Monday, April 23, 2012

મનનો માણિગર કેવો હોવો જોઈએ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
બ્રિટનની સ્ત્રીઓને કેવો મનનો માણિગર જોઈએ છે તે સમાચાર છેક ગુજરાતી છાપાંમાં આવી ગયા. એ પણ મોટી હેડલાઈન સાથે. બ્રિટનની યુવતીઓને છ ફૂટ ઉંચો, મજબૂત, સારી ડ્રેસિંગ સેન્સવાળો, મોંઘીદાટ ઓડી કાર ચલાવતો જીવનસાથી ગમે છે. આમાં થોડા ઘણાં સ્પેસીફીકેશન તો ઇન્ડિયન છોકરીઓને ચાલે એવાં છે. જોકે આપણે ત્યાં છ ફૂટિયા  હાજર સ્ટોકમાં મળતાં નથી એટલે કદાચ ઊંચાઈનો માપદંડ નીચો કરવો પડે. રહી વાત મજબૂત હોવાની. આપણે ત્યાં જે હાડમારી છે એમાં છોકરું જન્મે એ પહેલાં જ લાતો મારતું થઈ જાય છે! સાચે જ, પેટમાં જ છોકરું લાતો મારે એની શરૂઆત ભારતમાં થઈ હતી. એટલે આવું કોઈ સંશોધન નથી થયું, આ તો મને એવો એસ.એમ.એસ. આવ્યો હતો!
જોકે બ્રિટનની છોકરીઓએ વરની અમુક લાયકાતો બહુ વિચિત્ર રાખી છે. જેમ કે છોકરાને ટાયર બદલતા આવડવું જોઈએ. અહિં ભારતમાં ટાયર બદલવા જેવી આવડત તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પી.ડબલ્યુ.ડી.ના વિશેષ સહયોગથી દરેક ભારતીય નાગરિક શીખી જ ગયો હોય છે. બ્રિટીશ કન્યાઓને ભરથાર સાસુને નિયમિત ફોન કરે તેવો જોઈએ છે. અહિં ઇન્ડિયામાં તો સાસુને ફોન રોજ કરો તો એ રોજ ઘેર આવવા તાણ કરે. અને ફોન તમે કર્યો હોય તો અંતે તો મા-દીકરી આમને સામને આવી ‘આજે શાક કાચું રહી ગયું’ કે ‘મરચું વધુ પડતું તીખું છે’ એ વાત પર કલાક ચર્ચા કરી ટેલીકોમ કંપનીઓને બખ્ખા કરાવે.
--
સંસ્કૃતમાં પતંજલિએ પત્ની કેવી હોવી જોઈએ એનાં ધારાધોરણો વર્ષો પહેલાં આપ્યાં હતા.
कार्येषु मन्त्री करणेषु दासी,
भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री ,
भार्या षाड्गुण्यवतीह दुर्लभा ॥

અર્થાત્ સ્ત્રી કામકાજમાં સેક્રેટરી જેવી, ઘરકામમાં દાસી, ભોજનમાં માતા અને શયનખંડમાં રંભા જેવી હોવી જોઈએ. પુરુષો એ જમાનાથી આવી સ્ત્રીઓ શોધે છે. અને મોડર્ન સ્ત્રીઓ આ શ્લોક લખનારને શોધે છે. પણ ઉપરોક્ત શ્લોક લખાયાના વર્ષો પછી કોકે સ્ત્રીઓનું, ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓનું સાંભળ્યું, અને આ લખ્યું;

 વર રાંધણીયો, વર સિંધણીયો, વર ઘમ્મર ઘંટી તાણે
પરણનારીના ભાગ્ય હોય તો બેડે પાણી આણે.  

આજકાલનાં પતિઓને મીનરલ વોટરના વીસ લીટરના બાટલા ઊંચકીને લાવતા જોઉં ત્યારે ઉપરની લોકોક્તિ યાદ આવી જાય છે. પણ એક જમાનામાં સરકારી કે બેન્કની નોકરી એ છોકરાની મુખ્ય લાયકાત ગણાતી. એમાં સમય જતાં છ આંકડાનો પગાર ઉમેરાયો. એ પછી છોકરા પાસે પોતાની કાર, પૂજ્ય પિતાશ્રીની નહિ, અને એ પણ મોટી એ આવ્યું. ભણતરમાં એન્જીનિયર જોઈએ પણ વ્હાઈટ કોલર જોબ ધરાવતો જોઈએ. આજની છોકરીને છોકરો ખભે ખભા મિલાવીને ઘરકામમાં મદદ કરે તેવો જોઈએ છે. એકંદરે આજકાલની યુવતીને રણવીર કપૂર જેવો દેખાવડો, સલમાન ખાન જેવો મજબૂત બોડીગાર્ડ ટાઈપનો, ઇમરાન હાશ્મી જેવો પ્રેમી, રાહુલ ગાંધી જેવા કુટુંબનો, અંબાણી જેવા મકાનવાળો, સચિન જેવી આવક ધરાવતો, અક્ષય કુમારની જેમ સાસુ-સસરાની સેવા કરે એવો, રોબર્ટ વડરા જેવો અભિમાનરહિત, મનમોહન જેવો આજ્ઞાંકિત અને આંખના ઈશારા પર કામ કરે એવો માણિગર જોઈએ છે.
     
આમ તો મનનાં માણિગરનાં સ્પેસિફિકેશન સાહિત્યમાં પણ મળી આવે છે. રમેશ પારેખે માણિગર ‘ભોળો, બાંવરીયો અને ખોબો માંગે તો દઈ દે દરિયો’ એવો બાઘો હોય એવી કલ્પના કરી છે. તો અવિનાશ ભાઈએ માણિગરને કળાયેલ મોરલા તરીકે કલ્પ્યો છે. સીતાજીએ ‘सहज सुन्दर साँवरो’ પતિ માંગ્યો હતો. તો લોક સાહિત્યમાં ‘રંગે શામળિયો ને  કેડે પાતળિયો’ એવું વર્ણન આવે છે. જોકે એ વખતે ગાંઠિયા, વડાપાઉં અને ડબલ ચીઝ પીઝાનું ચલણ નહિ હોય એટલે પાતળી કેડવાળા ભારથારો હાજર સ્ટોકમાં મળી આવતા હશે.

બ્રિટનની છોકરીઓએ પોતાની ચોઈસ પોતાનાં માણિગર સુધી જ સીમિત રાખી છે, પણ ભારતીય છોકરીઓ તો માણિગરના પરિવાર બાબતે પણ ચોક્કસ થઈ ગઈ છે. એને સાસુ નોકરી કરતી જોઈએ છે એટલે કચકચ ઓછી. રાતે થાકીને આવે એટલે સુઈ જાય. પણ જો સાસુ નોકરી ન કરતી હોય તો એને રસોઈ કરતાં આવડતું હોવું જોઈએ, અને રસોઈ બનાવવાનો શોખ પણ હોવો જોઈએ. હા, ઘણી સ્ત્રીઓને રાંધવાનો શોખ હોય, પણ આવડતું ન હોય. એ સૌથી જોખમી. એ પછી નણંદ બોલે તો સિસ્ટર-ઈન-લો ઠેકાણે પડેલી અથવા ફ્રેન્ડલી જોઈએ. દિયર હોય તો ભુખ્ખડ ન હોવો જોઈએ. જો ભાભી હોય તો એ પોતાનાં કરતાં જાડી હોવી જોઈએ, જેથી ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’ એવું કહી શકાય. અને છેલ્લે સસરામાં સેન્સ ઓફ હ્યુમર સારી જોઈએ, પણ એકની એક વાસી જોક વારંવાર ફટકારતા ન હોવાં જોઈએ. 

અભિનેત્રી દીપિકા પદુકોણે  કહ્યું છે કે, તેનો પતિ પહેલા તેનો સારો મિત્ર હશે. જેની સાથે મને આખું જીવન વિતાવવું ગમશે. તે મારા મૌનને પણ સમજી શકે તેવો હોવો જોઈએ. હવે દિપીકા, કે જે કદાચ હજારો  છોકરીઓની રોલ મોડલ હશે, એ આવું કહે એમાં છોકરીઓ ઉંધે રવાડે ન ચઢી જાય? એક તો સ્ત્રીનું મૌન એ ગધેડાના શીંગડા જેવું દુર્લભ છે અને અમુક સ્ત્રીઓ તો જે બોલે એ કોઈ સમજી શકતું નથી તો પછી મૌનને સમજી શકવાની તો વાત જ ક્યાંથી આવે? સ્ત્રીઓ રિસાઈને બોલવાનું બંધ કરે કે આંસુ પાડવા લાગે ત્યારે અમુક પુરુષો રૂમાલ આપવાની ભૂલ કરે છે. સ્ત્રીઓ આંસુ પાડે ત્યારે રૂમાલ નહિ, એમને જે જોઈતું હોય એ લાવી આપવું એ પણ પુરુષો સમજતા નથી. જોકે સ્ત્રીને જોઈતું લાવી આપવામાં પણ લોચા થાય છે. જેમ કે ‘न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरङ्गो न कदापि दृष्टः માં કહ્યું છે એમ સુવર્ણનું મૃગ સંભવિત નથી કે કોઈએ જોયું પણ નહોતું છતાં સીતાજીએ શ્રી રામને સુવર્ણ મૃગ પાછળ દોડાવ્યા હતા, અને પછી આખી રામાયણ થઇ હતી!

ક્યાં મંગતા ? મોબાઈલ કે ટોઇલેટ ?


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી


કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ આજકાલ દુઃખી છે, કારણ કે ગ્રામીણ મહિલાઓ હવે ટોઇલેટ કરતાં મોબાઇલને વધુ પસંદ કરે છે. એક અહેવાલ પ્રમાણે ભારત દેશમાં ટોઇલેટ કરતાં મોબાઇલ વધારે છે, પણ મંત્રીશ્રી રમેશભાઈને કોણ સમજાવે કે ગામડામાં ઘણી ખુલ્લી જગ્યા હોય, કુદરતી પર્યાવરણ હોય. એમાં કુદરતને ખોળે બેસી લોકો તનાવમુક્ત થતા હશે. બાકી મોબાઇલ વગર તો જીવી જ કઈ રીતે શકાય? અશક્ય.
અમને લાગે છે કે મહિલાઓનો મોબાઇલપ્રેમ યોગ્ય છે. પહેલું તો મહિલા અને મોબાઇલ બન્ને સિંહ રાશિનાં છે. બીજું કે બન્નેમાં મોડલનું ઘણું મહત્ત્વ છે. મહિલાઓ મોબાઇલથી મોટેભાગે પિયર કનેક્ટ થાય છે. આજકાલની છોકરીઓ ભણે એટલે એમને ખાવાનું બનાવતા નથી આવડતું. મોબાઇલ હાથવગો હોવાથી એ પિયર ફોન કરી મમ્મી કે ભાભીને ચા કઈ રીતે મૂકવી’ કે ‘મમરા વઘારવામાં દરેક મમરો તેલમાં ડુબાડવાનો કે નહીં?’ જેવા પ્રશ્નો પૂછી શંકાનું શીઘ્ર સમાધાન કરી બદનામીથી બચી શકે છે. જોકે ટોઇલેટમાં આવા કોઈ ફાયદા નથી.

આમ તો મોબાઇલ અને ટોઇલેટમાં ઘણી સમાનતા છે. મોબાઇલ અને ટોઇલેટ બીજાનાં વાપરી શકાય છે, પણ બન્ને પોતાનાં હોય એ જરૂરી છે. મોબાઇલ પર મિત્રો સાથે વાત કરીને કે ટોઇલેટ જઈને માણસ હળવો થાય છે. મોબાઇલમાં આજકાલ જાતજાતની એપ્લિકેશન આવે છે એ પૈકી એક પ્લાનર છે, જેમાં તમે દિવસભર કે મહિનામાં કરવાનાં કાર્યોની યાદી બનાવી શકો છો. ટોઇલેટમાં પણ પ્લાનિંગ થઈ શકે છે. પરીક્ષા આપી વિદ્યાર્થી જ્યારે પરીક્ષાખંડમાંથી ત્રણ કલાકે બહાર નીકળે છે ત્યારે બે કામ કરે છે, એક હળવો થવા ટોઇલેટ જાય છે અને બીજું, મોબાઇલ ઓન કરી મિસ કોલ કે મેસેજ જુએ છે. મોબાઇલ વપરાશ કરવાથી રિચાર્જ કરાવવો પડે છે, ટોઇલેટમાં માણસ ડિસ્ચાર્જ કરી આવે એ પછી પાછો રિચાર્જ થઈ જાય છે. કબજિયાતનો દર્દી અને બેલેન્સ વગરનો માનવી ક્વચિત રઘવાયા થઈ જાય છે અને સૌથી અગત્યનું એ કે મિત્રોમાં કોઈ નવો મોબાઇલ લાવે તો બધાંને ગર્વથી બતાવે છે. એવી જ રીતે નવું ઘર બનાવ્યું હોય તો એમાં ટોઇલેટ ખાસ દરવાજો ઉઘાડીને બતાવવામાં આવે છે, ‘ટોઇલેટ એટેચ્ડ છે હોં!

લોકો ભલે ટોઇલેટ અને મોબાઇલની સરખામણી કરે, પણ બેઉંમાં ઘણા પાયાના તફાવત છે. મોબાઇલમાં વાત છે, તો ટોઇલેટમાં એકાંત છે. મોબાઇલમાં અન્ય સાથે કનેક્ટ થવાય છે, જ્યારે ટોઇલેટમાં માણસ પોતાની સાથે કનેક્ટ થાય છે. મોબાઇલનો ઉપયોગ અનેક વખત થાય છે, જ્યારે ટોઇલેટનો ઉપયોગ સામાન્ય રીતે દિવસમાં એક જ વાર થાય છે. મોબાઇલમાં બેલેન્સ છે, તો ટોઇલેટમાં ફ્લો છે. મોબાઇલમાં રિકરિંગ ખર્ચા ઘણા છે, ટોઇલેટ સાફ્સફાઈથી વિશેષ ખર્ચ નથી માગતું. મોબાઇલમાં ટેક્નોલોજી છે, ને ટોઇલેટમાં સાદગી છે. ટોઇલેટમાં પાણી વગર ચાલતું નથી, તો મોબાઇલ પાણીમાં ચાલતો નથી!
મોબાઇલ ગિફ્ટ તરીકે આપી શકાય છે, પણ ટોઇલેટ ગિફ્ટ તરીકે નથી આપી શકાતું. મોબાઇલથી ટેક્સ્ટ મેસેજ, કોલ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, ગેમિંગ, બેન્કિંગ, રેલવે બુકિંગ જેવું ઘણું થાય છે. આમાંનું કશું જ ટોઇલેટથી નથી થઈ શકતું.

અમિતાભપુત્ર અભિષેકે મોબાઇલને નવા આઇડિયા સાથે જોડી દીધો છે, પણ ટોઇલેટ તો પહેલેથી વિચારભવન તરીકે જાણીતું છે. ટોઇલેટમાં જઈ માણસ ગહન ચિંતન કરે છે. ઘણા લેખકોને ઉચ્ચ વિચારો ટોઇલેટમાં જ આવતા હશે. છતાં કમનસીબે ટોઇલેટને જોઈએ એટલું મહત્ત્વ મળ્યું નથી. હજુ સુધી કોઈ જ્ઞાનપીઠ કે બુકર એવોર્ડ વિજેતા લેખકે પોતાના ઉચ્ચ વિચોરોનું શ્રેય ટોઇલેટને નથી આપ્યું. કોઈએ એમ નથી કહ્યું કે, ‘એ વખતે હું ટોઇલેટમાં બેઠો હતો, થોડુંક કબજિયાત જેવું હતું એટલે વધારે વાર થઈ હશે અને મને ફલાણો વિચાર સ્ફૂર્યો અને મેં પછી ટોઇલેટ પેપર પર જ વિચારો લખી નાખ્યા હતા.હકીકતે ટોઇલેટમાંથી બહાર નીકળનાર જાતજાતના આઇડિયા સાથે બહાર નીકળે છે. આ તો સારું છે કે આપણે ભારતીયો આર્કિમિડીઝને અનુસરતા નથી, બાકી એક ઝક્કાસ વિચાર આવે અને ‘યુરેકા યુરેકા’ કરી માણસ બહાર ભાગી આવે એવી ઘટનાઓ તો આપણે ત્યાં રોજ બને! અને આર્કિમિડીઝથી ન્યુટન તરફ આગળ વધીએ તો ન્યુટને ટોઇલેટમાં જો ધ્યાન આપ્યું હોત તો અમારા મતે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા એને સફરજનના ઝાડ સુધી લાંબા થવાની જરૂર જ ન પડત !

Monday, April 16, 2012

પ્રોફેસરોએ વિદ્યાર્થીઓ પર ધાક કેવી રીતે જમાવવી ?

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |

એક જમાનામાં હિન્દી ફિલ્મમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી મુખ્ય મુદ્દો રહેતો હતો. હવે પ્રોફેસરો ડફોળ છે અને એમને કશું આવડતું નથી એવું બતાવવામાં આવે છે. થ્રી ઈડિયટ્સથી લઈને બધી જ નવી ફિલ્મોમાં આજકાલનાં ભણતર અને પ્રોફેસરોની ફીરકી ઉતારવામાં આવી રહી છે. પ્રોફેસરોએ કઈ રીતે ભણાવવું એ સલાહ સુચનો કૉલેજમાં ગયેલા, પણ બહાર ન નીકળેલા ફિલ્મી લેખકો આપે છે. આ બધાંને કારણે વિદ્યાર્થીઓ વાતવાતમાં પ્રોફેસરોને લાફા ઠોકી દે છે. પ્રોફ્સરોનું તો જીવવું દુષ્કર થઈ ગયું છે. તો આવા કઠિન સમયે વિદ્યાર્થીઓ પર પોતાની ધાક કઈ રીતે જમાવી રાખવી એ અંગે પ્રોફેસરોને ખાસ ટીપ્સ.

સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને ડરાવવા તમારા દેખાવ ઉપર ધ્યાન આપો. જો તમારો દેખાવ ઇમરાન ખાન કે શાહિદ કપૂર જેવો ચૉકલેટી હોય તો સૌથી પહેલાં વેકેશનમાં કે રજા પાડીને અજય દેવગણ જેવી મૂછો ઉગાડો. શક્ય હોય તો જીમ જોઈન કરી સંજય દત્ત જેવું પડછંદ શરીર બનાવો. વાળ ક્યાં તો કાળા રાખો અથવા તો સંપૂર્ણ ધોળા. કારણ કે મિડલ એજ પ્રોફેસરો કુણા હોય છે એવી છાપ પ્રવર્તે છે. કાયમ લાકડાની એડીવાળા જૂતાં પહેરો. કાચાં-પોચા છોકરાઓ તો લૉબીમાં તમારા આવવાનાં અવાજ માત્રથી જ કાંપી ઊઠશે. અને ફાવે તો હો હો હો હોકરીને રાવણની જેમ અટ્ટહાસ્ય કરો. આ બધાં ઉપાયોથી ખડ્ડુસ છોકરાં તો નહિ ડરે, પણ અડુકીયા દડુકિયાતો ઉધરસ આવતી હશે તો એ ખાતાં પણ ડરશે. 

આજકાલ વિદ્યાર્થીઓને એવો વહેમ હોય છે કે આ પ્રોફેસરને તો કશું આવડતું નથી’. એટલે તમે એની પરીક્ષા કરો એ પહેલાં એ તમારી પરીક્ષા કરવા તમને પ્રશ્નો પૂછશે. ગભરાશો નહિ. કોઈ પણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો સૌ પ્રથમ ગુડ ક્વેશ્ચનકહી એને બિરદાવો. એ પછી જો સાચો જવાબ આવડતો હોય તો જવાબ આપો. અને ન આવડતો હોય તો આવા પ્રશ્નો જવલ્લે જ ઊભા થતાં હોય છે, બહુ હાઈપોથેટીકલ સવાલ છે. અને એના જવાબ સમય સંજોગો અનુસાર જુદાં જુદાં હોય છે. એક કામ કર તું બપોરે મને ઑફિસમાં પ્રશ્નનો સંદર્ભ લઈને મળ તો આપણે ડિસ્કસ કરીએએવું કહો. પેલો બપોરે નહિ આવે એની અમારી ગેરંટી. અને છતાંય જો આવે તો ઇફ યુ કેન નોટ કન્વીન્સ ધેમ, કન્ફયુઝ ધેમ’. આ સૂત્ર યાદ રાખો. પણ આ સૂત્ર તમારી કૅબિનમાં કદી ચોંટાડશો નહિ.

છોકરાં પર ધાક બેસાડવા ક્લાસમાં તમે દાખલ થાવ પછી બીજા કોઈને દાખલ ન થવા દો. અને અઠવાડિયે એક દિવસ ઘડિયાળ પાંચ મીનીટ આગળ કરી દો. ક્લાસમાં વહેલા જઈ હાજરી પૂરો અને એ પછી જે આવે એને કાઢી મૂકો. અડધા છોકરાં તો ઘડિયાળ પહેરતા જ નથી, અને જે પહેરે છે એ દરેકની ઘડિયાળમાં જુદોજુદો સમય હશે. આમ છતાંય જો કોઈ મોડું આવે તો ભણવાનું અટકાવી એને ગબ્બર સ્ટાઇલમાં વેલકમ કરો. આઓ, આઓ ..મોડો આવેલ વિદ્યાર્થી બેસી જાય પછી એને પૂછો કે ભાઈ પેન, નોટ છે ને?’ અને હોય કે ના હોય એની આજુબાજુવાળાને એને પેન પેપર આપવા કહો, એમ કહીને કે બચારો મારું લેક્ચર ભરવા કેટલો દોડમદોડ આવ્યો છે’.

વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊંઘે તો કાયમ પ્રોફેસર બોરિંગ છેએમ કહી પ્રોફેસરને બદનામ કરાય છે. પણ મોટેભાગે વિદ્યાર્થીની ઊંઘનું કારણ એનાં આગલી રાતના કર્મો હોય છે, પ્રોફેસર નહિ. જો કોઈ સ્ટુડન્ટ કાચી ઊંઘમાં હોય તો એ પૂરો ઊંઘી જાય ત્યાં સુધી એની તરફ ધ્યાન આપી એને ઊંઘતો રોકવાની કોશિશ ના કરશો. એ પૂરો ઊંઘી જાય પછી બોલવાનું ચાલુ રાખી એની નજીક પહોંચો, અને એને ભાઉકરીને કે તાળી પાડી બિવડાવી દો. આખો ક્લાસ હસશે અને એ છોભીલો પડી જશે. બધું શાંત થાય એટલે એને કાઢી મૂકો. અને જો ચાલુ ક્લાસમાં જો કોઈ છોકરો ઘડિયાળ જુએ તો તમે ભણાવતા અટકી જાવ. પછી એને પૂછો કેટલી વાર છે ક્લાસ પૂરો થવામાં ?’ એ એમ કહે કે દસ મીનીટ બાકી છેતો તમે ઓહ, દસ જ મીનીટ ? હજુ તો મારે અડધો કલાક જેટલું ભણાવવાનું બાકી છે, સારું છે આ છેલ્લો પીરિયડ છે’. ભણાવવાનું દસ જ મીનીટ, પણ ત્રીસ મીનીટ ભણવાનાં વિચાર માત્રથી બધાની ઊંઘ ઊડી જશે. અને છતાં જો કોઈ સ્ટુડન્ટ બગાસાં ખાતો હોય તો કદી ગુસ્સે ન થશો. એ બગાસું ખાય છે એ એનાં જાગતાં હોવાનો જીવતો જાગતો પુરાવો છે!

વિદ્યાર્થીઓને ધાકમાં રાખવા વેલન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે, ક્રિસમસ જેવા દિવસની એકદમ પછીના દિવસે એસાઇન્મેન્ટ સબમીશન ડેટ રાખો. છોકરાઓ ટેવ મુજબ છેલ્લા દિવસ સુધી એસાઇન્મેન્ટ કરશે નહિ અને જ્યારે જાગશે ત્યારે એમની ફેં ફાટી ચૂકી હશે. તમારું નામ એવું બદનામ થઈ જશે કે વિદ્યાર્થી નેતાઓ તમારી સાથે આ એસાઇન્મેન્ટ મોડું કરાવવા નેગોશિયેશન પર ઊતરી આવશે. પછી ક્લાસમાં વધુ ધાક જમાવવા ક્લાસ શરુ થાય એટલે છેલ્લેથી બીજી બેંચ પર બેઠેલાં નોટોરીયસ વિદ્યાર્થીને પૂછો બતાવ તો તારી નોટ, લાસ્ટ ક્લાસમાં કયાં સુધી ચલાવ્યું હતું?’. પછી એ નોટ આપવામાં ગલ્લાતલ્લા કરે તે માણો. અને શક્ય હોય તો ક્લાસમાં સૌથી બદમાશ વિદ્યાર્થીની બધાની સામે ફીરકી ઉતારો. બીજા અડુકીયા દડુકિયા તો માથું ઉપર કરવાની પછી હિમ્મત જ નહિ કરે.

જોકે તમે ખરેખર બહુ બોરિંગ પ્રોફેસર હોવ તો આ બધું કરવાની જરૂર નથી, કારણ કે વિદ્યાર્થીઓને એમનાં કર્મોની સજા આપોઆપ મળી જાય છે.

 

સિંગતેલના ભાવ હજુ વધે તો?

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૫-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |
 
સિંગતેલના ડબ્બાના ભાવ બે હજાર ઉપર પહોંચી ગયા છે. આ સમાચાર વાંચીને અમને એ વિચાર આવે છે કે ડબ્બાનો ભાવ બે હજાર છે તો સિંગતેલનો તો કેટલો હશે? સિંગતેલના ભાવ એટલા વધ્યા છે કે સાંજ પડે મજૂરીની કમાણીમાંથી દસ રૂપિયાના ભજિયાં ખાનાર પેલા મજૂરને દસ રૂપિયામાં આંગળીના વેઠે ગણાય એટલા ભજિયા પણ નથી મળતાં. મધ્યમવર્ગની સમજુ ગૃહિણીઓ તો તેલની સ્વયંભૂ બચત કરવા લાગી છે. તેલના ભાવ વધતાં રાતોરાત ભજિયાં, ગોટાં, દાળવડાં,ગાંઠિયા અને ફાફડા મોંઘા થઈ ગયાં છે. બાફેલાં શાક ખાઈને ગુજરાતની ફરસાણપ્રિય પ્રજાની જીભ આળી થઈ ગઈ છે. ગળું ખોરું થઈ ગયું છે. આંતરડી કકળી ઊઠી છે અને સમગ્ર પાચનતંત્રમાં તેલના અભાવે વાયુ ઉત્પન્ન થઈ ગયો છે. આ વાયુ મગજ સુધી પહોંચી જતાં અમુક લોકો 'તેલના ભાવ ભડકે બળે છે', 'સરકાર તેલિયા રાજાઓ સાથે મળી ગઈ છે.' 'ભાજપ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહેંગા તેલ' જેવાં સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા છે. અમને તો વિચાર આવે કે ભઈ, તમને દારૂ સસ્તો છે એ ખબર કઈ રીતે પડી?

પણ, તેલના ભાવ જો આમ જ વધતાં જશે તો લોકોને માથામાં નાખવાના તેલના પણ ફાંફાં પડશે. અમારા જેવા અમુક પાકા અમદાવાદીઓ તો પછી ફરસાણની દુકાનમાં જઈ ભજિયાંના ઘાણમાં હાથ નાખી એ જ હાથ માથામાં ફેરવીને ચલાવી લેશે. પણ અમદાવાદી દુકાનદારો કંઈ એમ કીમતી ભજિયાંમાં મફતમાં હાથ નાખવા દે? જેમ ઘડિયાળની દુકાનમાં મોંઘી ઘડિયાળ લોકમાં રાખે છે તેમ વેપારીઓ પછી ભજિયાં અને ગોટાં લોક એન્ડ કીમાં રખાશે. નકલી પોલીસ પણ પછી સોનાની બંગડીઓ અને ચેઈન છોડીને તેલના ડબ્બા ભોળવીને લઈ જશે. જોકે સૌથી આનંદની વાત એ હશે કે 'તેલ લેવા જા' જેવા તુચ્છકારજનક રૂઢિપ્રયોગ ભાષામાંથી રદ કરવામાં આવશે. હા, તેલના વિકલ્પ તરીકે લેવા મોકલાય એટલું સસ્તું પ્રવાહી હવે કોઈ રહ્યું જ નથી, પાણી પણ નહીં!

જોકે ઇકોનોમિક્સની થિયરી મુજબ સિંગતેલના ભાવ વધતાં તેલનો વપરાશ ઘટશે. એટલે ગૃહિણીઓને રાહત થશે. કાળઝાળ તેલમાં તળતી વખતે જે ગરમી લાગે છે એમાંથી એમને મુક્તિ મળશે. તેલમાં ભજિયાંના ડબકા મૂકતી વખતે એમના નાજુક કરકમળ પર જે છાંટા ઊડવાથી ફોલ્લા પડે છે એ હવે નહી પડે. કડાઈ ગેસ પર ચઢાવતા અને ઉતારતા તેલથી દાઝી જવાના કેસ પણ ઓછા થશે. તેલના ડબ્બામાં કાણું પાડતા જે દસ્તો વાગી જતો હોય છે એ પણ નહીં વાગે. તેલનો ડબ્બો ઊંધો પાડી નાના વાસણમાં કે બરણીમાં તેલ કાઢવાની ક્રિયામાં જે નાજુક બહેનોને પીઠદર્દ થઈ જાય છે એવી ઘટનાઓ પણ ઓછી થશે અને સૌથી મોટી વાત તો એ કે જેની દાઢોમાં દીવા બળે છે એવા સ્વાદરસિક પતિદેવો દ્વારા રાતે સાડા બાર વાગ્યે થતી ફરમાઈશો જેવી કે લે, વન ડેમાં ભારત જીતી ગયું, ભજિયાં બનાવ” પણ બંધ થઈ જશે.
 
જોકે તેલના ભાવ વધવાથી ડોક્ટરો બિચારા દુઃખી થઈ જશે. તેલના ઊંચા ભાવને કારણે લોકો પૂરી, ફરસાણ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાશે. ઘીના (દૂધના ભાવ પણ વધ્યા છે!) વધેલા ભાવને કારણે લોકો આ મીઠાઈ ઓછી ખાશે એટલે કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે બ્લડપ્રેશર અને હૃદયરોગ ઓછાં થશે. તીખું અને તળેલું નહીં ખાવાથી એસિડિટી ઓછી થશે. ઘી, દૂધની બનાવટો ન ખાવાથી ઝાડા-ઊલટીના કેસ ઓછા થઈ જશે. પછી બિચારા ડોક્ટરો ક્યાં જશે? પછી ડોક્ટરોએ વેકેશન માણવા સ્વિત્ઝરલેન્ડ અને યુરોપ જવાને બદલે બિલ્ડરો જાહેરાતમાં લખે છે એ અમદાવાદ નજીકની સ્કીમો અને ક્લબોને જ યુરોપ માનીને ચલાવી લેવું પડશે. અમને લાગે છે કે ડોક્ટરોએ સત્વરે જાગી તેલ-ઘીના ભાવવધારા સામે એક અવાજે વિરોધ પ્રર્દિશત કરવાની જરૂર છે.

જોકે આ બધાં વચ્ચે ડોક્ટરો માટે એક રાહતની વાત પણ છે. તેલના ભાવ વધશે એટલે કાઠિયાવાડમાં ગાંઠિયાનો (અને અમદાવાદમાં ફાફડાનો પણ) વપરાશ ઘટી જશે અને જે લોકો ગાંઠિયાના ગુણ જાણે છે એમને ખબર હશે કે ગાંઠિયા ખાનારને કબજિયાત નથી થતી. માટે તેલના ભાવવધારાથી બીજા દર્દી ભલે ઓછા થાય, કબજિયાતના દર્દીઓમાં ભારે વધારો જોવા મળશે. કોઈકે ખરું જ કહ્યું છે, કુદરત બધું બેલેન્સ કરે છે.

Sunday, April 08, 2012

તમે આ વખતે ક્યાં ફરવા જવાના ?


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |

કેગના અહેવાલથી ગુજરાત સરકાર હાલી જશે?’ કે શું લશ્કરી વડાને લાંચ ઑફર થઈ હતી?’ જેવા પ્રશ્નોથી પણ વધુ સળગતો પ્રશ્ન આજકાલ ચર્ચામાં છે. આ પ્રશ્ન છે તમે આ વખતે ક્યાં જવાના ?’. પ્રશ્ન પૂછનાર પાર્ટીને જવાબ સાંભળવા કરતાં સામે સવાલ પુછાય કે તમે આ વખતે ક્યાં જવાના છો ?’ એમાં વધુ રસ હોય છે. અમે તો આંદામાન જવાના’, ‘ફ્લાઇટ બુક થઈ ગઈ છેએવી માહિતી અપાય કે એથી પણ ઉચ્ચતમ દુબઈ તો ગીયા વરસે સોપિંગ ફેશ્ટીવલ ટાણે ગ્યા તા, શિંગાપોર પણ ઓલી સાલ જઈ આઇવા, હવે યુરોપ રયું સે’. પણ આ રાતોરાત કરોડપતિને પાંચ વરસ પહેલાં ક્યાં ગયા હતાં એવું પૂછો તો સોમનાથ અને વીરપુર જવાબમાં મળે !

અને આજથી વીસ-પચીસ વરસ પહેલાં વેકેશનમાં તમે ક્યાં જવાના છો ?’ જેવા સવાલો પડોશીઓ અને મિત્રોના કોર્સમાં જ નહોતાં. વેકેશનમાં બેન મોટે ભાગે પિયર જાય. છોકરાં સહિત. એમાં ટ્યૂશન નડે નહિ. બેનની નોકરી નડે નહિ. અને ભાઈ ટેસથી નોકરી કરે. થોડા દિવસ મમ્મીના હાથનું ખાવા મળે એમાં ભાઈને જલસા થઈ જાય. કોઈ સમભાગી જોડે નાનીમોટી પાર્ટી કરે. અને પત્નીને પિયર લેવા મૂકવા જતાં કોઈ ધાર્મિક સ્થળ રસ્તામાં પડતું હોય તો ત્યાં દર્શને જઈ આવે એટલે વેકેશન માણ્યું કહેવાય. અને જો પતિ કે પત્ની સરકારી નોકરીમાં હોય તો એલટીસી માટે ચારધામ કે નાસિક-ત્ર્યમ્બક કે દક્ષિણ ભારતની જાત્રાએ નીકળી પડે. ત્યારે દેશના જાણીતાં ધાર્મિક સ્થળોએ ફરેલો વ્યક્તિ માનની નજરે જોવાતો.

પણ આજકાલ ગુજરાતી ક્યાં ફરવા જાય અને કેવી રીતે જાય તે એની હેસિયત પર આધાર રાખે છે. હજારપતિ ગામમાં તળાવે કે હનુમાન મંદિરે દર્શન કરી રજા માણે છે. લખપતિ રાજ્યના ધાર્મિક સ્થાનો કે ઐતિહાસિક સ્થળોના પ્રવાસે એસ.ટી. કે લકઝરી બસમાં બેસી જાય છે. નાના મિલિયોનર ટ્રાવેલ કંપની આયોજિત પેકેજ ટુર લઈ દેશમાં ફરે છે. મોટા મિલિયોનર વિમાનમાં બેસી હિલસ્ટેશન કે દરિયાકિનારે જાય, અને થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટેલમાં રોકાય. કરોડપતિ વિદેશમાં ફરવા જાય છે. આ બધું આ પ્રમાણે જ થવું જરૂરી છે. કરોડપતિ ભૂલેચૂકે જો ઉનાળામાં આબુ જાય તો એની આબરૂ ધૂળધાણી થઈ જાય છે. અરેરે... આટલાં મોટા કરોડપતિ અને આબુમાં વેકેશન ગાળે છે?’ એવા પ્રશ્નો લોકો કરે છે. અમુક તો ધંધામાં ખોટ ગઈ હશેજેવા તારણ પણ કાઢી નાખે. પછી જનારે છોકરાની એન્ટ્રન્સ છે, વચ્ચે ત્રણ દિવસ જ હતાં એટલે ફ્રૅશ થવા આવ્યાં, આબુ નજીક ખરુને ..એવા ખુલાસા કરવા પડે છે. એટલે જ કરોડપતિએ આબુ જવું હોય તો માત્ર વીક-એન્ડમાં જ જવાય.

વેકેશનમાં વિદેશ ફરવા જનારા બે પ્રકારનાં હોય છે. એક જુનાં જોગીઓ. અને બીજાં નવા નિશાળિયા. ગયા વરસે વિદેશ પર્યટનની શરૂઆત કરી હોય એવા નવા નિશાળિયા સિંગાપોર યાત્રામાં જે તકલીફ પડી હોય એ અનુભવોને આધારે નવા પ્રવાસ આયોજન કરે છે. જોજે હો, દસ દિવસ ચાલે એટલાં ઢેબરા બનાવી લેજે, ગ્યા વરસે બ્રેડના ડૂચા મારીને પેટ ગાભા જેવું થઈ ગયુંતુ’. તો કોઈને વળી ચા માં ભલીવાર ન આવ્યો હોય એ જોજે ચાનો મસાલો ભૂલતી નહિ આ વખતે’. વિદેશ પ્રવાસમાં પહેલી વાર જાય એમાં અંગ્રેજી આવડતું ન હોય એટલે ભારત યાત્રાના અનુભવો પ્રમાણે હિન્દીમાં વાત કરવાની કોશિશો થાય. એમાં ભાઈનું અંગ્રેજી પણ પાછું ચોથી ફેઇલ જેવું હોય તોયે પેલી ગુજીષા હિન્દીમાં વાત કરવા લાગે એટલે એની મશ્કરી ઉડાડે ! પાછું એકવાર આવા અનુભવો થયાં હોય એટલે બીજી વખત પહેલેથી એકબીજાને ચેતવતા ફરે કે જોજે પાછી હિન્દીમાં બાફવાનું ચાલુ ના કરી દેતી’.

પણ ગમે તે હોય, વેકેશનમાં ફરવા જવામાં ગુજરાતીઓ મોખરે છે. એટલે સુધી કે હવે તો ટ્રાવેલ કંપનીઓ પૅરિસમાં પાતરાને વેનિસમાં વેઢમીઑફર કરે છે. આપણા જેવાને થાય કે રૂપિયા ખર્ચીને પૅરિસમાં પાતરા જ ખાવાનાં ? તો સામે રખડુ પાર્ટી દલીલ કરે એની જ તો મઝા છે, ફરવાનું આખી દુનિયામાં પણ ખાવાનું તો ગુજરાતી જ !’. આ આપણી ગુજરાતીઓની ખૂબી છે. ત્રણ દિવસ ખીચડી વગરના જાય તો જાણે અઠવાડિયું નાહ્યા ન હોય એવી અકળામણ અનુભવે. હોટેલમાં સામાન મૂકીને સૌથી પહેલાં ગુજરાતી થાળી ક્યાં મળે છે ?’ એ શોધવા નીકળી પડે. અને પછી જ્યાં ગુજરાતી બોર્ડ દેખાય એટલે જાણે ભગવાન મળ્યા હોય એટલાં ગદગદ થઈ જાય. ત્યાંથી જ હોટેલમાં કપડાં ધોવા મચી પડેલી પત્નીને મોબાઈલ કરી દે કે ગુજરાતી હોટલ મળી ગઈ છે તમે લોકો તૈયાર થઈને આવી જાવ’. પણ ખીચડી વગર ઘેલાં થઈ ગયેલા આપણા આ ગુજ્જેશો, પછીના વર્ષોમાં ગુજરાતી ખાવાનું મળશે કે નહિ?’ અથવા ગુજરાતી મહારાજ સાથે છે?’ જેવી આગોતરી તપાસ કરીને પછી જ રૂપિયા ભરે છે. 

હવે તો વેકેશનમાં ફરવા ન જઈ શકનાર ગુજ્જેશ પરિવાર માટે વેકેશન અને એની આગળપાછળનો સમયગાળો દોજખ સમાન થઈ જાય છે. છોકરાનું એડમીશન’, ‘સાસુ બીમાર છે’, ‘રજા મંજૂર નથી થઈ’, જેવા સાચા કારણો આપનાર હાંસીપાત્ર બને છે. એટલે જ અમે આવા લોકો માટે થોડાંક બહાના વિચાર્યા છે. વેકેશનમાં દિગ્વિજયની સ્પીચ લખવાનું કામ મળ્યું છે, ‘ફોર્ડની જમીન ફાઈનલ કરવાની છે’, ‘અન્ના જોડે ઉપવાસ પર બેસવાનું છેકે આઈપીએલમાં આપણી પર બધી જવાબદારી છેજેવું કહેશો તો લોકો તમારી વેકેશનમાં વિદેશ ન જવાની લાચારીને ઈર્ષ્યાના ભાવ સહિત ચલાવી લેશે.

સલીમનો ઇન્ટરવ્યૂ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૮-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |     



અનારકલી ડિસ્કો જાય છે, એ સમાચાર આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. એટલે જ બધી ચેનલ્સના પત્રકારો અનારકલી અને સલીમને શોધતા હતા. વાત જ એવી હતી ને. બધાંને એવું હતું કે પ્રિન્સ સલીમનું અનારકલી જોડે ચોકઠું ગોઠવાયેલું છે. સલીમ અને અનારકલી લીવ-ઇન રિલેશનશિપ ધરાવે છે ને વેકેશન માણવા સાથે જાય છે. અનારકલીએ કોઈ ફંક્શનમાં એક ટેણિયાના ગાલે ચીંટિયો ભર્યો એમાં તો શું અનારકલીને સારા દિવસો જાય છે?’ એવા બ્રેકિંગ ન્યૂઝ એક ચેનલ પર ચોવીસ કલાક એક જ ફોટા સાથે બતાવવામાં આવ્યા હતા એટલે જ તો અનારકલી સલીમને મૂકી ડિસ્કો જતી હોય તો દાળમાં જરૂર કંઈક કાળું છે અને એમાં ચાંચ મારવી એ ચેનલોનો ધર્મ છે. એટલે જ અધીર ન્યૂઝ નેટવર્ક (ANN)ના ચબરાક પ્રતિનિધિએ સલીમને પકડી પાડયો હતો અને થોડી રકઝક બાદ સલીમ ઇન્ટરવ્યૂ આપવા રાજી થયો હતો. તો આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો.

ANN : સલીમ સર, શું એ વાત સાચી છે કે અનારકલી ડિસ્કો ગઈ છે?

સલીમ : હા, ગઈ હશે, એમાં શું મોટી વાત છે. એ ઉંમરલાયક છે એને નાચવું ગમે છે, તો જાય જ્યાં જવું હોય ત્યાં.

ANN : પણ સલીમને મૂકી ને?

સલીમ : મને નાચતા નથી આવડતું એટલે કંટાળો આવે છે. ડિસ્કોમાં જઉં અને ક્યાંક એનો પગ કચરાઈ જાય તો નકામો વીમો પાકે!

ANN : અનારકલીના પગનો વીમો છે? ફૂટબોલ પ્લેયરના પગનો વીમો હોય, પણ અનારકલીના પગનો?

સલીમ : કેમ એ સારું કથ્થક કરે છે. ડાન્સર છે. પગનો વીમો ન હોય?

ANN : હોય ને, પણ ડિસ્કો તો ભીડભાડવાળી જગ્યા છે, ત્યાં ન જવું જોઈએ.

સલીમ : અલા, મને વાંધો નથી, મારા ડોહાને વાંધો નથી અને તને વાંધો છે?

ANN : ઓહ ઓકે. ચાલો વાંધો પાછો ખેંચી લઉં છું, આ તો એવું સાંભળ્યું હતું કે અનારકલીના પગ ભારે છે એટલે.

સલીમ : એ તો તમે એની સાથે ડિસ્કો કરો અને એનો પગ તમારા પગ પર પડે તો તમને ખબર પડે!

ANN : સારું સારું, પણ આ અનારકલી તમને મૂકીને ડિસ્કો ગઈ પછી તમને કેવું
લાગે છે?

સલીમ : ખરું કહું? બહુ સારું લાગે છે. આ બધાં જે બેઠા છે ને આસપાસ, એ દોસ્તોને બહુ વખતે મળ્યો. યુ સી, અનારકલી થોડી પઝેસિવ છે.

ANN : (કેમેરા સામે જોઈને ) અનારકાલીના એકલા ડિસ્કો જવાથી ખુશ છે સલીમ. શું સલીમના જીવનમાં બીજી કોઈ કલી આવી છે? આપણે એક નાના વિરામ પછી સલીમ સાથે વાત આગળ વધારીશું ત્યાં સુધી ક્યાંય જશો મા.
--
ANN : સલીમજી, અમારી પાસે કર્ણદીદ (ચશ્મદીદની જેમ) ગવાહ છે, જે કહે કે અનાર તમારી વધારે ઉંમરને કારણે તમને અંકલ કહીને બોલાવે છે...

સલીમ : તમારા એ કર્ણદીદ ગવાહનું નાક તોડવું પડશે મારે...

ANN : ઓહ, જવા દો, અમે સાંભળ્યું છે કે કોઈ એનજીઓ એ ‘અનારકલી...’ ગીત માટે વાંધો ઉઠાવ્યો છે?
સલીમ : એમ?

ANN :  એમનું કહેવું છે કે ઇતિહાસના પુસ્તકમાં સલીમ વિશે પાઠ આવે છે, પણ ગીતના શબ્દોને કારણે છોકરાંને જાતજાતના સવાલ થાય છે. શહેજાદા ગલીમાં શા માટે રહેતા હશે? અનારકલી કેમ એકલી ડિસ્કો જતી હશે?

સલીમ : લોકોને અત્યારે આ બધું સૂઝે છે? મારા ડોહાને જોધા અકબરમાં અભણ બતાવ્યા ત્યારે ‘સૌ ભણે, સૌ આગળ વધે’ નો ઝંડો લઈ ફરવાવાળા ક્યાં ગયા હતા?

ANN : તમારા ડોહા, બોલે તો ડેડની વાતથી યાદ આવ્યું કે શું અનારકલી અને તમારા ડેડને બનતું નથી?

સલીમ : કોણે કહ્યું? તમેય બોસ મોગલે આઝમના જમાનાની વાત કરો છો. ડોહા તો કજરારેમાં અમિતાભે ઐશ્વર્યા વહુ સાથે ડાન્સ કર્યા ત્યારથી અનારકલી સાથે ડિસ્કો કરવા થનગને છે. આ તો મમ્મીએ પકડી રાખ્યા છે. તમેય ક્યાંથી લઈ આવો છો આવાં પડીકાં?

ANN : (કેમેરા સામે જોઈને ) બ્રેકિંગ ન્યૂઝ, અનારકલી સાથે ડિસ્કો જવા આતુર છે મોગલે આઝમ...
 
સલીમ : આજે ડોહા જરૂર ખુશ થશે પબ્લિસિટીથી!!

ANN : હેં ???

Monday, April 02, 2012

બિરબલ : એક ધુપ્પલ


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |

પણે બધાં અકબર બિરબલની વાતો વાંચીને મોટા થયા છીએ. દરેક મા-બાપ પોતાના બાળકોને બિરબલની વાતો એ આશયથી વંચાવે છે કે છોકરાં મોટા થઈ બિરબલ જેવા હાજરજવાબી બને. પણ બિરબલની વાર્તા વાંચીને મોટે ભાગે છોકરાઓ હાજરજવાબી થવાને બદલે સામા જવાબ આપતાં થઈ જાય છે. ઇતિહાસ કહે છે કે મહેશ દાસ નામે આ બ્રાહ્મણ આગળ જતા બિરબલ નામે ઓળખાયો અને અકબરના દરબારમાં નવ રત્નોમાં સ્થાન પામ્યો હતો. પણ અમારા મતે આ બિરબલમાં આજકાલ બજારમાં મળતા પંચરત્ન મઠ્ઠાની જેમ રત્ન જેવું કશું નહોતું. અમે તો એવું દ્રઢ પણે માનીએ છીએ કે બિરબલની વાર્તાઓ એ નર્યું ધુપ્પલ છે.  

બિરબલ સાચેસાચ જો મહાન હતો તો પછી એનું કામ શું અકબરના તરંગતુક્કાનાં જવાબ શોધવાનું હતું ? અને આટલા મોટા બાદશાહ અકબરને જાણે બીજા કામ હોય નહિ તે બેઠો બેઠો બિરબલની પરીક્ષા કર્યા કરતાં હશે ! જો બિરબલ મહાન હતો તો કેમ બિરબલે કોઈ યુધ્ધમાં ભાગ ભજવ્યો હોય એવું નથી આવતું ? કદી કોઈ રાજનૈતિક બાબતમાં અકબરે બિરબલની સલાહ લીધી હોય એવી વાત કેમ નથી સાંભળી ? વળી ક્યારેક પરપ્રાંતના પંડિતો આવી બિરબલને પડકારતા હતા, પણ બિરબલે ફિક્સ કરેલા હોય એમ બને. ખરેખર તો અકબર-બિરબલની વાતોમાં બિરબલની હોશિયારી દેખાય એનાં કરતાં અકબર અક્કલ વગરનો હતો એવું વધારે લાગે છે. અમને તો એવું લાગે છે કે બિરબલ કરતાં બિરબલનો પબ્લિક રિલેશન ઓફિસર હોંશિયાર હશે, જેણે બિરબલના નામે આવી અફલાતૂન કપોલકલ્પિત કથાઓ ચડાવી દીધી. 

બિરબલની વાતોમાં સૌથી પહેલાં તો બિરબલને દરબારમાં દાખલ થતાં દરવાન રોકે છે એ વાત આવે છે. અને બિરબલ દરવાનને રાજા જે ઇનામ આપશે એમાંથી અડધો ભાગ આપવાનો વાયદો કરી અંદર જાય છે. અકબરના દરબારમાં એ વખતે પણ અત્યારની જેમ ધૂમ ભ્રષ્ટાચાર ચાલતો હતો એવું આ વાતથી લાગે છે. એક વાર અકબર બિરબલને દિલ્હીમાં કાગડા કેટલાં એ ગણીને જણાવવા કહે છે. બિરબલ કોઈ મનઘડંત આંકડો કહી દે છે પાછો ઉપરથી બાદશાહને એમ સમજાવે છે કે જો આ આંકડા કરતાં ઓછાં કાગડા હોય તો કાગડાઓ પોતાના સગાઓને ત્યાં વેકેશનમાં ગયાં હશે અને વધારે હોય તો બહારગામથી એમનાં સગા મળવા આવ્યાં હશે. આ આખી વાતમાં બિરબલની અસલિયત ખબર પડે છે. હકીકતમાં અકબર પ્રકૃતિ પ્રેમી હોવાથી એ કાગડાઓની વસ્તીગણતરીનું કામ બિરબલને સોંપ્યું હશે. પણ બિરબલને આ કામ કઈ રીતે કરવું તે ગતાગમ નહિ પડતા કામ કરવાને બદલે એણે રાજાને ઉઠા ભણાવી દીધાં હતાં. બિચારો અકબર !

અને બિરબલની આ વાર્તાઓ નર્યું જુઠાણું હતું એ બિરબલની ખીચડી વાર્તાથી સાબિત થાય છે. યાદ કરો એ વાર્તા. અકબરને વિચાર આવે છે કે આ હોજના ઠંડા પાણીમાં કોઈ ઉભું રહી શકે ? બિરબલ અકબરને સમજાવે છે કે રૂપિયા મળતા હોય તો કોઈ પણ ઉભું રહે. બિરબલ આમ અકબરના સામાન્ય તુક્કાને મોટું રૂપ આપી ઇનામ જાહેર કરાવે છે. શું અકબર એટલો નવરો હતો કે ઠંડા પાણીમાં ઉભા રહેવા માટે ઇનામો જાહેર કરતો ફરે ? અને અમને સૌથી વધારે મોટો વાંધો એ છે કે બિરબલનાં તુક્કાને લીધે કોકની જીંદગી જોખમમાં મુકાઈ ગઈ હોત. કદાચ એમટીવી રોડીઝ અને ફિયર ફેક્ટર જેવાં રિયાલિટી શો આ બિરબલની વાર્તામાંથી પ્રેરણા લઈને બન્યા હશે.

એક ગરીબ બ્રાહ્મણ આ ચેલેન્જ સ્વીકારી ઠંડા પાણીમાં આખી રાત ઉભો રહે છે. બ્રાહ્મણ બીજા દિવસ સવાર સુધી તો જીવતો હતો એટલું તો વાર્તામાં આવે છે, પણ એને ન્યુમોનિયા થઇ ગયો હતો કે કેમ એ વાત અકબરના જમાનામાં રાઈટ ટુ ઇન્ફર્મેશન ન હોવાથી બહાર નથી આવી. માની લીધું કે બ્રાહ્મણ અકબર-બિરબલનાં આ ક્રૂર પ્રયોગ પછી પણ જીવી જાય છે. પણ અકબર એને ઇનામ નથી આપતો કારણ કે બ્રાહ્મણે મહેલના દીવાની હુંફથી આખી રાત પસાર કરી હોય છે. અકબરના આ ઇન્કારથી અકબર રાજા હતો કે સરકારી કર્મચારી એ પ્રશ્ન ઉભો થાય છે. આવા ઢંગધડા વગરના વાંધા કાઢી બિચારા બ્રાહ્મણનું ઇનામ લટકાવી દે એ રાજા તો ન હોય ! પણ લખનારે લખ્યું અને આપણે માની લીધું કે અકબર અન્યાયી હતો.

વાર્તામાં છેલ્લે ઇનામ અપાવવા માટે પછી આપણા આ ચતુર બિરબલની ખીચડી નામે જાણીતી યુક્તિ કરે છે. બિરબલ અકબરને પોતાનાં ઘેર જમવા તેડાવે છે. એકદમ ધુપ્પલ. અકબર કંઈ બિરબલના ઘેર જમવા જાય ? પણ ખીચડી ? કોઈ રાજાને પોતાને ઘેર બોલાવી ખીચડી ખવડાવે ? રાજા પણ કલાકો સુધી ખીચડી બને એની રાહ જોતો ડફોળની જેમ બેસી રહે ? શું આવા હતા આપણાં જલાલુદ્દીન અકબર? શહેનશાહોના શહેનશાહ ? બિરબલ એમને આમ ઉલ્લુ બનાવે અને એ કલાકો બેસી રહે ! અને જો આ આખી વાર્તા સાચી પણ હોય તો બિરબલ પોતે બ્રાહ્મણ હોવાને કારણે બ્રાહ્મણોની તરફેણ કરતો હતો એવું પ્રતીત નથી થતું ?

આજકાલ તો બ્રાહ્મણો અને વગર બ્રાહ્મણો પોતાનો હક મેળવવા પોલીસ, સરકાર અને ન્યાયાલયોના ધક્કા ખાય છે. અધિકારીઓ, સરકાર અને એમનાં મળતિયાઓ ખીચડી પકાવે છે, પણ ઇન્સ્ટન્ટ ! અને રહી વાત બિરબલની તો એ પહેલા કદાચ વાર્તામાં હતો, અને આજકાલ તો એ વાર્તામાં પણ નથી !