Monday, February 18, 2013

કુંભમેળામાં કદી પત્ની ખોવાતી નથી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૨--૨૦૧૩ | અધીર અમદાવાદી | 
 
હાલમાં કુંભમેળો ચાલી રહ્યો છે. મોટામોટા નેતાઓ, ભક્તો, અભિનેત્રીઓ, મોડેલો અને પાપીઓ ગંગામાં ડૂબકી મારીને પોતાના પાપ ધોઈ રહ્યાં છે. આ કુંભમેળો હિન્દી ફિલ્મોના વાર્તા લેખકો માટે ભૂતકાળમાં ઘણો પ્રિય રહ્યો છે. ભૂતકાળમાં ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સ્ટોરી ધરાવતી અનેક હિન્દી ફિલ્મો બની છે.  

એમાં વાર્તા એવી હોય કે મા-બાપ સાથે બાળકો કુંભમેળામાં જાય, અને એક છોકરું ખોવાઈ જાય. પહેલાના વખતમાં કદાચ પબ્લિક એડ્રેસ સિસ્ટમ નહિ હોય એટલે ‘એક બાબો જડ્યો છે’ જેવી માથું દુખાડતી જાહેરાતો નહિ થતી હોય. ખોવાઈ જાય પછી બાબો ખાવાના ફાંફા મારતો હોય અને ક્યાંકથી પાઉં ચોરીને ભાગે અને દોડતા દોડતા એ મોટો થઈ જાય. આખી ફિલ્મમાં એ આગળ આગળ દોડતો રહે, પાછળ પાછળ પોલીસ હોય અને છેલ્લા રીલમાં મા-બાપને અચાનક જ મળી જાય. સાથે એક પર એક ફ્રીમાં જાડી-પાડી હિરોઈન પણ મળે. વાર્તા આવી જ હોય. છોકરાં કુંભમેળામાં જ ખોવાય, અત્યારની જેમ પરીક્ષામાં ફેઈલ થયા હોય એટલે ઘર છોડીને નાસી ન જાય. આમ, કુંભમેળાનું ધાર્મિક સિવાય પણ અનન્ય મહત્વ છે.

શહેરમાં તો આજકાલ ડફોળ બાળકો પેદા જ નથી થતાં. આવું અમારું સંશોધન નથી, આ તો દરેક બાળકના મમ્મી-પપ્પા જે માનતા હોય છે એને આધારે અમે કહીએ છીએ. ‘અમારો રાહુલ તો બહુ હોંશિયાર’, ‘સ્કૂલમાં જોઈએ એટલે ટીચરની કોઈની કોઈ કમ્પ્લેઇન હોય જ’, ‘હજુ નવ મહિનાનો છે પણ મોબાઈલ વાપરતા આવડે’ વિગેરે સાંભળો તો એમ થઈ આવે કે દુનિયામાં આથી વધારે ઇન્ટેલીજન્ટ બાળકો પેદા જ નહિ થતાં હોય. પણ કુંભમેળાની વાત જુદી છે, એમાં બાળકો ખોવાઈ પણ જાય. પહેલાનાં બાળકો કદાચ ગ્લુકોઝ બિસ્કીટ નહિ ખાતાં હોવાને લીધે ખોવાઈ જાય તો એમનામાં મમ્મી પપ્પાને શોધવાની કે ઘેર પાછા પહોંચી જવા જેટલી અક્કલ નહોતી.

ભારતમાં ઠેકઠેકાણેથી લોકો સજોડે કુંભમેળામાં જાય છે. પણ હજુ સુધી કુંભમેળામાં કોઈની પત્ની ખોવાઈ ગઈ હોય એવું અમે નથી સાંભળ્યું. પત્નીઓ ખબર નહિ કઈ ચક્કીના લોટની પાણીપુરી ખાતી હશે કે એ કદી ખોવાતી નથી. મેળામાં સામાન્ય રીતે સ્ત્રી સહજ કુતૂહલવશ લારીઓ અને સ્ટોલમાં કે જ્યાં બ્યુટીનો સમાન મળતો હોય ત્યાં ધસી જતી હોવા છતાં, અને એ દરમિયાન પતિ હળવો થવા, ચા કે માવો મસાલો શોધવા જતો હોવા છતાં, એને શોધીને જ જંપે છે. એમાંય જો પતિ કોઈ અન્ય સુંદર સ્ત્રી સાથે વાત કરતો હોય તો એની ગંધ પારખીને પણ પત્ની પહોંચી જાય. અને હવે તો મોબાઈલ હાથવગા છે. એટલે પતિઓ અનેક આશા અને અરમાનો સાથે મેળામાં જાય તો પણ છેવટે સજોડે જ પાછા આવે છે. પતિ બેટરી ડાઉન હતી, કવરેજ નહોતું જેવા અનેક દાવ કરે તો પણ એ પીછો છોડાવી નથી શકતો.

જોકે ‘કોઈ શોધવાનું છે એવી ખબર હોય તો ખોવાઈ જવામાં મઝા છે’ એ મતલબનું કોક કવિ કહી ગયા છે. આમાં ચોર ડાકુઓની વાત નથી. પોલીસ એમને કાયમ શોધતી હોય છે, અને પોલીસ પર પ્રેશર હોય તો જોતજોતામાં શોધી પણ કાઢે છે. કવિએ જે વાત કરી છે એ પ્રિયતમની કરી છે. આ કવિઓ તો પ્રિયતમાની ઝૂલ્ફમાં પણ ખોવાઈ જાય એવા અઘરા હોય છે. આમ પ્રિયતમાની ઝુલ્ફ સુધી જૂ અને કવિ બે જ પહોંચે. જૂ નો તો અમુક શેમ્પુ કે તેલ નાખવાથી નિકાલ થઈ જાય, પણ કવિ જો ઝૂલ્ફમાં એકવાર પેસી જાય તો એને કાઢવો અઘરો છે.

પણ મૂળ વાત પર આવીએ તો જો આમ કુંભમેળામાં પત્ની ખોવાઈ જતી ન હોય તો પછી પત્ની ખોવાઈ જાય એવું કરવું કઈ રીતે? યાદશક્તિ વધારવાની દવાઓ હોય છે, પણ ભૂલી કે ખોઈ નાખવાની દવા હોય એવું અમારી જાણમાં નથી. તો પછી શું છાપામાં આવે છે એવા એકાવન રૂપિયામાં કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી આપે એવા જ્યોતિષી પાસે જવું? કે કોઈ કવિનું માર્ગદર્શન લેવું? ને જટા કે દાઢી મૂછ ઓવર નાઈટ મિરેકલ ગ્લો નાખીને જેમ પ્લાન્ટ્સ ઉગે છે એમ નથી ઉગતાં નહીંતર શરીરે ભભૂતિ લગાવી ટેમ્પરરી સાધુ બની પત્નીને ચકમો દઈ શકાય. આ સમસ્યા ધર્યા કરતાં વધારે ગહન છે, માટે હે સુજ્ઞ વાચક, તમારી પાસે જો નીવડેલો ઉપાય હોય તો બૃહદ પુરુષ સમાજના લાભાર્થે જાણ કરવા વિનંતી.

ડ-બકા
પહેલાં કસાબ ને હવે ગુરુને ફાંસી બકા,
શરું થઈ ગઈ ઈલેકશનની તૈયારી બકા.
 

No comments:

Post a Comment