Sunday, October 25, 2015

નવી એવોર્ડ એક્સચેન્જ-રીટર્ન પોલિસી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૧૦-૨૦૧૫ 

અમેરિકામાં તમે માલ ખરીદો અને તમને સંતોષ ન થાય તો ત્રીસ દિવસમાં પાછો આપી શકો છો. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતાં. આનો લાભ લઈ અમુક એ.બી.સી.ડી. અને આઈ.બી.સી.ડી. દિવાળી પર સપરિવાર કપડાં ખરીદી, દિવાળીમાં ટેગ સંતાડીને પહેરે અને અઠવાડિયા પછી પાછું આપી આવે છે. આપણા ગુજરાતીઓ પ્રેક્ટિકલ છે. મળતો લાભ લેવો એ મંત્ર છે. જોકે ગુજરાતી જ શું કામ? આ બધા ભારતીયોને લાગુ પડે છે. એમાં કવિ-લેખકો પણ બાકાત નથી. 

હમણાં એવોર્ડ રીટર્ન કરવાની સીઝન ચાલુ થઈ છે. સાહિત્ય એકેડમી જાણે પસ્તીની દુકાન હોય એમ એવોર્ડ રીટર્ન થઈ રહ્યાં છે/એવું કરવાની જાહેરાત થઈ રહી છે. એવોર્ડમાં મળેલી જર્જરિત શાલ કોઈએ પાછી આપી હોય એવું પણ ધ્યાનમાં નથી આવતું. જોકે શાલ પાછી આપનાર શાલ ધોઈને પાછી આપે એવી અપેક્ષા રાખવી સાવ યોગ્ય પણ નથી. એવોર્ડ અપાય એની કિંમત હોય છે. એવોર્ડ સાથે મળેલા રૂપિયા વ્યાજ સહિત પાછાં આપ્યા હોય એવું પણ જાણવામાં નથી આવતું.

કેટલાક એવોર્ડથી વ્યક્તિની હસ્તીની ઘણીવાર લોકોને જાણ થતી હોય છે. અમુક મહાનુભાવો તો પોતે જે સમારંભમાં હાજરી આપતા હોય ત્યાં એમની ઓળખ વિધિમાં એમને મળેલા એવોર્ડ, પારિતોષિકકે મળેલા સન્માનનો ઉલ્લેખ થાય એની ચોકસાઈ રાખતા હોય છે. અમુક લેખકો/ કવિઓ એમના પુસ્તકો ઉપર કે પુસ્તકની અંદર એમને મળેલા ઇનામઅકરામ અને એવોર્ડના નામનો ઉલ્લેખ પણ કરતા હોય છે. જે તે એવોર્ડ કે પારિતોષિકઆપનાર સંસ્થાઓએ ‘ગુલઝાર’ ચિંધ્યા રાહે ‘मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है’ કહીને આવી ‘ઇનડાયરેકટ અર્નિંગ’ પરની ‘બ્રાંડ રોયલ્ટી’ની પણ ‘રીકવરી’ કાઢવી જોઈએ. આ ઉપરાંત પોતે સ્વીકારેલા સિદ્ધાંતને અનુસરીને સર્જકોએ પોતે જ આ ઇનામ-અકરામના ઉલ્લેખ સાથેના પુસ્તકો વેચાણમાંથી પરત લઇ અને ઉલ્લેખ વગરના પુસ્તકો મુકીને આ પ્રકારના વિરોધને બળ આપવું જોઈએ. અમને લાગે છે કે આમ કરવાથી આ ઝુંબેશમાં પ્રકાશકોને પણ જોડી શકાશે.

ઓસ્કાર જેવા એવોર્ડ વેચાય નહિ તેના માટે રીટર્ન સુવિધા છે. આપણે ત્યાં એવોર્ડ રીટર્ન પોલિસી બદલવી પડશે તેવું સાહિત્ય અકાદમીને લાગે છે. અમને તો લાગે છે કે રીટર્ન કરવાની કિંમત લેવી જોઈએ. કારણ કે એવોર્ડના નામે પુસ્તક વેચાણ, બોર્ડમાં સ્થાન, અન્ય સન્માન, એ બધું ગણો તો એવોર્ડનું કાગળિયું પાછું આપવું એ કેરી ખાઈ લીધાં પછી ગોટલો પાછો આપવા જેવું છે. નવા એવોર્ડ લેવા હોય એમની ઇનામની રકમ ડિપોઝીટ તરીકે જમા કરાવી લેવી જોઈએ. જેથી એવોર્ડ રીટર્ન કરે તો ડિપોઝીટ જપ્ત થઈ શકે. આ ઉપરાંત એવોર્ડનાં ઉપયોગનું એન્યુઅલ રીટર્ન ભરવાનું ફરજીયાત કરવું જોઈએ જેથી એવોર્ડના ઇનટેન્જીબલ લાભોનું વેલ્યુએશન થઈ શકે, જેથી એવોર્ડ રીટર્ન થાય તો એની રીટર્ન પ્રાઈસ નક્કી કરી શકાય.

આપણે ત્યાં ઈનામમાં શાલ ઓઢાડવાનો રીવાજ છે. આવી શાલો ઠાકુરની શાલની જેમ વરસો વરસ વપરાતી પણ હોય છે. આ સંજોગોમાં શાલ પાછી આપતાં પહેલા ડ્રાયક્લીન કરાવીને પાછી આપવી એવું ફરજીયાત કરવામાં આવે. જોકે આવું ન કરે તો જર્જરિત શાલ અકાદમીના સ્ટોરમાં ઉંદર મારવાની દવાનું કામ કરે તેવી તક પણ રહી છે. અકાદમી ખાતે પણ આવા પરત આવેલા એવોર્ડ, પ્રમાણપત્ર, શાલ, ખેસ, ટોપી, પાઘડી વગેરેનું એક કાયમી પ્રદર્શન પણ ઉભું કરી શકાય જેમાં વસ્તુ નીચે જે તે મહાનુભાવ કયા ક્ષેત્રના કર્મી હતા એનો વિગતવાર પરિચય અને કઈ ઘટના, બાબત કે વિચારના વિરોધમાં અથવા કઈ વ્યક્તિ કે સંસ્થા સામે વાંધો પડવાથી એ વસ્તુ પરત કરેલ છે તેની વિગતો મુકવી જોઈએ. પછીના વર્ષોમાં જે ઉદાત્ત હેતુસર આવી હસ્તીઓએ આ મહાન ત્યાગ કર્યો હતો એનાથી સમાજીક પ્રવાહોમાં કેવા મોટા ફેરફાર આવ્યા એની ઉપર સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ, અને એના માટે રીસર્ચ સ્કોલરશીપો પણ અપાવી જોઈએ.

જેમ વિદેશ જઈ પાછાં આવનાર ફોરેન રીટર્ન કહેવાય છે, એમ જ એવોર્ડ લઈને રીટર્ન કરે તેને એવોર્ડ રીટર્ન કહી શકાય. એક જમાનામાં ફોરેન રીટર્નનું જેવું મહત્વ દેશીઓમાં હતું તેવો દબદબો અત્યારે સ્યુડો-બૌદ્ધિકોમાં એવોર્ડ રીટર્ન કવિ-લેખકોનો છે. ખાસ કરીને જેઓ વિઝાના ધક્કા ખાઈ રિજેક્ટનો સિક્કો મરાવી પાછાં આવ્યા છે, તેવા એવોર્ડ વંચિતો આવા એવોર્ડ રીટર્ન સાહિત્યકારોની ખુમારી પર વારી જાય છે. પહેલાના જમાનામાં લોકો ખર્ચો કરીને વિદેશ જનાર સગાનાં ફોટા ‘વિદેશ ગમન’ એવા શીર્ષક હેઠળ છાપામાં છપાવતા. એમ શરુશરુમાં એવોર્ડ-રીટર્નનાં ફોટા છપાય છે, ટીવી ઇન્ટરવ્યુ પણ થાય છે. પણ એમના આદર્શો સાથે જે કોઈ પાંચ-પચ્ચા જણા સંમત થતા હોય એમણે ભેગા થઈને, ખાલી ફેસબુક-ટ્વીટર પર મંજીરા વગાડીને અભિવાદન કરવાને બદલે, આવા અઠંગ ‘પરતકરું’ કવિ-લેખક-કલાકારશ્રીને નવી, નોન-રીટર્નેબલ, શાલ ઓઢાડીને સન્માન કરવું જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે ‘તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ’ અને અમને ખાતરી છે કે આખા બ્રહ્માંડમાં સંભવી શકે એવા એલિયન સહીતના તમામ પ્રકારનાં લોકો આપણા દેશમાં જ મળી આવશે, એટલે આવું સન્માન કરવાના આ પગલાને વધાવનારા (વાંદરાને દારુ પાનારા કોણ બોલ્યું?) અદકપાંહળા પણ મળી જ આવશે જ.

મસ્કા ફન
 

સેલ્ફી ઈફેક્ટ : આ નવરાત્રીમાં સૌથી વધુ કંઇ જોવા મળ્યુ હોય તો એ છે ... ખેલૈયાઓની બગલ !!!

No comments:

Post a Comment