Wednesday, December 28, 2016

કેશલેસ ઈકોનોમી : કેટલીક સમસ્યાઓ અને તેના ઉકેલ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૧૨-૨૦૧૬
 
અમોને એન્જીનીયરીંગમાં ઇકોનોમિકસ ખપ પુરતું જ ભણાવવામાં આવ્યુ છે, પણ એના પાયાના સિદ્ધાંતો સમજવા કોઈના પણ માટે ખાસ અઘરા નથી. ઇકોનોમિકસ વાંચીને અમને એટલું સમજાયું છે કે અત્યારના ‘કેશ ક્રંચ’ અને ‘કેશલેસ ઈકોનોમી’ના માહોલમાં કેડે હરણનું ચામડું વીંટી અને હાથમાં ભાલો લઈને પ્રાગૈતિહાસિક કરતા પણ પહેલાંની વિનિમય પદ્ધતિ પર ઉતરી આવીએ એ વધુ સરળ પડે એવું છે. ચાંદો સૂરજ રમતા'તા, રમતાં રમતાં કોડી જડી, કોડીનાં મેં ચીભડાં લીધાં ચીભડાએ મને બી આપ્યા ... આ બાળગીતમાં પણ એ જ શીખવાડવામાં આવ્યું હતું ને?

અમદાવાદ માટે પણ એ નવું નથી! રોટલીના બદલામાં વાળ કાપી આપવાની પ્રથા વિક્ટોરિયા ગાર્ડનની આસપાસની ફૂટપાથ પર સિત્તેરના દાયકા સુધી જીવંત હતી જ ને? અને જરા વિચારો કે તમારા ડ્રોઅરનો ભાર વધારતા ઝીણી પીનના ચાર્જરવાળા નોકિયાના મોબાઈલના બદલામાં તમને પાંચ શેર બટાટા મળતા હોય તો શું ખોટું છે? તમારું જીન્સ આપો અને બદલામાં પત્નીની લીપસ્ટીક લઇ આવો કે પછી તમારી બાઈક આપી દો અને બદલામાં બે સિલ્કની સાડીઓ લઇ આવો. કેટલું સરળ! ના બેન્કની લાઈનમાં ઉભા રહેવાનું કે ના એક એટીએમથી બીજા એટીએમ ભટકવાનું! બાકી અમે તો નોકરિયાત છીએ, તમે કહેશો તો અમે ચપટીમાં કેશલેસ થઇ જઈશું.

આપણી પ્રજા મૂળત: ઊંટના ઢેકા ઉપર કાઠડા મુકે એવી જુગાડુ પ્રકૃતિની છે. દા. ત. જુગારમાં આમ તો કેશ જ વપરાય પણ રોકડ સાથે પકડાઈ ન જવાય એ માટે જુગારમાં ટોકન સીસ્ટમ વર્ષોથી ચાલે છે. ટોકન ખરીદવા અને વટાવવાનો વ્યવહાર પાછો કેશમાંજ હોય છે. યુધિષ્ઠિર કેશને બદલે કાઈન્ડથી જુગાર રમ્યા હતા એ સૌ જાણે છે. આ પ્રથા અમલમાં લાવી શકાય. જોકે ઘર કાર જેવી વસ્તુઓ દાવ પર લગાડી તો શકાય પણ એનું ઈન્સ્ટન્ટ વેલ્યુએશન એક સમસ્યા બની શકે. પરંતુ મેનેજમેન્ટમાં કહે છે કે દરેક સમસ્યામાં એક તક છુપાઈ હોય છે, એ હિસાબે આવી દાવ પર લાગેલી ચીજવસ્તુઓના ઈન્સ્ટન્ટ વેલ્યુએશનની ઓનલાઈન સેવા પૂરી પાડતી કંપનીઓ ઉભી કરાય, જે રોજગારીની નવી તક ઉભી કરે!

ધાર્મિક વિધિમાં પણ ફળફળાદિ, સુકામેવા સાથે દક્ષિણા મુકવાનો રીવાજ છે. આમાં કેશ અને કાઈન્ડ બંને ચાલે છે. ગૌદાન તરીકે ગાયના બદલામાં સંકલ્પ કરીને ૧૧ કે ૨૧ રૂપિયા પણ આપી શકાય છે. આ બધા વ્યવહારિક ઉપાયો છે. આવી વિધિઓમાં આમેય હવે દિવસે દિવસે પેકેજડીલ આવતા જાય છે જેમાં મહારાજ કડકડતી નોટો ડાબા હાથે યજમાનને આપે અને યજમાન એ જમણા હાથે મહારાજને પાછી આપે છે. આમાં મહારાજના ગળામાં લટકતા ‘કયુ.આર. કોડ’ને સ્કેન કરીને ‘પે થ્રુ મોબાઈલ’ એપ્લીકેશનથી પેમેન્ટ કરી શકાય.

સુલભ શૌચાલય કેશલેસ કરવું અઘરું છે. ત્યાં કાર્ડ લઈને ત્યાં જાવ તો કેવું લાગે ? ઉતાવળમાં કાર્ડ સ્વાઇપ કરાવવાનું પણ કેમ ફાવે? અને આ બધી માથાકુટમાં પછી જે માટે આવ્યા હતા એ ટ્રાન્ઝક્શનપૂરું ન થાય તો? એટલે આમાં કામ થયા પછી પેમેન્ટ લેવાની મુનસીટાપલીને અરજ કરી શકાય. અથવા તો આધારકાર્ડ લીંક કરી શકાય. ગેસની સબસીડીમાંથી શૌચાલય વપરાશના રૂપિયા બાદ કરીને બાકીના રૂપિયા ધારકના ખાતામાં સીધા જમા થાય એવું કંઇક. મોલમાં તો ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ્સના કારણે કાર્ડ પેમેન્ટ એપ્રુવ ન થાય તો લીધેલો માલ પાછો આપવો પડતો હોય છે. આમાં માલ પાછો આપવાનો થાય થાય તો શું કરવું? આવો સવાલ અમારા એક મિત્રએ અમને પૂછ્યો હતો.

કેશલેસ સીસ્ટમમાં ભિખારીઓને સિગ્નલ પર પી.ઓ.એસ. મશીન લઈને ઉભેલા આપણે કલ્પી નથી શકતા. પણ ભારતમાં પ્રયોગ થઈ ચુક્યો છે અને બ્રાઝિલમાં ભિખારી ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે એવો સાચો-ખોટો ફોટો પણ નેટ પર વાઈરલ છે. આમાં મુખ્ય વાત પુણ્ય કાર્યની છે. જોકે ભિખારીને ૧૦ રૂપિયા ક્રેડિટકાર્ડથી આપ્યા બાદ જો બીલ ભરવાનું રહી જાય તો સાડી ત્રણસો રૂપિયા પેનલ્ટી થાય એ અલગ વાત છે. પરંતુ આમ થાય તો પણ આપણે સદ્કાર્ય છોડવું ન જોઈએ.

આજકાલ રોકડ વગર તમામ પ્રકારના વ્યવહારો કેવી રીતે કરી શકાય એ સમજાવતી જાહેરાતો રેડિયો, ટીવી અને છાપામાં આવે છે, પણ આપણા માટે એમાં કંઈ નવું નથી. ભારતમાં કેશલેસ ઈકોનોમી વર્ષોથી ચાલતી આવી છે. હાથમાં કાણો પૈસો ન હોય છતાં સામાજિક પ્રસંગો અને આર્થિક વ્યવહારો નિભાવવાની કળા પ્રજાના એક વિશાળ વર્ગ પાસે દાયકાઓથી હતી જ! ચેક લખવાની સલાહ તો છેક હમણાં આપવામાં આવી, બાકી અગાઉ લગ્ન-કારજ જેવા પ્રસંગો ખાતે લખીને કે વધુમાં વધુ ખેતર-મકાન લખી આપીને પાર પાડવામાં આવતા જ હતા. ઉલટાનું આજ દિન સુધી ‘ગરીબી હટાઓ’ના સુંવાળા સૂત્ર નીચે આ કળાને નેસ્તનાબુદ કરવાના નિષ્ફળ પ્રયત્નો થતા રહ્યા છે. કદાચ વીતેલા એક મહિના કરતા વધુ લાંબો અને કપરો સમય પ્રજાએ એ અનુભવને આધારે જ સફળતાથી વિતાવ્યો છે.

બાકી એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘પુસ્તકસ્થા તુ યા વિદ્યા, પરહસ્ત ગતમ્ ધનમ્ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્દ ધનમ્.’ અમારી જાડી બુદ્ધિ પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે પુસ્તકમાં (વાંચો બેંકની પાસબુકમાં) છપાયેલું (બેલેન્સ) અને બીજાના હાથમાં (વાંચો બેંકમાં) ગયેલું ધન સમય આવે કામમાં આવતા નથી. (અર્થાત વિજય માલ્યા જેવા લોકોના જ કામમાં આવતા હોય છે). આ ૩૦ ડીસેમ્બર સુધીનું સત્ય છે, આગે અલ્લા બેલી.

મસ્કા ફન


દોડાદોડ અને ઉડાઉડ કરનારો વંદો વહેલો મરે છે.

Wednesday, December 21, 2016

ભજીયાનું બ્લેક એન્ડ વ્હાઈટ

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૧૨-૨૦૧૬
આ ગુજરાત છે. અહીં ભજીયાવાલા પણ કરોડપતિ છે. ગુજરાતમાં સુરતી પ્રજા ખાવા અને પીવાના શોખીન ગણાય છે. સુરતમાં એવા લોકો રહે છે જે દવાની જેમ સવારે અને સાંજે ૧૦૦ ગ્રામ ભજીયા તો ખાય જ છે. એટલે જ સુરતી ભજીયાવાલા પાસે કરોડો રૂપિયા અને કિલોના હિસાબે સોનું-ચાંદી મળે તો એમાં અમને નવાઈ નથી લાગતી.

ફાસ્ટફૂડના આ જમાનામાં ભજીયા, ગોટા અને દાળવડા વડે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. એટલે જ જેમ ગુજરાતી ચલચિત્રોને કરમુક્ત કરાય છે એ ધોરણે ભજીયા-ગોટા-દાળવડા સહિતના ફરસાણને સર્વકરમુક્ત કરવા જોઈએ જેથી ગુજરાતીઓ સહેલાઈથી કરમાં ગ્રહણ કરી શકે. આ ઉપરાંત જેમ ગુજરાતી ફિલ્મ બનાવવા સરકાર સહાય કરે છે તેમ ચણાના લોટ અને સિંગતેલ (અથવા તો એની અવેજીમાં જે વપરાતું હોય એ!) પર સબસીડી આપવી જોઈએ. આવું થશે તો પછી ટેક્સ ચોરી કરવાનો પ્રશ્ન જ ઉભો નહિ થાય.

જો ગાંઠીયા એ ચણાના લોટમાં લખાયેલી કવિતા હોય તો ભજીયા-ગોટા એ ચણાના લોટમાં લખાયેલી ગઝલ છે. ગઝલની જેમ પહેલા અને છેલ્લા ભજીયાનું ખાસ મહત્વ છે. મત્લાના શેરમાં આખી ગઝલની વાહવાહી મળે છે એમ છેલ્લા ભજીયાનો સ્વાદ લાંબો સમય સુધી મ્હોમાં રહે તે માટે અઠંગ ભજીયાખોર બીજું કશું અને ખાસ કરીને ગળ્યું ખાઈને મોઢું બગાડતા નથી. ગઝલમાં જેમ ઊંડાણ હોય છે એમ ભજીયા ડીપફ્રાય થાય છે. છંદમાં લખાયેલી બધી ગઝલો કંઈ મનનીય નથી હોતી એવી જ રીતે ચણાના લોટમાં બને અને સિંગતેલમાં તળાય એટલે કંઈ બધા ભજીયા આપોઆપ સુરુચીકર નથી બની જતા. ભજીયા તાજા અને ઝારાફ્રેશ પીરસવાનો રીવાજ છે. જયારે કવિ સંમેલનોમાં એકની એક ગઝલ વારંવાર ફટકારવા ઉપર પાબંદી નથી! જોકે ગઝલ અને ભજીયા વચ્ચે આટઆટલી સમાનતા છતાં એક મોટો ફેર એ છે કે ભજીયા બનાવનાર ભજીયા થકી કરોડપતિ બનવાના દાખલા છે, પરંતુ ગઝલ થકી કરોડપતિ બનવાના દાખલા તો ઠીક પાન નંબર ધરાવતા ગઝલકાર મળે તો એ પણ ગુજરાતી શ્રોતાઓની સિદ્ધિ ગણી શકાય!

ભજીયાનું એક સાયન્સ છે, એમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રી છે. ભજીયા વાસી થાય તો એમાં માઈક્રો-બાયોલોજી પણ લાગુ પડે. સેમી-લીક્વીડ ખીરાને તેલમાં ડબકા સ્વરૂપે મૂકવામાં આવે ત્યારે એમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે ઉદ્ભવતા ભૌતિક રૂપે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. ફેકટરીમાં બનતી વસ્તુઓમાં ક્વોલીટી કન્ટ્રોલ વિભાગ વસ્તુઓના આકાર અને દેખાવમાં એકરૂપતા લાવવા સદાય પ્રયત્નશીલ રહે છે. પરંતુ ભજીયામાં આકાર એક સરખો હોય એવા કોઈ ધારાધોરણ નથી. ભજીયા ખાવામાં ભજીયાના તાપમાનનું ખુબ મહત્વ છે. વાસી ભજીયા ઝઘડાના કારક છે. ભજીયા ગરમ કોને કહેવાય એ માટે લારીવાળા સાથે યુદ્ધ થયાના અનેક દાખલા અમદાવાદના ઇતિહાસમાં છાપા થકી નોંધાયા છે. અમદાવાદના કોટવિસ્તારના પોલીસસ્ટેશનના રેકોર્ડ ચકાસો તો અનેક ભજીયા સંબંધિત કજિયાની જાણવાજોગ નોંધ પણ જોવા મળે.

સામાન્ય રીતે आकृति गुणान कथयति સૂત્ર અનુસાર વસ્તુના આકાર પરથી એના વિષે અનુમાન બાંધી શકાય છે, પણ ભજીયા એમાં અપવાદ છે. ભજીયામાં ‘છછુંદરીના છએ સરખા’નો નિયમ લાગુ પડે છે. ભજીયા ઉતારનારા એ વેઠ ઉતારી ન હોય તો તમે બટાકા, કાંદા કે રતાળુના ભજીયાને દેખાવ પરથી અલગ તારવી શકાતા નથી. ફક્ત મરચાંના ભજીયા એના આકારથી અલગ તરી આવે છે. મરચાંવાળા ભજીયા ખાવા એ પણ મર્દાનગીનું પ્રતિક મનાય છે. તળેલી વસ્તુઓ અને એમાંય રેલ્વે સ્ટેશન સિવાય ભજીયા તળાતાં હોય તો કોઈનું પણ મન લલચાઈ જ જાય. ઇન્કમટેક્સને તો છેક ૬૦૦ કરોડ ભેગા થયા ત્યારે ભજીયાવાલાની સંપત્તિની ગંધ આવી, પરંતુ ભજીયા બનતા હોય તો એની સુગંધથી રસ્તે જતો, અને ભૂખ ન હોય તેવો વ્યક્તિ પણ ખેંચાઈ જાય છે.

જેમ પાર્ટીકલ ફીઝીક્સમાં તરંગવાદ અને કણવાદની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો ચાલતી હતી એવી જ દલીલો ઘરના ભજીયા અને બજારના ભજીયા વચ્ચે ચાલતી આવી છે અને ચાલતી રહેશે. મોટેભાગે ઘરે બજાર જેવા ભજીયા નથી બનતા એવી ફરિયાદ દરેકને હોય છે. મમ્મીઓ બજારના ભજીયાના સારા ટેસ્ટ માટે જીવડાવાળા લોટ અને હલકી કક્ષાના તેલને કારણભૂત સાબિત કરે છે. અમારી તો ચેલેન્જ છે કે મમ્મીઓ કહે તે સાઈઝ અને પ્રજાતિના જીવડાવાળો લોટ તથા બળેલા એન્જીન ઓઈલથી લઈને શ્રી હનુમાનજીને ચઢાવેલુ તેલ લાવી આપીએ, પણ બજાર જેવા ટેસ્ટવાળા, જાળીદાર અને પોચા ભજીયા બનાવી બતાવો. જરૂર પડે તો તેલ થઇ આવ્યું કે નહિ તે ચેક કરવા માટે લારીવાળાનો પરસેવો જોઈતો હોય તો એ પણ લાવી આપીશું. બોલો છો તૈયાર?

આપણા પ્રધાન મંત્રીશ્રીના ‘સ્કીલ ઇન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ કૌશલ્યના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. આ માટેની એક જાહેરાતમાં સચિન તેંદુલકર એક ફર્નિચરના કારીગરને સમજાવે છે કે ફક્ત કૌશલ્ય વડે આપણે બંને લાકડામાંથી સર્જન કરીએ છીએ. હું લાકડા બનેલાના બેટથી રન બનવું છું અને તમે એમાંથી સુંદર ફર્નીચર બનાવો છો. હવે વિરાટ કોહલી પણ એમાં જોડાવાનો છે. તાજેતરના ભજીયાવાલા કાંડ પછી ભજીયા તળવાનું કૌશલ્ય એ એક ડીઝાયરેબલ સ્કીલ અને પ્રોસ્પેક્ટીવ કેરિયર ઓપ્શન તરીકે બહાર આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં વિરાટ કોહલી ભજીયાના ખીરામાં ભેજનું પ્રમાણ તપાસવું, ઝારાને કેવી રીતે પકડવો, તળવા માટે કેવો સ્ટાન્સ લેવો, ભજીયા ઉથલાવતી વખતે નજર ક્યા ભજીયા પર હોવી જોઈએ, ભજીયા ડીલીવર કરતા પહેલા એમાંથી તેલ કેવી રીતે નિતારવું વગેરે બાબતોનુ મહત્વ સમજાવતો જોવા મળે તો નવાઈ નહિ.

મસ્કા ફન પાણીનો ઘીની જેમ ઉપયોગ કરો.
ખાસ કરીને શિયાળામાં!