Showing posts with label સંદેશ. Show all posts
Showing posts with label સંદેશ. Show all posts

Thursday, April 11, 2013

ઇન્ડિયન પકાઉ લીગ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૭-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 

તમે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના...’ ગીત સાંભળ્યું હશે. પણ એવી કોઈ બેગાની શાદી કે જેમાં એકે એક જાનૈયો અબ્દુલ્લો હોય એવું નહિ જોયું હોય. અને જાનૈયા પણ એવા કે જેમને એ કોના લગનમાં નાચે છે એની પણ ખબર ન હોય! આવા એક લગન કે જેમાં આવા હરખ-પદુડા અબ્દુલ્લાઓ અઢળક ભરતી કર્યાં છે, અને જુનાં ખડ્ડુસ અબ્દુલ્લાઓ જેમાં બેન્ડવાળા ઉપર ઉછળતા રૂપિયા ભેગા કરવા જ આવે છે એ ‘ઇન્ડિયન પકાઉ લીગ’ શરુ થઈ રહી છે. કરોડો રૂપિયા અને કરોડો માનવ કલાકો આ બેગાની શાદીમાં સમર્પિત થઈ જશે.

આપણે કમાણી પર ૨૦-૩૦ ટકા ઇન્કમટેક્સ ભરીએ છીએ, પણ આ પકાઉ લીગની કરોડોની કમાણી પર સરકાર મનોરંજન કર માફ કરી દે છે એ બતાવે છે કે આ પકાઉ લીગમાં ખરેખર કોઈ મનોરંજન જ નથી. આ પકાઉ લીગની રોજ રોજની મેચોથી દેશમાં માઈગ્રેનના પેશન્ટ્સ વધ્યાનો વર્લ્ડ હેલ્થ સંસ્થાને એક એનજીઓએ હમણાં રીપોર્ટ મોકલ્યો છે. જોકે આ એનજીઓએ આઈપીએલ આયોજકો પાસેથી સહાય માંગી અને ન મળી એટલે આવો રીપોર્ટ કરવામાં આવ્યો એવી ચર્ચા અધીર ન્યુઝ નેટવર્ક (એ.એન.એન.) પર જોવા મળી હતી.

ઇન્ડિયન પકાઉ લીગની (આઈપીએલની) શરૂઆત ખેલાડીઓની હરાજીથી થાય છે. અંગ્રેજોએ આપણને ક્રિકેટની રમત આપી છે. એ જ અંગ્રેજોએ ભારતમાં ગુલામી અને સર્વન્ટ કલ્ચર પણ આપ્યું હતું. પકાઉ લીગમાં મોટા મોટા ખેલાડીઓની જયારે હરાજી થાય છે ત્યારે અંગ્રેજો અને ગુલામીની યાદ તાજી થાય છે. હરાજીમાં જોકે ભારતની સાથે સાથે બીજાં દેશોના ‘બેનને કોઈ લેતું ન હોય અને ભ’ઈને કોઈ દેતું ન હોય’ ટાઈપના ખેલાડીઓ પણ વેચાવા આવે છે. અમુક વાર તો ગધેડાય ઘોડાના ભાવે વેચાતાં જોવા મળે છે. પછી જાહેરાત અને ટેલીવિઝન હકો વેચાય છે. બધું જ્યાં બીકાઉ હોય ત્યાં મેચો ફિક્સ નહિ હોય એવું માનવા માટે નક્કર કારણો શોધવા પડે, ખાસ કરીને એનાં આયોજકોના નામે ચઢેલા કૌભાંડો અને એમની મથરાવટી જોતા!

મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો એક અનુભવ આ સંબંધે જણાવું. જ્યારે ગાનારમાં દમ ન હોય ત્યારે ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક લાઉડ કરી દઈ ગાનારની ખામીઓ દબાવી દેવાનો પ્રયાસ થાય છે. પકાઉ લીગમાં ચીયર લીડર્સ આ લાઉડ મ્યુઝિકનું કામ કરે છે. ક્રિકેટમાં ચીયર લીડર્સનો આઈડિયા દાદ માંગી લે એવો છે. એ બતાવે છે કે આ પકાઉ લીગના આયોજકો કેટલા રંગીન સ્વભાવના છે. વીસ ઓવરની મેચમાં ચોગ્ગા છગ્ગા અને એ મારતાં વિકટો પડે ત્યારે ચીયર લીડર્સ જે દેકારો મચાવે એ પછી કોમેન્ટ્રી નબળી હોય તો પણ એ તરફ ધ્યાન ન પડે. આ ચીયર લીડર્સના લીધે સ્ટેડીયમની ખાલી પડેલી સીટો તરફ લોકોનું ધ્યાન નથી પડતું એ નફામાં! અમુક ને છગ્ગાના એક્શન રિપ્લે કરતાં પેલી નચનીયાના ઠુમકાનો એક્શન રિપ્લે થાય તેમાં વધારે રસ હોય છે. એટલે જ રસિકોની માંગ છે કે ચીયર લીડર્સ પર કેમેરા AK-47ની જેમ અંધાધૂંધ ફેરવવાને બદલે ફાયર બ્રિગેડવાળાના ધાધુડાની જેમ એકધારો રાખવો જોઈએ, પછી ભલે પાછળ એકાદ ઓવર જતી રહે!

પકાઉ લીગને પકાઉ હોવા માટે એકની એક જાહેરાતોનું રીપીટ ટેલીકાસ્ટ પણ જવાબદાર છે. કેટરીના જો આટલી બધી વખત મેંગો ડ્રીંક પીવે તો ટોઇલેટના આંટાફેરા ખાવામાં ફિલ્મો ક્યારે કરે, એવો કોઈને પણ વિચાર આવે. અને વિચારો કે જો લોકોને કેટરિનાને જોઈને આવો કંટાળો આવતો હોય તો પછી કપિલ દેવ કે પેલા એમડીએચ મસાલાવાળા કાકાની જાહેરાત વારંવાર આવે તો કેટલો માનસિક ત્રાસ થાય? આમને તો થાય છે કે પકાઉ લીગના પ્રમોશન માટે ફારાહ ખાન પાસે ટી.વી. પર જાહેરાતમાં જેટલુ ‘જમ્પક જમ્પક જમ્પક જપાંગ ...’ કરાવ્યું છે એટલુ એની પાસે ક્રિકેટની પીચો પર કરાવ્યું હોત તો આપણી પીચો કમસેકમ મહુડીની સુખડી જેવી સરસ કડક તો બની હોત!  

આ બધામાં પકાઉ લીગ ટીમના માલિકો સૌથી વધારે બોર કરે છે. ગયા વર્ષે કોલકોતાના માલિક જેને અમે પ્રેમથી જમરુખ ખાન કહીએ છીએ, એણે ટુર્નામેન્ટ જીત્યાં પછી પોતાના અંત:વસ્ત્રનું પ્રદર્શન કર્યું હતું. કદાચ એનાં ફેન્સને લોયલ્ટીના ઇનામ સ્વરૂપે એ હશે. પણ જે રીતે ફિલ્મસ્ટાર્સ ટ્વીટર ઉપર અને સ્ટેડીયમ પર પોતાની ટીમને ચીયરઅપ (અને હવે તો હ્ગ પણ!) કરે છે તે તો જાણે ખેલાડીઓને નહિ પણ કૂતરાઓએ ડોગ શોમાં ભાગ લીધો હોય અને બકઅપ કરતાં હોય એવું વધારે લાગે છે! આ પકાઉ લીગમાં પણ આપણે શિલ્પા, પ્રીતિ, જુહી, નીતા જેવાઓનો વધારાનો ત્રાસ સહન કરવાનો જ છે. હે ઈશ્વર, રક્ષા કરજો! 

ડ-બકા
આપનું મુખ જોઈ મનમાં થાય છે;
બ્યુટી-પાર્લરવાળા જબરું કમાય છે. 

Monday, April 01, 2013

બોસ ! માર્ચ એન્ડ છે !

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૩૧-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ને હંમેશની જેમ વિક્રમે મડદાંને ખભે નાખ્યું એટલે મડદાએ વાત શરું કરી. અમદાવાદ નામે એક વાઈબ્રન્ટ શહેર હતું. આ નગરમાં એકવાર એક ચકચાર ભર્યું ખૂન થયું. એક યુવાન પરણીતાને કોઈએ ચપ્પાના ઘા મારી પતાવી દીધી હતી. બનાવનું કોઈ ચશ્મેદીદ ગવાહ નહોતું. આ કપલને પરણે ચારેક વરસ થયા હશે પણ કોઈ લડાઈ ઝઘડા હોય એવું લાગતું નહોતું. બન્ને ભણેલા ગણેલા હતાં. પત્ની  આઈટી એન્જીનીયર હતી ને એનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો, જે ઘટના સમયે કોઈ સામાજિક પ્રસંગે મુંબઈ ગયો હતો. એની ટ્રેઈનની ટીકીટ અને ગેરહાજરીના પુરાવા હતાં. એટલે પોલીસે પતિને પણ ક્લીન ચીટ આપી હતી. ઘરમાંથી થોડી કેશ ગુમ થઈ હતી. ઘટનાના આગલા દિવસે જ ઘરઘાટી હોળી કરવા ડુંગરપુર ગયો હતો. આજુબાજુના ઘરમાંથી હોળી માટે રૂપિયા લઈ ગયો હતો અને બધાએ હવે જાતે કામ કરવાનું હોવાથી સૌને એ ક્યારે ગયો તે બરોબર યાદ હતું. આમ નોકરને પણ ક્લીન ચીટ મળતી હતી. એવું જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલાં દૂધવાળા જોડેને મારનાર સાથે કંઈ માથાકૂટ થઈ હતી. સવારમાં વહેલાં બેલ ન મારવા બાબતે. ખૂન વહેલી સવારે થયું હતું પણ તકરાર કંઈ બહુ સીરીયસ વાત નહોતી કે જેના માટે ખૂન થાય. તો હે વિક્રમ, જો તને ખબર હોય કે ખૂન કોણે કર્યું હશે તો તને ગુજરાતની એન્કાઉન્ટર પ્રિય પોલીસના સમ જો તું ન જણાવે તો!

વિક્રમે નિશ્વાસ નાખ્યો.  ‘ખૂન એનાં પતિએ જ કર્યું હતું. હોળી પછીની વાત છે એટલે માર્ચ એન્ડ થયો. માર્ચ એન્ડમાં ક્યો સીએ સામાજિક પ્રસંગે બહારગામ જાય? એ પણ પત્નીને લઈ જવી જરૂરી ન હોય એવા પ્રસંગમાં? એ જૂઠું બોલે છે. એ અમદાવાદની ટીકીટ પર કોઈ ડમી વ્યક્તિને મોકલી અમદાવાદમાં જ મીટીંગો કરતો હશે. કોઈ કારણસર એનાં લફરાની ગંધ એની પત્નીને આવી ગઈ હશે એટલે એને પતાવી દીધી હશે. ને મડદું હમ્મેશની જેમ વિક્રમના બોલવાથી ઉડી સિદ્ધ વડ પર જતું રહ્યું.

--  

દુનિયામાં કેટલીય ઘટનાઓ દર વર્ષે ઘટતી હોય છે. સુનામી આવે છે. ધરતીકંપ આવે છે. પૂર આવે છે. સ્ત્રીઓના નામધારી વાવઝોડા આવે છે. એમ જ દર વર્ષે માર્ચ એન્ડ આવે છે. માર્ચ એન્ડ આવવાથી લોકોના કાર્યક્રમો વેરવિખેર થઈ જાય છે. તો માર્ચ એન્ડના ભારથી એકાઉન્ટ્સ કોમ્યુનીટીની કમર ભાંગી જાય છે, જોકે ઓર્થોપેડિક ડોક્ટર્સને એથી ખાસ ફાયદો નથી થતો. માર્ચ એન્ડમાં સીએ આર્ટીકલશીપ કરતાં ટાબરીયાઓથી માંડીને ખૂંખાર સીએશ્રીઓ બીઝી થઈ જાય છે. માર્ચ એન્ડ આવે એટલે બીજાં બધાં બહાના દવલા બની જાય છે અને માર્ચ એન્ડનું બહાનું વહાલું બની જાય છે કારણ કે ‘માર્ચ એન્ડ છે’ એ બહાનું એકાઉન્ટ્સ જમાતના વર્ષોના પ્રયત્નોથી હવે સર્વમાન્ય બની ગયું છે.

ભારતમાં ૩૧ મી માર્ચે ફાઈનાન્સિયલ વર્ષ પૂરું થાય છે. આ એક જાદુઈ તારીખ છે. ૩૧ મી ડિસેમ્બરે નવું વર્ષ શરું થાય ત્યારે કોઈ આટલી દોડધામ નથી કરતું. શૈક્ષણિક સંસ્થાઓમાં જુન-જુલાઈમાં એકેડેમિક ટર્મ ચાલુ થાય કે એપ્રિલ-મેમાં એન્ડ થાય ત્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવા છતાં આટલા ઘાંઘાં નથી થતાં જેટલા લોકો માર્ચ એન્ડમાં બાવરા થતાં જોવાં મળે છે. જેમ પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે અને ગાંડાઓના ગાંડપણમાં વધારો કરે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને કંપની માલિકોમાં માર્ચ-એન્ડ આવતા જ ઉન્માદ છવાઈ જાય છે. માર્ચ એન્ડમાં જેટલું કામ અને ઓવરટાઈમ આ લોકો કરતાં દેખાય છે, એ જોતાં આખું વર્ષ એ લોકો કામ કરતાં હશે કે કેમ, એ સ્વાભાવિક પણે કોઈને પણ શંકા જન્માવે છે.

ઇતિહાસ તપાસો તો ૧૯૩૦નાં માર્ચની ૧૨મી તારીખે ગાંધીજીએ શરું કરેલી દાંડી માર્ચમાં એકપણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ભાગ નહોતો લીધો. અત્યારની વાત કરીએ તો કોઈ સીએનાં લગ્ન માર્ચ મહિનામાં થયા હોવાનું અમારા જાણવામાં નથી આવ્યું. જેમ ચોમાસામાં મેલેરિયાની કે વાઈરલ સીઝનમાં ડોક્ટર રજા નથી પાડતા, એમ જ માર્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રજા નથી પાડતાં. અરે માંદા પણ નથી પડતાં. માર્ચમાં કોઈ સીએ સ્વીત્ઝરલેન્ડ ફરવા નથી જતાં. માર્ચમાં કોઈ કથા નથી ગોઠવતું. માર્ચની બોરિંગ સાંજે તમારા ઘેર કોઈ સીએ વગર બોલાવ્યે આવી નથી જતો કે ‘અહિંથી નીકળતો હતો તો થયું ચાલો ખબર પૂછતો જાઉં’. ને માર્ચ મહિનામાં જો કોઈ સીએ મહેમાન બને તો એ ટીવી જોતાં જોતાં પોતે મહેમાન છે અને અહિં રહેવા નથી આવ્યો એ ભૂલી નથી જતો. માર્ચ મહિના માં ... એક મીનીટ..  યાદ આવ્યું ... મારે પણ સીએને મળવા જવાનું છે. ચાલો ફરી મળીશું.

ડ-બકા
તારા માટે ફૂટશે
આજે એકવીસ લાખ કુંપળો,
વસંતનો આખ્ખો દિવસ
જા તને અર્પણ કર્યો !!!



Sunday, March 24, 2013

પેપર ટાઈગર

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
પરીક્ષામાં પેપર આવે એટલે વિદ્યાર્થીના મનમાં જાતજાતના ભાવ જગાવે છે. ‘અહા, બધ્ધું જ આવડે છે’, કે ‘પંદર હાજર ખર્ચીને જે પેપર ખરીદ્યું એમાંથી દસ માર્કનું પણ નથી પુછાયું’ થી લઈને ‘ત્રણ કલાક કેમના કાઢીશ, વે’લો નીકળીશ તો મમ્મી પાછી બે કલાક કચકચ કરશે’ સુધીના પ્રથમદર્શીય પ્રતિભાવો પેપર જગાવી જાય છે.

ફીલોસોફીકલી વિચારીએ તો પેપર એ કાગળનો એક ટુકડો છે. એટલે જ કદાચ એક્ઝામ પેપર્સ એકદમ બોરિંગ લાગે છે. એનો સફેદ રંગ અને એમાં ભેંસ બરાબર કાળા અક્ષર જોઈને જ અમુકને તો પરીક્ષા આપવાનું મન થતું નથી. સરકારી કે યુનિવર્સીટી પ્રેસ પાસે વધારે આશા પણ શું રાખી શકાય? પણ આજકાલ જે રીતે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એ જોતાં જો કોઈ પિઝા કંપનીને પેપર સ્પોન્સર કરવા કહ્યું હોય તો આપણને છાપાં સાથે જેમ ‘એક લાર્જ પિઝા પર ચીઝ ગાર્લિક બ્રેડ મફત..’ એ ટાઈપના લખાણવાળા ગ્લોસી પેપર પર લાલ-ભૂરા અક્ષરે છપાયેલા ઓફરના કાગળિયાં આવે છે એવા કાગળિયાં પર પેપર છપાઈ શકે. પછી કેવી આતુરતા હોય વિદ્યાર્થીઓમાં પેપર હાથમાં લેવાની? પેપરની સાથે પાછળ ફ્રી પિઝાની કુપન પણ હોય. આવું કશુક થાય તો વિદ્યાર્થીઓનો પેપરનો ડર ઓછો થાય. પિઝા કંપનીઓ અને મનોચિકિત્સકોએ આ અંગે બોર્ડને માર્ગદર્શન આપવાની તાતી જરૂર છે એવું અમને જણાય છે.

પરીક્ષાની તૈયારી ઘણી રીતે થતી હોય છે. બારમાની પરીક્ષા માટે અમુક અગિયારમાંથી ટ્યુશન રખાવી તૈયારી કરે. અમુકને મમ્મી પપ્પા સાથે રહીને તૈયારી કરાવે. અમુક દોસ્તારો સાથે પ્રેક્ટીસ માટે પેપર લખી પરીક્ષા માટે સજ્જ થાય. તો અમુકની તૈયારી પેપર ક્યાંથી (સેટ થઈને)આવે છે અને (તપાસવા માટે) ક્યાં જાય છે એ માટે હોય છે. શિક્ષકો, અનુવાદકો, પ્રેસ કર્મચારીઓ, પેપરની હેરફેર કરનાર વાહનના ડ્રાઈવર સહિત કોઇપણ જગ્યાએથી પેપરના ખબર મળે તો સો કામ છોડીને પેપર સૂંઘતા સૂંઘતા પહોંચી જાય છે. આ માટે રૂપિયા ખર્ચવાની પૂરી તૈયારી પણ રાખે છે. કાચની વસ્તુ હોય ને ફૂટે તો જીવ બળે, પણ આ પેપર એક એવી વસ્તુ છે કે જે ફૂટવાથી લોકો ખુશ થાય છે! પણ બનતાં બધાં પ્રયત્નો કરવા છતાં જો સાચું પેપર હાથમાં ન આવે તો ભાઈ પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની માફક પેપર કોની પાસે તપાસવા માટે ગયું છે તેના સગડ મેળવવા સીઆઇડીના એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે ખંતથી મહેનત કરે છે. ત્યાં પણ જો નિષ્ફળ મળે તો કરોળિયો છેવટે નકલી માર્કશીટ છાપવા પ્રેરાય છે.

પેપર સેટ કરનાર માટે પેપર સેટ કરવું કદાચ એક માથાકૂટનું કામ હશે. ખાસ કરીને જે સરકારી નિયમોનું પાલન કરી ટ્યુશન ન કરતાં હોય એમનાં માટે. આવા લોકોને પેપર સેટ કરવાનો કંટાળો આવે ત્યારે જુનું પેપર બેઠું પૂછી મારે છે. આમાં વિદ્યાર્થીને તો બિચારાને બીજાં દિવસે છાપામાં વાંચે ત્યારે ખબર પડે કે આ તો ૨૦૦૭ નું ‘સેમ ટુ સેમ પેપર’ પૂછયું હતું. ગરીબ વિદ્યાર્થી બિચારા આવા લોલીપોપ પેપરનો લાભ પણ નથી લઈ શકતો. અને થયું પણ એવું હોય કે એણે દસ પેપર પ્રેક્ટીસ માટે લખ્યા હોય એમાં આ ૨૦૦૭ નુ  પેપર જ ન હોય! 

અમુક શિક્ષકો બારમાં સાથે સીએ/એન્જીનીયરીંગ વગેરેના ટ્યુશનો પણ કરતાં હોય છે. આવા ટીચરો  પેપર સેટ કરે ત્યારે પોતાની વ્યસ્તતા વચ્ચે કયા ધોરણનું કયા વિષયનું પેપર સેટ કરે છે એ પણ ભૂલી જતાં હોય છે. આમ પેપરમાં કોર્સ બહારનું પણ પૂછી નાખે છે. પણ પરીક્ષા ચાલુ થાય એટલે અમુક શિક્ષકો ટાંપીને બેઠાં હોય છે. જેવું પેપર હાથમાં આવે એટલે વિપક્ષના હાથમાં કેગનો રીપોર્ટ આવે એમ ‘શું ભૂલ છે?’ અથવા ‘કેટલું કોર્સ બહારનું પૂછ્યું છે?’ એવું બધું શોધી કાઢે છે. એટલેથી અટકતા હોય તો ઠીક છે પણ આ શોધ જાણે નોબલ પારિતોષિકને લાયક હોય એમ ભૂલોની વધામણી ટ્યુશનીયા વાલીઓ આગળ ખાય છે. બિચારા વાલીઓને બાળકના ખરાબ રિઝલ્ટના કારણો એડવાન્સમાં મળી જતાં રાજી રાજી થઈ જાય છે.

પેપર સબંધે આપણી મહાન યુનિવર્સીટીઓ હકથી ગાળો ખાય છે અને એનાં છબરડાં અવારનવાર આપણને વાંચવા મળે છે. હમણાં જ એક યુનિવર્સીટીમાં સોલ્યુશન પણ પેપર સાથે આપી દીધું હતું. પછી પાછું લઈ લીધું, અંતે પરીક્ષા ફરી લેવાઈ. ક્યારેક બીજાં વિષયનું પેપર કે જેની પરીક્ષા બાકી હોય એ આપી દેતાં હોય છે. ક્યારેક માર્કનું ટોટલ સો કરતાં ઓછું કે વધારે હોય એવું બને છે. આ બધાનો સાર એ જ છે કે માણસમાત્ર ભૂલને પાત્ર, શિક્ષક કે પ્રોફેસર પણ છેવટે માણસ જ છે. પણ તો પછી બચારો ગરીબ વિદ્યાર્થી સપ્લીમેન્ટરીની સાથે પચાસની નોટ મૂકે તો એનો ઉહાપોહ શેનો કરતાં હશે આ માસ્તરો? રૂપિયા ઓછા મૂક્યા એનો? n

ડ-બકા
ગરોળી એટલે ભીંતને ઓટલે મૃદુતાનાં ભાવભીના પગલા !





 

Sunday, March 17, 2013

દ્રોણની ટેસ્ટમાં થિયરી નહોતી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
દસમા બારમાની પરીક્ષા શરું થઈ ગઈ છે. પહેલાં છોકરાંને પરીક્ષા માટે મા-બાપ મેન્ટલી તૈયાર કરતાં હતાં. આજકાલ તો કાપલી બનાવવામાં, સુપરવાઈઝર સેટ કરવામાં અને ડમી રાઈટરની કાયદેસર ગોઠવણ કરવા સુધી મા અને ખાસ કરીને બાપ ચક્કર ચલાવે છે. કરિયર ઓપ્શન બહુ છે પણ એ માટે પહેલા બારમું પાસ કરવું પડે એ કરોડપતિ મા-બાપ ખુબ સમજે છે.

એટલે જ બાળકને તો નાનપણથી આ મહાભારત માટે તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં તો મમ્મી બધું ‘મોઢે લે છે’. મતલબ કે બાબાએ ગોખવાનું અને મમ્મી આગળ ઓકવાનું. એ ઓકવામાં ફેરફાર થાય તો મમ્મી બગડે. એટલે બાબો બમણા જોરથી, કમને, ગોખવા લાગે. આ પરિસ્થિતિમાં અર્જુન પેદા થતાં નથી, માત્ર ગોખણીયા પેદા થાય છે જે રીઅલ લાઈફ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકતા નથી. અત્યારની પરીક્ષા પદ્ધતિ આમ ઘણી વગોવાયેલી છે.

મહાભારતમાં ગુરુ દ્રોણની પરીક્ષાની રીત થોડી અલગ હતી. દ્રોણ થિયરીની પરીક્ષા લેતા નહોતાં, ખાલી  પ્રેક્ટિકલ જ લેતા હતાં. અત્યારે એવું થાય તો અમુક વાલીઓ ખુશ થાય કારણ કે પ્રેક્ટીકલમાં ધાર્યા માર્ક મુકાવી શકાય છે એવી એક સામાન્ય સમજ માર્કેટમાં માસ્તરોના અથાગ પ્રયત્નોને કારણે ફેલાયેલી છે. એટલે એકલી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય તો એ વાલીઓને ગમે. પણ દ્રોણ ખાલી પ્રેક્ટિકલ લેતા એનાંથી પાંડવ-કૌરવ પેરન્ટ્સ એક્ઝટલી ખુશ કે નાખુશ હતા એનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી.

દ્રોણ પોતે બેસ્ટ ટીચર હતાં એ વાત નિશંક છે, પણ દ્રોણ આચાર્ય હતાં તો એમની સ્કૂલમાં બીજા ટીચર્સ હતાં કે કેમ એક સવાલ છે. હા, એક કૃપાચાર્ય હતા. કૃપાચાર્ય આમ તો દ્રોણના સાળા થાય કારણ કે દ્રોણ કૃપાચાર્યની જુડવા બહેન કૃપીને પરણ્યા હતાં. મતલબ આખી સ્કૂલ ઘરની જ હતી. ટ્રસ્ટી મંડળમાં ધૃતરાષ્ટ્ર અને એમનાં હેડ ક્લાર્ક તરીકે વિદુરજી સ્કૂલનો બધો વહીવટ ચલાવતા હતાં. દ્રોણનો ખુદનો છોકરો અશ્વસ્થામા કુમારો સાથે અન-ઓફિશિયલી ભણતો હતો. મોટા ભાગે ટ્રસ્ટીના છોકરાઓથી ચાલતી દ્રોણની આ સ્કૂલમાં સંખ્યાને જોરે કૌરવોનો દબદબો હતો, આમ છતાં દ્રોણ દુર્યોધન જેવાને ગાંઠતા નહોતા એ ધૃતરાષ્ટ્રને ગમતું નહોતું. પણ અત્યારે જેમ બારમાના સારા ટીચર મળતા નથી અને જે મળે એ જેટલા રૂપિયા માંગે એ આપવા પડે છે અને બોલાવે એ ટાઈમે જવું પડે છે એમ દ્રોણથી સારું કોઈ હસ્તિનાપુર અને ભારતવર્ષમાં કદાચ એ વખતે નહોતું એટલે દ્રોણને વાલીઓ ચલાવી લેતા હતાં.

સો કૌરવો અને પાંચ પાંડવોમાં દ્રોણને અર્જુન પ્રિય હતો કારણ કે અર્જુનની ધગશ જોઈને દ્રોણને પહેલેથી જ એ બોર્ડમાં નંબર લાવે એવો લાગ્યો હતો. દ્રોણ બહુ વિચિત્ર માણસ હતાં. અગાઉ કીધું એમ થિયરીને ઓછું મહત્વ આપતા હતાં કારણ કે એમણે કદી થિયરીની પરીક્ષા લીધી હોય કે જેમાં ‘ધનુષ્યના પ્રકારો લખો’, ‘ધનુષ્યને પકડવાની રીતો વર્ણવો’, ‘પણછની સ્થતિસ્થાપકતા અને બાણની ગતિનો સંબંધ સવિસ્તર વર્ણવો’ જેવા કોઈ પ્રશ્નો પૂછાતાં નહોતાં. એ તો સીધાં પ્રેક્ટિકલ લેતા. એમાં પાછો એક જ પ્રેક્ટિકલ હોય. ચકલીની આંખ વીંધો. ને આચાર્ય દ્રોણે આ સવાલ પણ સીધી રીતે નહોતો પૂછ્યો.

આ ચકલીની આંખ વીંધવા જેવા સવાલો પરીક્ષામાં હવે પૂછાય તો ઘણાંની લાગણી દુભાય. એક તો ધનુષ્યમાં પ્રાણીનું ચામડું વપરાય. પાછી ચકલીને વીંધવાની. આજકાલ તો પાછી ચકલીઓ લુપ્ત થતી જાય છે. કદાચ ચકલીઓ લુપ્ત થવાની શરૂઆત કદાચ મહાભારત વખતમાં થઈ હશે. આજકાલની વાત હોય તો ‘પેટા’ જેવી સંસ્થાઓ અને મનેકા ગાંધી જેવા આવી પરીક્ષાનો સખ્ખત વિરોધ કરે. મહાભારત તો એક મીનીટ ચાલવા ન દે. હાસ્તો, દ્રૌપદીના સ્વયંવરમાં પણ માછલી પાડવાની હતી. ને પેલા એકલવ્યએ  બિચારા ભસતાં કૂતરાના મ્હોમાં બાણ ઠોકી દીધાં હતાં! પશુ-પક્ષી પ્રત્યે કેટલી ક્રૂરતા વર્ણવી છે મહાભારતમાં?

પણ દ્રોણે પરીક્ષામાં ચકલી આંખ વીંધવાનો પ્રશ્ન પૂછ્યો હતો. એ પણ કમ્પલસરી. બોર્ડના બધાં નિયમો ઘોળીને એ પી જાય છે એવો વિરોધ વાલીમંડળના કચકચિયા પ્રમુખ શકુનિએ એ વખતે પણ કર્યો હતો. એક તો આખી પરીક્ષામાં એક જ પ્રશ્ન. કોઈ ઓપ્શન નહિ. એ પણ પ્રશ્ન સીધો ટેક્સ્ટ બુકમાંથી જ પૂછવો એ નિયમનું પણ સરેઆમ ઉલ્લંઘન દ્રોણે કર્યું હતું. ખરેખર તો ‘તમને શું દેખાય છે?’ જેવા પ્રશ્નના ઘણાં જવાબો હોઈ શકે. એટલે ભીમને બિલાડું દેખાયું અને દુર્યોધન વગેરેને ઝાડપાન કે ગુરુજન દેખાય એ બધા જવાબો સાચા જ ગણાવા જોઈએને? પણ દ્રોણને અર્જુન તરફ પક્ષપાત હતો એ જગજાહેર છે, આમ છતાં એમણે અર્જુન જેવો શ્રેષ્ઠ બાણાવાળી આપ્યો હતો. જો અર્જુન તૈયાર કરવા હોય તો પહેલાં દ્રોણ પેદા કરવા પડે, વિદ્યા સહાયકો અને એડહોક લેકચરરોથી અર્જુન પેદા ન થાય સમજ્યા સાહેબ?

ડ-બકા
કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.