Wednesday, August 31, 2016

ગોળ ગોળ વાતો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૪-૦૮-૨૦૧૬

એક કાકા કાંકરિયાની પાળ પાસે ઉભા ઉભા કબુતરને દાણા નાખવાની એક્શન કરતા હતા. એક ભાઈએ આ જોઇને પૂછ્યું “કાકા દાણા ક્યાં છે?’, તો કાકા કહે કે “કબુતર પણ ક્યાં છે?”. આ મોહન-જો-દડો જોકમાં વક્તા અને બિનવક્તાઓ દ્વારા જે દાણા નાખવામાં આવે છે તેનો ઉલ્લેખ હોય એવું જણાય છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ઈલેકશન કેમ્પેઈનની ઘણી ટીકાઓ થઈ રહી છે. ટ્રમ્પ તરફી એક એડમાં તો એવું કહ્યું હતું કે ટ્રમ્પ પાસે અમેરિકા માટે ‘ગ્રેટ વિઝન’ છે, ‘સ્પેસિફિક’ નહિ ‘બેસ્ટ વિઝન’. મોટી પણ નક્કર ન હોય તેવી વાતો કરવા માટે ટ્રમ્પની ઠેરઠેર મજાક ઉડાવાઈ રહી છે. જોકે આવી ગોળ ગોળ વાતો કરનારા ચોમાસામાં મચ્છરની જેમ આપણી આસપાસ ફરતાં હોય છે, પણ કમનસીબે આપણે મચ્છરની જેમ એમને મસળી શકતા નથી. 
 
અમને ઈતિહાસ ભણાવનાર મહેતા સાહેબ પણ આવા જ હતા. એમના કહેવા મુજબ અકબરે ઘણા મહાન કામો કર્યા હતા, જહાંગીરે અગત્યના કામો કર્યા હતા, શાહજહાને પણ ઇતિહાસમાં લખાય એવા કાર્યો કર્યા હતા. ગાંધીજીએ મહાન દાંડી કુચ કરી હતી અને એ કુચ કરીને દાંડી ગયા હતા. સાહેબના કહેવા મુજબ દાંડીકુચ માર્ચ મહિનામાં થઈ હતી એટલે એ અંગ્રેજીમાં દાંડી માર્ચ તરીકે ઓળખાય છે. કદાચ ડિસેમ્બરમાં થઈ હોત તો એ દાંડી ડિસેમ્બર તરીકે ઓળખાતી હોત. જવાહરલાલ નહેરુ પણ મહાન હતા. સાહેબનાં કહેવા મુજબ ઘરમાં બેઠા બેઠા અમે ઘરકામ નથી કરતાં જયારે જેલમાં બેઠા બેઠા નેહરુજીએ પુસ્તક લખ્યું હતું. જોકે ‘નહેરુજી જેલમાં કેમ ગયા હતા?’ એ અંગે પૃચ્છા કરનાર વિદ્યાર્થીએ પછીના ત્રણ દિવસ સ્કુલમાં દેખાયો નહોતો. અમે આગળ જતાં સાયન્સમાં ગયા એના માટે આ મહેતા સાહેબ જવાબદાર છે.

અમુક વખતે વાતનું મહત્વ નથી હોતું. વાત કરવાનું હોય છે. બેસતું વરસ હોય કે બેસણું, પા-અડધો કલાક ટાઈમપાસ કરવા કોઈ વાત કરવી પડે છે. જેમ શીરો બરોબર બની ન જાય ત્યાં સુધી કડાઈમાં તાવેથો ગોળ ગોળ હલાવતા રહેવું પડે છે, તેવું જ આ વાતોનું હોય છે. વાત કરનાર સામેવાળો પાકી ન જાય ત્યાં સુધી પોતાની વાત ‘હલાવ્યા’ રાખે છે. શીરામાં ઉપરથી નખાતા ડ્રાયફ્રુટની જેમ ‘તમે તો આવતાં જ નથી’, ‘શાંતિથી આવવાનું રાખો’ જેવા સુક્કા વાક્યો કહેવા-સાંભળવાના આવે છે. જલેબી બનાવવામાં તો બે-ત્રણ રાઉન્ડ ગોળ-ગોળ ફેરવીને ફૂલ-સ્ટોપ મુકવામાં આવે છે, પરંતુ ગોળ-ગોળ વાતોમાં ફૂલ-સ્ટોપ નથી હોતું. 
 
ગોળ એટલે કે વર્તુળમાં કેન્દ્ર હોય છે, પરંતુ ગોળ ગોળ વાત કરનારની વાતમાં કેન્દ્રસ્થાને કોઈ મુદ્દો હોતો નથી. જે વાત હાથમાં આવે તેને મુદ્દો બનાવી વિચાર વિસ્તાર કરતાં ફરે છે. ફિલ્મોમાં વલ્ગારીટી વધી ગઈ છે એ વિષય પર ચર્ચા ચાલતી હોય તો એ ‘ફિલ્મો વલ્ગારીટીને કારણે જ ચાલે છે’, ‘વલ્ગારીટીની યુવા પેઢી પર અવળી અસર પડે છે’, જેવા સ્ટેટમેન્ટ આપી દે છે. ક્યારેક ટેક્સટાઈલ પોલીસીની વાતમાં એ નાડાની ક્વોલીટી વિષે એ પ્રવચન ચાલુ કરી દે છે. આવી વાત કરનારને પોતે ક્યાં જવાનું એ નક્કી નથી હોતું એટલે જ એ ચાલુ ગાડીમાં ચઢી જતાં હોય છે. ‘હું પણ એ જ કહેતો હતો’ એ એમનો તકિયા કલામ હોય છે.

કવિઓ મોઘમ ઇશારા કરતાં હોય છે. સ્પષ્ટ કહી દે તો પછી લગ્ન થઈ જાય, અને કદાચિત કવિતા બંધ થઈ જાય. ‘વાદળોને કીધું છે તને કહી દે ...’ અલા, વાદળને શું કામ કે છે, ‘ડાયરેક ડાયલિંગ’ કર તો પત્તો ખાશે! કોની પાસે એટલો ટાઈમ છે? પણ કવિ જો સીધું કહેવાને બદલે ઉપમા થકી મોઘમ વાત કરતાં હોય, તો સામે દાદ આપનારા પણ કંઈ કમ નથી હોતા. મુશાયરામાં ‘ક્યા બાત હૈ’ સાંભળવા મળે એનો મતલબ કે ભાવકને ખબર નથી પડી કે કવિ શું કહેવા માંગે છે. અને જયારે લોકો ‘દુબારા’ કહે ત્યારે કવિ પંક્તિ ફરી વાંચે છે અને વાત સમજવા માટે શ્રોતાને સમય આપે છે.

કવિઓની વાત કરીએ ત્યારે અમુક કવિમિત્રોને માઠું લાગી જાય છે, એટલે લેખકોની પણ વાત કરીએ. અમુક લેખક એવા વિચારો રજૂ કરે છે જે વાંચીને મગજ લંબચોરસ થઈ જાય. જેમ કે ‘જિંદગી સોફા જેવી છે’. વિચારો કે જિંદગી સોફા જેવી કઈ રીતે હોઈ શકે. વાંચક બિચારો બધા વિચાર કરી નાખે. જિંદગી ‘નરમ કે પોચી હશે?’, ‘લંબચોરસ હશે?’, ‘દરેક માણસની જિંદગીમાં બે કે ત્રણ માણસને જ ખરેખર નજીકનું સ્થાન મળે છે’, ‘જિંદગી દરેકની હોય છે, પણ કમ્ફર્ટેબલ બધાની નથી હોતી’, પણ પછી લેખક ખુલાસો કરે તે આપણી કલ્પનાશક્તિની બહારનો હોય.

ભગવાન કૃષ્ણે જયારે જોયું કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્રો છે ત્યાં સુધી મહાભારતનું યુદ્ધ જીતી શકાવાનું નથી ત્યારે એક વોર સ્ટ્રેટેજીસ્ટ તરીકે એમણે દાવ ગોઠવ્યો કે અશ્વત્થામાના મૃત્યુના ખોટા સમાચાર દ્રોણ સુધી પહોચે. અજેય ગણાતા અશ્વત્થામાના મોતના સમાચાર દ્રોણ સાચા માને એ માટે એમણે યુધિષ્ઠિર પાસે 'અશ્વત્થામા હત:' એવું ગોળગોળ બોલાવડાવ્યું. પણ એમને ખાતરી જ હતી કે દ્રોણ પૂછશે જ કે એ અશ્વત્થામા નર કે હાથી? અને જવાબમાં યુધિષ્ઠિર સાચું કહી જ દેશે એટલે એ 'નરોવા કુંજરોવા' બોલે એ પહેલા ભીમ પાસે શંખ ફૂંકાવી દીધો! એ વખતે તો બન્ને નું સચવાઈ ગયું, પણ આજે લોકો ગોળ ગોળ બોલ્યા પછી શંખ ફૂંકાવવાની દરકાર પણ કરતા નથી, કારણ કે આ સતયુગ નથી!

મસ્કા ફન
ચોમાસાના ઝાપટાં કંઈ
રસ્તાને પૂછે,
તને ધોવાવું ગમશે કે કેમ?

No comments:

Post a Comment