Wednesday, July 05, 2017

પાણી જીવન છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૫-૦૭-૨૦૧૭
 
પાણી જીવન છે એટલે જ આપણે નદીઓને માતાનું સ્વરૂપ આપ્યું છે. જોકે દરિયામાં ખારું પાણી હોવા છતાં એને આપણે ફૂવા, માસા, સસરા, સાળો કે જમાઈ જેવું કોઈ નામ નથી આપ્યું. અનેક સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી હોવાનું સંશોધનોમાંથી બહાર આવ્યું છે. આનાથી એવું ફલિત થાય છે કે આપણા પૂર્વજો આળસુ હતા અને જ્યાં ખાવા-પીવાનું મળે ત્યાં વસી જતા હશે. અત્યારે મંગળ અને બીજા ગ્રહો-ઉપગ્રહો પર જે મિશન જાય છે તે “ત્યાં પાણી છે કે કેમ?” એ પહેલા શોધે છે. ગુજરાતીઓ અને કદાચ અન્ય પર્યટકો ફરવા જાય તો હોટલમાં પહેલા બાથરૂમ ચેક કરે છે. યજ્ઞયાગાદીમાં હાથમાં લઈને અંજલિ આપવામાં વપરાતું હોય કે કોઈને નવડાવી દેવામાં, પાણી વગર ચાલતું નથી. રાજકોટ જેવા વિસ્તારના પાણીના પ્રશ્ન કેટલીય પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કેટલાય વર્ષોથી છપાય છે. જ્યાં સુધી જુના પ્રશ્નો સળગતા હોય ત્યાં સુધી નવા પ્રશ્નો શોધવા જવાની જહેમત કોણ ઉઠાવે?

ચોમાસામાં શ્રીકાર વરસાદ થાય ત્યાં સુધી તો ઠીક છે પણ આભ ફાટે ત્યારે રસ્તા સરોવરત્વ પામે છે. સંસ્કૃતમાં કહ્યું છે એ પ્રમાણે आकाशात पतितं तोयं यथा गच्छति सागरम् અર્થાત જેમ આભમાંથી પડેલું પાણી સાગરમાં જાય છે એમ વરસાદનું પાણી, ઝભલા થેલીઓ અને ગુટખાની પડીકીઓથી રૂંધાયેલી હોય તેવી ગટર તરફ વહી જાય છે. આ વહેણમાં ‘ગુજરાતનો નાથ’ની મંજરી જેવી કોઈ મુગ્ધાને ઉતાવળે ફીણ રૂપી વસ્ત્રને ખેંચતી જતી (विकर्षन्ती फेनं वसनमिव) તરુણીના દર્શન થઇ શકે. રસ્તે ભરાયેલા પાણીમાં વાહનોમાંથી ઝમેલા ઓઈલથી કાળા થયેલા પાણીમાં ઋજુ હૃદયના કવિઓને જળની યમુનત્વ પામવાની અભીપ્સાના દર્શન થાય તો એમનો વાંક નથી. એ સમયે માથા ઉપર પેન્શનના પેપર્સ ભરેલી પ્લાસ્ટિકની થેલી મૂકીને કેડ સમાણા પાણીમાં જતા વૃદ્ધમાં વિચારકોને યમુના પાર કરતા વાસુદેવના દર્શન થઈ શકે છે. આ વાંચીને અમારામાં તમને કોઈ વિચારકના દર્શન થાય તો ભાવથી આશકા લઇ, ઘંટ વગાડી અને પ્રસાદી લેતા જજો.


ભલે ઉનાળામાં ચોમેર પાણીની બુમો પડતી હોય, પણ પાણી પ્રમાણમાં જ ખપે છે. ખાસ કરીને દાળમાં નાખો ત્યારે. જેમ કે સારી પંજાબી દાળને ‘દાલ અમીરી’ કહેવામાં આવે છે. પરંતુ દામોદર કે અન્ય કોઈ આળસુ શેફ નવેસરથી દાળ બનાવવાના કંટાળાને કારણે દાળમાં પાણી ઠપકારે એટલે એ ‘દાલ ગરીબી’ બને છે. એનાથી વધુ પાણી પડે તો એ ‘દાલ ફકીરી’, અને છેલ્લે ‘દાલ ભીખમંગી’ બની જાય છે. જે દાળમાં દાળનો દાણો પણ ન હોય એવી પારદર્શક દાળને ‘દાલ મનમોહન’ કહે છે. કવિઓ જ્યારે ઝાકળ કે મૃગજળના પાણીથી દાળ બનાવે ત્યારે ‘દાલ ખયાલી’ બને છે જે ખયાલી પુલાવ અને ઈશ્કની ઈડલી સાથે ખાઈ શકાય છે. આવી જ રીતે “છાંટો” પાણી કરવામાં પણ પ્રમાણ જાળવીને પાણી નાખવાનું હોય છે સિવાય કે એક ‘એક ચૂહે પે સૌ સૌ બિલ્લે’ જેવો ઘાટ હોય. આ રસીયાઓને જ સમજાશે. પાણીપુરીમાં પણ જેટલું ભરી શકાય એટલું પાણી જ ભરાય. એમાં છલકાતું આવે બેડલું ને મલકાતી આવે નાર ના ચાલે. નાર પાણીથી છલકતી પુરીથી નહિ પણ મફત મસાલા પૂરીથી મલકે છે એ વાતની પાણીપુરીવાળા ભૈયાને પણ ખબર હોય છે.

પરિસ્થિતિ પ્રમાણે પાણીના રંગ, આકાર, પ્રકાર, સ્વાદ, ઉપયોગ અને સ્વરૂપમાં બદલાવ આવે છે. થીજેલું પાણી બરફ છે. આલ્પ્સના ઢોળાવો પર વરસતો રૂના પૂમડા જેવો સફેદ બેસ્વાદ બરફ ગોળાની લારીમાં ગુલાબી, ફાલસા કે નારંગી રંગ અને સ્વાદ તો ધારણ કરે જ છે ઉપરાંત રૂપગર્વિતાઓના અધરોના ચસચસતા ચુંબનો પામીને વધુ મિષ્ટ બને છે! જોકે અમે કોઈના એઠા બરફગોળા ચાખવા નથી ગયા. આ તો માનુનીઓની વાત આવે ત્યારે આવું બધું લખવાનો રીવાજ છે એટલે વધારીને લખ્યું છે. પાણીમાં અપાર શક્તિ છે. વિશાળ જળરાશીને ડેમ વડે અવરોધીને જળવિદ્યુત પેદા કરાય છે તો ગર્લફ્રેન્ડની આંખમાં પ્રગટેલું એક અશ્રુબિંદુ એના બોયફ્રેન્ડ પાસે અણધાર્યા સાહસો કે ખર્ચા કરાવી શકે છે. આને તજજ્ઞો હાઈડ્રો પાવર પણ કહે છે. પાત્ર સાથે પાણીનો ઉપયોગ પણ બદલાય છે. સામાન્ય રીતે તગારામાં ભરેલું પાણી વાસણ-કપડા ધોવાના, ડોલમાં ભરેલું પાણી નહાવામાં, પ્યાલામાં ભરેલું પાણી પીવાના અને કટોરીમાં ભરેલું પાણી દાઢી કરવાના કામમાં લેવાતું હોય છે. લોટા મલ્ટીપરપઝ હતા, પરંતુ ‘જહાં સોચ વહાં શૌચાલય’ની ઝુંબેશ પછી હવે લોટામાનું પાણી અર્ઘ્ય આપવાના કામમાં જ વપરાય છે.

પાણી તારે છે તો પાણી મારે પણ છે. ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની હાર એટલી શરમજનક હતી કે ડૂબવા માટે સમંદર પણ નાનો પડે. એ મેચ દરમ્યાન વરસાદ પડે એવી આજીજી કરોડો લોકોએ કરી હશે પણ કમનસીબે માગ્યા મેહ વરસતા નથી એ કહેવત સાચી પડી. કહે છે કે બુંદ સે બિગડી હૌજ સે નહિ સુધરતી પણ વુમન્સ વર્લ્ડ કપમાં બુંદ જેવી ગણાતી આપણી મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમ સામે પાણી બતાવ્યું છે. હવે તો ફાળો કરીને પણ આપણા ભડવીરોને ઢાંકણીઓ મોકલવાની જરૂર છે.

પાણીદાર માણસને પણ પાણીની જરૂર પડે છે. કાઠીયાવાડનું માણસ પાણીદાર ગણાય છે પણ ત્યાં પીવાના પાણીની કાયમ તંગી રહેતી. ‘સૌની’ યોજના દ્વારા પાઈપલાઈનથી એ કમી પૂરી કરવામાં આવી રહી છે. આ ધીંગી ધરાને એક જમાનામાં પાણી ચડાવેલી તલવારો લઈને પાણીદાર ઘોડા ઉપર નીકળેલા યોધ્ધાઓ ધમરોળતા! પણ એ પાણી જુદું હતું. એની કિંમત અનમોલ હતી. આજે તો પાણી રૂ. ૨૦/-ની (GST પહેલાની કિંમત) પ્લાસ્ટીકની બોટલમાં સમાઈ ગયું છે.

મસ્કા ફન
'જબ હેરી મેટ સેજલ' એ 'દાદા હો દીકરી' ફિલ્મની રિમેક નથી - જસ્ટ જાણ સારું.

No comments:

Post a Comment