Wednesday, November 23, 2016

એલિયન્સ સાથે લડવા આપણે કેટલા સજ્જ છીએ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૧૧-૨૦૧૬
 
એલિયન્સ એટલે કે પરગ્રહના જીવો જો પૃથ્વી પર આક્રમણ કરે તો આપણે એમનો સામનો કરવા કેટલા સજ્જ છીએ એ કદી વિચાર્યું છે? પોલીસ કે લશ્કર પાસે આ માટે તાલીમબદ્ધ જવાનો છે ખરા? આ બાબતમાં આપણો અનુભવ કેટલો? ‘કોઈ મિલ ગયા’ના ફ્રેન્ડલી ‘જાદૂ’ અને જોકર જેવા ‘PK’ સિવાય બીજા કોઈ સાથે આપણે પનારો પડ્યો છે ખરો? બીજી ઘણી બાબતની જેમ, એલિયન સામે લડવામાં પણ અમેરિકા મોખરે છે. અમેરિકા એ વિલ સ્મિથ, આર્નોલ્ડ શ્વોરઝેનેગર, ટોમ ક્રુઝ જેવા વીરોની ભૂમિ છે જેમણે ફક્ત માભોમ જ નહિ પણ સમગ્ર વિશ્વના રક્ષણ માટે પોતાની જાનની પરવા કર્યા વગર સાહસો ખેડ્યા છે. એમના પરાક્રમોને ગ્રંથસ્થ કરનાર કોઈ મજબુત લેખક મળ્યો હોત તો જગતને ‘અમેરિકાની રસધાર’ પણ મળી હોત એમાં કોઈ શક નથી. જો કે એ વાત જુદી છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર પેસેન્જર પ્લેન લેન્ડ થયા ત્યારે વિલ સ્મિથની સાસુ હોસ્પીટલમાં હતા, આર્નોલ્ડ એના બાબાને પીકનીક પર લઇ ગયો હતો અને ટોમ ક્રુઝ પેનેલોપ ક્રુઝ સાથે ડેટિંગ પર હતો એટલે આ દુર્ઘટના ઘટી. બાકી પૃથ્વી પર સંકટના વાદળ ઘેરાય ત્યારે હોલીવુડની ફિલ્મોમાં બતાવે છે એમ સાઈરન વગાડતી પોલીસની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને સ્ટાઈલથી ઉડતા હેલીકોપ્ટરો તો ૯/૧૧ વખતે પણ આવી ગયા હતા, પણ હિન્દી ફિલ્મની પોલીસની જેમ બધું પત્યા પછી.

અમે આ વાત ભલે હળવાશથી માંડી હોય પણ મુંબઈના અજય કુમાર આ બાબતે બહુ ગંભીર અને ચિંતિત છે. એમણે આર.ટી.આઈ. હેઠળ ગૃહખાતા પાસેથી એલિયન્સ, ઝોમ્બી અને બીજા અગોચર વિશ્વના તત્વો જો આપણા દેશ પર હુમલો કરી દે તો આપણું તંત્ર એનો સામનો કરવા માટે કેટલું સજ્જ છે એ જાણવા માગ્યું હતું. જોકે ગૃહખાતાએ તો આ બાબત પૂર્વપક્ષાત્મક એટલે કે hypothetical જણાતી હોઈ તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી એમ કહીને એની ઉપર ટોપલો ઢાંકી દીધો પણ અમને લાગે છે કે આ બાબતે ચર્ચા થવી જોઈએ.

સદનસીબે અત્યાર સુધી આપણો પનારો જે એલીયનો સાથે પડ્યો છે એ બધા ડાહ્યા હતા. પણ ન કરે નારાયણ કોઈ એલિયન વાયડું નીકળ્યું અને આપણું ઈન્ટરનેટનું નેટવર્ક ખોરવી નાખે તો દેશના ઝૂઝારુ યુવાનોની શી હાલત થાય? અહીં ગુજરાતમાં બેને ફક્ત થોડા જ દિવસ માટે નેટ-બેન મુક્યો હતો એમાં કેટલાક તો એટલા નવરા પડી ગયા હતા કે વોટસેપ-ફેસબુક વગર હવે જીવવામાં રહ્યું શું એમ વિચારીને ગૂગલ સ્ટોર ઉપર મરવાના ઉપાયો બતાવતી એપ્લીકેશનની શોધવા મંડ્યા હતા. એમાં પણ એમને કમબખ્ત ઈન્ટરનેટ નડ્યું. હવે જ્યાં સરખી રીતે મરી પણ શકતું હોય તો એ પ્રજા જાય ક્યાં?

રોજબરોજની જીંદગીમાં આપણો પનારો પૃથ્વી પરના જ અનેક ભયાનક અને કદાવર જીવો સાથે પડે છે, પણ એનો નીડરતાથી સામનો કરવા માટે આપણી સજ્જતા તપાસશો તો આંચકો લાગશે. જેમ કે, તમારે સ્વીચ પાડવી હોય પણ સ્વીચબોર્ડ ઉપર ગરોળી બેઠી હોય ત્યારે ‘છીછ ... છીછ...’ કરવા અને તાલી પાડવા સિવાય કંઈ કરી શકતા નથી. કૂતરાને ભગાડવા માટે ‘હોડ..’ કે ‘હટ્ટ..’ જ બોલો છો કે બીજું કંઈ? સમજ્યા કે વંદાને મારવા માટે તમારી પાસે સાવરણી જેવું મહાશાસ્ત્ર છે, પણ વંદો સામે આવીને ઉભો રહે ત્યારે તમારી હાલત બંદૂક વગર બોર્ડર પર પહોંચી ગયેલા સૈનિક જેવી હોય છે કે નહિ? અને તમે સાવરણી લઈને આવો ત્યાં સુધી વંદો તમારી રાહ જોઇને ઉભો રહેવાનો હતો? એક જમાનામાં તડકે સૂકવેલા અનાજ, પાપડ અને સાળેવડામાં ગાય મોઢું ના નાખે એ માટે બહાદુર માજીઓ લાકડી લઈને બેસતી. અત્યારે તો બ્યુટીપાર્લર અને સ્પાના લીધે માજીઓ લુપ્ત થવાના આરે છે ત્યારે લાકડી પણ ક્યાંથી હોવાની? આ સંજોગોમાં લેસર બીમવાળી ‘લાઈટસેબર’ તલવારો લઈને ઉતરી આવેલા ‘સ્ટાર વોર્સ’ ના જેડાઈ યોદ્ધાઓનો સામનો સાવરણીથી કરવાના હતા? વાત કરો છો! આપણી પણ કોઈ જવાબદારી ખરી કે નહિ?

આમ જુઓ તો એલિયન્સને દૂર રાખવાના આપણી પાસે ઘણા ઘરગથ્થું ઉપાયો છે. જેમ કે લીંબુ-મરચાં લટકાવવા. આ માન્યતા દૂર કરવામાં આવે તો લીંબુના ભાવ અડધા થઈ જાય. વર્ષો પહેલા હજીરા સાઈટ પર સર્વેયર અને મિત્ર રામ સુમેર પટેલે અમને એકવાર હળવાશથી કહ્યું હતું કે ‘સાહબ, પ્રાબ્લેમ નહિ હૈ તો ખડા કરો, મેનેજમેન્ટ કો બતાઓ કે પ્રાબ્લેમ હૈ, ફિર ઉસકો સોલ્વ કરો’. આપણા તાંત્રિકો અડદના દાણા નાખીને કેટલાય કલ્પનાતીત ભૂતો ઉભા કરે છે, અને પછી તેમને ઝાડું મારીને ભગાડી પણ દે છે. અફકોર્સ, એમાં ઘણીવાર અસરગ્રસ્તની તિજોરીમાં પણ ઝાડું વાગી જાય છે. તાંત્રિકોમાંના અમુક તો પાછા ગોલ્ડ મેડાલીસ્ટ છે! આ પ્રકારના વિશિષ્ટ ક્વોલીફીકેશન ધરાવનારાઓમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલને સ્થાન નથી હોતું. આમેય પરીક્ષા લીધા વગર અપાતા હોય ત્યારે શું કામ બ્રોન્ઝ મેડલ લેવો?

અમદાવાદમાં તો જોકે એલિયન્સ આવી શકે તેમ નથી કારણ કે એવું મનાય છે કે ગાયના છાણમાં અનેક ગુણ છે અને એમનો એક આ આસુરી શક્તિઓને દૂર રાખવાનો પણ છે. હવે અમદાવાદમાં તો કોઈ રસ્તો કે કોઈ આંગણું છાણ વિનાનું નથી તો આસુરી શક્તિઓ ઘૂસે ક્યાંથી? તેમ છતાં ધારોકે એલિયન્સ અમદાવાદમાં એકવાર ઘુસી જાય તો અમદાવાદના ફાફડા, ઊંધિયું ને જલેબી ખાઈને પછી અહીં જ રહી પડે ને?

મસ્કા ફન

નોટ ને બદલાવવામાં જલ્દી કરો ‘અધીર’
એક તો ઓછો સમય ને પાછળ લાંબી લાઈન છે.

No comments:

Post a Comment