Wednesday, November 16, 2016

નોટની નૌટંકી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૬-૧૧-૨૦૧૬

ચલણમાંથી પ૦૦-૧૦૦૦ની નોટ રદ થવાથી લોકો દોડતાં થઈ ગયા છે. નોટ બદલાવવા. છૂટા મેળવવા. બ્લેકના વ્હાઈટ કરવા. ખરેખર અત્યારે કહી શકાય કે દેશ બદલ રહા હૈ … અલબત્ત પુરાની નોટ્સ. આમ પણ ગુજરાતમાં તો દિવાળી ટાઈમે કચરો સાફ કરવાનો રિવાજ છે જ. એમાં જૂની અને નકામી વસ્તુઓ સામે વસ્તુ લેવાય છે, ફેંકી દેવાય છે, વેચી દેવાય છે કે પછી કોઈને આપી દેવાય છે. આ બધું જ અત્યારે નોટોનાં સંદર્ભમાં થઈ રહ્યું છે. અત્યાર સુધી પાનના ગલ્લે જ દેશહિતની વાતો થતી હતી, હવે ક્લબોમાં, ફાર્મહાઉસોમાં, જીમોમાં બધે થવા લાગી છે. જોકે શરૂઆતની અપેક્ષિત હાલાકી છતાં જેના બ્લેકના રૂપિયા ફસાયા છે એ ગરીબોને નામે પોક મૂકી રહ્યા છે. જે લાઈનમાં ઉભા રહ્યા નથી એ લાઈનમાં ઉભા રહેલા વતી રોવે છે.

નોટો બદલાવવા માટે લાંબી લાઈનો લાગે છે. ‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ..’ એવો અમિતાભ ટાઈપનો દુરાગ્રહ ધરાવતા લોકો અડધી રાત્રે, જ્યાં ભોજીયો ભ’ઇ પણ ન ફરકતો હોય એવી બેંક શોધી રહ્યા છે જેથી એ જ્યાં ઉભા રહે ત્યાંથી લાઇન જ શરુ થાય. પણ હાલના સંજોગોમાં તો રાતના બાર વાગે પણ એમના પહેલાં એમના જેવા જ પંદર-વીસ અમિતાભો આવીને ઉભેલા જોવા મળે છે. સરવાળે આવા લોકો લાઈન વગરની બેંક શોધવા માટે પેટ્રોલ બાળીને એની સામે જૂની નોટોથી પેટ્રોલ પુરાવીને નોટોનો નીકાલ કર્યાનો સંતોષ લઇ રહ્યા છે.

આવામાં અમારા એન્ટેનામાં કેટલાક એક એવા ન્યૂઝ આવ્યા છે, જે સાચા છે નહિ, પણ સાચા જેવા લાગે છે :

ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હોવા છતાં બંડલોની હેરફેર કરવા જતાં આવ્યો હાર્ટ-એટેક!

રાણીપનાં રહેવાસી હસમુખભાઈ હૈયાફૂટાને ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હતી, પરંતુ બ્લેકના બન્ડલોનો થેલો ભરી લોકરમાંથી કાઢી ફ્લેટમાં માળીયે ચઢાવવા જતાં હસમુખભાઈને એટેક આવી ગયો હતો. અહીં ચોખવટ એ કે હૈયાફૂટા એ એમની અટક નથી પણ એમની પ્રકૃતિ છે, ઓવર ટુ હસમુખભાઈ. હા, તો હસમુખભાઈને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટર પોતાની કેશનો વહીવટ કરવા ગયા હોવાથી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ ન હોવાથી પણ તાત્કાલિક સારવાર મળી શકી નહોતી. ત્યાંથી એમને સરકારી દવાખાનામાં ખસેડાતા ત્યાં એમને જરૂરી ટ્રીટમેન્ટ મળતા જીવ બચ્યો હતો. નોટોનાં બંડલો પોલીસે કબજે કર્યા છે તે વાત હસમુખભાઈથી પરિવારે છુપાવી છે નહિતર એમને બીજો હાર્ટએટેક આવવાની શક્યતા હતી.

મોટી સંખ્યામાં બિલ્ડરોએ વિદેશ સફરની ટીકીટો બુક કરાવી

એરલાઈન્સને મોટી નોટો સ્વીકારવાની છૂટ હોવાથી ઘણા બિલ્ડરો વિદેશની ટીકીટો બુક કરાવીને બે-ચાર મહિના વિદેશ જવાની તૈયારીઓ કરી છે. રીઅલ એસ્ટેટમાં મોટા પાયે કેશ ટ્રાન્ઝેક્શન થાય છે એ ઓપન સિક્રેટ છે ત્યારે કાળાનાણા પર નિયંત્રણ આવતાં બિલ્ડરો પોતાની પાસે રહેલી કેશનો વહીવટ કરી, બાકીની કેશથી ટીકીટ લઇ વિદેશ જવાની તૈયારીમાં છે. કારણ કે કેશના અભાવે અગામી વરસમાં ધંધો મંદ રહેવાનો છે એ નક્કી છે. જોકે સપ્લાયરોને અત્યાર સુધીનો હિસાબ ચૂકતે અને એ પણ રોકડામાં મળી રહ્યો છે એ અલગ વાત છે!

એકએક નોટો બંધ કરવાના નિર્ણયને પગલે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જયારે ઘણાને બગાસું ખાતા મોંમાં પતાસું પડ્યા જેવું થયું છે. જેમ કે ટ્રાવેલ કંપનીઓ, જેમને દિવાળી પછી અને લગ્નની સિઝનમાં ઘરાકી નીકળી છે. સોનાચાંદીના વેપારમાં અમુકે પહેલા સ્પેલમાં ચોર, કસાઈ કે શિકારી સ્વરૂપે મોટી સંખ્યામાં બકરા વધેરી નાખ્યા હોવાના સમાચાર ઇન્કમટેક્સવાળાના કાને પડ્યા છે. ખાનગી કંપનીઓના કર્મચારીઓના ખાતામાં એમના બોસે છ-છ મહિનાની સેલરી એડવાન્સમાં જમા કરી દીધી છે. એમાંથી કેટલાકે તો મહિનામાં નોકરી અને શહેર બદલવાના પ્લાન પણ કરી દીધા હોવાનું બિનસત્તાવાર રીતે અધીર ન્યુઝ નેટવર્ક દ્વારા જાણવા મળ્યું છે.

આમ છતાં તકલીફ તો રહેવાની. ઘણાને તો ઉંચો વટાવદર આપીને સોના સાઇંઠ કર્યા પછીનો આંકડો એટલો મોટો છે કે રીટર્ન મારફતે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના ગળે ઉતારવો અઘરુ પડશે. બાકી હોય એમ સાહેબે કર્ણાટકના બેલગામ ખાતે કાળા નાણાના સોદાગરોને ઝાટકતા કરેલા બે-લગામ ભાષણ બાદ ‘સોકે હુએ સાઠ, આધે ગયે નાઠ, દસ દેંગે (ટેબલ નીચેથી જ સ્તો), દસ દિલવાયેંગે ઔર દસમેં ક્યા લેના ઔર દેના?’ ટાઈપના હિસાબો નહિ ચાલે એવું લાગે છે.

હવે સરકારના આ પગલાથી કાળુ નાણું ઘટશે કે નહિ ઘટે એ તો સમય બતાવશે પણ ભવિષ્યમાં એની અસરો જરૂર દેખાશે. જેમ કે, સાતમા ધોરણના ગણિતના પેપરમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે -

પ્રશ્ન ૬ (અ) મુલચંદભાઈ પાસે ૮૦ લાખ રૂપિયા રોકડા પાંચસો અને હજારની નોટો રૂપે હતા. વોલન્ટરી ડિસ્કલોઝર સ્કીમમાં એમણે રૂપિયા ભર્યા હોત તો સરચાર્જ-પેનલ્ટી સહીત કુલ ૪૫ ટકા ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નોટ બેન થયા પછી એમણે ૧૦ લાખ રૂપિયાની ચાંદી ૪૫૦૦૦ હજારના માર્કેટભાવ સામે ૫૫૦૦૦ આપીને લીધી. આ ઉપરાંત ૩૫ લાખનું સોનું બજાર ભાવ કરતાં ૨૪ ટકા વધારે ભાવ આપીને લીધું. બાકીના રૂપિયા એમણે ચાર સગાઓને અનુક્રમે ૧૨ ટકા, ૧૫ ટકા, ૧૮ ટકા અને ૨૦ ટકા વટાવ તરીકે આપી ફેરવ્યા. ટેક્સ ભર્યો હોત એની સરખામણીમાં આ સોદામાં મુલચંદભાઈના વારસોને કેટલો ફાયદો થયો?
નોંધ : મુલચંદભાઈ આ વહીવટ કરવામાં ગુજરી ગયા છે!

મસ્કા ફ્ન

પસ્તીવાળાએ અમને પાંચસોની નૉટ આપી!
અમે કહ્યું 'પહેલાં એ નકકી કરી લઇએ કે આપણા બેમાંથી પસ્તીવાળો કોણ છે.'

No comments:

Post a Comment