| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |
(વાયા એ.એન.એન.)

કાગડા સમાજના પ્રમુખ કાક ભટ્ટે આ અંગે જણાવતા કહ્યું હતું કે: અમારું મૃતકો સાથે ડાયરેક્ટ ડાયલિંગ છે. શું ખાધું? ભોજન કેવું હતું? ખાવાથી અમને પેટમાં તકલીફ થઈ કે કેમ? જેવી અનેક બાબતોનો રિપોર્ટ શ્રાદ્ધ પૂરા થતાં અમારે ઉપર મોકલવાનો હોય છે. સ્વર્ગસ્થ પિતૃઓ તો બારેમાસ જલસા જ કરતા હોય છે, એટલે એ લોકો તો ખાલી નોંધ જ લે છે, પણ નર્કસ્થ પિતૃઓને અહીં અમને જે ભોજન અપાય તેવું અને તેટલું જ ભોજન આ દિવસોમાં નર્કમાં આપવામાં આવે છે. અહીં અપકર્મ કરીને નર્કમાં સજા કાપતા પિતૃઓ આમ એક પૂરી પર બાસુંદી કે દૂધપાકનાં ચાર ટીપાં સાથે એકાદું ભજિયું અને કોરા ભાત જોઈ નારાજ થઈ જાય છે. આમેય છેલ્લા કેટલાય વખતથી પિતૃઓ નર્કસ્થ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. એટલે નર્કમાં વિરોધનો જુવાળ વધી રહ્યો છે, અને અમને ઉપરથી સૂચના આપવામાં આવી છે કે હવે આ પ્રકારનું કાચું કોરું ભોજન સ્વીકારવું નહી.
‘તો કેવું ભોજન કાગવાસમાં પીરસાવવું જોઈએ?’ એ મુજબના પ્રશ્ર્નનો જવાબ આપતા સમાજના યુવાન પ્રવક્તા કાગ ભૂષણે જણાવ્યું કે: ૧૯૮૨માં એશિયાડ ગેમ્સ વખતે દેશમાં ટીવીનું આગમન અને તે પછી ટીવી પર રવિવારે ફિલ્મ, રામાયણ મહાભારત જેવી સિરિયલોને કારણે બહારનું ખાવાનું ચલણ લોકોમાં વધ્યું હતું. આમ લોકો પિઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, અને જાત જાતનાં ડેઝર્ટ ખાતા થઈ ગયા છે. આમ છતાં કાગવાસમાં એ જ જૂનવાણી દૂધપાકના નામે પાણીદાર દૂધ રેડવામાં આવે છે. એટલે વડીલોએ શ્રાદ્ધમાં ફાસ્ટફૂડ આઇટમ્સની માંગણી કરી છે. સૌરાષ્ટ્રના દાદાઓએ ગાંઠિયાની અને સુરતી લાલાકાકાઓએ તો છાંટોપાણી સાથે લોચાની માંગણી કરી છે. બહારનું ખાવાના ચટાકા ધરાવતા અમુક મુરબ્બીઓએ કાગવાસમાં ઘરનું ખાવાને બદલે પિઝા હટ કે ગોરધન થાળના ગિફ્ટ વાઉચર મળવા જોઈએ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. તો અમુકે તો કાગવાસ નાખ્યા પછી, બનારસી ૧૨૦ના પાન પણ મુકાવા જોઈએ તેવી રજૂઆત કરી છે.
માગણીઓ અહીં અટકતી નથી, વધુ ઉમેરતા કાગ ભૂષણે જણાવ્યું હતું. સરકારી કર્મચારી યુનિયન જેવા એક આગેવાન કાકાએ સમસ્ત પિતૃઓ વતી એક આવેદન પત્ર તૈયાર કર્યું છે જે મુજબ શ્રાદ્ધપક્ષ હવે વરસમાં બે વખત ઉજવવાનો રહેશે. શ્રાદ્ધપક્ષનું મેન્યુ ઠરાવની તારીખ પછી એટલે કે નવા મરનાર મરતાં પહેલાં નક્કી કરી શકશે. જોકે આકસ્મિક કે મેન્યુ નક્કી કર્યાં વગર અવસાન પામનાર માટે પાછળથી આઇટમ્સ નક્કી કરવાનો મોકો આપવો એવું પણ ઠરાવવાની દરખાસ્ત છે. એકંદરે માર્કેટમાં કમર્શિયલ ધોરણે જમવા મળતી થાળીમાં હોય એટલી આઇટમ્સ કાગવાસમાં નાખવાની રહેશે. પણ આ આઇટમ્સ અમેરિકાની જેમ વીકેન્ડ પર આખા વીક માટે બનાવી ફ્રોઝન કરેલી કે વાસી નહીં ચલાવી લેવામાં આવે. આ ઉપરાંત ભોજન ગુણવત્તા નિયંત્રણ કમિટી રચવામાં આવે જેવા સ્વર્ગમાં ટ્રેનિંગ પામેલા કાગડાઓને સ્થાન આપવામાં આવે. પિતૃઓને ડાયાબિટીસ હોય તો પણ મર્યાં પછી એમને મોળું ખવડાવવાની વૃત્તિની પણ પિતૃ સમાજે આકરી ટીકા કરી વખોડી નાખે છે.
માગણીઓમાં આ વખતે સ્ત્રીઓ પણ પાછળ રહી નહોતી. નર્કસ્થ સ્ત્રી સમાજનાં પ્રમુખ વનલતાબહેને સ્ત્રીહિતમાં શ્રાદ્ધમાં ફેરફારો કરવાની વાત કરી હતી. "અમારા ધ્યાનમાં આવ્યું છે કે એક જ તિથિ પર જયારે પુરુષ અને સ્ત્રીનું શ્રાદ્ધ આવે તેવા સંજોગોમાં પુરુષોને ગમતાં ભોજન મૂકવાની ભેદભાવવાળી નીતિ હજુ ૨૧મી સદીમાં પ્રવર્તે છે, જે ઘણી દુ:ખદ બાબત છે. તો આવા એક જ દિવસમાં બે શ્રાદ્ધ હોય તેવા સંજોગોમાં સ્ત્રીઓને પસંદ આઇટમ્સ જેવી કે મરચાનાં ભજીયાં, પાણીપૂરી, અને પિઝા જ કરવામાં આવે. આ ઉપરાંત ઉપર સૂચવવામાં આવેલી કમિટીઓમાં સ્ત્રીઓ માટે ઓછામાં ઓછાં ૩૩% અનામત રાખવામાં આવે".
આ બધા વચ્ચે વિચારવા જેવું એ છે કે અહીં પૃથ્વી પર તીખું, તળેલું, ગળ્યું ખાઈ ડાયાબિટીસ, કોલેસ્ટરોલને કારણે હેરાન થઈ ઉપર પહોંચેલા આપણા વડીલો અને પિતૃઓએ નર્કમાં પણ પોતાનો ટેસ્ટ અને આદતો જાળવી રાખ્યા છે. અહીં ભલે એક જ ઘરમાં રહી જુદી જુદી પાર્ટીઓને મત આપતાં હોય, પણ ડોહા-ડોહીઓ શ્રાદ્ધપક્ષના હક બાબતે એકમત થઈ ગયાં છે. કાગડાઓની પ્રતિક હડતાળથી હચમચી ગયેલા લોકો ખરેખર પિતૃભોજનમાં ફેરફારો લાવશે કે કેમ, તે તો આવનાર સમય જ બતાવશે.
enjoyed
ReplyDelete