Sunday, March 24, 2013

હોળી ન રમવાના બહાના

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી|


હોળી આમ તો સૌને પ્રિય તહેવાર છે. આમ છતાં હોળીને પોપ્યુલર કરવાનું થોડું શ્રેય તો ગબ્બર અને સલીમ-જાવેદને પણ આપી શકાય. જોકે શોલેમાં ગબ્બર ‘હોલી કબ હૈ’ પૂછે છે ત્યારે ભાગ્યે જ કોઈને એવો વિચાર પણ આવે કે ગબ્બર બસંતી સાથે હોળી રમવા માટે આવું પૂછતો હશે. કારણ કે ગબ્બર મેન્ટ બિઝનેસ. ગબ્બરને હોળી દિવાળીનું કોઈ મહત્વ નહોતું. ગામ આખ્ખું હાજર હોય ત્યારે આતંક ફેલાવવાનો જ એનો ઉચ્ચ આશય હતો. સમાજમાં પણ આવા ગબ્બર રહે છે જે હોળી-દિવાળીમાં નથી માનતા. જો તમે એમને નવા બિઝનેસ માટે અડધી રાત્રે સ્મશાનમાં બોલાવો તો આવે, પણ હોળી રમવા બોલાવો એટલે ગાળીયા કાઢવા લાગે. 
 

રસિક લોકો તો હોળી રમવાના બહાના શોધતા હોય છે. અમુક તો ઉત્તરાયણની જેમ હોળીમાં કેમ વાસી હોળી નથી હોતી એ મુદ્દે અસંતૃષ્ટ ફરતાં હોય છે. કારણ કે હોળી છેડછાડનો તહેવાર છે. દિયર-ભાભીઓ પણ આમાં છુટછાટ લે. મથુરા પાસે બરસાણામાં મહિલાઓ જરા વધારે છૂટ લઈ પુરુષોને લાઠી લઈ આ દિવસે ઝૂડી નાખે છે અને રીવાજ પ્રમાણે પુરુષો માર ખાય છે. આ હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. અમારા વતન વિસનગરમાં હોળી પર ખાસડાં યુદ્ધ થાય છે જેમાં બે પક્ષ પડી જાય છે અને એકબીજા તરફ ખાસડાં ઉછાળે છે. આવી હોળી રમનાર પણ હોય છે.


જેને હોળી ન રમવી હોય એ જાતજાતના બહાના કાઢે છે. હોળી ન રમવાના પોપ્યુલર બહાનામાં  કોક સગાનું મરણ અને રંગોની એલર્જી આવે. શોકમગ્ન વ્યક્તિને હોળી રમાડવાની શાસ્ત્રોમાં પણ મનાઈ છે. એટલે અમે એવું કંઈ શાસ્ત્રોમાં નથી વાંચ્યું, પણ દરેક મનાઈની પાછળ ક્યાં તો કાયદો હોય અથવા તો શાસ્ત્રો જ હોય છે ને? શોકની વાત કરે તો કોઈ બેસણાની જાહેરાત સાબિતી તરીકે નથી માગતું. નથી કોઈ મારનાર સાથે તમારો સંબંધ કેટલો અંગત કે ગાઢ એ પૂછતું. એટલે જ શોકનું બહાનું પોપ્યુલર છે. પણ જો તમે થોડી આકરી પૂછપરછ કરો તો પાર્ટી તરત શોક મૂકી દે. એવું જ એલર્જીનું છે. ‘એમને સ્કીન એલર્જી છે એટલે ડોક્ટરે હોળી રમવાની ના પાડી છે’. આવું ભાઈ વતી ભાભી કહે એટલે ભાઈને પડતાં મૂકી તમારે ભાભી સાથે હોળી રમી વટી જવું એવો સંદેશો મળે તમને.


અને એક વસ્તુ માર્ક કરજો. ભાભીઓ કદી સ્કીન એલર્જીનું બહાનું નહિ કાઢે. ભાભીએ જો હોળી ના રમવી હોય તો એ ફક્ત આંખો કાઢીને તમને ભગાડી મૂકશે, ‘ના પાડીને એકવાર. મને હોળી-બોળી રમવું નથી ગમતું’. એટલે પત્યું. પછી તિલક હોળી રમી, બબડતા બબડતા લીફ્ટનું બટન જ દબાવવાનું! અમારું એવું તારણ છે કે હોળી ન રમવાના બહાના ભાયડાઓ વધારે કાઢે છે. મહિલાઓ ધારે તો ઘણાં વધારે બહાના કાઢી શકે, અને વધારે કન્વીન્સિંગલી કાઢી શકે. આમેય સ્ત્રીઓ જન્મજાત કલાકાર હોય છે. પણ એ બહાના નહિ કાઢે. પણ આ પુરુષો! એક તો એક્ટિંગમાં ધર્મેન્દ્ર જેવા હોય. મારામારી આવડે, પણ સિરિયસલી એક ડાયલોગ ન મારી શકે. બચારાએ અઠવાડિયું રિહર્સલ કર્યું હોય કે કયું બહાનું કેવી રીતે કાઢીશ. પણ એનાં બહાનાને સિરિયસલી ન લો તો ભારતીય પુંછડિયા બેટ્સમેનની જેમ ફટાફટ બેડરૂમમાં જઈ નાઈટડ્રેસમાંથી જુનાં બર્મુડા પર આવી જાય.


હોળી ન રમવી હોય એવા અમુક લોકો ધુળેટીના દિવસે સવારથી ગુમ થઈ જાય છે. અમુક આઈટમો ઘરમાં હોય પણ આગળના દરવાજેથી નીકળી, લોક મારી, પાછલા દરવાજેથી ફરી પાછાં ઘરમાં ઘૂસી જાય છે. કદાચ એમ વિચારીને કે લોકો તાળું જોઈને પાછા વળી જશે. તો અમુક બહારગામ જતાં રહે છે. પાછાં મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખે, જાણે કોઈ મોબાઈલથી રંગવાનું હોય. આ તો ભાગેડુ વૃત્તિ કહેવાય. આવા ડરપોક ભારતના ન હોઈ શકે. આમાં તો ભગત સિંહ જેવા શહીદોની શહાદત લાજે. એટલે જ ડર છોડી સામી છાતીએ રંગોનો સામનો કરવો જોઈએ. સાથે ગાવું જોઈએ કે ‘મેરા રંગ દે બસંતી ચોલા... ’.

આમ છતાં જે લોકોને હોળી રમવી જ નથી એમનાં માટે ‘અધીર’ બ્રાંડ બહાના આ રહ્યા :

·         અરરરર.... ઘર ગંદુ થશે. પાછું હોળી છે એટલે કામવાળો દેશમાં ગયો છે.

·         એ એ એ મેં કોન્ટેક્ટ લેન્સ પહેર્યા છે. આંખમાં કલર જશે.

·         ખાલી તિલક હોળી બોસ. છાપા વાંચતા નથી મહારાષ્ટ્રમાં જલસંકટ છે.

·         આ વખતે તો અમિતાભ બચ્ચન પણ નથી ઉજવવાનો.

·         કાલથી પરિક્ષા ચાલુ થાય છે. ટાઈમ બગડશે તો બાપા બગડશે.

·         ભયંકર શરદી થઇ છે, ચેક કરવું હોય તો કરી લે.

·         આજે વર્લ્ડ સ્પેરો ડે છે. આ બધું છોડો, ચક્લીઓનું કઈ વિચારો.

·         સવાર સવારમાં પાટો બાંધી દો ને હાથ ઝોળીમાં નાખીને ફરો. કહો ‘જો યાર કાલે જ ફ્રેક્ચર થયું છે.’

·         મારે આજે જોબ ચાલુ છે. જો તૈયાર થઈને નીકળું જ છું, શું થાય કોકે તો કામ કરવું પડે ને આજે ?

·         અમારે મદિર જવાનું છે. અમે દર ધુળેટીએ ‘બચાવેશ્વર’ મહાદેવ દર્શન કરવા જઈએ છીએ.

·         તારી ભાભીએ ના પાડી છે.

·         આ વરસે જ્યોતિષીએ હોળી રમવાની ના પાડી છે. રંગોની ઘાત છે મારે.



પેપર ટાઈગર

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
પરીક્ષામાં પેપર આવે એટલે વિદ્યાર્થીના મનમાં જાતજાતના ભાવ જગાવે છે. ‘અહા, બધ્ધું જ આવડે છે’, કે ‘પંદર હાજર ખર્ચીને જે પેપર ખરીદ્યું એમાંથી દસ માર્કનું પણ નથી પુછાયું’ થી લઈને ‘ત્રણ કલાક કેમના કાઢીશ, વે’લો નીકળીશ તો મમ્મી પાછી બે કલાક કચકચ કરશે’ સુધીના પ્રથમદર્શીય પ્રતિભાવો પેપર જગાવી જાય છે.

ફીલોસોફીકલી વિચારીએ તો પેપર એ કાગળનો એક ટુકડો છે. એટલે જ કદાચ એક્ઝામ પેપર્સ એકદમ બોરિંગ લાગે છે. એનો સફેદ રંગ અને એમાં ભેંસ બરાબર કાળા અક્ષર જોઈને જ અમુકને તો પરીક્ષા આપવાનું મન થતું નથી. સરકારી કે યુનિવર્સીટી પ્રેસ પાસે વધારે આશા પણ શું રાખી શકાય? પણ આજકાલ જે રીતે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એ જોતાં જો કોઈ પિઝા કંપનીને પેપર સ્પોન્સર કરવા કહ્યું હોય તો આપણને છાપાં સાથે જેમ ‘એક લાર્જ પિઝા પર ચીઝ ગાર્લિક બ્રેડ મફત..’ એ ટાઈપના લખાણવાળા ગ્લોસી પેપર પર લાલ-ભૂરા અક્ષરે છપાયેલા ઓફરના કાગળિયાં આવે છે એવા કાગળિયાં પર પેપર છપાઈ શકે. પછી કેવી આતુરતા હોય વિદ્યાર્થીઓમાં પેપર હાથમાં લેવાની? પેપરની સાથે પાછળ ફ્રી પિઝાની કુપન પણ હોય. આવું કશુક થાય તો વિદ્યાર્થીઓનો પેપરનો ડર ઓછો થાય. પિઝા કંપનીઓ અને મનોચિકિત્સકોએ આ અંગે બોર્ડને માર્ગદર્શન આપવાની તાતી જરૂર છે એવું અમને જણાય છે.

પરીક્ષાની તૈયારી ઘણી રીતે થતી હોય છે. બારમાની પરીક્ષા માટે અમુક અગિયારમાંથી ટ્યુશન રખાવી તૈયારી કરે. અમુકને મમ્મી પપ્પા સાથે રહીને તૈયારી કરાવે. અમુક દોસ્તારો સાથે પ્રેક્ટીસ માટે પેપર લખી પરીક્ષા માટે સજ્જ થાય. તો અમુકની તૈયારી પેપર ક્યાંથી (સેટ થઈને)આવે છે અને (તપાસવા માટે) ક્યાં જાય છે એ માટે હોય છે. શિક્ષકો, અનુવાદકો, પ્રેસ કર્મચારીઓ, પેપરની હેરફેર કરનાર વાહનના ડ્રાઈવર સહિત કોઇપણ જગ્યાએથી પેપરના ખબર મળે તો સો કામ છોડીને પેપર સૂંઘતા સૂંઘતા પહોંચી જાય છે. આ માટે રૂપિયા ખર્ચવાની પૂરી તૈયારી પણ રાખે છે. કાચની વસ્તુ હોય ને ફૂટે તો જીવ બળે, પણ આ પેપર એક એવી વસ્તુ છે કે જે ફૂટવાથી લોકો ખુશ થાય છે! પણ બનતાં બધાં પ્રયત્નો કરવા છતાં જો સાચું પેપર હાથમાં ન આવે તો ભાઈ પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની માફક પેપર કોની પાસે તપાસવા માટે ગયું છે તેના સગડ મેળવવા સીઆઇડીના એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે ખંતથી મહેનત કરે છે. ત્યાં પણ જો નિષ્ફળ મળે તો કરોળિયો છેવટે નકલી માર્કશીટ છાપવા પ્રેરાય છે.

પેપર સેટ કરનાર માટે પેપર સેટ કરવું કદાચ એક માથાકૂટનું કામ હશે. ખાસ કરીને જે સરકારી નિયમોનું પાલન કરી ટ્યુશન ન કરતાં હોય એમનાં માટે. આવા લોકોને પેપર સેટ કરવાનો કંટાળો આવે ત્યારે જુનું પેપર બેઠું પૂછી મારે છે. આમાં વિદ્યાર્થીને તો બિચારાને બીજાં દિવસે છાપામાં વાંચે ત્યારે ખબર પડે કે આ તો ૨૦૦૭ નું ‘સેમ ટુ સેમ પેપર’ પૂછયું હતું. ગરીબ વિદ્યાર્થી બિચારા આવા લોલીપોપ પેપરનો લાભ પણ નથી લઈ શકતો. અને થયું પણ એવું હોય કે એણે દસ પેપર પ્રેક્ટીસ માટે લખ્યા હોય એમાં આ ૨૦૦૭ નુ  પેપર જ ન હોય! 

અમુક શિક્ષકો બારમાં સાથે સીએ/એન્જીનીયરીંગ વગેરેના ટ્યુશનો પણ કરતાં હોય છે. આવા ટીચરો  પેપર સેટ કરે ત્યારે પોતાની વ્યસ્તતા વચ્ચે કયા ધોરણનું કયા વિષયનું પેપર સેટ કરે છે એ પણ ભૂલી જતાં હોય છે. આમ પેપરમાં કોર્સ બહારનું પણ પૂછી નાખે છે. પણ પરીક્ષા ચાલુ થાય એટલે અમુક શિક્ષકો ટાંપીને બેઠાં હોય છે. જેવું પેપર હાથમાં આવે એટલે વિપક્ષના હાથમાં કેગનો રીપોર્ટ આવે એમ ‘શું ભૂલ છે?’ અથવા ‘કેટલું કોર્સ બહારનું પૂછ્યું છે?’ એવું બધું શોધી કાઢે છે. એટલેથી અટકતા હોય તો ઠીક છે પણ આ શોધ જાણે નોબલ પારિતોષિકને લાયક હોય એમ ભૂલોની વધામણી ટ્યુશનીયા વાલીઓ આગળ ખાય છે. બિચારા વાલીઓને બાળકના ખરાબ રિઝલ્ટના કારણો એડવાન્સમાં મળી જતાં રાજી રાજી થઈ જાય છે.

પેપર સબંધે આપણી મહાન યુનિવર્સીટીઓ હકથી ગાળો ખાય છે અને એનાં છબરડાં અવારનવાર આપણને વાંચવા મળે છે. હમણાં જ એક યુનિવર્સીટીમાં સોલ્યુશન પણ પેપર સાથે આપી દીધું હતું. પછી પાછું લઈ લીધું, અંતે પરીક્ષા ફરી લેવાઈ. ક્યારેક બીજાં વિષયનું પેપર કે જેની પરીક્ષા બાકી હોય એ આપી દેતાં હોય છે. ક્યારેક માર્કનું ટોટલ સો કરતાં ઓછું કે વધારે હોય એવું બને છે. આ બધાનો સાર એ જ છે કે માણસમાત્ર ભૂલને પાત્ર, શિક્ષક કે પ્રોફેસર પણ છેવટે માણસ જ છે. પણ તો પછી બચારો ગરીબ વિદ્યાર્થી સપ્લીમેન્ટરીની સાથે પચાસની નોટ મૂકે તો એનો ઉહાપોહ શેનો કરતાં હશે આ માસ્તરો? રૂપિયા ઓછા મૂક્યા એનો? n

ડ-બકા
ગરોળી એટલે ભીંતને ઓટલે મૃદુતાનાં ભાવભીના પગલા !





 

Monday, March 18, 2013

ડબલ સીઝન

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી|
  


લોકો છાપામાં ડબલ બેનીફીટલખેલું વાંચે એટલે સ્કીમનો લાભ લેવા દોડે છે. એકના ડબલ કરવાની લાલચમાં હોંશે હોંશે લોકો લાખો રૂપિયા અજાણ્યા કીમિયાગરોને આપી આવે છે. તો અમુક દારુ પીવે એટલે એમને બધું ડબલ દેખાય છે, પણ પછી પત્ની ડબલ દેખાય એટલે નશો ઊતરી જાય છે. જોકે શિયાળો જાય અને ઉનાળો આવે એ વચ્ચેનો ટ્રાન્ઝીશન પીરિયડ જાત જાતની માંદગી લાવે છે. શરદી ઉધરસ અને વાઈરલ ઇન્ફૅક્શન આમાં પ્રમુખ છે. આવો કોઈ કેસ જોવા મળે એટલે લાગતા-વળગતા સહાનુભૂતિપૂર્વક આ તો ડબલ સિઝન છે એટલે આવું તો રહેવાનુંકહી  પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ડબલ સિઝન આવે ત્યારે થતો અનુભવ એ અન્ય ડબલ જેટલો આવકારદાયક નથી હોતો!

સીઝનના ઘણા પ્રકારની જોવા મળે છે જેમકે અથાણાની સીઝન, ક્રિકેટની સિઝન, મસ્સીની સીઝન, મકાઈ અને દાળવડાની સિઝન, ચૂંટણીની સીઝન વિ. વિ. પણ આ બધી સીઝનોની વચ્ચે એક સીઝન આજકાલ દરેક કુટુંબ અને સાંપ્રત ચર્ચાઓમાં સ્થાન પામી છે અને એ છે ડબલ સીઝન. ડબલ સીઝન વિષે જેટલા મ્હો એટલી વાતોના હિસાબે ઘણી માન્યતાઓ પ્રવર્તે છે, મોટેભાગે નકારાત્મક. તેમ છતાં આ બધામાં માણસના મન જેવી સારગર્ભિત એવી ડબલ સીઝનનો શું વાંક? ડબલ સીઝન, સીઝનલ ધંધો કરનારાઓને બે (નંબરના) ધંધા કરવા તો નથી પ્રેરતી ને? બદલાતી ઋતુ કવિઓની કાલ્પનિક પ્રેયસીની અમીદ્ગષ્ટિથી લીલાછમ બનેલા ગોકુળ ને સહારાના રણમાં તો નથી ફેરવી નાખતી ને? 

આ સીઝનમાં સામાન્ય શરદીથી લઈને વાઈરલ ઇન્ફૅક્શન માટે ડબલ સીઝનને કોસવામાં આવે છે. જેમ વિપક્ષ દેશની બધી સમસ્યા માટે વર્તમાન સરકારને કાયમ ગાળો દે છે એમ આ સીઝનમાં થતાં કોઈ પણ રોગ માટે ડબલ સીઝનને જવાબદાર ઠેરવવામાં આવે છે. લક્ષણ કોઈ પણ હોય, માથું દુખતું હોય, નાક ગળતું હોય, પગ દુખતા હોય કે પછી તાવ, આ બધાં માટે ડબલ સિઝન જ જવાબદાર. પછી ભલે બહેને પાણીપુરીની લારીએ ખાતું ખોલાવ્યું હોય અને રોજ શાક લેવા જતી વખતે એ પેટમાં ઓરતાં હોય કે પછી ભાઈ સિગારેટો ફૂંકી ફૂંકીને ફેફસાં ઢીલાં કરી બેઠાં હોય, જવાબદાર તો ડબલ સિઝન જ ગણાય!
પાછું ડબલ સીઝનના આવા પ્રખર વિરોધીઓ ડબલ સિઝન એટલે શું?’ એનું સવિસ્તર વર્ણન કરતાં સાંભળવા મળે છે.

જોવોને બપોરે કેટલી ગરમી લાગે છે, આપણ ને થાય કે એસી ચાલુ કરવું પડશે, અને સવાર સવારમાં એટલી ઠંડી લાગે કે દૂધ લેવા પણ સ્વેટર પહેરીને જાઉં પડે છે બેન! આ શિયાળામાંથી ઉનાળામાં ગતિ થાય એ વખતની ડબલ સીઝનનું આલેખન છે.

તેવી રીતે ઉનાળામાંથી ચોમાસું બેસે ત્યારે ઘડીકમાં બાફ લાગે છે ને ઘડીકમાં હમણાં ધોધમાર પડશે એવું લાગે, મને તો કંઈ સૂઝ જ નથી પડતી’. આપણને થાય કે તારે સૂઝ પાડીને કરવું શું છે બેન, હેં?
અને ડબલ સીઝનમાં જેવા શરદી અને ઉધરસ થાય કે જેટલા મોઢા એટલી સલાહ મળે. ઘરમાં કે પડોશમાં સાકર બા જેવા કોઈ વૃદ્ધ હોય તો એ તજ, મરી, ગંઠોડા, સૂંઠને આદુંનો ઉકાળો કરી સવારમાં પીવાનું કહે, ને તમે આવું ખરેખર કરો તો તમારા નાક સહિત રોમેરોમમાંથી પાણી ગળવાનું ચાલુ થઈ જાય! જ્યાં શ્વાસ લેવાના ફાંફાં હોય ત્યાં કોક ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ કરો!જેવી સલાહ આપે. કોઈ અજમાની પોટલી સૂંઘવા કહે તો કોઈ રાઈ-મીઠાનો ધુમાડો કરવા સલાહ આપે. કોઈ મીઠાના પાણીના કોગળા કરવા કહે તો કોઈ અરડૂસીનો રસ કાઢી પીવા. વચ્ચે વચ્ચે કોક ખાલી નાડી જોઈ રોગ કહી દેએવા વૈદ્યનું માર્કેટિંગ કરી જાય.

આમ ડબલ સીઝનનો ભોગ બનેલ દર્દીની હાલત વધુ નાજુક બને છે. ડબલ સીઝનમાં શરદી અને ઉધરસ બહુ થતી હોય એમાં બધાને જવાબો આપવાનાં. કાગડા જેવા દોસ્તાર મજાક મશ્કરી કરે પણ દેડકાનો જીવ જાય છે એ સમજે નહિ. પાછું જાતજાતની સલાહ આપનારને એમનાં સ્ટેટ્સ પ્રમાણે માનથી સાંભળવા પડે.

જેમ કે બોસ કહે કે મી. અધીર, મારી મધર-ઇન-લો મને ઉધરસ થાય ત્યારે સૂંઠની ગોળી કરી મોકલાવે અને ત્રીજી ગોળીએ તો ઉધરસ કન્ટ્રોલમાં આવી જાય, યુ સી’.
પણ બૉસને એમ થોડું કહેવાય છે કે “તમારી સાસુને કહો કે થોડી ગોળીઓ મારા માટે પણ મોકલે”.
ત્યાં તો યેસ સર, આજે જ મારી વાઈફને કહુએમ ઠાવકા થઈને કહેવું પડે.

ખેડૂત વરસાદથી, વિદ્યાર્થી વેકેશનથી, કર્મચારી વિકએન્ડથી, ઘરઘાટી હોળી આવવાથી અને ડોક્ટરો ડબલ સિઝન આવવાથી ખુશ થાય છે. ડબલ સીઝનથી ડોક્ટરોને ત્યાં આવતા પેશન્ટોની સંખ્યા ડબલ થાય છે એટલે તિજોરીમાં રૂપિયા પણ ડબલ થાય છે. જોકે જેમ પાક ઊતરે એટલે ખેડૂતો બૈસાખી (પંજાબી), વિશુ(કેરાલા) અને ઉગાડી(તેલુગુ) જેવા તહેવારની ઉજવણી કરે છે એવી રીતે ડોક્ટરો આ ડબલ સિઝન બેસે એટલે ઉજવણી કરતાં નથી જોવા મળતા, કદાચ એ ડોક્ટરો અને ખેડૂતો વચ્ચેનો કેળવણીનો ફેર દર્શાવે છે. હા, ડોક્ટરો એમની સીઝન પૂરી થાય એ પછીના વેકેશનમાં (ઉનાળો અને દિવાળીમાં) ઉજાણી કરવા વિદેશ યાત્રા જરૂર કરતાં હોય છે. પણ ડોક્ટરોમાં ગાયનેકોલોજિસ્ટની સીઝન બારેમાસ હોય છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં તો એમણે સીઝનની રાહ જોવી નથી પડતી. આમ છતાં ગાયનેકોલોજિસ્ટસને પણ આજકાલ વેલેન્ટાઈન ડે અને નવરાત્રિ પછી ડબલ સીઝનનો લાભ મળે છે. ખેર, આપણે શું એ બધી પંચાત!

Sunday, March 17, 2013

દ્રોણની ટેસ્ટમાં થિયરી નહોતી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૭-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
દસમા બારમાની પરીક્ષા શરું થઈ ગઈ છે. પહેલાં છોકરાંને પરીક્ષા માટે મા-બાપ મેન્ટલી તૈયાર કરતાં હતાં. આજકાલ તો કાપલી બનાવવામાં, સુપરવાઈઝર સેટ કરવામાં અને ડમી રાઈટરની કાયદેસર ગોઠવણ કરવા સુધી મા અને ખાસ કરીને બાપ ચક્કર ચલાવે છે. કરિયર ઓપ્શન બહુ છે પણ એ માટે પહેલા બારમું પાસ કરવું પડે એ કરોડપતિ મા-બાપ ખુબ સમજે છે.

એટલે જ બાળકને તો નાનપણથી આ મહાભારત માટે તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં તો મમ્મી બધું ‘મોઢે લે છે’. મતલબ કે બાબાએ ગોખવાનું અને મમ્મી આગળ ઓકવાનું. એ ઓકવામાં ફેરફાર થાય તો મમ્મી બગડે. એટલે બાબો બમણા જોરથી, કમને, ગોખવા લાગે. આ પરિસ્થિતિમાં અર્જુન પેદા થતાં નથી, માત્ર ગોખણીયા પેદા થાય છે જે રીઅલ લાઈફ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકતા નથી. અત્યારની પરીક્ષા પદ્ધતિ આમ ઘણી વગોવાયેલી છે.

મહાભારતમાં ગુરુ દ્રોણની પરીક્ષાની રીત થોડી અલગ હતી. દ્રોણ થિયરીની પરીક્ષા લેતા નહોતાં, ખાલી  પ્રેક્ટિકલ જ લેતા હતાં. અત્યારે એવું થાય તો અમુક વાલીઓ ખુશ થાય કારણ કે પ્રેક્ટીકલમાં ધાર્યા માર્ક મુકાવી શકાય છે એવી એક સામાન્ય સમજ માર્કેટમાં માસ્તરોના અથાગ પ્રયત્નોને કારણે ફેલાયેલી છે. એટલે એકલી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય તો એ વાલીઓને ગમે. પણ દ્રોણ ખાલી પ્રેક્ટિકલ લેતા એનાંથી પાંડવ-કૌરવ પેરન્ટ્સ એક્ઝટલી ખુશ કે નાખુશ હતા એનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી.

દ્રોણ પોતે બેસ્ટ ટીચર હતાં એ વાત નિશંક છે, પણ દ્રોણ આચાર્ય હતાં તો એમની સ્કૂલમાં બીજા ટીચર્સ હતાં કે કેમ એક સવાલ છે. હા, એક કૃપાચાર્ય હતા. કૃપાચાર્ય આમ તો દ્રોણના સાળા થાય કારણ કે દ્રોણ કૃપાચાર્યની જુડવા બહેન કૃપીને પરણ્યા હતાં. મતલબ આખી સ્કૂલ ઘરની જ હતી. ટ્રસ્ટી મંડળમાં ધૃતરાષ્ટ્ર અને એમનાં હેડ ક્લાર્ક તરીકે વિદુરજી સ્કૂલનો બધો વહીવટ ચલાવતા હતાં. દ્રોણનો ખુદનો છોકરો અશ્વસ્થામા કુમારો સાથે અન-ઓફિશિયલી ભણતો હતો. મોટા ભાગે ટ્રસ્ટીના છોકરાઓથી ચાલતી દ્રોણની આ સ્કૂલમાં સંખ્યાને જોરે કૌરવોનો દબદબો હતો, આમ છતાં દ્રોણ દુર્યોધન જેવાને ગાંઠતા નહોતા એ ધૃતરાષ્ટ્રને ગમતું નહોતું. પણ અત્યારે જેમ બારમાના સારા ટીચર મળતા નથી અને જે મળે એ જેટલા રૂપિયા માંગે એ આપવા પડે છે અને બોલાવે એ ટાઈમે જવું પડે છે એમ દ્રોણથી સારું કોઈ હસ્તિનાપુર અને ભારતવર્ષમાં કદાચ એ વખતે નહોતું એટલે દ્રોણને વાલીઓ ચલાવી લેતા હતાં.

સો કૌરવો અને પાંચ પાંડવોમાં દ્રોણને અર્જુન પ્રિય હતો કારણ કે અર્જુનની ધગશ જોઈને દ્રોણને પહેલેથી જ એ બોર્ડમાં નંબર લાવે એવો લાગ્યો હતો. દ્રોણ બહુ વિચિત્ર માણસ હતાં. અગાઉ કીધું એમ થિયરીને ઓછું મહત્વ આપતા હતાં કારણ કે એમણે કદી થિયરીની પરીક્ષા લીધી હોય કે જેમાં ‘ધનુષ્યના પ્રકારો લખો’, ‘ધનુષ્યને પકડવાની રીતો વર્ણવો’, ‘પણછની સ્થતિસ્થાપકતા અને બાણની ગતિનો સંબંધ સવિસ્તર વર્ણવો’ જેવા કોઈ પ્રશ્નો પૂછાતાં નહોતાં. એ તો સીધાં પ્રેક્ટિકલ લેતા. એમાં પાછો એક જ પ્રેક્ટિકલ હોય. ચકલીની આંખ વીંધો. ને આચાર્ય દ્રોણે આ સવાલ પણ સીધી રીતે નહોતો પૂછ્યો.

આ ચકલીની આંખ વીંધવા જેવા સવાલો પરીક્ષામાં હવે પૂછાય તો ઘણાંની લાગણી દુભાય. એક તો ધનુષ્યમાં પ્રાણીનું ચામડું વપરાય. પાછી ચકલીને વીંધવાની. આજકાલ તો પાછી ચકલીઓ લુપ્ત થતી જાય છે. કદાચ ચકલીઓ લુપ્ત થવાની શરૂઆત કદાચ મહાભારત વખતમાં થઈ હશે. આજકાલની વાત હોય તો ‘પેટા’ જેવી સંસ્થાઓ અને મનેકા ગાંધી જેવા આવી પરીક્ષાનો સખ્ખત વિરોધ કરે. મહાભારત તો એક મીનીટ ચાલવા ન દે. હાસ્તો, દ્રૌપદીના સ્વયંવરમાં પણ માછલી પાડવાની હતી. ને પેલા એકલવ્યએ  બિચારા ભસતાં કૂતરાના મ્હોમાં બાણ ઠોકી દીધાં હતાં! પશુ-પક્ષી પ્રત્યે કેટલી ક્રૂરતા વર્ણવી છે મહાભારતમાં?

પણ દ્રોણે પરીક્ષામાં ચકલી આંખ વીંધવાનો પ્રશ્ન પૂછ્યો હતો. એ પણ કમ્પલસરી. બોર્ડના બધાં નિયમો ઘોળીને એ પી જાય છે એવો વિરોધ વાલીમંડળના કચકચિયા પ્રમુખ શકુનિએ એ વખતે પણ કર્યો હતો. એક તો આખી પરીક્ષામાં એક જ પ્રશ્ન. કોઈ ઓપ્શન નહિ. એ પણ પ્રશ્ન સીધો ટેક્સ્ટ બુકમાંથી જ પૂછવો એ નિયમનું પણ સરેઆમ ઉલ્લંઘન દ્રોણે કર્યું હતું. ખરેખર તો ‘તમને શું દેખાય છે?’ જેવા પ્રશ્નના ઘણાં જવાબો હોઈ શકે. એટલે ભીમને બિલાડું દેખાયું અને દુર્યોધન વગેરેને ઝાડપાન કે ગુરુજન દેખાય એ બધા જવાબો સાચા જ ગણાવા જોઈએને? પણ દ્રોણને અર્જુન તરફ પક્ષપાત હતો એ જગજાહેર છે, આમ છતાં એમણે અર્જુન જેવો શ્રેષ્ઠ બાણાવાળી આપ્યો હતો. જો અર્જુન તૈયાર કરવા હોય તો પહેલાં દ્રોણ પેદા કરવા પડે, વિદ્યા સહાયકો અને એડહોક લેકચરરોથી અર્જુન પેદા ન થાય સમજ્યા સાહેબ?

ડ-બકા
કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.