Tuesday, September 17, 2013

શાકમાર્કેટમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા ઉપર પ્રતિબંધ




શાકમાર્કેટ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા ઉપર આજ મધરાતથી પ્રતિબંધ 
(વાયા અધીર ન્યુઝ નેટવર્ક)
--
અમદાવાદમાં તાત્કાલિક અસરથી આવે એ રીતે શાકમાર્કેટનાં ૫૦૦ મીટર અંતરમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા પર પોલીસ કમિશ્નરે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આજ રાત્રે બાર વાગ્યાથી અમલમાં મુકાશે. આ પ્રતિબંધના મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડે તેમ હોઈ પોલીસ કમિશ્નરે એસઆરપીની વધારાની આઠ કંપનીઓ મંગાવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આ તરફ રમીલાબેન કે જેઓ ઇસનપુર શાકમાર્કેટની રામલખન ભૈયાની સંતોષ પકોડી સેન્ટરની કાયમી ઘરાક છે તેણે ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘આ સ્ત્રીઓના સ્વતંત્રતાના અધિકાર પર તરાપ છે. સું અમારે એક કિલોમીટર ચાલીને પકોડી ખાવા જવાનું? રૂપલબેન કે જે પાંચ વર્ષ પહેલાં લગ્ન કરીને ઇસનપુરમાં આવ્યાં ત્યારથી રોજ શાકમાર્કેટની મુલાકાત લે છે, અને બે લીંબુ, મીઠો લીમડો ખરીદી પાણીપુરી ખાઈ ઘેર પાછાં જાય છે, એ આ સમાચારથી હતપ્રભ થઈ ગયા છે.  


યુનિ સમાજશાસ્ત્ર ફેકલ્ટીના એક અધ્યાપકે કરેલા એક રીસર્ચ મુજબ શાકમાર્કેટમાં આવી પાણીપુરી ખાતી સ્ત્રીઓમાં હ્રદયરોગનું પ્રમાણ પાણીપુરી ખાધા વગર પાછી જતી સ્ત્રીઓની સરખામણીમાં ૩૮.૭૬% ઓછું જોવા મળ્યું હતું. આના કારણો સમજાવતા પ્રોફેસર વનશ્રીબેન પરીખે જણાવ્યું હતું કે ‘સ્ત્રીઓ પાણીપુરી ખાવા જાય ત્યારે એકબીજાને પોતાના દુખની વાત કરી હળવી થઈ જાય છે. એમાં ક્યારેક સાસુ-સાસરિયાની બુરાઈ પણ આવી જાય. આ સંજોગોમાં એમનાં મનની વાત કહેવા મળતાં એમનાં મનનો બોજો હલકો થઈ જાય છે’. 

આ પ્રતિબંધ પાછળનાં કારણો અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, અમુક એવું માને છે કે પોલીસ કમિશનરના ખુદના પત્ની હાઈજેનીક પાણીપુરી પોસાતી હોવા છતાં અમુક ચોક્કસ ભૈયાના પરસેવાવાળા હાથની પાણીપુરી ખાવા રોજ ગુલબાઈ ટેકરાથી ઇસનપુર જાય છે. ડ્રાઈવરે ગાડીની લોગબુકમાં મેમસાબના નામે વીસ કિલોમીટરનાં ચક્કર બતાવ્યા એ જોઈ કમિશ્નર સાહેબને ચક્કર આવી ગયા હતાં. પાણીપુરીના પાણીમાં કશુંક ભેળવતા હોવાની શંકાએ ફોરેન્સિક લેબવાળા સેમ્પલ લઈ ગયા હતાં, પણ એમને કોઈ નશાયુકત તત્વ મળ્યું નહોતું. જોકે અમારા સુત્રોને મળેલી આધારભૂત માહિતી મુજબ પાણીપુરીમાં પોષક તત્વો ન હોઈ, અને તીખી પાણીપુરી ખાધાં પછી ઘેર જમવાનું બરોબર જમાતું ન હોવાથી સ્ત્રીઓમાં પોષણની ઉણપ રહે છે. મધ્યમવર્ગની સ્ત્રીઓ જયારે સરકારી દવાખાનામાં સારવાર માટે જાય ત્યારે તેમના વજનના આંકડા નોંધાય છે. આ આંકડાઓના આધારે કોઈ એનજીઓએ તાજેતરમાં ગુજરાતી સ્ત્રીઓનાં ઓછાં વજન અંગે દેશવ્યાપી ઉહાપોહ મચાવેલો હોઈ સરકાર ચોંકી ઉઠી સફાળા આ પ્રતિબંધ લાગુ કર્યો છે. બાકી ગુજરાતમાં તો એવું કહેવાય છે કે ‘શાકમાર્કેટમાં જઈ જે પાણીપુરી ખાતી નથી, તે સ્ત્રી કોઈ પણ હોય ગુજરાતી નથી’ એવામાં આ પ્રતિબંધ મહિલાઓની સ્વતંત્રતા પર તરાપ છે અને એનાં ઘેરા પ્રત્યાઘાત આવશે એ નક્કી છે.

No comments:

Post a Comment