Wednesday, October 18, 2017

ભૂત આળસુ હોય છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૮-૧૦-૨૦૧૭

નરકાસુર નામના અસુરે ૧૬,૦૦૦ કન્યાઓને બંદી બનાવેલી. ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કરી આ કન્યાઓને મુક્ત કરાવી હતી. જોકે આ બધી કન્યાઓ મનથી ભગવાનને વરી ચુકી હોવાથી ભગવાને તેમનો પછી પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આમ ભગવાનને આ દિવસે સોળ હજાર પત્ની અને સાથે સોળહજાર સસરા, સોળ હજાર સાસુ, અને હજારો સાળા-સાળીઓ પ્રાપ્ત થયા હતા. આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો એટલે નર્ક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે જેને કાળીચૌદશ આપણે કહીએ છીએ તે. બધિરદાસ બાપુ અને સંત અધીરેશ્વરનું કહેવું છે કે મનુષ્ય પોતાના અહં રૂપી નરકાસુરને યમલોક પહોંચાડે તો એની કેદમાંથી મુક્ત થયેલી વૃત્તિઓને ભગવાન કૃષ્ણ પોતાના શરણમાં લે છે.

નરક ચતુર્દશીના દિવસે શરીરે તેલ લગાડીને કરવામાં આવતા ‘અભ્યંગ’ પ્રકારના સ્નાનનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે નરક ચતુર્દશીની વહેલી સવારે અઘેડાના પાન નાખેલા પાણી વડે અભ્યંગ સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. જોકે જેમના લગ્નજીવન નર્ક જેવા થઇ ગયા હોય એ લોકો અઘેડાના પાન નાખીને નહાશે, એનો લેપ કરશે કે પછી એના પાનનો હલવો બનાવીને ખાશે તો પણ ફેર નહિ પડે; માટે અમથી કીકો મારશો નહિ. આવું હોત તો લોકો ડાયવોર્સ માટે લોયરના બદલે વૈદ્ય પાસે જતા હોત. આયુર્વેદ મુજબ અઘેડો વાયુ અને ખંજવાળનું પણ શમન કરે છે. અહી વાયુ એટલે શરીર અને ખાસ કરીને પેટના વાયુની વાત છે, મગજના વાયુ માટે મનોચિકિત્સકનો સંપર્ક કરવો. એજ રીતે તમને અર્બન ગુજરાતી ફિલ્મ બનાવવાની, યુ ટ્યુબ પર ચેનલ શરુ કરવાની કે ફેસબુક ઉપર ‘લાઈવ’ જવાની ખુજલી ઉપડતી હોય તો અત્યારે ડબલ સીઝન હોઈ અઘેડાનો પ્રયોગ વાયડો પડશે. 

આશ્ચર્યની વાત છે કે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રના નિયમ મુજબ ફરતા ગ્રહો સપરમા દા’ડે એવી ખાસ રીતે ગોઠવાય છે કે સમય દરમ્યાન અમુક ચોક્કસ ચીજોની ખરીદી કરનાર પર લક્ષ્મીજીની કૃપા ઉતરી આવે! દર સાલ કોઈ એવો યોગ આવે છે કે જે છેલ્લે અડતાલીસ કે બેતાલીસ વર્ષ પહેલા આવ્યો હોય અને હવે પછી બ્યાંશી વર્ષ સુધી ફરી ન આવવાનો હોય! અને આપણે ત્યાં શાસ્ત્રો એટલા બધા છે કે આમાં સાચું શું અને ખોટું શું એ ભોજિયો ભ’ઈ પણ જોવા જતો નથી. ધારો કે તમારા તંબૂરા વેચવાના ધંધામાં ઘરાકી ન હોય અને દિવાળીમાં માખીઓ મારતા બેઠા હોવ એ વખતે કોઈ કંઠકૂણિકા શાસ્ત્રનાં આધારથી એવું જાહેર કરે કે આ વખતે કાળી ચૌદશના દિવસે સર્વ સિદ્ધિ યોગ છે અને રાત્રે સાડા અગિયારથી સાડા બાર વચ્ચે તંબુરો ખરીદનારના ઘરમાંથી સોનાના ચરુ નીકળશે તો પબ્લિક રાત્રે સાડા બાર વાગે તમારું ઘર ખોલાવીને તંબુરા ખરીદી જશે! અમે લખ્યું તો છે જ, સાચવી રાખજો!

કાળીચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ, એટલે કે રાત છે, આજનાં દિવસે એટલે કે રાતે સ્મશાનમાં સાધના કરવાથી સાધકોને સફળતા મળે છે. સ્મશાનનો અને ભૂતનો જુનો સંબંધ છે. મરીને ભૂત થયેલા લોકો રોગીષ્ટ, ઉંમરલાયક કે પછી આળસુ હોવાથી દૂર જવાને બદલે સ્મશાનની આજુબાજુના ઝાડ પર જ પડ્યા પાથર્યા રહેતા હશે એવી માન્યતા કદાચ આપણા લોકોમાં પ્રવર્તે છે. જોકે ઝાડ પર ચઢવામાં પણ મહેનત કરવી પડે, પરંતુ ભૂત પાસે સુપરપાવર હોય છે એવું આપણે ફિલ્મો અને વાર્તામાં વાંચ્યું છે. ભૂતના ડરને કારણે રાત્રે અને ખાસ કરીને અમાસ કે અંધારી રાત્રે સ્મશાન બાજુથી પસાર થતાં પણ લોકો ડરે છે. ભૂતના અસ્તિત્વ અંગે ભલે તેઓ ચોક્કસ ન હોય, પણ ડરવા માટે ભૂત હોય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી નથી. એટલે જ ઝેર અને ભૂતના પારખા કરવાનું મોટા ભાગે લોકો ટાળે છે.

ગાંધીજીએ પણ આપણને સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા અગિયાર મંત્ર આપેલા છે. કાળીચૌદશે પણ મંત્ર તંત્ર સાધના કરવાનું માહત્મ્ય છે. ગાંધીજીવાળા નહીં. ગાંધીજીના આપેલા મંત્રો આજીવન કરવાના હોય છે. સવારે છાપા સાથે આવતા મફત જાહેરાતના રદ્દી કાગળોમાં મંત્રથી ધાર્યું કામ કરી આપવાની ગેરંટી માત્ર ૫૧/-માં આપવામાં આવે છે. એટલું જ નહીં આ એકાવન પાછાં રીફંડેબલ હોય છે. મંત્ર કરવાથી પ્રેમિકા વશ, બૉસ ખુશ, બીલ પાસ, પત્ની પિયર, ઓવરટેક કરીને પ્રમોશન, પાડોશીના વાઈફાઈનો પાસવર્ડ, નેતાને ઈર્ષ્યા આવે તેટલા વિદેશ પ્રવાસ, પતિને સિગારેટની અને પત્નીને વોટ્સેપની લતમાંથી મુક્ત કરાવવા જેવી અનેક લોભામણી ઓફરો આપવામાં આવે છે. ઉપર જણાવેલા ગાંધીજીના અગિયાર મંત્રો વિષે અજ્ઞાની લોકો આ મંત્રો પાછળ એકાવનથી શરુ કરીને લાખો રૂપિયા સુધી ખર્ચી નાખે છે.

આપણે ત્યાં કોઈ જ્ઞાતિ, સંસ્થા, ટ્રસ્ટ કે સરકારના વહીવટમાં કોઈ પણ જાતના દેખીતા હેતુ વગર ઊંડો રસ લેનારા, દખલ કરનારા, ફાચર મારનારા કે અવરોધરૂપ બનનારા પંચાતીયા અને ખાટસવાદિયા લોકોને ચૌદશ કે ચૌદશીયા કહેવાનો રિવાજ છે. આજકાલ આવા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે પણ ઓળખાય છે. પેલી ‘છમ્મ વડુ’ વાળી વાર્તામાં આવતા બાળકો, જે 'મા મને છમ્મ વડુ' કહીને અડધી રાત્રે બની રહેલાં વડામાં ભાગ માગતા હતા એ, મોટા થઈને ચૌદશીયા બનતા હોય છે એવી વાયકા છે. જેનો પગ આવા ચૌદશીયાના કુંડાળામાં પડે એને લખ ચોરાશી ફેરાનો થાક આ ભવમાં જ લાગી જાય છે. આવા ચૌદશીયા પાછા અલા-બલાથી બચવા કાળી ચૌદશના દિવસે ચાર રસ્તે કુંડાળું કરીને વડા મૂકી આવતા હોય તો પણ નવાઈ નહીં!

મસ્કા ફન

ખુદ બાદશાહની બેગમ મુમતાઝ સુવાવડમાં ગુજરી ગઈ છે ત્યારે શાહજહાં હોસ્પિટલ બાંધવાને બદલે મકબરો બાંધવાના છે. સરકારી ખજાનાનો કેવો દુરોપયોગ ! (આગ્રા સમાચાર, ૧૬૩૨)

No comments:

Post a Comment