Wednesday, June 28, 2017

વિકાસ ક્યાંથી દેખાય?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૮-૦૬-૨૦૧૭

મેં પાણી પી ને પાઉચ નીચે ફેંક્યું. તમે પણ ફેંક્યું. પેલાએ પણ ફેંક્યું. કીટલી પર કામ કરતા ટેણીએ સાવરણો મારી કચરો ભેગો કર્યો. વાળવાવાળાએ એવી ચાર પાંચ ઢગલીઓ ભેગી કરી અને એ કચરા સાથે કોથળીઓ ડબ્બામાં ગઈ. મુન્સીટાપલીની કચરા ગાડી એ ડબ્બો ઠાલવી ગઈ. એ કચરો ફરતો ફરતો કચરાના પહાડ પર પહોંચ્યો. ત્યાંથી એને વીણીને કોઈ રેગ-પીકર લઇ ગયું. ફરી એમાંથી પ્લાસ્ટિકનું ગેરકાયદેસર ઝભલું બની. ફરી એ આવી જ રીતે ફરતી ફરતી કચરાના પહાડ પર પહોંચી. એક કામ એકના બદલે દસ વખત કરવું પડે તો નવું ક્યાંથી થાય?

આ મિલેનિયમ વિકાસનું મિલેનિયમ છે. વિકાસને હવે સ્થૂળ વ્યાખ્યામાં બાંધી શકાય એમ નથી. સર્વગ્રાહી વિકાસનો કોઈ વિકલ્પ નથી. ખેડ, ખાતર અને પાણીથી વનસ્પતિ વૃદ્ધિ પામે છે. ભજીયા, દાલવડા અને પિત્ઝા ખાવાથી ફાંદનો અને દાઢી કરવાની આળસને કારણે દાઢીના વાળ વધે એને વિકાસ ન કહેવાય. ફેસબુક પર ભીંડાના આઈસ્ક્રીમની રેસીપી પણ સુંદર કન્યાઓના ફોટા સાથે પોસ્ટ કરવાથી લાઈક્સમાં વૃદ્ધિ, ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવાથી પ્રેમસંબંધમાં પ્રગતિ અને નેતા બનવાથી બેંક બેલેન્સમાં વધારો થાય છે. પણ માનસિકતા ન બદલાય ત્યાં સુધી સર્વગ્રાહી વિકાસ શક્ય નથી. અમારા એક સંબંધીનો દાખલો જુઓ. 
Source: TOI

અમારા એક સંબંધી કહે “અમારે ત્યાં ખિસકોલી ટીવી ચેનલના વાયર કાપી ખાય છે કોઈ ઉપાય બતાવોને!” અમે કહ્યું “ખિસકોલીને રોટલી-બોટલી નાખવાનું રાખો. બિચારા નાનકડા જીવને કેબલના વાયરો કાપીને પેટ ભરવું પડે છે. સોસાયટીવાળા ન માને તો ફાળો કરજો પણ ખીસકોલાં ભૂખે ન મરે એટલું જોજો”. એક જમાનો હતો જયારે ગાય, કૂતરા, કાગડા અને માગણને ઘરમાં જે બન્યું હોય એ ખાવા મળતું. આજકાલ ઘરમાં જમવામાં મેગી નૂડલ્સ જ બનતી હોય ત્યાં ગાયને કોથળીઓ ખાવાનો વારો આવે એમાં નવાઈ નથી. આંગણામાં આવતા ચકલાંનું પેટ ભરાઈ જાય એટલા ભાતના દાણા એઠવાડમાં જતા જોઇને જેના પેટનું પાણી ન હાલતું હોય એ સરકારને ટેક્સ શું આપવાના હતા? આ માનસિકતા સાથે ક્યાંથી વિકાસ થાય?

રંગરોગાનથી શોભતા બિલ્ડીંગ, સ્વચ્છ રસ્તા, વિખ્યાત શિક્ષણ સંસ્થાઓ અને વાહનવ્યવહારની શિસ્ત એ શહેરના વિકાસના માપદંડ છે. કમનસીબે પાન-માવાની પિચકારી મારવામાં અને અકલ્પ્ય જગ્યાએ મૂતરી આવવામાં આપણા સાહસિકો પાછા પડે એમ નથી. એમને છૂટ આપો તો ૨૪ કલાકમાં આખા તાજમહેલને પાનની પીચકારીથી લાલ કિલ્લો બનાવી દે એવું એક કવિએ કહ્યું છે. પણ નવી રંગાયેલી દીવાલો પર થૂંકી નાખો તો વિકાસ ક્યાંથી દેખાય? ફાવે ત્યાં મુતરી નાખો તો વિકાસ ક્યાંથી દેખાય? યુનીવર્સીટી અને કોલેજોની દીવાલો પર એબીવીપી અને એનએસયુઆઈના લીડરના નામો ગંદા ભૂરા અક્ષરે ચીતરવાથી ભણતરનું સ્તર શું ઊંચું આવશે? ગટરો પ્લાસ્ટિકની કોથળી અને પાણીના પાઉચથી ઠસોઠસ ભરાય તો વરસાદી પાણી ક્યાં જાય? અરે સિગ્નલ પર ઉભા રહેવામાં જાણે કીડીઓ કારમાં ઘૂસીને ચટકા ભરતી હોય એમ ભાગે છે, ઘરડા કે ગર્ભવતી સ્ત્રી રસ્તો ક્રોસ કરતી હોય તો થોભવા જેટલો વિવેક કે ધીરજ છે નહિ, આવી ઉતાવળથી આંબા પાકે? ૨૦૦૨નું કેલેન્ડર રાખો તો એમાં ૨૦૨૫ની પ્રગતિ ક્યાંથી દેખાય? નફરતના ચશ્માં પહેરીને વિકાસ ક્યાંથી દેખાય?

આજકાલની ફિલ્મોમાં હીરો લોગને જોઇને પણ નિરાશા થાય છે. જાણે કોઈને વિકાસની ભૂખ જ નથી! એક જમાનો હતો જયારે યુવાનો ઉપર વિકાસની ધૂન સવાર હતી. યુવાન દિલીપકુમાર ‘સાથી હાથ બઢાના ...’ ગીતનો ઉપાડ કરે કે તરત ૨૦-૨૫ યુવાનો એક લાઈનમાં ગોઠવાઈને પાસીંગ-ધ-તગારાની ગેમ ચાલુ કરતા. જેની ઉપર કેમેરા આવે એ તરત ત્રિકમ-કોદાળી લઈને ખોદવા મચી પડતું. એક જણનું કામ હોય ત્યાં પંદર જણા એક લાઈનમાં લાગી પડતા. હેન્ડસમ સુનીલ દત્ત ‘નયે દોર મેં લિખેંગે મિલકર નયી કહાની...’ ગાતા ગાતા આખા ભારતના ઔદ્યોગિક સંસ્થાનો, ઐતિહાસિક ઈમારતો અને ધર્મસ્થળોએ ફરી વળતા! મનોજ કુમાર તો ખભે હળ ઉપાડીને યુવાનોને કઠોર પરિશ્રમનો સંદેશ આપતા. જયારે આજે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે લઇ દઈને એક રંછોડદાસ ચાંચડ છે અને બીજી મેરીકોમ તથા મહાવીર ફોગાટની દીકરીઓ છે જેને આગળ વધવાની હોંશ હતી. બાકી પ્રેરણા લેવી હોય તો હાજર સ્ટોકમાં ચુલબુલ પાંડે, રઈસો અને મુન્નાભાઈઓ જ છે!

સંત જ્ઞાનેશ્વર ગોળ ન ખાવાની સલાહ આપતા પહેલા પોતે ગોળ ખાવાનું બંધ કર્યો હતો. પણ અહીં તો ઊંધું થાય છે. રેઈનકોટ પહેરીને ફરનાર ભીંજાવા પર કવિતા લખે છે. ભાઈ, બુલેટપ્રૂફ જેકેટ પહેરીને કંઈ દરિયા તરવા ન જવાય. મોબાઈલ વાપરતા આવડતું ન હોય એણે સ્માર્ટસીટીની ચર્ચામાં ન પડાય. માળિયામાં કે ધાબે ભંગાર ભરનારે મુનસીટાપલીએ કચરો કેમ ઉપાડવો એ સલાહ આપવાની જરૂર નથી. અને કૂકરની ત્રણ સીટી વાગી કે ચાર એ અંગે જે દ્વિધા અનુભવતું હોય એવા સરકારે કઈ રીતે નિર્ણયો લેવા જોઈએ એની સલાહો આપતા ફરે ત્યારે સાલું લાગી જ આવે ને?

અમુક કક્ષાના ધ્યેય સિદ્ધ કરવા માટે જે કરવું પડે એ કરવું પડે, એમાં બાંધછોડ પણ ન ચાલે. સાલું રબ્બરના સ્લીપર પહેરીને ઓલમ્પિક દોડવા જાવ તો મેડલ ક્યાંથી મળે? મોરપીંછની રજાઈ ઓઢીને શ્યામ ભલે સૂતા હોય, પણ વિકાસ માટે તો વિવેકાનંદજીએ કહ્યું છે એમ ઉઠો જાગો અને ધ્યેય-પ્રાપ્તિ માટે મંડી પડવાનું જ હોય. જે કશુક મેળવવા ઈચ્છતા હોય એ પછી બ્રશ કરવા પણ રોકાતા નથી. વિકાસના સ્વપ્ન જોવા હોય તો ભાઈ ઊંઘાય જ નહીં! બાકી કુંભકર્ણના ભાઈ તો યુદ્ધમાં હારવાના જ! લખી રાખજો.

મસ્કા ફન

આ વરસાદ,
ભૂમિપૂજન કરીને જતો રહે છે
ને આપણે
ક્યારે ખાડા ખોદાય એની રાહ જોતાં
બેસી રહીએ છીએ !

1 comment:

  1. perfect... aam nahi kariye to mara desh no vikas nahi thay..

    ReplyDelete