Friday, September 28, 2012

માવાવાદી


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૩-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' નામે આત્મકથા લખી હતી. ગાંધીજીના સત્યના પ્રયોગોથી દેશને આઝાદી મળી હતી. આ અપવાદને બાદ કરો તો મોટા ભાગના પ્રયોગો ખાસ લખવા જેવા નથી હોતા. કૃત્રિમ વરસાદના પ્રયોગોમાં રૂપિયાનું પાણી થાય છે, પણ કૂવામાં હોતું નથી એટલે હવાડામાં આવતું નથી. કવિતા અને સુગમ સંગીતમાં પણ બહુ પ્રયોગો થયા છે, પણ નવી દવાના ટ્રાયલમાં જેમ પહેલાં પ્રાણીઓ ઉપર પ્રયોગો થાય છે એવું કમનસીબે સુગમ સંગીતમાં નથી થતું. કોલેજિયન્સ લેબોરેટરીમાં પ્રયોગો કરવાને બદલે પટાવાળાને ફોડી જૂનાં રીડિંગ લખી જર્નલ સબમિટ કરવામાં વધુ માને છે. શિક્ષણ વિભાગ પણ પરીક્ષાપદ્ધતિમાં સારા એવા પ્રયોગો કરે છે, પણ શિક્ષકોની ગુણવત્તા સુધારવા કશું કરતી નથી એટલે સરવાળે ગુણવત્તા કથળે છે. વ્યક્તિગત રીતે સૌથી વધારે પ્રયોગ વ્યસનમુક્તિના થાય છે. આમાં કેટલાક માવાવાદી સફળ થાય છે અને બાકીના કેન્સર સામે ફેઇલ થઈ જાય છે!

તમાકુ, ગુટકા કે સિગારેટનું વ્યસન હોય એમાંના ઘણા એમ માનતા હોય છે કે, 'હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં વ્યસન છોડી શકું' પણ આ ધારવાનું કામ સૌથી અઘરું છે. કેટલાકની જિંદગી આ ધારવામાં જ પસાર થઈ જાય છે. અમુક તો ધારવાથી ડરતા હોય છે. માવાવાદીઓની હાલત સલમાન જેવી હોય છે કે જો એક વાર કમિટમેન્ટ કરી દે તો એ પોતાની જાતને પણ સાંભળતા નથી. એટલે જ ભૂલથી પણ કમિટમેન્ટ કરતા નથી. હા, રાજકારણીઓ આમાં અપવાદરૂપ હોય છે.

પાનમસાલા, ગુટખા કે તમાકુ ખાનારા આમ તો સમાજસેવક/સાત્ત્વિક પ્રકારના જીવ ગણી શકાય, કારણ કે દિવસના ૨૪માંથી ૧૮ કલાક તેઓનું મુખ આ આઇટમોથી ભરેલું રહે છે, તેથી નાહક બોલવા માટે મોં ખોલતા નથી. આમ થવાથી વાતાવરણમાં ધ્વનિપ્રદૂષણ ઓછું થાય છે; તો ઘરમાં પણ દલીલબાજીના અભાવે શાંતિ બની રહે છે. તેઓ નિંદા-કૂથલીમાં પણ પોતાનો ફાળો ઝટ નોંધાવતા નથી. એમને કશું બોલવું હોય તો મોઢું ઊંચું કરી બોલવાની કોશિશ કરે, પણ મોઢામાં ભરેલ માવા વચ્ચે શબ્દો અટવાય એટલે ક્યાંક થૂંકવા દોડે છે. પછી એ માવાવાદી બોલવા જેટલી જગ્યા થાય એટલો અડધો જ માવો થૂંકી, તોતડું તોતડું બોલી આપણને સમજાવવાની કોશિશ કરે ત્યારે એવી ખીજ ચઢે કે ખેંચીને લાફો મારી દઈએ, પણ જાનનું જોખમ ખેડીને માવો ખાતા આ ભડવીરો, વ્યસન પર નભતા લોકોને (જેવા કે ડેન્ટિસ્ટ, બુટલેગર અને ગુટલેગર) બે ટંકનો રોટલો પૂરો પાડે છે.

તમાકુ ખાનાર એનો રસ પેટમાં ઉતારતા નથી. કદાચ નશો મોંમાં રગડવાનો આવતો હશે, પણ મ્યુનિસિપાલિટીના કચરા-સંચયના નિયમ મુજબ કચરો કદી નાશ પામતો નથી, માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે. આમ મોંમાં ગયેલ ઘન ગુટકાના દાણા રસો બને છે અને એ રસો જ્યારે મોંની ચાર દીવાલ વચ્ચે અકળામણ અનુભવે ત્યારે એ પિચકારીમાં પરિવર્તન પામે છે. ન્યુટનના બીજા નિયમ મુજબ આ રસ ઉપર ગાલ, જીભ અને શ્વાસ વડે બાહ્યબળ લાગે એટલે એ રસાના જથ્થાને અનુરૂપ એવી રીતે બહાર ફેંકાય છે. આ પિચકારી કેટલે દૂર સુધી જશે એનો આધાર ગતિમાન પ્રવાહીના (ફ્લુઇડ મેકેનિક્સના) સાતત્યના (કન્ટિન્યુટી) સિદ્ધાંત અનુસાર હોઠના સર્કલનો વ્યાસ, ફુલાયેલા ગાલનો પરીઘ અને રસના જથ્થાના માપ પર રહેલ છે. આ અંગે બિન-પ્રમાણભૂત પરિણામોના આધારે આ લખનાર એસટી અને સિટી બસથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ કરતાં વધારે અંતરે રહેવાનું સૂચવે છે, ખાસ કરીને સફેદ શર્ટ કે ડ્રેસ પહેર્યો હોય ત્યારે.

ગુજરાત સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂકી આવતી પેઢીને પણ જેનો લાભ થશે એવું પ્રશંસનીય કામ કર્યું છે. હવે સડકો પર ઉર્ધ્વ દિશામાં ડોકું કરી મોંમાં પડીકી ઓરી જ્યાં ત્યાં કચરો ફેંકતા માવાવાદીઓ નહીં દેખાય. પત્નીએ જપ્ત કરેલી ગુટકાની પડીકીઓ છોડાવવા માટે થતી કોર્ટરૂમને ટક્કર મારે તેવી ઉગ્ર દલીલો સાંભળવા નહીં મળે. હવે નિસરણીની દીવાલો અને ખૂણામાં લાલ ડાઘ નહીં જોવા મળે. હવે પડીકી ખાવાથી થઈ ગયેલા લાલ દાંત નહીં જોવા મળે. હવે મોઢામાં ઓરતી વખતે ખિસ્સામાં પડી જતા ગુટકાના દાણા વડે શર્ટના ખિસ્સામાં ડાઘા નહીં પડે. હવે કેન્સર હોસ્પિટલમાં દાઢ અને જડબાં કાપવાના નવા કેસ નહીં આવે. શું સાચે જ આવું થશે? થોભો અને રાહ જુઓ.
ડ-બકા
કોમનવેલ્થ, સડકો, ભૂવામાં ગયેલો બકા,
હું દેશનો પૈસો છું અને ખવાઈ ગયો છું!

Tuesday, September 25, 2012

ત્રણ મુર્ખીનાઓ



| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |


બરફી નામની ફિલ્મ હમણાં રીલીઝ થઈ. અમે હજુ જોઈ નથી, એટલે વાત એ ફિલ્મની નહિ પરંતુ ફિલ્મ ટાઇટલ્સની કરવી છે. બરફી નામ વાંચીને અમારા જેવા કે, જેમનો ગળ્યું એ ગળ્યું, બીજું બધું બળ્યુંએ જીવનમંત્ર છે એવા લોકોનાં મ્હોમાં પાણી આવી જાય. જોકે કોઈએ આ ફિલ્મ ન જોવી હોય તો બહાના તરીકે ડોક્ટરે ગળ્યું ખાવાની ના પાડી છેએવું પણ કહી શકે. બધાંને આ ફિલ્મમાં ચોકલેટી બોય રણબીરનું કેરેક્ટર ગળ્યું લાગ્યું છે. પણ એનાં વખાણનાં અતિરેકથી જાણે ગળ્યું ખાવાથી મોંઢું ભાંગી ગયું હોય એવું લાગે છે. 

હવે તો જૂની ફિલ્મનાં ગીત પણ ફિલ્મ અને સિરીયલનાં ટાઈટલમાં વપરાવવા લાગ્યા છે. ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘હોંગે જુદા ન હમ’, ‘કુછ તો લોગ કહેંગે’, ‘દેખા એક ખ્વાબ’, જેવી સિરિયલ્સનાં ટાઈટલ ફિલ્મના ગીતો પર આધારિત છે. અમિત કુમારે ગાયેલું બાલિકા બધૂફિલ્મનું બડે અચ્છે લગતે હૈગીત એ તો અમારું ફેવરીટ ગીત હતું. પણ પછી સિરીયલ આવી, હવે તો આ ગીત ગણગણતા પણ અમને ડર લાગે છે, ક્યાંક અમારા મોઢે આ ગીત સાંભળીને રખેને કોઈ એમ સમજી બેસે કે અમે આ સીરીયલ જોઈએ છીએ! એમ તો શાહરુખની નવી ફિલ્મ જબ તક હૈ જાંઆવી રહી છે જે શોલેનું હેમા માલિની પર ફિલ્માવેલું પ્રખ્યાત ગીત છે. આ ગીત શરું થતાં ધર્મેન્દ્ર બસંતી ઈન કુત્તો કે સામને મત નાચનાએવી વોર્નિંગ પણ આપે છે, પણ બસંતી નાચીને જ રહે છે. એવું કહે છે શાહરુખ પણ રૂપિયા લઈને લગ્નમાં ડાન્સ કરે છે. આ તો અમસ્તી જ સરખામણી થઈ ગઈ!

આમેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભણતર ઓછું ચઢ્યું છે, એટલે એમાં અંધશ્રદ્ધા વધારે જોવા મળે છે. એકતા કપૂરની સિરિયલ્સ, અર્જુન હિંગોરાની અને રાકેશ રોશનની ફિલ્મો સામાન્ય રીતે અથવા કેથી શરું થતી જોવા મળે છે. એકતાએ ક્યુંકી સાંસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘરકી’, ‘કુસુમજેવી સિરિયલ્સ અને ક્યા કુલ હૈ હમનામની ફિલ્મ પણ બનાવી છે. હિંગોરાની બંધુઓએ કબ, કયું ઓર કહાં’, ‘ખેલ ખિલાડી કા’, કહાની કિસ્મત કી’, ‘કૌન કરે કુરબાની’ અને કાતિલોં કે કાતિલજેવી ત્રિપલ કે ફિલ્મો બનાવી છે. રાકેશ રોશનની એક્ટર તરીકે ખેલ ખેલમે’, ‘કામચોર’, ‘ખુબસુરતજેવી ફિલ્મ હીટ ગઈ હતી. રાકેશ પ્રોડ્યુસર, ડિરેક્ટર બન્યા તે પછી અંગ્રેજી કેથી શરું થતી ફિલ્મો જેવી કે ખુદગર્ઝ’, ‘ખુન ભરી માંગ’, ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘કોયલા બનાવી. કોયલા તો અમે માધુરી દીક્ષિત માટે જ જોઈ હતી (ચોખવટ!). આ ફિલ્મમાં શાહરુખ ખાનના મોઢામાં જમીનદાર સળગતા કોલસા નાખી દે છે એટલે શાહરુખ મૂંગો થઈ જાય છે. રાકેશ રોશન જો કોયલા ફિલ્મની સિક્વલ બનાવે તો એનું નામ કૌભાંડ કોયલે કાએવું રાખી શકે, અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરવા માટે મૂંગામંતર મનુ સરને સાઈન કરે એવી લોકલાગણી છે!

યુનોનાં એક સ્ટડી પ્રમાણે ૧૨૦૦૦ ભાષાઓ નાશ થવાને આરે છે. જોકે હિન્દી ફિલ્મ ટાઈટ્લસમાં અંગ્રેજી શબ્દો વાપરવાથી હિન્દી ભાષાનું અસ્તિત્વ ખલાસ થાય એવી કોઈ સંભાવના નથી. સલમાનની વોન્ટેડ’, હ્રીતિકની કાઈટ્સ’, અજયની ઓલ ધ બેસ્ટ’, આમિરની થ્રી ઈડિયટ્સ’, શાહરુખની રા.વન’, આમ દરેક સ્ટારે અંગ્રેજી નામવાળી હિન્દી ફિલ્મ કરી છે. શ્રીદેવીની કમબેક ફિલ્મ આવે છે એનું ટાઇટલ જ ઈંગ્લીશ વિન્ગ્લીશછે, જે પંજાબી હોય એવું લાગે છે. શ્રીદેવીને હિન્દી માટે હજુ ટ્યુશન લેવા પડે છે એટલે જ કદાચ ફિલ્મ તામિલ અને હિન્દીમાં બની છે. અમુક હિન્દી ફિલ્મ ટાઈટલ હિંગ્લીશ હોય છે. જેમ કે દાગ-ધ ફાયર’. વિચારો કે ફાયરથી ડાઘ લાગે, પણ ડાઘ ફાયર કઈ રીતે બને? આપણે કુતૂહલનાં માર્યા ફિલ્મ જોવા જઈએ પછી ખબર પડે કે ટાઈટલ અને ફિલ્મનો સંબંધ રાવણ અને પીઝા જેવો છે.
આ અંગ્રેજી નામવાળી ફિલ્મો જોઈને અમારું ચંચળ મન હંમેશની જેમ તરંગે ચઢ્યું છે. અમને થાય છે કે જો ઈનજસ્ટીસકે ડેવલોપમેન્ટનામની ફિલ્મ બને તો ગુજરાતમાં હીટ જાય. ગુજરાતમાં વિરોધપક્ષ પ્રોમિસનામની હીટ ફિલ્મ બનાવી શકે, જયારે એમનાં સમર્થકોને ધ બલુનજરૂર ગમે. ત્યાં કેન્દ્રમાં સાઈલન્સ ઓફ ધ લેમ્બત્રણ વરસથી ચાલે જ છે ને?

યલગાર, ગદર, ટશન અને રુદાલી જેવા ફિલ્મોના નામો તો આપણા ગુજરાતીઓને ભેખડે ભરાવવા કે દિમાગ હટાવવા (સરફરોશ?) માટે જ પાડ્યા હોય એમ લાગે છે. પેલા ફરદીન ખાનની જાનશીનફિલ્મ તો એવી બનાવી હતી કે થિયેટરમાંથી જા નાસીએવું મન થાય. ‘કાર્તિક કોલિંગ કાર્તિક નામમાં ગુજરાતી તરીકે આપણને તો ટોક ટાઈમ વેસ્ટ થતો હોય એવું લાગે. અમુક નામ તો ગુજરાતીઓની પ્રકૃતિને અનુરૂપ નથી, જેમ કે આમદની અઠન્ની ખરચા રૂપૈયા’. તો ગુજરાતીઓને રસ પડે એવા નામવાળી ફિલ્મ દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારીશ૨૦૦૯માં બની અને કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ પણ થઇ ગઈ, છતાં ગુજરાતીઓને હજુ જોવા નથી મળી.

અને એટલું સારું છે કે હિન્દી ફિલ્મો ગુજરાતીમાં કોઈ ડબ નથી કરતું કારણ કે ગુજરાતીઓ કો તો અફલાતુન હિન્દી આવડતા હૈ. શોચો અગર હિન્દી ફિલ્મ કો ગુજરાતીમેં ડબ કરતે તો ? ફિર, ‘બકા ભાઈ બી..’, ‘ત્રણ મુર્ખીનાઓ’, ‘જ્યાં લગણ જીવ સે’, ‘રા.રા. એક’, ‘ગધની’, અને શ્રાવણ મહિનામાંફરાળીની તૈયારીરજુ થાત. અમે ફોન કરીને અમારા ખાસ મિત્ર જસદણ નરેશ હિમ્તા અદાને પૂછ્યું કે  બુઢઢા હોગા તેરા બાપ ફિલ્મનું ગુજરાતીકરણ કરવું હોય તો શું થાય? જવાબ મળ્યો, ગવઢો તારો ડોહો’!