Wednesday, December 20, 2017

ચુંટણી અને પરીક્ષાના પરિણામ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૦-૧૨-૨૦૧૭
 
ચૂંટણી રંગેચંગે પતી ગઈ. રીઝલ્ટ પણ આવી ગયા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. પણ ચુંટણી યોજાય કે પછી પરીક્ષા અપાય તે સમયથી પરિણામ સુધીનો સમય, કે જેમાં ‘ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ’ થઈ ગયું હોય છે એ સમય ઘણો કપરો હોય છે. કારણ કે સીલ ખુલે ત્યારે ઘણાની કારકિર્દીને બુચ વાગી જાય છે. પરીક્ષામાં તો પરિણામ પછી બીજા વિકલ્પો હોય છે, પણ ચુંટણીમાં ભારે ખર્ચ કર્યા પછી કોસ્ટ બેનીફીટ એનાલિસીસમાં બેનિફિટની કોલમમાં આર્યભટ્ટની શોધ દેખાય ત્યારે ભલભલાને લાગી આવે !

ઉમેદવારોનો કોન્ફિડન્સ બંનેમાં લાકડા જેવો હોય છે. આવો આત્મવિશ્વાસ જાળવી રાખવા પ્રથમ લક્ષ્યાંક પાસ થવાનું હોય છે. આ ઇલેકશનમાં ‘પાસ’ ને કારણે થોડાઘણા નાપાસ થયા, પણ ગાજ્યા મેહ વરસ્યા નહીં. સભામાં જેટલા લોકો આવ્યા એટલા વોટ મળ્યા નહીં. પરીક્ષામાં જેટલા પાનાં ભર્યા હોય એટલા માર્ક પણ ન આવે એવું કંઇક! પરીક્ષામાં પાસ થવા ૩૫ માર્ક અને ઇલેકશનમાં જીતવા માટે બહુમતી અગત્યની છે. રાજકારણીઓ પાસે ડીગ્રી હોય તો પણ થર્ડ ક્લાસ ડીગ્રી હોય છે. એટલે જ પાસીંગ માર્ક અગત્યના છે. હારેલા રાજકીય પક્ષો ઈ.વી.એમ.ને દોષ દઈ શકે છે અથવા ‘અમારો વોટ શેર વધ્યો છે’, ‘ગ્રામ્ય વિસ્તારમાં અમે આગળ છીએ’ કે પછી ‘પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી છે’ કહીને તંગડી ઉંચી રાખી શકે છે. જયારે પરીક્ષામાં નાપાસ થયેલો જણ ‘ભલે હું નાપાસ થયો, પણ મારું ગ્રાંડ ટોટલ સત્યાવીસથી વધીને અઠ્યોતેર થયું છે’ કે પછી ‘ઓ.એમ.આર. રીડર હેક થયેલું હતું’ એમ કહીને બાપાના મારમાંથી બચી શકતો નથી. આ કઠોર સત્ય છે.

પરીક્ષા પછી પેપર સોલ્વ કરીને કે પછી વેબસાઈટ ઉપર ‘આન્સર કી’ જોઇને અને ચૂંટણી પછી એક્ઝીટ પોલથી રીઝલ્ટનો અંદાજ લગાવી શકાય છે. એક્ઝીટ પોલમાં મત આપી આવેલા લોકોનો અભ્યાસ અને સર્વે દ્વારા કોણ જીતશે અને કોણ હારશે એનો અંદાજ લગાવવામાં આવે છે. પરીક્ષા પત્યા બાદ મા-બાપને તો ખબર જ હોય છે કે પોતાનો ચિરંજીવી શું ધોળીને આવ્યો હશે! એમાં અમુક ભણેલા ગણેલા માબાપ પેપર લઈને ‘આમાં શું લખ્યું, આનો જવાબ શો આવ્યો?’ એવા પ્રશ્નો પૂછી પોતાનો ડર સાચો છે, એ સાબિત કરતા હોય છે. ચૂંટણીમાં એટલો ફેર છે કે પોતાનો ઉમેદવાર ચામાં ગયેલા ટોસ્ટ જેટલો ઢીલો હોય તો પણ ‘અમારો ઉમેદવાર જીતશે જ’ એવો દાવો થાય છે!

પરિણામ એ જાતકે કરેલા પુરુષાર્થનું ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણે ફળની ચિંતા કર્યા વગર પુરુષાર્થ કરવાની સલાહ આપી છે. આમ છતાં તમારી ફ્રુટની થેલીમાં ગાય મોઢું નાખતી હોય તો એને ‘હૈડ.. હૈડ..’ કહેવાનું કામ તો તમારે પોતે જ કરવું પડે. પરિણામ એક મુકામ છે. પરિણામ પછી કઈ દિશામાં આગળ વધવું એ નક્કી કરવામાં આવતું હોય છે. એ માટે પુરુષાર્થ પણ સાચી દિશામાં કરવો જોઈએ. સાયકલ સ્ટેન્ડ ઉપર હોય અને તમે પેડલ માર્યા કરો તો પ્રગતિ ન થાય. સારા પરિણામ માટે સચોટ આયોજન પણ કરવું પડતું હોય છે. મેથ્સનું પેપર આપવા સાયન્સની કાપલીઓ લઈને પહોંચી જાવ કે ચૂંટણી ટાણે જ જીભ લપસે એ સેલ્ફ ગોલ છે. આવા કિસ્સાઓમાં ભગવાન પણ મદદ ન કરી શકે.

પરિણામ પછી પણ બેનીફીટ ઓફ ડાઉટ ચૂંટણી ઉમેદવારને મળે છે, પરીક્ષા આપનારને નહીં. ચુંટણીમાં કેટલાય કાળાધોળા કરીને ટીકીટ મેળવી હોય, પાર્ટી ફંડમાં કે પક્ષના નેતાઓને કરોડો આપી ટીકીટ મેળવી હોય, જીતવા માટેકેટલાય દાવપેચ કર્યા હોય, ચુંટણીપ્રચારમાં મહાનુભાવોને ઉતારી દીધા હોય, અને એ પછી ચુંટણી હારે તો ‘ઈવીએમ ટેમ્પર થયા’, ‘સામેવાળી પાર્ટી પ્રજાને છેતરી ગઈ’, ‘જાતિવાદ નડ્યો’, ‘એન્ટીઇન્કમબન્સી નડી ગઈ’ જેવા ખુલાસા તૈયાર હોય છે. પરંતુ બોર્ડમાં ફેલ થનારના મા-બાપ તરફથી આવી સહાનુભુતિ નથી મળતી, એણે તો ‘રખડી ખાધું’, આખો દાડો મોબાઈલ હાથમાંથી છૂટે તો ને?’, ‘એને તો સીધું ધીરુભાઈ અંબાણી થવું છે, ભણવું નથી’ એવું બધું સાંભળવું પડે છે. આમ બંનેમાં ખરાબ પરિણામના કારણો પહેલેથી ખબર હોય છે. પરંતુ ચુંટણી હારનાર ફરી પોતાના ધંધે લાગી જાય છે, પણ પરીક્ષામાં ફેલ થનારનું જીવન અઘરું થઈ જાય છે. મા-બાપો આપણી પાર્ટીઓ જેટલા ઉદાર બને તો કેટલાય આપઘાત નિવારી શકાય!

પરીક્ષામાં નાપાસ થાવ તો રી-ટેસ્ટ અથવા રેમેડીયલ એક્ઝામ આપીને પાસ થઇ શકો પણ કમનસીબે ચુંટણીમાં એવું નથી. હવે મધ્યસત્ર ચૂંટણીની પ્રથા લુપ્ત થવા આવી છે એટલે પાંચ વર્ષ રાહ જોવી ફરજીયાત છે. પરિણામ પરીક્ષાનું હોય કે ચૂંટણીનું, જે આવે તે સ્વીકારવું પડે છે. અમિતાભ બચ્ચને એક વાર કે.બી.સી.માં એક સ્પર્ધકને કહ્યું હતું કે ‘મનને ગમતું થાય તો સારું જ છે, પણ ન થાય તો વધુ સારું છે. જે થઇ રહ્યું છે એ ન ગમતું હોય તો પણ એને ઈશ્વરેચ્છા સમજીને સ્વીકારજો; એણે તમારા માટે કૈંક સારું જ વિચાર્યું હશે.’ આ બધી ફિલોસોફી ઝાડવાનું કારણ એટલું જ કે ચૂંટણીનું પરિણામ તમારી ઈચ્છા મુજબ ન આવ્યું હોય તો મોળા પડતા નહિ; કીકો મારતા રહેજો. ફિલ્મો ફ્લોપ ઉપર ફ્લોપ જાય તોયે દેવ આનંદ અને રામ ગોપાલ વર્માએ ફિલ્મો બનાવવાનું છોડ્યું નહોતું.

મસ્કા ફન રાંધનારે શું રાંધ્યું છે એ નક્કી કરવું એ ઘણીવાર બીગબોસ શોનો અમુક પાર્ટીસીપન્ટ ભાઈ છે કે બહેન છે એ નક્કી કરવા જેટલું જ અઘરું હોય છે.

No comments:

Post a Comment