની કે જે બટાકામાંથી સોનું બનાવી શકે. કચરામાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની ટેકનોલોજી તો છે, પરંતુ પાનની પિચકારીમાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની હાઈડ્રોપાવર ટેકનોલોજીની તાતી જરૂર છે. સોલર પાવરથી ચાલતી કાર શોધાઈ હશે, પરંતુ સોલર પાવરથી ફાઈલો ચલાવી શકાય એવી શોધ થાય એ જરૂરી છે. આપણે જરૂર છે એવા મશીનની જેમાં આ તરફથી ઘાસ નાખો તો બીજી તરફથી દૂધ નીકળે. આપણે એવા મશીનની પણ જરૂર છે જેમાં આ તરફથી ડફોળને નાખો તો પેલી તરફથી બુદ્ધિજીવી નીકળે. પછી એ બુદ્ધિજીવી પાછો મશીનમાંથી નીકળી દેશને ઉદ્યોગીકરણથી શું નુકસાન થયું એ લખવા બેસી જાય!

ખરેખર! કોઈ એવી જાદુઈ છડી જડે જે ફેરવવાથી પીપલ કે પત્તે રોટી બન જાયે ઔર તાલાબ કા પાની ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે! એક ઝાટકામાં દેશની અન્ન સમસ્યાનો અંત! દરેક માટે ઘી અને રોટલી! જેને ઘી કેળા જોઈતા હોય માત્ર એણે કેળાની ખેતી કરવાની રહે. કવિ જરા રોમાન્ટિક હોય તો એવું પણ મશીન શોધે કે તમે આ બાજુથી પત્નીને કેબીનમાં મોકલી અને મેનુમાં જોઇને બટન દબાવો એટલે પેલી બાજુથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા કે કેટરીના કૈફ નીકળે! એમાં પણ બુદ્ધિનું લીવર દબાવો એટલે ઈન્ટેલીજન્ટ આલિયા નીકળે અને મ્યુટનું બટન દબાવો તો મૂંગી પત્ની નીકળે તો? પછીતો ડીમોનેટાઈઝેશન વખતે કરતા હતા એમ એ મશીન પાસે લાં....બી લાઈનો લાગે! કેમ, મઝા પડે ને? મિત્રોંઓઓઓ ... મઝા પડે કે નહિ? જોતો ... જોતો ... કેવા મનમાં લડ્ડુ ફૂટે છે નહિ? ચાલો, બહુ સહેલ ખાધી હવે પતંગ ધાબામાં લાવી દો. હમણાં તમારાવાળીને ખબર પડશે તો તમને ડીશવોશર બનાવી દેશે. એ પણ ઈલેક્ટ્રીસીટી વગર ચાલતું ઈકોફ્રેન્ડલી. લૌટ આઓ ભીડુ.

મસ્કા ફન
ઈન્ઝમામ ઉલ હકને છોલીએ તો કેટલા તોલા સોનું મળે?

Friday, November 17, 2017

લવની ભવાઈ: એક સર્વાંગ સંપૂર્ણ સુંદર ગુજરાતી ફિલ્મ

લવની ભવાઈ: બે એકદમ જકડી રાખે એવું પિચ્ચર છે યાર !

લવની ભવાઈ ફિલ્મ આજે ૧૭ નવેમ્બરે રીલીઝ થઈ રહી છે. સિનેપોલીસ ખાતે ગુરુવારે રાત્રે સંખ્યાબંધ મિત્રો, ઢગલાબંધ આરજે, કલાકારો, મિત્ર દંપતી ફિલ્મ નિર્માતા આરતી અને ડાયરેક્ટર સંદીપ પટેલના ટોળાબંધ વેલવીશર્સની હાજરીમાં ફિલ્મનું પ્રીમિયર યોજાઈ ગયું. આ ફિલ્મમાં પરફોર્મન્સ તો પ્લસ પોઈન્ટ છે જ પણ આ ઉપરાંત ડાયરેકશન, મ્યુઝીક, બેકગ્રાઉન્ડ મ્યુઝીક, એડીટીંગ, કેમેરા, લોકેશન્સ સહીત ફિલ્મ દરેક એરિયામાં સ્કોર કરે છે. કોલેજીયન્સને ખાસ ગમે એવી ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી સ્ટ્રીટસ્માર્ટ સોફ્ટવેર એન્જીનીયર (એ આવીને એકવાર એન્ટર મારે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવો!) સાગર (મલ્હાર), બ્રેકઅપ સ્પેશિયલિસ્ટ આરજે અંતરા (આરોહી), અને રામજાણે શેનો બીઝનેસ કરે છે એવા બિઝનેસમેન આદિત્ય(પ્રતિક ગાંધી) વચ્ચેના લવ ટ્રાયેન્ગલની છે. સાગર અમદાવાદની પોળમાં રહે છે અને ટીપીકલ પોળવાસીની જેમ મમ્મીને અમ્મી (બે મારી અમ્મી થેપલા બનાવે છે કંઈ....) કહે છે. સુપર ટેલેન્ટેડ મલ્હાર ક્ન્સીસ્ટન્ટ રીતે ભાષા જાળવી જલસા કરાવી દે છે. હીરો સાગરના ભાઈબંધો બીજી ફિલ્મોની જેમ જ, બધા કોમેડિયન છે અને કોમેડી અને ટ્રેજેડી સીન વખતે હીરોની આસપાસ વીંટળાઈ વળે છે! ફિલ્મમાં દીવ, દરિયો અને દારુ પણ છે, પણ પરફોર્મન્સ સારું છે. પ્રતિક, આરોહી અને આરતીબેનનું પણ એટલું જ દમદાર પરફોર્મન્સ છે. સોફ્ટવેર એન્જીનીયર સાગર, આરજે અંતરા અને બિઝનેસમેન આદિત્ય કઈ રીતે ભેગા થાય છે, ત્યાંથી લઈને એમને હેપી એન્ડીંગ સુધી પહોંચાડવા સુધીમાં ‘બે એકદમ જકડી રાખે એવું પિચ્ચર છે યાર ! બે જકડી રાખઅ એટલે સીટબેલ પેરીને પિચ્ચર જોવા બેઠા હોઈએ એવુ ફીલિંગ નઈ યાર !’ હવે એમ ના કહેતા કે યાર તમે ફિલ્મ રીવ્યુ લખ્યો એમાં તમે કોઈ સીન માટે હોલિવુડની ફલાણી ફિલ્મના ફલાણા સીનની જદ્દોજહદ ફિલ આવે છે, કે ડાયરેકશનમાં ઇટાલિયન ડાયરેક્ટર રોઝ સૌલો જેવો સટલ ટચ દેખાય છે, એવું કહીને તમે કેટલી વિદેશી ફિલ્મ જુઓ છો એવું બધું નથી ઝાડવું? ના, યાર આ સંપૂર્ણપણે ગુજરાતી ફિલ્મ છે અને એમાં તમને ગુજરાત, ગુજરાતી, ગુજરાતીપણા સિવાય કશાની મહેંક નહીં આવે! એ પણ એકદમ ફ્રેશ મહેંક... બે પેલું ‘બેટા મહેંક તું ફ્રેશ થઈ ને આવ એટલે હું ગરમાગરમ થેપલા બનાવું’ એવું નઈ બે ....

અને હા, ફિલ્મમાં અમે અને ડુપ્લીકેટ અમદાવાદી તરીકે પ્રખ્યાત એવા - લઘરવઘર અમદાવાદી- અમે બંનેએ સજોડે (બેઉ ‘પોતપોતાના સજોડે’ યાર!) નાનકડો ગેસ્ટ રોલ પણ કર્યો છે. તો ક્યારે જાવ છો જોવા? અને હા, આ લિંક કે પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહીં.... બધું કહેવું પડે ?

Wednesday, November 15, 2017

હેડફોન્સની આંટીઘૂંટી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૫-૧૧-૨૦૧૭

ઔરંગઝેબ સવારે મોર્નિંગ વોકમાં નીકળે ત્યારે બગીચામાં મોબાઈલના કર્કશ સ્પીકર્સ પર જુના ગીતો કે ભજનો વગાડતા કાકા-કાકીઓ એને સામે મળતા. યુવાનો અને ભાભીઓમાં એટલું તો દાક્ષિણ્ય જોવા મળતું કે તેઓ હેડફોન્સ લગાડીને સંગીત સાંભળતા. પરંતુ તેઓ એ સંગીતના તાલ સાથે ડોકું હલાવતા રહેતા એમાં ઘણીવાર ગેરસમજ થતી, ખાસ કરીને ભાભીઓને લીધે. રાજ્યમાં હેડફોન્સ પહેરીને રસ્તે જતા લોકોને રથ કે ઘોડાના ડાબલા સંભળાતા નહીં એટલે એ અથડાઈ જતા અને જે ક્ષણભરમાં મારામારીમાં ફેરવાઈ જતું. આ બધાથી કંટાળીને ઔરંગઝેબે સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો. આવું તમે ઇતિહાસમાં તમે નહીં ભણ્યા હોવ. તમે માત્ર એટલું જ વાંચ્યું હશે કે ઔરંગઝેબ સંગીતનો ઔરંગઝેબ હતો. પણ આજના દોરમાં જે રીતે ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરીને ફિલ્મો બનાવવામાં આવે છે એ જોતાં ભવિષ્યમાં સંજય લીલા ભણસાલી કે આસુતોષ ગોવારીકર ‘ઔરંગઝેબ-દિલરસબાનું બેગમ’નામની ફિલ્મ બનાવે એમાં આવું બધું જોવા મળે તો નવાઈ નહિ. અત્યાર સુધી આપણને ઈતિહાસ પણ તોડીમરોડીને ભણાવવામાં આવતો હતો એટલે પણ વિવાદો તો રહેવાના. કદાચ આ સમસ્યાનો અંત ત્યારે જ આવશે જયારે અમારા લખેલા લેખ ગુજરાતી અને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં છપાવા લાગશે. પર વો દિન કહાં ? 
 
આપણે આપણા તથ્યો સાથે આગળ વધીએ. આપણે જોયું કે ઔરંગઝેબના સંગીતદ્વેષ પાછળ જે હેડફોન જવાબદાર હતા એ હેડફોન્સ અત્યારે પાણી-પૂરી સાથે મફત મળતી મસાલા પૂરીની જેમ મોબાઈલ સાથે મફત મળે છે. અહીં જ્યાં અખબારોની મફત ગીફ્ટ માટે આખું અમદાવાદ સવારમાં હાથમાં કાતર પકડતું હોય, ત્યાં મફત મળતું હોય તો ‘હશે, કાલે પેટ સાફ આવશે’ એમ કહીને અમદાવાદીઓ દીવેલ પણ પી લે એવી જૂની છાપ પણ હોય, ત્યારે ‘મુફત કે મૂળે કી કેલે જૈસી મજા’ એ કહેવત મુજબ મફત મળતા હેડફોનનો ઉપાડ પણ ઘણો છે. એમાં ખોટું કંઈ નથી. એમ તો સસ્તું મળે એ માટે અમેરિકન્સ થેન્ક્સ ગીવીંગ પર બ્લેક ફ્રાઈડે સેલ માટે ગુરુવારે રાતના ઠંડીમાં સ્લીપિંગ બેગમાં ઘૂસીને જાણીતાં સ્ટોર્સની બહાર લાઈન લગાવી દે છે. આપણે જોવા નથી ગયા, બાકી ચાઈનામાં પણ આવું જ થતું હશે. ટૂંકમાં અમદાવાદીઓને બદનામ કરવાની જરૂર નથી.

હેડફોન્સના વાયરની લંબાઈ બાબતે ઉત્પાદનકર્તાઓ એકમત નથી. અમુક એટલા લાંબા બનાવે છે કે એનો ઉપયોગ દોરડા કૂદવાની કસરત કરવામાં પણ થઈ શકે. અને અમુક કંજુસીયાઓ એટલા ટૂંકા બનાવે છે કે પેન્ટના ખીસામાં ફોન મુક્યો હોય તો ઈયર પ્લગ કાન સુધી પહોંચાડવા માટે પેન્ટ છાતી સુધી ખેંચીને પહેરવું પડે. લાંબા ટૂંકા એવા આ વાયરો વાળા આ હેડફોનને વાપર્યા બાદ મુકવા માટે બે પદ્ધતિ પ્રચલિત છે. એક, ઉત્તરાયણમાં ધાબા ઉપર દોરી બચાવવાનું અભિયાન કરતાં કાકા જેવા લોકોની જેમ વાયરોનો પદ્ધતિસર લચ્છો બનાવીને મુકવા. બે, હેડફોનનો જ્યાં જગ્યા મળે ત્યાં ઘા કરી દેવો .

બાકી હેડફોન સંબંધિત સર્વસામાન્ય અનુભવ એવો છે કે કાયમ હેડફોન વાપરનાર જિંદગીના સરેરાશ ૭૮૩૪ કલાક વાયરોના ગૂંચળા ઉકેલવામાં કાઢી નાખે છે. આવું કોઈ અમેરિકન સંશોધન નથી. આ અમારો અંદાજ છે. અને એ પણ કન્ઝર્વેટીવ. હેડફોનના ગૂંચળા ઉકેલવાનો અઠંગ ખેલાડી જલેબીના ગૂંચળાને ઉકેલી, એની ચોપસ્ટીક બનાવીને એનાથી પપૈયાનો સંભારો ખાઈ શકે. માશુકાની કુંતલાકાર ઝુલ્ફો મહીં આંગળીઓ પસવારવા ઉત્સુક ફેસબુક કવિ હેડફોનના ગૂંચળા પરથી પ્રેરણા લઇ માશુકાની યાદમાં કવિતા ઘસી શકે. આફ્રિકન માશુકા ધરાવતા કવિઓ હેડફોન ઉપરાંત માંજાના ગૂંચળા પણ આસાનીથી ઉકેલી શકે. ખરેખર તો શેમ્પૂની જાહેરાતમાં આવતી કન્યા અંબોડો છોડે અને એના રેશમી વાળ છુટ્ટા થઇને ઘોડાના પૂંછડાની જેમ લહેરાવા માંડે એવા કેબલ સાથેના હેડફોન બનાવવા એ આજની તાકીદની જરૂરિયાત છે. જોકે મોબાઈલને વોટરપ્રૂફ બનાવવામાં હેડફોનનો જેક નડતો હોઈ હવે તો નવા મોંઘા ફોનમાં વાયર વગરના હેડફોન્સ આવે છે.હેડફોનને લઈને કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. બહેરાશના પેશન્ટો વધી રહ્યા છે. પત્નીઓની ફરિયાદ છે કે એમના પતિ એમની વાત સાંભળતા નથી અને એથી પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. હેડફોન પહેરીને મોબાઈલ પર વાત કરનારા જોનારને મોટેભાગે સ્વગત બબડતા ગાંડા જેવા દીસે છે. આ કારણથી એન્ગેજમેન્ટ પણ તૂટી શકે છે. આ ઉપરાંત કાનમાં સંગીત વાગતું હોય ત્યારે બહારનું સંભળાતું નથી એટલે હેડફોન પહેરેલો વ્યક્તિ જોરથી બોલે છે. હેડફોન પહેરનાર સંગીત કે વાતચીતમાં એવા ખોવાઈ જાય છે કે એને સ્થળ, કાળ, દુનિયા, ટ્રાફિકની તમા નથી રહેતી. આમ હેડફોનધારકને આસ્તિક ગણી શકાય કારણ કે એ બધું ભગવાનને ભરોસે છોડી દે છે.

મોબાઈલમાં વપરાતા હેડફોન્સને હેન્ડ્સ ફ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વાત કરતી વખતે માણસના હાથ ફ્રી રહે છે, એ ડ્રાઈવિંગ કરી શકે છે, રીમોટથી ટીવી ચેનલ બદલી શકે છે. સાઉથ ઇન્ડીયન ફિલ્મનો હીરો તો હેન્ડ્સફ્રી હોય તો હાથથી મારામારી અને વખત આવ્યે વાયરોનો ઉપયોગ વિલનને ગબડાવી પાડવા કે ગળું દબાવવા કરી શકે. હાથ ફ્રી રહે તો આપણા ગુજ્જુભાઈઓ મસાલો મસળતા જાય અને વાત કરતા જાય. ઢોલીડાને નવરાત્રીમાં ખણવાની પણ ફુરસદ નથી હોતી એના માટે આમ હેન્ડ્સ ફ્રી એ વરદાન છે, પરંતુ એ ઢોલ ટીચતો હોવાથી એકંદરે સામેવાળાને કશું સંભળાતું નથી. ટૂંકમાં હેડફોન વરદાન પણ છે અને પ્રોબ્લેમ પણ છે, એ તમે કેવી રીતે ઉપયોગ કરો તેના પર આધાર રાખે છે.

મસ્કા ફન


કોઈ પોતાના ગામના રીક્ષાવાળાને સારા નહી કહે.

Wednesday, November 08, 2017

ખીચડી ઓવરરેટેડ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૮-૧૧-૨૦૧૭

ખીચડીને નેશનલ ડીશ જાહેર કરવાની વાત ઉડી એમાં ગામ ગાંડું થયું છે. સૌ જાણે છે ખીચડી જેનું પેટ ખરાબ હોય, અને સતત બહારનું ખાઈને કંટાળ્યા હોય એવા લોકોનો ખોરાક છે. ખીચડી માંદા લોકો માટે બને છે અને એટલે જ તહેવારોમાં કદીય ખીચડી બનતી નથી. આદિકાવ્ય રામાયણમાં ભગવાન રામના લગ્નનો પ્રસંગ સૌથી ભવ્ય ગણાયો છે. એમાં બનેલા બત્રીસ પકવાન અને તેત્રીસ શાકનું વર્ણન રામાયણમાં આવે છે. પરંતુ મેનુમાં, અને પ્રાઈવેટમાં કૈકેયીએ પણ આ પ્રસંગે ખીચડી બનાવડાવીને ખાધી હતી એવો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. મોડર્ન લગ્ન પ્રસંગમાં પુલાવ, બિરીયાની, ભાત હોય છે પરંતુ ખીચડી નથી બનાવવામાં આવતી. આવી ખીચડીને માથે ચઢાવનારાને પકડીને જાહેરમાં ફટકારવા જોઈએ. ભલે અમારા કોઈ લેખક મિત્રને અમારી વાતમાં અસહિષ્ણુતા દેખાય. ખીચડી ઓવર રેટેડ છે, છે અને છે, તમારાથી થાય એ ભડાકા કરી લો.


ખીચડીની શોધ કરનાર કોઈ મહા આળસુ જ હશે. એમાં માત્ર દાળ-ચોખા-હળદર-મીઠું નાખી ચઢાવવા મૂકી દેવાનું હોય છે. કુકરની સીટી ગણવાનું કામ પણ મોટે ભાગે આઉટસોર્સ થતું હોય છે. આવી ખીચડી બની જાય પછી એમાં ઘી, દહીં, છાશ, અથાણું, રતલામી સેવ, ડુંગળી, લસણની ચટણી, અને કવચિત ફુરસદ હોય ને શાક બનાવ્યું હોય તો એનો રસો નાખી એમાં સ્વાદ લાવવાની મહેનત થાય છે, જેને અમે થાળીમાં વઘાર કરવાની ક્રિયા કહીએ છીએ. જેમને ભાવતી હોય એમને મુબારક, અમે માંદા પડીએ ત્યારે અમને ખીચડી બિલકુલ ભાવતી નથી, બલકે અમે જયારે ખીચડી ખાઈએ છીએ ત્યારે માંદા પડીએ છીએ.

આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણને ગુજરાતી વાનગીઓ નેશનલ ડીશનું માન પામે એ જ ગમે. એટલે અમારું સજેશન છે કે ખીચડીના બદલે ગાંઠીયાને નેશનલ ડીશ જાહેર કરવી જોઈએ. કાઠીયાવાડમાં તો સવારે બ્રશ કરવાને બદલે દસના ગાંઠીયા ખાવાનો રીવાજ છે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો સાથે સાથે મરચા, પપૈયા, અને તેલમાં તળવા માટે મગફળીની ખેતીમાં વૃદ્ધિ થાય અને ખેડૂતો બે-પાંદડે થાય. મરદની મુછોના મરોડ અને ગાંઠીયાના વાટામાં પડતા વળમાં ભલભલાને ઝૂકાવવાની ક્ષમતા છે. ગાંઠીયા ખીચડી જેટલા જ પેટ માટે ફાયદાકારક છે. એમાં ભરપુર સોડા આવતો હોઈ ગાંઠીયા ખાધા પછી સોડા ન પીવો તો પણ ચાલે. ગાંઠીયા નેશનલ ડીશ બને તો દેશમાં સોડા ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થાય અને અમુક બ્રાન્ડના વોશિંગ પાઉડરના શેરો પણ ઉંચકાય. એક અફવા મુજબ ગુજરાતમાં ગાંઠીયાની લોકપ્રિયતા અને એક ચોક્કસ વોશિંગ પાઉડરના ઉદયની વચ્ચે ગુજરાત યુનીવર્સીટીના એક સંશોધક બહેનને સારું એવું કોરીલેશન જોવા મળ્યું હતું.

જો ગાંઠીયા હેલ્ધી ન લાગતા હોય તો કંઈ નહીં, ખાખરાને નેશનલ ડીશ જાહેર કરો. ભલે એમાં ગાંઠીયા જેવો તોફાની ટેસ્ટ કે લલચાવનારી સોડમ નથી છતાં ખીચડી કરતા હજાર દરજ્જે સારા. ખાખરા સુકા હોવાથી ખીચડીની જેમ સાંજ પડે નિકાલ નથી કરવો પડતો. ખાખરા મુસાફરીમાં સાથે પણ લઈ જઈ શકાય છે. રૂઢિચુસ્ત રસોઈ કરનારા ખીચડી મોટે ભાગે સાંજે બનાવે છે, જયારે ખાખરા ચોવીસ કલાક ખાઈ શકાય છે. એ ઠંડા જ હોઈ એ ઠંડા થઈ જવાની ભીતી નથી રહેતી. એનો તો આકાર પણ ડીશ જેવો જ હોય છે, અને એટલે જ મરચાં, ચટણી વગેરે ખાખરામાં ભરીને ખાઈ શકાય છે. ખાખરાને કારણે બહેનોને રોજગાર મળે છે. એના પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે જે ખાખરાને નેશનલ ડીશ બનાવવામાં આવે તો માફ પણ કરી શકાય.

અમારી જેમ ખાખરા તમને ન ભાવતા હોય તો પછી ખમણનો વારો કાઢો. કેમ ચરોતરનો શો વાંક? ખમણમાં નરમાશ છે. નજાકત છે. જો મોટા ચોસલેદાર ખમણને સિવિલ એન્જીનીયર સિવાયનું કોઈ ઊંચકે તો ડીફલેક્શનની ગણતરીમાં ગોથા ખાઈ જાય અને ખમણ જો એક તરફના ખૂણાથી ઊંચકે તો હાથમાં ટુકડો આવે અને વચ્ચેથી પકડે તો બેઉ તરફના છેડા ડીફલેક્શનને કારણે ડીશમાંથી ઉપર આવવા માટે તૈયાર નથી થતા. ખમણ સ્પોન્જી હોય છે એટલે છેલ્લા ખમણને તમે ડીશમાં ચારેતરફ ફેરવીને ચટણી, કોથમીર, કોપરું વગેર સાફ કરી શકો છો. આમ જાતે વાસણ સાફ કરવાના હોય તો એમાં સવલત રહે છે. જોકે ખમણને જો નેશનલ ડીશ જાહેર કરવામાં આવે તો સૌ પહેલા એના ફોટા સાથે દેશમાં એક ચોખવટ કરવી પડે કે આ વાનગી ‘ખમણ’ છે, થ્રી ઇડીયટસમાં કરીના જેની વાત કરે છે એ ‘ઢોકલા’ નહિ. જેમ આપણે ત્યાં જેમ બધા હિન્દી ભાષીઓને ‘ભૈયા’ કહેવાનો રીવાજ છે એમ ત્યાંની પબ્લિક આપણા ઢોકળા, ખમણ, ઇદડા વગેરેને ‘ઢોકલા’ જ કહે છે. અમારું ચાલે તો જેને ‘ઢોકળા’ શબ્દનો ઉચ્ચાર બરોબર આવડતો ન હોય એને એક ઢોકળું ખાવા પણ ન દઈએ.

હજી અમદાવાદી તરીકે આ યાદીમાં અમે ઊંધિયું, ફાફડા, જલેબી, ઘારી અને દાલવડાને પણ ઉમેરી શકીએ એમ છીએ કારણ કે એમાં પહેલા ચાર તહેવાર સાથે સંબંધિત છે જે પ્રજા દ્વારા ઉજવાય છે અને દાલવડા ચોમાસા સાથે સંકળાયેલા છે જે દેશની અગત્યની ઋતુ છે. જેમ વેલેન્ટાઈન ડેના નામે ગ્રીટિંગ કાર્ડ, ટેડી ડેના નામે ટેડીબેર અને ચોકલેટ ડેના નામે ચોકલેટનો વેપારને ઉત્તેજન અપાયું એ જ રીતે આ વાનગીઓનું તો વ્યવસ્થિત માર્કેટિંગ પણ થઇ શકે એમ છે. અને આ રીતે પણ ખુશ્બુ ગુજરાત કી આખા દેશમાં પ્રસરતી હોય તો અમને બ્રાંડ એમ્બેસેડર બનવામાં ચોક્કસ રસ છે. મળો યા લખો, અમને.

મસ્કા ફન


પકો: બોથડ પદાર્થની શોધ કોણે કરી હતી અને કયા હેતુથી કરવામાં આવી હતી ?

બકો: બોથડ પદાર્થની શોધ છાપાવાળાઓએ કરી હતી અને હત્યાનું રીપોર્ટીંગ કરવા માટે કરી હતી.

Wednesday, November 01, 2017

ગબ્બર સિંગ વિષે વધુ સંશોધન

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૧-૧૧-૨૦૧૭

પ્રેમ અને ગબ્બર સિંગ આ બે વિષય પર અત્યાર સુધી જેટલું લખાયું છે એટલું હજુ એક સદી સુધી લખાશે તો પણ બીજી એક સદી સુધી લખાય એટલું બાકી રહેશે. હમણાં બાબાભાઈએ જી.એસ.ટી.ને ગબ્બર સિંઘ ટેક્સ તરીકે ઓળખાવ્યો. એમનો નિર્દેશ ટેક્સની ઉઘરાણીની પદ્ધતિ કે પછી ટેક્સની યથાર્થતા વિષે હતો તે સ્પષ્ટ નથી થતું; બાકી શોલેમાં ગબ્બર સિંગ સ્પષ્ટ હતો. એ માનતો કે ગબ્બરના તાપથી પ્રોટેક્શનના બદલામાં રામગઢની પ્રજા પાસેથી એ થોડું અનાજ માગે છે એ કોઈ જુલમ નથી. ટૂંકમાં અમે ધાડ પાડીને લઇ જઈએ એના કરતા તમે સામે ચાલીને અનાજ-સામાન આપી દો. ખરી વાત છે, ઇન્કમટેક્સની કાર્યવાહીથી બચવા વી.ડી.એસ. સ્કીમ છે એ કૈંક આવી જ છે! લોકશાહીમાં આવું જ હોય. 

સોશિયલ મીડિયામાં ભલે ગબ્બરને સંત ઠરાવવાની કોશિશ થઇ હોય, પણ હકીકત એ છે કે ગબ્બર સિંગ નિર્દયી હતો. ઠાકુરના કુટુંબને એણે નિર્દયતાથી ઠાર માર્યું હતું. એ શેખીખોર હતો. સ્ટોક માર્કેટની જેમ એના માથાનો ભાવ વધઘટ થતો હશે કે બીજું કંઈ પણ એ વારેઘડીએ ઊંચા ખડક પર બેઠલા એના સાંભાને પૂછતો કે આજકાલ સરકારે મારા માથા પર કેટલું ઇનામ રાખ્યું છે? અને સાંભા જે તે દિવસનો ભાવ જણાવતો. આ સાંભો સરકારી કર્મચારીની જેમ આખી ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલે છે અને એક ગોળી છોડે છે, છતાં પગાર પૂરો લે છે. આમ તો ગબ્બરની આણ એના અડ્ડાથી લગભગ પચાસ કોસ (૯૦ કિમી.) સુધી હતી; આમ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ધાકમાં હોવા છતાં એ છોડીને એણે લોકસભા ક્ષેત્રમાં ફેલાવાની કોશિશ નહોતી કરી એટલો એ સંતોષી હતો.

ગબ્બર થોડોક સ્થૂળકાય હતો. એના અડ્ડા પર લાકડા બાળીને ખાવાનું પકવવામાં આવતું. રામગઢમાં ગેસ એજન્સી નહોતી અને એ જમાનામાં સબસીડી જમા કરાવવા માટે જનધન ખાતા પણ નહોતા એની અસર અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. બીજું, એના સાથીદારોમાં એનું નમક અને ગોળી ખાનારા હટ્ટાકટ્ટા છે. ગબ્બરના અડ્ડામાં એકેય સ્ત્રી નહોતી અને ગબ્બર સહિત બધા સાથીદારોએ પુરુષોના હાથનું બનાવેલું ભોજન ખાઈને તબિયત બનાવી હતી એવું જણાય છે. ગબ્બર તમાકુ ખાતો પણ સ્ટાઈલ અમારા વહાલા ઉત્તર ગુજરાતવાળા કરતા જુદી. આપણાવાળાને તો તમાકુ ચોળ્યા પછી ચૂનો ઉડાડવા માટે તાલી પાડીને બે-ચાર જણાને છીંકો ખવડાવીએ નહી ત્યાં સુધી કિક ન વાગે, જયારે ગબ્બર તમાકુ ચોળતો ઓછું અને ચોળ્યા પછી સીધો એનો ફાકડો મારી દેતો. આમ કરવામાં ફક્ત ખાનારને છીંકો આવે, પરંતુ શોલે ખુબ લાંબી ફિલ્મ હતી એટલે ગબ્બર આણી મંડળી છીંકો ખાતો હોય એવા સીન કપાઈ ગયા હશે એવું અમારું માનવું છે. ગબ્બર વચનનો પાક્કો છે. એણે ઠાકુરને કહ્યું હતું કે કોઈ જેલ એને લાંબો સમય સુધી અંદર નહીં રાખી શકે અને એણે એ કરી બતાવ્યું. લલિત મોદી અને વિજય માલ્યાના ભાગવાની જેટલી ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ છે, એટલી ચર્ચા શોલેમાં ગબ્બરના ભાગવા વિષે નથી થઇ એ જોતાં ભીનું સંકેલાયું હોવાની શક્યતા નકારી શકાય નહિ.

ગબ્બર ડેલીગેશન ઓફ ઓથોરીટી નામના મેનેજમેન્ટ પ્રિન્સિપલનો સારો ઉપયોગ કરતો હતો, અને જ્યાં સુધી એના ફોલ્ડરોથી કામ ચાલતું હોય ત્યાં સુધી પોતે, એટલે કે મેનેજરના સમયનો બગાડ કરવામાં માનતો નહોતો. રામગઢમાંથી ગબ્બર સિંગ ટેક્સરૂપે અનાજ ઉઘરાવવા એણે એના ત્રણ માણસોને મોકલ્યા હતા. ગબ્બર મેનેજમેન્ટની રીતે પ્રોડક્ટીવીટી સમજતો હતો. એના ત્રણ માણસો બે જણ સામે હારીને આવે એ કંપનીને ના પોસાય એ સ્પષ્ટ પણે સમજતો હતો. અને આવા નકામાં માણસોને ફાયર કરવાની પ્રથા ૧૯૭૫માં ગબ્બરે શરુ કરી હતી.

‘જર જમીન અને જોરુ, આ ત્રણેય કજીયાના છોરું’ આ કહેવત ગુજરાતી હોવા છતાં અને ગબ્બર ગુજરાતી ન હોવા છતાં ગબ્બરે સાંભળી હતી. ગબ્બરને બૈરી-છોકરાં પણ નહોતા. એટલે કહી શકાય કે એ એના કામથી કામ રાખતો હતો. એ કોતરોમાં રહેતો હતો એટલે એની પોતાની જમીન અને એ કારણે ઝઘડાનો સવાલ નહોતો. હથિયારોની લેવડદેવડ દરમિયાન નેગોશીએશનના ભાગ રૂપે વધારાના રૂપિયા ખર્ચ્યા વગર એ હેલનના ડાન્સ જોતો હતો અને એ જોતજોતા એ રૂપિયા ઉછાળતો નથી, જે ગબ્બરની ઇકોનોમિક વર્કિંગ સ્ટાઈલ અને બેલેન્સ ઓફ માઈન્ડ બતાવે છે. અરે, બસંતીનો ડાન્સ જોવા રૂપિયા ન ખર્ચવા પડે એના માટે એ વીરુને પકડીને બાંધી દે છે, અને સાંસ અને પાંવની સિનર્જી બસંતીને સમજાવે છે.

આટલી ખૂંખાર ડાકૂ ટોળી હતી છતાં તમને સાંભા અને કાલીયા સિવાય બીજા કોઈ ડાકૂના નામ ખબર છે? અને કેમ ફક્ત ગબ્બર જ બોસ? સંસ્કૃતમાં એક સૂત્ર છે ‘बहवो यत्र नेतार:, सर्वे पण्डित मानिना:। सर्वे मह्त्व मिच्छंति, तद् राष्ट्र भव सीदति ।। અર્થાત, જ્યાં બહુ બધા નેતાઓ હોય અને દરેક મહત્વાકાંક્ષી હોય એવા જૂથ કે ટોળીનો નાશ થાય છે. શક્ય છે ગબ્બર સિંઘના સ્કુલ શિક્ષક બાપા હરીસિંઘે એને આ શીખવાડ્યું હોય જેના કારણે ગબ્બરે ડેપ્યુટી સરદાર જેવી કોઈ પોસ્ટ ઉભી કરી નહોતી. ગબ્બર સર્વેસર્વા હતો. એકંદરે ગબ્બર સિંઘ નિર્દયી હોવા છતાં એની કાર્યપધ્ધતી અનુકરણીય હતી, અને એમાંથી મેનેજરો અને રાજકારણીઓને બોધ મળી રહે છે. આવા ગબ્બરને ફિલ્મના અંતમાં ડીએસપીએ ઠાકુરની પાનીમાંથી (ઠાકુરને હાથ નહોતા) છોડાવ્યો તો હતો. પરંતુ પછી એને ફાંસી થઇ હતી કે પછી અડધી રાત્રે કોર્ટ ખોલાવીને એના બચાવવાની કોશિશ થઇ હતી એ જાણવા આપણે શોલેની સિકવલ બને એની રાહ જોવી રહી.

મસ્કા ફન

આ ટેક્સની રામાયણ એટલા માટે છે કે આપણી વેપારી પ્રજા બસંતી જેવી છે જેમને ‘બેફિઝુલ ટેક્સ દેને કી આદત નહીં હૈ’.

Wednesday, October 25, 2017

તહેવારો પછીની શાંતિ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૫-૧૦-૨૦૧૭

પાંચમ જલ્દી આવે તો સારું. દિવાળી નિમિત્તે બજારો બંધ છે. રસ્તા સુમસામ છે. કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થઈને વેરાયા હોય એમ ફૂટેલા ફટાકડાના કાગળિયાં સફાઈ કામદારના આગમનની આંખ ફાડીને પ્રતીક્ષા કરતા હોય એમ આમ તેમ ઉડી રહ્યા છે. આ વખતે ભાઈ-બીજ પછી રવિવારની રજા હોઈ ગામના કૂતરાને બાદ કરતા સાવ ઘરકૂકડી પડોશીઓ પણ ફરવા જતાં રહ્યા છે. તમે નથી ગયા એટલે નવરાશ છે. કેટલાક સગા સંબંધીઓએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટા જોઇને ખબર પડે છે કે પાર્ટી મનાલી કે મલેશિયા ગઈ છે એટલે આ વખતે એમના ઘેર થપ્પો કરવા જવાનું નથી. મતલબ થોડી વધુ નવરાશ! વતન કે વિદેશ ન ગયેલા લોકો માટે ભાઈબીજના દિવસ સુધીમાં ઘર ગણવાનું પતાવ્યા પછી અને દિવાળીમાં રીલીઝ થયેલું મુવી જોઈ નાખ્યા પછી સોશિયલ મીડિયા સિવાય કોઈ સહારો નથી રહેતો. દિવાળીના શોરબકોર અને તોફાનો પછી અચાનક મળેલી આ શાંતિ થોડી ખુંચે છે.

આ શાંતિ પણ ભ્રામક છે. યોગ પ્રશિક્ષકોના કહેવા મુજબ બહાર શાંતિ હોયએ સમય અંતરની શાંતિની સાધના કરવા માટે ઉત્તમ સમય ગણાય. આમ છતાં તમે મગ્ન થઇ શકશો નહિ. તમારું નામ મગન હશે તો પણ! કારણ? જેવા તમે ધ્યાનમુદ્રામાં બેસીને ચિત્તને ચેતનાતીત અંત:કરણ તરફ વાળશો ત્યારે જ નાભીના મણીપુર ચક્ર નજીકના વિસ્તારમાંથી ઘૂઘરા, મઠીયા, ચા, કોફી અને કોલા સર્જિત કોલાહલ એમાં ખલેલ પહોંચાડશે. બોણી માગવાવાળા પણ વારંવાર બેલ મારીને તમારું ધ્યાન ભંગ કરશે. તમારા મોબાઈલમાં નેટ ચાલુ હશે અને મહેલના ગુંબજ ફરતે બેઠેલા કબૂતરાના ચરક પેઠે ટપકતા વોટ્સેપ મેસેજીસથી તમારું એસ.ડી. કાર્ડ ભરાઈ જશે. મેસેજીસના સતત ટડીંગ ટડીંગ વચ્ચે ઊંઘ પણ ન આવે ત્યાં તંબુરામાંથી ધ્યાન લાગવાનું હતું?

તો કરવું શું ?

બેચેની દૂર કરવા મનને બીજી તરફ વાળો. દિવાળી અંકો ખરીદી લાવો ચાર-પાંચ! એમાં વાર્તા તો ઘણી બધી હોય છે અને એ વાંચવામાં ટાઈમપાસ પણ થઇ જાય. ખાસ કરીને વાર્તાઓની શરૂઆતમાં કયું પાત્ર વાત કરી રહ્યું છે? શ્રાવણી મનોહરલાલની પત્ની છે કે દીકરી? એની ઉંમર કેટલી હશે? જીહ્વા અને સત્ય એક જ શહેરમાં રહે છે કે જુદા જુદા? પારેવી અને હંસજ એક જ ક્લાસમાં ભણે છે કે પારેવી હંસજની સિનીયર છે? સુવર્ણમય શ્રોફ સત્યાવીસ વર્ષે શહેરમાં પાછો આવે છે અને સાવ અચાનક અનન્યા અજાતશત્રુને એ મોલમાં જુએ છે ત્યારે ચાલીસ વર્ષ જુના ખખડેલ મોડેલ કે જેણે સુવર્ણમયને ‘તારો પ્રેમ પ્રેમ નથી, શારીરિક આકર્ષણ છે’, કહી ફૂટાડી દીધો હતો એની ઓળખાણ કાઢવાને બદલે પાછો કેમ નહીં વળી જતો હોય? આવા અનેક સવાલોના જવાબો માટે આખી વાર્તા વાંચવી, સમજવી પડે છે, અને જેમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતી વખતે વારંવાર રીસ્ટાર્ટ કરવું પડે છે તેમ ફરી વાર્તાની શરૂઆત વાંચવી પડે છે. જોકે અમે તો ઉપાય શોધી કાઢ્યો છે. અમે નોટપેડ અને પેન લઈને આ વાર્તાઓ વાંચવા બેસીએ છીએ. અને દરેક પેરેગ્રાફનો સાર ટપકાવતા જઈએ છીએ. છેલ્લે બધા મુદ્દા અને વાર્તામાં જે સમજ પડી હોય એને આધારે આખી વાર્તા સમજી લઈએ છીએ. પણ આ બધા થૂંકના સાંધા છે. બીજા અવરોધો પણ છે.

ટીવી પર આ સમયે સુર્યવંશમ, બાદશાહ, હમશકલ્સ જેવી ફિલ્મો આવતી હોય છે. ચેનલો ફેરવવામાં રિમોટના સેલ ખલાસ થઈ જાય છે. આમાં જે ટાઈમપાસ થાય છે એ માત્ર રિમોટનું પાછળનું ઢાંકણું ખોલી સેલ ફરી ફીટ કરવામાં અને રિમોટ પછડાય એટલે એનું ઢાંકણું ઉડીને સોફા નીચે જતું રહે તે બહાર કાઢવા માટે કોઈ આવે એની રાહ જોવામાં થાય છે. આ દરમિયાન સેટ ટોપ બોક્સ પર તમારી પાસે જે ત્રણ પડ્યા છે એવા મિક્સર-ગ્રાઈન્ડર મશીનની જાહેરાતો રીપીટ મોડમાં વાગ્યા કરે છે. છેવટે તમે ડ્રોઈંગરૂમમાંથી કંટાળીને બેડરૂમમાં આડા પાડવા જાવ ત્યાં તમારી પત્નીની મોંઘી સાડી કે ડ્રેસ આખા પલંગ પર ફેલાઈને પડેલો જણાય છે જેને વાળવાની તમારામાં આવડત નથી કે ધીરજ નથી, અને એના ઉપર સુઈ જવાની તમારી હિંમત નથી મનોહરલાલ! શાંતિ? વો કિસ ચીડિયા કા નામ હૈ?

બીજો અજંપો પણ રહેશે, કારણ કે આ એ સમય છે જયારે કામવાળા દિવાળીનું બોનસ લઈને નાસી ગયા છે. જમ્યા પછી જાતે વાસણ માંજવા ન પડે એ માટે પત્ની તરફથી વારંવાર હોટલમાં જમવા જવાના પ્રસ્તાવ આવે છે. સાસરા પક્ષના સભ્યો, તમે દિવાળી પછી સાવ નવરા છો એવું જાણી જતાં, ભાઈબીજનો મોકો જોઈ કોઈ કચરો ડાઈનીંગ હોલમાં ભવ્ય પાર્ટી માટેના દાવપેચ ગોઠવતા જોવા મળે છે. સામેવાળાનું પલ્લું ભારે છે કારણ કે તમારા ઘરની રજેરજની માહિતી એમને પહોંચી રહી છે. આમાંથી છૂટવાના ઉપાયો શોધવામાં ઘણો સમય પસાર થઈ શકે. તમે બહારનું ખાઈ ખાઈને થાક્યા છો એવું કહી શકો છો. એસિડીટી અને પેટની તકલીફો આવામાં સૌથી વધારે કામ આવે છે. છેલ્લા ઉપાય તરીકે છેલ્લા મહિનામાં ગુજરી ગયેલા પરિચિતોમાંથી કોઈના શોકનું ઓઠું લઇ શકાય એમ છે કે નહિ એ પણ તમે તપાસી લો છો. અંતે તો होई हैवही जो राम रचि राखा .. અર્થાત શ્રી રામે નક્કી કર્યું હોય એ જ થશે. જોકે, પત્નીની જીદ ઉપર પ્રભુએ પોતે ધનુષ બાણ લઈને સુવર્ણ મૃગ પાછળ દોડવું પડ્યું હતું એ જોતાં તમારે પાકીટ-ક્રેડીટ કાર્ડ લઈને સાસરિયા પાછળ દોડવા સિવાય કોઈ આરો નથી એ જાણી લેજો. ટૂંકમાં તમે મનોમન આવા દાવપેચો ગોઠવીને એમાં દુશ્મનોને મ્હાત કરવાનો ખયાલી પુલાવ પકાવીને તહેવાર પછીની ઉદાસીનો સમય પસાર કરી શકો છો.

મસ્કા ફન
ચણાના ઝાડ પર ચઢેલા લોકો જાતે નીચે ઉતરતા નથી.

Wednesday, October 18, 2017

ભૂત આળસુ હોય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૮-૧૦-૨૦૧૭

નરકાસુર નામના અસુરે ૧૬,૦૦૦ કન્યાઓને બંદી બનાવેલી. ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કરી આ કન્યાઓને મુક્ત કરાવી હતી. જોકે આ બધી કન્યાઓ મનથી ભગવાનને વરી ચુકી હોવાથી ભગવાને તેમનો પછી પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આમ ભગવાનને આ દિવસે સોળ હજાર પત્ની અને સાથે સોળહજાર સસરા, સોળ હજાર સાસુ, અને હજારો સાળા-સાળીઓ પ્રાપ્ત થયા હતા. આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો એટલે નર્ક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે જેને કાળીચૌદશ આપણે કહીએ છીએ તે. બધિરદાસ બાપુ અને સંત અધીરેશ્વરનું કહેવું છે કે મનુષ્ય પોતાના અહં રૂપી નરકાસુરને યમલોક પહોંચાડે તો એની કેદમાંથી મુક્ત થયેલી વૃત્તિઓને ભગવાન કૃષ્ણ પોતાના શરણમાં લે છે.

નરક ચતુર્દશીના દિવસે શરીરે તેલ લગાડીને કરવામાં આવતા ‘અભ્યંગ’ પ્રકારના સ્નાનનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે નરક ચતુર્દશીની વહેલી સવારે અઘેડાના પાન નાખેલા પાણી વડે અભ્યંગ સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. જોકે જેમના લગ્નજીવન નર્ક જેવા થઇ ગયા હોય એ લોકો અઘેડાના પાન નાખીને નહાશે, એનો લેપ કરશે કે પછી એના પાનનો હલવો બનાવીને ખાશે તો પણ ફેર નહિ પડે; માટે અમથી કીકો મારશો નહિ. આવું હોત તો લોકો ડાયવોર્સ માટે લોયરના બદલે વૈદ્ય પાસે જતા હોત. આયુર્વેદ મુજબ અઘેડો વાયુ અને ખંજવાળનું પણ શમન કરે છે. અહી વાયુ એટલે શરીર અને ખાસ કરીને પેટના વાયુની વાત છે, મગજના વાયુ માટે મનોચિકિત્સકનો સંપર્ક કરવો. એજ રીતે તમને અર્બન ગુજરાતી ફિલ્મ બનાવવાની, યુ ટ્યુબ પર ચેનલ શરુ કરવાની કે ફેસબુક ઉપર ‘લાઈવ’ જવાની ખુજલી ઉપડતી હોય તો અત્યારે ડબલ સીઝન હોઈ અઘેડાનો પ્રયોગ વાયડો પડશે. 

આશ્ચર્યની વાત છે કે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રના નિયમ મુજબ ફરતા ગ્રહો સપરમા દા’ડે એવી ખાસ રીતે ગોઠવાય છે કે સમય દરમ્યાન અમુક ચોક્કસ ચીજોની ખરીદી કરનાર પર લક્ષ્મીજીની કૃપા ઉતરી આવે! દર સાલ કોઈ એવો યોગ આવે છે કે જે છેલ્લે અડતાલીસ કે બેતાલીસ વર્ષ પહેલા આવ્યો હોય અને હવે પછી બ્યાંશી વર્ષ સુધી ફરી ન આવવાનો હોય! અને આપણે ત્યાં શાસ્ત્રો એટલા બધા છે કે આમાં સાચું શું અને ખોટું શું એ ભોજિયો ભ’ઈ પણ જોવા જતો નથી. ધારો કે તમારા તંબૂરા વેચવાના ધંધામાં ઘરાકી ન હોય અને દિવાળીમાં માખીઓ મારતા બેઠા હોવ એ વખતે કોઈ કંઠકૂણિકા શાસ્ત્રનાં આધારથી એવું જાહેર કરે કે આ વખતે કાળી ચૌદશના દિવસે સર્વ સિદ્ધિ યોગ છે અને રાત્રે સાડા અગિયારથી સાડા બાર વચ્ચે તંબુરો ખરીદનારના ઘરમાંથી સોનાના ચરુ નીકળશે તો પબ્લિક રાત્રે સાડા બાર વાગે તમારું ઘર ખોલાવીને તંબુરા ખરીદી જશે! અમે લખ્યું તો છે જ, સાચવી રાખજો!

કાળીચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ, એટલે કે રાત છે, આજનાં દિવસે એટલે કે રાતે સ્મશાનમાં સાધના કરવાથી સાધકોને સફળતા મળે છે. સ્મશાનનો અને ભૂતનો જુનો સંબંધ છે. મરીને ભૂત થયેલા લોકો રોગીષ્ટ, ઉંમરલાયક કે પછી આળસુ હોવાથી દૂર જવાને બદલે સ્મશાનની આજુબાજુના ઝાડ પર જ પડ્યા પાથર્યા રહેતા હશે એવી માન્યતા કદાચ આપણા લોકોમાં પ્રવર્તે છે. જોકે ઝાડ પર ચઢવામાં પણ મહેનત કરવી પડે, પરંતુ ભૂત પાસે સુપરપાવર હોય છે એવું આપણે ફિલ્મો અને વાર્તામાં વાંચ્યું છે. ભૂતના ડરને કારણે રાત્રે અને ખાસ કરીને અમાસ કે અંધારી રાત્રે સ્મશાન બાજુથી પસાર થતાં પણ લોકો ડરે છે. ભૂતના અસ્તિત્વ અંગે ભલે તેઓ ચોક્કસ ન હોય, પણ ડરવા માટે ભૂત હોય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી નથી. એટલે જ ઝેર અને ભૂતના પારખા કરવાનું મોટા ભાગે લોકો ટાળે છે.

ગાંધીજીએ પણ આપણને સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા અગિયાર મંત્ર આપેલા છે. કાળીચૌદશે પણ મંત્ર તંત્ર સાધના કરવાનું માહત્મ્ય છે. ગાંધીજીવાળા નહીં. ગાંધીજીના આપેલા મંત્રો આજીવન કરવાના હોય છે. સવારે છાપા સાથે આવતા મફત જાહેરાતના રદ્દી કાગળોમાં મંત્રથી ધાર્યું કામ કરી આપવાની ગેરંટી માત્ર ૫૧/-માં આપવામાં આવે છે. એટલું જ નહીં આ એકાવન પાછાં રીફંડેબલ હોય છે. મંત્ર કરવાથી પ્રેમિકા વશ, બૉસ ખુશ, બીલ પાસ, પત્ની પિયર, ઓવરટેક કરીને પ્રમોશન, પાડોશીના વાઈફાઈનો પાસવર્ડ, નેતાને ઈર્ષ્યા આવે તેટલા વિદેશ પ્રવાસ, પતિને સિગારેટની અને પત્નીને વોટ્સેપની લતમાંથી મુક્ત કરાવવા જેવી અનેક લોભામણી ઓફરો આપવામાં આવે છે. ઉપર જણાવેલા ગાંધીજીના અગિયાર મંત્રો વિષે અજ્ઞાની લોકો આ મંત્રો પાછળ એકાવનથી શરુ કરીને લાખો રૂપિયા સુધી ખર્ચી નાખે છે.

આપણે ત્યાં કોઈ જ્ઞાતિ, સંસ્થા, ટ્રસ્ટ કે સરકારના વહીવટમાં કોઈ પણ જાતના દેખીતા હેતુ વગર ઊંડો રસ લેનારા, દખલ કરનારા, ફાચર મારનારા કે અવરોધરૂપ બનનારા પંચાતીયા અને ખાટસવાદિયા લોકોને ચૌદશ કે ચૌદશીયા કહેવાનો રિવાજ છે. આજકાલ આવા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે પણ ઓળખાય છે. પેલી ‘છમ્મ વડુ’ વાળી વાર્તામાં આવતા બાળકો, જે 'મા મને છમ્મ વડુ' કહીને અડધી રાત્રે બની રહેલાં વડામાં ભાગ માગતા હતા એ, મોટા થઈને ચૌદશીયા બનતા હોય છે એવી વાયકા છે. જેનો પગ આવા ચૌદશીયાના કુંડાળામાં પડે એને લખ ચોરાશી ફેરાનો થાક આ ભવમાં જ લાગી જાય છે. આવા ચૌદશીયા પાછા અલા-બલાથી બચવા કાળી ચૌદશના દિવસે ચાર રસ્તે કુંડાળું કરીને વડા મૂકી આવતા હોય તો પણ નવાઈ નહીં!

મસ્કા ફન

ખુદ બાદશાહની બેગમ મુમતાઝ સુવાવડમાં ગુજરી ગઈ છે ત્યારે શાહજહાં હોસ્પિટલ બાંધવાને બદલે મકબરો બાંધવાના છે. સરકારી ખજાનાનો કેવો દુરોપયોગ ! (આગ્રા સમાચાર, ૧૬૩૨)

Wednesday, October 11, 2017

ધોળવું અને રંગવું

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૧-૧૦-૨૦૧૭

આપણે જાહેરાતમાં જોઈએ છીએ તે પ્રમાણે ફિલ્મ સ્ટાર્સ દિવાળીમાં જાતે પોતાના ઘરમાં રંગકામ કરે છે. એક દીવાલ તો એક દીવાલ, પણ કરે છે ખરા! એમણે કદાચ ટોમ સોયરની વાર્તા વાંચી હશે, અને કદાચ તેઓ લોકોને ધંધે લગાડવા માંગતા હોય એમ બને. સ્ટાર્સને તો આમેય વર્ષે ત્રણ-ચાર ફિલ્મ, એના પ્રમોશન્સ, પાંચ-છ મરણમાં હાજરી આપવાની, સાત આઠ એવોર્ડઝમાં નાચવાનું, દસ બાર જાહેરાતો, વીસ-પચીસ ઉદઘાટન, અને અન્ય પરચુરણ કામ બાદ કરતાં નિરાત જ નિરાંત હોય છે એટલે તેઓ આવો સમય કાઢી શકે. પરંતુ આપણા સામાન્ય માણસને નોકરી-ધંધામાંથી ફુરસદ મળે તો આવા કામ જાતે કરે ને? એટલે જ, રંગકામના કારીગરોને જીએસટીના માર, મંદીના પડકાર, અને મોંઘવારીના હાહાકાર વચ્ચે કામ મળી રહે છે. એટલું મળી રહે છે કે મારા હાળા ભાવ ખાય છે, તમારે ઘેર કામ જોવા આવવાનાય !

પરંતુ તાત્વિક રીતે જોઈએ તો બંને રંગકામના જ પ્રકાર હોવા છતાં ધોળવા અને રંગ પુરવા વચ્ચે મોટો તફાવત છે. રંગ પુરવાની વાત આવે ત્યારે મોટેભાગે બધાને ચિન્ટુ કે ચિંકીનું ડ્રોઈંગનું હોમવર્ક જ યાદ આવે. કામની રીતે જોઈએ તો રંગ પુરવાના કામમાં લાગતા સમય કરતાં ચોકસાઈનું વધુ મહત્વ હોય છે. એમાં રંગને સીમાઓની વચ્ચે બાંધવાનો હોય છે. ધોળવાનું કામ ઘરધણી સાથે નક્કી થયેલી સમય મર્યાદામાં પૂરું કરવાનું હોય છે, જયારે રંગ પુરવામાં પીંછીનો એક લસરકો મારો એ પહેલાં લસરકાની દિશા, ભાર અને રંગની માત્રા તથા પ્રકાર વિષે ગહન વિચારણા માગી લેતું કામ છે. આજ દિન સુધી કોઈ કળારસિકે તાજી ધોળેલી દીવાલનું નિરીક્ષણ કરીને ગંભીર ચહેરો કરીને “કલાકારે કૂચડાની મદદથી કેનવાસથી પણ ઝીણા પોત જેવી પ્લાસ્ટરની સપાટી પર ચૂના, ફેવિકોલ અને ગળીના માધ્યમથી કરેલું કામ રેનેસાં સમયના યુરોપની કળા વિભાવનાને ઉજાગર કરે છે” એવું કહ્યું હોય તો અમારા ધ્યાનમાં નથી. આમ જોઈએ તો રંગ પુરવા અને ધોળવા બંનેમાં કોઈ નિશ્ચિત સપાટી ઉપર રંગને ફેલાવવાનો જ હોય છે. પણ ધોળવામાં ઓછા સમયમાં વધુ વિસ્તારને ન્યાય આપવાનો હોય છે. એકમાં ચીવટ અને ધીરજની જરૂર હોય છે જયારે બીજામાં મહેનત અને ઝડપનું મહત્વ છે. ધોળવામાં પણ ચૂનો લગાવવાનો હોય છે પણ વ્યવહારમાં ચૂનો લગાવવાના કામને ઘર સજાવટમાં નહિ પણ આર્થિક વ્યવહારોમાં અનિયમિતતા હેઠળ સામેવાળાનો માલ પોતાનો કરી દેવાની ક્રિયાને કહે છે. લગ્ન પ્રસંગ કે દિવાળી જેવા તહેવાર નિમિત્તે મહિલાઓ દ્વારા કરવામાં આવના મેકઅપના કામમાં ધોળવા અને રંગ પુરવા બંનેની વચ્ચેના કૌશલ્યની જરૂર પડે છે.

દિવાળીમાં રંગકામ કરવાનું આમ તો બે સંજોગોમાં ઉભું થાય છે; એક, ગજવામાં બે-ચાર લાખ વધારાના પડ્યા હોય અને બે, પાછળ ઘરમાં લગન આવતું હોય. બંને સંજોગોમાં કોઈ મિત્રના ઘેર કોઈ એ કામ કર્યું હોય એની ભલામણને આધારે કલરકામના કોન્ટ્રાક્ટરની નિમણુક કરવામાં આવે છે. કોઈ રાષ્ટ્રીય નેતાના શહેરમાં આગમન ટાણે જે સ્ફૂર્તિથી ફૂટપાથ અને રેલીંગને રંગ થાય છે, તેટલી સ્ફૂર્તિથી ઘરનું કલરકામ નથી થતું. એકવાર આ કલરકામ કરતી ગેંગ ઘરનો કબજો જમાવે ત્યાર પછી ઘરધણીની હાલત ભાડુઆત જેવી થઇ જાય છે. કલર કરનારા જે નિરાંતથી કલરકામ કરતા હોય છે એટલી નિરાંતથી જો સલુનમાં દાઢી કરવામાં આવતી હોય, તો ટી બ્રેક અને બીડી બ્રેક ઉપરાંત માલ ખૂટ્યો, કારીગરને કૂતરું કરડ્યું, કરીગરની માસીનું મરણ, અમાસ વગેરે કારણોસરના બ્રેક ગણતા તમે સોમવારે સવારે દાઢી કરાવવા બેઠા હોવ તો બુધવારે બપોરે બદલીમાં આવેલો ચોથો કારીગર દાઢી પરના સુકાયેલા સાબુ પર પાણી છાંટીને ‘હમણાં સાબુ લઈને આવું છું’ કહીને નીકળી જાય તે છેક શુક્રવારે ‘મારા દાદા દાંતનું ચોકઠું ગળી ગયા હતા તે બે દિવસથી હું હોસ્પીટલમાં હતો’ એવા કારણ સાથે કામ પર હાજર થાય ! આ સમય દરમ્યાન તમે ઈચ્છો તો એના જ સાધનોથી જાતે દાઢી પણ કરી શકો, પરંતુ ધોળવામાં તમારી પાસે એ વિકલ્પ પણ હોતો નથી !

પાછી આપણા દેશમાં કારીગરોની એક ખાસિયત છે. તેઓ કદીય પુરેપુરા હથિયાર સાથે નથી આવતા. સારું છે આપણા કારીગરોને સૈન્યમાં ભરતી નથી કરતા, નહીતર આપણા પર હુમલો કરનારના સેનાપતિને મળીને ગોળીઓ, બંદુક, બાઇનોકયુલર જેવી વસ્તુઓ માંગતા હોય એવા વિડીયો વાઈરલ થાય. અમને તો શંકા છે કે ભૂતકાળમાં જે વિદેશી આક્રમણકારો ભારતમાં પગપેસારો કરવામાં સફળ થયા એના કારણો ચકાસો તો એ વખતે માણસોની તંગીને કારણે આ કારીગરોને સૈન્યમાં ભરતી કર્યા હોય એવો ઈતિહાસ મળી આવશે. સાચે, રંગકામ કરવા આવે એટલે સૌથી પહેલા આપણી પાસે ડબ્બો ખોલવા ડિસમીસ માંગીને માંગણકામના શ્રીગણેશ કરે છે. પછી ગાભા, સ્ટુલ, કોપરેલ, જુના ડબલા, ડોલ, હથોડી, ચપ્પુ, સાબુ જેવી વસ્તુઓ એક પછી એક માંગીને આપણને નવરા પડવા નથી દેતા. આવામાં કારીગર આગળ ઘરધણી એટલો લાચાર બની જાય છે કે પેલો ડબ્બામાં કલર હલાવવા મૂળો માંગે, તો મૂળો ખરીદવા ઘરધણી બાઈકને કીક મારી બેસે છે !

રંગ કરવાથી ખંડેરમાં પણ રોનક આવી જાય છે. એક રંગ બનાવતી કંપની તો ત્યાં સુધી દાવો કરે છે કે એમની કંપનીના રંગ લગાડવાથી દિવાલો બોલી ઉઠશે. હવે પરણેલા માણસને આવું ક્યાંથી પોસાય? અને સ્ત્રીને પણ આવી કોમ્પીટીશન પણ ક્યાંથી પોસાય? આવી બેઉ પક્ષને હાનિકારક હોય એવી જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ.

મસ્કા ફન

સુરતી મિલી (અલીને) : તું કરવા ચોથ? મેં તો ની કરવા ...

Wednesday, October 04, 2017

સલાહો સિઝનલ બૌદ્ધિકોની

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૪-૧૦-૨૦૧૭


બુલેટ ટ્રેનની ટીકા થઈ રહી છે. બુલેટ ટ્રેનનો ખર્ચ કરવાને બદલે રોડમાં ખર્ચ કરવો જોઈએ એવો મત અમુક લોકોએ વ્યક્ત કર્યો છે. અમુક મોસમી બૌદ્ધિકો તો એવા મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી વિમાન ખરીદવામાં આવે તો એનાથી કેટલા વિમાન આવી જાય અને કેટલા લોકો ટ્રેન જેટલા કે એનાથી પણ ઓછા ખર્ચમાં મુસાફરી કરી શકે. અમને લાગે છે કે આ લોકોની વાતમાં દમ છે. અને આપણે બુલેટ ટ્રેન માટે જ નહીં આપણી રોજબરોજની જિંદગીમાં પણ આવું ઘણું બધું નિવારી શકીએ એમ છીએ, પરંતુ પહેલા સરકાર શું કરી શકે એનાથી શરૂઆત કરીએ.

ધારો કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી ચડ્ડીઓ બનાવવામાં આવે તો એક ચડ્ડીના દોઢસો રૂપિયા ગણતા ૧૨૧ કરોડ જનતાને વ્યક્તિ દીઠ સાડા પાંચ ચડ્ડી વહેંચી શકાય! આમાં અડધી એટલે કે એક બાંયવાળી ચડ્ડી તો રણવીર સિંહ જેવા સ્ટાઈલ આઇકોન સિવાય કોઈ પહેરે નહિ એટલે પાંચ જ ગણવાની અથવા બે અડધી ચડ્ડી ભેગી કરી અને એક ચડ્ડી બનાવી બે જણા વચ્ચે એક એમ વહેંચી દેવી પડે. પણ વિચારો કે સરકાર અલગ અલગ કલરની ચડ્ડીઓ વહેંચે તો સરકારને પણ કેટલો ફાયદો. પહેરનાર પણ અઠવાડિયામાં પાંચ દિવસ પાંચ જુદી જુદી ચડ્ડી પહેરીને જઈ શકે. પેલી અડધી ચડ્ડીનું કાપડ વધે એની થેલીઓ બનાવીને આપો તો પણ બે થેલી બને અને એના લીધે કેટલા બધા પ્લાસ્ટીકના ઝભલાનો કચરો થતો અટકે? હવે તમે એમ ના કહેતા કે ચડ્ડી પહેરીને તે ઓફીસ જવાતું હશે? ના, તમે એવું ના કહી શકો. ભાઈ, બુલેટ ટ્રેનને બદલે સાદી ટ્રેન ચાલતી હોય તો પેન્ટને બદલે ચડ્ડી પણ ચાલે જ હોં! પ્લીઝ હવે વધારે દલીલ ના કરતાં! તમે હવે એમ કહેશો કે અમે એવી સરકારે આપેલી ચડ્ડી શું કામ પહેરીએ? યુ આર રાઈટ. તમારી પાસે શું પહેરવું એ નક્કી કરવાનો હક છે જ. જેમ તમે બુલેટ ટ્રેનના બદલે, હમણાં આપણા વ્હાલા રાહુલજી ગયા હતા એમ, બળદગાડામાં મુસાફરી કરવા માંગતા હોવ તો તમને કોણ રોકી શકે? રસ્તામાં બેઠેલી ગાય સિવાય કોઈ નહીં!

ચલાવી લેવાનું આમેય આપણા સંસ્કારમાં છે. દેખાવડી છોકરી મળે તો ભણતર અને એનઆરઆઈ છોકરો મળે તો દેખાવ ચલાવી લઈએ છીએ. એમબીબીએસમાં ન મળે તો ડેન્ટલમાં લઈ લઈએ છીએ. રીંગણનું ભાવતું હોય ને રોજ કોબીનું બને તો એ ચલાવી લઈએ છીએ. શાકમાં સ્વાદ ન મળે તો એમાં સોસ નાખીને ચલાવી લઈએ છીએ. અમે તો મોબાઈલમાં પણ નવું મોડલ આવે એટલે ઘટેલ ભાવનું ઉતરતું મોડલ ખરીદીએ છીએ. કિન્ના બાંધવાની આળસે, દોરી ઝૂમઝૂમ થઇ જવાની ચિંતા કર્યા સિવાય, પકડેલો પતંગ ચગાવી મારીએ છીએ. નવી સ્ટોરી કે નવી ધૂનો ન મળે તો રીમેઈક અને રીમીક્સ કરીને કામ ચલાવી છીએ. પણ, આપણે ઉત્સાહમાં આવીને જ્યારે કૈંક વિશેષ કરવા માંગતા હોઈએ એના બદલે આપણને બીજું જ કરવાનું કહેવામાં આવે ત્યારે આપણી દશા ફીઝીક્સની કાપલીઓ લઈને બેઠેલા પરીક્ષાર્થીને મેથ્સનું પેપર આપ્યું હોય એવી થઇ જતી હોય છે.

શરૂઆતમાં જણાવ્યું એવા ‘મોસમી બૌધિકો’ દર તહેવારે આપણે શેના બદલે શું કરવું એની સલાહો આપવા ઉપસ્થિત થઇ જતા હોય છે. દિવાળીથી શરુ કરીએ તો હવાનું પ્રદૂષણ ન થાય અને મૂક પશુ-પક્ષીઓને ખલેલ ન પહોંચે એ માટે આપણને ફટાકડા ન ફોડવાની કે અવાજ વગરના ફટાકડા ફોડવાની સલાહ આપવામાં આવે છે. સારું છે આપણને ફટાકડાને બદલે ઈજ્જતના ભડાકા, વાછૂટના ધડાકા, ચાબુકના ફટાકા અને લાફાના સટાકાથી ચલાવી લેવાનું નથી કહેતા. દિવાળી પછી ઉત્તરાયણ પર પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓના વોટ્સેપ ફોરવર્ડઝ મોકલી મોકલીને આપણને સેન્ટી કરી મૂકવામાં આવે છે. આ કિસ્સામાં પતંગ-દોરીના બદલે ઉત્તરાયણ કેવી રીતે કરવી એનો કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી. શું કવિ આપણને ‘નજરુંના પેચ’ લડાવીને ઉત્તરાયણ ઉજવવાનું સૂચન કરી રહ્યા હોય છે? કે પછી પ્રજાએ લંગસીયા લડાવીને, ઘચરકા લડાવીને અથવા માત્ર તલસાંકળી, બોર, જામફળ, શેરડી ખાઈને ઉત્તરાયણ કરવાની? આ બાબતે ‘સીઝનલ બૌદ્ધિકો’ ચૂપ છે. આવા સીઝનલ બૌદ્ધિકો શિવરાત્રી ઉપર શિવજીને ચઢાવવામાં આવતા દૂધ સિવાય બીજી કોઈ બાબતમાં ઝારો મારતા નથી એ ગનીમત છે. એની પાછળ શિવજીના ત્રિશુળની કે પછી પોઠિયાના શીંગડાની બીક પણ હોઈ શકે. તમને ઇન્સ્યોરન્સ પ્રીમીયમ ભરવાનું રીમાઈન્ડર કદાચ મોડું મળે પણ હોળી ઉપર પાણીના બદલે ચપટીભર સુકા રંગોથી હોળી ઉજવવાના વોટ્સેપ ફોરવર્ડ્ઝ સમયસર મળી જશે. આ કીસ્સામાં પાંચ મીનીટમાં હોળીનો કાર્યક્રમ ‘પતાવ્યા’ પછી બચેલા સમયમાં સૌ મળીને દેશ ભક્તિના ગીતો ગાય, સાયકલ ઉપર દારુબંધીનો પ્રચાર કરવા નીકળે કે પછી ધ્યાન-યોગથી સ્વાસ્થ્ય સુધારે એવા સુઝાવ તમને આવનારી હોળી પર મળી શકે. ચૈત્રી નવરાત્રી, રક્ષાબંધન અને રથયાત્રા ઉપર આવા બૌધિકો જન્માષ્ટમી પર રમાતા જુગાર સામે મેદાને પડવાની શક્તિ એકઠી કરવા માટે ચોમાસામાં શીતતંદ્રામાં જતા રહેતા હોય છે. જોકે આ લડાઈ બે માર્યાદિત જૂથો વચ્ચેની હોઈ બાકીની પ્રજાને કોઈ લેવાદેવા હોતી નથી. નવરાત્રીમાં બાર વાગે ગરબા બંધ કરાવવા સિવાય બીજો કોઈ ફેરફાર કરાવી શક્યા નથી એનો અફસોસ આ મોસમી બૌદ્ધિકોને ચોક્કસ થતો હશે. એ લોકો કદાચ ખાનગીમાં ચણીયા-ચોળી, કેડિયા-ચોયણી કે તાલી-દાંડિયાના અવાજથી થતા પ્રદૂદ્ષણ ઉપર સંશોધન પણ કરાવતા હોઈ શકે. અમને તો લાગે છે કે આવનારા સમયમાં આવા સીઝનલ બૌદ્ધિકો મૂછ વગરની ફોઈને કાકા કહેવાનો આગ્રહ પણ કરી શકે, ઓફકોર્સ ફોર અ ચેન્જ.

મસ્કા-ફન

જેને વોટ્સેપ પર ‘મ્યુટ’ કરેલો હોય

એ રૂબરૂમાં બકવાસ કરી જાય

ત્યારે અમને ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે.

Wednesday, September 27, 2017

નવરાત્રીમાં નવતર કરો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૭-૦૯-૨૦૧૭

ખેલૈયા નવરાત્રીના બે મહિના પહેલા ડાન્સ ક્લાસમાં જઈ નવા સ્ટેપ્સ શીખે છે. મહિનો બાકી રહે ત્યારે નવી ડિઝાઈનના ચણિયા-ચોળી બનાવવા માટે દોડાદોડી થતી હોય છે. અઠવાડિયું બાકી રહે ત્યારે ભાઈઓ જાગે છે અને ઝભ્ભા ખરીદવા નીકળે છે. એક દિવસ બાકી હોય ત્યારે નવી એસેસરીઝ માટે લો ગાર્ડન પર ભીડ જામે છે. બાકી રહી ગયા હોય એ ભાડુતી ડ્રેસ લાવે છે. ગાનારા પણ નવા ગરબા શોધે છે અને રીહર્સલ કરે છે. આયોજકો સ્ટેજ બે ફૂટ વધારે પહોળું બનાવે છે કાં એન્ટ્રન્સ ગેટમાં કૈંક નવું કરે છે. ટૂંકમાં નવરાત્રી આવે એટલે બધા નવું લાવે છે. આવા નવા પ્રયોગો 'નવું નવ દહાડા' કહેવતને સાચી ઠરાવવા નવ દહાડા ચાલે છે અને બીજા વર્ષે વાસી થઇ જાય છે. છતાં દર વર્ષે નવું કરવાના પ્રયાસો થતા રહે છે.

આજકાલ નવરાત્રીના ચણિયાચોળી અને લગ્ન પ્રસંગના પાછા જુદા હોય છે. લગ્નના ગરબામાં કેડિયું-ચોયણી પહેરનાર અણવર વાંઢો રહે છે. નવરાત્રીના ચણીયા ચોળી અને કેડિયા વરસમાં માત્ર નવ દહાડા જ પહેરવાના હોય છે. એમાં દર વર્ષે નવ દિવસના નવ ડ્રેસ ક્યાંથી લાવવા? આમાં પણ સુધારાની જરૂર છે અને થોડા પ્રેક્ટિકલ લિમિટેશન પણ છે. જેમ કે ચણિયાચોળીમાં પાછળ દોઢ કિમી સુધી લંબાતા પ્રિયંકા અને ઐશ્વર્યા જેવા ગાઉન ન લવાય નહીંતર પછી તમારા ડ્રેસ પર જ લોકો ગરબા કરે! એમાં સોસાયટી કે ફ્લેટના ગરબા હોય તો કો'ક સ્વચ્છ ભારતનો સમર્થક ફરમાઈશ પણ કરે કે 'જરા અમારા આંગણામાં પણ રમી જજો ને!' જે સાફસૂફી થઇ એ. પેલી પણ 'જુઓ અમારા ય ફેન છે' એમ સમજીને એની સાથેના બે સેલ્ફી ઇન્સટા પર અપલોડ પણ કરે! આ રીતે પણ તહેવારમાં હૌ હૌની રીતે ખુશ રહે અને એ રીતે યુનિવર્સનું એનર્જી લેવલ ઉંચુ આવતું હોય તો આદ્યશક્તિ માને શું વાંધો હોય!

જેમ સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સ ગીયરની જરૂર પડતી હોય છે એમ ગરબામાં છેલ્લા કેટલાક સમયથી ગરબા ગીયર્સની માંગ ઉઠી છે. આજકાલ તો ઘરવખરી અને કિચેનવેરને બાદ કરતાં બાકીનો સામાન ખેલૈયાઓના ડ્રેસ પર જોવા મળે છે. કેડિયા ઉપર પોપટ, મોર, હાથી લટકાવવાનું કે પેચવર્કના તોરણીયા અને ચાકળા કમરે બાંધવાનું તો ઠીક પણ હવે તો કેડિયા પર નાની ખાટલી અને જમતી વખતે પગ નીચે મુકવાનું ઢીંચણિયું લાટકાવેલું પણ જોયું છે. ખેલૈયાઓને જજ કરતી વખતે કેડિયાની નીચે મમ્મી કે બહેનનું સલવાર પહેરેલું પણ જોવા મળી જાય છે. ઈનોવેશનના નામે હવે એલઈડી લાઇટ્સ, યુવી લાઇટ્સ, રેડિયમ ટેપ્સ અને લેસર લાઇટ્સ લગાડેલી જોઈ છે. સાયકલના વ્હીલ સાથે ગરબા ગાતા ખેલૈયાના ફોટા છાપામાં આવી ગયા છે. હવે હેર સ્ટાઇલની રીતે મેદાનો હાર્દિક પંડ્યા, શિખર ધવન અને કોહલીના અંતેવાસીઓથી ઉભરાય છે. સરવાળે આમિર હોય કે ઝૂંપડપટ્ટીનો વાસી હોય, 'માના આંગણે સૌ સરખા' ઉક્તિ સાચી ઠરતી લાગે છે.

કપડાં સિવાય પણ ખેલૈયાઓમાં દર વખતે નવું શું કરવું એની હોડ ચાલતી હોય છે. આમાં વર્ષો પહેલા બરોડાવાળા જે ઘો ઘાલી ગયા છે એના પરિણામે ખેલૈયાઓની ત્રણ ત્રણ પેઢીની નવરાત્રી ડિપ્રેસનમાં ગઈ. બન્યું એવું કે પરંપરાગત રીતે આપણે ત્યાં ચાર કાઉન્ટના બે તાળીના ગરબા ગાવાનો રિવાજ હતો. સ્ત્રીઓ ત્રણ તાળીના ગરબા કરતી. પણ બરોડાની બાયડી પૈણી લાવનારાઓ કે બરોડા જઈને બે ચોપડી ભણી આવનારા લોકો એમના બરોડાનો ઝંડો હેઠે મુકવા તૈયાર જ નહોતા! અમારે બરોડામાં તો એકલું દોઢિયું જ થાય. અમારે બરોડામાં તો બધા સર્કલમાં એકજ સ્ટાઈલથી ગરબા કરે! તમારું ભલું કરે ભોગીલાલ, તમે એલેમ્બિકના પ્લાન્ટમાં કન્વેયર બેલ્ટ પર કફ સીરપની બાટલીઓ સરકતી જોઈ હોય એનું અનુકરણ ગરબામાં કરો તો અમારે પણ કરવું ફરજીયાત છે? તમારું દોઢિયું તમારા વડોદરાનું લોકનૃત્ય હશે, અમારે તો આખા ગુજરાતનું સાચવવું પડે. અમને વડોદરું પકડીને બેસી રહેવું ન ફાવે. અમારી પબ્લિક માથે પાઘડીનો ભાર ખમે છે એ ય ઘણું છે, બાકી શહેરના સંસ્કારનો બોજ તો ટ્રાફિકમાં પણ રાખે એવી નથી. કમનસીબે આ સાંસ્કૃતિક આક્રમણને ખાળનારું કોઈ ન નીકળ્યું! અહીંની પબ્લિક પાસે પણ એવા દોઢિયા અઢિયા કરવાનો કે સર્કલ કરવાનો ટાઈમ પણ ક્યાં હતો! તો પણ અહીં અમદાવાદ બોર્ન કંફ્યુઝ્ડ બરોડીયનોનો એક મોટો વર્ગ અસ્તિત્વમાં આવ્યો જે પોતાને આવડે એવા સ્ટેપને દોઢિયુ, પોપટીયુ, હીંચ, હુડો અને ચિચુડોનું નામ આપીને મઝા કરતો થઇ ગયો. હજી બરોડાવાળા દોઢિયામાં ગોળ ગોળ ફરે છે જયારે અહી તો એવી સ્ટાઇલ્સ ડેવલપ થઈ છે જેના સ્ટેપ્સ વર્તુળાકારના બદલે સીધી દિશામાં કરો તો ઢોલવાળો સમ પર આવે એ પહેલા તમે અમદાવાદથી સીધા વડોદરા પહોંચી જાવ!

કમનસીબે ગરબામાં જેટલી વરાયટી ડ્રેસમાં અને સ્ટેપ્સમાં જોવા મળે છે એટલી ફૂડમાં નથી મળતી. ત્યાં ખીચા, ઢોકળા, મેગી, ભાજીપાઉં અને વડાપાઉં જેવા, યુવા ફિલ્મ ક્રિટિકની ભાષામાં કહીએ તો ચવાઈને કુથ્થો થઈ ગયેલા, ફૂડ મળે છે. અરે દોસ્તો તમારી ક્રીએટીવીટી ઓછી પડતી હોય તો અમે નવા નામ આપીએ પછી એમાં શું નાખવું એ તમે નક્કી કરી લેજો! જેમ કે ચોકલેટ પ્રાઈમ પાઉં (વડાપાઉં), કેપુચિનો પાણીપુરી (પાનીપુરીમાં કોફી), લેટ ફ્રાઈડ બ્રેડ એન્ચીલાડા (સવારની વધેલી રોટલી વઘારીને બને એ), લસણની ચટણીનો આઈસ્ક્રીમ, માર્ગારીતા પોટેટો ફ્લેટ રાઈસ (ચીઝ બટાકા પૌઆ) અને ખીચું મેથીનો સાલસીનો જેવી સાવ નવી આઈટમ્સ રજુ કરી શકાય! યાર, કંઈ નહીં તો એટલીસ્ટ નામ તો નવા લાવો!

મસ્કા ફન

કિંજલ: જલ્દી ચલ અલી 'કુમકુમના પગલાં પડ્યા ...' ગરબો ચાલુ થયો.
પિંકલ: તું જા. મારો પગ પોદળામાં પડ્યો છે તે ધોઈને આવું.

Wednesday, September 20, 2017

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૦૯-૨૦૧૭

Pakistani Bullet Train
બુલેટ ટ્રેન હવે હાથવેંતમાં છે. પછી તો અમદાવાદથી ટ્રેન ઉપડે- કે ડાબા હાથમાં તમાકુ લઈ, એમાં સ્ટીલની ડબ્બીમાં રહેલા ચુનામાં બોળેલી જમણા હાથની પહેલી આંગળી હથેળીની દક્ષિણ-પશ્ચિમથી શરુ કરી ઉત્તર-પૂર્વ દિશામાં ઘસી, અડોશ-પડોશમાં બેઠેલા લોકો સાથે જુના જમાનામાં કેવા અમદાવાદથી મુંબઈ પહોંચતા કેવા દસ કલાક થતા હતા- તેની લાંબી વાતો કરતાં કરતાં, મિશ્રણ ઉર્ફે ફાકી ડાબા હાથના મધ્યભાગમાં તૈયાર થાય એટલે જમણા હાથની પહેલી બે આંગળીઓ જાણે તબલા પર થાપ આપતા હોય એમ ફટકારી, હથેળીમાં રહેલી ઝીણી રજ ઉડાડી, જમણા હાથની ચપટીમાં લઈ, મ્હો પહોળું કરી, નીચેના હોઠ અને દાંત વચ્ચેના પોલાણમાં ધરબી, અને પછી થૂંકવાળા હાથ પેન્ટ પર લુછી અને બે હાથ વડે તાલી પાડો, અને વાતને અનુસંધાનથી આગળ વધારો- તેટલામાં તો મુંબઈના જીર્ણ મકાનો, નાળાઓ અને ભીડ દેખાવા લાગે. જસ્ટ ચપટી વગાડો એટલામાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પાછા અમદાવાદ!

આમ છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવવામાં અનેક વિટંબણાઓ આવશે, જેમ કે: યોજનાનો દૂરની દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો દ્વારા વિરોધ, રાજકીય વિરોધ, ખર્ચ, ટેકનીકલી ચેલેન્જીંગ પ્રોજેક્ટ વગેરે. પરંતુ અમારા મતે સૌથી મોટી સમસ્યા પાસ હોલ્ડર્સ એસોસિયેશનને કન્ટ્રોલ કરવાનું રહેશે. રાત પડે પુષ્પાના હાથની ખિચડી ખાધા વગર જેમને ઊંઘ નથી આવતી એવા પતિદેવો બુલેટ ટ્રેન ચાલુ થતા અમદાવાદ-મુંબઈ વચ્ચે અપડાઉન કરવા કુદી પડશે. સ્વાભાવિક છે કે બુલેટ ટ્રેનના કંઈ પાસ ન હોય અને એ બધા સ્ટેશને ઉભી પણ ન રહે. એમાં પાસ હોલ્ડરો આરબના ઊંટ જેવા હોય છે. એકવાર જો બુલેટ ટ્રેનમાં આ પાસ હોલ્ડર ઘુસ્યા, તો પછી બારીઓમાંથી રૂમાલ, છાપા, અને માત્ર ગેન્ગના નામને આધારે સીટોનું રીઝર્વેશન શરુ થઇ જશે અને એ પણ રેલવેને રૂપિયો આપ્યા વગર! જોકે સામે પાસ હોલ્ડર્સ કોચમાં ચાલતું હોય છે એવું પેસેન્જરોને ભજન-કીર્તન અને ગીત-ગઝલના ગ્રુપથી લઈને રમી-તીનપત્તીની બેઠકો ઉપરાંત વારેતહેવારે કથાનો પણ લાભ મળતો થશે એની ખાતરી રાખજો.

આપણે ત્યાં સુપર ફાસ્ટ ટ્રેનો શરુ થાય એ પછી પરંપરાગત રીતે ‘તંબૂરાવાદને સ્ટોપેજ આપો’ અને ‘તબલાસણને સ્પેશીયલ કોચ આપો’ની માંગ સાથે આંદોલનો શરુ થતા હોય છે. આમાં ને આમાં કેટલીય સુપરફાસ્ટ ટ્રેનો, જેની ટીકીટ પર સપ્લીમેન્ટરી ચાર્જ પણ લેવાતો હોય છે, એ લોકલ ટ્રેનો બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં ઉમેદવારો પણ રૂટમાં આવતા દરેક ગામને સ્ટોપેજ અપાવવાનું વચન વહેંચતા ફરે છે. હાઈસ્પીડ ટ્રેન બે રાજ્યોના મેટ્રો શહેરોને જોડશે એટલે રાજકીય પક્ષો પાસે પણ સત્તા મેળવવાના હેતુથી સ્ટોપેજના મુદ્દે આંતરરાજ્ય વિગ્રહ ઉભો કરવા માટે પણ દારૂગોળો મળી રહેશે. જોકે ટ્રેનમાં ધારાસભ્યો અને સંસદસભ્યો માટેનો સ્પેશીયલ ક્વોટા અને મફત મુસાફરી બાબતે સૌ એકમત થઇ જશે એ વિષયમાં બેમત નથી.

દરેક ધંધામાં આજે વિકાસની ભૂખ દેખાય છે. રેલવેના ફેરિયાઓ અને ભીખારીઓ એ પણ હાઈસ્પીડ ટ્રેઈનમાં પોતાના ધંધાના વિકાસની, સોરી ધંધાના વિસ્તારની સ્ટ્રેટેજી બનાવવાની રહેશે. આમાં વિરોધપક્ષોનો પણ ટેકો મળી રહેશે, કારણ કે આપણે ત્યાં દરેક મોટા પ્રોજેક્ટમાં ગરીબો, ખેડૂતો અને નાના વેપારીઓનું હિત સૌ પહેલું જોવાય છે. શક્ય છે કે રેલ્વે તરફથી ભીમ એપથી કેશલેસ ભીખ માગવાની શરતે ભીખ માંગવાના સ્પેશિયલ પરવાના કાઢવામાં આવે. આમ છતાં આ હાઈટેક પ્રોજેક્ટ હોઈ ફેરિયાઓ અને ભિખારીઓએ પોત પોતાની રીતે પણ હાથપગ મારવા પડશે, એ નક્કી છે. ફેરીયાઓએ પહેલાં તો ટ્રેનમાં ઘૂસવાની, અને ઘૂસ્યા બાદ માત્ર બે અઢી કલાક જેવા સમયમાં આખી ટ્રેન કવર કરવાની પ્રેક્ટીસ પાડવાની રહેશે. આ ઉપરાંત ટ્રેનમાં ફૂડ સર્વિસ ઉપલબ્ધ હોય તેવામાં બીજી કઈ આઈટમ ચાલશે તે અંગે આઇઆઇએમ જેવી સંસ્થાના હોનહાર વિધાર્થીઓ શક્યતાદર્શી અહેવાલ કરે તો એ ફેરિયાઓના જીવનમાં અજવાળું પથરાશે અને અંગ્રેજી છાપાઓ અને સોશિયલ મીડિયા પર તેમના ગુણગાન પણ ગવાશે.

બુલેટ ટ્રેનમાં ટૂંક સમયમાં મુંબઈ પહોંચાશે એ જ એક સમસ્યા છે ઘણા માટે. આપણે ત્યાં સિગ્નલ અને લાઈનને બાદ કરતાં કોઈ વાતની આપણી પ્રજાને ઉતાવળ નથી હોતી. ટોલબુથ પર ટીકીટ આપનારથી લઈને પાર્કિંગમાં ટુ-વ્હીલર પર બેસી કલાકો ગપ્પા મારતા નવજુવાનીયાઓને જુઓ, કોઈને ઉતાવળ નથી. તો પછી બુલેટ ટ્રેન દ્વારા વહેલા પહોંચીને ભૂલા પડવા જેવું જ થાય ને? અત્યારે તો ટ્રેનમાં અમદાવાદથી સાડા ત્રણ કલાક સફર કરી ને તમે સુરત ઉતરો ત્યાં સુધીમાં તો સહપ્રવાસી સાથે કેટલીય ઓળખાણો નીકળે અને ‘ફરીવાર આવો તો ચોક્કસ ઘેર આવજો’ એવા કોલ-કરાર પણ થઈ જાય! આમાં સાલું આપણે નવી મુંબઈમાં ઓફીસ સ્પેસ શું ભાવ પડે જેવી જાણવાજોગ માહિતીથી માંડીને અમદાવાદમાં ઢાલગરવાડ ક્યાં આવ્યું? લો ગાર્ડનના ચણિયાચોળીમાં કેટલું બાર્ગેઇનિન્ગ થાય છે? જેવી ક્રીટીકલ માહિતીની આદાનપ્રદાન કરીએ તે પહેલા તો મુકામ આવી જાય! પછી સામેવાળાના ડોહા અંગ્રેજો સાથે શિકાર કરવા ગયા ત્યારે વાંદરું કેવું પાછળ પડ્યું અને ભાગતી વખતે ધોતિયું કેવી રીતે કાંટામાં ભરાયું વગેરે વગેરે રસપ્રદ વાતો કરવાની જ રહી જાય! ને પછી ભલે બિસ્કીટ બનાવતી કંપનીનો ઝોનલ મેનેજર અને સ્ટાર્ટઅપ કંપનીનો સવા ત્રેવીસ વરસનો સીઈઓ સામસામે બેઠા હોય, પણ એમને આખો કમ્પાર્ટમેન્ટ સાંભળે એ રીતે મોટ્ટી મોટ્ટી વાતો કરવાનો સમય જ ન મળે! ધનતેજવી સાહેબના શબ્દોમાં કહીએ તો “બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર”. હાઉ મીન! આવી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાની શું લૂમ મઝા આવે?

મસ્કા ફન
માશુકા: તમે મારી આંખોમાં જોતા જોતા સિંગ ભુજિયાના ફાકડા કેમ મારો છો?

કવિ: પ્રિયે, તારી આંખોના જામ સાથે બાઈટીંગ તો જોઈએ ને!

Wednesday, September 13, 2017

ઓક્સફર્ડમાં ચડ્ડી હોય સાર્થમાં શોર્ટ્સ ના હોય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૦૯-૨૦૧૭

ગુજરાતીઓ દાળ-શાકમાં ગોળ, છાશમાં દૂધ, સેન્ડવીચમાં સેવ, ખાખરામાં ભાજીપાઉંનો સ્વાદ ઉમેરે છે. ટૂંકમાં ગુજરાતીઓ ભેળસેળમાં એક્સપર્ટ છે. લો, આ વાક્યમાં એક્સપર્ટ શબ્દ વાપરી ગુજરાતીમાં ઈંગ્લીશની ભેળસેળ થઈ ગઈ. ઈંગ્લીશ નહીં અંગ્રેજી. ગુજરાતીઓ શુદ્ધ ગુજરાતીમાં બોલી નથી શકતા. લેખકો શુદ્ધ ગુજરાતીમાં લખી નથી શકતા. આવી ફરિયાદો થતી રહે છે. પરંતુ આપણે અંગ્રેજી ખોટું તો ખોટું, આખું નહીં તો અડધું બોલીએ તો છીએ ને? કેટલા અમેરિકન કે બ્રિટીશરો ગુજરાતી કે હિન્દી બોલી શકે છે? અને બ્રિટીશર જો હિન્દી બોલે તો આપણે ઓળઘોળ થઈ જઈએ છીએ. એ ગરબા કરે તો આપણે ભાવવિભોર થઈ મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરી ફોરવર્ડ કરતાં ફરીએ છીએ. પરંતુ આપણે જો વેસ્ટર્ન ડાન્સ કરીએ તો લોકો આપણી ખોડ કાઢે છે કે આને ગોળ ફરતા નથી આવડતું. ગુજરાતી હસબન્ડ પત્ની સાથે બોલ ડાન્સ કરે તો એને પીપડા દેડવતા મજૂર સાથે કમ્પેર કરાય છે. પણ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરનાર ગુજરાતીના પ્રયાસને કેમ કોઈ વખાણતું નથી! જસ્ટ ફોલ્ટ ફાઈન્ડ કરે છે. ધીસ ઈઝ ડીસગસ્ટીંગ!
--
આપણે વિદેશી આસાનીથી અપનાવી લઈએ છીએ એટલા આપણે બ્રોડ માઈન્ડેડ છીએ. આઈ મીન, આપણે ખુલ્લા દિલના છીએ. ના, ‘માઈન્ડ’નું ‘મગજ’ ન થાય. આઈ મીન નહીં, હું એમ કહેવા માંગુ છું. રાઈટ? રાઈટ નહીં બરોબર. યેસ, ધેટ્સ રાઈટ. ઓહ, પાછું અંગ્રેજી ભેળસેળ થઈ ગયું. બટ વ્હાય શુડ વી હેવ ટુ સ્પીક ઓન્લી ગુજરાથી? વ્હોટસ રોંગ વિથ મિક્સિંગ ઈંગ્લીશ હિઅર એન્ડ ધેર ઇન ઈંગ્લીશ? આઈ મીન, શું ખોટું છે? ભાઈ સાબ, હું ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યું છું તો ગુજરાતી થોડું વિક છે, બટ આઈ એમ ટ્રાયિંગ તો સહી? બટ માય ફ્રેન્ડઝ આર મેકિંગ ફન ઓફ મી. પછી કેવી રીતે સમવન વિલ સ્પીક ગુજરાતી? હમણાં મને વ્હોટસ અપ પર મેસેજ મઈલો, તો મેં મોમને કીધું કે ‘સ્મિતાભાભીને ત્યાં બોય બોર્ન થયો’. તો મોમ એટલું હસી કે શી ગોટ ક્રેમ્પ ઇન સ્ટમક. વ્હોટસ રોંગ મેન?
 
અને ડેઈલી લાઈફમાં એટલા બધા ઈંગ્લીશ વર્ડ્ઝ આવે છે કે એના વગર હાઉ ટુ મેનેજ? મમ્મી તો પાક્કું ગુજરાતી બોલે છે તોયે સવાર સવારમાં ‘તારી ચા ગ્લાસમાં કાઢી છે’ એવું બોલે, ટેલ મી આ ‘ગ્લાસ’ ગુજરાતી વર્ડ છે? તો એ પવાલામાં ચા કાઢી છે એવું કેમ નથી બોલતી? એ ગ્લાસ બોલે એનો વાંધો નહીં, પણ હું જો શુગર માંગુ તો એ મને ખાંડ જ આપે ! અને ડેડ પણ. ‘પેલું પેપર આપજે તો’ એવું બોલે તો હી શુડ સે છાપું ઈન્સ્ટેડ ઓફ પેપર રાઈટ? અરે, છાપું આપીએ એટલે ડેડ કહે ‘લાઈટની સ્વીચ ઓન કરજે’. કેમ લાઈટ, સ્વીચ, અને ઓનનું ગુજરાતી નથી આવડતું તમને? આ અમારી નહિ ગુજરાતી યુવાધનની ફરિયાદ છે.

ગુજરાતીમાં અંગ્રેજી ઘુસાડનારા બે પ્રકારના હોય છે. એક જાણી જોઇને ઘુસાડનારા, એટલે કે સભાનતાપૂર્વક ઘુસાડનારા અને બે, મજબુરીમાં એટલે કે યોગ્ય ગુજરાતી શબ્દ ન જડે એટલે અંગ્રેજી શબ્દ વાપરનારા. પહેલા પ્રકારના ભેળસેળના એ વેપારી જેવા હોય છે જે તમને અસલી માલનો ભાવ લઈને ડુપ્લીકેટ વળગાડે છે. બીજા પ્રકારના એ છે જેમણે અસલી માલ જોયો જ નથી. જોકે તમે પૂછશો કે અમે પહેલા નંબર વાળા કે બીજા નંબર વાળા? તો અમે કહીશું કે તમે આ ‘નંબર’ ના બોલ્યા હોત તો કદાચ જવાબ આપત, કે અમે એક અને બેની એક્ઝ્ટ વચ્ચેવાળા!

આની સામે ગુજરાતમાં રહેવું અને એકલા ઈંગ્લીશમાં જ વાત કરવી અને ઈંગ્લીશ સિવાય બીજું કંઈ જ ન બોલવું શક્ય જ નથી! આજે વરસાદ કેવો હતો એ માટે તમે કહેશો ‘ધેર વોઝ ધોધમાર રેઇન’. અહી તમને ‘Raining Cats and Dogs’ રૂઢી પ્રયોગ યાદ જ નહિ આવે કારણ કે એટલું પેટ્રોલ બાળવાનું આપણને પોસાતું નથી. ઘરે આવતી વખતે રસ્તાની હાલત કેવી હતી એના માટે તમે કહેશો ‘ધેર વેર સો મેની ખાડાઝ હિયર એન્ડ ધેર અને આઈ સો અ ભુવા નીયર મીઠાખળી અન્ડર પાસ બોલ!’ કેમ? ‘ખાડા’ અને ‘ભૂવા’ને ઇંગ્લીશમાં શું કહેવાય એ તમને ખબર જ નથી? ખાડાનું બહુવચન ખાડાઝ? વાઉ! અને ઇંગ્લીશમાં ‘ળ’નો ઉચ્ચાર આવતો જ નથી છતાં તમે ‘મીઠાખળી’ જ કેમ બોલો છો? હા હા હા ... એક ગુજરાતીમાંથી ગુજરાતી ભાષાને કાઢવી એ કર્ણના કવચ-કુંડળ ઉતારવા જેવું છે. એટલે નિશ્ચિંત રહેજો.

હવે તો કેટલાય હિન્દી/ ગુજરાતી શબ્દો જેવા કે અવતાર, બિંદી, ઘી, ભેલપૂરી, દીદી, ધાબા, મસાલા, યાર, બદમાશ, ચટણી, યોગા, ગુરુ, ચડ્ડી, પૂરીને ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સમાવી લેવામાં આવ્યા છે. પણ આપણી બોલચાલની ગુજરાતીમાં આવતા ઈંગ્લીશ શબ્દો બાબતે શુદ્ધ ગુજરાતીને પાટલા ઘોની જેમ વળગેલા અમુક કાકાઓ વધારે અક્કડ છે. મંચ સંચાલનમાં તો અમુક જગ્યાએ RO Plantથી શુદ્ધ કરેલા ગુજરાતીના બાટલા ચઢાવવામાં આવે છે. એમની ભાવના પણ સમજો. મમ્મીઓ તો એના હાથના બનેલા પૌષ્ટિક દાળ, ભાત, રોટલી અને શાક લઇને તમારી પાછળ ફરવાની જ કારણ કે એને તમારા આરોગ્યની ચિંતા છે અને તમે પિત્ઝા, બર્ગર, પાસ્તા અને નૂડલ્સ પાછળ દોડવાના કારણ કે તમને દાળ-રોટલી ડાઉન માર્કેટ લાગે છે. આનું સમાધાન ‘ચીઝ ઢેબરાં’ છે. ફ્યુઝન! તમે ઢેબરાં ઉપર નૂડલ્સ પાથરશો, ભાખરી ઉપર મેક્સિકન રોસ્ટેડ ટોમેટીલ્લા સાલસા ચોપડીને ખાશો કે પછી પાણી-પુરીમાં મેનચાઉ સૂપ ભરીને ગપકાવશો તો ચાલશે, કારણ કે ઢેબરા, ભાખરી અને પૂરી એ આપણો બેઝ એટલે કે પાયો છે અને એ મજબૂત છે. લોંગ લીવ ગુજરાતી. જય ગુજરાત.

મસ્કા ફન

શી-ખંડ હોય પણ હી-ખંડ ના હોય ભાઈઓ.

Wednesday, September 06, 2017

બાબા બનવાની કળા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૦૯-૨૦૧૭

ગુરમીત સિંઘ રામ-રહીમ બાબાને જેલ થવાથી પ્રજામાં ઉન્માદની હદ જેટલો ઉત્સાહ છવાઈ ગયો છે. હિન્દી મીડિયા તો બાબાના કેસનો ચુકાદો આપ્યો એ જજ ક્યાંથી બનિયન ખરીદે છે તે પણ શોધી લાવ્યા છે, એટલું જ નહીં એને પોતાની સિદ્ધિ તરીકે રજુ કરે છે. પોલીટીકલ પાર્ટીઓ બાબા સાથે છેડો ફાડવાના મુડમાં છે અને જેમના બાબા સાથે અગાઉ કોઈ ફોટા નથી પડ્યા તેમણે આ અંગે સ્ટેટમેન્ટ આપવાના શરુ કર્યા છે. એટલું સારું છે કે બાબા પીડિત નથી એટલે એની નાત-જાત વિષે ઓછી ચર્ચા ચાલે છે. આવામાં બાબા શબ્દ તુચ્છકારજનક બની ગયો છે. 

આમાં થોડોક વાંક બાબાનો પણ છે. આપણી પૌરાણિક કથાઓમાં ઋષિ મુનીઓ ​સદીઓ સુધી આકરું તપ કરતાં ત્યારે ઇન્દ્રદેવ અપ્સરાઓને મોકલીને એમના તપમાં ભંગ પડાવતા. જયારે અત્યારના અમુક બાબાઓ તો તપ કર્યા પહેલા સામેથી તપોભંગ કરાવવા માટે એટલા ઉતાવળા અને બાવરા બની ગયા છે કે સામે મેનકા છે કે શુર્પણખા એ જોવા પણ નથી રોકાતા. ​ભૂતકાળમાં જે​ બાબા​ના તપોભંગનાં વિડીયોની સીડી ​ફરતી થઇ હતી એમાં સામેનું પાત્ર તપોભંગ માટેના મીનીમમ ક્રાઈટેરીયા પણ ધરાવતું ન હોવાની ફરિયાદો પ્રભુ ભક્તોમાં ઉઠી હતી. આ બાબતે તપોભંગ તત્પર બાબાઓના અંગત સ્ટાફે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને પાછળથી બાબાના ટેસ્ટ વિષે સમાજમાં, અને ખાસ કરીને હરીફ બાબાઓમાં, ખોટી છાપ ન પડે.

​બાબાઓ અંદર જાય એટલે એના અનુયાયીઓની સંખ્યા જાહેર થાય છે. છેલ્લે જે બાબા ઝલાયા એમના અનુયાયીઓની સંખ્યા પાંચ કરોડથી વધુ મનાય છે! મજકુર બાબા રામ રહીમ સિંહ ઇન્સાનની વૈભવી લાઈફ સ્ટાઈલ અને એના કરોડોની સંખ્યામાં અનુયાયીઓ જોતાં પ્રજામાં આજકાલ કયા પ્રકારના બાબાઓ હિટ છે એ જોઈ શકાય છે. આજે તમારે બાબા બનીને કેરિયર બનાવવી હોય તો તમારે અપગ્રેડ થવું પડશે. તમે ઓલરેડી બાબા હોવ અને તમારી પટ્ટશિષ્યા તમને છોડીને કોઈ બીજા બાબાના પંથમાં ભરતી થવા થનગનતી હોય, અને તમને પોતાને મનમાં ઊંડે ઊંડે અફસોસ થતો હોય કે આ લાઈનમાં દસ વરસ કાઢી નાખ્યા તોયે હજુ માંડ લોઅર મોડલની એસયુવી અને પાંચ-દસ હજાર ભક્તો જેટલી તમારી ઓર્ગેનિક રીચ હોય તો સમજી લો કે તમારે તમારી બ્રાન્ડ સુધારવા માટે હજુ મહેનત કરવાની જરૂર છે. કઈ રીતે? આગળ વાંચો.

પહેલું તો હાલમાં આપણી પાસે સ્ટોકમાં જે બાવા કે સાધુઓ છે એમાંના મોટા ભાગનાની ડ્રેસિંગ સેન્સના ઠેકાણા નથી. લિબાસમાંથી મુફલિસી ટપકતી હોય એવા બાબાઓનું માર્કેટ ડાઉન છે. એટલે તાકામાંથી ફાડેલો લાંબો પીસ શરીર પર લપેટીને તમે ગાદી સ્થાપવા માંગતા હોવ તો તમને બાકરોલથી ડાકોરની લોકલ બસના પેસેન્જર જેટલા ચેલા પણ નહિ મળે લખી રાખજો. એટલું જ નહિ પણ ભક્તોને ત્યાં પધરામણી માટે એસી ગાડીમાં નહિ પણ એસટી બસમાં જ જવું પડશે. મેગાબાવા બનવું હશે તો જીપીએફનો ફાઈનલ ઉપાડ કરીને પણ બોલીવુડના ડીઝાઈનર કપડા પહેરવા પડશે. ભલે પોપટ જેવા દેખાવ, પણ લીલા કાપડના સુટ ઉપર લાલ કેપ પહેરવી પડશે.

બીજું કે બાબા તરીકે તમને ભાવક પોતાના વાહનમાં લઈ જતા હોય તો ધૂળ પડી તમારા બાબાત્વમાં. ભારતના યાન ચન્દ્ર પર પહોંચી ગયા પણ ઘણાને સાદી ૧૦૦ સીસીની બાઈકનાય ફાંફા હોય છે, જયારે આજના ટ્રેન્ડી બાબાઓ માટે સુપર બાઈક ચલાવવાની આવડત એ મીનીમમ ઓપરેટીંગ સ્કીલ છે. તમે જો બાવાત્વકાંક્ષી (નવો શબ્દ છે લખી રાખજો) હોવ તો સૌ પહેલા સ્કૂટી-એકટીવા અને ઘર વેચીને એક સુપર બાઈક લેવું પડશે અને એને ચલાવતા પણ શીખવું પડશે.

એ પછી આવે છે ડાન્સ. કહેતા બહુ અફસોસ થાય છે કે જમાના સાથે ચાલવાનો દાવો કરનારા મોડર્ન બાવાઓ ડાન્સમાં સની દેઓલને પણ પ્રભુ દેવા કહેવડાવે એવા છે. અમુક તો બાળકોની જેમ બે હાથમાં તારામંડળ પકડીને 'તારામંડળ ... તારામંડળ ...' બોલતા બોલતા હાથ ગોળગોળ ફેરવવાની ક્રિયાને જ ડાન્સ ગણતા હોય છે. આવા બાવાઓના તો ઉભાઉભ રાજીનામાં લઇ લેવા જોઈએ. બ્લોકબસ્ટર બાવા બનવું હશે તો સ્ટાઈલ તો તમારે શીખવી જ પડશે. ભંગાર જોખવા બેઠા હોવ એ સ્ટાઈલમાં ફોટા પડાવશો તો વધુમાં વધુ પસ્તી અને ભંગારવાળાની લારીઓ પર તમારા ફોટા આગળ અગરબત્તીઓ થશે. આ તો અમારી ફરજ સમજીને ચેતવીએ છીએ. પછી અમને કહેતા નહિ.

ત્રીજું, વાઈરલ બાબાઓ સોશિયલ મીડિયા જેવા માધ્યમો કે જ્યાં કોઈ પણ ટ્રોલ-ટપ્પો આવીને ગમે તેવી સંભળાવી જાય એવી જગ્યાએ નવરેશની માફક પડ્યા પાથર્યા નથી રહેતા. માટે જો તમે બાબા તરીકે સ્થાપિત થવા માંગતા હોવ તો ફેસબુક પર નાખેલા ડેરા-તંબુ ઉઠાવી લો અને ફીઝીકલ પ્રોપર્ટી એટલે કે આશ્રમમાં ઇન્વેસ્ટ કરો. જરૂર પડે તો કોર્પોરેટ કંપનીઓની જેમ જગ્યા ભાડે રાખો. બીજું સ્વીકાર્ય માધ્યમ ટીવી છે. ટીવી ચેનલ પર તમારા કાર્યક્રમ વખતે લોકો ચેનલ બદલી શકે છે, પરંતુ તમને ગાળો દે તો તમને સંભળાશે નહીં. માટે એક પોતાની ટીવી ચેનલ શરુ કરી દો અથવા કોઈ ઉગતી ટીવી ચેનલના ઇન્વેસ્ટર બની જાવ. સાજા થનાર લોકો માથામાં ઝાડું મારવાથી, લાત મારવાથી કે પાણીનો ફુવારો મારવાથી પણ સાજા થાય છે અને ફી લીધા (દક્ષિણા એ ફી ના કહેવાય!) વગર કરેલા ઈલાજ માટે કોઈ કન્ઝ્યુમર કોર્ટમાં નથી જતું. માટે ઉઠો, જાગો અને બાબા બનવા માટે મંડી પડો !

--

મસ્કા ફન

સાસુ પણ એક કુદરતી આપત્તિ જ છે જે કોઈ વીમા કંપની કવર કરતી નથી.