Sunday, September 27, 2015

સલમાન ચીંધ્યો માર્ગ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

હમણાં જ દિલ્હીમાં મુનસીટાપલીએ અબ્દુલ મુઝફ્ફર મોઇઉદ્દિન મહમ્મદ ઔરંગઝેબ માર્ગનું નામ બદલીને અવુલ પકીર જૈનુંલબ્દીન અબ્દુલ કલામ માર્ગ કરી નાખ્યું. રાતોરાત આ રોડ પર રહેનારાનું સરનામું ફરી ગયું. ઔરંગઝેબમાંથી અબ્દુલ કલામ આવું કામ એક દિવસમાં માત્ર મુનસીટાપલી જ કરી શકે. ઔરંગઝેબ પોતાનાં ત્રણ ભાઈઓને મારી, બાપને કેદ કરી ગાદી ઉપર આવ્યો હતો. ઔરંગઝેબ કલા અને સંગીતનો ઔરંગઝેબ હતો. એ ખુબ જ રૂઢીચુસ્ત પણ હતો. ગાદી ટકાવી રાખવા એ આખી જિંદગી લડ્યા કર્યો હતો. અબ્દુલ કલામ સાહેબ કમાલનાં સાયન્ટીસ્ટ હતાં. એક ઉમદા માણસની મિસાલ રૂપ એવા ભારતરત્ન કલામ સાહેબ ભારતમાં મિસાઈલ મેન તરીકે જાણીતાં છે અને રહેશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ બંને પક્ષની સંમતિ અને આગ્રહથી એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ તરીકે પણ એ એમની સાદગી અને નમ્રતા માટે હંમેશા યાદ રહેશે. હવે દિલ્હીનાં આ રોડ પર ચાલનારાં પોતે કલામના માર્ગે ચાલે છે એમ કહી શકશે. સાયન્ટીસ્ટસ આ માર્ગ પર ચાલીને પ્રેરણા મેળવશે. 
--
 

દારૂડિયા અને જુગારીયાઓ સહીત ભારતમાં કદાચ ભાગ્યે જ કોઈ એવું હશે એ ગાંધી માર્ગ પર નહીં ચાલ્યું હોય. દેશના ખૂણે ખૂણામાં આવેલા નાનાં-મોટાં શહેરમાં એક ગાંધી માર્ગ તો હોય જ. અમદાવાદનો ગાંધી રોડ વર્ષોથી ચન્દ્રવિલાસ હોટલ અને ત્યાંના ફાફડા-જલેબી માટે પ્રખ્યાત હતો. અત્યારે ગાંધી રોડ પર ચાઇનીઝ આઈટમ્સ વધારે મળે છે. પણ વાત એ ગાંધી રોડની નહિ, ગાંધી ચીંધ્યા માર્ગની કરીશું. ભારતમાં કોઈએ ચીંધેલા માર્ગ પર ચાલવાની ફેશન છે. શબ્દશ: જોઈએ તો, ટેકનોલોજીના અભાવે આપણે જીપીએસને બદલે કોઈને પૂછી, એ ચીંધે એ માર્ગ પર જવા ટેવાયેલા પણ છીએ. 
 
ગાંધીજીએ કંઈ પોતાનાં નામના રોડ કે પુતળા બનાવવાનું નહોતું કહ્યું. એમણે એક વિચારસરણી આપી હતી અને એનાં પર ચાલી બતાવ્યું હતું. હવે આલિયા-માલિયા આ માર્ગે ચાલવાની વાતો કરે છે. જાણે ગાંધી ચીંધ્યો માર્ગ કોઈ શહેરનો મેઈન રોડ હોય જ્યાં ગમે તે પોતાની ઓડી કે બીએમડબ્લ્યુ લઈને જઈ શકતું હોય. નેતાઓએ ગાંધી-ચીંધ્યો માર્ગ બહુ વાપર્યો છે. ભાષણોમાં. ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. સત્યમેવ જયતે તો જેનાં માટે રોજ ખૂનામરકી થાય છે તે નોટો ઉપર આપણે છાપી માર્યું છે, અને અહિંસા હવે એક્સપ્રેસ છે.

હમણાં જ પાટીદારોના આંદોલનમાં ગાંધી, સરદાર, બોઝ, અને ભગત સિંહ આ બધાંના માર્ગે ચાલવાની જાહેરાત એક જ મંચ ઉપરથી, એક જ જણે કરી હતી. હવે ગાંધીજી અને ભગત સિંહના માર્ગનો કોમ્બો કઈ રીતે કરશે એ તો એ લોકો જાણે, બાકી આજકાલ કોનાં માર્ગે લોકો ચાલે છે એ જોવા જેવું છે.

દુનિયાનાં મોસ્ટ વોલેટાઈલ સ્ટોક માર્કેટ્સમાં આપણો નંબર તેરમો આવે છે. તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. શેરબજારમાં ઘણાં ગુજરાતીઓ ડૂબેલાં છે. બંને રીતે. ખુંપેલા પણ છે અને ડૂબેલાં પણ છે. આમાં બીગ બુલ હર્ષદ મહેતાનો માર્ગ ઘણો જાણીતો છે. આ માર્ગ જેલમાં પૂરો થયો હતો. કેતન પારેખ પણ આ માર્ગ પર ચાલીને જેલમાં ગયા છે. અત્યારની વાત જુદી છે પણ આઝાદીના સમયે જેલમાં જનાર હીરો ગણાતાં. આઝાદીનાં ૨૫ વર્ષ પછી જયારે સ્વાતંત્ર સેનાનીઓ માટે પેન્શન શરું થયું ત્યારે એ પેન્શન માટે હકદાર થવાનો એક શરત આઝાદી પૂર્વે છ મહિના ઉપરનો જેલવાસ હતો. એટલે અત્યારે સ્કેમ કરીને જેલ જનારાં પણ ‘હશે, બે-ચાર વરસ જેલમાં કાઢી નાખીએ, પણ પછી સાત પેઢી તો તરી જાય’ એ હિસાબે સ્કેમ કરતાં જાય છે. જેલમાં આજકાલ સગવડો પણ સારી મળે છે એવું સાંભળ્યું છે. અફકોર્સ રૂપિયા ખર્ચીનેસ્તો !

સાજીદ અલી ખાન જેનું મૂળ નામ છે તે ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાનને પદ્મશ્રી મળ્યો છે. બની શકે કે ભવિષ્યમાં કોઈ માર્ગને પદ્મશ્રી સૈફ અલી ખાન માર્ગ નામ પણ આપવામાં આવે. જોકે આનાં કરતાં કોઈ રોડને સલમાન માર્ગ નામ આપવામાં આવે તો એ વધારે પોપ્યુલર થાય, કારણ કે સલમાન માર્ગ પર ચાલનારાં આ પેઢીમાં ઘણાં છે. સલમાન ચીંધ્યા માર્ગે ચાલનાર મોડે સુધી લગ્ન નથી કરતાં, તથા અનેક ગર્લફ્રેન્ડ ધરાવે છે. ક્યારેક એ દારૂ પીને ગાડી પણ ચલાવે છે. દારુ ઉતરી જાય પછી એમને પોતે નહિ, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એવું પણ લાગે છે. વખત આવ્યે એ ફોન પર અને રૂબરૂમાં, મિત્રો અને ગર્લફ્રેન્ડઝને ગાળો પણ દે છે. સલમાન પોતાનું શર્ટ ઉતારવા માટે જાણીતો છે, અને હવે એ ફિલ્મમાં શર્ટ ન કાઢે તો ઘટના બને છે. દેશમાં અનેક લોકો, ખાસ કરીને પુરુષો, વસ્ત્ર સમસ્યાને કારણે, અથવા અસહ્ય ગરમીને કારણે શર્ટ કાઢીને ફરે છે. આ બધા આપોઆપ સલમાન માર્ગનાં પ્રવાસી બની જાય છે. જોકે સલમાનની જેમ શર્ટ કાઢે એટલે એમને ઠંડક જરૂર થાય છે, પણ કુલ નથી બની જતાં.

ભારત સંતોની ભૂમિ છે એ વાતનો લાભ લઈ વર્ષોથી લેભાગુઓ બાપુ અને સંત બની બેસે છે. જે સમસ્યા ડોકટર અને મેનેજર થયેલાં ઉકેલી ન કરી શકે, તેવી સમસ્યાઓ આ સંતો ઉકેલી શકે છે. આવું લોકો માનતાં હોય છે. આ માર્કેટિંગનો કમાલ છે. પછી સમસ્યા લઈને આવનારની સમસ્યામાં એમની જાણબહાર એક-બે નવી સમસ્યાઓનો ઉમેરો થાય છે. આની સામે આ સમસ્યાનું સમાધાન આપનાર સંતની સાતેક પેઢી તરી જાય એટલું ભેગું થાય છે. હા, સંતનીય પેઢીઓ હોય છે. બાપુ અને સંત બનવું એ દુન્યવી વૈભવો પ્રાપ્ત કરવાનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે આસારામે પણ ચીંધ્યો છે. આ રસ્તો પણ મોટેભાગે જેલમાં પૂરો થાય છે. લોકોના હાથે ધીબાવાનાં યોગ પણ આ માર્ગ પર ચાલનારાએ ગણતરીમાં રાખવા પડે છે. જોકે જેમ રૂપિયા અને શિષ્યો ભેગાં થતાં જાય તેમ પ્રોટેક્શન આપોઆપ મળતું જાય છે.

હવે તમને એમ થશે કે સંત અધીરેશ્વર કયો માર્ગ ચીંધે છે? તો અમે કહીએ છીએ કે અમારા કે કોઈએ બતાવેલા માર્ગે ચાલવું હોય તો ચાલવું, પણ આંખો ખુલ્લી રાખીને ચાલવું, નહીંતર જેલમાં નહીં તો ગટરમાં પડવાની પ્રોબેબીલીટી આ દેશમાં લગભગ ૧૦૦% છે.

No comments:

Post a Comment