Wednesday, December 28, 2016

કેશલેસ ઈકોનોમી : કેટલીક સમસ્યાઓ અને તેના ઉકેલ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૧૨-૨૦૧૬
 
અમોને એન્જીનીયરીંગમાં ઇકોનોમિકસ ખપ પુરતું જ ભણાવવામાં આવ્યુ છે, પણ એના પાયાના સિદ્ધાંતો સમજવા કોઈના પણ માટે ખાસ અઘરા નથી. ઇકોનોમિકસ વાંચીને અમને એટલું સમજાયું છે કે અત્યારના ‘કેશ ક્રંચ’ અને ‘કેશલેસ ઈકોનોમી’ના માહોલમાં કેડે હરણનું ચામડું વીંટી અને હાથમાં ભાલો લઈને પ્રાગૈતિહાસિક કરતા પણ પહેલાંની વિનિમય પદ્ધતિ પર ઉતરી આવીએ એ વધુ સરળ પડે એવું છે. ચાંદો સૂરજ રમતા'તા, રમતાં રમતાં કોડી જડી, કોડીનાં મેં ચીભડાં લીધાં ચીભડાએ મને બી આપ્યા ... આ બાળગીતમાં પણ એ જ શીખવાડવામાં આવ્યું હતું ને?

અમદાવાદ માટે પણ એ નવું નથી! રોટલીના બદલામાં વાળ કાપી આપવાની પ્રથા વિક્ટોરિયા ગાર્ડનની આસપાસની ફૂટપાથ પર સિત્તેરના દાયકા સુધી જીવંત હતી જ ને? અને જરા વિચારો કે તમારા ડ્રોઅરનો ભાર વધારતા ઝીણી પીનના ચાર્જરવાળા નોકિયાના મોબાઈલના બદલામાં તમને પાંચ શેર બટાટા મળતા હોય તો શું ખોટું છે? તમારું જીન્સ આપો અને બદલામાં પત્નીની લીપસ્ટીક લઇ આવો કે પછી તમારી બાઈક આપી દો અને બદલામાં બે સિલ્કની સાડીઓ લઇ આવો. કેટલું સરળ! ના બેન્કની લાઈનમાં ઉભા રહેવાનું કે ના એક એટીએમથી બીજા એટીએમ ભટકવાનું! બાકી અમે તો નોકરિયાત છીએ, તમે કહેશો તો અમે ચપટીમાં કેશલેસ થઇ જઈશું.

આપણી પ્રજા મૂળત: ઊંટના ઢેકા ઉપર કાઠડા મુકે એવી જુગાડુ પ્રકૃતિની છે. દા. ત. જુગારમાં આમ તો કેશ જ વપરાય પણ રોકડ સાથે પકડાઈ ન જવાય એ માટે જુગારમાં ટોકન સીસ્ટમ વર્ષોથી ચાલે છે. ટોકન ખરીદવા અને વટાવવાનો વ્યવહાર પાછો કેશમાંજ હોય છે. યુધિષ્ઠિર કેશને બદલે કાઈન્ડથી જુગાર રમ્યા હતા એ સૌ જાણે છે. આ પ્રથા અમલમાં લાવી શકાય. જોકે ઘર કાર જેવી વસ્તુઓ દાવ પર લગાડી તો શકાય પણ એનું ઈન્સ્ટન્ટ વેલ્યુએશન એક સમસ્યા બની શકે. પરંતુ મેનેજમેન્ટમાં કહે છે કે દરેક સમસ્યામાં એક તક છુપાઈ હોય છે, એ હિસાબે આવી દાવ પર લાગેલી ચીજવસ્તુઓના ઈન્સ્ટન્ટ વેલ્યુએશનની ઓનલાઈન સેવા પૂરી પાડતી કંપનીઓ ઉભી કરાય, જે રોજગારીની નવી તક ઉભી કરે!

ધાર્મિક વિધિમાં પણ ફળફળાદિ, સુકામેવા સાથે દક્ષિણા મુકવાનો રીવાજ છે. આમાં કેશ અને કાઈન્ડ બંને ચાલે છે. ગૌદાન તરીકે ગાયના બદલામાં સંકલ્પ કરીને ૧૧ કે ૨૧ રૂપિયા પણ આપી શકાય છે. આ બધા વ્યવહારિક ઉપાયો છે. આવી વિધિઓમાં આમેય હવે દિવસે દિવસે પેકેજડીલ આવતા જાય છે જેમાં મહારાજ કડકડતી નોટો ડાબા હાથે યજમાનને આપે અને યજમાન એ જમણા હાથે મહારાજને પાછી આપે છે. આમાં મહારાજના ગળામાં લટકતા ‘કયુ.આર. કોડ’ને સ્કેન કરીને ‘પે થ્રુ મોબાઈલ’ એપ્લીકેશનથી પેમેન્ટ કરી શકાય.

સુલભ શૌચાલય કેશલેસ કરવું અઘરું છે. ત્યાં કાર્ડ લઈને ત્યાં જાવ તો કેવું લાગે ? ઉતાવળમાં કાર્ડ સ્વાઇપ કરાવવાનું પણ કેમ ફાવે? અને આ બધી માથાકુટમાં પછી જે માટે આવ્યા હતા એ ટ્રાન્ઝક્શનપૂરું ન થાય તો? એટલે આમાં કામ થયા પછી પેમેન્ટ લેવાની મુનસીટાપલીને અરજ કરી શકાય. અથવા તો આધારકાર્ડ લીંક કરી શકાય. ગેસની સબસીડીમાંથી શૌચાલય વપરાશના રૂપિયા બાદ કરીને બાકીના રૂપિયા ધારકના ખાતામાં સીધા જમા થાય એવું કંઇક. મોલમાં તો ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ્સના કારણે કાર્ડ પેમેન્ટ એપ્રુવ ન થાય તો લીધેલો માલ પાછો આપવો પડતો હોય છે. આમાં માલ પાછો આપવાનો થાય થાય તો શું કરવું? આવો સવાલ અમારા એક મિત્રએ અમને પૂછ્યો હતો.

કેશલેસ સીસ્ટમમાં ભિખારીઓને સિગ્નલ પર પી.ઓ.એસ. મશીન લઈને ઉભેલા આપણે કલ્પી નથી શકતા. પણ ભારતમાં પ્રયોગ થઈ ચુક્યો છે અને બ્રાઝિલમાં ભિખારી ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે એવો સાચો-ખોટો ફોટો પણ નેટ પર વાઈરલ છે. આમાં મુખ્ય વાત પુણ્ય કાર્યની છે. જોકે ભિખારીને ૧૦ રૂપિયા ક્રેડિટકાર્ડથી આપ્યા બાદ જો બીલ ભરવાનું રહી જાય તો સાડી ત્રણસો રૂપિયા પેનલ્ટી થાય એ અલગ વાત છે. પરંતુ આમ થાય તો પણ આપણે સદ્કાર્ય છોડવું ન જોઈએ.

આજકાલ રોકડ વગર તમામ પ્રકારના વ્યવહારો કેવી રીતે કરી શકાય એ સમજાવતી જાહેરાતો રેડિયો, ટીવી અને છાપામાં આવે છે, પણ આપણા માટે એમાં કંઈ નવું નથી. ભારતમાં કેશલેસ ઈકોનોમી વર્ષોથી ચાલતી આવી છે. હાથમાં કાણો પૈસો ન હોય છતાં સામાજિક પ્રસંગો અને આર્થિક વ્યવહારો નિભાવવાની કળા પ્રજાના એક વિશાળ વર્ગ પાસે દાયકાઓથી હતી જ! ચેક લખવાની સલાહ તો છેક હમણાં આપવામાં આવી, બાકી અગાઉ લગ્ન-કારજ જેવા પ્રસંગો ખાતે લખીને કે વધુમાં વધુ ખેતર-મકાન લખી આપીને પાર પાડવામાં આવતા જ હતા. ઉલટાનું આજ દિન સુધી ‘ગરીબી હટાઓ’ના સુંવાળા સૂત્ર નીચે આ કળાને નેસ્તનાબુદ કરવાના નિષ્ફળ પ્રયત્નો થતા રહ્યા છે. કદાચ વીતેલા એક મહિના કરતા વધુ લાંબો અને કપરો સમય પ્રજાએ એ અનુભવને આધારે જ સફળતાથી વિતાવ્યો છે.

બાકી એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘પુસ્તકસ્થા તુ યા વિદ્યા, પરહસ્ત ગતમ્ ધનમ્ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્દ ધનમ્.’ અમારી જાડી બુદ્ધિ પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે પુસ્તકમાં (વાંચો બેંકની પાસબુકમાં) છપાયેલું (બેલેન્સ) અને બીજાના હાથમાં (વાંચો બેંકમાં) ગયેલું ધન સમય આવે કામમાં આવતા નથી. (અર્થાત વિજય માલ્યા જેવા લોકોના જ કામમાં આવતા હોય છે). આ ૩૦ ડીસેમ્બર સુધીનું સત્ય છે, આગે અલ્લા બેલી.

મસ્કા ફન


દોડાદોડ અને ઉડાઉડ કરનારો વંદો વહેલો મરે છે.

Wednesday, December 21, 2016

ભજીયાનું બ્લેક એન્ડ વ્હાઈટ

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૧૨-૨૦૧૬
આ ગુજરાત છે. અહીં ભજીયાવાલા પણ કરોડપતિ છે. ગુજરાતમાં સુરતી પ્રજા ખાવા અને પીવાના શોખીન ગણાય છે. સુરતમાં એવા લોકો રહે છે જે દવાની જેમ સવારે અને સાંજે ૧૦૦ ગ્રામ ભજીયા તો ખાય જ છે. એટલે જ સુરતી ભજીયાવાલા પાસે કરોડો રૂપિયા અને કિલોના હિસાબે સોનું-ચાંદી મળે તો એમાં અમને નવાઈ નથી લાગતી.

ફાસ્ટફૂડના આ જમાનામાં ભજીયા, ગોટા અને દાળવડા વડે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. એટલે જ જેમ ગુજરાતી ચલચિત્રોને કરમુક્ત કરાય છે એ ધોરણે ભજીયા-ગોટા-દાળવડા સહિતના ફરસાણને સર્વકરમુક્ત કરવા જોઈએ જેથી ગુજરાતીઓ સહેલાઈથી કરમાં ગ્રહણ કરી શકે. આ ઉપરાંત જેમ ગુજરાતી ફિલ્મ બનાવવા સરકાર સહાય કરે છે તેમ ચણાના લોટ અને સિંગતેલ (અથવા તો એની અવેજીમાં જે વપરાતું હોય એ!) પર સબસીડી આપવી જોઈએ. આવું થશે તો પછી ટેક્સ ચોરી કરવાનો પ્રશ્ન જ ઉભો નહિ થાય.

જો ગાંઠીયા એ ચણાના લોટમાં લખાયેલી કવિતા હોય તો ભજીયા-ગોટા એ ચણાના લોટમાં લખાયેલી ગઝલ છે. ગઝલની જેમ પહેલા અને છેલ્લા ભજીયાનું ખાસ મહત્વ છે. મત્લાના શેરમાં આખી ગઝલની વાહવાહી મળે છે એમ છેલ્લા ભજીયાનો સ્વાદ લાંબો સમય સુધી મ્હોમાં રહે તે માટે અઠંગ ભજીયાખોર બીજું કશું અને ખાસ કરીને ગળ્યું ખાઈને મોઢું બગાડતા નથી. ગઝલમાં જેમ ઊંડાણ હોય છે એમ ભજીયા ડીપફ્રાય થાય છે. છંદમાં લખાયેલી બધી ગઝલો કંઈ મનનીય નથી હોતી એવી જ રીતે ચણાના લોટમાં બને અને સિંગતેલમાં તળાય એટલે કંઈ બધા ભજીયા આપોઆપ સુરુચીકર નથી બની જતા. ભજીયા તાજા અને ઝારાફ્રેશ પીરસવાનો રીવાજ છે. જયારે કવિ સંમેલનોમાં એકની એક ગઝલ વારંવાર ફટકારવા ઉપર પાબંદી નથી! જોકે ગઝલ અને ભજીયા વચ્ચે આટઆટલી સમાનતા છતાં એક મોટો ફેર એ છે કે ભજીયા બનાવનાર ભજીયા થકી કરોડપતિ બનવાના દાખલા છે, પરંતુ ગઝલ થકી કરોડપતિ બનવાના દાખલા તો ઠીક પાન નંબર ધરાવતા ગઝલકાર મળે તો એ પણ ગુજરાતી શ્રોતાઓની સિદ્ધિ ગણી શકાય!

ભજીયાનું એક સાયન્સ છે, એમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રી છે. ભજીયા વાસી થાય તો એમાં માઈક્રો-બાયોલોજી પણ લાગુ પડે. સેમી-લીક્વીડ ખીરાને તેલમાં ડબકા સ્વરૂપે મૂકવામાં આવે ત્યારે એમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે ઉદ્ભવતા ભૌતિક રૂપે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. ફેકટરીમાં બનતી વસ્તુઓમાં ક્વોલીટી કન્ટ્રોલ વિભાગ વસ્તુઓના આકાર અને દેખાવમાં એકરૂપતા લાવવા સદાય પ્રયત્નશીલ રહે છે. પરંતુ ભજીયામાં આકાર એક સરખો હોય એવા કોઈ ધારાધોરણ નથી. ભજીયા ખાવામાં ભજીયાના તાપમાનનું ખુબ મહત્વ છે. વાસી ભજીયા ઝઘડાના કારક છે. ભજીયા ગરમ કોને કહેવાય એ માટે લારીવાળા સાથે યુદ્ધ થયાના અનેક દાખલા અમદાવાદના ઇતિહાસમાં છાપા થકી નોંધાયા છે. અમદાવાદના કોટવિસ્તારના પોલીસસ્ટેશનના રેકોર્ડ ચકાસો તો અનેક ભજીયા સંબંધિત કજિયાની જાણવાજોગ નોંધ પણ જોવા મળે.

સામાન્ય રીતે आकृति गुणान कथयति સૂત્ર અનુસાર વસ્તુના આકાર પરથી એના વિષે અનુમાન બાંધી શકાય છે, પણ ભજીયા એમાં અપવાદ છે. ભજીયામાં ‘છછુંદરીના છએ સરખા’નો નિયમ લાગુ પડે છે. ભજીયા ઉતારનારા એ વેઠ ઉતારી ન હોય તો તમે બટાકા, કાંદા કે રતાળુના ભજીયાને દેખાવ પરથી અલગ તારવી શકાતા નથી. ફક્ત મરચાંના ભજીયા એના આકારથી અલગ તરી આવે છે. મરચાંવાળા ભજીયા ખાવા એ પણ મર્દાનગીનું પ્રતિક મનાય છે. તળેલી વસ્તુઓ અને એમાંય રેલ્વે સ્ટેશન સિવાય ભજીયા તળાતાં હોય તો કોઈનું પણ મન લલચાઈ જ જાય. ઇન્કમટેક્સને તો છેક ૬૦૦ કરોડ ભેગા થયા ત્યારે ભજીયાવાલાની સંપત્તિની ગંધ આવી, પરંતુ ભજીયા બનતા હોય તો એની સુગંધથી રસ્તે જતો, અને ભૂખ ન હોય તેવો વ્યક્તિ પણ ખેંચાઈ જાય છે.

જેમ પાર્ટીકલ ફીઝીક્સમાં તરંગવાદ અને કણવાદની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો ચાલતી હતી એવી જ દલીલો ઘરના ભજીયા અને બજારના ભજીયા વચ્ચે ચાલતી આવી છે અને ચાલતી રહેશે. મોટેભાગે ઘરે બજાર જેવા ભજીયા નથી બનતા એવી ફરિયાદ દરેકને હોય છે. મમ્મીઓ બજારના ભજીયાના સારા ટેસ્ટ માટે જીવડાવાળા લોટ અને હલકી કક્ષાના તેલને કારણભૂત સાબિત કરે છે. અમારી તો ચેલેન્જ છે કે મમ્મીઓ કહે તે સાઈઝ અને પ્રજાતિના જીવડાવાળો લોટ તથા બળેલા એન્જીન ઓઈલથી લઈને શ્રી હનુમાનજીને ચઢાવેલુ તેલ લાવી આપીએ, પણ બજાર જેવા ટેસ્ટવાળા, જાળીદાર અને પોચા ભજીયા બનાવી બતાવો. જરૂર પડે તો તેલ થઇ આવ્યું કે નહિ તે ચેક કરવા માટે લારીવાળાનો પરસેવો જોઈતો હોય તો એ પણ લાવી આપીશું. બોલો છો તૈયાર?

આપણા પ્રધાન મંત્રીશ્રીના ‘સ્કીલ ઇન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ કૌશલ્યના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. આ માટેની એક જાહેરાતમાં સચિન તેંદુલકર એક ફર્નિચરના કારીગરને સમજાવે છે કે ફક્ત કૌશલ્ય વડે આપણે બંને લાકડામાંથી સર્જન કરીએ છીએ. હું લાકડા બનેલાના બેટથી રન બનવું છું અને તમે એમાંથી સુંદર ફર્નીચર બનાવો છો. હવે વિરાટ કોહલી પણ એમાં જોડાવાનો છે. તાજેતરના ભજીયાવાલા કાંડ પછી ભજીયા તળવાનું કૌશલ્ય એ એક ડીઝાયરેબલ સ્કીલ અને પ્રોસ્પેક્ટીવ કેરિયર ઓપ્શન તરીકે બહાર આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં વિરાટ કોહલી ભજીયાના ખીરામાં ભેજનું પ્રમાણ તપાસવું, ઝારાને કેવી રીતે પકડવો, તળવા માટે કેવો સ્ટાન્સ લેવો, ભજીયા ઉથલાવતી વખતે નજર ક્યા ભજીયા પર હોવી જોઈએ, ભજીયા ડીલીવર કરતા પહેલા એમાંથી તેલ કેવી રીતે નિતારવું વગેરે બાબતોનુ મહત્વ સમજાવતો જોવા મળે તો નવાઈ નહિ.

મસ્કા ફન પાણીનો ઘીની જેમ ઉપયોગ કરો.
ખાસ કરીને શિયાળામાં!




Wednesday, December 14, 2016

લાઈનમાં રહો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૧૨-૨૦૧૬
Source: Unknown
જૂની ચાલવાની નથી અને નવી જલદી મળવાની નથી તે સૌએ સ્વીકારી લીધું છે. નોટની વાત છે. જે માથા પર આવી પડે તે સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નથી. આ પણ નોટની જ વાત છે. રેલવે, બસ અને સિનેમાની ટીકીટો ઓનલાઈન મળતી થઈ તે પછી લાઈનમાં ઉભા રહેવાના મોકા ઘટતા જતા હતા એમાં રૂપિયા ઉપાડવા અને એટીએમની લાઈનમાં ઉભા રહેવાના હંગામી સંજોગો સર્જાયા છે. 

ગુજરાતીમાં લાઈન માટે હાર અથવા કતાર શબ્દ છે. જોકે ગુજરાતીઓ બંને રીતે હારમાં માનતા નથી એટલે; કતાર શબ્દ હિન્દી જેવો લાગે છે એટલે; ને કતારમાં ઉભા રહીએ તો કોઈ દેશની રાજધાનીમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવાય છે એટલે; આવા અનેક કારણસર હાર અને કતારને બદલે આપણે ગુજરાતીઓએ લાઈન શબ્દ અપનાવી લીધો છે. બ્રિટીશ અંગ્રેજીમાં લાઈન નહિ ‘ક્યૂ’ શબ્દ વપરાય છે. પરંતુ કાઠિયાવાડમાં પતિ જો ‘ઓલું શર્ટ આપતો’ એવું કહે તો પત્ની ‘ક્યૂ?’ એમ સામું પૂછે. આમ ‘ક્યૂ’ શબ્દથી કન્ફયુઝન ન થાય એટલે ગુજરાતમાં ક્યૂને બદલે લાઈન શબ્દ વધારે વપરાય છે. વર્ષો પહેલા ગુજરાતમાં નાટકવાળાઓએ સંશોધન કરી લાઈનનો તબિયત સાથે પારસ્પરિક સંબંધ શોધી કાઢ્યો હતો. જોકે આ સંશોધનને હજુ સુધી નથી કોઈ મેડિકલ જર્નલે પ્રગટ કર્યું કે નથી ગુજરાત યુનીવર્સીટીએ આ સંશોધનકર્તાને પીએચડી ડિગ્રી આપી.

એટીએમના સિક્યોરીટીવાળા આજકાલ હીરો બની ગયા છે!

છેલ્લે વાનખેડે પર શાહરુખને દરવાજો બતાવનાર સિસોટીવાળા કાકાને આટલું માન મળ્યું હતું
 
‘લાલો લાભ વિના લોટે નહિ’ – આ કહેવત એ ‘લાઈન’ નામની કવિતાનો કેન્દ્રવર્તી વિચાર ગણાય. અહીં કવિ કહેવા માંગે છે કે જ્યાં કોઈ લાભ મળવાનો હોય ત્યાં લાઈનો લાગતી હોય છે અને લાભ માટે આપણા લાલાઓ લોટવા જ નહિ ધૂણવા માટે પણ તૈયાર હોય છે. આવા લાભખાટુ લાલાઓના ધસારાને ખાળવા આપણે ત્યાં માત્ર એક માણસ ઊભો રહી શકે તેટલી પહોળી રેલીંગ બાંધીને લાઈનો પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવું ન હોય તો એક એક વ્યક્તિની બનેલી અનેક લાઈનો બને છે, જેને ટોળું કહે છે. ટોળા કરતા થોડી વ્યવસ્થિત હોય તો એ પીરામીડ પ્રકારની લાઈન બને છે, જેમાં એકની પાછળ બે એની પાછળ ત્રણ એની પાછળ ચાર લોકો એમ ઉભા રહે છે. વિદેશમાં બે સજ્જનો વચ્ચે બીજા બે જણા ઉભા રહી શકે તેટલી જગ્યા રાખીને લાઈનમાં ઉભા રહેતા હોય છે. એ જગ્યાનો બગાડ કહેવાય. આપને ત્યાં કવચિત લાઈનમાં આવી જગ્યા પડે તો તેને ઘૂસ મારવાની તક તરીકે જોવામાં આવે છે. આપણે ત્યાં તો હૈયે હૈયું દળાય તેવી લાઈનો લગાડવાનો રિવાજ છે. આવી લાઈનમાં જોડાવા નવો આવેલો જાતક પહેલું કામ આગળ કોઈ ઓળખીતું ઊભું છે કે નહિ? તે જોવાનું, અને એ જડે પછી તેની સાથે તારામૈત્રક સાધવાનું કરતા હોય છે. સામે પક્ષે લાઈનમાં તપી રહેલી વ્યક્તિ પણ ‘તારા કાકા દોઢ કલાકથી લાઈનમાં ઉભા છે ટોપા રૂપિયા જોઇતા હોય તો ઉભા રેવુ પડે’ એવું મનમાં બોલીને લાઈનમાં આગળ ઊભેલા કાકાની ટાલ, બારીમાં બેઠેલા કબૂતર કે બીડી ફૂંકતા સિક્યોરિટી ગાર્ડ વગેરેનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં પરોવાઈ જતા હોય છે.

લાઈનમાં જો માણસ એકલો ઊભો રહે તો એને એની જાત સાથે વાતચીત કરવાનો મોકો મળે છે જે આજની શહેરી લાઇફમાં દુર્લભ છે. તો ઘણીવાર લાઈન સામાજિક સંબંધો સુધારે છે. અમે હમણાં લાઈનમાં ઉભા રહ્યા તો અમારાથી બે નંબર આગળ જ એક ભાઈ મને જાણીતા લાગ્યા. મોકો જોઈને અમે પૂછ્યું કે

‘બૉસ તમને ક્યાંક જોયેલા છે’

‘મનેય એવું જ લાગે છે કે તમને ક્યાંક જોયા છે’ જવાબ મળ્યો.

ટાઈમપાસ કરવા બંને પક્ષે સભાનપણે વાતચીત આગળ ચલાવી એમાં ખબર પડી કે એ હિતેશભાઈ તો મારા જ બ્લૉકમાં રહેતા હતા. આમ લાઈનમાં ઘણીવાર બે પડોશીઓનું સુભગ મિલન થાય છે. અમારા મિલનના સાક્ષી એવા, અને અમારી બેની વચ્ચે ઊભેલા, અને અમારી બધી વાતો રસપૂર્વક સાંભળતા ચશ્માધારી ભાઈ પણ અમારા મિલનથી એટલાં બધા ભાવવિભોર થઈ ગયા કે એ મને કહે કે ‘તમે આગળ આવી જાવ અને શાંતિથી વાત કરો!’ આટલું કહીને એ લાઈનમાં મારી પાછળ લાગી ગયા ! પછી તો અમે અલકમલકની ઓળખાણો કાઢી ને નંબર આવે ત્યાં સુધીમાં તો એકબીજાના ઘેર ચા પીવાના કોલ-કરાર કરીને છુટા પડ્યા. છેલ્લે ધરતીકંપના આફ્ટરશોકસ વખતે કોમનપ્લોટમાં ભેગાં થતા લોકોમાં આવી આત્મીયતા જોવા મળી હતી !

કુદરતી આપત્તિ હોય કે નોટ બંધ થવાને પગલે લાગતી લાઈન, હમદર્દીના ઓઠાં હેઠળ રાજકીય રોટલો શેકવા લોકો તૈયાર જ હોય છે. આવા કેટલાક લોકોએ ચેનલનો કૅમેરા ફરતો હોય તેટલા સમય સુધી પાઉચ ચા, છાશ, અને નાસ્તો વહેંચવા સુધીની સેવાઓ પણ આપી હતી. એ બહાને પાણીના પાઉચ તથા વેફર-બિસ્કિટ વેચનારાઓને ઘરાકી નીકળી એ નોટબંદીનું જમા પાસું ગણાય. જ્યાં ભીડ થઈ ત્યાં ખીસકાતરુંઓને પણ રોજગારી તો મળી હશે પણ મારેલા પાકીટમાંથી નીકળેલી જૂની નોટો બદલાવવા બીજે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હોય તો નવાઈ નહિ. સામાન્ય રીતે એટીએમના એસીમાં આરામ ફરમાવતા કે ખુરશી પર બેસીને બીડી ફૂંકતા સિક્યોરીટીવાળા કાકાઓ હીરો બની ગયા એ જોવાયું. વાનખેડે સ્ટેડીયમ પર શાહરુખને દરવાજો બતાવનાર સિસોટીવાળા કાકાને છેલ્લે આવું માન મળ્યું હતું. બાકી લોકો બાથરૂમની જેમ એટીએમ જતા થયા એ આ સમગ્ર ઘટના ક્રમની સૌથી નોંધપાત્ર બાબત છે.

મસ્કા ફન
હે અર્જુન, ઊભો થા અને એટીએમની લાઈનમાં જઈ ઊભો રહે – અર્જુનના પપ્પા

Thursday, December 08, 2016

મિશન મમ્મી

મિશન મમ્મી

ફિલ્મમાં આરતીબેન પટેલનો સેન્ટ્રલ રોલ હોવાથી ફિલ્મ વિષે ઇન્તેજારી હતી. ફિલ્મના ડાયરેક્ટર આશિષભાઈ ક્યારેક મોર્નિંગ વોકમાં મળી જાય ત્યારે ફિલ્મ વિષે થોડીક માહિતી મળતી. એમાં બુધવારના વિશેષ શોમાં જવાનું આમંત્રણ મળ્યું.

ફિલ્મની વાત કરીએ તો જનરેશન ગેપ વિષે વાત છે. મમ્મી બાળકોની પાછળ દોડી દોડીને ઉંધી પડી જાય પણ બાળકોને એની કદર જ ન હોય. કારણ કે એ બાળક છે અને બાળકો બીજાને જોઇને શીખે છે. અહીં પણ એવું થાય છે અને એમાંથી સર્જાય છે મિશન મમ્મી. જે ઢોકળા ખાય છે એને પિત્ઝા ખાવા છે, જે પિત્ઝા ખાય છે એમણે ઢેબરા ખાવા છે. જે ઢેબરા ખાય છે એમણે પાસ્તા ખાવા છે.
ફિલ્મમાં પ્રભાતિયા છે પણ ગરબા નથી. ઉતારચઢાવ પણ ઓછા છે, બેકગ્રાઉન્ડ મ્યુઝીક તો દૂરદર્શનની ડોક્યુમેન્ટરી જેવું છે. સિમ્પલ ફિલ્મ છે એવું આશિષભાઈએ ફિલ્મ શરુ થતા પહેલા જ કહી દીધું હતું. એટલે જ ફિલ્મમાં મૂત્રવિસર્જનનો એકેય સીન નથી. જોકે ગુજરાતી ભાષા અને ફેમીલી વેલ્યુઝ વિષે ડાયરેક્ટ લેક્ચર્સ સાંભળવાની મઝા ન આવે. પણ આશિષભાઈ એકવાર નક્કી કરે એટલે કહી જ દે. આરતીબેનનો રોલ અને અભિનય દમદાર છે, કન્વીન્સીંગ છે. 
ઓલ ધ બેસ્ટ મિશન મમ્મી !


Wednesday, December 07, 2016

શ શિયાળાનો શ, શ શરદીનો શ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૧૨-૨૦૧૬
‘શ’થી શિયાળો શરુ થઇ ગયો છે અને ‘શ’થી શરદીનાં દરદીઓ પણ દેખાઈ અને સંભળાઈ રહ્યા છે. ચારેતરફ નાકમાંથી બહારની તરફ સરી જતા લીંટના લબકાને પાછા ખેંચવાના પ્રયાસો શરુ થઈ ગયા છે. અત્યારે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે હાથમાં રૂમાલ પકડેલા લોકો જણાય છે. શરદીનો પ્રભાવ સાર્વત્રિક તો છે જે, પરંતુ શરદી પોતે બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય છે. એ મુડીવાદી કે સમાજવાદી નથી. શરદી સૌ કોઈને થાય છે. નોટબંધીના સમર્થક અને વિરોધીને થાય છે. જોકે શરદી એટલી કંટાળાજનક છે કે જો કોઈ એવું સંશોધન થાય કે ભક્ત પકારના લોકોને શરદી ઓછી થાય છે તો કેટલાય વિરોધીઓ ભક્તમાં કન્વર્ટ થઈ જાય તેમાં શંકાને સ્થાન નથી.

જેને શરદી થઈ હોય એની હાલત કફોડી હોય છે. શરદી મનુષ્યને કોઈ કામ કરવા દેતી નથી. કારણ કે કાળા ધનની માફક નાકમાં જમા થયેલ કેશ જાહેર ન થઇ જાય તેનું આપણે સતત ધ્યાન રાખવાનું હોય છે. બીજી તરફ સામે બેઠેલ કસ્ટમર, કલીગ, મિત્ર, સાહેબને જવાબ આપવાના હોય છે. જમવા બેસો ત્યારે થાળી પણ દૂર રાખવી પડે છે. કાળા કે ડાર્ક શર્ટ પહેરી શકાતા નથી. આ અઘરું કામ છે. લુછી લુછીને નાક લાલ થઈ ગયું હોય એટલે જોકર જેવો દેખાવ થઈ જાય છે. શરદીમાં નાક ઉપરાંત આંખમાંથી પણ પાણી પાણી નીકળતું હોય છે. જોકે તમે રડો તો આંસુ લુછવા કોઈ રૂમાલ આપે છે, પણ શેડા લુછવા કોઈ રૂમાલ નથી આપતું એ હકીકત છે.
  

Source: unknown
શરદી દરેકેની આગવી હોય છે. પોતીકી હોય છે. સાહિત્યમાં અત્યારે સહિયારું સર્જન શરુ થયું છે, પણ શરદીમાં આખા ઘરના દરેક સભ્યને થઈ હોય તો પણ દરેકની શરદી પોતાની આગવી હોય છે. નાના બાળક સિવાય દરેકે પોતે જાતે નાક સાફ કરવું પડે છે. મોટા ઉદ્યોગપતિ હોય કે નેતા, બિલ્ડર હોય કે અભિનેતા સૌ પોતાનું નાક જાતે સાફ કરે છે. નાક સાફ કરવા માટે રામુકાકા રાખી શકાતા નથી, અથવા તો ઇતિહાસમાં એવા કોઈ માણસ રાખ્યા હોય એવા દાખલા જડતા નથી. ધારોકે કોઈ તાલેવંત આ કાર્ય માટે માણસ રાખે તો પણ અમુક આંતરિક ક્રિયાઓ તો જાતે જ કરવી પડે છે તે સુવિદિત છે.

દહીંમાંથી જ બનતા હોવા છતાં જેમ તરલતાની રીતે મઠ્ઠો એ છાશ અને શિખંડ વચ્ચેની અવસ્થા છે એમજ શેડા એ તબીબી ભાષામાં જેને રનિંગ નોઝ અને સ્ટફડ નોઝ કહે છે, એ બે વચ્ચેની અવસ્થા છે. રનિંગ નોઝના કિસ્સામાં નાકના ઊંડાણમાંથી ઉદ્દભવતો પ્રવાહ હોઠની ઉત્તરે આવેલ ઢોળાવ પર થઈ ખીણમાં પ્રવેશે ત્યારે તેની ગતિ સ્કૂટી પર શિફોનનો ​​ઉત્તરીય (દુપટ્ટો યુ સી) હવામાં લહેરાવતી જતી તરુણી જેવી હોય છે. જાતકે વારંવાર આ દુપટ્ટા પર કાબુ સ્થાપિત કરતા રહેવું પડે છે. સ્ટફડ નોઝાવસ્થામાં મનુષ્યની નાસિકાના ફોરણાની હાલત કૂલ્ફીના મોલ્ડ જેવી હોય છે.​ આ બંને આ બંને અવસ્થાઓની વચ્ચે શેડાવસ્થા આવે છે, જેમાં પ્રવાહની ગતિ ધીમી હોય છે. બીજી ખૂબી એની અનિશ્ચિતતા છે. ઉપરવાસમાંથી આવરો કેટલો હશે અને વ્હેણ ક્યારે ચાલુ થશે એ બાબતે સટ્ટો રમી શકાય એવી અનિશ્ચિતતા રહેલી હોય છે. મનુષ્યના મનમાં શું રહેલું છે એ તમે કદાચ કલ્પી શકો પણ એના નાકમાં શું છે એ કહેવું અઘરું છે. જેમ નાની ચોરીમાં પકડાયેલ ચોર પાસેથી પોલીસ પાછલી દસ-બાર ચોરીનો માલ કઢાવે છે, તેવું જ શરદીમાં નાક સાફ કરનાર સાથે થાય છે. આવા કિસ્સાઓમાં નાક નસીંગતી વખતે ફોરણામાં હાજર સ્ટોકની સાથે ગોડાઉનમાં અગાઉ સ્ટોક કરેલા માલનો પણ નિકાલ કરવાનો વારો આવતો હોય છે. ઘણાને ટ્યુબલાઈટની જેમ નાકમાં શેડા ઝબકી જતા હોય છે. તો નાના બાળકોનાં નાકમાં ચાઇનીઝ લાઈટની જેમ શેડા ઝબૂકતા હોય છે. આ રોશની કેવી રીતે બંધ કરવી એ મોટા ભાગની મમ્માઓની સમસ્યા છે.

શરદી સાથે માણસને બાલ્યાવસ્થાથી જ પનારો પડતો હોઈ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એ નવી સમસ્યા ન કહેવાય, પણ શરદીથી પ્રેરિત કેટલીક બાબતો માણસને સમય જતા સમજાય છે. જેમ કે, બરફમાંથી બનાવવામાં આવતા સ્નો-મેનનાં નાક તરીકે લાલ ​ગાજર કેમ ભરાવવામાં આવે છે એ માણસને મોટી ઉંમરે શરદી થાય ત્યારે જ સમજાય છે. આમ છતાં અમને આજ સુધી એ વાત નથી સમજાઈ કે વરરાજાને પોંખતી વખતે એનું નાક ખેંચવા માટે જીવ ઉપર આવી જતી સાસુઓ જમાઈને શરદી થઇ હોય ત્યારે નાક ખેંચવા કેમ નહિ આવતી હોય?

‘શરદીની સારવાર કરશો તો એ અઠવાડિયામાં મટી જશે, અને નહિ કરો તો એ સાત દિવસમાં તો મટી જ જશે’ - શરદી અંગે બાવા આદમના બાબાને તપાસતી વખતે ડોકટરે ક્રેક કરેલી આ જોક એ શરદી બાબતની જમીની હકીકત છે. વ્યક્તિને એલોપેથી દવા પ્રત્યે નફરતની શરૂઆત લગભગ તો શરદીથી જ થાય છે. રોગની તાસીર પ્રમાણે આ નફરત સામાન્ય ચીડથી લઈને ખૂન્નસ સુધી પહોંચી જતી હોય છે. પુત્રપ્રાપ્તિ માટે શહેનશાહ અકબરે જે રીતે દરદર પર માથું ટેકવ્યું હતું એમ હઠીલી શરદીના પેશન્ટો વિવિધ ઉપચાર પદ્ધતિઓ અજમાવ્યા પછી છેવટે નાસ, વાટણ-ચાટણ, કાવા-ઉકાળા કે બાંડિયું સ્વેટર-મફલર-ટોપીના ખોળે માથું મૂકી દેતા હોય છે અને પછી એ વસ્ત્રો એમને આજીવન વળગી રહે છે.

મસ્કા ફન

ગુંગા એ શરદીનો ભવિષ્યકાળ છે !