Sunday, September 08, 2013

એન્ટીક ચડ્ડી

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
ચીનના વૈભવી લાઇફ સ્ટાઇલ માટે જાણીતા ભ્રષ્ટ નેતા બો ઝિલાઈએ કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું કે એ ચડ્ડી પણ ૫૦ વરસ જૂની, એ પણ મમ્મીએ આપેલી પહેરે છે. આ સમાચારે વિશ્વભરમાં જુદા જુદા કારણસર ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાની એક યુનિવર્સિટીને તો આ ચડ્ડીમાં એટલો રસ પડ્યો છે કે ચડ્ડી હાસિલ કરવા અમેરિકા ચીન પર હુમલો કરે તો નવાઈ નહી લાગે. આમેય અમેરિકા કોઈ નવા ડખાની શોધમાં છે જ!

બોની આ એન્ટીક ચડ્ડી કેવી ટકાઉ છે! શું એ સ્ટેનલેસ સ્ટીલની બનેલી હશે? કારણ કે પચાસ વર્ષોમાં ધોવાય, સુકાવાય, ઘસાય તોયે ન ફાટે એવી ચડ્ડી તો અમે જોઈ કે પહેરી નથી. કે પછી એ ચડ્ડી પ્લાસ્ટિકની હશે? પ્લાસ્ટિક નોન-બાયોડીગ્રેડેબલ હોય છે, મતલબ આત્માની જેમ પ્લાસ્ટિકનો નાશ નથી થતો, એ રીસાયકલ થયા કરે છે. જોકે પ્લાસ્ટિક અલ્ટ્રાવાયોલેટ રેઝ સામે ૫૦ વર્ષ ટકી શકે નહી. મતલબ કે એણે ચડ્ડી તડકામાં તો સૂકવી નહીં જ હોય. ઘણા વસ્ત્રોમાં સૂચના લખેલી હોય છે કે તડકામાં ન સૂકવવા. એવું કદાચ આ ચડ્ડીના લેબલમાં લખ્યું હોય, જેને જોની મમ્મીએ સિરિયસલી લઈ લીધું હોય એવું બને.

આ ચડ્ડીની ક્વૉલિટી સંબંધિત ઘણા પ્રશ્નો અમને થાય છે. આમેય અમારાંમાં કુતૂહલ ભારોભાર ભર્યું છે. જેમ કે આ ચડ્ડી કયા કલરની હશે? જો રંગીન હોય તો એનો રંગ આટલાં વર્ષોમાં ગયો હશે કે નહી? જો એનો એટલે કે ચડ્ડીનો રંગ ગયો હોય તો પચાસ વર્ષોમાં આ કંજુસીયા બોએ ચડ્ડીને રંગ કરાવ્યો હશે કે નહી? ચડ્ડી નાડાવાળી હશે કે ઇલાસ્ટીકવાળી? જો ઇલાસ્ટીકવાળી હોય તો આટલાં વર્ષોમાં એનું ઇલાસ્ટીક એનું એ જ હશે કે એ પણ બદલાવ્યું હશે? આ સિવાય શું ચડ્ડીમાં થાગડથીગડ કરવામાં આવ્યાં હશે કે નહી? અને જો થીગડા, રંગ અને ઇલાસ્ટીક/નાડું બદલવામાં આવ્યાં હોય તો પેલાં શીપ ઑફ થીસિસજેવો પ્રશ્ન અહિં પણ થાય કે આને મૂળ ચડ્ડી કહેવાય કે નહી? અમને લાગે છે આ નિર્ણય કોર્ટ પર જ છોડવો જોઈએ.

જોકે આ સમાચાર અમને એટલાં રસપ્રદ લાગ્યા કે અમે અમારી ફેસબુક વોલ પર શેર કર્યાં, તો લોકોને પણ બેહદ આશ્ચર્ય થયું. બધાનો સુર એક જ હતો કે કોઇપણ ચાઈનીઝ વસ્તુ ૫૦ વરસ ચાલે જ કઈ રીતે? સામાન્ય રીતે ચાઈનીઝ માલ માટે એમ કહેવાય છે કે ચલે તો ચાંદ તક નહી તો રાત તક. ચાંદ સુધી તો કોઈએ જઈને જોયું નથી કે એટલે રાતવાળી વાત સાચી માનવાનું મન થાય. આમ જુઓ તો મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ પણ કંઈ ઠેકાણાંવાળી હોય એવું જરૂરી નથી, એટલે જ તો છેક ગાંધીજીના જમાનામાં સ્વદેશીની ચળવળો કરવી પડતી હતી. પણ ચાઈનીઝ માલ યુઝ એન્ડ થ્રો પ્રકારનો હોય છે. એવામાં આ ચડ્ડીએ નવો ચીલો ચાતર્યો હોય એવું લાગે છે. ઘણાને આ ચડ્ડી ચીલો ચાતરેએ શબ્દરચના નહી મગજમાં ઊતરે. પણ એ અમારો પ્રશ્ન નથી.

ચડ્ડી સંબંધિત ચર્ચામાં ભાગ લેનારમાં અમુક એવું માને છે કે કદાચ બોની આ ચડ્ડી ચાઈનીઝ હશે જ નહી. કારણ કે ચીનમાં ચીનની દીવાલ સિવાય કોઈ વસ્તુ ટકાઉ હોય એવું કોઈની જાણમાં નથી. આ સંબંધે અમુક રેશનાલીસ્ટ વિચારસરણી ધરાવનારા એવું માને છે કે બો રોજ ચડ્ડી નહી પહેરતો હોય. મતલબ રોજ આ ચર્ચાસ્પદ ચડ્ડી નહી પહેરતો હોય, ખાલી શુભપ્રસંગે કે વારે-તહેવારે પહેરતો હશે. કદાચ લકી ચડ્ડી હોય એટલે પણ એ ગુડલક માટે પહેરતો હોય અને એટલે જ એ કોર્ટમાં પણ એજ ચડ્ડી પહેરીને આવ્યો હોય. તો પછી ચાલી શકે પચાસ વરસ. બો શોખીન માણસ હતો, એટલે ભલે પચાસ વરસ જૂની હોય, એની ચડ્ડી ઈમ્પોર્ટેડ પણ હોઈ શકે. જોકે ૧૯૬૦માં ખરીદેલી ચડ્ડીની વાત છે એટલે એ વખતે ચાઇના ક્યાંથી ઈમ્પોર્ટ કરતું હશે તે પણ કોકે વિચારવું પડે.

જોકે કારણ ગમે તે હોય, પચાસ વર્ષ ચાલી એ ચડ્ડીની છાનબીન થવી જ જોઈએ. ચીન સરકારે પણ ભ્રષ્ટ્રાચારના આરોપો બાજુ પર મૂકી ચડ્ડી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે મનોજ કુમારના કહેવા મુજબ માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાનપૈકી કપડાં એક છે. ભારતમાં તો ફૂડ સિક્યોરિટી બિલઅને ભૂતપૂર્વ પ્રધાનમન્ત્રીઓના નામની આવાસ યોજનાઓથી રોટી અને મકાનનો પ્રશ્ન તો આગામી ઇલેક્શન સુધીમાં ઉકેલાઈ ગયો હશે, એટલે રહ્યો પ્રશ્ન કપડાનો, જેના ઉકેલ તરફ જોની પચાસ વર્ષ જૂની ચડ્ડીએ દિશાનિર્દેશ કર્યો છે. જો પચાસ વર્ષ ચાલે એવા કપડાં શોધાય, તો આપણી વસ્ત્ર સમસ્યા પણ દૂર થઈ જાય અને ભારતમાં વગર ભાજપની સરકારે રામરાજ્ય આવી જાય!

ખરેખર તો ચીન સરકારે આ પચાસ વરસ જૂની ચડ્ડીને મ્યુઝિયમમાં મૂકવી જોઈએ. વર્લ્ડ હેરિટેજ સંસ્થાને અગ્નિ અને ચક્રની શોધની જેમ આ ચડ્ડીની શોધને ઉત્ક્રાંતિનું એક સીમાચિહ્ન જાહેર કરવું જોઈએ. ભારત સરકારની ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી બીજું કશું ન કરી શકે તો પણ એક પ્રતિનીધિમંડળ આ ચડ્ડીની મુલાકાતે મોકલવું જોઈએ. ભારતીય વૈજ્ઞાનિકોને આ ચડ્ડીના અભ્યાસ કરવા માટે ચીન ધકેલવા જોઈએ. એટલું જ નહી, ચીન સાથે આવી ચડ્ડીઓ થકી વસ્ત્રો બનાવવાની ટેક્નોલૉજીના કરાર કરવા જોઈએ. જો ચીન એની ટેવ મુજબ વાંકું ચાલે તો આપણા જાસૂસો મોકલી આ ચડ્ડીના રહસ્યોની ચોરી પણ કરાવતા અચકાવું ન જોઈએ. જોકે અમારા સદા અગ્રેસર જાસૂસ ચડ્ડીના લેબલ સુધી પહોંચી ગયા છે અને ચેક કરતાં એ રજનીકાંત બ્રાંડની હોવાનું જાણવામાં આવ્યું છે. વાત પૂરી.
 

No comments:

Post a Comment