Wednesday, September 25, 2013

રૂપિયાને ગબડતો અટકાવવા સરકારના નક્કર પગલા



રૂપિયાને વધુ ગબડતો અટકાવવા સરકારના નક્કર પગલા. 
હવે સરકાર રૂપિયાના સિક્કા પર ગુંદર લગાડી ફેરવશે.
રૂપિયાને ગબડતો અટકાવવાના એક પગલા રૂપે રૂપિયાના સિક્કા હવે ગુંદર લગાડીને ફરતાં કરવામાં આવશે એથી જ્યાં ત્યાંથી છટકીને ગબડે નહી. જોકે આ ગુંદર ટપાલ ટીકીટ અને પોસ્ટ ખાતાના કવરોમાં વપરાય છે એવો સરકારી કવોલીટીનો હોય તો કોઈ અર્થ સરે નહી. આથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે હેતુથી ભ્રષ્ટ ન હોય એવા, ફરજનિષ્ઠ, ગણ્યા-ગાંઠ્યા, આઈએએસ-આઈપીએસ ઓફિસરો, કે જે સરકારને અન્ય રીતે નડતરરૂપ હતાં એમને ગુંદરની ગુણવત્તા નિયમનનું કામ સોંપવામાં આવશે. નાણામંત્રાલયના સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યું છે કે આ ઉપરાંત તકેદારીના પગલારૂપે ડોલર, પાઉન્ડ અને યુરોની નોટો ઉપર ટેલ્કમ પાઉડર છાંટવામાં આવશે જેથી રૂપિયા સામે એ આસાનીથી સરકે.

આ ઉપરાંત રૂપિયાના નવા બનનાર સિક્કાઓ ચોરસ બનાવવાનું પણ નક્કી થયું છે જેથી કરીને હાથમાંથી છટકેલ રૂપિયો ગબડે નહી. અગાઉ પાંચ પૈસાનો સિક્કો  ચોરસ જ આવતો હતો જે હાથમાંથી છટકીને નીચે પડે તો ગબડતો નહોતો. આમ તો રૂપિયાના સિક્કામાં હવે પાણીનું પાઉચ પણ નથી આવતું અને નજીકના ભવિષ્યમાં એ પાવલીની જેમ કદાચ ચલણમાંથી નીકળી પણ જાય, એમ છતાં સરકાર પોતાની ફરજ અદા કરવામાં ક્યાંય પાછું વળીને જોશે નહી તેવું નાણામંત્રી ચિલ્લરગણમે જણાવ્યું હતું. અત્રે જણાવવું જરૂરી છે કે એસએમએસ પર વહેતા થયેલા રૂપિયાને બચાવવાના ઉપાયો જેવા કે ‘રૂપિયાને રાખડી બાંધવી’ પણ સરકાર અજમાવી રહી છે, તેવું અંદરના સુત્રો જણાવે છે.
Cartoon Courtesy : Surendra (The Hindu dtd. June 21, 2013)

આ વચ્ચે ઘાટલોડિયા સિનીયર સિટીઝન્સ ક્લબે ૬૫નો થતાં રૂપિયાનું સિનીયર સીટીઝન ક્લબમાં ભાવવાહી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભીખાભાઈ મુનસીટાપલી ગાર્ડન ખાતે યોજાયેલ સમારંભમાં બોલતાં ક્લબના પ્રેસિડેન્ટ શ્રી અનિલભાઈ દંતાણીએ જણાવ્યું કે: ‘રૂપિયો સિનીયર સિટીઝન્સ ક્લબમાં આવતાં એ ઘણા ઉત્સાહિત છે. સામાન્યરીતે માણસ સિનીયર સિટીઝન બને એટલે એ સન્માન ગુમાવી દે છે એવી આપણા સમાજની માનસિકતા છે. પણ અમારી ક્લબ સિનીયર સિટીઝન્સ પણ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે એવા પ્રયત્નો કરે છે, અને એવા બધાં જ પ્રયત્નો રૂપિયાની આબરુ માટે પણ કરવામાં આવશે’.

આ ઉપરાંત નાણા મંત્રાલયે ફાઈનાન્સિયલ એક્સપર્ટ શ્રી અધીર અમદાવાદીની અધ્યક્ષતામાં એક સમિતિ રચી હતી જેમણે નીચે મુજબના નક્કર પગલાઓ ઘડી કાઢ્યા છે. રાજ્ય સરકારે પણ આ અંગે મને-કમને સહયોગ જાહેર કર્યો છે.

૧. લોકોના ખિસ્સા અને પાકીટ સરકારી સીવણ સંસ્થામાં મફત સાંધી આપવામાં આવશે જેથી રૂપિયો પડી ન જાય.
૨. લેવડ દેવડ વખતે રૂપિયો હાથમાંથી છટકે નહી તે માટે સરકારનું શ્રમ મંત્રાલય ખાસ તાલીમ કાર્યક્રમો ઘડી કાઢશે.
૩. જમીન પર બેઠેલ ભિખારીના પાત્રમાં ફેંકેલો રૂપિયો વધું ગબડે નહી એ માટે ભિખારીઓને બેસવા માટે ખાસ ખુરશી આપવામાં આવશે.
૪. રૂપિયાને પડતો ઝીલી લેવા માટે યુવાનોને તૈયાર કરવા પાર્થિવ પટેલ ગુજરાતમાં કેચિંગ એકેડેમી ખોલશે જે માટે કેન્દ્ર અલગ ભંડોળ ફાળવશે. નેશનલ લેવલે ધોની ધૂરા સંભાળશે.
૫. રૂપિયાને ગબડતો અટકાવવા ઢાળવાળા રસ્તાઓ ઉપર પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે અને ફાયરબ્રિગેડ પણ તહેનાત કરાશે. મુનિસીટાપલી પણ ઠેરઠેર બમ્પ ઊભા કરશે. આ અંગે JnNURM યોજના અંતર્ગત ફંડ પણ પૂરું પાડવામાં આવશે.
૬. નિર્મલ બાબાને કન્સલ્ટ કરી રૂપિયા પર ક્રિપા આવે તે માટે અધિકારીઓને ખાનગી રાહે સૂચના. 
૭. શેર-બજારમાં તેજી-મંદી લાવનાર કેટલાક ગુજરાતી સટોડિયાઓને રૂપિયો ઉગારવા જોતરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈથી છ સટોડિયા દિલ્હી ભણી રવાના.
૮. ‘મેં આજભી ફેંકે હુએ પેસે નહી ઉઠાતા’ ને રૂપિયા સંબંધિત બેસ્ટ ડાયલોગનો અને ‘હોલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા’ ને નાણા-મંત્રાલય તરફથી બેસ્ટ સોંગનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
૯. ટેક્સટાઈલ મિનિસ્ટ્રી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે એક્સપોર્ટ ક્વોલીટીના ગંજી બનાવવાનો પ્લાન્ટ નાખશે. આ ગંજીનું નામ ‘રૂપિયો’ રાખવામાં આવશે અને એક ગંજીની એક્સપોર્ટ કિંમત એક ડોલર રાખવામાં આવશે. આમ એક ડોલર બરાબર એક ‘રૂપિયો’ શક્ય બનશે.
૧૦.  બ્રેકવાળા એન્ટી સ્કીડ રૂપિયા શોધવા સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સંશોધન કરાવશે. 
by adhir amdavadi 

No comments:

Post a Comment