Tuesday, September 27, 2011

ફાસમફાસ

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૨૫-૦૯-૨૦૧૧ | લાતની લાત ને વાતની વાત | અધીર અમદાવાદી |
દિલ્હીમાં અન્ના હઝારેનાં ઉપવાસ પછી હમણાં જ અમદાવાદમાં જતા ચોમાસે ફાસ્ટની સિઝન ઊઘડી હતી. નરેન્દ્રભાઈના સદભાવના ઉપવાસનાં પ્રતિભાવમાં કૉંગ્રેસ, માલધારીઓ અને અન્ય અસંતૃષ્ટો  અમદાવાદમાં ઉપવાસ કરવા ઊમટી પડ્યા હતાં. આ બધાં ઉપવાસીઓને સાચો કે ખોટો ટેકો આપવા બીજાં લાખો લોકો ઊમટી પડ્યા હતાં. જો કે આ ઉપવાસના સમાચારથી ઘણાં લોકોને અપચો થઈ ગયો હતો. તો ઉપવાસના અતિરેકથી અમુક લોકોએ તો ભય વ્યક્ત કર્યો છે કે કદાચ આમ જ લોકો ઉપવાસ પર ઊતરતા રહેશે તો દેશમાં અન્ન વધી પડશે અને પછી કદાચ એક્સ્પૉર્ટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડે એવું પણ બને. અને એવું ન પણ બને, કારણ કે ઉપવાસમાં હાજરી પુરાવવા અને ખાવા આવતાં દર્શનાર્થીઓ માટે રાતોરાત સાવર્જનિક રસોડા શરુ થતાં હોય છે એટલે બધું સરભર થઈ જાય છે.

ઉપવાસ માટે અંગ્રેજીમાં ફાસ્ટશબ્દ ઉપયોગ થાય છે. આજે ભારતીયોના શબ્દકોશમાંથી સ્લોશબ્દ બહાર નીકળી રહ્યો છે. બધાને બધું જ ફાસમફાસજોઈએ છે. બોસ કર્મચારીઓને કોઈ કામ સોંપે તો એ કામ એને ગઈકાલે થયેલું જોઈએ છે. એને ફૂડમાં ફાસ્ટ ફૂડ, રેલવેમાં તત્કાલ ટીકીટ મળે અને સફર કરવા ફાસ્ટ, એક્સપ્રેસ  અને સુપર ફાસ્ટ ટ્રેઇન જોઈએ છે. મેટ્રો અને મેગા સિટીની લાઇફ હવે ફાસ્ટ થઈ છે. કોર્ટમાં પણ ફાસ્ટ ટ્રૅક કોર્ટ હોય છે. અને ભલે ફાઈલો ગમે તેટલી ધીમી ગતિએ હાલતી હોય, પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રૅક કહેવાય છે. બાકી ભારતમાં ફાસ્ટનો મહિમા ભલે ગવાતો હોય, જ્યાં ઝડપ દેખાડવાની છે તેવી ઓલમ્પિકની રમતો, કાર રેસિંગ વિ.માં આપણે પૂરતા ઝડપી નથી સાબિત થયા!

સરકાર કેમ ફાસ્ટ ટ્રૅક પ્રોજેક્ટ જ કરે છે? એ વિષે ઘણી ચર્ચા ચાલે છે. એક મત એવો છે કે માર્કેટ અને મતદારોમાં એટલી બધી અનિશ્ચિતતા છે કે પાંચ વરસથી લાંબો પ્રોજેક્ટ કોઈ સરકાર હાથ પર લેતી નથી. અને માર્કેટ વિષે તો તો હજી પણ અનુમાન થઈ શકે છે, પણ મતદારો વિષે કોઈ અટકળ થઈ શકતી નથી. મંત્રીઓ ફાઈલોનો નિકાલ ફાસ્ટ કરે એટલે એ ફાઈલોનાં નિકાલ માટે એમને યોગ્ય વળતર પણ મળી રહે છે, અને એ પણ ફાસ્ટ. ઘણી વાર તો ઍડ્વાન્સમાં પણ મળે છે. પણ ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ, એમ સરકાર જો લાંબાગાળાની યોજના શરુ કરે તો યોજના પૂરી થાય ત્યારે રિબન કોક બીજું કાપી જાય છે! બદલાતી સરકારો વચ્ચે પાછો આ ઉંદર અને ભોરિંગનો વેશ વારાફરતી બદલાયા કરે છે. ગુજરાતની સરદાર સરોવર યોજનાથી એજ તો શીખવાનું છે!


ટ્રેઇનમાં પણ લોકો ફાસ્ટ ટ્રેઇન પસંદ કરે છે. મુંબઈથી અમદાવાદ નવી ફાસ્ટ ટ્રેઇન શરુ થાય એટલે સુરત અને વડોદરા એમ બેજ સ્ટેશને ઊભી રહે. આ ટ્રેઇનમાં સફર કરનાર ગર્વથી કહે કે સાત કલાકમાં અમદાવાદ ફેંકી દીધાં’. પણ પછી ધીરેધીરે આંદોલનો થાય, સ્થાનિક નેતાઓ રજૂઆત કરે એટલે છેવટે ટ્રેઇન વલસાડ, વાપી નવસારી, અંકલેશ્વર, આણંદ, નડિયાદ અને મહેમદાવાદ પણ ઊભી રહેતી થઈ જાય. આમાં ચેઈન પુલિંગથી ઊભી રહે એ તો ગણ્યું જ નથી! એટલે પછી બીજા વરસે રેલવે એક નવી સુપર ફાસ્ટ ટ્રેઇન કાઢે. અને ફરીથી એની એ રામાયણ શરુ થાય. જો કે ફાસ્ટ ટ્રેઇનમાં બેસી વહેલા નોકરીએ કે ઘેર પહોંચી કોઈ ધાડ મારી નથી લેતું. ભાઈ સુપર ફાસ્ટ ટ્રેઇનમાં બેસી વહેલા ઘેર પહોંચે તો આઈ ગ્યા પાછાંને હવે માથા પર ટીકટીકારો ચાલુ થઈ જશેજેવા વાગ્બાણથી સ્વાગત થાય એટલે વહેલા ઊઠી ભુલા પડ્યા જેવી લાગણી થઈ આવે. તોયે માણસ ફાસ્ટનો મોહ છોડી શકતો નથી.

આજકાલ ફાસ્ટ ફૂડ બધાંને ખૂબ પસંદ છે. ફાસ્ટ ફૂડ નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે ઘણું ફાસ્ટ બને છે. દરેક વસ્તુનાં નામ પ્રમાણે ગુણ ન પણ હોય. ચૂલા હવે આઉટડેટેડ થઈ ગયાં છે ત્યારે પહેલાં કોલસા પર શેકાતી મકાઈ પણ આજકાલ પ્રેશર કૂકરમાં બફાય છે. હવે બે મીનીટમાં નૂડલ બને છે. ઢોકળાં બનાવવા પણ હવે પહેલાંની જેમ ચોવીસ કલાક પલાળવા નથી પડતાં. ઢોસા અને ઈડલીનું ખીરું અને કોપરાની ચટણી પણ તૈયાર મળે છે. વડાપાઉં અને બર્ગર ઉભા ઉભા મળે છે. જો કે ઉપરવાળાની આપણાં ઉપર એટલી મહેરબાની છે કે ઉતાવળે પકાવેલું અને ઉતાવળે ખાધેલું ફૂડ પચાવવાની પ્રક્રિયાનું પરિણામ હજુ પણ ચોવીસ કલાકે આવે છે નહિતર પાંચ મીનીટમાં પકાવેલું દસ મીનીટમાં ખવાય અને વીસ મીનીટમાં નિકાલ કરવાનો વારો આવે, તો સરકાર પબ્લિક ટોયલેટ બનાવવામાંથી ઉંચી જ ન આવે ને?

આ ફાસ્ટ યુગમાં કુદરત પણ વિજ્ઞાન સામે નમી રહી છે એવું લાગે છે. આજકાલ ઉતાવળે આંબા પાકે છે, અને પાછી આંબે કેરીઓ પણ આવે છે. પછી કાર્બાઈડ જેવા કેમિકલથી ઉતાવળે કેરીઓ પણ પાકે છે. પછી આવી કેરીઓ ખાઈને કેન્સર જેવા રોગો પણ ફટાફટ થાય છે. રોગ થાય એટલે જિંદગી પણ ફાસ્ટ ફૉર્વર્ડ પૂરી થાય છે. પણ દુનિયા ગમે તેટલી આગળ વધી હોય, બાળક પૃથ્વી પર આવતાં પુરા નવ મહિના માતાના પેટમાં રહે છે, એનો કોઈ ફાસ્ટ ફૉર્વર્ડ રસ્તો સાયન્સ નથી લાવ્યું.   

કાગડાની ડાયરી


સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ Lol | ૨૫-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

અરેરે, સરાધિયાં હવે પુરો થશે. શ્રાદ્ધપક્ષ શરુ થાય એ અગાઉના બે દિવસ અમારી નાતમાં ઉપવાસ રાખવાનો રિવાજ છે. અને સરાધિયાં શરુ થાય પછી પંદર દાડા અમારા ત્યાં કોઈ નોનવેજને અડતું નથી. નોનવેજમાં બધું આવે, જીવડાં, ઉંદર, મરેલી બિલાડી વિ. વિ. હાસ્તો, શ્રાદ્ધ ચાલુ થાય એટલે અમને દૂધપાક, પૂરી અને છેલ્લા કેટલાય વરસોથી બાસુંદી અને મઠ્ઠો પણ ખાવા મળે છે, પછી એવું નોનવેજ કોણ ખાય? યાક!

જોકે મને તો ગળ્યું બહુ ભાવે છે, પણ શું થાય મારી વાઈફ કૂકી કાગડીને તીખું તમતમતું ખાવાનો શોખ છે. તાજેતરમાં મરનાર ઘણાં ડોસા ડોસીઓને પીઝા, ભાજીપાઉંથી લઈને પાણીપૂરી જેવી આઈટમ ભાવતી હોવાં છતાં અફસોસ એ વાતનો છે કે કાગવાસમાં કોઈ અમને પિઝ્ઝા નથી નાખતું. સૌરાષ્ટ્ર તરફનાં અમારા મિત્રો પણ કહે છે કે કાગવાસમાં કોઈ ગાંઠિયા નાખતું નથી અને એમને શ્રાદ્ધના દિવસોમાં પણ ગાંઠિયા ખાવા હોય તો લારીઓ પર પ્લેટો ચાટવી પડે છે. સુરતી કાગડા બંધુઓએ પણ લોચો નથી મળતો એ મુદ્દે ગાળો દે  છે. અમારું પ્રતિનિધિ મંડળ (જેમાં મોટા ભાગે કાગડીઓ છે!) બ્રાહ્મણોને મળીને અમને થતાં આ હળાહળ અન્યાય બાબતે રજૂઆત કરવાનું પણ વિચારી રહ્યું છે.
 
શ્રાદ્ધ છોકરાનું કુટુંબ કરે એટલે મોટે ભાગે વહુના હાથમાં રસોઈનો કારોબાર હોય. વહુને ક્યારેક એમનાં સાસુ-સસરા સાથે એમની હયાતીમાં ન બનતું હોય. પહેલા ગાય, કૂતરા અને કાગડા એમ ત્રણેનું ખાવાનું અલગ કાઢવાનો રિવાજ હતો, પણ આજકાલની વહુઓ ત્રણેનું ખાવાનું તો કાઢે છે પણ બેદરકારીથી જમીન પર ભેગું નાખી દે છે. એટલે કૂતરા અને ગાય પણ અંદર માથું નાખે છે. સાલું અમારો કાયદેસરનો ૩૩% હિસ્સો અલગ હોવા છતાં અમારે કૂતરા અને ગાયના મોઢા વચ્ચેથી પૂરી ખેંચી લાવવાની? પછી વડીલો સુધી ક્યાંથી પહોંચે?  

અને તમને નહિ માનો, પણ અમારે આ બધો હિસાબ તમારા વડીલોને આપવો પડે છે. શ્રાદ્ધપક્ષ પતે એટલે અડધો દિવસ રજા રાખી અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. કોના ઘરમાંથી શું ખાવાનું નખાયેલું? અને એની ક્વોલિટી કેવી હતી? એ રિપોર્ટ પહોંચે એટલે મહિના સુધી તો ઉપર ધમાચકડી મચી જાય છે. ઉપર રહ્યે રહ્યે અમુક સાસુઓ દુધની આઇટમથી પેટ બગડે છે એ જાણતી હોવાં છતાં વહુએ જાણી જોઈને દૂધપાક બનાવ્યો એવાં વાંધા કાઢે છે. પણ પછી એ સાસુની સાસુઓ બેસ છાનીમાની, મને લાડવા ભાવે છે એ ખબર હતી તોયે તેં કયે દા’ડે લાડવા કર્યા? કહી એમને ચુપ કરી દેતી જોવા મળે છે.

પણ ઘણાં લોકો શ્રાદ્ધ ખાલી કરવા ખાતર કરતાં હોય છે. ઘરમાં પોતે ન ખાતા હોય તેવા રબ્બર જેવા શીરા બનાવીને કાગવાસમાં મૂકે છે. એમાં પાછી પૂરી પણ જો રબ્બર જેવી હોય તો અમારે તોડવા બે જણે ભેગા થઇ મહેનત કરવી પડે છે. અરે અમુક વખતે ખાધા પછી પેટ ખરાબ થઇ જાય તો બે દાડા ઉપવાસ કરવા પડે છે. અમુક હોમમેકર્સ ગળ્યામાં દૂધપાક બનાવે છે, પણ ખાંડવાળા દૂધમાં અને આ દૂધપાકમાં આપડને કશો ફરક ખબર ના પડે. અને દૂધપાક સાથે જે ભજિયાં પહેલાં મુકાતાં હતાં તે પણ લગભગ અદ્ગશ્ય થઇ ગયા છે. સાલું, શ્રાદ્ધ પક્ષમાં પણ પૂરીને બટાકાનું શાક ખાવાનું હોય તો જીવતર ધૂળમાં પડ્યું અમારું. મારા દાદા કહેતા હતાં કે પહેલાના વખતમાં અમે કાગડાઓ શાહમૃગ જેવા મોટા હતાં. પછી દિવસે દિવસે લોકોને શ્રાદ્ધમાં શ્રધ્ધા ઓછી થતી ગઈ અને અમે શાહમૃગમાંથી આ કાગડા જેવા બની ગયા!

પણ અમારું એસોસિયેશન શ્રાદ્ધમાં કાગડાઓને નાખવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા બાબતે ચિંતિત છે. અને ટૂંક સમયમાં નક્કર પગલાં લેવા વિચારે છે. તમને થશે શું પગલાં લેવાશે?  જો ખાદ્યપદાર્થની ગુણવત્તા નહિ સુધરે તો જ્યાં ક્વોલીટી ખાવાનું નથી નાખતા તેવા ઘરોનો અમે બહિષ્કાર કરીશું. એમનું નાખેલું ભલે સુકાઈ જતું, કે પછી પેલી ચિબાવલી કાબરો ખાઈ જતી, પણ કાગડા એને નહિ અડે. અરે, વખત આવ્યે એ લોકોનાં ડોહા ડોહીઓને પણ વિરોધ પ્રદર્શન માટે બોલાવીશું. અને આ બધું કારગત નહિ નીવડે તો અમે ઉપવાસ કરીશું, અને એ પણ શ્રાદ્ધ પક્ષમાં. કેમ, ગભરાઈ ગયાને ઉપવાસનું નામ સાંભળી ને?

-બકા
એક સામટાં તૂટી પડશે નેતા નામે ગીધ બકા,
વિચારીને તું આંગળી એમની સામે ચીંધ બકા.