Wednesday, April 27, 2016

ગરમીથી બચવાના ઉપાયો

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૭-૦૪-૨૦૧૬
માથા ઉપર સુરજ તપે અને ચામડી દાઝે, તપેલી ટાંકીના પાણીથી બપોરે મોઢું ધોવા જતાં ફેશિયલ થઇ જાય, કારમાં બેસો અને ઓવનમાં બેઠા હોવ એવો અનુભવ થાય, અને આવા અનુભવ થકી ગરમી શરુ થઇ એવી આપણને જાણ થાય એ પહેલાં તો જાણે પેપર પેપર ફોડી લાવ્યો હોય એમ કોઈ હરખપદૂડો (HP) ‘ગરમી વધી ગઈ છે’ એવા વધામણાં આપવા આવે ત્યારે સાલું લાગી આવે! અલ્યા, મને ગરમી લાગે છે કે નહીં એ હવે તું નક્કી કરીશ? અને આટલું બોલીને મૂંગો મરતો હોય તો ઠીક છે, પણ પાછો ગરમીની ચર્ચામાં આપણને ખેંચી જઈ દઝાડશે. જેમ કે ‘લ્યો, હજી તો સવારના દસ વાગ્યા છે, પણ જાણે બાર વાગ્યા હોય એવું લાગે છે’. કે પછી ‘હજુ અઠવાડિયા પહેલા તો બા સ્વેટર પહેરીને ફરતા હતા અને આજે જુઓ, પંજાબી પહેર્યું છે તોયે ફોલ્લા પડે છે બોલો’. આમ ગરમીના નામે આપણા મોઢામાં આંગળા નાખીને બોલાવવાનું જાણે કોઈ કાવતરું કર્યું હોય એવું લાગે છે.

જરા યાદ શક્તિને ઢંઢોળશો તો ખબર પડશે કે છેલ્લા કેટલાક સમયથી કોઈપણ ઋતુ એનો પૂરો રંગ બતાવતી નથી! ના શિયાળામાં કડકડતી ઠંડી પડી કે ના ચોમાસામાં સળંગ વરસાદ! ગરમી વિષે પણ અન્યો પાસે સાંભળીએ, છાપામાં આંકડા વાંચીએ, ટીવી પર ઠંડા પીણાની જાહેરાત જોઈએ અને પછી આપણી બગલ-બોચી સાથે તાળો મેળવીએ ત્યારે થાય કે ‘ના હાળી ગરમી તો પડે છે’. આમ ગરમી પડે એટલે સામાન્ય માણસ ગરમીથી બચવાના ઉપાયો કરવા લાગે છે. ગરમીથી બચવા સૌથી પહેલો ઉપાય છે હિલસ્ટેશન જતા રહો. અમેરિકા કે સ્વિત્ઝરલેન્ડ જતા રહો. આમ કરવું પોસાતું ન હોય, કે રજા મંજુર થતી ન હોય તો એસી નખાવો. એસી પણ પોસાતું ન હોય તો આગળ વાંચો.

સૌથી પહેલા તો આપણને જે ગરમીનો અહેસાસ કરાવે છે તેવા HP લોકો અને સમાચારોને દુર રાખો. ઉપર જણાવ્યા મુજબ ગરમી-ગરમી કરતા લોકોને બોલવાનો મોકો જ ન આપો. એ બોલવા જાય તો એમના મ્હોમાં બરફ ઠોંસી દો. અથવા બરફ લઈને પોતાના અને સામેવાળાના ગાલ પર ઘસવા લાગો. છતાં બોલીને રહે તો એમ કહો કે ‘હજુ ક્યાં ગરમી પડી જ છે તે તમે ગરમી ગરમી કરો છો, લાગે છે તમારી ઉંમર થઇ ગઈ’. ઉંમરનું સાંભળીને મોટે ભાગે સામેવાળી પાર્ટી ગરમીની વાત માંડી વાળશે. એ મહિલા મંડળમાંથી હશે તો તો ખાસ. આ દાવ પણ ખાલી જાય તો શર્ટ કાઢી નાખો. ગરમીનો કકળાટ કરનારને અહેસાસ કરાવો કે એના કહેવાથી તમને ગરમી લાગવાની શરૂઆત થઇ છે. સાચુ કહીએ તો અમારું મગજ ગરમી કરતાં ગરમી ગરમીની બુમો પાડનારાથી વધારે તપી જાય છે.

ગરમીથી બચવાનો અન્ય ઉપાય કપડા છે. કપડા ઓછા પહેરવા. વિદેશમાં તો ગરમી પડે એટલે લોકો બીચ પર બિકીની પહેરીને પહોંચી જાય. આમાં ચડ્ડા પહેરીને પુરુષો પણ જતાં હોય છે, પણ એમના ફોટા છાપવામાં ભાગ્યે જ કોઈને રસ પડે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઈનોએ પણ ગરમી ભાંગવાનો આ ઉપાય અપનાવ્યો છે. જોકે ગુજરાતમાં આ ઉપાય હિરોઈનને બદલે હીરો એટલે કે આપણા ગુજ્જેશોએ અપનાવ્યો છે. ઉનાળો આવે એટલે ગુજ્જેશ લુંગીધારી અને ગુજીષા ગાઉનમય થઇ જાય છે. ગરમ થઈને પાતળી બનેલી હવા ઉપર જાય અને ઠંડી હવા લે એની જગ્યા છે એ સિધ્ધાંતના આધારે લુંગી અને ગાઉન મિલની ચીમનીની જેમ ગરમ હવાના નિકાલનું કામ કરે છે. જોકે લુંગી પહેરવા માટે આજકાલ ઘરમાં પરમીશન નથી મળતી એટલે એનું સ્થાન ચડ્ડીઓએ લીધું છે. કન્યાઓ પણ એમાંથી બાકાત નથી. આગળ ઉપર ૫૦-૫૫ વર્ષની કન્યાઓ પણ આમાં જોડાશે એવું એમણે ફેસબુક પર અપલોડ કરેલા ટુરિસ્ટ પ્લેસીસ પર પડાવેલા ફોટા પરથી જણાય છે.

પછી તો લોક સાહિત્યમાં કહે છેને કે ‘જેડા જેડા માનવી, હેડી હેડી વાતડિયું...’ એમ જેવા જેવા માણસો એવા ગરમીથી બચવાનાં કુદરતી ઉપાયો પણ મળશે. કાઠીયાવાડી ‘છાશ પીવો’ કહેશે. ભલું હશે તો ગાંઠિયાનો પ્રયોગ બતાવનાર પણ મળશે. સુરતી મરચાના ભજીયા ખાવાનું કહેશે. અમદાવાદી દિવસમાં આઠ વાર ચા પીવાનું કહેશે કારણ કે ગરમી ગરમીને મારે છે. જેમ ગણિતમાં નેગેટીવ નેગેટીવ પોઝીટીવ થાય, એમ ગરમી ગરમીને મારે. થોડું જોગીંગ કરીને પરસેવો પાડી અને પછી લેખકો જેનું વર્ણન કરતાં હોય છે તેવો મંદ મંદ સમીર વાતો હોય તેવી ખુલ્લી જગ્યામાં ઉભા રહેશો તો પણ મસ્ત કુલીંગ થઇ જશે એવું અમે કહીએ છીએ. અમુક HP સલાહ આપશે કે ‘સુંઠ ગંઠોડાનું પાણી કરીને પીવો, મારા સાઢુભઈને તો ઉનાળો આવે એટલે હાથની ચામડી ઉતરી જતી હતી, પછી મેં એમને કીધું કે આ સુંઠ ગંઠોડાનું પાણી ઉકાળીને પીવો’. જોકે એ પાણી પીવાનું ચાલુ કર્યાનાં ત્રણ મહિનામાં સાઢુભાઈ યમરાજા સાથે પાડા ઉપર ડબલ સવારીમાં હાલી નીકળ્યા હતાં એ વાત વડીલ નહીં જણાવે.

ઠીક છે આ બધું. બાકી જો તમારી શરમ રાખીને કોઈએ તમને કહ્યું ન હોય તો અમે ચોખ્ખું કહી દઈએ છીએ કે તમે પેંગ્વીન નથી કે તમને બરફની પાટો વચ્ચે રાખવા પડે. બહુ ગરમી લાગતી હોય તો ઝૂમાં રહેવા જતા રહો, એ લોકો સાચવશે તમને. આ શું વળી! અને અહીંની ગરમીમાં ન જ ફાવતું હોય તો PK ફરીવાર પૃથ્વી ઉપર આવે ત્યારે એની જોડે જતા રહેજો. હમાર ગોલે પે તો ઐસન હી રહેગા.

મસ્કા ફન

IPLની મેચ જોવી એ બગલમાં 'ડીઓ' છાંટવા જેવું છે!
એ રમત છે કે ધતિંગ એ ભગવાન જાણે, પણ હાળી એમાં મજા બહુ આવે છે!

Wednesday, April 20, 2016

તુલસી તહાં ન જાઈયે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૦-૦૪-૨૦૧૬

આમ તો આયોજન કરનારા તો દિવાળી વેકેશન માણી પાછાં ફરતાં હોય ત્યારે જ ‘ઉનાળામાં ક્યાં જઈશું?’ એ નક્કી કરી લેતાં હોય છે. પરંતુ આ નિર્ણય એટલો સહેલો નથી. વેકેશનમાં ક્યાં ફરવા જવું એ નક્કી કરવામાં પોતાનાં જેવું ફાઈનાન્સિયલ સ્ટેટ્સ ધરાવનાર ક્યાં જતા હોય છે એ જોવાનો રીવાજ છે. ગુજરાતી ફરવાનો શોખીન છે, અને દુનિયાના કોઈ પણ પર્યટનના સ્થળે જાવ અને ત્યાં કોઈને ગુજરાતીમાં વાતચીત કરતા સાંભળો તો ચોંકી જવાનો રીવાજ નથી. એટલે જ પેલા રવિ-કવિમાં ફેરફાર કરીને અમે કહ્યું છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. પણ ગુજરાતી ગમે ત્યાં પહોંચે પછી એને જમવામાં ખીચડી કે રોટલી ન મળે તો એ ઘાંઘો થઈ જાય છે. આમ તો ગુજરાતી કવિઓ પણ ફરવા જાય છે, જો વિદેશમાં કવિ સંમેલન હોય તો. ગુજરાતી કવિ અમેરિકા ફરતો જોવા મળશે પણ કુલુ-મનાલી કે આંદામાન-નિકોબારમાં ઓછો જોવા મળશે. કારણ કે આંદામાન-નિકોબારમાં ગુજરાતી કવિ સંમેલનો થતા નથી,અથવા ત્યાં સ્વખર્ચે જવાનું હોય છે.

અમુક બાબતો માણસ અનુભવથી શીખે છે અને અનુભવ, ખાસ કરીને ખરાબ અનુભવ પછી ગુજરાતી અમુક નિર્ણય લે છે, પછી એને ચુસ્ત રીતે વળગી રહે છે. દા.ત. હર્ષદ મહેતા અને કેતન પારેખના પરચા પછી આપણે ત્યાં શેરબજારના પગથીયા ચઢનારની સંખ્યા ભારતમાં બચેલા શેર જેટલી જ થઇ ગઈ છે. સિનેમા, રેસ્ટોરાં અને ટુરીસ્ટ પ્લેસીઝના કિસ્સામાં આવું મોટા પાયે બનતું આવ્યું છે. મુવીના કિસ્સામાં તો અમુક લોકો થીયેટરમાંથી જ ટ્વીટ કરીને કહી દેતા હોય છે કે ‘પૈસા ના બગાડતા’. પાપડ આપીને અડધો કલાક બેસાડી રાખનારી રેસ્તરાંની ‘સર્વિસ’ ફરી લેવામાં આવતી નથી. ચટણી-કઢી-મરચાં આપવામાં કંજુસાઈ કરનાર ગાંઠીયાવાળાએ માખીઓમારવાનો વારો આવે છે.

તુલસીદાસજીએ કહ્યું છે કે તમારા આવવાથી જેના હૈયે હર્ષ ન હોય કે આવકારતી વખતે આંખોમાં સ્નેહ ટપકતો ન હોય ત્યાં સુવર્ણ વર્ષા થતી હોય તો પણ ન જવું. ટુરીસ્ટ પ્લેસીસ બાબતમાં ગુજરાતી ગોસ્વામી તુલસીદાસજીને અનુસરે છે, અલબત્ત અવળા અર્થમાં. કોઈ ફિલ્મસ્ટાર આબુ, દીવ અને દમણના બ્રાંડ એમ્બેસેડર નથી, તો પણ ત્યાં ગુજરાતીઓની અવરજવર મોટા પાયે રહે છે. કારણ સૌ જાણે છે. આ જગ્યાઓએ દારૂબંધી જાહેર થાય તો ત્યાંના ધંધાર્થીઓના છોકરાં રાખડી પડે. બિહારના શોખીનો પણ હવે વાઈન ટુરીઝમ પર નીકળતા થશે.

સંસ્કૃત માં તો એટલે સુધી કહ્યું છે કે

​दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥

જે ઘરમાં ઘરધણીની પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, ભૃત્ય એટલે કે નોકર એટલે કે રામલો સામું ચોપડાવનારો હોય કે ઘરમાં સાપનો વાસ હોય તો એવા ઘરમાં જવાનું ટાળવું. અમે તો જ્યાં ચા કે કોફીના નામે ગરમ દૂધ પકડાવી દેવામાં આવતી હોય ત્યાં જવાની પણ ના પાડીએ છીએ. ચામાં ચા અને કોફીમાં કોફી હોવી જ જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે, અને આ અંગે અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. એવી જ રીતે વેઢમી એટલે કે ગળી રોટલી પણ ગળી જ હોવી જોઈએ. ઘણાને ત્યાં એ મોળી બને છે. પાછી કહે પણ ખરી કે ‘મારા સસરાને ડાયાબીટીસ છે એટલે મારા સાસુ વેઢમી પેલ્લેથી મોળી જ બનાવે’. તારી સાસુનો શીરો દાઝે! એટલે જેના સસરાને ડાયાબીટીસ હોય એ ઘરમાં જમવા ન જવું. બીજું, શીરો ખાતા જો આંગળીમાં ઘી ન ચોંટે તો તેવો શીરો બનાવનાર સ્ત્રીને શીરા વિષયમાં એ.ટી.કે.ટી. આપવી જોઈએ. જોકે જમાઈઓને સાસરે જાય ત્યારે આવું બધું ખાવું પડતું હોય છે અને એમને આવું ભલીવાર વગરનું ખાવાના બદલામાં શીખના નામે અગિયાર, એકવીસ કે એકાવન રૂપિયા કોમ્પનસેશન તરીકે આપવાનો રીવાજ અમ્લ્લમાં આવ્યો હોઈ શકે. તમે આવા ઘરના જમાઈ ન હોવ તો ત્યાં જમવા ન જવું.

જોકે ક્યાં જવું એ નક્કી કરવા કરતાં ક્યાં ન જવું એ નક્કી કરવું ગુજરાતી માટે સહેલું છે કારણ કે એ યાદી ટૂંકી છે. આ માટે એના માપદંડો પણ જુદા છે. જે પ્રવાસન સ્થળની દુકાનો ‘બાર્ગેઈન’ કરવાની તક નથી આપતી એ ગુજરાતી ગ્રાહક ગુમાવે છે. અત્યારે વિદેશ ફરવા જવાનો પણ ટ્રેન્ડ છે, એટલે એના માટે લોથલ કરતાં લંડન વધુ નજીક છે. ‘કેરલા જવા જેટલા ખર્ચમાં તો દુબઈ જઈ અવાય’ એવું કોઈ કહે એટલે ‘વિદેશ એટલે વિદેશ’, એમ કહીને ગુજેશ કોઈ ટ્રાવેલ એજન્ટને પકડશે. પણ વિદેશની ધરતી પર પગ મુક્યા પછી બીજા દિવસે સાંજ સુધીમાં તો બ્રેડ-બટર અને ફ્રુટ ખાઈને કંટાળેલ ગુજ્જેશ ફરી ત્યાં ન જવાની તથા કોઈને ન જવા દેવાની સોગંધ ખાય છે.

આપણે ત્યાં ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વધુ છે. ત્યાં મોટેભાગે મહેલો, કિલ્લા અને મ્યુઝીયમો જોવાના હોય છે અને ફત્તેપુર સિક્રી કે તાજ જોવા જનાર ગુજ્જેશને શાહજહાં જહાંગીરનો બાપ હતો કે દીકરો એ જાણવાનીય પડી નથી હોતી. અમને ખબર છે કે જહાંગીર બાપ હતો કારણ કે જહાંગીરમાં ‘જહાં’ પહેલા આવે છે. પણ બધા અમારા જેટલા જાણકાર હોતા નથી હોતા. ગુજરાતી એ અન્ય કોઈએ ન જોયું હોય એવું જોઈ આવનારી પ્રજા છે. આવા જ કોઈ ઐતિહાસિક સ્થળે મહેલો, કિલ્લા અને પેઈન્ટીગ્ઝ જોઈ આવનાર એક ભાઈને અમે પૂછ્યું કે ‘શું શું જોયું ત્યાં?’ તો કહે કે ‘એ જમાનાના લોકો ખાસ કામ સિવાય ઘોડા કે હાથી ઉપરથી નીચે નહિ ઉતરતા હોય!’ આવા લોકો ઘેર રહે એ જ સારું!

મસ્કા ફન

સાહિત્યમાં આજકાલ ખેડાણ કરતાં ભેલાણ વધી રહ્યું છે.