Sunday, August 23, 2015

દોઢ ડહાપણની દાઢ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

સામાન્ય રીતે ડહાપણની દાઢ નાનપણમાં નથી આવતી. અંદાજે સત્તરથી પચીસ વર્ષની ઉંમર વચ્ચે આવે છે. કેટલાક કિસ્સામાં એ મોડી પણ ઉગે. જયારે પણ એ ઉગે, એ પછી માણસમાં ડહાપણ આવે છે એવું મનાય છે. ડહાપણની દાઢ ઉગે એટલે અક્કલ આવે, એવું ઘણાં લોકો નથી માનતાં. કારણ કે સમાજમાં દરેક પ્રકારના દાખલા મળી આવે છે. ટીવી ઓન કરો અને માત્ર બે ન્યૂઝ ચેનલ્સ ફેરવશો તો તમને અક્કલ વગરના ઢાંઢા વર્તાઈ આવશે. પણ કેટલાંક બુદ્ધિશાળી લોકોને ડહાપણની દાઢ મોડી ઉગે છે, અથવા ઉગતી જ નથી. અમારી જ વાત કરું તો અમને હજુ ઉગી નથી. પણ ડહાપણ જુઓ તો આખા ગામનું નથી ઠોકતાં ?

આ દાંત કે દાઢનાં દુખાવા ખરેખર ત્રાસજનક હોય છે. ફિઝીકલ અને મેન્ટલ ટોર્ચર કરતાં ડેન્ટલ ટોર્ચર વધારે ખતરનાક હોય છે. જેણે એ સહન કર્યા હોય તે જ જાણે. આરબભાઈનાં ઊંટની જેમ ડહાપણની દાઢ અન્ય સારા દાંતને અંદર રહી ધક્ક્મધક્કા કરે ત્યારે મોઢાની અંદર દર્દના દરિયા હિલોળા લે છે. પણ કવિઓને એમની પ્રેમિકા આપે એવું આ દર્દ નથી હોતું, એટલે દાઢનાં દર્દ પર કોઈ કવિએ ગઝલ નથી લખી. આના ઉપર હાસ્ય લેખ જ લખાય, અને એ પણ જેણે વેઠયું ન હોય, એ જ લખી શકે!

દુનિયાભરમાં વિઝડમ ટુથ તરીકે એ જાણીતી હોવા છતાં ડહાપણની દાઢનાં ડહાપણ સાથેના સંબધ વિષે ભારતમાં લોકો જોઈએ એટલાં ગંભીર નથી. આનું પ્રમાણ એ છે કે લગ્ન કરતી વખતે હજુ કુંડળી જોવાય છે, ક્યાંક બ્લડ ગ્રુપ અને મેડીકલ રેકોર્ડઝ પણ જોવાતાં હશે, પણ કોઈ ‘છોકરાને ડહાપણની દાઢ ઉગી છે કે નહિ?’ એવું નથી જોતું. બેઉ પક્ષે નુકસાનીવાળો માલ હોવાથી કદાચ મભમ રાખતાં હોય તો વાત જુદી છે, બાકી અમને આનો સ્પષ્ટ મતલબ એ દેખાય છે કે ડહાપણની દાઢ એ નર્યું ધુપ્પલ છે.
 

અમારા કુટુંબમાં ધવલનાં લગ્ન થયા ત્યારે ઘણાંને એવી આશા હતી કે લગ્ન થશે એટલે એને સમજણ આવશે. સામે જેની સાથે એ પરણ્યો એ ઈશિતા વિષે પણ એવું જ મનાતું હતું. પેલું કહે છે ને કે દુનિયામાં દરેક લાકડાને માકડું મળી જ રહે છે. લગ્ન બાદ બે-ત્રણ વરસમાં બેઉમાંથી એકેયમાં અક્કલ આવી હોય એવું કોઈને લાગ્યું નહિ. સમય જતાં બધાં એવું માનવા લાગ્યા કે છોકરાં થશે એટલે આપોઆપ ઠરેલ થઈ જશે. હવે એમને બબ્બે છોકરાં છે, અને છોકરાં એમની આગળ ડાહ્યાં લાગે છે. કદાચ ઉત્ક્રાંતિવાદમાં નવું વર્ઝન હંમેશા સારું આવે છે.

મેનેજમેન્ટમાં એક સક્સેસિવ પ્રિન્સિપલ આવે છે. આ સિધ્ધાંત મુજબ આગળ એક ઘટના બને એ પછી જ એનાં પછી બનનાર ઘટનાઓનું ભાવિ નક્કી થાય છે. જેમ કે, કાગનું બેસવું અને તાડનું પડવું. સોરી, સોરી. જેમ કે, પહેલાંના જમાનામાં બાબો આવે તો પેંડા અને બેબી જન્મે તો જલેબી વહેંચાતી હતી. આમાં બાબા કે બેબીના આગમન બાદ મીઠાઈનાં ઓર્ડર નક્કી થતાં. આગળ જતાં એજ છોકરો બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો પેંડા અને ફેઈલ થાય તો લાફો આપવામાં આવતાં હતા. ડહાપણની દાઢ ઉગવાથી અક્કલ આવે, એવું ગુજરાતીઓએ સાવ ઠોકી બેસાડ્યું છે. એમાં સક્સેસીવ પ્રિન્સિપલ જવાબદાર નથી. ગુજરાત અને દુનિયાનાં દરેક પ્રદેશમાં આવી કોઈને કોઈ માન્યતાઓ પ્રચલિત છે, જેનો કોઈ આધાર નથી હોતો.

હમણાં હમણાં રવિવારે સવારે ફેસબુક ખોલું તો ફ્રેન્ડસ સાયકલ લઈને ૨૦-૨૫ કિમી. દુર કોક અગમ જગ્યાએ પહોંચી ત્યાં લીધેલાં ફોટા શેર કરતાં જોઉં છું. બધાંય સમ્પન્ન છે. કાર ધરાવે છે. એમને જોઇને લાગે છે કે કાર આવ્યા પછી જ સાયકલ ચલાવવાનું જોશ આવતું હશે. સાયકલ ચલાવનાર બાઈકના અને બાઈકવાળા કારના સપના જોતાં હોય છે. કારનો મોહ પૂરો થાય એટલે સાયકલ ગમવા લાગે છે. સાયકલ જ હોય ત્યારે જે મઝાથી સાયકલ ચલાવતું હોય એ સાચી મઝા. પાતળો માણસ કસરત કરે કે સાયકલ ચલાવે તો પણ વાજબી છે. પણ ઘણાંને ચરબીના થર જામે, પછી કસરત કરવાની ઈચ્છા થાય છે. ઘણાંને ચરબીના થર જામ્યા બાદ પણ આવી ઈચ્છા નથી થતી.

સક્સેસીવ પ્રિન્સિપલ મુજબ જો ડહાપણની દાઢ ડહાપણ માટે જવાબદાર ન હોય, તો શું કરવાથી અથવા ઉગાડવાથી ડહાપણ આવે એ જાણવામાં ઘણાં (માબાપો, પત્નીઓ, પતિઓ) ને રસ હશે. કાલિદાસને પરણ્યા પછી, પત્નીનાં અપમાનોથી, અક્કલ આવી હતી. જોકે આજકાલ એવું થતું હોત તો માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોને મોડામોડા પણ અક્કલ આવત. રા’ખેંગાર રાણકદેવીનું હરણ કરી જાય છે એ ટર્નીંગ પોઈન્ટ પછી સિદ્ધરાજ જયસિંહમાં પોલીટીકલ ડાહપણ આવે છે અને છેવટે જુનાગઢ સર કરે છે. એમ તો પોલીટીકલ ડહાપણ ઓછું હોય તો લાંબુ વેકેશન લઈ ગુપ્ત કોર્સ કરી શકાય છે. ઘર છોડી દુનિયાની ઠોકરો ખાવાથી પણ ડહાપણ આવે છે. જાણીતાં ગુજરાતી હાસ્યલેખકો પહેલાં ઘર છોડી મુંબઈ ગયા, પછી હાસ્યલેખનનાં રવાડે ચઢ્યા. આનાં એક કરતાં વધારે પુરાવા છે. જોકે અમારો કિસ્સો જુદો છે. અમે ઘર છોડ્યા વગર મુંબઈ સમાચારનાં માધ્યમથી હાસ્યલેખનના રવાડે ચઢેલા છીએ. આમાં મુંબઈ જોકે કારક તો થયું જ.

ગાંડપણ, દોઢડહાપણ અને ડહાપણ એ અનુક્રમે ડહાપણના ત્રણ સ્તર થાય. આમાં માણસમાં ડહાપણ છે કે નહિ તે નક્કી કરવું કઠિન છે. ગાંડપણ અને દોઢ-ડહાપણ આસાનીથી પરખાઈ આવે છે. ગાંડપણની ટ્રીટમેન્ટ પણ થઈ શકે છે. ડહાપણની દાઢ ઉગે છે, દોઢ ડહાપણની નહિ. દોઢ ડહાપણ જન્મજાત કે વારસાગત નથી હોતું, એ સ્વપરાક્રમથી મેળવવામાં આવે છે. પેલું સંસ્કૃતમાં કહે છે ને કે ‘स्वयमेव मृगेन्द्रता’. સિંહે પોતાને રાજા છે એવું સ્થાપિત કરવું પડતું નથી. એમ જ દોઢ ડાહ્યા તરીકે કોઈ ચૂંટાઈને આવતું નથી. નથી એનાં માટે કોઈ ક્લાસ ભરવા પડતાં. એ ગુણ છે જે સ્વયં પ્રગટ થાય છે. દોઢ ડાહ્યા તરીકે છપાઈ ન જવું હોય તો એનો રસ્તો બહુ સરળ છે. માપમાં રહો!

No comments:

Post a Comment