Monday, March 10, 2014

પરીક્ષામાં પાસ થવાના ઉપાયો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી | 



વર્ષોથી વિદ્વાનોમાં ‘પરીક્ષા કોની?’ એ બાબતે મતમતાંતર રહ્યા છે. એક તરફ ભૌતિક રીતે વિદ્યાર્થી પરીક્ષા આપે છે. પણ હકીકતમાં પરીક્ષા મા-બાપની થાય છે. પરીક્ષા સન આપે છે પણ ટેન્શન મમ્મીને હોય છે. ‘સન આ વખતે બારમામાં છે’ આ ધ્રુવવાક્ય હજારો ઓફિસોમાં રજા લેવા માટે વપરાયું હશે. બાકીની હજારો ઓફિસમાં ‘ડોટર આ વખતે બારમામાં છે’ વપરાયું હશે. પણ પપ્પાઓ રજા લઇ એવું તો શું કરે છે?


જેમ કોઈ કામ નિર્વિઘ્ને કરવા માટે ગણપતિનું સ્મરણ થાય છે એમ પરીક્ષામાં પાસ થવા માટે પ્રથમ પપ્પાનેયાદ કરો. કારણ કે પપ્પા હાથવગા હોય છે. કોઈપણ પ્રકારના ગોરખધંધા માટે રૂપિયા એમની પાસેથી જ છેવટે ઢીલા કરાવવાના હોય છે. પરીક્ષામાં તૈયારી ઓછી હોય ત્યારે એડમિશનમાં આવતા વિઘ્ન હરવા જે મદદ કરે તે પપ્પાજ હોય છે. પેપર કોણે સેટ કર્યું છે, ક્યાં છપાવા જાય છે અને ક્યાં ચેક થાય છે આ સંબંધિત માહિતીનું ઉત્ખનન કરતું કોઈ નજરે ચઢે તો સમજવું કે આ ભઈનો સન બારમામાં હશે,અને થોડો વિક હશે. અને જો કોઈ ‘આમ તો હોંશિયાર છે, પણ થોડો રમતિયાળ છે’ એવું કહે તો સમજવું કે એ ભઈનો સન ભણવાને બદલે મોબાઈલ પર ન રમવા જેવું રમતો હશે.અને ન કરવા જેવું બીજું ઘણુંય કરતો પણ હશે. આવા સનના ડેડે પરીક્ષા વખતે રજા લેવી યથાર્થ છે.

‘જિંદગીમાં શોર્ટકટથી કશું પ્રાપ્ત નથી થતું’. આવું મજુરી કરનાર માને છે. ‘ભણીને કોનો ઉધ્ધાર થયો છે?’ આવું ધંધો કરનાર માને છે. પણ ‘નોકરી માટે ડીગ્રી જોઈએ, એ કેવી રીતે મેળવી એ કોઈ પૂછતું નથી’. આવું સરકારી નોકરી કરનાર સાહેબ માને છે. ‘આપડે એન્જીનીયર થવાનું, પેમેન્ટ સીટથી થયા એવું ડીગ્રી સર્ટીમાં લખાતું નથી’ આવું રોકડ ઢીલી કરનાર બાપા માને છે.આજકાલ પપ્પાઓ વધારે પ્રેક્ટીકલ થતાં જાય છે. અને ડોબા દીકરાની મારઝૂડને બદલે પ્રેક્ટીકલ રસ્તો શોધવામાં માને છે. આવામાં છોકરાં પાસ થવા શોર્ટકટ જ શોધે જ ને? કાગડાના ઈંડાને થોડા કાળા ચીતરવા પડે?

પણ પાસ થવા માટે પ્રેક્ટીકલ પપ્પા ઉપરાંત થોડી ઈશ્વરની મહેરબાની અને કુદરતની કૃપા હોવી પણ જરૂરી છે. નસીબદાર લોકોને એક્ઝામ હોલમાં નથ્થુલાલ જેટલી હાઈટવાળા સુપરવાઈઝરો આવે છે, જેમની નજર પાછળની બેન્ચ સુધી પહોચતી નથી. એમાં પણ ઉમેદવાર પર કુદરત મહેરબાન ત્યારે કહેવાય જયારે એની ડોક લાંબી હોય, આંખે નંબર ન હોય અને આગળ બેઠેલો હોંશિયાર હોય.આવામાં ૧૫-૨૦ માર્ક વધુ આવવાની શક્યતા ખરી. વળી ઓબ્જેક્ટીવ ક્વેશ્ચનના જવાબો આખા ક્લાસના સરખા જ હોય છે. જાતકને ફીઝીક્સના દાખલા અને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાઓ ભલે યાદ ન રહેતી હોય પણ કયો જવાબ કઈ કાપલી પર લખ્યો છે અને એ શરીરના કયા ભાગ પર સંતાડી છે એ યાદ રહેતું હોય તો બીજા ૧૫-૨૦ માર્કનો જુગાડ થઇ જાય છે. જે ભાગ્યવાનનો નંબર ગ્રાઉન્ડ ફ્લોરની બારી પાસે આવે એ બીજા દસ માર્કનો અધિકારી બને છે. જ્યારે ચાલુ પેપરે ટોઇલેટનો આંટો મારનાર વળતી મુસાફરીમાં પાંચ દસ માર્ક લેતો જ આવે છે. કેટલા થયા? ટોટલ મારો જોઉં. શું કહ્યું? હજી બીજી ટ્રીકો જાણવી છે? બોસ, અહીં ફક્ત પાસ થવાના ઉપાયો બતાવવાના છે, બોર્ડમાં નંબર લાવવાના નહિ. ખોટી કીકો ના મારો.

આજકાલ પેપર તપાસવા માટે પરીક્ષકોને સમય નથી. એક વખતના યુનિવર્સીટી ટોપર એવા અમારા અંકલે અમને સ્કૂલકાળમાં ટીપ આપી હતી. પેપરમાં પહેલો પેરેગ્રાફ જોરદાર લખવો. ફર્સ્ટ ઈમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઈમ્પ્રેશન. આ અંગ્રેજો જે કહેવતો આપી ગયા એ બધી હજુય સાચી પડે છે. એટલે જ દરેક જવાબની પહેલી ત્રણ-ચાર લીટી સોલ્લીડ લખવી. આગળ વાંચવાનો પરીક્ષક પાસે સમય નથી હોતો. સમય બચે તો લીલી-જાંબલી પેનથી હાઈલાઈટ કરવું. વચ્ચે દિલવાલે દુલ્હનિયાની સ્ટોરી લખશો તો પણ વાંધો નથી. પરીક્ષક એને ઉદાહરણ સમજીને માર્ક્સ આપી દેશે. એ પણ વાંચશે તો. નહીં વાંચે તો જવાબની લંબાઈ ફૂટપટ્ટી વગર અંદાજથી માપી એ મુજબ માર્ક્સ આપશે. બીઝી શિક્ષકોમાં આ રિવાજ અતિપ્રચલિત છે. શું લખ્યું એ અગત્યનું નથી, કેટલા પાના ભર્યા એ અગત્યનું છે. આવું સ્વામી અધીરાનંદજી કહે છે.

જોકે પરીક્ષામાં પાસ થવા ક્વેશ્ચન પેપરમાં પચાસ કે સોની નોટ મુકવાની ભૂલ કદી ન કરવી. યાર, ટીચરનું પણ સ્ટેટ્સ હોય છે. એ કંઈ ટ્રાફિક પોલીસ છે કે પચાસની નોટ આપી એટલે જવા દે? એના પગારધોરણ જોઈને રકમ નક્કી કરાય. જોકે ટીચરના પગાર સ્કેલ અને ગ્રેડ પે પ્રમાણેની રકમ આન્સરશીટમાં મૂકવી શક્ય નથી. આમ, ટીચરનું લેવલ ન સમજી શકનાર વિદ્યાર્થી પચાસ સોની નોટ મૂકી છાપે ચઢે છે. આવા વિદ્યાર્થી ભણ્યા તો નથી જ હોતાં પણ ગણ્યા પણ નથી એવું કહી શકાય. એટલા માટે જ આવા સસ્તા ઉપાય કરવાને બદલે સમજુ લોકો પેપર ક્યાં જાય છે તેનું મૂળ શોધવાનું એક્ઝામિનેશન સેન્ટરથી શરુ કરી દે છે. પપ્પાની રજાનો આમ સદુપયોગ થાય છે.

આ આખું વાંચીને તમને થશે કે બોસ તમે આમ પાસ થવાના આડાંઅવળાં રસ્તા બતાવો એ શું યોગ્ય છે? તમને આવું શોભે છે? કદાચ તમને કેજરીવાલને ફરિયાદ કરવાનું પણ મન થાય. પણ હે સુજ્ઞ વાંચક, પરીક્ષામાં જેને પાસ થવું છે એ વિષય સંબંધી પુસ્તક વાંચે છે, અભ્યાસ કરે છે નહીં કે પરીક્ષામાં પાસ થવાના આવા ચાલુ ઉપાયો વાંચે!ખરી વાત છે કે નહિ? 

Sunday, March 09, 2014

મહાભારત કાળની પરીક્ષાઓ

 
 
કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૯-૦૩-૨૦૧૪ રવિવાર
 
 
મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે. એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રીવાજ નહોતો. કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઇ શકતો. પરીક્ષામાં કોઇ પણ જાતના ઓપ્શન મળતા નહિ અને મોટેભાગે મૌખિક અથવા પ્રેક્ટીકલ પ્રકારની રહેતી. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ન તો સિલેબસ આપવામાં આવતો કે ન આઈ.એમ.પી.! રીઝલ્ટમાં માર્ક્સ પણ નહોતા આપવામાં આવતા. આ પરથી એટલું કહી શકાય કે એ જમાનાના વિદ્યાર્થીઓ ડાહ્યા હશે નહિ તો આખા મહાભારતમાં પરીક્ષા બહિષ્કાર, હડતાલો તથા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણોના વર્ણનો જ હોત.

મહાભારત કાળની સૌથી જાણીતી પરીક્ષાનો ઉલ્લેખ અરણ્ય પર્વમાં મળે છે, જેમાં પાંડવોને યક્ષ-પ્રશ્ન તરીકે જાણીતાં થયેલા પ્રશ્નો સરોવરનું પાણી પીવાના ક્વોલિફિકેશન તરીકે પુછાયા હતા. ચાર પાંડવોએ તો એ પ્રશ્નોના જવાબ આપવાને બદલે સરોવરનું પાણી પીને મરવાનું પસંદ કર્યું હતું. એ જમાનામાં મા. અને ઉ. મા. શિ. બોર્ડ દ્વારા કોઈ ટોલ-ફ્રી ‘હેલ્લો હેલ્પલાઈન’ ચલાવવામાં આવતી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત, પણ અમને આશ્ચર્ય તો ત્રિકાળજ્ઞાની અને ગુગલના પુર્વાવતાર સમા સહદેવને જવાબ ન આવડ્યા એનાથી થાય છે. જોકે યુધિષ્ઠિર કોન્ફીડન્ટ હતા. એમને જવાબ આવડતા હતા. કદાચ મા કુંતિએ નાનપણમાં યુધિષ્ઠિરને બરોબર હોમવર્ક કરાવ્યું હશે કે પછી દુધમાં અમુક-તમુક બ્રાન્ડના અક્કલના પાવડર મેળવીને પીવડાવ્યા હશે. એ જે હોય એ, પણ એકમાત્ર યુધિષ્ઠિર એ પરીક્ષામાં પાર ઉતર્યા હોઈ યક્ષની પરીક્ષાનું પરિણામ ૨૦% જ કહેવાય. એ હિસાબે યક્ષ જો નોન-ગ્રાન્ટેડ શાળા ચલાવતો હોત તો એને મા. શિ બોર્ડ તરફથી શાળાની માન્યતા રદ કરવા બાબતે નોટીસ મળી હોત.સારું છે કે આવી પરીક્ષાના પરિણામ કોલેજમાં એડમિશન માટે નહોતા વપરાતા, નહિતર કૌરવ કે પાંડવ સંચાલિત કે ઇન્વેસ્ટમેન્ટવાળી કેટલીય કોલેજોને તાળા મારવાનો વારો આવત.

દ્રૌપદીને પરણવામાં પણ ધનુર્વિદ્યાની પ્રેક્ટીકલ પરીક્ષા હતી. પપ્પા ધ્રુપદને પણ અર્જુન જેવો સમર્થ અથવા એને સમકક્ષ તાકોડી જ ખપતો હોવાથી સ્તંભ ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ નિશાન તાકવાની પરીક્ષા રાખી હતી. ‘લાગે તો તીર (દ્રૌપદી) નહિ તો તુક્કો’ એ ન્યાયે ઘણા લોકોએ ટ્રાય માર્યા પણ નિષ્ફળ ગયા, છેવટે અર્જુને માછલીની આંખ વીંધી. આ પહેલી એવી પરીક્ષા હતી જેમાં એક વ્યક્તિની મહેનત પર પાંચ જણા પાસ થયા હતા! ઐશ્વર્યા રાય માટે એના પપ્પાએ એક્ટિંગ સંબંધિત શરત રાખીને સ્વયંવર કર્યો હોત તો ઐશ્વર્યાએ અભિષેકને બદલે ઈરફાન ખાનને પરણવાનો વારો આવતઅને ગૌરીના મા-બાપે આવી એક્ટિંગ માટે જીદ રાખી હોત તો શાહરુખ અને સલમાને ભેગા થઇનેબેચલર્સ ક્લબ શરુ કરવી પડત એ આડ વાત!

આજકાલની પરીક્ષા પદ્ધતિને ગાળો દેતા લોકોએ મહાભારતમાં ગુરુ દ્રોણ દ્વારા ધનુર્વિધા સબ્જેક્ટમાં એક જ ક્વેશ્ચનમાં પરીક્ષા આટોપી લેવા સંબંધે કોઈ સવાલ નથી ઉઠાવ્યા. ‘વૃક્ષ પર શું દેખાય છે?’ એ પ્રશ્નનો જવાબ પ્રેક્ટીકલ કરી આપવાનો હતો. પ્રશ્ન સાવ ઢંગધડા વગરનો હતો. આ સવાલના જવાબમાં ભીમને બિલાડું દેખાયું, તો એમાં ભીમ સાચો જ હતો. ભીમની ભૂલ માત્ર એટલી જ હતી કે એણે બિલાડાને બાણ મારી પાડી દેવાનું હતું! પછી દ્રોણ ભલે એમ કહે કે મેં તો પક્ષીની આંખનો પ્રશ્ન પૂછ્યો હતો. હકીકતમાં પ્રશ્નના એક કરતાં વધારે જવાબ હોય તેવા સંજોગોમાં પ્રશ્ન રદ કરવો પડે અથવા બધા સાચા જવાબોને ફૂલ માર્ક્સ આપવા પડે. પણ એ જમાનામાં આજના જેવા વાલી મંડળ નહોતા અને માતા કુંતિ કે એમના વતી વિદુરજીએ પણ આવો કોઈ વાંધો ઉઠવ્યો નહિ એમાં દ્રોણની મનમાની ચાલી ગઈ હતી.

અને અમને તો આ ગુરુ દ્રોણ થોડા થ્રી ઈડિયટ્સના‘વાઈરસ’ ઉર્ફે વીરુ સહસ્ત્રબુદ્ધે જેવા લાગે છે! જુઓ, અર્જુન બાણાવળી હતો તો એની આર્ચરીની પરીક્ષા લીધી એ બરોબર કહેવાય, પણ ભીમ અને દુર્યોધન તો ગદાયુધ્ધમાં રસ ધરાવતા હતા, એમને ફરજીયાત તીરંદાજીમાં ઘસડવાની શી જરૂર હતી? સહદેવ માટે એસ્ટ્રોલોજી અને નકુળ માટે કોસ્મેટીક્સને લગતા પેપરો કાઢવાનું એમણે કેમ ટાળ્યું એ પણ કોઈએ પૂછવા જેવું હતું. સત્યવાદી યુધિષ્ઠિરને પણ એલ.એલ.બી કરાવ્યું હોત તો એ હસ્તિનાપુરની હાઈકોર્ટમાં જસ્ટીસના પદ માટે મોસ્ટ એલીજીબલ કેન્ડીડેટ હતા, પણ એમ ન કર્યું. આ પરથી એટલું સમજાય છે કે દ્વાપરયુગ હોય કે કળિયુગ, શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્નો દરેક યુગમાં રહ્યા છે અને રહેશે આપણે હરખ શોક કરવો નહી.•