Wednesday, November 30, 2016

ચેન્જ લાવો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩-૧૧-૨૦૧૬
મેનેજમેન્ટ ગુરુઓ ચેન્જમાં માને છે. બસ કંડકટર પણ ચેન્જ માંગે છે. આધ્યાત્મિક ગુરુઓ વિચારો અને વ્યવહારમાં ચેન્જ લાવવાનું કહે છે. ડાયેટીશિયન્સ ભોજનમાં ચેન્જ લાવવાનું કહે છે. ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતના કોચ પ્રતિસ્પર્ધી પ્રમાણે રમતના વ્યૂહમાં ચેન્જ લાવવાનું કહે છે. એકનું એક ખાઈને કંટાળે એટલે પુરુષ વર્ગ પણ ઘરના ભોજનમાં ચેન્જ ઈચ્છે છે, પરંતુ ધાર્યું ધણીનું થતું નથી. અમારું સજેશન છે કે જે પુરુષો ઘરના ભોજનમાં બદલાવ જોવા ઈચ્છતા હોય તેમણે અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસવું જોઈએ! પણ અત્યારે કોઈની પાસે બેસવાનો સમય નથી. કારણ કે દેશભરનાં પુરુષો અત્યારે બેંકમાં નોટો ઠાલવી રહ્યા છે. અને સ્ત્રીઓ એ નોટો ગણવાનું કામ કરી રહી છે. બેન્કોમાં તો હાલ નોટો ગણવા કરન્સી કાઉન્ટીંગ મશીનો વપરાય છે પણ જૂની પદ્ધતિ પ્રમાણે જો થૂંક લગાવીને નોટો ગણવામાં આવે તો ગણનારને ચોક્કસ ડીહાઈડ્રેશન થઈ જાય એટલી સંખ્યામાં નોટો બેંક પહોંચી રહી છે.

આ અગાઉ અમે અહીં જ ફાટેલી નોટ ચલાવવાના ઉપાયો બતાવી ચુક્યા છીએ. પણ અમુક લોકો પાંત્રીસ રૂપિયાની ફાટેલી નોટ જેવા હોય છે, જે આખી હોય તો પણ ન ચાલે. અત્યારની ૫૦૦-૧૦૦૦ની નોટ સાથે પણ એમને ન સરખાવી શકાય કારણ કે એ નોટો તો હજુ પણ બદલાવી શકાય છે. અમુક લોકો આપણે ત્યાં ચૂંટણી, મોટી સભાઓ કે ટ્રાફિક વખતે સેવાઓ આપતા અને કિશોરોમાં ‘ચકલી પોલીસ’ તરીકે ઓળખાતા વોલન્ટીયર્સ જેવા હોય છે જેમની પાસે સીટી વગાડવા સિવાય કોઈ સત્તા હોતી નથી અને એમની સીટી પણ કોઈ સાંભળતું નથી હોતું. આવા લોકોનું ક્યાંય ચાલતું નથી હોતું. ઘરમાં નથી ચાલતું, ઓફિસમાં નથી ચાલતું, સમાજમાં નથી ચાલતું.પણ જે લોકોનું ક્યાંય નથી ચાલતું એવા લોકોનું સોશિયલ મીડિયા ઉપર ચાલે છે. આજની તારીખે ભારતમાં જનધન યોજનામાં ખુલેલા ખાતાની સંખ્યા અને ફેસબુક ખાતા લગભગ સરખા છે. જેમ જનધન યોજનામાં ઝીરો બેલન્સ ચાલે છે એમ સોશિયલ મીડિયા પર પણ મગજમાં બુદ્ધિનું બેલેન્સ હોવું જરૂરી નથી. જોકે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો ઠાલવવા માટે મોબાઈલમાં બેલેન્સ હોવું જરૂરી છે!

ગાંધીજી એ કહ્યું છે કે બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. જોકે આપણે ત્યાં અને આપણા પાડોશી દેશમાં તો ખાસ, અંગ્રેજીની ઓછી જાણકારીને કારણે ‘બી ધ ચેન્જ’ના બદલે ‘પ્રિન્ટ ધ ચેન્જ’ કરે છે. ગાંધીજીના ફોટાવાળી નોટો! પૂ. બાપુના આ સૂત્રથી પ્રેરણા લઈને દુનિયા બદલવા માટે તૈયાર થયેલા અમુક લોકોમાં કપડા બદલતી વખતે લેંઘાની એક બાંયમાં બે પગ નખાઇ જવાને લીધે ભોંય ભેગા થઇ જાય તો ઉભા થવાની પણ તાકાત નથી હોતી. આઝાદીની ચળવળમાં બાપુને આવી ઘણી નોટો મળી હતી. પણ એમને દરેક પ્રકારનું યોગદાન સ્વીકાર્ય હતું. ધર્મસ્થાનોની દાનપેટીઓ પાંચસો અને હજારની નોટોથી ઉભરાય છે. આજે ગાંધીજી, જે તિજોરીઓમાં, કોથળાઓમાં, સુટકેસોમાં, ડબલબેડ નીચે, માળીયામાં બંધ હતા એમને હવે ચોખ્ખી હવા ખાવા મળી રહી છે એનો અમને આનંદ છે, ફોર અ ચેન્જ!

બદલાવના આ દૌરમાં બદલી શકાય એવું બધું બદલાવી નાખવું જોઈએ એવું ઘણા માને છે. જુનું આપીને નવું લઈ જવાની સ્કીમ પહેલા વસ્તુઓ અને હવે નોટોમાં લાગુ પડી છે તેથી ઘણાને આશા જન્મી છે. ઉંમરલાયક પુરુષોને નોટો અને લગ્નજીવન માટે એક સરખી તકલીફ્ છે, જૂની જતી નથી અને નવી મળતી નથી. જોકે સરકાર પરણિત પરુષો માટે અત્યારે કોઈ વિશેષ લાભદાયક યોજના લાવે તેવી આશા રાખવી નકામી છે. તેમ છતાં કદાચ આવી કોઈ સ્કીમ અમલમાં આવે, તો સ્ત્રીઓ ‘ગધેડાએ પહેલી ફૂંક મારી’ જેવું કંઈ કરે તો નવાઈ નહિ. આમેય સ્ત્રીઓને કળવી મુશ્કેલ છે.

નોટો બદલાવવાની પરિસ્થિતિમાં ગુજરાતીઓની સેન્સ ઓફ હ્યુમર ખીલી ઉઠી છે. રોકડાના અભાવે અને લાઈનમાં પડતી અગવડ વચ્ચે જાત પર અને પરિસ્થિતિ ઉપર રમૂજ કરી રહ્યા છે. કેટલાક ભેજાએ અમુક જૂની ફિલ્મોના ગીત જો નોટબંદીના માહોલમાં લખાયા હોત તો એ કવિની કઈ મનોદશાનું નિરૂપણ કરતા હોત એ સમજાવતા વોટ્સેપ ફોરવર્ડઝનો દોર ચલાવ્યો છે. અમને પણ કેટલાક એવા ગીતો જડ્યા છે. જેમ કે,

બેંકમાં કેશ ખલાસ થઇ જવાના કારણે સાંજે ખાલી હાથે પાછા આવેલી પત્નીને જોઇને કવિએ નાખેલો નિસાસો ફિલ્મ ઈજાજતના ‘ખાલી હાથ શામ આઈ ...’ ગીતમાં જોઈ શકાય છે. ગીતમાં આગળ કવિ લખે છે ‘રાત કી સિયાહી કોઈ, આયે તો મિટાયે ના, આજ ના મિટાયે તો યે, કલ ભી લૌટ આયેગી..’ મતલબ કવિને ખબર છે કે નોટ બદલતી વખતે આંગળી પર કરેલું અવિલોપ્ય શાહી (Indelible ink) નું ટપકું મિટાવી શકાય એવું નથી. એ કહે છે કે ‘આજ ભી યે કોરી રૈના, કોરી લૌટ જાયેગી ...’ મતલબ કે કવિને ડર પણ છે કે આમ જ ચાલશે તો હજારની ‘કોરી’ (શ્લેષ) કડકડતી નોટો કચરામાં નાખવી પડશે. આવામાં ડાયમંડનાં બિઝનેસમાંથી કવિતામાં ઊંધેકાંધ ખાબકેલા કવિને કોઈએ પૂછ્યું કે ‘તમે કેમનું ગોઠવ્યું છે?’ તો કવિ કહે ‘ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ ...’ અર્થાત કવિ ઓગણ પચાસ હજારના હપ્તામાં મોટી રકમ વગે કરવાની ફિરાકમાં છે.

બાય ધ વે, તમે કેમનું ગોઠવ્યું છે?

મસ્કા ફન
જે પ્રશ્ન અત્યાર સુધી સંતાનો માટે પૂછાતો હતો.
એ હવે રૂપિયા માટે પુછાય છે ...
"તમારા ઠેકાણે પડી ગયા?"

No comments:

Post a Comment