Wednesday, January 25, 2017

હરણ મર્યું કઈ રીતે ?

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૧-૨૦૧૭
આદિકાવ્ય રામાયણના જમાનાથી હરણ ચર્ચામાં રહ્યું છે. એકદા શ્રવણકુમાર સરોવરમાંથી પાણી ભરી રહ્યો હતો એનો અવાજ મૃગયા માટે નીકળેલા રાજા દશરથને હરણ પાણી પીતું હોય એવો લાગ્યો અને એમણે શબ્દવેધી તીર માર્યું જે શ્રવણકુમારને વાગ્યું. પછી વિરહમાં વિલાપ કરતા શ્રવણકુમારના મા-બાપે દશરથને પુત્ર વિરહનો શ્રાપ આપ્યો અને આમ હરણના કારણે આખી રામાયણ થઇ. એ પછી नभूतपूर्व न कदापि वार्ता हेम्न: कुरङ्ग: न कदापि दृष्ट| અર્થાત ભૂતકાળમાં સુવર્ણ મૃગ જોયું નહોતું કે એના વિષે સાંભળ્યું પણ નહોતું છતાં પ્રભુ કાંચનમૃગ પાછળ દોડ્યા હતા અને સીતાજીનું હરણ થયું હતું. ત્યારથી લઈને ‘પછી હરણની સીતા થઇ કે નહિ?’ પૂછનારા માજી સુધીનાને આ હરણે પરેશાન કર્યા છે. હરણનો છેલ્લો શિકાર સલમાન છે. ન્યાયની દેવીની આંખો પર તો પટ્ટી બાંધેલી છે શું થયું એ તો અનુમાનનો જ વિષય છે, પણ સલમાન પર હરણના શિકારનો આરોપ મુકાયો અને એ નિર્દોષ છૂટી ગયો છે. હરણ મર્યું છે, બંદૂકની ગોળીથી મર્યું છે, પરંતુ એ ગોળી સલમાને નથી છોડી? તો થયું શું હતું ? એઝ યુઝવલ આ મામલામાં સોશિયલ મીડીયાના અમારા જેવા નવરેશોએ ઝંપલાવ્યું અને આખી ઘટનામાં ખરેખર શું બન્યું હશે એ અંગે અનેક થીયરીઓ બહાર આવી છે. 

૧) શોલેમાં ગબ્બર સિંઘે જે ત્રણ ગોળીઓ હવામાં છોડી હતી એમાંની એક ગોળી અબજો પ્રકાશવર્ષ દૂર ‘પીકે’વાળા આમીર ખાનના અવકાશયાન પર અથડાઈને પૃથ્વી તરફ પાછી આવી અને એ પેલા હરણને વાગી. યોગનુયોગ એ વખતે શુટિંગ માટે ત્યાં સલમાન હાજર હોય છે જેના લીધે એ નિર્દોષ જીવ આ મામલામાં સંડોવાઈ ગયો. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે પીકે રાજસ્થાનના રણમાં મોજે મંડાવા, જીલ્લો ઝૂનઝૂનુના પાદરમાં એ ગોળી શોધવા માટે જ ઉતર્યો હતો. એણે હરણના શરીરમાંથી કાઢેલી ગોળી પર ચોંટેલી અવકાશયાનના બોડી પેઈન્ટની પોપડીઓ ઓળખી બતાવી હશે એટલે સલમાન નિર્દોષ છૂટ્યો અને ગબ્બરનું ઓલરેડી અવસાન થઈ ગયેલ હોઈ કેસ સી સમરી ભરી ફાઈલ કરવામાં આવ્યો હશે.

૨) એક થીયરી એવી ચાલે છે કે સલમાન એના આગામી પિકચરમાં શુદ્ધ શાકાહારીનો રોલ કરવાનો હોય છે. એ માટે એ ઘાસ ખાવાની પ્રેક્ટીસ કરવા જંગલમાં ગયો હોય છે. આ તરફ સલમાન શર્ટ કાઢીને હંમેશની જેમ પુશ અપ્સ કરતા કરતા ઘાસના કોળિયા ભરતો હોય છે ત્યારે હરણના ટોળેટોળા એને જોવા ભેગા થાય છે. ત્યાં હરણીઓ, અને અમુક હરણ પણ ભાઈને ટોપલેસ જોઇને એક્સાઈટ થઈ જાય છે. આમ સલમાન વચ્ચે અને ચારે તરફ હરણ ગોઠવાઈ જાય છે, અને સલમાન ગીત ગાવાનું શરુ કરે છે. હરણ પણ કોરસમાં ડાન્સ કરવા લાગે છે. ગીત જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે મરનાર હરણના કાકાના શીંગડામાં લઘુશંકાએ ગયેલા ફોરેસ્ટ ગાર્ડની રાઈફલ ભરાઈ જાય છે અને એમાંથી ગોળી છૂટે છે. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. હરણના કાકા સામે ચાર્જશીટ ફાઈલ થઈ શકી નહિ કારણ કે ઓળખપરેડમાં વિટનેસ અનેક હરણમાંથી મજકુર હરણના કાકા કયા એ ઓળખી બતાવી શક્યું નહિ. એકંદરે સૌએ ખાધું પીધું અને રાજ કીધું.

૩) એ દિવસ રવિવાર હતો. સલમાન જંગલમાં એક ગીતના શુટિંગ માટે ગયો હોય છે. જ્યાં શુટિંગ થવાનું હતું તે જગ્યા પાસે જ હરણની વસાહત હતી. એ વસાહતનો ચોકીદાર પોતાની સર્વિસ રાઈફલ સાફ કરતો હતા. એ વખતે શુટિંગ માટે ગીતનો એકનો એક અંતરો ‘જગ ઘૂમ્યા’ વારંવાર વાગતો હતો એનાથી એમનું માથું ઘૂમી ગયું હતું. આ માથાના દુખાવાના કારણે જ એ રાઈફલ સાફ કરતા પહેલા ગોળી કાઢવાનું ભૂલી ગયા. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. ચોકીદાર સામે બેદરકારીથી રાઈફલ સાફ કરવા માટે એફ.આઈ.આર. પણ ફાઈલ થઈ. સલમાન, ફિલ્મના ડાયરેક્ટર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગીતકારનું નામ પણ ગુના માટે ઉશ્કેરણી બદલ ફરિયાદમાં સહઆરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું. જોકે અંતે સૌ નિર્દોષ છૂટી ગયા. કારણ કે ગીતની ધૂન ઉઠાવેલી હતી. નામદાર કોર્ટે ઓરીજીનલ ધૂન બનાવનારને પકડવા પોલીસને નિર્દેશ આપ્યા છે.

૪) હરણ જિંદગીથી કંટાળી ગયું હતું. એને જમવામાં રોજ ઘાસ ખાવું પડતું હતું. ઘાસ ખાલી બે પ્રકારના હતા, લીલું ઘાસ અને પીળું ઘાસ. જંગલમાં વાઘ, સિંહ નહોતા, દીપડા સિવાય કોઈ રાની પશુ નહોતા. એમ છતાં ઘાસ ખાતી વખતે હરણા સતત ફફડતા હતા કે કોઈ મોટું પ્રાણી, જેમ કે માણસ, શિકાર કરવા ન આવી જાય. જંગલમાં કોઈ પ્રાઈવસી નહોતી કારણ કે ગમે ત્યારે ડિસ્કવરી અને બીજી ચેનલ્સ શુટિંગ કરવા આવી ચઢતા. જંગલમાં જંગલના કાનુન હતા અને પુરાવાને અભાવે મોટાભાગના ગુનેગારો છૂટી જતા હતા. બીજા જંગલથી એવા પણ ખબર આવ્યા હતા કે પ્રાણીઓ માટેનો ઘાસચારો નેતાઓ ખાઈ જાય છે. આ સંજોગોમાં હરણને જીવન પોતાના શીંગડા કરતા પણ વધારે બોજરૂપ લાગતું હતું. એવામાં વ્યથિત હરણને એકવાર ઝાડને ટેકવીને ઉભેલી એક રાઈફલ પડેલી દેખાઈ. આવેશમાં આવીને એણે રાઈફલ ડુંટી પર તાકી અને પાછલા પગે એની ટ્રીગર દબાવી. આગળ શું થયું એ તો તમને સૌને ખબર છે જ!

હજી તો ઘણું ટ્રોલિંગ થશે, પરંતુ આવી બાબતોમાં સલમાન રીઢો થઇ ગયો છે. વનના મોરલા અને ‘લખ ચાર’ હરણનો શિકાર કરી ચુકેલો જેસલ જાડેજો તો સતી તોરલ સમક્ષ પોતે કરેલા પાપનો એકરાર કરીને નિર્મળ બની ગયો હતો, પણ સલમાન તો એમાંથી પણ ગયો!

મસ્કા ફન

ચાલવા અને હાલી નીકળવા વચ્ચે ઘણો ફેર છે.
હાલી નીકળવાથી કેલરી બળતી નથી.

Note: Images on this blog are not same as that published in newspaper.

Wednesday, January 18, 2017

ઉત્તરાયણમાં વધેલ સામગ્રીનો નિકાલ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૦૧-૨૦૧૭

આમ તો વધેલ ઘટેલ ફટાકડા ખપાવવા માટે દિવાળીની પાછળ પાંચમ, અગિયારસ, અને દેવદિવાળી આવે જ છે. વધેલા ફટકડા લગ્નમાં પણ ફોડી શકાય છે. વિરાટ કોહલી કે કેદાર જાધવ અંગ્રેજોની ધુલાઈ કરે ત્યારે પણ દારૂખાનું ફોડી શકાય છે. દિવાળીના રંગોળીના રંગ હોળી પર વાપરી શકાય છે. શ્રાવણ મહિનાનો વધેલો રાજગરો-મોરૈયો નવરાત્રીમાં કામ આવી શકે છે. પણ ઉત્તરાયણમાં એવું નથી થતું. ઉત્તરાયણની પાછળ વાસી ઉત્તરાયણ આવે છે, છતાં બીડી પીધા પછી જેમ ઠુંઠાનું બાકી રહેવું જેટલું નિશ્ચિત છે એટલું જ ઉત્તરાયણ નિમિત્તે ખરીદેલા માલસામાનનું માથે પડવું નક્કી છે; પછી તમે પવનને જવાબદાર ગણો કે તમારી પેચ કાપવાની આવડતને. સરકાર બજેટ વાપરવામાં નિષ્ફળ રહે છે એવી અવારનવાર ટીકા કરતા વિરોધપક્ષના નેતાઓના ઘેર દરોડો પાડો તોય આયોજનના અભાવે વધેલા પતંગ, દોરી, બોર-જામફળ અને ચીકીનો વગર વપરાયેલો જથ્થો પકડાઈ શકે છે. મોટો જથ્થો હોય તો ટેન્ડર બહાર પાડીને એનો નિકાલ કરી શકાય, પરંતુ ઓછા જથ્થાનો નિકાલ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા બની જાય છે. 
 
હોળીમાં પતંગ હોમેલા તમે જોયા હશે તમે. હોળીમાં પતંગ હોમવા પાછળનું કોઈ ધાર્મિક કારણ નહિ હોય. દિવસે દિવસે નમાલી થતી જતી નવી જનરેશન મોબાઈલ નામનો ભાણિયો રમાડવાની ધૂનમાં જે પતંગો ઉડાડી શકતી નથી તે બધા જ હોળી ભેગા કરવામાં આવે છે. આવું અમે નથી કહેતા. અમુક કાકાઓને અમે બબડતા સાંભળ્યા છે. જોકે દોરી તો હજુ વરસ મૂકી રાખી શકાય પણ સંઘરેલા પતંગ પૈકી અડધા તો હેરફેરમાં જ ફાટી જાય છે. થોડાક પર પાણી પડે છે કે ભેજના લીધે માવો બની જાય છે. આ પછી જે વધે તેને બીજા વરસે ચઢાવો તો અચૂક ફસકાઈ જાય છે. એટલે જ પતંગને હોળીમાં હોમવામાં આવે તે વાતમાંથી કોઈ બોધ લેવા પાત્ર નથી. દેશ અને દુનિયામાં રિયુઝ, રીસાયકલની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ઉત્તરાયણની વધેલી સામગ્રીનું શું કરવું એ વિષે ગંભીરતાપૂર્વક વિચારવું ઘટે.

શાકની સાથે કોથમીર ફ્રી મળે છે. પરંતુ પતંગ ખરીદવામાં હજુ પણ પુરુષવર્ગ જ વધુ ભાગ લેતો હોઈ પતંગ કે દોરી સાથે જોખમા ગુંદરપટ્ટી કે આંગળી પર પહેરવાની ટોટી ફ્રીમાં મેળવી શકતો નથી. એટલે ગુંદરપટ્ટી બાકાયદા ખરીદ કરેલી હોય છે. વર્ષ દરમ્યાન કથ્થાઈ કલરની આવી ગુંદરપટ્ટી ફાટેલી ચલણી નોટો સાંધવા સિવાય બીજા કોઈ કામ લાગતી નથી. સેલોટેપનાં આગમન પહેલાં ગુંદરપટ્ટી પતંગ સાંધવા ઉપરાંત ગીફ્ટ પેક કરવામાં, કે કેલેન્ડર-ડ્રોઈંગશીટ સાંધવા માટે પણ વપરાતી. હવે પરંપરા મુજબ પતંગ સાથે ગુંદરપટ્ટી લાવવામાં તો આવે છે પણ ગર્લફ્રેન્ડ આગળ ઈમેજ બગડતી હોઈ કોઈ સાંધેલા પતંગ ચગાવતું નથી. ક્યારેક ભારે પવનમાં પતંગને સ્થિર રાખવા માટે પૂંછડી તરીકે ઉપયોગ કરીને નિકાલ કરાય છે. આમેય હવે ગુંદરપટ્ટીમાં અસલના જમાના જેવી ક્વોલીટી પણ ક્યાં રહી છે? હવેની ગુંદરપટ્ટી પર થૂંક લગાડવા જતા મોઢામાં ગુંદરનો સ્વાદ અને પટ્ટી પર થૂંક જ રહે છે.

તલસાંકળી અને સિંગની ચીકી આ બે વસ્તુઓ ઉત્તરાયણની ખાસ આઈટમ ગણાય છે. પરંતુ ગુજરાતમાં ખાસ સારી ક્વોલીટીની બનતી ન હોઈ મોટેભાગે લોનાવાલાની ચીકી વેચાય છે. એમાં ઘરની બનાવેલી ચીકીમાંથી સિંગ છૂટી રખડતી હોઈ એ ન સિંગદાણા તરીકે ચાલે છે ન ચીકી તરીકે. એકંદરે ઉત્સાહથી બનાવેલી ચીકી પ્લાસ્ટિકના ગેરકાયદેસર ઝભલા-થેલીમાં ધાબામાંથી પાછી આવે છે. તલની ચીકી તો ઘણી વખત કડક લાકડા જેવી હોય છે. આવી ચીકીનું શું કરવું એ યક્ષ પ્રશ્ન છે. મહાભારતવાળા યક્ષે યુધીષ્ઠીરને આ પ્રશ્ન પૂછ્યો હોત તો મહાભારતની કથા ત્યાં જ પૂરી થઇ જાત. આ પ્રકારની પાષાણયુગના અવશેષ સમી ચીકી ઉપર પીયુ સ્પ્રે કરીને એને પેપરવેઈટ તરીકે ઉપયોગમાં લઇ શકાય. ફ્લેટ રોટલા જેવા શેપની તલસાંકળી ઉપર પીયુ સ્પ્રે કરીને ડાઈનીંગ ટેબલ પર ટેબલ મેટ તરીકે વાપરી શકાય. તલના લાડુ જો બરોબર ગોળ વળ્યા હોય તો ફલોરિંગ બરોબર લેવલમાં છે કે નહિ તે નક્કી કરવા ગગડાવી શકાય. છેવટે કોઈ આપણી દોરીની ઝોલ લૂંટતું હોય તો આવી ચીકીથી ચીકીમારો કરી સામનો કરી શકાય. ઉદ્યમી લોકો ચીકીના બે ટુકડા વચ્ચે ફટાકડાના ચાંદલિયા મુકીને ભીંત ભડાકા બનાવી શકે કે પછી પતંગ લપટાવવા માટે લંગસીયામાં પથ્થરની જગ્યાએ ચીકી વાપરીને મા-બાપની ઈજ્જતના ભડાકા કરી શકે. અમે ચીકીથી ભીંતમાં ખીલી ઠોકેલી છે એ આપની જાણ સારું.

ચગાવવા સિવાય પતંગનો બીજો શો ઉપયોગ થઇ શકે? ઉત્તરાયણ પછી વધેલા પતંગના કાગળનો ઓરીગામી અને ક્રાફ્ટમાં ઉપયોગ સર્વ સામાન્ય છે. પતંગના કમાન ઢઢ્ઢાનાં તીર કામઠા બનાવીને અમે સોસાયટીના રાવણો સાથે લડ્યા છીએ. ઢઢ્ઢાની બે ચીપો વચ્ચે ફુગ્ગાનું રબ્બર ભરાવીને પીપૂડી પણ બનાવી છે. કાળા પતંગમાંથી વેતાલ (ફેન્ટમ)ના આઈ માસ્ક બનાવીને ક્લાસની છોકરીઓને છેડતા જંગલીઓને ઠમઠોર્યા છે. રંગીન કાગળથી ન શોધાયેલા દેશના ઝંડાઓ બનાવ્યા છે. નવરાત્રી વખતે એ જ કાગળના તોરણો બનાવીને મલ્લા માતાને શણગાર્યા છે. તમે રંગીન કાગળના ગોળ ગુલ્લા બનાવીને પથ્થરથી હવામાં ઉડાડ્યા છે કદી? અમે એ પણ કરેલું છે. પણ એનાથી કેટલા પતંગનો નિકાલ થાય? એમાં ઉત્તરાયણના તહેવાર ગાયને ઘાસ ખવડાવીને પુણ્ય કમાવાનું ભૂત લોકોને ઉપડતું હોય છે. એમાં આડે દિવસે ઝભલા થેલી સહીત એંઠવાડ ખાઈને પેટ ભરતી ગાયો પતંગના કાગળને સુંઘતી પણ નથી. આ સંજોગોમાં બે દિવસ મોબાઈલ સ્વીચ ઓફ રાખીને પતંગનો ચગાવવાથી વધુ સારો ઉપયોગ અમને દેખાતો નથી.

મસ્કા ફન
રેલ્વેમાં બે પ્રવાસી.
પહેલો : હું કવિ છું

બીજો : ઓહો નાઈસ, હું ઇન્સ્યોરન્સ એજન્ટ છું.

Thursday, January 12, 2017

કમુરતામાં શુભ આરંભ !


શુભ આરંભ મુવીનો આજે સ્પેશીયલ શો હતો. એ જોઇને હમણાં જ આવ્યા અને આ લખું છું. શુભ આરંભ ફિલ્મના હીરોનું નામ શુભ છે પરંતુ હીરોઈનનું નામ આરંભ નથી એ જસ્ટ જાણકારી માટે. ગોર્જીયસ પ્રાચી શાહ અને પ્રભાવશાળી હર્ષ છાયાના ઓથેન્ટિક પરફોર્મન્સ સાથે નવી ગુજરાતી ફિલ્મોનો માહોલ કાતિલ ઠંડી સાથે જામતો જાય છે.


ફિલ્મમાં હર્ષ છાયા કવિ અનુપમ મહેતાનો રોલ કરે છે, અને સાત-આઠ કવિતા સંભળાવે છે એ છતાં ફિલ્મ જોવાલાયક છે! મજાક કરું છું, કવિતા છે પરંતુ સાંભળવી ગમે તેવી રીતે હર્ષ રજૂ કરે છે! ફિલ્મમાં અનુપમને કવિ તરીકે સંબોધી છે ત્યારે ઓડીયન્સમાં ખખડાટ થઈ જાય છે. ફિલ્મમાં થોડા ઈમોશનલ સીન પણ છે જેમાં ઓડીયન્સ ઈમોશનલ થતી નથી. ફિલ્મમાં અંગ્રેજી સબટાઈટલ પણ છે એટલે એનઆરઆઈ ઓડીયન્સ અને નેશનલ એવોર્ડ માટે ધ્યાનમાં લઈને ફિલ્મ બનાવી હોય તો નવાઈ નહિ !
ફિલ્મમાં રિદ્ધિમા મેરેજ કાઉન્સેલર છે અને USAમાં બોર્ન એન્ડ બ્રોટ અપ શુભ ડર્યા વગર બરફ ગોળા ખાતો એનારાઈ મુરતિયો. વાર્તા બેઉના લગ્નની છે. હીરો-હિરોઈનને ભરત અને દીક્ષાને ક્લોઝઅપમા જોયા પછી ગુજરાતમાં dentistsને સારો સ્કોપ છે એવું લાગે ... પણ બેઉએ સરસ કામ કર્યું છે. લાલાના રોલમાં આર્જવ પોળની ભાષા, જેમ કે પપ્પાને બદલે ‘અપ્પા’, બોલી ધમાલ કરાવે છે, એ સળંગ એન્ટરટેઈનીંગ છે.

ગીતો અને મ્યુઝીક ગમે એવા છે પરંતુ લાંબો સમય માટે રહે તેવા નથી. પ્રોડક્શન વેલ્યુની રીતે દિવસે દિવસે ગુજરાતી ફિલ્મો સુધરી રહી છે. એકંદરે શુભ આરંભ સિમ્પલ, ક્લીન, ફેમિલી એન્ટરટેઈનમેન્ટ છે.
અહીં કવિ એવું કહેવા માંગે છે, કે જોઈ આવો યાર બહુ વિચાર ના કરશો !


-- 
ઓફીશીયલ ટ્રેઇલર :
https://www.youtube.com/watch?v=Cki6JSRtFxM

Wednesday, January 11, 2017

ચાલવાના ગેરફાયદા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૧-૦૧-૨૦૧૭

જર્નાલીઝમમાં કહે છે કે કુતરું માણસને કરડે એ સમાચાર નથી પરંતુ માણસ કુતરાને કરડે તો એ સમાચાર બને છે. આટલી પાયાની સમજ હોવા છતાં અખબારો શિયાળામાં ચામડીની સંભાળ, ચોમાસામાં પેટના રોગથી બચવાની જાણકારી, ઉનાળામાં કેવા વસ્ત્રો પહેરવા પ્રકારની ચીલાચાલુ માહિતીથી પૂર્તિઓ ભર્યા કરે છે. ખરેખર તો શિયાળામાં ચામડી પર સફેદ ઉઝરડા પડતા હોય તો એના પર કેવા પ્રકારના સ્કેચ કરી શકાય, ચોમાસામાં વધારે ખાવાના ફાયદા, અને ઉનાળામાં સુટ-સ્વેટર પહેરવાની મઝા, એવા આર્ટીકલ છાપવામાં આવે તો લોકો કુતુહલના માર્યા પણ એ વાંચે. ખેર, એ બધું તંત્રીઓની મુનસફી પર છોડીએ, પરંતુ અમારા જેવા આળસુ માણસો માટે કમસેકમ એક આર્ટીકલ શિયાળામાં ચાલવાના ગેરફાયદા ઉપર તો લખી જ શકાય. 
 
Source of this image is not Navgujarat Samay, unknown
હવે ચાલવું મજબૂરી નથી. જૂનાં સમયમાં લોકો એક ગામથી બીજે ગામ ચાલતા જતા હતા, કારણ કે એ વખતે વાહનવ્યવહાર હતો જ નહિ. હા, ઉઘરાણી માટે ધક્કા ખાઈ ખાઈને લોકો ચંપલ-બુટના તળિયા ઘસાય છે. આમાં મજબુરી છે. ઘણા અભાગિયા રૂપિયા ખર્ચીને ટ્રેકિંગ કરવા જાય છે અને પોતાના ઘરથી પંદરસો કિમી. દુર ટેન્ટમાં રહી, ભારે અગવડોનો સામનો કરી, પહાડી રસ્તા પર ચાલવા જાય છે. આપણા શહેરમાં ગટરના ખોદકામ વખતે થયેલા માટીના ઢગલા ઉપર ચાલીને વેપારીઓ અને સ્થાનિક રહીશો મફતમાં ટ્રેકિંગ કરે છે. કોઈ દિવસ તમે કોઈ મજુરને ટ્રેકિંગ કરવા જતો જોયો?

જો માણસ રોજીંદા કામકાજમાં વાહનનો ઉપયોગ ટાળે અને લીફ્ટને બદલે દાદરા ચઢે તો કોઈને ખાસ ચાલવા જવાની જરૂર પડે જ નહિ. ચાલવાથી ચંપલ-બુટ ઘસાય એટલી તો બધાને સમજ હશે જ. ભારતની વસ્તીના એક કરોડ લોકો પણ જો ચાલવા જતા હોય, અને અડધો કલાક ચાલવાથી અંદાજે ચારેક હજાર જેટલા પગલા ભરાય છે. વરસમાં ત્રણસો દિવસ આ લોકો ચાલે તો બધાના મળીને ૧૨૦,૦૦૦,૦૦૦,૦૦,૦૦૦ પગલા થયા! ભૂલચૂક લેવીદેવી. વિચારો કે આટલું ચાલવાથી કેટલા જોડી બુટ નવરા થઈ જાય? ઉપરાંત રોડ ઘસાય એ જુદો. એ પણ કોઈ કારણ વગર. આ ઉપરાંત કપડા બદલવા અને બુટ પહેરવા કાઢવામાં બીજો અડધો કલાક થાય. બીલ ગેટ્સ એક મીનીટમાં ૨૩,૧૪૮ ડોલર કમાય છે, મતલબ કે તમે માત્ર અડધો કલાક ચાલો અને એની આગળ પાછળ બીજો અડધો કલાક બગાડો છો એટલામાં બીલ ગેટ્સ ૯,૫૮,૩૨,૭૨૦ રૂપિયા કમાઈ લે છે! શરમ આવવી જોઈએ તમને!

કેટલાક અઠંગ ચાલુઓ એટલે કે રીઢા ચાલનારાઓએ પણ અમારા જેવા લોકોને કનડવામાં બાકી રાખ્યું નથી. ક્યારેક વહેલી સવારે દૂધ લેવા જતાં અમે જોયું છે કે સ્થૂળકાય લોકોની સાથે સાથે સૂકલકડી અને ખેંપટની કક્ષામાં આવતા લોકો પણ ચાલવા-દોડવા નીકળી પડતા હોય છે. અલા દેઢ પસલી, પાંચ ફૂટ પાંચ ઇંચ હાઈટવાળો એંશી કિલોનો દાગીનો દોડવા નીકળે એ સમજ્યા, પણ તું શું કામ હાલી નીકળ્યો છે? હજી વધારે વજન ઉતરશે તો તું મિસ્ટર ઇન્ડિયાની જેમ હવામાં ઓગળી જઈશ, પણ તારા લીધે અમારા પોટ-બેલીડ બકાઓ ડીપ્રેસનમાં આવી જશે તો એના ઘરના રખડી પડશે. અમારી તો માગણી છે કે કુશ્તીમાં જેમ વજન પર નિયંત્રણ હોય છે એમ અમુકથી ઓછા વજનવાળા લોકોને સુપ્રીમ કોર્ટે ચાલવાની મનાઈ કરી દેવી જોઈએ.

આપણે ત્યાં કવિઓ અને હાર્ટ સ્પેશીયાલીસ્ટો ચાલવા અને ચાલતા રહેવાની વિચારધારાનો સ્ત્રોત રહ્યા છે. હવે ડોકટરો કહે એ તો સમજ્યા કે એ આપણી તબિયત માટે જરૂરી છે પણ શાયરો કહે ત્યારે સાલું લાગી આવે! કવિ કહે છે કે જીવન એટલે ચાલવું અને ચાલવાને જ જીવન ગણીને ચાલતા રહો. બરોબર છે. તમારે હાર્ટ ટ્રબલ હોય તો ચાલો, અને ન હોય તો ભવિષ્યમાં ટ્રબલ ન થાય એ માટે ચાલો. પણ રસ્તો વાંકોચૂકો કે ઉબડખાબડ હોય અને પગ મચકોડાય તો હળદર-મીઠાનો લેપ કરવો, ગરમ પાણીનો શેક કરવો કે બરફ ઘસવો એ બાબતે કેમ કોઈ ચોખવટ કરતુ નથી? અંધકાર, આંધી-તોફાન કે રસ્તાના કાંટાથી ડર્યા વગર ચાલવાનું કહેવામાં આવે છે, પણ અંધારું હોય તો ટોર્ચ રાખો, કૂતરા ભગાડવા માટે લાકડી રાખો, કાંટા ન વાગે એ માટે બૂટ પહેરો કે પાકા રસ્તે જ જાવ એવું પ્રાથમિક માર્ગદર્શન આપ્યા વગર આપણને એકલા ચાલી નીકળવા માટે હાકલ કરવામાં આવે એ ક્યાંનો ન્યાય છે?

અહી કવિ કહેવા એ માંગે છે કે ચાલવામાં હેતુ, દિશા અને લક્ષ્ય તરફ સતત ગતિ એ સૌથી અગત્યની બાબત છે. ઘાણી એ જોડેલો બળદ પણ ચાલે છે, પણ એના ચાલવામાં ફક્ત ઘાણીના માલિકનો હેતુ સચવાય છે. ગોળ ફરતો હોઈ ચાલવાની દિશા સતત બદલાતી રહે છે. એ ગતિ કરે છે પણ ઘાણીના ચીલાથી આગળ નહિ. અર્થાત ગતિ ખરી પણ પ્રગતિ નહિ. આવા બળદોને ખુલ્લા મેદાનમાં છુટ્ટા મુકીએ તો પણ એ ગોળગોળ જ ફરે! સ્વામી વિવેકાનંદજી એ પણ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય-પ્રાપ્તિ સુધી થોભો નહિ. એનો મતલબ સમજવાનો હોય નહીં કે સવારે બ્રશ કર્યા વગર હાલવા માંડવાનું! અમે માનીએ છીએ કે ચાલવાથી ફાયદો થાય છે. અમે ફક્ત અમથા અમથા ચાલવાની વિરોધમાં છીએ. ગાંધીજીએ દાંડીયાત્રા શરીર સુધારણા માટે થોડી કરી હતી? એમનું તો શરીર પણ વયને હિસાબે એ શ્રમને પહોચી વળે એવું નહોતું. પણ યાત્રા કરી, સત્યાગ્રહ પણ થયો અને છેવટે દેશ આઝાદ પણ થઇ ગયો! યાર, ગુજરાતી થઈને આટલું તો વિચારો!

મસ્કા ફન

હિંસક ટોળામાં પણ હું બિન્ધાસ્ત પેસું છું બકા,
મુશાયરામાં હું પહેલી લાઈનમાં બેસું છું બકા!

Wednesday, January 04, 2017

કાચ વગરની દોરી અને કેશ વગરનું પાકીટ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૪-૦૧-૨૦૧૭

ટાલીયાઓ અને કેશધારીઓ, સૌનું અગામી વરસ કેશલેસ જશે. આવું કોઈ જ્યોતિષાચાર્ય એ નથી કીધું પરંતુ પ્રધાનમંત્રીના પ્રવચનો સાંભળીને લાગે છે. અને આ ઉતરાયણ કસ વગરની જશે. આવું કોઈ બીઝનેસ એનાલીસ્ટ નથી કહેતા પરંતુ સુપ્રિમ કોર્ટના કાયદાનો અમલ થશે તો જે પરિસ્થિતિ સર્જાશે તેની આગાહી છે. ૨૦૧૭ માં દોરી કાચ વગરની અને પાકીટ કેશ વગરના થાય એવું એકંદરે જણાઈ રહ્યું છે. આમ ચાલ્યું તો અગામી દિવસોમાં સુપ્રિમ કોર્ટના આદેશો થકી આપણે ઘોડા વગરનો વરઘોડો, રંગ વગરની હોળી, ફટાકડા વગરની દિવાળી, અને ગરબા વગરની નવરાત્રી કરતા થઈ જઈશું. આ બધું થશે પછી ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ફેર નહિ રહે.
 
આમ તો સુતરનો તાંતણો જયારે રાખડી બને ત્યારે એમાં ગજબની તાકાત આવે છે. પરંતુ બહેનના ગમે તેટલો પ્રેમ અને આશીર્વાદ સહીત પતંગ ચગાવો, પરંતુ દોરી જો કાચી હશે તો પતંગ ઉડશે જ નહિ અને ઉડશે તો ઝટ વહેતા થઈ જશે. અરે બહેનના હેતના થૂંકવાળી ગુંદરપટ્ટી પતંગ પર લગાડેલી હશે તેનાથી પણ પતંગ ચગશે નહિ. આવડત ઉપરાંત પતંગ ચગાવવા માટે હવા અને સારી દોરી જોઈએ. અને કાચ વગરની દોરી સારી નથી ગણાતી. એવી દોરી નાજુક હોવાથી ખાલી ઠુમકો મારવાથી તૂટી જાય. જેમ પાનમાં લેડીઝ પાન આવે છે એમ આવી કાચી દોરીને લેડીઝ દોરી કહી શકાય. આમેય પરણેલા પુરુષની દોરીઓ લેડીઝોના હાથમાં જ હોય છે ને ?

જોકે ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. એટલે જેમ દારૂબંધીનો કડક અમલ થાય તો રસિકજનો ગુજરાત છોડી દીવ, દમણ, ગોવા, આબુ જેવી ‘સ્પીરીચુઅલ’ જગ્યાઓએ નવું વર્ષ ઉજવવા ઉપડી જાય છે, એમ ઉત્તરાયણ માટે પણ બની શકે કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અમુક વધુ સાહસિક લોકો બેંગકોક સુધી લાંબા થશે. લેભાગુ અને વગર લેભાગુ ટ્રાવેલ એજન્ટો કેશક્રંચ વચ્ચે જુગાડું ગુજરાતીઓને ચાઈનામાં ચીલ અને ફ્રાન્સમાં ફૂદ્દી ઉડાડવા સાથે સારંગપુરના દેશી તલની ગરસાડાના દેશી ગોળમાં ઓસ્ટ્રેલીયન ધીંગી ગાયના પીળી ઝાંયવાળા ઘીમાં બનાવેલી પારદર્શક તલસાંકળી, ધોળકાના કેનાલમાં ડીઝલ પંપ મૂકી મફત ખેંચેલા નર્મદાના પાણી વડે સિંચેલા વાડીના લીલેરા લીલાલસ જામફળ, સાયણની રસઝરતી શેરડીની ગંડેરીના ફેકટરીમાં કર્યા હોય એવા સપ્રમાણ ટુકડા અને ગેરતપુરના ખટમીઠાં ચણીબોર સહિતના પેકેજ ઓફર કરશે. હવે તમે એમ ના પૂછતાં કે ઓસ્ટ્રેલીયન ગાયનું ઘી અને ગેરતપુરના ચણીબોરને એવું બધું તો તો પહેલીવાર સાંભળ્યું, તે અમેય પહેલીવાર સાંભળ્યું છે, આ તો માર્કેટિંગ માટે આવું લખવું પડે. બાકી ભોજ્યો ભાઈ બોરનો ડીએનએ ટેસ્ટ કરાવવા જવાનો છે કે બોર ગેરતપુરના છે કે જેતલસરના !

કોઈ પણ વસ્તુ વગર ચલાવી લેવાનું આવે ત્યારે આપણી પ્રજાની જુગાડુંવૃત્તી ખીલી ઉઠે છે. હોસ્ટેલમાં રહેતા ત્યારે પોતાનું સર્વસ્વ લુંટાવી ચુકેલી શેવિંગ ક્રીમની ટ્યુબ પર વેલણની જેમ પેન્સિલ ફેરવીને એનો રહ્યોસહ્યો જીવ પણ કાઢી લેવાનો પાઠ શીખ્યા હતા. એમાં બે ત્રણ દિવસ નીકળી જાય, પણ બજારમાંથી નવી ટ્યુબ લાવવાનું યાદ આવતું નહિ. અડધી રાત્રે ચૂનો ન મળે તો બુધાલાલ તમાકુના બંધાણીઓને ભીંત પરથી ચૂનો ઉખાડીને નાખતા જોયા છે. રસોઈમાં ગણિતના પ્રમેયની જેમ શાકનો સ્વાદ ધારી લેવાનો આવે ત્યારે અમે આજે પણ એમાં રતલામી સેવ કે ચીલી સોસ નાખીને પ્રમેય સાબિત કરીએ છીએ. (આ ટીપની ફી અમને ‘ભીમ’ મારફતે મોકલી આપવા વિનંતી) આમ છતાં ન કરે નારાયણ અને દોરી વગર પતંગ ચગાવવાનું આવ્યું તો શું કરીશું એ વિચારે કંપી ઉઠાય છે.

કદાચ આનો જવાબ ‘માઈમ’માં છે. ‘માઈમ’ એટલે કે મૂક નાટક. એ એક એવો નાટ્ય પ્રકાર છે જેમાં ટેબલ, ખુરશી, છરી, છત્રી કે બંદૂક જેવી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ન હોય તો પણ ફક્ત અભિનયથી એની હાજરીનો અનુભવ કરાવવામાં આવે છે. એજ પ્રમાણે માઈમથી ઉત્તરાયણ ચોક્કસ ઉજવી શકાય. એમાં પતંગ-દોરી વગર માત્ર અભિનયથી ઉત્તરાયણ કરવાની હોઈ પર્યાવરણની રક્ષાનો ઉચ્ચ હેતુ પણ જળવાય. કાલ્પનિક હવા, કાલ્પનિક ઠુમકા, રાજેશ ખન્નાના સ્ટાઈલની કાલ્પનિક ખેંચ મારવાની અને દરેક ખેંચ પછી ‘કા... પ્યો ... છે ...’ બૂમ પાડવાનો મૂક અભિનય કરવાનો જેથી ધ્વની પ્રદૂષણ પણ ન થાય.

ગર્લ્સ આમ પણ ધાબામાં કેપ-ગોગલ્સ પહેરીને અમથી અમથી ફરતી હોય છે, તો એ કામ ચાલુ રાખી શકે. જરા વધારે ધામધૂમ કરવી હોય તો પાછળ એક ફોલ્ડરને ફીરકી પકડી હોય એમ હાથ રાખીને ઉભો રાખવાનો અને કાલ્પનિક પેચ લડાવતી વખતે એને ‘આવી જ રીતે ફીરકી પકડીશ તો આપણો કપાઈ જશે ...’ કહીને ભાંડવાનો પણ ખરો. બરોબર પતંગ ચગાવતા ન આવડતું હોય એ લોકો છૂટ અપાવવાની પ્રથાનો લાભ લઇ શકે. ફક્ત એમાં સામેવાળો છૂટ આપે, બરોબર ત્યારે જ ઠુમકો મારીને પતંગ ઉંચે લેવાનો ટાઈમિંગ સાચવવો પડે. એક ધાબામાં ચૌદ જણા આ રીતે પતંગ ચઢાવે તો પણ અંદરો-અંદર પેચનો કે ગૂંચળા થવાનો પ્રશ્ન જ નહિ. વધુ વાસ્તવિક બનાવવા આંગળીમાં કાપા પડ્યા હોય અને એમાંથી લોહી કલ્પીને આંગળી ચૂસી શકાય કે ‘મને ઉ થયું છે, ફૂંક મારને..’ એમ કહીને ફીયાન્સી પાસે ફૂંકો પણ મરાવી શકાય. અને બાકી હોય તો ખભા દૂખે ત્યાં સુધી ખેંચવાની એક્ટિંગ કરી શકાય જેથી રાત્રે ઊંઘ પણ વીતેલી ઉત્તરાયણની રાતો જેવી જ આવે. બસ તમારે ઉત્તરાયણની સ્કીનમાં ઘૂસી જવું પડે. આમાં રૂપિયાનો પણ ખર્ચો નથી, બિલકુલ કેશલેસ, કોર્ટના આદેશ મુજબ અને આપણા तेन त्यक्तेन भुंजीथा: અર્થાત ત્યાગીને ભોગવવાના સિદ્ધાંત સાથે પણ એકદમ સુસંગત!

મસ્કા ફન
અઠંગ ફેસબુક-વોટ્સેપીયાઓ નવરાશમાંથી પણ સમય કાઢી લેતા હોય છે!