Sunday, February 01, 2015

હરખપદૂડી વ્યક્તિના લક્ષણો શું?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૨-૨૦૧૫ 

હરખપદૂડી વ્યક્તિના લક્ષણો શું? રસ્તે જતી વ્યક્તિ હરખપદૂડી છે કે નહિ એ કઈ રીતે જાણવું? એનું કોઈ લક્ષણશાસ્ત્ર ખરું? ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો પુછાયા અને વર્ણવાયા છે. પણ હરખપદૂડા વ્યક્તિના લક્ષણો શોધવા તમારે ગીતા વાંચવાની જરૂર નથી. એ જાતે જ વર્તાઈ આવે છે. ફિલસૂફો એવું કહે છે દરેક પળને માણો. હરખપદૂડાઓ ઉર્ફે એચ.પી. લોકોએ આ સૂત્રને આત્મસાત કરી લીધું હોય છે. આવો કોઈ એચપી બસ-સ્ટેન્ડ પર પહોંચે અને તરત જ બસ મળી જાય તો કૂકડાને જાણે કીડો મળ્યો હોય એમ ઘરવાળીને ફોન કરીને વધામણાં ખાય કે આજે તો તરત જ બસ મળી ગઈ. મુનસીટાપલી મચ્છર ભગાડવાનો ધુમાડો કરવા મશીન ફેરવે અને એચપીની બાલ્કની નજીકથી એ પસાર થાય તોય પાર્ટી ફોર્મમાં આવી જાય. આપણી મુનસીટાપલીમાં ભારે ઓળખાણ! હરખપદૂડા એટલાં પોઝીટીવ થીંકીંગ ધરાવતા હોય છે કે ડોકટર એમ કહે કે ‘તમે પોઝીટીવ છો’, તો એ રીપોર્ટ એઈડ્ઝનો હોય તોયે લાગતાં વળગતાને ખુશખબરનો ફોન કરે.

હરખપદૂડા હોવું અને હરખપદૂડા દેખાવું એ બે જુદી અવસ્થાઓ છે. ઘણા લોકોની અંદર હરખપદૂડત્વ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે પણ એ લોકો યોગ્ય રીતે પ્રગટ કરી શકતા નથી. જયારે એક કુતરું પોતાનું હરખપદુડાપણું પૂંછડી હલાવી, ગલોટિયા ખાઈ, બે પગે ઉભા થઇ કે ચાટીને સાહજીકતાથી વ્યક્ત કરી શકે છે. ભગવાને હરખપદુડી વ્યક્તિને કમસેકમ એક પૂંછડીની સગવડ આપી હોત તો એ પણ પોતાનો હરખ પૂંછડી હલાવીને વ્યક્ત કરી શકત. આમ થતું હોત તો ઓબામાની મુલાકાત વખતે હજારો લોકોને પુછડી હલાવીને હર્ષ વ્યક્ત કરતાં જોવા મળત. પણ કમનસીબે કુદરતે એચ.પી. પીપલને ખુબજ અન્યાય કર્યો છે.

તમે હરખપદૂડાના સંસર્ગમાં આવો તો જરા સાચવજો. એક તો એ લોકો જે કારણે હર્ષઘેલા થયાં હોય તે વાત કરવા સદા ઉત્સુક હોય છે. બીજું, ચાલુ વાતે સાંભળનારાઓ ભાગી જતા હોય કે ગમે તેમ પણ એ લોકો શ્રોતાને યેનકેનપ્રકારેણ ઝાલી રાખતા હોય છે. એટલે તમે એમને રોકશો નહિ તો તમને પછાડીને, છાતી પર ચઢી બેસીને, એ વાત કરશે. આ અતિઉત્સાહને કારણે તમારા ચહેરા ઉપર થૂંકની ઝરમર થાય અને તમારે ચશ્માં પણ લુછવા પડે, પણ તેનાથી એમનો ઉત્સાહ મંદ નથી પડતો. ઘણાં તો એમની વાત કરતાં એટલાં ઉત્સાહમાં આવી જાય છે કે તમારો ખભો પકડીને હચમચાવી નાખે. આવા લોકો વાત કરે ત્યારે તેમની વાત પર તમે ધ્યાન ન આપો તો તમારો ખભો મચકોડાઈ જવાનું જોખમ રહેલું છે.

એક રીતે એ લોકો નાના બાળક જેવા હોય છે. નાનું બાળક જેમ કોઈ પણ જાતના કારણ વગર ખીલખીલાટ કરતુ હોય છે એમજ એચ.પી. પીપલને હરખપદૂડા થઇ જવા માટે કોઈ ખાસ કારણની જરૂર પડતી નથી. કારણ સાથે સીધો સંબંધ ન હોય તો પણ આ લોકો જેમને કારણ સાથે સીધો સંબંધ હોય એમના કરતા પણ વધુ હરખપદૂડા થઈને બતાવી શકે છે. આવા લોકો હરખપદૂડાપણાની ઉચ્ચતમ એવી BSAD કક્ષામાં આવે. અહી BSAD એટલે ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ ગણવું. આપણી ન્યુઝ ચેનલવાળા BSADની કક્ષામાં આવે. ઈંગ્લેન્ડમાં કેટ મિડલટનના લગ્ન હોય કે રોયલ બેબીનો જન્મ હોય એ લોકો અહી બેઠા બેઠા હરખપદૂડા થઇ શકે છે. આરાધ્યાના જન્મ વખતે બીગ-બીએ બ્રોડકાસ્ટ એડીટર્સ એસોસીયેશન મારફતે જો આચારસંહિતાનો અમલ ન કરાવ્યો હોત તો એ લોકો એ ઝભલુ, ટોપી, પોપટ, લાકડી, ઘૂઘરા અને ધાવણી લઈને ‘જલસા’ની બહાર જમાવટ કરી દીધી હોત!

આ પદૂડાપણું પાછું હરખના પ્રસંગો પુરતું માર્યાદિત નથી હોતું. અમારું રીસર્ચ કહે છે કે તમે કોઈ પણ વાતે પદૂડા થઇ શકો છો. જેમ કે કેટલાક લોકો ગૌરવ-પદૂડા હોય છે. એમને ગમે તે વાત પર ગૌરવ ગૌરવ થઇ જાય. દેશની પ્રગતિને લગતા મોટા ભાગના ખરા-ખોટાં ફોર્વર્ડેડ મેસેજ આવા લોકો તરફથી આવતાં હોય છે. અમુક વિચાર-પદૂડા હોય છે. નાની નાની બાબતો પર મોટા મોટા વિચારો કરવા અને લોકોને પકડીને એ વિચારો સમજાવવા એ એમનો શોખ હોય છે. સ્પોર્ટ્સપદૂડા લોકો બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે વચ્ચેની વન ડેમાં કોઈ જ્હોન કે અબ્દુલ ભ’ઈ સેન્ચુરી મારે તો ફેસબુક-ટ્વીટર પર વાહ વાહ કરી મુકતા હોય છે. લગનપદૂડા લોકોને લગ્નની ઉતાવળ હોય છે. અમુક થેરાપી-પદૂડા હોય છે. આ અઘરો પ્રકાર છે. આવા લોકો પોતાની સામાન્યમાં સામાન્ય બીમારી માટે નવી નવી ઉપચાર પદ્ધતિ શોધી એને અજમાવવા, અજમાવીને વખાણવા અને વખાણીને એનો પ્રચાર કરવા તત્પર હોય છે.

એક રીતે જોઈએ તો આપણે સહુ કોકની ને કોકની શાદીના અબ્દુલ્લાઓ છીએ. જરા તપાસી લેજો કે તમે કઈ ટાઈપના પદૂડા છો.


મસ્કા ફન

બ્રેકિંગ ન્યૂઝ: ઓબામાનાં ગાર્ડ ઓફ ઓનરમાં ઘૂસ મારનાર લાલિયાને યુએસ સિક્રેટ સર્વિસ એજન્સીએ અમેરિકા લઈ જવા મોટી ઓફર કરી.





ગાર્ડ ઓફ ઓનરમાં લાલિયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૨-૨૦૧૫ | અધીર અમદાવાદી |
અમેરિકા જેવા સશક્ત દેશના પ્રેસિડેન્ટને અપાયેલ ગાર્ડ ઓફ ઓનર સમારંભમાં ઓબામાને આવવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે એક કુતરું ઘૂસી ગયું. હવે આ અનામી કુતરાનું લાલિયો નામાભિધાન થઈ ચૂક્યું છે. આ ઘૂસણખોર લાલિયો ઓબામા માટે પાથરેલ રેડ કાર્પેટ પર પોતાનાં પુનિત પગલાં પાડી આવ્યો હતો. એટલે જ લાલિયો દેશ-વિદેશમાં પોપ્યુલર થઈ રહ્યો છે. ફેસબુક પર લાલિયાનાં નામે એક પેજ પણ શરુ થયું છે જેને ઢગલાબંધ લાઈક્સ મળી રહ્યાં છે.

આમ તો લાલિયો એક રખડતું કુતરું હતું. આપણે જાણીએ જ છીએ કે સિંહ અને કુતરાઓમાં પણ બાંધકામ અને પોલિસ વિભાગની જેમ હદ હોય છે. પોતાની હદની બહાર નીકળે તો બીજી હદનાં કૂતરા એને પડકારે છે. પડકાર કેટલો મજબુત છે તેનું વિશ્લેષણ કરી એ હદમાં કેટલે સુધી અંદર ઘૂસવું એ નક્કી કરે છે. પણ અહીં ગાર્ડ ઓફ ઓનર જ્યાં રખાયું હતું તે રાષ્ટ્રપતિ ભવન તો સેનિટાઈઝ થયેલું હોવાથી લાલિયાને સામે કોઈ પડકાર મળ્યો નહીં હોય, એટલે એ આસાનીથી અંદર ઘૂસી ગયું. કતારબદ્ધ સૈનિકો તો પોતાની જગ્યાએથી હાલી શકે નહી એટલે કુતરું આમથી તેમ થોડીવાર દિશાહીન થઈ ભટકતું રહ્યું અને પછી પાલિકા કર્મીઓ તેને માનભેર લઈ ગયા હતા.

મહાનુભવોનાં પ્રસંગોમાં આમંત્રણ મળે તે માટે ઘણાં લોકો પ્રયાસ કરતાં હોય છે. આ માટે પોતે ભૂતકાળમાં કોઈ હોદ્દા પર ટૂંકાગાળા માટે પણ રહ્યા હોય તે આગળ ધરી ઘણાં આમંત્રણ વાંચ્છતા હોય છે. આમ છતાં પ્રવેશ ન મળે તેમ હોય ત્યારે કોઇપણ રીતે ઘૂસી જનારા પણ હોય જ છે. એમને ગેટ ક્રેશર્સ કહે છે. ૨૦૦૯માં વ્હાઈટ હાઉસમાં ડૉ. મનમોહન સિંઘનાં માનમાં રાખેલા સ્ટેટ ડીનરમાં ત્રણ જણા આવી રીતે વગર આમંત્રણ મળ્યે ઘૂસી ગયા હતા. અમેરિકામાં આ ઘણું હિંમતનું કામ ગણાય છે. એમનાં ઉપર ખોટી માહિતી આપવાનો (મિસ-રીપ્રેઝન્ટેશન) કેસ થયો હતો. ત્યાં જોકે ભારતીય સિક્યોરીટી નહીં હોય. પણ લાલિયાએ અહીં ભારત અને અમેરિકન બંને સિક્યોરીટીને ચેલેન્જ કરી ઘૂસી ગયો હતો. એ પણ કોઈપણ પ્રકારના મિસ-રીપ્રેઝન્ટેશન વગર. નરી હિમ્મતના જોરે. લાલિયાની આ હિંમતને ચારે તરફથી બિરદાવવામાં આવી રહી છે અને અમુક લોકો આને ૨૦૦૯માં ભારતના વડાપ્રધાનનાં ફંક્શનમાં ગેટ ક્રેશિંગનાં જવાબ તરીકે પણ જોઈ રહ્યાં છે.

જોકે ઓબામાના આગમન પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં આવી જ રીતે જો કોઈ આમ માણસ ઘૂસ્યો હોત તો ચોક્કસ એને ગોળી મારવામાં આવી હોત. પણ કૂતરાને ગોળી મારવામાં ન આવી, એ કૂતરાનું નસીબ બતાવે છે. આમેય કુતરો જે જગ્યાએ ઘૂસ્યો ત્યાં ઘૂસવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે. એટલે જ દિલ્હીનાં ચૂંટણી માહોલમાં આ કૂતરાને વિરોધ કરવા કોઈ અસંતૃષ્ટ રાજકીય પક્ષે મોકલ્યું હોય, એ એન્ગલ પર પણ પોલિસ કામ કરી રહી છે. કૂતરાને સ્થળ પરથી પાલિકાની સ્પેશિયલ ડોગ વાનમાં લઈ જવામાં આવ્યો હતો જે ઘટના પણ બ્રેકિંગ ન્યૂઝ તરીકે લાલિયાના ક્લોઝપ્સ સાથે વાન દ્રષ્ટિમર્યાદાથી ઓઝલ થાય ત્યાં સુધી લૂપમાં ચેનલો પર બતાવવામાં આવી હતી. બિન-સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષાના ઇન્ચાર્જ પોલિસ ઓફિસરે લાલિયાને પકડીને એન્ટ્રી કર્યા વગર પોતાની સમક્ષ હાજર કરવાનું ફરમાન કર્યું છે કારણ કે આ કૂતરાની હાજરીને પગલે પગલે એ ઓફિસર સહિત ઘણાની નોકરી જોખમમાં મુકાઈ છે. જોકે જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ લાલિયા ઉપર નજર રાખી રહી છે.

જોકે પોલિસ જ શું કામ? લાલિયાની સૂઝ અને હિંમત પર તો અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ વારી ગઈ છે. ઓબામા જ્યાં જવાના હોય ત્યાંની અમેરિકન સિક્રેટ એજન્સીઓ દ્વારા પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ સંજોગોમાં લાલિયાએ જે કામ કર્યું છે તે અમેરિકન સિક્રેટ સર્વિસના ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન છે. આવામાં અમેરિકન એજન્સીએ આ કુતરું પોતાને સોંપવા દિલ્હી મુનસીટાપલી પાસે માંગ કરી છે. એવું મનાય છે કે અમેરિકન સિક્રેટ સર્વિસ લાલિયાને પોતાની ડોગ સ્કવોડમાં મહત્વનું સ્થાન આપશે. શક્ય છે કે ઓસામા જેવા ઓપેરેશન પાર પાડવા લાલિયા જેવા બહાદુર અને ઘૂસણખોર કૂતરા કામ આવે તેવી આ એજન્સીની ગણતરી હોય. બીજી તરફ પાકિસ્તાનની સિક્રેટ સર્વિસ લાલિયાનું અપહરણ ન કરી જાય એ માટે લાલિયાને સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જે હોય તે પણ આ કૂતરાની બહાદુરી પર કૂતરા સમાજને પણ ગર્વ થયો છે. અગામી મહિનાની ચૌદમી તારીખે કૂતરા સમાજની લાલિયા વાડી ખાતે લાલિયાનો સન્માન સમારંભ યોજાશે. આ જગ્યાએ અગાઉ એરપોર્ટ અને સ્ટેડિયમમાં ચાલુ મેચે ઘુસેલા કુતરાઓનું સન્માન થઈ ચૂકેલું છે. આ સમારંભમાં લાલિયાને સન્માન પત્ર, ગ્લુકોઝ બિસ્કીટનો ડબ્બો અને હાડકું એનાયત કરવામાં આવશે. એક અગ્રણી ઉદ્યોગપતિનાં પેટ કૂતરા સ્ટફીએ લાલિયાનો દિલ્હી-અમદાવાદ-દિલ્હી જવા-આવવાનો ખર્ચો સ્પોન્સર કર્યો હોવાનું પણ જાણવા મળે છે. એરપોર્ટ પર સ્થાયી કૂતરાઓએ લાલિયાનાં આગમન સમયે ભસીને વિરોધ નહી કરે તેવી લેખિત બાંહેધરી આપી છે.

એવું પણ જાણવા મળે છે કે લાલિયાની આત્મકથા “લાલિયો ધ બ્રેવ ડૉગ’ નાં હકો માટે એક લીડિંગ પબ્લિશિંગ હાઉસે ઓફર કરી છે. પણ ઓફર કોને કરી છે તે હજુ જાણવા નથી મળતું. લાલિયાની બાયોગ્રાફી લખવા માટે ઘણાં જાણીતાં લેખકોએ રસ બતાવ્યો છે. લાલિયાની વાત બહાર આવશે તો એનાં જન્મથી લઈને સંઘર્ષ, રોજિંદી દિનચર્યા, કયા કયા ફંકશન્સમાં પગલા પાડ્યા, કેવા મહાનુભવોનાં વેહિકલની પાછળ દોડ્યો, કેટલી ટેરીટરી સર કરી, પોલીટીકલ આઈડીયોલોજી ઉપરાંત રોમાંસ અને લગ્ન વિષે અનેક અજાણી વાતો જાણવા મળશે. તમારી કોપી પ્રિ-ઓર્ડર કરવા આજે જ અમને લખો!

જોકે હકીકત એવી છે કે દુનિયાની કોઈપણ અભેદ્ય જગ્યાએ, આમંત્રણ હોય કે ન હોય, અમુક લોકો મોકો જોઈને ઘૂસી જાય છે. વખત જતાં આ ઘૂસણખોરી આવડત તરીકે ઓળખાય છે. પછી આવા લોકોનું સમાજ સન્માન કરે છે. એમની સાથે ફોટાં પડાવવામાં લોકો ગૌરવ અનુભવે છે. એમનાં નામે એવોર્ડ અને સ્કોલરશીપ અપાય છે. પણ જેમ કહ્યું છે કે નદીનું મૂળ અને ઋષિનું કુળ ન પુછાય, એમ આવા લોકોનું પૂર્વજીવન ખાનગી રહે તેમાં જ સાર છે!