Wednesday, July 13, 2016

ફેટ ટેક્સ જ નહિ, પાન ખાઈને પિચકારી મારવા પર પણ ટેક્સ લાગવો જોઈએ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૩-૦૭-૨૦૧૬

કેરાલામાં ફાસ્ટ-ફૂડ જંક ફૂડ ઉપર ફેટ ટેક્સ લગાડવામાં આવ્યો છે અને એ પણ એકદમ તગડો. હવે કેરાલામાં જાડા થવું મોંઘુ પડશે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી ઘણા લેખકો અને ઉદ્યોગપતિઓ મુંબઈમાં સેટલ થયા છે, જયારે બાકીના પીવા માટે દીવ, દમણ અને આબુ જાય છે. આ ઉપરથી રસિયાઓમાં ‘દીવ, દમણ અને આબુ, જરાય નથી આઘુ’ એવી કહેવત પણ પ્રચલિત થઈ છે. પણ આ રીતે જ જંકફૂડ મોંઘુ થવાથી કેરાલીયનો હિજરત કરીને જાય છે કે પછી સાત્વિક અને ઓછા ટેક્સવાળા ભોજન તરફ વળે છે તે હાલ કહેવું મુશ્કેલ છે. હકીકતમાં અમને કેરાલીયનો સ્ટેનો-ટાઈપીંગ, પંક્ચર અને નર્સિંગ વ્યવસાયમાં વધુ હોય છે એટલી ખબર છે, બાકીની કોઈ ખાસિયત અમને માલુમ નથી. મતલબ કે એનો અમે અભ્યાસ કર્યો નથી. 

આમ તો જાતજાતના ટેક્સ દુનિયામાં વર્ષોથી લગાડવામાં આવે છે. રશિયાના પીટર ધ ગ્રેટે દાઢી પર ટેક્સ લગાડ્યો તો જેથી કરીને ત્યાના લોકો યુરોપના લોકોની જેમ ક્લીન શેવ બોલે તો ચીકના દેખાય. આપણે ત્યાં ૨૦૧૯ સુધી તો કમસેકમ આવો ટેક્સ લાગે તેવી શક્યતા નથી તેથી દાઢીવાળા નચિંત રહે. બ્રિટનમાં ૧૯૬૦ સુધી પત્તા રમવા ઉપર ટેક્સ હતો. આપણે ત્યાં આવું થાય તો જન્માષ્ટમી પર ઘણા લોકો કામ પર જવાનું શરુ કરી દે. અંગ્રેજોએ તો મીઠા ઉપર પણ ટેક્સ નાખ્યો હતો જેને કારણે આપણને દાંડી સત્યાગ્રહ, ગુજરાતી ટેક્સ્ટબુક પર દાંડીકુચનાં ફોટા અને આ સંબંધિત કવિતાઓ પણ મળી.

પણ અહીં વાત ફેટ ટેક્સની છે. શું ભારતમાં કુપોષણની સમસ્યા નથી? વિરોધપક્ષ જયારે વિરોધપક્ષમાં હોય ત્યારે આ સમસ્યા અંગે હો હા કરે છે તો પ્રજા જાતે ખાઈને વજન વધારે તો એમાં ટેક્સ નાખી એમને રોકવાની શી જરૂર છે? શું જાડા થવું એ આપણો મૂળભૂત અધિકાર નથી? શું બર્ગર અને પીઝા જ ખરાબ છે, સમોસા અને દાલવડા નહિ? શું આ ટેક્સના કારણે જાડા સાથે પાતળા પણ હોમાઈ નહિ જાય? આવા અનેક સવાલો ઉભા થાય છે. એમાય આ ટેક્સ દરખાસ્ત જે ૧૦૦% બિલ બનાવતી હોય એ ટાઈપના ફૂડ-જોઈન્ટસને અનુલક્ષીને બનાવી હોય એવું જણાય છે, જે બિલ વગર વેચે છે એમને તો બખ્ખાં ચાલુ જ રહેશે.

ગુજરાતે આમાંથી ધડો લેવો લઇને રંગ, કોળાનો પલ્પ અને હલકી ગુણવત્તાની ખાંડ નાખીને બનાવવામાં આવતા કહેવાતા ‘ટોમેટો’ સોસ પર ‘કેરબા’ દીઠ (જી, એ ‘સોસ’ પોલીપ્રોપીલીનના કાર્બોયમાં ડીલીવર થાય છે!) એની કીમત જેટલો ટેક્સ લેવામાં આવશે તો પણ લોકો હોંશે હોંશે આપશે કારણ કે એક સોસ ભરેલા એક કાર્બોયની કિંમત છે માત્ર રૂપિયા ૮૦/-! એ સાથે ખમણ, ભજીયા અને સમોસા સાથે પીરસાતી ચટણી પર પણ કટોરી દીઠ ટેક્સ નાખવો જોઈએ પછી ભલે લારીવાળો એ મફતમાં આપતો હોય. અમે તો કહીએ છીએ કે દાલવડા સાથે અપાતા એક એક તળેલા મરચા પર ટેક્સ નાખીને તીખું કરી દો. ઉત્તરાયણ પર ઊંધિયા-જલેબી અને દશેરા પર ખવાતા ફાફડા-જેલેબી ઉપર ટેક્સ નાખો. લોચો, ખીચું, પોંક અને ઘારી પર ટેક્સ નાખશો તો તો એ ટેક્સના રૂપિયાથી સુરતમાં એકોએક રસ્તો ફ્લાય ઓવરમાં ફેરવી નાખી શકાશે કારણ કે ખાવા-પીવાની વાટમાં પૈહાનું મોં જુવે એ બીજા, હુરટી લાલાઓ નહિ.

અને જો જંકફૂડ ખાવાની ટેવ હાનીકારક હોય તો બીજી અનેક હાનીકારક ટેવો પર પણ ટેક્સ નાખવો જોઈએ. જેમ કે પાનની પિચકારી મારવા પર. આ ટેક્સ લાગે, અને સારી રીતે અમલમાં મુકાય તો ખાલી સૌરાષ્ટ્રમાંથી જ એટલા રૂપિયા મળે કે એ રૂપિયામાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી જાય. જાહેરમાં ખણવા ઉપર ટેક્સ કે પેનલ્ટી લગાડવામાં આવે તો પણ ઘણી આવકની શક્યતા ઉભી થાય. પીળા દાંત ઉપર ટેક્સ લગાડવામાં આવે તો રાજ્યમાં નવી હજારો ડેન્ટલ કોલેજો ખોલવી પડે અને શિક્ષણ માફિયાઓ કે જે એન્જીનીયરીંગ કોલેજોમાં સંખ્યા ન મળવાથી હતાશ થયા છે, તેમના જીવનમાં આશાની જ્યોત પ્રગટે.

અમને લાગે છે કે કેરાલાની સરકારે ફેટ ટેક્સ નાખીને કરવેરાના ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી છે. આજે રેસ્તરાંવાળા દ્વારા સર્વ કરવામાં આવતા ખોરાકમાંની ચરબીને ટેક્સના દાયરામાં લાવવામાં આવી છે કાલ ઉઠીને કમર ઉપરની ચરબીને પણ ટેકસેબલ બનાવી શકાય. જેમ કે એરલાઈન્સમાં ખેંખલી અને વજનદાર લોકો એક જ ભાવે હવાઈ સફર કરે છે. આ બાબતે અમારું સૂચન એ છે કે પુખ્ત વયની વ્યક્તિનું ૬૦ કિલોગ્રામ સુધીનું વજન ટેક્સ ફ્રી રાખીને વધારાના દરેક કિલો દીઠ ટેક્સ લાગુ કરી શકાય. આ સંજોગોમાં અમારે પણ ટેક્સ ચૂકવવો પડે એમ છે અને અમે એ રાજીખુશીથી ભરવા તૈયાર છીએ એ વાચકોની જાણ સારું અમે જાહેર કરીએ છીએ.

આવો ટેક્સ લાગુ પાડવા પાછળનો આશય પ્રજા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાતા અટકે એવો છે. આ સારું કહેવાય. લોકો ચરબીવાળો ખોરાક ખાય એનાથી ખરાબ કોલેસ્ટેરોલ વધે અને એનાથી હૃદય રોગની તકલીફ થાય એવો તર્ક છે. જોકે લાખો રૂપિયા ખર્ચીને ડૉકટર બનતા અને કરોડો રૂપિયા ખર્ચીને કાર્ડિયોથોરાસિક સર્જન બનતા વ્યક્તિઓ અને એમના ડૉકટર પપ્પાઓ વિષે કંઈ વિચાર્યું નથી. મેડિકલ કાઉન્સિલ અને એથિક્સની અવગણના કરીને રેડિયો પર ડાયાબિટીસ સંબંધિત જાહેરાતો આપતા હોસ્પિટલ્સ, અને એ હોસ્પિટલ્સ પર નભતા લોકો વિષે કોઈ વિચાર કર્યો નથી. યુદ્ધ જેવી પરિસ્થિતિ વખતે એરલીફ્ટ કરવા પડતા ભારતીયોમાં કેરાલાની નર્સોનું પ્રમાણ સૌથી ઊંચું હોય છે. કુવેત, લિબ્યા કે યેમેન હોય, આ હકીકત છે. ત્યારે કેરાલા જ આવા કાયદા લાવે તે આશ્ચર્યજનક ન કહેવાય?

મસ્કા ફન

વર અને વરસાદને કદી જશ ન મળે.

No comments:

Post a Comment