Friday, May 31, 2013

ઉનાળો બારેમાસ હોવો જોઈએ




| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |


અમે મોરેશિયસ ફરવા ગયા હતાં. ત્યાં હોટલમાં અમે સોના, સ્ટીમ બાથ અને જાકુઝીનો ભરપૂર લાભ લીધો. હોટલના પેકેજમાં એ મફત હતું એ કહેવાની અમને જરૂર નથી જણાતી. સોનાબાથમાં હીટ અને સ્ટીમબાથમાં વરાળના લીધે આપણા શરીરમાંથી પરસેવો વહે છે અને એમ ચામડી પરના છિદ્રો ખુલે છે. એરકન્ડીશનમાં રહેનાર લોકોને આવું કરવું પડે. પણ અમદાવાદ પાછા આવ્યા પછી અમને ખબર પડી કે આ સોના અને સ્ટીમ બાથ અમારા ટોપ ફ્લોરના ફ્લેટમાં સાવ મફતના ભાવે મળે છે. ક્યાંય જવાની જરૂર નહિ. અને ત્યારે અમને ઉનાળાનો ખરો ફાયદો સમજાયો. પછી જેમ જેમ વિચાર કરતાં ગયા એમ એમ અમને ઉનાળાના એટલાં બધાં ફાયદા દેખાયા કે હવે લાગે છે કે ઉનાળો ખરેખર તો બારેમાસ હોવો જોઈએ!


ઉનાળાનો એક ફાયદો એ છે કે આ સિઝનમાં નહાવા માટે પાણી ગરમ નથી કરવું પડતું. ખરેખર તો મોડા ઉઠનાર લોકોને ધાબા પર મુકેલ કાળી ટાંકીમાં ગરમ થઈ ગયેલું પાણી ઠંડું કરવું પડે છે. હવે બધાંને એટલી તો ખબર હશે જ કે શિયાળામાં પાણી ગરમ કરવામાં ઈલેક્ટ્રીસિટી કે ગેસ વપરાય અને આપણે કંઈ અંબાણી ખાનદાનના તો છીએ નહિ કે એ પોસાય! જેના ઘરમાં ગેસર (ગીઝર) ન હોય એમણે શિયાળાની ઋતુમાં તપેલામાં પાણી ગરમ મૂકી, ડોલમાં કાઢી, ડોલ બાથરૂમ સુધી લઈ જવી પડે છે. આમ કરવાંમાં કેટલાય લોકો દાઝી જાય છે. તપેલા ઉચકવામાં ગાભા અથવા નેપકીન બગડે છે, અને કેટલીય કાકીઓની કમરના મણકા છટકી જાય છે એનો તો કોઈ હિસાબ જ નથી, કારણ કે કાકીઓનો કમર અંગેનો કકળાટ કોઈ સાંભળતું જ નથી. આમ ઉનાળો આ બધી કડાકૂટમાંથી મુક્તિ અપાવે છે.

આ ગરમ પાણીનો વ્યાપ રેસ્ટોરાં સુધી પહોંચે છે. લસણ ડુંગળીવાળું પંજાબી ભોજન આરોગ્યા પછી હાથમાં આવતી વાસ દુર કરવાં જેમાં લીંબુ સ્વીમીંગ કરતું હોય તેવા ફિંગર બાઉલમાં ગરમ પાણીનો ઉપયોગ પ્રચલિત છે. આ ગરમ પાણી ઉનાળામાં સીધું ટાંકીના નળમાંથી ભરી શકાય છે. હવે નેક્સ્ટ ટાઈમ ફિંગર બાઉલ ઉપયોગ કરો ત્યારે અમને યાદ કરજો. ખરેખર તો ઉનાળામાં આ મફત મળતા ગરમ પાણીને લીધે હોટલ બિઝનેસ વધું પ્રોફિટેબલ બનતો હશે અને એટલે જ પહેલા ક્વાર્ટરના હોટલ કંપનીઓના પ્રોફિટના આંકડા અન્ય ક્વાર્ટર કરતાં ઉપર રહે છે એવું અમે ચોંકાવનારું સંશોધન કર્યું છે. જોકે આ વાંચીને હોટલ કંપનીના શેર ખરીદવા નહિ, અન્યથા જો તમને કોઈ ખરાબ ક્ષણે નુકસાન જાય તો સંસ્થા એ અંગે જવાબદાર રહેશે નહિ!

અમદાવાદમાં તો ઉનાળામાં ૪૩-૪૪ ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચી જાય છે. નબળા મનના માનવીઓ તો સવારે છાપામાં આગળના દિવસના ગરમીના આંકડા વાંચીને જ આઉટ ડોર એક્ટીવીટી પર ચોકડી મરી દે છે. આમ થવાથી જે કામ વગર નીકળી પડતા હોય એવા લોકોની સંખ્યા રોડ પર ઘટી જાય છે. આમ થવાથી ટ્રાફિક અને પોલ્યુશનની સમસ્યા હળવી થાય છે. રોડ પર લોકો ઓછાં હોય એટલે અકસ્માતો પણ ઓછાં થાય છે. જોકે ટ્રાફિક પોલીસની એક્સ્ટ્રા ઇન્કમ પર આની શું અસર પડે છે તે અંગે અમે કોઈ ચોંકાવનારું સંશોધન હજુ સુધી કર્યું નથી, પણ ભવિષ્યમાં કરીશું તો આ જ સ્થળે તમને વાંચવા મળશે એની અમે ખાતરી આપીએ છીએ!

હવે તો બારેમાસ લગ્ન થાય છે, કમુરતામાં પણ. પહેલાના સમયમાં લગ્નગાળો ઉનાળા વેકશનમાં જ આવતો. હજુ પણ ઉનાળામાં લોકોને પરણવાના અભરખા ઓછાં નથી થયા. ઉનાળુ લગ્નો અમદાવાદીઓને વધુ અનુકુળ આવે છે. ઉનાળામાં કેટલાય વેકશન માણવા બહારગામ ગયા હોય, એ સંખ્યામાં કપાય. અમુક ગરમીથી ત્રસ્ત થઈને ‘જવા દો ને, આપણે નહિ જઈએ તોયે લગ્ન તો થવાનાં જ છે’ કહી લગ્નમાં હાજરી આપવાનું માંડી વાળે છે. જે પરસેવો પાડીને શોભામાં અભિવૃદ્ધિ કરવાં આવે છે એ પણ ગરમીથી કંટાળીને હાજરી દેખાડી, જમવાનું જમી, જલ્દી વિદાય થાય છે. ગરમીમાં પાણી વધારે પીવાય છે. આવામાં કેટરર હોંશિયાર હોય તો વેલકમ ડ્રીંક અને મોકટેઈલના રુપાળા નામે ચાસણીદાર શરબત ખપાવે છે. બરફનું ઠંડું પાણી તો હોય જ છે લોકોની ભૂખ ભાંગવા! આમ વાનગીઓની ખપત ઓછી થાય છે. એટલે જ ઉનાળામાં કેટરર શિયાળા કરતાં ઓછાં ભાવે સર્વિસ પૂરી પાડે છે. એકંદરે ઉનાળામાં માંડેલો પ્રસંગ સસ્તામાં પતે છે.

ઉનાળામાં લોકો વેકશન માણવા બહારગામ જાય છે, ખાસ કરીને ગુજરાતીઓ. આનાથી હિલ-સ્ટેશનની ઇકોનોમીમાં સુધારો થાય છે.  હિલ-સ્ટેશનમાં ઉનાળો ન હોવા છતાં ત્યાંના લોકોને લાભ થાય છે. જે દેશમાં બારેમાસ ઠંડી પડતી હશે ત્યાં હિલ-સ્ટેશનો ખાલી હિલ બનીને રહી જતાં હશે અને ત્યાં જે તે દેશના કાળા કાગડા ઉડતાં હોય તેવું બને. પણ લોકો ઉનાળું વેકશન માણવા બહારગામ જાય એનાંથી ટ્રેઈનમાં કુલીથી લઈને ફેરિયાથી સુધી સૌને બિઝનેસ મળે છે. આવા વેકેશન માણ્યા પછી સોશિયલ નેટવર્કિંગ સાઈટ જેવી કે ફેસબુક પર ફોટા મૂકી લોકો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને બિઝનેસ પુરો પાડે છે. અને ચિત્ર-વિચિત્ર ફોટા થકી લોકો જોનારને મનોરંજન પૂરું પાડે છે એ તો સાવ મફતમાં જ!

આ ઉપરાંત વેપારીઓને ઉનાળા સંબંધિત ફાયદા તો થાય છે જ. એસી, કેરી, પાણી, ઠંડા પીણાં, બરફ ગોળા, આઈસ્ક્રીમ અને ટોપીઓના વેપારીઓ આ ધૂમ કમાય છે ઉનાળામાં. આ નાના-મોટા વેપારીઓને  બાદ કરો તો  ફિલ્મી સ્ટાર્સ અને સુપર સ્ટાર્સ પણ શરમ મૂકીને માથાના તેલ અને અળાઈના પાઉડર વેચવાની જાહેરાત કરીને રોકડી કરી લે છે! આમ ઉનાળો સરકારની રોજગાર કચેરી કરતાં વધુ સારી તકો ઊભી કરે છે. તો કહો કે ઉનાળો સારો છે સારો છે કે નહિ? 

1 comment: