Showing posts with label મુનસીટાપલી. Show all posts
Showing posts with label મુનસીટાપલી. Show all posts

Wednesday, March 29, 2017

મોજડીની શોધ કઈ રીતે થઈ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૯-૦૩-૨૦૧૭

ધૂળના કારણે રાજા કંટાળી ગયો હતો. રાજા કદાચ અમદાવાદ જેવા નદીની રેતમાં રમતા પ્રદેશનો હશે. આમ તો જંગલમાં શિકાર કરવા જાય ત્યાં ધૂળ ઉડે એનો રાજાને વાંધો નહોતો, પરંતુ પોતાના રાજ્યમાં જ્યાં ત્યાં ખોદકામ થયેલું હતું તેવામાં મોર્નિંગ વોક કરવા જાય તો એના પગ ગંદા થઈ જતાં હતા. તેમાં પટરાણી એને ગંદા પગે રાણીવાસમાં પ્રવેશ કરવા દેતી નહોતી. આ ઉપરાંત લોકો પણ ધૂળથી કંટાળી ગયા હતા અને અગામી ઇલેકશનમાં વોટ નહીં આપીએ એવી ફોગટ ધમકીઓ પણ આપતા હતા. ખુલ્લા માથે ફરનારના માથા ધૂળથી ભરેલા રહેતા અને એ રીતે ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ..’ પંક્તિઓ અનાયાસે યથાર્થ ઠરતી. કોઈપણ જાતનો ‘હસીન ગુનો’ કર્યા વગર વૃદ્ધોના ધોળામાં ધૂળ પડતી. તો એની સામે માશુકાની ઝુલ્ફોમાંથી નીકળેલી ધૂળ બિલ્ડીંગ કોન્ટ્રાકટરોને વેચીને કવિઓ પણ બે પાંદડે થયા હતા.

કંટાળીને રાજાએ મુનસીટાપલીના ઈજનેરોને ધૂળ માટે જવાબદાર ઠેરવવા ફરમાન બહાર પાડ્યું હતું. પરંતુ ખાડા ખોદાય તો ધૂળ ઉડે છે, માટે જો કામ જ ન થાય તો ધૂળ ઉડે નહીં, અને આ મુદ્દે પણ ઈલેકશન હારવાની સંભાવના રહેલી હતી. આમ ઈજનેરોએ પોતાની નિષ્ફળતા એવી ધૂળ વિકાસની નિશાની છે, એવું રાજાના મગજમાં ઠસાવી દીધું હતું. એકંદરે રાજાએ ધૂળનો ઉપાય શોધવા કન્સલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પાડ્યા હતા. ‘ટેન્ડર બહાર પડી ગયા છે તો વહેલામોડા કામ થશે જ’ એવું ગાજર લટકાવી બીજા છ મહિના ખેંચી શકાશે તેવું રાજાને એના ચીફ સેક્રેટરીએ સમજાવ્યું હતું.

ટેન્ડરની શરતો મુજબ અરજદારે પોતાનો ઉપાય બતાવવાનો હતો, જેમાં ‘ખાડા ખોદવા બંધ કરવા’ જેવો ઉપાય માન્ય નહીં ગણાય તેવું સ્પષ્ટ શબ્દોમાં ત્રણ જુદી જુદી જગ્યાએ લખેલું હતું. અરજદારે બતાવેલો ઉપાય કારગત નીવડે તો જ એને ફી મળે, એવી કડક શરત પણ ટેન્ડરમાં હતી. અને અરજદારોને પણ ખબર હતી કે કદાચ એમનું ટેન્ડર મંજુર થાય તો પણ મુનસીટાપલી પાસેથી રૂપિયા કઢાવવા એ અંગુરી રબડીમાંથી અંગુર કાઢવા જેટલું અઘરું કામ હતું.

આમ છતાં બાંકડે બાંકડે કોર્પોરેટરના નામ લખવા માટે મશહુર મુનસીટાપલીના આ કામમાં આકડે મધ દેખાતા ઘણા ટેન્ડરો આવ્યા. એક અરજદારે તો રોડ પર સવાર સાંજ પાણી છાંટવાનો પ્રયોગ બતાવ્યો હતો. જોકે પ્રજાને પીવા પાણીના ધાંધિયા હોય ત્યારે રોડ પર પાણી છાંટવાની મુર્ખામી કરાય નહિ તેમ છતાં પાર્ટી ભલામણ વાળી હતી એટલે એના ઉપાયને પ્રાયોગિક ધોરણે ચકાસ્યા બાદ, ઘણું દબાણ હોવા છતાં, રાજાનો મૂળ પ્રશ્ન સોલ્વ થતો ન હોવાનાં કારણે રીજેક્ટ કરાયું હતું.

એક એજન્સીએ આખા શહેરની ખુલ્લી જમીન પર લીંપણ કરવાના ‘ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ’ સાથે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગીના એક વિસ્તારમાં સ્વખર્ચે લીંપવાની કામગીરી કરી આપવાની ઓફર પણ મોકલી હતી. પરંતુ નગરની ભેંશો અને ગાયોની કુલ છાણ ઉત્પાદન ક્ષમતા સામે છાણાચ્છાદન કરવાનો થતો વિસ્તાર વધુ હોઈ છાણની આયાત કરવાના પ્રશ્ને મામલો અટક્યો હતો. દરમ્યાનમાં પાયલોટ પ્રોજેક્ટમાં પણ હતાશાજનક પરિણામ મળતા ‘ધૂળ પર લીંપણ’ કહેવત અસ્તિત્વમાં આવી હતી.

રોડ સાફ કરવાના ઓટોમેટીક મશીન ખરીદવા જેવો મોડર્ન ઉપાય પણ એક પાર્ટીએ બતાવ્યો હતો પરંતુ ટ્રાયલ રનમાં જ રસ્તા ઉપર રોડા અને પોદળાને લીધે મશીન ખોટકાઈ ગયું હતું. એકંદરે અનેક ઉપાયોની નિષ્ફળતા બાદ એક અરજદારે પગમાં પહેરી શકાય તેવા ચામડાના ઉપરથી ખુલ્લા અને નીચે અને આજબાજુથી બંધ એવા એક પરિધાનની શોધ કરી હતી. કન્સલ્ટન્ટના એક જાણીતા અને માનીતા મેન્યુફેકચરર દ્વારા આ પદાર્થ કે જેને ‘મોજડી’ નામ આપવામાં આવ્યું હતું તેના સેમ્પલ પણ રાજા અને એની આખી ટીમને ભેટ આપવામાં આવ્યા હતા જે રાજાને પસંદ પડી ગયા હતા. આ મોજડી સમય જતા ચંપલ,​ ​જોડા,​ ખડાઉ, જૂતા, ખાસડા, બૂટ, સેન્ડલ, જેવા અનેક નામે ઓળખાતી થઈ.

મર્ફીઝ લૉ મુજબ દરેક મોટા પ્રશ્નની અંદર બીજા નાના નાના પ્રશ્નો બહાર આવવા મથી રહ્યા હોય છે. એવું જ આ કિસ્સામાં પણ બન્યું. પગ પર લાગતી ધૂળનો પ્રશ્ન જૂતાની શોધથી ઉકલ્યો તો માધ્યમિક સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના માથે હિન્દીના પેપરમાં ‘જુતે કા આવિષ્કાર’ પાઠમાંથી પૂછાતી ખાલી જગ્યા, ટૂંક નોંધ અને ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાની ઉપાધી આવી પડી. કાળક્રમે અણવરોના માથે પણ વરરાજાની મોજડીને ‘દુલ્હે કી સાલીઓ’થી બચાવવાની નવી જવાબદારી આવી. નેતાઓ માટે કઠણાઈ એ થઇ કે પ્રજા પાસે તેમના પર દૂરથી પ્રહાર કરવા માટે એક નવું પ્રક્ષેપાસ્ત્ર આવ્યું અને એના સફળ પ્રયોગો પણ થવા માંડ્યા. આથી વિરુદ્ધ નેતાઓ અધિકારીઓ સામે ધાર્યું ન થતા ચંપલ પ્રયોગ કરવા લાગ્યા. જોડાને પાછળ લટકાવી બુરી નજરથી ખટારાને બચાવવાના પ્રયાસો પણ થયા, પરંતુ આ લટકતા જોડા ખટારાની બુરી નજરથી પ્રજાને બચાવી શક્યા નહીં. મંદિરમાં ચિંતામુક્ત થવા માટે જતા ભક્તજનો માટે મંદિર બહાર ઉતારેલા ચંપલની ચિંતાએ ‘મન માળામાં અને ચિત્ત જોડામાં’ જેવી પરિસ્થિતિ ઉભી કરી. આની સામે બહાદુર યુવતીઓને એન્ટી-રોમિયો સ્કવોડની મદદ વગર રોડ-સાઈડ રોમિયોનો સામનો કરવા માટે એક સુગમ અને પગવગું શસ્ત્ર મળ્યું, આથી વધારે બહાદુર મહિલાઓએ પેન્સિલ હિલના ફેશનેબલ સેન્ડલ પહેરીને સોફ્ટ કાર્પેટ પર ચાલી બતાવવાના પ્રયોગો પણ કરી બતાવ્યા. તો હિલસ્ટેશન ફરવા ગયા બાદ, વાહનોના પ્રતિબંધને પગલે, ચાલી ચાલીને ચંપલ તોડનારી પત્નીઓના ચંપલ રીપેર કરાવવાનું ભગીરથ કાર્ય પતિઓના ભોગે આવવા લાગ્યું. આમ એકંદરે ધૂળથી બચવા જેની શોધ થઈ હતી તે મોજડી સમય જતા માથાનો દુખાવો બની ગઈ છે, જોકે ધૂળની સમસ્યાનો એ હજુ પણ એકમાત્ર ઉપાય બની રહી છે.

મસ્કા ફન

રોડ પર સીટીઓ મારતો હોય એ કૂકરની સીટીઓ ગણતો થઈ જાય એનું નામ લગ્ન.




Wednesday, March 08, 2017

કૂતરાઓના સારા દિવસ જાય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૩-૨૦૧૭

દેશમાં દિવસે દિવસે પ્રાણીઓ માટે સહાનુભુતિ વધી રહી છે. ખાસ કરીને કૂતરાઓ માટે. કુતરા પાળવાના નવા નિયમો આવી ગયા છે જેનાથી ઘરમાં કુતરા રાખતા લોકોને માથે જવાબદારી વધી છે. જેમ કે કુતરાને હવે એસીમાં રાખવા પડશે. ડોગ ઓનરે પાંજરા રાખવા પડશે, બેલ્ટ પહેરાવી ડોગ વોક કરાવવો પડશે અને ટોમી જો પોટી કરે તો એ ઉપાડવી પડશે. અમને થાય છે કે મુનસીટાપલી આમ તો શહેરમાં રખડતા કૂતરાની પાલક કહેવાય એ હિસાબે મુનસીટાપલીએ પણ કૂતરાઓ માટે રેનબસેરા ટાઈપ જ નહિ પરંતુ નવી ગાઈડલાઈન્સ અનુસાર એસી શેલ્ટર ઉભા કરવા જોઈએ. ડોગ પાર્ક પણ ઉભા કરવા જોઈએ. જોકે ઉપર દર્શાવેલા અન્ય કામ મુનસીટાપલી કરે એ કામ રેતીમાંથી ઘી કાઢવા જેવું અઘરું છે.

વચ્ચે એક સર્વેક્ષણ થયું હતું તેમાં અમદાવાદમાં દર ૨૫ નાગરિકે કરડવા કે પાછળ પડવા માટે એક શ્વાનની સગવડ મુનસીટાપલીએ કરી છે. આ હિસાબે દરેક સોસાયટી કે ફ્લેટને ઓછામાં ઓછા ૫-૬ કુતરા એલોટ થયા છે. આમ તો આ એલોટમેન્ટમાં મુનસીટાપલીનો કોઈ હાથ નથી. એના માટે કોઈ કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો નથી થયા. આમ પણ કૂતરા દીઠ ૨૫ નાગરિકની ફાળવણી કરેલી છે એટલે કરડવામાં સફળતાનો દર ઉંચો રહેતો હોઈ શ્વાન વર્ગને સંતોષ છે. કૂતરાઓએ પણ સમરસતાપૂર્વક પોતપોતાના વિસ્તાર માર્ક કરી લીધા છે. જે લોકોને દેશમાં અસહિષ્ણુતા અંગે ફરિયાદ હોય એમણે કુતરાનું અમદાવાદ મોડેલ જોઈ લેવું જોઈએ.

અમદાવાદમાં તો ‘દેખ બિચારી કુતરીને કોઈ જાતા ન મારે લાત...’ હિસાબે નિર્ભય થઈને કુતરા કુતરીઓ સ્વૈરવિહાર અને વિહાર ઉપરાંત એમની પ્રકૃતિ અને કુદરતી રીતે જે કરવાનું હોય એ કરે છે. વેલેન્ટાઈન ડેમાં કપલ્સને જાહેરમાં પ્રેમ કરતા જોઈ અમુક અડબંગ દળના કાર્યકરો ટામેટા ફેંકે છે. જોકે કૂતરાઓ જાહેરમાં જે ઈચ્છે એ કરી શકે છે. તેમના ઉપર કોઈ ટામેટા ફેંકતું નથી, અને ઇન ફેક્ટ જો ફેંકે તો એ ખુશી ખુશી ઝીલી અને ખાઈ લે. આ અંગે આપણે આપણા કાન ઢોર જેટલા લાંબા હોય કે ન હોય, આંખ આડા કાન કરવા જ પડે છે. મુનસીટાપલી હજુ શહેરીજનો માટે જનસુવિધાઓ ઉભી કરવા ઝઝૂમી રહી છે ત્યારે કૂતરાઓ માટે ટોઇલેટ બનાવે તેવી અપેક્ષા રાખવી વ્યવહારિક નથી. અને બનાવે તો પણ જે રીતે માણસો માટે સરકારી પૈસાથી બનાવેલા સંડાસોનો ઉપયોગ લોકોએ બેડરૂમ કે પાનના ગલ્લા તરીકે કરવાનો શરુ કર્યો છે એ જોતા કૂતરાઓ માટે ઉભી કરેલી સુવિધાનું ભવિષ્ય કલ્પી શકાય છે. આમ પણ પરાપૂર્વથી કૂતરાઓ સ્વતંત્ર છે જ, આ સંજોગોમાં, અને દુરના ભવિષ્ય સુધી રહેશે તેવું ચારેતરફ દેખાઈ રહ્યું છે.

આપણા દેશવાસીઓ ‘દુઈ રોટી ઔર એક લંગોટી સે હમ ખુશ હૈ રે ભૈયા ...’ ટાઈપના લોકો છે. આપણે ત્યાં આ બે રોટીમાંથી પણ કૂતરા માટે કાઢવાનો મહિમા છે. તો સામે કૂતરા પણ આપણી સાથે રહીને આપણા જેવા સંતોષી થઇ ગયા છે. તમે વિચારો કે એક કૂતરો આપણી પાસે શું માંગે છે? થાંભલો જ ને? તો એની વ્યવસ્થા પણ સરકાર કરે જ છે ને! હકીકતમાં ગામેગામ ટોઇલેટ અને વીજળી પહોંચાડવાની યોજનાના લાભાર્થીઓમાં આઝાદી પહેલાંના સમયથી થાંભલા વગર ટળવળી રહેલા દૂર-સૂદુરના ગામોના કૂતરાઓનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા પરથી ૧૮૦૦૦ ગામોમાં વીજળીના થાંભલા નાખવાની જે જાહેરાત કરી હતી એને સૌથી વધુ શ્વાન વર્ગે આવકારી હશે.

આપણે ત્યાના કૂતરાઓમાં એક દૂષણ સર્વ વ્યાપી છે અને એ છે અમથા અમથા દોડાદોડી કરવાનું. કોઈપણ જાતના પ્રયોજન વગર દોડવું એ શક્તિનો વ્યય છે, પછી એ શ્વાનશક્તિ કેમ ન હોય! તો શ્વાનશક્તિને યોગ્ય દિશામાં વાળવાની પહેલ મહારાષ્ટ્ર સરકારે કરી છે. અગાઉ મુંબઈ સરકારે ૧૮૮૭ના જુગાર પ્રતિબંધક ધરામાં ઘોડાની રેસ સાથે કૂતરાની રેસનો પણ સમાવેશ કર્યો હતો. એ પછીથી ‘ડોગ રેસકોર્સીસ લાઈસન્સિંગ એક્ટ ૧૯૭૨’ પણ અસ્તિત્વમાં છે અને નજીકના ભૂતકાળમાં એમાં સુધારા કરીને લાઇસન્સ ધરાવતા રેસકોર્સ પર કૂતરાની રેસ યોજવા આડેના અવરોધો દૂર કરાયા છે. આ બધું કહેવા પાછળનો અમારો આશય એટલો જ કે ગુજરાતના કુતરા મહારાષ્ટ્ર રેસમાં ભાગ લેવા જાય તો અહીં જે શાંતિ થઇ તે ખરી!

કરડવાની બાબતમાં આપણા કૂતરાઓની પરિસ્થિતિ સારી છે. અમેરિકામાં ૩૨ કરોડની વસ્તી સામે સાત કરોડ કૂતરા છે. એટલે કરડવા માટે આપણા એક એક કૂતરાને ૨૫ ઓપ્શન મળે છે તો અમેરિકન કૂતરાને ફક્ત ૬.૪ માણસ મળે છે. આમાં રાઉન્ડ અપ કરો તો પણ ગણીને સાત માણસ મળે. એમાં પણ નાની ઉમરના તો એટલું ફાસ્ટ ભાગતા હોય કે મોં પણ ન પહોચે. બાકી હોય એમ કોર્ટ કેસો અને વળતરની બીકે એનો માલિક એને કોઈને કરડવા પણ ન દે તો ધૂળ પડી એના કૂતરત્વમાં! પણ આ સિવાય આપણા કૂતરાઓએ હરખાવા જેવું નથી કારણ કે એમને ત્યાં કૂતરાઓ માટેના, સ્પા, ફાઈવ સ્ટાર હોટલ, હોસ્પિટલો અને ક્લબો પણ હોય છે. કૂતરાં માટે ખાસ બ્યુટીશીયનો પણ હોય છે અને કૂતરીઓની બ્યુટી કોન્ટેસ્ટ પણ થાય છે! એમના માટે ખાસ ડોગ ફૂડ લાવીને ખવડાવવામાં આવતું હોય છે. એમને ઠંડી ન લાગે એ માટે કપડા પણ ફેરવવામાં આવતા હોય છે. અમુક સનકી લોકો કૂતરા માટે મિલકત પણ છોડી જતા હોય છે. એટલે કૂતરું નહિ તો કૂતરાની પૂછડી રૂપે સરકારે આ દિશામાં થોડું કામ કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે એનો અમને આનંદ છે, ભલે અમે એના લાભાર્થી નથી.

મસ્કા ફન
અધીર: કૂતરાનો સંઘ કાશીએ શું કામ જતો હશે?
બધિર : કાશીમાની કૂતરીને પરણવા!

Wednesday, February 01, 2017

તાજમહેલનો ખરો ઈતિહાસ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૨-૨૦૧૭

સંજય લીલા ભણસાલી ઈતિહાસને પોતાની રીતે લખે છે. ગઝલકારો ગઝલમાં જેટલી છૂટ લઇ શકે એનાથી વધારે છૂટ ફિલ્મી લેખકો ઈતિહાસ બાબતે લઇ શકે છે. ભૂતકાળમાં ઇતિહાસમાં ફેઈલ થયેલા અને હાલ જેઓ વાલી છે તેમને વિદ્યાર્થીઓને ‘આ નવો ઈતિહાસ આપણા છોકરાઓને ભણવામાં આવશે તો?’ એવી ચિંતા થતાં ભણસાલીને લાફા ઠોકી આવે છે. જોકે આવા હોબાળા, વિરોધ અને લાફાથી આદર્શ કલાકાર અટકી જતો નથી. એટલે જ અમે પણ હવે ઈતિહાસ રી-લેખનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. ભલું હશે તો અમારી લખેલી સ્ટોરી કોઈ ખાન, ધોળકિયા, ભણસાલી, કે ગોવારીકરને ગમી જશે તો અમારી કિસ્મત ખુલી જશે !
તાજમહાલનો ખરો ઈતિહાસ 
Famous Follow Me picture at Taj
મુમતાઝની સુવાવડ ઘરમાં જ કરાતી હોવાથી એ તેર સુવાવડ સુધી તો ટકી ગઈ હતી, પણ ચૌદમી વખતે તબિયત થોડી નરમ લાગતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને પ્રસુતિ અને એ પછીની સારવાર દરમિયાન એની તબિયત લથડી હતી. શાહજહાં ચિંતાતુર વદને મુમતાઝનો હાથ પકડીને બેઠો હતો.

એણે મુમતાઝને પૂછ્યું : “તાઝ તને શેની ચિંતા સતાવે છે, તું શું ઈચ્છે છે?”
મુમતાઝે ક્ષીણ અવાજમાં કહ્યું: “મને મારા ભાઈ મહેમુદની ચિંતા સતાવે છે.”
--
વાત એમ હતી કે શાહજહાંનો સાળો મહેમુદ કોન્ટ્રાક્ટર હતો. અને એ ભણ્યો તો નહોતો અને રથ અને બળદગાડા રીપેર કરવાના ગેરેજમાં પરચુરણ નોકરી કરતો હતો. જોકે એમાં ધારી ફાવટ ન આવતા એ કન્સ્ટ્રકશનમાં પડ્યો હતો. શાહજહાંના સાળા હોવાને કારણે એને સરકારી ગેસ્ટ હાઉસ બનાવવાનું ટેન્ડર એક્ઝીક્યુટીવ એન્જીનીયરની અન-ઓફીશીયલ પાર્ટનરશીપમાં લાગ્યું હતું, પરંતુ બાંધકામ એટલું નબળું હતું કે બે વરસમાં તો એના પોપડા ખરવા લાગ્યા હતા. એટલું જ નહિ જયારે રાજ્યના વડા ન્યાયાધીશ એમાં રોકાયેલા એ જ વખતે મોટો પોપડો ખરતા જજની પત્ની ઈજાગ્રસ્ત થઇ હતી અને જજે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. જજની એકાએક ટ્રાન્સફર થઈ ગઈ. પરંતુ એ પછી મહેમુદને લોઅર ઇન્કમ ગ્રુપના ફ્લેટ્સ તથા ગ્રામીણ રોડ બાંધવા જેવા મોટા પણ બિન-અગત્યના કામો જ આપવામાં આવતા હતા. એમાય મહેમુદના ધંધામાં ખાસ બરકત નહોતી. સુપરવાઈઝરો ચૂનો વેચી આવતા હતા અને સપ્લાયરો બીલના નાણા માટે અવારનવાર મહેમુદની ઓફિસની તોડફોડ કરતા હતા.

શાહજહાં આનાથી વાકેફ હતા એટલે એમને મુમતાઝની ભાઈ માટેની ચિંતા વાજબી જણાઈ. શાહજહાં કઈ મુત્સદી નહોતો. એટલે બાદશાહે પોતાના અંગત સલાહકાર કમ કાકા સસરાને મુમતાઝના ભાઈ માટે ઘડપણ સુધી તકલીફ ન પડે એવું આયોજન કરવા કહ્યું હતું. આ સલાહકારનો ભાણો પાછો મહેમુદની કંપનીમાં અગત્યની પોસ્ટ પર હતો એટલે એને પણ મહેમૂદના ભવિષ્યમાં રસ હતો. એકંદરે આખી વાત એવી ઘડી કાઢવામાં આવી કે બુરહાનપુરમાં મરણ પથારીએ પડેલી મુમતાઝનો જીવ જતો નથી એટલે રાજાએ એને એક અદભૂત, ભવિષ્યમાં વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામે એવું સ્થાપત્ય બનાવવાનું વચન આપ્યું છે.

જોકે મહેમુદ સાત અજાયબીમાં સ્થાન પામે તેવું તો શું, સાતસો સીયાશી લાખ નંબરે આવે એવું કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતો ન હોઈ, કોઈ વિદેશી કંપની, જેવી કે ગ્રીક કે બ્રિટીશ કંપનીને કામ સોંપવું એવું નક્કી થયું. કંપનીની તલાશમાં શાહજહાના સલાહકાર સરકારી ખર્ચે છેક એથેન્સ અને લંડન ફરીને એક કંપની નક્કી કરી આવ્યા હતા. પરંતુ મોઘલ કાયદા પ્રમાણે વિદેશી કંપનીને કોન્ટ્રકટ આપી શકાય નહિ, એટલે છેવટે કામ મહેમુદને આપવું અને મહેમુદ પોતાનું પાંચ ટકા કમીશન કાપીને બ્રિટનની કંપનીને સબકોન્ટ્રાકટ આપી દે એવું નક્કી થયું. આ કામ માટે ખાસ એમ. જ્હોન એન્ડ મેથ્યુ નામની કંપનીની સ્થાપના પણ કરવામાં આવે, અહીં એમ. એટલે મહેમુદ સમજવું. આમ, અગામી દસ-પંદર વર્ષ સુધી મહેમુદને બેઠાબેઠા ખાવાનું મળી જાય.

શાહજહાંના આ પગલાનો આગ્રાના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. કારણ બહુ સ્પષ્ટ હતું કે રાજાના સાળાનું ટેન્ડર હોય તો સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ વાંધાવચકા કાઢ્યા વગર કામ મંજુર કરવું પડે અને કામ એજન્ડા પર લેવામાં મોડું કરી કોન્ટ્રાક્ટરને દબાણમાં પણ લાવી શકે નહિ. એટલે જ એ અસંતૃષ્ટ લોબી ખાનગીમાં જુના સ્થાનિક અખબારને આખા ઘટનાક્રમમાં મહેમુદને કઈ રીતે ફાયદો થવાનો છે તેની સ્ટોરી આપી આવ્યા હતા. પણ પછીથી અખબારના અધિપતિ અને શાહજહાંના કાકા સસરા વચ્ચે એક ગુપ્ત બેઠક થઇ અને મામલો સેટ થઇ ગયો. આમ છેવટે મહેમુદને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, પ્રારમ્ભિક અંદાજ મુજબ કામ ૧૧ કરોડ રૂપિયાનું હતું અને ૧૧ વર્ષમાં પૂરું કરવાનું હતું જે સમય જતાં ૨૨ કરોડનું થઇ ગયું અને ૨૨ વર્ષમાં પૂરું થયું. કામમાં અસહ્ય વિલંબ અને એસ્ટીમેટ કરતા વધારે બીલ કરવા માટે એમ. જ્હોન મેથ્યુ કંપનીને પૂરું પેમેન્ટ કરી દીધા બાદ બ્લેકલીસ્ટ કરવામાં આવી. જોકે બ્રિટીશ કંપની ભારતમાં મધ ભાળી ગઈ એટલે એમણે બ્લેકલિસ્ટેડ કંપનીમાં લેણદારોના રૂપિયા ડુબાડી નવી કંપની સ્થાપી. જાણકારો આ કંપનીનું નવું નામ જ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતું એવું કહે છે.
--
આ તો સારું થયું કે તાજમહાલ મુમતાઝના અવસાન બાદ બન્યો, પરંતુ વિચારો કે જો મુમતાઝ હયાત હોત અને તાજમહાલ બનાવવાનો થાત તો આટલી અદભૂત ડીઝાઈનમાં પણ એણે કૈંક ફેરફારો સૂચવ્યા હોત કદાચ ‘સફેદ આરસપહાણ તો કેવો સાવ ધોળોધફ લાગે છે!’ કરીને ગુલાબી, ગાજર કે બરગન્ડી કલરના પથ્થરોથી કામ કરવાનો આગ્રહ રાખ્યો હોત, અને એમ થયું હોત તો અત્યારે આપણી પાસે જે સ્વરૂપે તાજ છે એ ન હોત. એ ઉપરાંત આમ કરવામાં બાવીસ કરોડને બદલે ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચો થઇ જાત અને શાહજહાએ ગુજરાન ચલાવવા તાજમહાલની બહાર સિંગચણાની લારી ખોલવી પડત! પણ જે થયું નથી એની વાત શું કામ કરવી? ●

મસ્કા ફન
અમદાવાદની સ્થાપના અહમ દશરથલાલ શાહ (અહમ દ. શાહ) નામના કાપડના વેપારીએ કરી હતી.

Wednesday, December 28, 2016

કેશલેસ ઈકોનોમી : કેટલીક સમસ્યાઓ અને તેના ઉકેલ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૧૨-૨૦૧૬
 
અમોને એન્જીનીયરીંગમાં ઇકોનોમિકસ ખપ પુરતું જ ભણાવવામાં આવ્યુ છે, પણ એના પાયાના સિદ્ધાંતો સમજવા કોઈના પણ માટે ખાસ અઘરા નથી. ઇકોનોમિકસ વાંચીને અમને એટલું સમજાયું છે કે અત્યારના ‘કેશ ક્રંચ’ અને ‘કેશલેસ ઈકોનોમી’ના માહોલમાં કેડે હરણનું ચામડું વીંટી અને હાથમાં ભાલો લઈને પ્રાગૈતિહાસિક કરતા પણ પહેલાંની વિનિમય પદ્ધતિ પર ઉતરી આવીએ એ વધુ સરળ પડે એવું છે. ચાંદો સૂરજ રમતા'તા, રમતાં રમતાં કોડી જડી, કોડીનાં મેં ચીભડાં લીધાં ચીભડાએ મને બી આપ્યા ... આ બાળગીતમાં પણ એ જ શીખવાડવામાં આવ્યું હતું ને?

અમદાવાદ માટે પણ એ નવું નથી! રોટલીના બદલામાં વાળ કાપી આપવાની પ્રથા વિક્ટોરિયા ગાર્ડનની આસપાસની ફૂટપાથ પર સિત્તેરના દાયકા સુધી જીવંત હતી જ ને? અને જરા વિચારો કે તમારા ડ્રોઅરનો ભાર વધારતા ઝીણી પીનના ચાર્જરવાળા નોકિયાના મોબાઈલના બદલામાં તમને પાંચ શેર બટાટા મળતા હોય તો શું ખોટું છે? તમારું જીન્સ આપો અને બદલામાં પત્નીની લીપસ્ટીક લઇ આવો કે પછી તમારી બાઈક આપી દો અને બદલામાં બે સિલ્કની સાડીઓ લઇ આવો. કેટલું સરળ! ના બેન્કની લાઈનમાં ઉભા રહેવાનું કે ના એક એટીએમથી બીજા એટીએમ ભટકવાનું! બાકી અમે તો નોકરિયાત છીએ, તમે કહેશો તો અમે ચપટીમાં કેશલેસ થઇ જઈશું.

આપણી પ્રજા મૂળત: ઊંટના ઢેકા ઉપર કાઠડા મુકે એવી જુગાડુ પ્રકૃતિની છે. દા. ત. જુગારમાં આમ તો કેશ જ વપરાય પણ રોકડ સાથે પકડાઈ ન જવાય એ માટે જુગારમાં ટોકન સીસ્ટમ વર્ષોથી ચાલે છે. ટોકન ખરીદવા અને વટાવવાનો વ્યવહાર પાછો કેશમાંજ હોય છે. યુધિષ્ઠિર કેશને બદલે કાઈન્ડથી જુગાર રમ્યા હતા એ સૌ જાણે છે. આ પ્રથા અમલમાં લાવી શકાય. જોકે ઘર કાર જેવી વસ્તુઓ દાવ પર લગાડી તો શકાય પણ એનું ઈન્સ્ટન્ટ વેલ્યુએશન એક સમસ્યા બની શકે. પરંતુ મેનેજમેન્ટમાં કહે છે કે દરેક સમસ્યામાં એક તક છુપાઈ હોય છે, એ હિસાબે આવી દાવ પર લાગેલી ચીજવસ્તુઓના ઈન્સ્ટન્ટ વેલ્યુએશનની ઓનલાઈન સેવા પૂરી પાડતી કંપનીઓ ઉભી કરાય, જે રોજગારીની નવી તક ઉભી કરે!

ધાર્મિક વિધિમાં પણ ફળફળાદિ, સુકામેવા સાથે દક્ષિણા મુકવાનો રીવાજ છે. આમાં કેશ અને કાઈન્ડ બંને ચાલે છે. ગૌદાન તરીકે ગાયના બદલામાં સંકલ્પ કરીને ૧૧ કે ૨૧ રૂપિયા પણ આપી શકાય છે. આ બધા વ્યવહારિક ઉપાયો છે. આવી વિધિઓમાં આમેય હવે દિવસે દિવસે પેકેજડીલ આવતા જાય છે જેમાં મહારાજ કડકડતી નોટો ડાબા હાથે યજમાનને આપે અને યજમાન એ જમણા હાથે મહારાજને પાછી આપે છે. આમાં મહારાજના ગળામાં લટકતા ‘કયુ.આર. કોડ’ને સ્કેન કરીને ‘પે થ્રુ મોબાઈલ’ એપ્લીકેશનથી પેમેન્ટ કરી શકાય.

સુલભ શૌચાલય કેશલેસ કરવું અઘરું છે. ત્યાં કાર્ડ લઈને ત્યાં જાવ તો કેવું લાગે ? ઉતાવળમાં કાર્ડ સ્વાઇપ કરાવવાનું પણ કેમ ફાવે? અને આ બધી માથાકુટમાં પછી જે માટે આવ્યા હતા એ ટ્રાન્ઝક્શનપૂરું ન થાય તો? એટલે આમાં કામ થયા પછી પેમેન્ટ લેવાની મુનસીટાપલીને અરજ કરી શકાય. અથવા તો આધારકાર્ડ લીંક કરી શકાય. ગેસની સબસીડીમાંથી શૌચાલય વપરાશના રૂપિયા બાદ કરીને બાકીના રૂપિયા ધારકના ખાતામાં સીધા જમા થાય એવું કંઇક. મોલમાં તો ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ્સના કારણે કાર્ડ પેમેન્ટ એપ્રુવ ન થાય તો લીધેલો માલ પાછો આપવો પડતો હોય છે. આમાં માલ પાછો આપવાનો થાય થાય તો શું કરવું? આવો સવાલ અમારા એક મિત્રએ અમને પૂછ્યો હતો.

કેશલેસ સીસ્ટમમાં ભિખારીઓને સિગ્નલ પર પી.ઓ.એસ. મશીન લઈને ઉભેલા આપણે કલ્પી નથી શકતા. પણ ભારતમાં પ્રયોગ થઈ ચુક્યો છે અને બ્રાઝિલમાં ભિખારી ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે એવો સાચો-ખોટો ફોટો પણ નેટ પર વાઈરલ છે. આમાં મુખ્ય વાત પુણ્ય કાર્યની છે. જોકે ભિખારીને ૧૦ રૂપિયા ક્રેડિટકાર્ડથી આપ્યા બાદ જો બીલ ભરવાનું રહી જાય તો સાડી ત્રણસો રૂપિયા પેનલ્ટી થાય એ અલગ વાત છે. પરંતુ આમ થાય તો પણ આપણે સદ્કાર્ય છોડવું ન જોઈએ.

આજકાલ રોકડ વગર તમામ પ્રકારના વ્યવહારો કેવી રીતે કરી શકાય એ સમજાવતી જાહેરાતો રેડિયો, ટીવી અને છાપામાં આવે છે, પણ આપણા માટે એમાં કંઈ નવું નથી. ભારતમાં કેશલેસ ઈકોનોમી વર્ષોથી ચાલતી આવી છે. હાથમાં કાણો પૈસો ન હોય છતાં સામાજિક પ્રસંગો અને આર્થિક વ્યવહારો નિભાવવાની કળા પ્રજાના એક વિશાળ વર્ગ પાસે દાયકાઓથી હતી જ! ચેક લખવાની સલાહ તો છેક હમણાં આપવામાં આવી, બાકી અગાઉ લગ્ન-કારજ જેવા પ્રસંગો ખાતે લખીને કે વધુમાં વધુ ખેતર-મકાન લખી આપીને પાર પાડવામાં આવતા જ હતા. ઉલટાનું આજ દિન સુધી ‘ગરીબી હટાઓ’ના સુંવાળા સૂત્ર નીચે આ કળાને નેસ્તનાબુદ કરવાના નિષ્ફળ પ્રયત્નો થતા રહ્યા છે. કદાચ વીતેલા એક મહિના કરતા વધુ લાંબો અને કપરો સમય પ્રજાએ એ અનુભવને આધારે જ સફળતાથી વિતાવ્યો છે.

બાકી એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘પુસ્તકસ્થા તુ યા વિદ્યા, પરહસ્ત ગતમ્ ધનમ્ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્દ ધનમ્.’ અમારી જાડી બુદ્ધિ પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે પુસ્તકમાં (વાંચો બેંકની પાસબુકમાં) છપાયેલું (બેલેન્સ) અને બીજાના હાથમાં (વાંચો બેંકમાં) ગયેલું ધન સમય આવે કામમાં આવતા નથી. (અર્થાત વિજય માલ્યા જેવા લોકોના જ કામમાં આવતા હોય છે). આ ૩૦ ડીસેમ્બર સુધીનું સત્ય છે, આગે અલ્લા બેલી.

મસ્કા ફન


દોડાદોડ અને ઉડાઉડ કરનારો વંદો વહેલો મરે છે.

Wednesday, May 11, 2016

રોગ, શત્રુ અને ધૂળને ઉગતાં જ ડામી દેવા

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૧-૦૫-૨૦૧૬
તાજેતરમાં અમદાવાદ ઉપર ત્રાટકેલા સેન્ડ-સ્ટોર્મે ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેમ કે જેમણે કોઈ ડોશી સામે ઉંચી આંખ કરીને જોયું ન હોય એવા ડોહાઓના ધોળામાં પણ ધૂળ પડી હતી. જે લોકો લાંબા વાળ-દાઢી ધરાવતા હતા એ લોકોનો દેખાવ ડાયરેક્ટ સિંહસ્થ કુંભમેળામાંથી આવ્યા હોય એવો થઇ ગયો હતો. પોપકોર્નના સ્ટોલ ધારકોનો તૈયાર માલ શબ્દશ: ધૂળધાણી થઇ ગયો હતો. જે લોકોની ગાડીઓ માત્ર દર ચોમાસે ધોવાતી હતી એવા લોકો ધૂળ ઝાપટતા જોવા મળ્યા હતા. બાકી હોય એમ છાંટા પડ્યા, જેના કારણે કાદવ થવાથી એમણે કમને ગાડીઓ જાતે ધોવી પડી હતી. આમ થવાથી અમુક ગાડીઓ તો ધ્રુસ્કે ચડી હશે. આવા કપરા સમયમાં પણ યોગનાં આરાધકોએ જે રીતે જોરશોરથી ભસ્ત્રિકા, અનુલોમ-વિલોમ અને કપાલ ભાતિ પ્રાણાયામ કરીને વાતાવરણની ધૂળ શોષી લેવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો એ બતાવે છે કે માનવતા હજી મરી પરવારી નથી!

રણમાં ડમરીઓ ઉઠી એમાં ગુજરાતનું વાતાવરણ ધૂળમય થઈ ગયું. આ ડમરીઓનું તો કામ જ ઊઠવાનું અને શમવાનું છે. પણ આ ધૂળ અને તડકાને કારણે આ શહેરની મહિલાઓ, અને હવે તો ફેરનેસ ક્રીમની જાહેરાતોથી પ્રભાવિત પુરુષો પણ, બુકાની બાંધીને ફરે છે. આમ તો અમદાવાદને અને ધૂળને જુનો સંબંધ છે. જહાંગીરે અમદાવાદને ગર્દાબાદ કહ્યું હતું. અમદાવાદ સાબરમતી નદીના તટ પર વસેલું રેતાળ શહેર છે. કવિ ‘આદિલ’ મન્સુરીએ અમદાવાદ છોડતાં વતનની ધૂળથી માથું ભરી લેવાની બહુ ભાવુક વાત કરી હતી. સવારે નીકળીને સાંજે ઘરે આવતો અમદાવાદી મુનસીટાપલીની કૃપાથી માથામાં એટલી ધૂળ સાથે પાછા ફરે છે કે શેમ્પૂ બનાવતી કંપનીઓ ખોડાને બદલે જો માથામાંની ધૂળ ધોવા માટે ખાસ શેમ્પૂ બહાર પડે તો કંપનીના શેરમાં તેજીની સર્કીટ લાગે. ગટરોનું ડીસિલ્ટીંગનું કામ કરતા કોન્ટ્રકટરોનું ગુજરાત ટેરીટરીનું અડધું ટર્નઓવર અમદાવાદીઓના માથામાંથી ગટરમાં ગયેલી ધૂળને કારણે આવે છે, એવી પણ અંદરની વાત મુનસીટાપલીના અમારા એક ઓળખીતા એન્જીનીયર કરતાં હતા. અમદાવાદી ધૂળમાંથી પણ ધંધો શોધી કાઢે એ વાત સાવ ખોટી નથી.

અમદાવાદ અને ખોદકામને જુનો સંબંધ છે. પણ અમદાવાદમાં ખોદકામ કર્યા વગર પણ ખાડા પડે છે જે ભૂવાના નામથી ઓળખાય છે. ઘણા અમદાવાદની ધૂળ માટે ભૂવાને જવાબદાર ગણાવે છે. પરંતુ અમે તે સાથે સહમત નથી. ભૂવા ધૂળ વિરોધી છે. એ પોતાની અંદર માટી ખેંચી લઇ વરસાદી ગટરો થકી નદીમાં ઠાલવી દે છે. જોકે મુનસીટાપલીને ભુવાની આ પ્રવૃત્તિ પસંદ ન આવતાં તે નવી માટી લાવી ભૂવા પુરવાનું કામ કરે છે. આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે અને બીજા વર્ષો સુધી ચાલ્યા કરશે, તો આ અંગે કોઈએ હરખશોક કરવો નહીં. જોકે કામિનીની કમનીય કમર જેવા વળાંકો ધરાવતી અમદાવાદની સડકો પર પડેલા ભૂવાઓને અમદાવાદના ગાલ પર પડેલા ખંજન ગણતા કવિઓ આ પ્રવૃત્તિનો વિરોધ કરે તો નવાઈ નહિ.

એક વાયકા પ્રમાણે મુનસીટાપલીના અધિકારીઓ બાદશાહનો ખજાનો શોધવા માટે બારેમાસ ઠેર ઠેર ખોદકામ કરાવતા હોય છે, જેથી બજેટની ખાધ પૂરી શકાય. આ ખોદકામને કારણે ખાડાની ધૂળ રસ્તા ઉપર આવી જાય છે. વાહનચાલકો સાંકડા રસ્તા ઉપર પથરાયેલી આ ધૂળ પર બેરહમીથી પોતાના વાહનો ચલાવે છે. ધૂળ હલકી હોવાથી હવામાં ઉડે છે. અને લોકોના કપડા, આંખો, માથામાં પડે છે. આમાં વાંક ધૂળનો થયો કહેવાય. એટલીસ્ટ જો આ ઘટનાની વિજીલન્સ ઇન્ક્વાયરી થાય તો ચોક્કસ આવું કોઈ તારણ બહાર આવે. ખાડા ખોદનારને ક્લીનચીટ અને ધૂળ ‘હલકી’ હોવાને લીધે ઉડે છે એમાં ધૂળ દોષિત જણાય છે, એવું કંઈક તારણ નીકળે. કેમ, યુ.પી.ના દોંડિયા ખેરા ખાતે દટાયેલું સોનું શોધવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરેલા ખર્ચા બાબતે કોઈએ પૂછ્યું છે?

ધૂળના અનુભવ વિષે એક કવિએ કૈંક આ મતલબનું કહ્યું છે “ઉમ્રભર હમ યુંહીં ગલતી કરતે રહે, ધૂલ ચેહરે પે થી ઓર હમ આયના સાફ કરતે રહે”. અમને તો આ કવિ આળસુ જણાય છે. ચહેરા પર ધૂળ જામે તો તરત વોશબેસીન પર ધોઈ નાખવાની હોય. અરીસો હોય અને વોશબેસીન ન હોય એવું ભાગ્યે જ બને. જોકે ઉપરોક્ત શેરમાં કવિ અરીસો સાફ કરવાની મહેનત તો કરે છે એટલે એમને આળસુ ન ગણી શકાય. એવું બની શકે કે લખનાર જે વિસ્તારમાં રહેતાં હશે ત્યાં પાણીની તંગી હોય. આ ઘટનાનું મૂળ ટેન્કર માફિયાઓ હોઈ શકે જેમના કારણે માણસોના ચહેરા પર ધૂળના થર જામી જાય. સરકારે આ અંગે ઘટતું કરવું જોઈએ એવી સલાહ પણ કોઈ આપી શકે.

જોકે ધૂળ આંખોમાં પડતી હોય કે ધોળામાં, સૌ એનાથી બચવાના ઉપાયો કરે છે. ગૃહિણીઓ બારી-બારણાં બંધ કરે છે, ધૂળને બદલે પછી ગરમીની બુમો પાડે છે. રોગ, શત્રુ અને ધૂળ ઉગતી જ ડામી દેવામાં માનનારા કેટલાક લોકો ધૂળ પર પાણી છાંટી પોતે ધૂળની સમસ્યામાંથી બચી બીજાને કાદવની સમસ્યામાં અને દેશને પાણીની સમસ્યામાં ધકેલે છે. અમેરિકામાં તો ધૂળથી બચવા ખાલી પ્લોટમાં ઘાસ ઉગાડવાના નિયમો છે, આમ છતાં છોકરીના નામધારી સાયક્લોન અને હરિકેન અમેરિકાને અવારનવાર ધૂળમય કરી નાખે છે. અને એક આપણે છીએ જે તહેવારો ધૂળેટી જેવું નામ આપી ધૂળનો મહિમા વધારીએ છીએ. અને તોયે પાછાં લોકો અસહિષ્ણુતાની ફરિયાદો કરે છે !

મસ્કા ફન : ભારતમાં પ્લસ સાઈઝ કરતાં માઈનસ સાઈઝ સ્ટોર્સની વધારે જરૂરીયાત છે.

Sunday, June 14, 2015

ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી | 
 

કોમ્પ્યુટરના દર મહીને નવા અપગ્રેડેડ મોડલ્સ આવે છે. મોબાઈલના મોડલ દર અઠવાડિયે બદલાય છે. થર્ડ જેન્ડરને માન્યતા મળે છે. જૂનાં કાયદા સ્ક્રેપ થાય છે અને નવા કાયદા આવે છે. આમ છતાં પાપ અને પુણ્ય કાર્યની વાત કરીએ તો એ લીસ્ટ હજુ ત્યાંનું ત્યાં જ છે. ગાયને ઘાસ નાખવાથી પુણ્ય મળે છે અને અન્નનો તિરસ્કાર કરવાથી પાપ લાગે છે. દાન કરવાથી પુણ્ય મળે છે અને ચોરી કરવાથી પાપ લાગે છે. શું તમને એમ નથી લાગતું કે કોઈના નામનું ફેક એકાઉન્ટ ખોલાવવું એ પાપ છે? શું તમને એમ નથી લાગતું કોઈનું ઈ-મેઈલ હેક કરવું એ પાપ છે? શું પતિ કે પત્નીના મેસેજ ખાનગીમાં વાંચવા એ પાપ નથી? શું તમને એમ નથી લાગતું કે પાપ અને પુણ્ય કાર્યો બદલાતા સમય સાથે બદલાવા જોઈએ? શું આ પાપ-પુણ્યનાં લીસ્ટમાં સુધારો-વધારો કરવાની જરૂર નથી લાગતી?
 
આજકાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. સતયુગમાં જયારે પાપ અને પુણ્ય વિષે વિદ્વાનોએ વિચાર કર્યો હશે ત્યારે ટ્રાફિકની સમસ્યા નહીં હોય જેથી કરીને ટ્રાફિક સંબંધિત પાપ-પુણ્ય લીસ્ટમાં જણાતાં નથી. જેમ કે કોઈના દરવાજા આગળ હાથી પાર્ક કરવાથી પાપ લાગે. અથવા કોઈના રથનું પૈડું બદલવામાં મદદ કરવાથી પુણ્ય મળે. આવું વેદ કે પુરાણોમાં વાંચવા નથી મળતું. તો ચાલો થોડું એ વિષે આપણે વિચારીએ.

સૌથી પહેલા તો કારણ વગર હોર્ન વગાડી પોતાનાં અસ્તિત્વની લોકોને જાણ કરવી એ ઘોર પાપ છે. આ પાપનો કરનાર નરકમાં જઈ સ્વપ્રશસ્તિપુર નગરમાં સ્થાન પામે છે. ત્યાં એ સવાર સાંજ જાણીતાં લેખકોની આત્મશ્લાઘા સાંભળવા પામે છે. માત્ર અડધો કલાક જ આવા સંભાષણ સાંભળી ત્રસ્ત થયેલ જીવ આગળના સાત જનમ ‘જરૂર પડશે તો પણ હોર્ન નહીં મારું’ તેવી કાલાવેલી યમદુતોને કરતો થઈ જાય છે. જે અડધી રાત્રે રીવર્સ હોર્ન વગાડી લોકોની ઊંઘ બગાડે છે તેને નરકનાં કચકચ નામના નગરમાં સ્થાન મળે છે જ્યાં રોજ એને હેડફોન પર ફૂલ-વોલ્યુમમાં યોયો હનીસિંગના ગીતો રીપીટ મોડમાં સાંભળવા પડે છે.

જેમ મા-બાપની સામે બોલો એ પાપ ગણાય છે તેમ વાંકમાં હોવા છતાં ટ્રાફિક પોલીસ સાથે જે જીવ માથાકૂટ કરે છે, અથવા કોક ઉચ્ચ પદધારી મહાનુભવને ફોન કરી દંડ ભરવામાંથી છટકવા પ્રયાસ કરે છે, તેને મર્યા પછી નર્ક સ્થિત લાગવગપુરની મુનસીટાપલીમાં કમ્પ્લેઇન નોંધવા બેસાડવામાં આવે છે. જે જીવ રસ્તા વચ્ચે વાહન ઊભું રાખી ‘હવે ક્યાં જવું?’ તે વિચાર કરે છે તેને મર્યા બાદ નરકની આદર્શનગર ઝૂપડપટ્ટીમાં ડ્રેનેજ લાઈન પર ખાટલો એલોટ થાય છે. જે કોઈના વાહન પાછળ પોતાનું વાહન પાર્ક કરી જતો રહે છે તેના મર્યા બાદ તેની છાતી પર દિવસમાં બાર કલાક સુમો પહેલવાન બેસાડવાની સજા પામે છે. જે મનુષ્ય ચાલુ વાહને બેદરકારીપૂર્વક પાનની પિચકારી મારે છે, તે નરકમાં તો જાય જ છે, પણ ત્યાં એને થુંકના સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ શીખતાં પાપીઓના કોચ તરીકે સેવા આપવી પડે છે.

આમ તો પૃથ્વીલોક પર જીવ એકલો આવે છે અને એકલો જવાનો છે. આમ છતાં ટુ-વ્હીલર પર અમુક જીવ ત્રણ, ચાર કે પાંચ સવારીમાં નીકળે છે. આવી રીતે જનાર પાપીને પોતાનું વાહન છોડી યમરાજાનાં વાહન એટલે કે પાડાને ઇશારે ચાલવું પડે છે. યમલોક અને મનુષ્યલોક વચ્ચેનું અંતર છ્યાશી હજાર યોજન છે. આ રસ્તો પાપીઓને મુનસીટાપલીનાં રસ્તા જેટલો જ દુર્ગમ લાગે છે. વાહન ચલાવતા જે જીવ મોબાઈલનો ઉપયોગ કરે છે, તે ઓર્થોપેડિક ડોકટરોએ પૂર્વજન્મમાં કરેલા સત્કૃત્યોનાં બદલા રૂપે સારા દિવસો દેખાડે છે. પણ ફ્રેકચર માટે કરેલા પ્લાસ્ટરની અંદર જ્યારે પાપીને ખણ આવે છે ત્યારે કાંસકો કે સળી અંદર જઈ શકતી નથી. કાર ચલાવતા જે જીવ મેસેજિંગમાં જીવ રાખે છે તે ફરી આફ્રિકામાં જન્મી ટપાલી તરીકે સંસ્કાર પામે છે. ટુ-વ્હીલર ચલાવતા જે ફોન પર વાત કરે છે તે જયારે યમલોકના કોલ સેન્ટરમાં પાણીની ફરિયાદ કરવા ફોન જોડે તો એનો કોલ દોઢ દોઢ કલાક સુધી લટકાવવામાં આવે છે.

થોડાં ટ્રાફિક સંબંધી પુણ્યો પણ જોઈ લઈએ. પૃથ્વીલોક પર જે કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સને અગ્રતા આપે છે એ પુણ્ય કમાય છે અને સ્વર્ગનાં ફ્રી-વાઈફાઈ નામનાં નગરમાં એને સારી વિન્ડ ડાયરેકશનનો બિયુ પરમીશનવાળો ફ્લેટ એલોટ થાય છે. જે કોઈ ઈન્ડીકેટર બતાવ્યા બાદ જ વળે છે તેને જીપીએસ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિને સ્વર્ગમાં ક્યાંય કોઈને રસ્તો પૂછવો નથી પડતો. જે બિનજરૂરી હોર્ન નથી મારતો એ પછીના જન્મમાં ડબલ શક્તિશાળી કાન પામે છે. જે પોતાનાં સગીર પુત્ર-પુત્રીને લાઈસન્સ વગર વાહન ચલાવવા દેતો નથી તે મનુષ્ય યોનિમાં ફરી જન્મ પામે ત્યારે એણે કોઇપણ પ્રકારના લાઈસન્સ મેળવવા લાઈનમાં ઊભા રહેવું પડતું નથી.

એટલું જ નહીં પણ જેમ પુરાણોમાં પૃથ્વી પર કોઈ મંગલ કે સારા પ્રસંગે દેવદૂતો ઉપરથી પુષ્પવર્ષા કરતાં હતાં એમ જે જંકશન પર લોકો ટ્રાફિક સિગ્નલ બરોબર ફોલો કરતા હોય તેમના પર ટ્રાફિક પોલીસ ગુલાબજળ છાંટે છે. જે લોકો લેનમાં ડ્રાઈવિંગ કરે છે તેમને સ્વર્ગની સ્માર્ટ લેનમાં પ્રવેશ મળે છે.

જેમ પાપી ગંગામાં સ્નાન કરી પોતાનાં પાપ ધોઈ શકે છે એમ ટ્રાફિકમાં વારંવાર પાપ કરનાર પણ પુણ્ય કાર્ય કરી પોતાના પાપ ધોઈ શકે છે. એકવાર ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યાનું પાપ મુંબઈની લોકલ ટ્રેઈનનાં સેકન્ડ ક્લાસમાં એક વાર મુસાફરી કરીને ભૂંસી શકાય છે. આ સિવાય ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક મોનીટરીંગ માટે વિડીયો કેમેરાનું દાન કરીને પુણ્યનું ભાથું બાંધી શકાય છે. આવા પુણ્ય જેણે ભેગા કર્યા હોય તે મર્યા બાદ જયારે છ્યાંશી હજાર યોજન કાપે છે ત્યારે એને રસ્તામાં કોઈ સિગ્નલ નડતાં નથી. પીક અવર્સમાં ટ્રાફિકના નિયમનું પાલન કરનારનાં પુણ્ય બેવડાઈ જાય છે, પણ જે નિયમોનું ઉલ્લંઘન કરે તેનાં પાપ ચાર ગણા વધારે ચોપડે ચઢે છે. એકંદરે ટ્રાફિક સંબંધિત આ પાપ-પુણ્ય વિષે વાંચી તમે ફફડી ન ઉઠ્યા હોવ તો તમને ટ્રાફિક પોલીસ ધોકાવે તેની રાહ જુઓ, તો જ તમે સીધાં થશો ! n
---
કોમેન્ટ્સ આવકાર્ય !

Sunday, May 10, 2015

ગાય યુનિવર્સીટી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

અમને એ જાણી ઘણો આનંદ થયો છે કે કાશ્મીરમાં ગાયને પરીક્ષા પ્રવેશપત્ર અપાયું છે. એવું કહી શકાય કે કાશ્મીરમાં નવી સરકાર આવતા જ ગાયનાં સારા દિવસો આવી ગયા છે. વર્ષો પહેલાં ઈન્દિરાજીનાં સમયમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક ગાય-વાછરડું હતાં એ વાત જાણવાજોગ. મૂળ વાત એ છે કે ગાય હવે પરીક્ષા આપશે. ગાયને આગળ જતાં ડીગ્રી પણ અપાશે. ગાય હ્યુમન સાયકોલોજી તો જાણતી જ હોય છે, હવે સાયન્સ અને ટેકનોલોજી પણ ભણશે. 
 
આજકાલ દરેક વગદાર માણસનું જમીન, ઇન્ડસ્ટ્રી અને યુનીવર્સીટીમાં રોકાણ હોય છે. સરકાર પણ આજકાલ જાતજાતની યુનીવર્સીટી ખોલે છે. ધારો કે સરકાર ભવિષ્યમાં ગાય યુનીવર્સીટી શરુ કરે તો હવે નવાઈ નહીં લાગે. કદાચ કાશ્મીરમાં ગાયને પ્રવેશપત્ર અપાયું તે ગાય યુનીવર્સીટી પાયલોટ પ્રોજેક્ટનો હિસ્સો પણ હોઈ શકે!

જેને પ્રવેશપત્ર અપાયું છે તે ક્ચીર ગાયનો માલિક અબ્દુલ રશીદ ભટ છે, અને એણે પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીઝ માટેની પ્રવેશ પરીક્ષા માટે ફી ભરી ગાયનાં નામ અને ફોટા સાથેનું પ્રવેશપત્ર મેળવ્યું છે. પ્રવેશપત્રમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનની ઓટોમેટેડ સહી પણ છે. સામાન્ય રીતે ધોરણ દસ પાસ હોય તે જ આ પરીક્ષામાં બેસી શકે છે. આ જોતાં કાશ્મીર બોર્ડનું કોમ્પ્યુટર ગાયને દસ પાસ જેટલી ભણેલી તો માને જ છે. હવે અબ્દુલ ગાયને પરીક્ષા અપાવવા માટે તત્પર છે. તમે આ વાંચતા હશો ત્યારે (દસમી મે ૨૦૧૫) અબ્દુલ ગાયને લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયો હશે, અને કદાચ ગાયની બેઠક વ્યવસ્થા ચકાસતો હશે. અબ્દુલની ગાયનાં ભણતરમાં (ઓમર) અબ્દુલ્લાને એટલો રસ પડ્યો કે એમણે ગાયને ‘બેસ્ટ ઓફ લક’ પણ વિશ કર્યું છે.

અહીં તો એક જ ગાય છે એટલે વાત જુદી છે, બાકી સૌ પરીક્ષાર્થી ગાયો જ હોય તો ગમાણ એ જ પરીક્ષા ખંડ બની રહે. અથવા પરીક્ષા ખંડ ગમાણ બની જાય. અમદાવાદમાં તો ગાયો ચોખ્ખી જગ્યા શોધીને, ખાસ કરીને રોડ સ્વીપર મશીનથી ચોખ્ખા કરેલા રસ્તા વચ્ચે, બેસે છે. આવામાં બોર્ડ તેમની પરીક્ષા રોડ વચ્ચે પણ લઇ શકે છે. આમેય આપણે ત્યાં રોડ વચ્ચે વાહન ચલાવવા સિવાય ઘણું ન થવા જેવું થાય છે. પણ આમ થવાથી ટ્રાફિક માટેના સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં પણ વાપરી શકાય અને આ કાર્ય હેતુ આપણે ત્યાં જે ટેબ્લેટ લગાડવામાં આવે છે તેનો ખર્ચ પણ બચે. ગાયોને રસ્તા વચ્ચે બેસી પેપર લખવામાં તકલીફ ન પડે એ માટે ‘નો હોર્ન’ નાં પાટિયા પણ મારી શકાય અથવા રોડને ‘સાઈલેન્સ ઝોન’ જાહેર કરી શકાય.

હમણાં ગુજરાતમાં પોલીસ ખાતાની પરીક્ષામાં ખુદ પોલીસવાળા ચોરી કરતાં પકડાયા હતા. જોકે આ સમાચારથી લોકોને ખાસ નવાઈ નથી લાગી. પછી એ લોકોનું શું થયું? એમને નોકરીમાંથી કાઢી મુક્યા કે નહિ? તે જાણવામાં કોઈને રસ પણ નથી. પણ ગાય પરીક્ષા આપે અને ચોરી કઈ રીતે કરે એ બાબતમાં લોકોને ચોક્કસ રસ પડે. આમ તો આપણે જોયું છે કે બે ગાયો ભેગી થાય તો ખાવાનામાં માથું મારવાને મુદ્દે એકબીજા તરફ શીંગડા ઉલાળતી જોવા મળે છે. આમ ગાયો પરીક્ષામાં એકબીજાની ઉત્તરવહીમાંથી ચોરી કરે તેવી શક્યતા નહિવત જણાય છે. આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન થાય કે શું ગાય કાપલી બનાવે? બનાવે તો એ ક્યાં સંતાડે? એમાં નિરીક્ષક જો ગાય કરતાં વધારે સ્માર્ટ હોય તો એ પકડી પાડે. આ સંજોગોમાં ગાય ચોક્કસ કાપલી ખાઈ જાય એવું અમારું માનવું છે. આમાં ગાયને એક કાંકરે બે પક્ષી થાય, કાપલીનો નિકાલ પણ થઇ જાય અને ભોજન પણ થાય. જોકે પછી પોદળો કરે ત્યારે કાપલીના અવશેષો પુરાવા તરીકે ભેગા કરવામાં આવે કે કેમ તે અત્યારથી કહેવું અઘરું છે. પોદળાથી યાદ આવ્યું કે જો નિરીક્ષક નિસર્ગોપચારમાં માનનાર હોય તો પરીક્ષા ખંડમાં જ લોટો લઈને ગોમૂત્ર એકઠું કરી લે એવું પણ બને. આમ થાય તો ગાયને ચોક્કસ સહાનુભુતિ મળે.

તમને તો ખબર જ છે કે અમારામાં ભારોભાર કુતુહલ ભર્યું છે. એટલે અમને વિચાર આવે છે કે જો ગાય માટે જ પરીક્ષા લેવાય તો તેમાં કયા વિષય હોય અને એમાં કેવા પ્રશ્ન પુછાય ? પર્યાવરણમાં તો પ્લાસ્ટિક ખાવાથી કયા રોગ થાય અને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિષે પ્રશ્નો હોઈ શકે. ગાયને ગણિત ભણાવવામાં આવે તો એ કેવું હોય? જેમ કે બે ગાય ત્રણ દિવસમાં દસ કિલો ઘાસ ખાય, તો એક ગાય એક દિવસમાં કેટલું ઘાસ ખાય? તમે ગણવા ન બેસતાં. આ પ્રશ્ન ગાયના કેલીબરનો છે! મનુષ્યોની પરીક્ષામાં ગાય ઉપર નિબંધ પૂછવામાં આવે છે. ગાય માટેની પરીક્ષામાં મનુષ્યો પર નિબંધ પુછાતાં હશે. જેમાં તેઓ મનુષ્યના લક્ષણો જેવા કે હાથ, પગ, વાળ અને પહેરવેશ વિષે લખી શકે. આ ઉપરાંત મનુષ્યોની ગાય સંબંધિત આદતો જેમ કે ‘લે ગાય ગાય ગાય ...’ કહીને ગાયને બોલાવી દોઢસો કિલોના શરીરને એક રોટલી ધરવા જેવી વાતોથી માંડીને મુનસીટાપલીનાં ઢોર-ત્રાસ નિવારણ ખાતાં અને એ ખાતાના કામદારોનાં ત્રાસ અને અમાનવીય વર્તન સંબંધિત વ્યથા રજુ કરી શકે.

પછી તો ગાયોનાં પણ કોચિંગ ક્લાસ ચાલુ થશે. ગાયોના મા-બાપ ગાયોને આ ક્લાસમાં લેવા મુકવા દોડાદોડ કરશે. કોક રખડું ગાયને પરાણે ભણાવવા મા-બાપ એની પાછળ એંઠવાડ ખાઈને પડી જશે. અંતે ગાયો પણ સ્ટ્રેસમાં આવી જશે. ગાયો ટેન્શનમાં અભ્યાસની ચોપડીઓ ચાવી જશે. મા-બાપ નબળી ગાય, એટલે બગાઈઓ વાળી નહિ, પણ અભ્યાસમાં નબળી હોય એવી ગાયોના એડમીશન માટે નેતાઓની ઓળખાણ લગાડશે, ડોનેશન આપશે, અને ગમે તેમ કરી ગાયોને પ્રવેશ અપાવશે.

જોકે વધુ એક સવાલ એ ઉભો થાય છે કે ધારો કે એક વખત ગાય એન્ટ્રન્સ એક્ઝામ આપી પણ દે અને મંત્રીઓના પુત્રોની જેમ એ એકઝામમાં પાસ પણ થઇ જાય. ભણીગણીને ગાયને ડિપ્લોમા એનાયત પણ થાય. પણ પછી એ સર્ટીફીકેટનું ગાય કરે શું ? છેવટે તો એણે દૂધ જ આપવાનું ને ?

આપણા પુરાણમાં એવું લખ્યું છે કે ગાયનું પુંછડું પકડી પુણ્યશાળી વૈતરણી પાર ઉતરી શકે છે. એટલે હવે બની શકે કે ગાયધણી પોતે અભણ રહે અને ગાયને ભણાવે અને એના જ્ઞાનનો લાભ લે. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ઘડપણમાં ડોહા-ડોહીને અલગ કાઢવાની પ્રથા જયારે શરુ થઈ છે એ સમયે ગાયને ભણાવવાનો આ તુક્કો અમને ખોટો નથી લાગતો.

Sunday, November 16, 2014

ભેંસ પે ચર્ચા


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | 
| ૧૬-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |

સુરતમાં પ્લેન સાથે ભેંસ અથડાઈ. આ વાતની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. તો અમે કેમ રહી જઈએ? અમે તો પોતે ભેંસપીડિત છીએ. આ ૧૧૦ ટકા સત્યઘટના છે. બે વખત અમને ભેંસે ધ્વસ્ત કર્યા છે. એ પણ સુરતમાં જ. પહેલી વખત રાત્રે ઉધના-મગદલ્લા રોડ ઉપર અમે જતાં હતાં. જવાનું હતું ઉધના દરવાજા પાસેના થિયેટરમાં મુવી જોવા. એ વખતની સુરત રીજીયોનલ એન્જીનીયરીંગ કોલેજનાં યંગ પ્રોફેસર કમ દોસ્ત સાથે રાત્રે સાડા આઠે બાઈક પર રમરમાટ જતાં હતાં. ભેંસનું કરવું તે એક ભેંસને પણ કલાક, મીનીટ અને સેકન્ડના હિસાબે એ જ સમયે રોડ ક્રોસ કરવાની ઈચ્છા થઈ. જે અમને ભેંસથી માત્ર સાડા પાંચ ફૂટનાં અંતરે રહ્યા હોઈશું ત્યારે ખબર પડી. પછી તો બ્રેક મારી. બાઈક સ્કીડ થઈ. ભેંસ સાથે ટક્કર ટળી, પણ બંનેને સરસ મઝાનું છોલાઈ ગયું. બીજી વખત હજીરા સાઈટ પરથી રાત્રે સુરત પાછાં આવતા હતાં. એ વખતે અમે શાપુરજી પાલોનજીમાં એન્જીનિયર હતાં. કંપનીનું ફોર વ્હીલર હતું. મોડું થયું હતું એટલે અમે અને ડ્રાઈવર બે જ જણા હતાં. આ વખતે ભેંસનું આખું ઝુંડ રોડ ક્રોસ કરતું હતું. જે ડ્રાઈવર કરતાં અમને પહેલાં દેખાયું. એમાં એક-બે ભેંસ ઉલળી પડી. ઝટકો વાગવાથી અમારા ઢીંચણમાં બેઠો માર વાગ્યો એટલે અઠવાડિયું ઊભા રહેવામાં અમને તકલીફ પડી. ત્યારે અમને એવો વિચાર આવ્યો હતો કે ભેંસ પર ચારેબાજુ રીફલેકટર લગાડવાની જરૂર છે. અથવા કાળા પ્રાણીઓને રસ્તા પર નીકળવા માટે પ્રતિબંધ મુકાવો જોઈએ. પણ અમે યોગ્ય સ્તરે રજૂઆત ન કરી શકાય એટલે આજે ભેંસ પ્લેન સાથે અથડાતી થઈ ગઈ !

હિન્દી ચેનલ્સની ભાષામાં કહીએ તો ‘ભેંસકી ઘટનાસે એરપોર્ટ કી  સિક્યોરીટી પર કઈ સવાલ ખડે હુએ હૈ’. જો ભેંસ ઘૂસી શકે તો કંઈ અને કોઈપણ પણ ઘૂસી શકે છે. કાલે ઉઠીને તમે પ્લેન બોર્ડ કરતાં હોવ ત્યારે નિસરણી પાસે કોઈ ભિખારી પણ ‘ભગવાન તમારી યાત્રા સલામત રાખે’ બોલતો સામે મળે. અને આમ ભેંસક ઘટનાઓ બનતી રહી તો આવા આશીર્વાદ આપતાં ભિખારીઓને રૂપિયા આપનારા પણ મળી આવશે. અથવા ટ્રેઈનમાં બને છે એમ, વિમાનમાં બોર્ડીંગ કરોને રૂપિયા ઉઘરાવવા કિન્નરો દેખા ‘દે’. અને જો ખારી સિંગ કે ભૂંસું-નમકીન વેચવાવાળા ફૂટી નીકળે, તો સુરતીઓને નવાઈ તો ન જ લાગે, બલ્કે આનંદ થાય.

જો લેન્ડિંગ વખતે પ્લેન ભેંસ સાથે અથડાયું હોત તો સો-દોઢસોનાં રામ રમી ગયા હોત. યમની સવારી પાડા ઉપર આવે છે. પણ અહીં પાડો નહીં ભેંસ અથડાઈ છે. એટલે જ સવાલ ઉઠ્યો છે કે ભેંસ જ કેમ અથડાય છે? પાડો કેમ નથી અથડાતો? કે પછી ભેંસ અને યમરાજના પાડા વચ્ચે સાંઠગાંઠ છે? બધાં અખબાર અને ચેનલો પર સમાચાર જોતાં કોઈ એક પણ જગ્યાએ પાડાનો ઉલ્લેખ નથી. અમે સમાજશાસ્ત્રી નથી. અમે પશુવિજ્ઞાની પણ નથી. કાયમ અકસ્માતો ભેંસ દ્વારા જ કેમ થાય છે એ અમારી સમજની બહાર છે. અને કોઈ અમને સમજાવશે નહીં ત્યાં સુધી એ અમારી સમજમાં આવશે પણ નહીં.

પણ એરપોર્ટ ઓથોરીટી હવે શું કરશે એ મોટો સવાલ છે. ભેંસ અથડાવવાથી પ્રાઈવેટ કંપનીએ સુરતની ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. જેમ પાકિસ્તાનમાં બોમ્બ ધડાકાનાં પગલે ક્રિકેટ ટીમો પોતાનો પાક પ્રવાસ રદ કરે છે એમ જ. આ ઘટનાને પગલે ઓથોરીટીએ હેલીકોપ્ટર ઉડાડી ભેંસોનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યું છે. આટલા મોટા એરપોર્ટની બાઉન્ડ્રીનું રક્ષણ કરવું અને એમાં બાકોરા ન પડવા દેવા એ તો એમનાં માટે અશક્ય જ લાગે છે. એટલે કદાચ નજીકના ભવિષ્યમાં એરપોર્ટ ઓથોરીટી ભેંસોને ડચકારા બોલાવીને ભગાડી શકે તેવા માણસો ભરતી કરશે. આમાં વધારે પગાર કે ભથ્થાની લાલચમાં જો મુનસીટાપલી સ્ટાફ ચાલુ નોકરીમાંથી રાજીનામું આપી આમાં જોડાશે તો પાછાં હતાં ત્યાંનાં ત્યાં ઘાટ થશે.

અત્યારે તો ભેંસ ઘૂસી જાય પછી બાઉન્ડ્રીને તાળા મારવા જેવી કવાયત ચાલી રહી છે. પશુપાલકો માટે આવી ઘટનાઓ ભેંસ આગળ ભાગવત જેવી છે, કારણ કે એમનાં માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે. જોકે આ પશુપાલકોની પણ એક વોટબેંક છે, એટલે એમની ભેંસને ડોબુ કહેવાની ભૂલ આપણાથી ન થાય. એટલું સારું છે કે એમણે એરપોર્ટ ઓથોરીટીને એમ નથી પૂછ્યું કે ‘મેરી ભેંસ કો ટક્કર કયું મારી’. જોકે એરપોર્ટમાં ઘુસ્યા સિવાય આજુબાજુમાં ઘાસ મળતું હોવાં છતાં પાળેલી ભેંસ અંદર ઘૂસી એ પશુપાલકોનાં ભરોસાની ભેંસ પ્લેન સાથે અથડાય એવું થયું. પણ ગઈ ભેંસ રનવે પર ત્યારથી તંત્ર હંમેશની મુજબ ચોંકી ઉઠ્યું છે, એટલે ભેંસ એનાં શીંગડા સહિત પશુપાલકોને ભારે જરૂર પડશે. અમારા જેવા ઉત્સાહીઓએ આ ઘટના પશ્ચાત ભેંસ સુરતની ભાગોળે, છાશ છાગોળે ને ફેસબુક પર ધમાધમ મચાવી દીધી હતી. જોકે અમારા જેવા ભેંસાસુર અવાજે બુમો પાડે એ ભેંસ આગળ બિન વગાડવા જેવું નકામું છે.  

આપણે ત્યાં સ્ટેડીયમમાં કૂતરા ઘૂસી જાય છે. વડોદરા શહેરમાં મગરો ઘૂસી જાય છે. દિલ્હીની ઓફિસોમાં વાંદરા ઘૂસી જાય છે. નારોલના ઘરોમાં ગટરના પાણી ઘૂસી જાય છે. ગાંધીનગર પાવર પ્લાન્ટ નજીક રહેતા લોકોના ઘરમાં રાખ ઘૂસી જાય છે. ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસી જાય છે. જમાલપુરમાં પીવાના પાણીમાં ગટરના પાણી ઘૂસી જાય છે. આપણાં ત્યાં ઘૂસવું એ એક કલ્ચર છે. ઘણાં લોકો ‘ઘૂસ’ કહેવડાવવામાં ગર્વ લે છે. ‘ફલાણા ભાઈ તો ભારે ઘૂસ છે, ગમે ત્યાં ઘૂસી જાય’! એમાં આ ગાય-ભેંસ ને વાંદરા-કૂતરાં ગમે ત્યાં ઘુસતા થઈ ગયાં છે.

વિખ્યાત એક્ટર અને કોમેડીયન ગ્રાઉચો માર્ક્સ કહે છે કે જો તમે જતાં હોવ અને તમારા રસ્તામાં કાળી બિલાડી આડી ઉતરે તો એમ સમજવું કે એ પ્રાણી ક્યાંક જાય છે. એ જ્યાં જતું હોય ત્યાં જાય, એ કંઈ આપણને પૂછીને નથી જવાનું. અને આપણે ના પાડીએ કે પ્રતિબંધ મુકીએ તો એ રોકાવાનું નથી. આપણે ગમે ત્યાં જઈએ રસ્તામાં એક નહીં, અનેક પ્રાણીઓ આડા ઉતરશે જ. એટલે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. પણ પ્રજા તરીકે આપણે સરકાર ભરોસે છીએ. સરકાર કરે તે ખરું! સરકાર રાખે તેમ રહીએ. સરકાર તારી માયા! 

Wednesday, August 06, 2014

કેટલાંક મોન્સુન બ્રેકિંગ ન્યૂઝ



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૩-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી | 
---------------------------------------------------------------------------------------------------------------------------
વરસાદી પાણી અન્ડરપાસમાં ભરાય
માટે મુનસીટાપલી* કમિશ્નરે રાખી બાધા.

Image Courtesy: Dr. Hemang Desai
અમદાવાદ: જેમનાં ડેપ્યુટેશન પર દિલ્હી જવાના સમાચારથી નગર ગાજી રહ્યું છે તેવા મુનસીટાપલી કમિશનર અમદાવાદથી ખરાબ રેકોર્ડ લઇ જવા નથી માંગતા. અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં તંત્રની પોલ લોકો આંગળીઓ કરી અને ફોટા પાડીને ખોલે છે. આવામાં કમિશનર સાહેબે આ વરસાદમાં જો અન્ડરપાસમાં પાણી ન ભરાય એ માટે બાધા રાખી હોવાનું જાણવા મળે છે. માનતા પૂરી થાય તો સાહેબ એક દિવસ માટે નોકર-ચાકર વગર પસાર કરશે એવું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં  ઠેકઠેકાણે આવેલા રેલ્વે અન્ડરપાસની ડ્રેનેજ ડીઝાઈન માટે એવું કહેવાય છે કે કૂતરા સુસુ કરી જાય તો પણ અન્ડરપાસ બંધ કરવો પડે. દર વર્ષે અંડરપાસમાં વાહનો ફસાય છે એટલે જ હવે અન્ડરપાસનું ડ્રેનેજ સુધારવાને બદલે મુનસીટાપલીએ અતિઆધુનિક દરવાજા મૂકી અન્ડરપાસમાં એક ફૂટથી વધારે પાણી ભરાય તો દરવાજા આપોઆપ બંધ થઈ જાય તેવી ગોઠવણ પ્લાન કરી છે. ટૂંક સમયમાં ડેમની જેમ અન્ડરપાસનાં દરવાજા ખોલ-બંધ કરવા માટે મુનસીટાપલી ‘અન્ડરપાસ ગેટ ઓપરેશન સેલ’ પણ ચાલુ કરશે.

અમદાવાદમાં વરસાદ પડે એટલે મુનસીટાપલીનો મોન્સુન પ્લાન યાદ આવે. અમુક જુનાં છાપાઓ તો માત્ર અમુક-તમુક ઈંચ વરસાદ પડ્યો એટલાં સમાચારનાં આધારે છાપામાં ‘પાલિકાનો મોન્સુન પ્લાન પાણીમાં’ એવું છાપી મારે છે. જે મોટેભાગે સાચું પણ પડે છે. ‘વરસાદ પડે એટલે પાણી ભરાય’ એ હવે ગટરોને પણ ખબર છે. અમુક બાળકો કે જે છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં જન્મ્યા છે અને ભારતની બહાર ક્યાંય ગયા નથી તેમને પાણી ભરાવાની ઘટનાથી નવાઈ નથી લાગતી. પણ જો ખુદ કમિશ્નરે બાધા રાખવી પડે તો લોકોનું શું થાય? તે હવે લોકજીભે ચર્ચાઈ રહ્યું છે. n


ગૌ-માંસની બેરોકટોક હેરફેરનો વિરોધ
કરવા રસ્તા ઉપર ઉતરી આવી ગાયો.

અમદાવાદ: અમદાવાદના યુનિવર્સીટી વિસ્તારના મોડલ રોડ ઉપર આજે સવારે અનેક ગાયો રસ્તા ઉપર આડી પડીને રાજ્ય અને શહેરમાં ગાયોની હત્યા અને ગૌ-માંસની હેરફેરના કિસ્સા અંગે વિરોધ કરતી નજર આવી હતી. ગોપાલકોએ આ અંગે ગાયોની દોરવણી ન કરી હોવાનું પણ જાણવા મળે છે. આજે સવારે સાડા નવનાં અરસામાં ઓફિસ જતાં વાહનચાલકો અને યુનિવર્સીટી અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓનું ધ્યાન ચાલીસ-પચાસ ગાયો કે જેમની ઘણી રોડ પર ચોખ્ખી જગ્યા શોધી પોતાનાં જીવની પરવા કર્યા વગર પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કરતી નજર આવી હતી.
આ અંગે અમારા સંવાદદાતાએ જયારે ટોળામાં સૌથી આગળ બેઠેલી લીડર જેવી ગૌરી ગાય સાથે વાત કરી ગૌરીએ જણાવ્યું હતું કે આ અંગે અમે રજૂઆત કરવા પોલિસ સ્ટેશન ગયાં તો પોલિસકર્મીઓએ અમને બેરહેમીથી લાકડીઓ મારી ભગાડી દીધી હતી. એથી અમે અહિંસક રીતે વિરોધ કરવા માટે સૌના પ્રિય એવા યુનિવર્સીટી વિસ્તારમાં ભેગાં થયા છીએ.’ જયારે ગૌરીને એમ પૂછવામાં આવ્યું કેતમારા અગામી કાર્યક્રમો શું છે?’ તો એણે જણાવ્યું હતું કે જો અમારી અહિંસક લડતને લોકોનો ટેકો અને પોલીસની નક્કર કાર્યવાહીમાં નહીં પરિણમે તો અમે લોકોને શીંગડે ચડાવવા તેમજ સાંકડા રસ્તાની મધ્યમાં બેસી ટ્રાફિક જામ કરવા જેવા જલદ પગલા લેતાં અટકીશું નહિ.’ સરકાર અને પોલિસ કમિશ્નરે આ બાબતમાં હંમેશની જેમ મૌન સાધ્યું છે.
જોકે અંદરખાને એવું જાણવા મળે છે કે આ તો વરસાદ સમયનું સામાન્ય દ્રશ્ય છે અને લોકો ગાયો વચ્ચે વાહન ચલાવવા એવા ટેવાઈ ગયા છે કે જે દિવસે ગાયો ન હોય તો પણ લોકો સીધી લીટીમાં વાહન ચલાવી નથી શકતા. મુનસીટાપલી ઢોર ત્રાસ નિવારણ હેલ્પલાઈન પર નંબર ડાયલ કરવાનો પ્રયત્ન કરતાં સામેથી જવાબ મળ્યો હતો કે આ મુનસીટાપલી વિઝા હેલ્પલાઈન છે. જો તમે ગાયોના ત્રાસથી કંટાળીને બીજાં કોઈ દેશમાં સ્થળાંતર કરવા ઇચ્છતા હોવ તો અમારા વિઝા એક્સપર્ટ સાથે વાત કરવા લાઈન ..... ચાલુ રાખોn


અમદાવાદનાં રસ્તાઓ પર ભરાતાં 
વરસાદી પાણીમાં વિકસાવાશે બીચ ટુરીઝમ.
અમદાવાદ: આજે ગાંધીનગરમાં પર્યટન મંત્રીની હાજરીમાં બ્રાઝિલની એક કંપનીએ સરકાર સાથે અમદાવાદમાં બીચ ટુરીઝમ વિકસાવવા કરાર કર્યા. એવું જાણવા મળે છે કે બ્રાઝિલમાં ઇકોનોમીનાં ખરાબ હોવાને પગલે બીચ ટુરીઝમનાં પણ વળતાં પાણી થયા છે. ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તોફાનોના કારણે થાઈલેન્ડ જેવા દેશમાં પણ હવે લોકો ભારત તરફ વળ્યા છે. આવામાં સદા અગ્રેસર ગુજરાત-અમદાવાદે બ્રાઝિલની કંપની સાથે અમદાવાદમાં કુદરતી રીતે સર્જાતાં આર્ટીફીશીયલ બીચ બનાવી અમદાવાદની પાણીની સમસ્યાને વિકાસની તકમાં ફેરવી નાખવાનું નક્કી કર્યું છે.
યોજનાની પ્રાથમિક જાણકારી આપતાં બ્રાઝિલીયન કંપનીના સીઈઓ શ્રી રોનાલ્ડોએ જણાવ્યું હતું કે અમદાવાદ બીચ ટુરીઝમ માટે આદર્શ છે. અમારા ફીઝીબીલીટી સ્ટડીમાં જાણવા મળ્યું કે અમદાવાદની પ્રજા બીચની મઝા માણવા ચારસો પાંચસો કિમી ડ્રાઈવ કરીને દીવ અને દમણ જાય છે એનાં બદલે અમારી ઘર આંગણે બીચ આપવાની યોજના છે. આ યોજના અંતર્ગત બધાં જ અન્ડરપાસને ચોમાસાથી શરુ કરીને ત્રણ મહિના સુધી પ્રાઈવેટ બીચમાં ફેરવી દેવામાં આવશે. આમેય અન્ડરપાસનું પાણી નીકળતું નથી તેવામાં લોકો અંડરપાસમાં ધુબાકા તો મારે જ છે, તો એને કાયદેસર રીતે બીચમાં ફેરવી નાખી અમે મુસીબતને તકમાં ફેરવીશું. આ ઉપરાંત અન્ય રસ્તાઓ કે જ્યાં ઝરમર વરસાદમાં પાણી ભરાઈ જાય છે ત્યાં બંને તરફથી પ્રવેશબંધી કરી વોટર સ્પોર્ટ્સ માટે વાપરવામાં આવશે. ટૂંક સમયમાં સ્પીડ બોટિંગ, વોટર સ્કીઈંગ જેવી એક્ટીવીટી ચાલુ કરવામાં આવશે જયારે અન્ડરપાસમાં સ્ક્યુબા ડાઈવિંગ અને અન્ડર સી વોક પણ કરાવવામાં આવશે. આ માટે રેતી તો વરસાદના પાણી સાથે ઢસડાઈને આવે જ છે પણ જરૂર જણાતાં પાણીમાં મીઠું પણ ઉમેરવામાં આવશે..
જોકે આ યોજનાનો અમુક સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. આ યોજના અમલમાં મુકાશે તો રસ્તાઓ બંધ થવાથી લોકોને વધારે હાલાકી પડે તેવી પીઆઈએલ હાઈકોર્ટમાં થવાની શક્યતા છે. છતાં સરકાર આ યોજના અમલમાં મુકવા કટીબદ્ધ હોઈ એમણે લીગલ ઓપિનીયન પણ મેળવી લીધો છે. જાણવા મળે છે કે ચોમાસાના દિવસોમાં ગયાં વર્ષોમાં કેટલા રસ્તા કેટલા દિવસ બંધ રહ્યાં હતાં તેની રજૂઆત વિરોધ પક્ષે વિધાનસભામાં કરી હતી. રસ્તા બંધ જ રહે જ છે તો આ યોજનાનો અમલ કરવાથી લોકોને વિશેષ હાલાકી નથી પડવાની તેવો જવાબ સરકાર હાઈકોર્ટમાં વિપક્ષે રજૂ કરેલ આંકડાઓને આધારે આપશે તેવું મનાય છે. આ સમાચાર સાંભળીને કેટલાક અધીર અમદાવાદીઓએ પેન્ટ કપાવીને ચડ્ડીઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. n
-------------
*મુનસીટાપલી = પચીસ હજારની વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી લેવલનું કામ કરતું મ્યુનિસિપલ કોર્પોરેશન