Wednesday, February 01, 2017

તાજમહેલનો ખરો ઈતિહાસ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૨-૨૦૧૭

સંજય લીલા ભણસાલી ઈતિહાસને પોતાની રીતે લખે છે. ગઝલકારો ગઝલમાં જેટલી છૂટ લઇ શકે એનાથી વધારે છૂટ ફિલ્મી લેખકો ઈતિહાસ બાબતે લઇ શકે છે. ભૂતકાળમાં ઇતિહાસમાં ફેઈલ થયેલા અને હાલ જેઓ વાલી છે તેમને વિદ્યાર્થીઓને ‘આ નવો ઈતિહાસ આપણા છોકરાઓને ભણવામાં આવશે તો?’ એવી ચિંતા થતાં ભણસાલીને લાફા ઠોકી આવે છે. જોકે આવા હોબાળા, વિરોધ અને લાફાથી આદર્શ કલાકાર અટકી જતો નથી. એટલે જ અમે પણ હવે ઈતિહાસ રી-લેખનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. ભલું હશે તો અમારી લખેલી સ્ટોરી કોઈ ખાન, ધોળકિયા, ભણસાલી, કે ગોવારીકરને ગમી જશે તો અમારી કિસ્મત ખુલી જશે !
તાજમહાલનો ખરો ઈતિહાસ 
Famous Follow Me picture at Taj
મુમતાઝની સુવાવડ ઘરમાં જ કરાતી હોવાથી એ તેર સુવાવડ સુધી તો ટકી ગઈ હતી, પણ ચૌદમી વખતે તબિયત થોડી નરમ લાગતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને પ્રસુતિ અને એ પછીની સારવાર દરમિયાન એની તબિયત લથડી હતી. શાહજહાં ચિંતાતુર વદને મુમતાઝનો હાથ પકડીને બેઠો હતો.

એણે મુમતાઝને પૂછ્યું : “તાઝ તને શેની ચિંતા સતાવે છે, તું શું ઈચ્છે છે?”
મુમતાઝે ક્ષીણ અવાજમાં કહ્યું: “મને મારા ભાઈ મહેમુદની ચિંતા સતાવે છે.”
--
વાત એમ હતી કે શાહજહાંનો સાળો મહેમુદ કોન્ટ્રાક્ટર હતો. અને એ ભણ્યો તો નહોતો અને રથ અને બળદગાડા રીપેર કરવાના ગેરેજમાં પરચુરણ નોકરી કરતો હતો. જોકે એમાં ધારી ફાવટ ન આવતા એ કન્સ્ટ્રકશનમાં પડ્યો હતો. શાહજહાંના સાળા હોવાને કારણે એને સરકારી ગેસ્ટ હાઉસ બનાવવાનું ટેન્ડર એક્ઝીક્યુટીવ એન્જીનીયરની અન-ઓફીશીયલ પાર્ટનરશીપમાં લાગ્યું હતું, પરંતુ બાંધકામ એટલું નબળું હતું કે બે વરસમાં તો એના પોપડા ખરવા લાગ્યા હતા. એટલું જ નહિ જયારે રાજ્યના વડા ન્યાયાધીશ એમાં રોકાયેલા એ જ વખતે મોટો પોપડો ખરતા જજની પત્ની ઈજાગ્રસ્ત થઇ હતી અને જજે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. જજની એકાએક ટ્રાન્સફર થઈ ગઈ. પરંતુ એ પછી મહેમુદને લોઅર ઇન્કમ ગ્રુપના ફ્લેટ્સ તથા ગ્રામીણ રોડ બાંધવા જેવા મોટા પણ બિન-અગત્યના કામો જ આપવામાં આવતા હતા. એમાય મહેમુદના ધંધામાં ખાસ બરકત નહોતી. સુપરવાઈઝરો ચૂનો વેચી આવતા હતા અને સપ્લાયરો બીલના નાણા માટે અવારનવાર મહેમુદની ઓફિસની તોડફોડ કરતા હતા.

શાહજહાં આનાથી વાકેફ હતા એટલે એમને મુમતાઝની ભાઈ માટેની ચિંતા વાજબી જણાઈ. શાહજહાં કઈ મુત્સદી નહોતો. એટલે બાદશાહે પોતાના અંગત સલાહકાર કમ કાકા સસરાને મુમતાઝના ભાઈ માટે ઘડપણ સુધી તકલીફ ન પડે એવું આયોજન કરવા કહ્યું હતું. આ સલાહકારનો ભાણો પાછો મહેમુદની કંપનીમાં અગત્યની પોસ્ટ પર હતો એટલે એને પણ મહેમૂદના ભવિષ્યમાં રસ હતો. એકંદરે આખી વાત એવી ઘડી કાઢવામાં આવી કે બુરહાનપુરમાં મરણ પથારીએ પડેલી મુમતાઝનો જીવ જતો નથી એટલે રાજાએ એને એક અદભૂત, ભવિષ્યમાં વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામે એવું સ્થાપત્ય બનાવવાનું વચન આપ્યું છે.

જોકે મહેમુદ સાત અજાયબીમાં સ્થાન પામે તેવું તો શું, સાતસો સીયાશી લાખ નંબરે આવે એવું કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતો ન હોઈ, કોઈ વિદેશી કંપની, જેવી કે ગ્રીક કે બ્રિટીશ કંપનીને કામ સોંપવું એવું નક્કી થયું. કંપનીની તલાશમાં શાહજહાના સલાહકાર સરકારી ખર્ચે છેક એથેન્સ અને લંડન ફરીને એક કંપની નક્કી કરી આવ્યા હતા. પરંતુ મોઘલ કાયદા પ્રમાણે વિદેશી કંપનીને કોન્ટ્રકટ આપી શકાય નહિ, એટલે છેવટે કામ મહેમુદને આપવું અને મહેમુદ પોતાનું પાંચ ટકા કમીશન કાપીને બ્રિટનની કંપનીને સબકોન્ટ્રાકટ આપી દે એવું નક્કી થયું. આ કામ માટે ખાસ એમ. જ્હોન એન્ડ મેથ્યુ નામની કંપનીની સ્થાપના પણ કરવામાં આવે, અહીં એમ. એટલે મહેમુદ સમજવું. આમ, અગામી દસ-પંદર વર્ષ સુધી મહેમુદને બેઠાબેઠા ખાવાનું મળી જાય.

શાહજહાંના આ પગલાનો આગ્રાના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. કારણ બહુ સ્પષ્ટ હતું કે રાજાના સાળાનું ટેન્ડર હોય તો સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ વાંધાવચકા કાઢ્યા વગર કામ મંજુર કરવું પડે અને કામ એજન્ડા પર લેવામાં મોડું કરી કોન્ટ્રાક્ટરને દબાણમાં પણ લાવી શકે નહિ. એટલે જ એ અસંતૃષ્ટ લોબી ખાનગીમાં જુના સ્થાનિક અખબારને આખા ઘટનાક્રમમાં મહેમુદને કઈ રીતે ફાયદો થવાનો છે તેની સ્ટોરી આપી આવ્યા હતા. પણ પછીથી અખબારના અધિપતિ અને શાહજહાંના કાકા સસરા વચ્ચે એક ગુપ્ત બેઠક થઇ અને મામલો સેટ થઇ ગયો. આમ છેવટે મહેમુદને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, પ્રારમ્ભિક અંદાજ મુજબ કામ ૧૧ કરોડ રૂપિયાનું હતું અને ૧૧ વર્ષમાં પૂરું કરવાનું હતું જે સમય જતાં ૨૨ કરોડનું થઇ ગયું અને ૨૨ વર્ષમાં પૂરું થયું. કામમાં અસહ્ય વિલંબ અને એસ્ટીમેટ કરતા વધારે બીલ કરવા માટે એમ. જ્હોન મેથ્યુ કંપનીને પૂરું પેમેન્ટ કરી દીધા બાદ બ્લેકલીસ્ટ કરવામાં આવી. જોકે બ્રિટીશ કંપની ભારતમાં મધ ભાળી ગઈ એટલે એમણે બ્લેકલિસ્ટેડ કંપનીમાં લેણદારોના રૂપિયા ડુબાડી નવી કંપની સ્થાપી. જાણકારો આ કંપનીનું નવું નામ જ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતું એવું કહે છે.
--
આ તો સારું થયું કે તાજમહાલ મુમતાઝના અવસાન બાદ બન્યો, પરંતુ વિચારો કે જો મુમતાઝ હયાત હોત અને તાજમહાલ બનાવવાનો થાત તો આટલી અદભૂત ડીઝાઈનમાં પણ એણે કૈંક ફેરફારો સૂચવ્યા હોત કદાચ ‘સફેદ આરસપહાણ તો કેવો સાવ ધોળોધફ લાગે છે!’ કરીને ગુલાબી, ગાજર કે બરગન્ડી કલરના પથ્થરોથી કામ કરવાનો આગ્રહ રાખ્યો હોત, અને એમ થયું હોત તો અત્યારે આપણી પાસે જે સ્વરૂપે તાજ છે એ ન હોત. એ ઉપરાંત આમ કરવામાં બાવીસ કરોડને બદલે ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચો થઇ જાત અને શાહજહાએ ગુજરાન ચલાવવા તાજમહાલની બહાર સિંગચણાની લારી ખોલવી પડત! પણ જે થયું નથી એની વાત શું કામ કરવી? ●

મસ્કા ફન
અમદાવાદની સ્થાપના અહમ દશરથલાલ શાહ (અહમ દ. શાહ) નામના કાપડના વેપારીએ કરી હતી.

1 comment: