Wednesday, July 26, 2017

પાણી ઉર્ફે ભેજ ઉર્ફે હવાઈ જવાની ઘટના ઉર્ફે સુરસુરિયું


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૬-૦૭-૨૦૧૭

દેશમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખેડૂતો અતિવૃષ્ટિની ચિંતામાં છે. એન્જીનીયરો પોતે બનાવેલા સ્ટ્રક્ચર કઈ ભૂલને કારણે હજુ ઊભા છે તે અંગે દ્વિધામાં છે. વિધાર્થીઓ સાંબેલાધાર વરસાદ છતાં કોલેજમાં રજા ન પડવાને લીધે દુ:ખી છે. પણ આ બધામાં સૌથી મોટી સળગતી એટલે કે હવાયેલી સમસ્યા છે નાસ્તા હવાઈ જવાની. આ સમસ્યા એવી છે કે મમ્મીએ પ્રેમથી બનાવેલા પૌંવાના ચેવડાનો ફાકડો મારો તો મોમાં થર્મોકોલના દાણા ચાવતા હોવ એવી ફીલિંગ આવે અને પછી ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગે. કવિઓ કહે છે તેમ આવો ભેજ આંખોમાં હોય ત્યાં સુધી બરોબર, પણ રાત્રે સુતી વખતે ખબર પડે કે એકના એક લેંઘામાં ભેજ રહી ગયો છે; અને એ ભેજ લેંઘો પહેરી શરીરની ગરમીથી સૂકવવાની કોઈ સલાહ આપે, ત્યારે સાલું લાગી આવે!
Source: Zee 24X7
કવિઓ ભલે આંખોના ભેજની વાત કરતા હોય છે. પરંતુ આંખના ડોક્ટર્સ એમ કહે છે કે કોમ્પ્યુટર કે મોબાઈલ સામે સતત તાકી રહેવાથી ડ્રાય આઈઝની તકલીફ થાય છે. હવે ધારો કે કોઈ પ્રેમીજન પોતાના પ્રિયપાત્રના સંદેશાની પ્રતીક્ષામાં સતત મોબાઈલ-કોમ્યુટર સામે ચોંટી રહે અને એમ થવાથી એને ડ્રાય આઈઝની તકલીફ થાય. પરંતુ અંતે પ્રિયપાત્રનો હકારાત્મક અથવા કોઈ પણ પ્રકારનો સંદેશ ન આવતા આંખમાં ભેજ વળે તો એ અગાઉ ઉભી થયેલ સુકી આંખની સમસ્યાનો ઉકેલ બની જાય છે. આમ વિરહ અને રીજેકશન ભેજના કારક ગણી શકાય જે આંખના ડોકટરોનો ધંધો બગાડે છે!

કોઈ પણ પદાર્થમાં રહેલા પાણીની માત્રા કરતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વાતાવરણનો ભેજ વસ્તુમાં પ્રવેશે છે. આને હવા લાગી જવાની ઘટના પણ કહે છે. છિદ્રાળુ પદાર્થ આ રીતે ભેજ શોષી લે એનાથી પદાર્થના આકાર, ઘાટ કે સ્વરૂપમાં બદલાવ આવે છે. ભેજ લાગવાથી કઠણ વસ્તુ નરમ પડે છે. દાખલા તરીકે શેકેલો પાપડ. તાજો શેકેલો પાપડ સ્વભાવથી એક શૂરવીર સમાન હોય છે જે તૂટી જાય છે પણ વળતો નથી. પણ, એ જ પાપડ હવાઈ જાય પછી એનો ગર્વ ચૂરચૂર થઇ જાય છે અને એ પોતે શરદીના પેશન્ટના રૂમાલ જેવો લફડફફડ થઇ જાય છે. આમ તો તાજા હવાયેલા પાપડના ટેસ્ટમાં હવાઈ જવાથી કોઈ ફેર નથી પડતો, છતાં, આવો પાપડ ત્યજ્ય બની જાય છે. ખાસ કરીને હોટલમાં રૂપિયા ખર્ચીને જમવા જઈએ ત્યારે. ઘરના હવાયેલા પાપડ બહુધા ખવાઈ જાય છે. આવી જ રીતે ચામાં ઝબોળેલું બિસ્કીટ, ચટણીમાં બોળેલો ફાફડો, ચોમાસું ચાખ્યું હોય એવો ફટાકડો અને પત્નીની ઉલટતપાસ પછી પતિ ઢીલા થઈ જાય છે.

હવાઈ જવામાં બહારના ભેજ વડે અંદરથી ભીના થવાની વાત આવે છે. કાર્યક્રમ સંચાલકોને દરેક કાર્યક્રમ અંદરથી ભીનો કરતો હોય છે. એટલું સારું છે કે આપણને મળતા ભાવભીના આમંત્રણથી કે કાર્યક્રમની શરૂઆતમાં જે ભાવભીનું સ્વાગત થાય છે તેનાથી કદી હવાઇ જવાતું નથી. એવી જ રીતે વરરાજાને પોંખવાની વિધિ વખતે ગોર મહારાજ જાનૈયા અને વરરાજા પર પાણી ઉડાડતા હોવા છતાં એ હવાઇ જતા નથી. જોકે પરણ્યા પછી કડકમાં કડક વરરાજા હવાઈ જતા હોય છે એ જુદી વાત છે.

હવાઈ જવાની ઘટનાને પાણીથી લાગતા ભેજ અને ભીનાશ સાથે સીધો સંબંધ છે. એન્જીન ઓઈલ, હાંડવા-ઢોકળા ઉપર નાખતા તેલ કે માથામાં નાખવાના તેલના ભેજ વિષે કોઈ દિવસ સાંભળ્યું નથી. એને કોઈ સુંઘતું પણ નથી. કોઈ સદ્યસ્નાતા સૌમ્યા કે સલોનીના વાળની ભીનાશ ઉપર કવિઓ કવિતા ઘસી શકે પણ મણીકાન્તા બહેને માથામાં કરેલી તેલચંપી ઉપર કોઈ કવિએ એક ચોપાઈ પણ લખી હોય એવું અમારી જાણમાં નથી.

હવાઈ જવાની ઘટના ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમ સિવાય પણ બને છે. વ્યક્તિ કે વસ્તુ અપેક્ષિત કરતાં ઉતરતી કક્ષાની કામગીરી અથવા દેખાવ કરે ત્યારે તેને હવાઈ ગયેલ જાહેર કરવામાં આવે છે. આમાં વાસ્તવિક રીતે ભેજની હાજરી હોવી જરૂરી નથી. દાખલા તરીકે આઈપીએલમાં કરોડોની કિંમતે હરાજી થયેલ ખેલાડી રમે નહીં ત્યારે એ હવાઈ ગયો કહેવાય છે. બોલીવુડના સ્વઘોષિત ‘ભાઈ’ ઉર્ફે સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’ ઇદના મોકા ઉપર રીલીઝ કરી હોવા છતાં બોક્સ ઓફીસ પર હવાઈ ગઈ હતી! ચાલુ મહિનામાં જ ચીનના મહત્વાકાંક્ષી રોકેટ લોંગ માર્ચ-૫નું સુરસુરિયું થઇ ગયું! એમ જ ટીનએજ હાર્ટથ્રોબ ગણાતા રણબીર કપૂરની ‘રોકેટ સિંઘ’ પણ હવાઈ ગઈ હતી. મિસ્ટર ઇન્ડિયાનો દુશ્મન મુગેમ્બો પોતે હવા હવાઈનો આશિક હતો, પણ હવા હવાઈ બનતી શ્રીદેવીને એવી હવા લાગી ગઈ કે ‘ચાંદની’ અને ‘લમ્હે’ સિવાયની પછીની બધી ફિલ્મો હવાઈ ગઈ. છેલ્લે ૨૦૧૨માં ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ ચાલી પણ પાછી હમણાં આવેલી ‘મોમ’ હવાઈ ગઈ!

તમે હવાઈ ટાપુની ટુર પર જાવ ત્યારે તમે સાચેસાચ હવાઈ ગયા કહેવાવ. રોજીંદી ઘટમાળના ચકરાવે ચઢીને હવાઈ ગયેલો માણસ હવાઈ મુસાફરી કરીને હવાઈ જાય પછી, એટલે કે હવાઈ ટાપુ પર વેકશન ગાળ્યા બાદ, તરોતાજા થઈને પાછો આવે છે. વર્ષો પહેલાં નાની મેશની ડબ્બી જેવડો ‘હવાઈ’ નામનો એક ફટાકડો આવતો હતો. જામનગરમાં હવાઈ ચોક નામની જગ્યા છે જ્યાં સ્વાદિષ્ઠ ઘૂઘરા આપણી નજર સામે જ તળીને ગરમાગરમ સર્વ કરે છે એટલે હવાઈ જવાનો સવાલ જ નહિ! આમ છતાં મનુષ્યની કિસ્મતમાં કંઈનું કંઈ હવાયેલું લખાયેલું જ હોય છે. જરા જુઓ તો તમારા હાથમાં છે એ છાપું તો ક્યાંક વરસાદમાં હવાયેલું નથી ને?

મસ્કા ફન ઘણીવાર ઊંટ પહાડને પણ ઊંટ જ સમજતું હોય છે. પણ એ ઊંટનો પ્રોબ્લેમ છે.

Wednesday, July 19, 2017

આપણે આળસુ નથી જ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૯-૦૭-૨૦૧૭

એક તાજા સંશોધન મુજબ ભારતીય પ્રજા ખુબ આળસુ છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટી દ્વારા સ્માર્ટફોન ધારક લોકોના ફોન એપ્લીકેશનમાં રેકોર્ડ થતા ડેટાને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. સાત લાખ લોકોના સર્વેમાં ભારતીયો રોજના માત્ર ૪૨૯૭ સ્ટેપ ચાલવા સાથે ૩૯માં ક્રમે આવે છે. અમેરિકન યુનીવર્સીટી, અને એ પણ સ્ટેનફોર્ડમાં કોઈ રીસર્ચ થાય તો એને ચેલેન્જ ન જ કરી શકાય. પરંતુ અમને લાગે છે કે ભારતીયોને આળસુ કહેવાને બદલે સ્માર્ટ ફોન, નેટવર્ક કનેક્શન અને ફોનમાં આવી હેલ્થ એપ ઇન્સ્ટોલ કરી હોય એવા ભારતીયો આળસુ છે એવું કદાચ કહેવું હોય તો હજી કહી શકાય. બાકી આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય?

અમારા મતે સરેરાશ ભારતીય ખંતીલો અને મહેનતુ છે. અમારા રમેશકાકાનો જ દાખલો લો. એમને સ્કૂટર બહુ વહાલું હતું. સવારે આંગણામાં પડેલા સ્કૂટર ઉપર તડકો આવે કે તરત એને ખસેડીને છાંયડામાં મૂકી આવતા અને બપોર પછી એની ઉપર તડકો આવે એટલે પાછું એને ઢસડીને સવારવાળી જગ્યાએ મૂકી દેતા. આમ ખસેડા-ખસેડીમાં વગર પેટ્રોલે સ્કૂટર એટલું ચાલતું કે એની એવરેજ બીજા કરતા ડબલ આવતી! અને આ તો સ્કૂટરની એવરેજની વાત થઇ, કાકાની એવરેજ કેટલી હશે એ વિચારો! આ જ રમેશકાકા આઠ આના બચાવવા માટે બસમાંથી એક સ્ટેન્ડ વહેલા ઉતરી જતા અને બાકીનું ચાલી નાખતા. બીજું, એમની ઉપર કોઈ પણ ટપાલ આવે એટલે કાકા પહેલા ટપાલ ટીકીટ ઉપર પોસ્ટનો સિક્કો વાગ્યો છે કે નહીં તે ચેક કરે અને ન વાગ્યો હોય તો કવર પાણીમાં બોળી, સાચવી રહીને ટીકીટ ઉખાડે, એને છાપાની વચ્ચે મૂકી અને સૂકવે અને પછી ફરી વાપરે. આવા ઉદ્યમી રમેશકાકા ભારતના લગભગ દરેક ખાનદાનમાં મળી આવશે.

સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી વાતનો તંત ન મુકવાનો ખંત આપણા લોહીમાં છે. દા. ત. રીમોટ કામ કરતુ બંધ થાય ત્યારે સેલ બદલવાનું સહેલું કામ કરવાને બદલે આમ ભારતીય નાગરિક પહેલા તો રીમોટ હથેળીમાં પછાડી ફરી ચાલુ કરી જોશે. શક્ય છે હથેળીમાંથી સંપાત ઉર્જા થકી રીમોટ ચાલુ પણ થઈ જાય! આમ એક દિવસ નીકળી જાય, અને પછી બીજા દિવસે ફરી રીમોટ પોતાની જાત બતાડે એટલે ફરી સેલ બદલવાના સહેલું કામ કરવાને બદલે સેલ બહાર કાઢી એની જગ્યા અદલબદલ કરી જોશે. આમ ને આમ અઠવાડિયું ખેંચી કાઢી સેલ સાવ ડેડ થઈ જાય પછી સેલ બદલવાનું કાર્ય હાથ પર ધરાય છે. આમાં બચત કરતા દેશની સંપત્તિનો ખોટો બગાડ ન થાય એ હેતુ મુખ્ય, પછી ભલે આપણને રીમોટ પછાડવાની અને સેલ અદલબદલ કરવાની મહેનત પડે. ખુબ જ તિક્ષ્ણ હાસ્યવૃત્તિ ધરાવતા મરમી હાસ્યકાર મિત્ર સાઈરામ દવે કહે છે કે આપણે ત્યાં ગેસના બાટલા જો ટૂથપેસ્ટની ટ્યુબ જેવા મટીરીયલના બનતા હોત તો આપણી પ્રજા વેલણથી ગેસના બાટલા ય દબાવી જુએ એવી છે. જે બે દિવસ વધુ ચાલ્યો એ. આ સિવાય ગંજી, જુના વાહન, ટ્યુબલાઈટ, ચંપલ અને મિનરલ વોટરની ખાલી બોટલો જેવી કેટલીય આઈટમો ચલાવવા માટે આપણી પ્રજા જે મહેનત કરે છે તેને રિસર્ચમાં સ્થાન મળવું જોઈએ જેને બદલે આવા સરસર જુઠા ઇલ્જામ લગાવે છે તે ચલાવી ન જ લેવાય. આ પ્રજાને આળસુ કહે તેને બે લાફા ચોડી દેવાની મહેનત પણ કરી જ લેવી જોઈએ, ભલે પછી લોકો એને ‘ઇનટોલરન્સ’ કહે.

આપણા શહેરીજનોને ધંધે લગાડેલા રાખવામાં આપણા અખબાર અને એફ.એમ. રેડિયો ચેનલોનો મોટો ફાળો છે. લગભગ દરેક ઘરમાં સવારની ચા સાથે પહેલું કામ ઘરમાં આવતા અખબારમાંથી ફ્રી ગીફટની કૂપનો કાપીને ફોર્મમાં ચોંટાડવાનું કરે છે. કૂપન કાપ્યા પછી પણ નીચેના પાનાઓમાં પડેલા બાકોરા વાળી જગ્યામાંનું લખાણ પણ લોકો આસાનીથી વાંચી લે છે. સવારે એટલા માટે કે સાંજે છાપું ફરી હાથમાં આવે કે ન પણ આવે. આ દરમિયાન એફ.એમ.રેડિયો પર શ્રોતાઓ માટેની કોન્ટેસ્ટ શરુ થાય એટલે પબ્લિક ફોન, એસ.એમ.એસ. કે વોટ્સેપ મેસેજ કરીને ફિલ્મની કપલ ટીકીટસ કે રેસ્ટોરાંના ગીફ્ટ વાઉચર ‘પાડવા’ની પ્રવૃત્તિમાં લાગી જાય છે. કમનસીબે આ બધા પાછળ જે મહેનત કરવી પડે છે એ કોઈ જોતું જ નથી.

અને ખાલી ચાલવાની વાત હોય તો દેશમાં એવું તો કેટલુય ચાલે છે. આ દેશમાં એકના ડબલ કરવાવાળા ચાલે છે, સોનું પ્રેશરકુકરમાં મૂકી ચમકાવી આપનારા ચાલે છે, ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડ કરનારા ચાલે છે, બાબા-બાપુ-સ્વામી-ગુરુ-આચાર્ય સૌ ચાલે છે, ચાઈનાનો માલ ચાલે છે અને જાપાનનો પણ ચાલે છે, સોનું પણ ચાલે છે અને પિત્તળ પણ ચાલે છે, નક્કર પણ ચાલે છે અને નક્કામાં માણસોય ચાલે છે. છેલ્લે આપણા દેશમાં ડીમોનીટાઈઝેશનમાં સગેવગે ન કરાય એવી આપણી વચ્ચે ફરતી કેટલીય નોટોને જરા યાદ કરો; જે ગઈકાલે ચાલતી હતી, આજે ચાલે છે, અને આવતીકાલે પણ ચાલતી રહેશે. આટલું બધું ચાલે છે અને આ ભુરિયાઓ કહે છે કે આપણે ચાલતા નથી! માય ફૂટ ચાલતા નથી!

મસ્કા ફન
વરસાદ પડે એટલે અન્ડરપાસમાં પાણી ભરાઈ જાય છે. મુનીસીટાપલીએ સમજીને અન્ડરપાસ થોડા ઊંચા ના બનાવવા જોઈએ ?