Monday, May 26, 2014

Modiફીકેશન


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |

ઇલેક્શન ૨૦૧૪ મજ્જાનાં અને યાદગાર રહ્યાં. સર્વત્ર મોદી મોદી થઈ ગયું છે. રાવણ જેમ રામનું નામ લેતો હતો એમ મોદીના શત્રુઓ પણ જાણ્યે અજાણ્યે મોદીને ભાંડવામાં પણ મોદીનો જ પ્રચાર કરી રહ્યા હતાં એવું બન્યું. ચાય પે ચર્ચા હોય કે ટેલિવિઝન પર, અબ કી બાર સૂત્ર હોય કે મઝદુર નં.-૧, વોટ્સએપ, ટ્વિટર કે હોય ફેસબુક, આ ઇલેક્શનમાં મોદી છવાઈ ગયા. થોડી હાઈલાઈટ્સ જુઓ.

 

ચાય પે ચર્ચા : આમેય પાનના ગલ્લા અને ચાની કીટલી પર પોલીટીક્સ અને ક્રિકેટ આ બે વિષય પર ન્યુઝરૂમ પછી સૌથી વધુ ચર્ચા થતી હશે. નમોએ આ ચાય પે ચર્ચાને ઓફિશિયલ કરી દીધી. વડનગર સ્ટેશન પર ચા વેચવાથી દેશના વડાપ્રધાન સુધીની સફર દરેક છાપા અને ટીવી ચેનલ ઉપર જોવા મળી. ૧૯૯૧ના ઇલેક્શનમાં પોતાનાં મતવિસ્તાર મયલાદુથરાઈને દુબઈ જેવું બનાવી દેવાની વાત કરનાર (૨૩ વરસ પછી પણ એવું થયું નથી એવું કહેવાની જરૂર છે?) મણિશંકર ઐયરે તો નમો વડાપ્રધાન નહિ બને, અને એ સંજોગોમાં કોંગ્રેસના કાર્યાલય પર ચાની કીટલી ખોલી આપવાની ઑફર પણ કરી હતી, જાણે પીએમ ન બને તો નમો ગુજરાતના સીએમ મટી જવાના હોય! એ અલગ વાત છે કે ઐયરની આ વખતે ડિપોઝિટ પણ ડૂલ થઈ છે અને એ હવે પાંચ વરસ સુધી પાર્લામેન્ટ કેન્ટીનની સબસીડાઇઝડ રેટની ચા-કોફી પણ પીવા નહીં પામે!

અર્ણબ ગોસ્વામી અને મીડિયા: અર્ણબ ગોસ્વામી નામના બોલકા ટીવી એન્કરે નમોનો ઇન્ટરવ્યૂ લીધો. આ જ અર્ણબે અગાઉ રાહુલ બાબાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. અર્ણબની છાપ એવી છે કે એ બોલવા માંડે એટલે બીજાને મોકો ના આપે, જેનો ઇન્ટરવ્યૂ લેવાતો હોય એ પણ મુક દર્શક બનીને અર્ણબની કળા જોયા કરે. પણ નમોને અર્ણબ મોંમાં આંગળીઓ નાખી બોલવા કોશિશ કરી છતાં નમો એટલું જ બોલ્યા જે એમણે કહેવાનું હતું. એક મહિલા પ્રધાનની નિમણુંક બાબતના આક્ષેપાત્મક સવાલના જવાબમાં તો કહી દીધું કે ‘આ માહિતી ખોટી છે. મેં તો સાંભળ્યું છે કે અર્ણબ બહુ રિસર્ચ કરીને આવે છે. આ તૈયારી છે તમારી?’ આખા ઇન્ટર્વ્યૂની હાઈલાઈટ એ હતી કે નમોએ અર્ણબને કંઈક આ મતલબનું હસતાં હસતાં કહી દીધું કે ‘ભાઈ તારી ચેનલ છે, હું જાઉં પછી તારે જેટલું બોલવું હોય તેટલું બોલજે બકા!’ અર્ણબે ઘણાંના ધુમાડા કાઢ્યા હશે, પણ અર્ણબનાં આવા છોતરાં અડતાં જોઈને રાહુલ બાબાના સપોર્ટર્સ પણ જરૂર ખુશ થયા હશે!

મા-બેટાની સરકાર: નમોએ ગાંધી ખાનદાન અને મા-બેટાની સરકાર પર

ઇલેક્શન રેલીઓમાં જોરદાર વાર કર્યા. સામે રાહુલબાબાના અમુક સાથીઓએ એના જવાબ પણ આપ્યા. ઘણાંએ એવા પણ સવાલ કર્યા કે મા કે બેટા બેમાંથી એકેય બિચારાએ કોઈ મંત્રીપદ પણ નહોતું લીધું છતાં આટલો વેરભાવ? કતલખાને લઈ જવાતા વાછરડાને એની મા બચાવવા કોશિશ કરે તેવો નજારો હાર પછી પત્રકાર પરિષદમાંથી બાબાને ખેંચી જતાં સોનિયાજીને જોઈ જોવા મળ્યો. આમેય પંજા પહેલા કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક ગાય-વાછરડું જ હતું ને?

નમો પ્રોડક્ટ્સ : ૧૮૫૭ના બળવા વખતે કમળ અને રોટીના પ્રતીકનો ઉપયોગ થયો હતો. ૨૦૧૪ના ઇલેક્શનમાં ભાજપનું કમળના નિશાન તો છે જ પણ વારાણસીમાં ‘અબ કી બાર મોદી સરકાર’ નિશાનવાળી રોટી એક ધાબા પર પીરસવામાં આવતી હતી જેને પોલીસે બંધ કરાવી દીધી. ચંડીગઢમાં સેક્ટર-૫ માં એક કોમ્યુનીટી સેન્ટરના પાયાના બાંધકામમાં મોદી બ્રાન્ડની ઈંટો વાપરવામાં આવતી હતી જે મ્યુનીસીપલ કૉર્પોરેશન દ્વારા ઉખાડી નાખવામાં આવી. પોલીસ કે કૉર્પોરેશન ઍક્શન લે ત્યાં સુધી એનો લોકલ પ્રચાર જ થતો હતો અને ઍક્શન લીધા પછી મીડિયામાં એની ઉપરની ચર્ચા દ્વારા મફતમાં પ્રચાર થતો હતો! માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગ રૂપે નમોની અને નમો ટેબ્લેટ્સ માથાના દુખાવા અને પેઇન કિલર તરીકે મુકવામાં આવી હતી. સામે રાહુલના નામે રાગાફ્લેમ ટેબ્લેટ્સ પણ બહાર પાડવામાં આવી હતી. એકંદરે અતિ-પ્રચારથી ઘણાં લોકોને માથાનો દુખાવો થવા લાગ્યો જેનાં ઉપાય તરીકે પાછી આ દવાઓ જ પાછી માથામાં મારવામાં આવી. આમ ‘નમો શિવાય’ કોઈ વિકલ્પ લોકો પાસે ન રહે તેવું ગોઠવાયું.

જો મોદી પીએમ બને તો: એક્સ પીએમ દેવે ગોવડાએ જો નમો પીએમ બને તો કર્ણાટક છોડવાની વાત કરી હતી. ઊંઘતા પ્રાઈમ મીનીસ્ટર તરીકે જાણીતાં દેવે ગોવડાને અમદાવાદમાં રહેવા આવવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. હા, દેવે ગોવડા સિવિલ એન્જીનીયર છે એટલે અમને થોડો પક્ષપાત છે એમના માટે! લાલુએ જો મોદી પીએમ બને તો પોતાનું નામ બદલી દેવાની વાત કરી હતી. લાલુ માટે નવા નામ સજેસ્ટ કરવા કોક રેડિયો સ્ટેશન કૉન્ટેસ્ટ કરી શકે. કમાલ ખાન ઉર્ફે કેઆરકે નામના ડી ગ્રેડ એક્ટરે મોદીજી પીએમ બને તો દેશ છોડવાની વાત કરી હતી. લેટેસ્ટ ટ્વીટર પોસ્ટ પ્રમાણે કેઆરકે દેશ છોડીને જતો રહ્યો છે, આ સમાચાર જો સાચા હોય તો એ ડી ગ્રેડ પોલીટીશીયન્સ કરતાં એ ઉંચો સાબિત થાય. અનંતમૂર્તિ નામના જ્ઞાનપીઠ વિજેતા કન્નડ લેખકે પણ મોદી પીએમ બને તો દેશ છોડવાની વાત આવેશમાં આવી જઈ કરી હતી. મોદીના કોક સમર્થકે રિઝલ્ટ બાદ પાકિસ્તાનની ટીકીટ બુક કરાવી આપી એવા છેલ્લા સમાચાર છે, પણ મૂર્તિ સ્ટેચ્યુ થઈ ઇન્ડિયાથી હટવા નથી માંગતા! ફારુખ અબ્દુલ્લાએ તો જે મોદીને વોટ આપે તેમણે સમુદ્રમાં ડૂબી જવું એવી આકરી વાત કરી હતી. ડૉ. અબ્દુલ્લા, જો એવું થાય તો 17,16,57,549 જણાએ પાણીમાં પડવાનો વારો આવે અને આમ થાય તો દરિયાની સપાટી જરૂર ઊંચી આવી જાય અને માલદિવ્સ જેવા આઇલેન્ડ તો ડૂબી પણ જાય! 


મઝદુર નં. ૧: એક જમાનામાં ચાની કીટલી પર કામ કરનાર મોદી ઇલેક્શનના પરિણામ બાદ પોતાને મઝદુર નંબર-૧ જાહેર કરે છે. ૪૫૦ જેટલી રેલીઓ, ૫૫૦૦ પબ્લિક ઇન્ટરેકશન, ત્રણ લાખ કિલોમીટર અને પચ્ચીસ સ્ટેટ આટલું કવર કરવાનું કામ ખરેખર હરક્યુંલિયન ટાસ્ક છે. આટલું કર્યા પછી નમો માંડ બેથી ત્રણ કલાક સુવા પામતા હતાં. ભૂતકાળમાં નમો ગુજરાતમાં સીએમ બન્યા પછી સચિવાલય અને આઈએએસ અધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. નમો પોતે મઝદુર નંબર-૧ બને તો સાથે સાથે બીજા ઘણાંને મજૂરી કરતાં કરી દે છે. કદાચ એટલે જ તો કર્મચારીઓથી ભરેલા નગર એવા ગાંધીનગરના લોકલ ઇલેક્શનમાં ભાજપને તકલીફ પડે છે. હવે દિલ્હીના સરકારી કર્મચારીઓનો વારો છે! જોકે મોદીના દિલ્હી જવાથી ગુજરાત સચિવાલયમાં કર્મચારીઓ પેંડા વહેંચશે એ નક્કી છે!

No comments:

Post a Comment