Wednesday, May 24, 2017

પીન ચોંટી જાય ત્યારે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૫-૨૦૧૭

ગ્રામોફોન વાપર્યું કે સાંભળ્યું હોય એમને ખબર હશે કે રેકર્ડ વગાડતી વખતે ઘણીવાર એની પીન ચોંટી જાય અને એકનો એક શબ્દ કે ગીતનો ટુકડો ફરી ફરી વાગ્યા કરે. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસના કાર્યક્રમોમાં આવી રેકોર્ડ ઘણીવાર વાગતી. ગીત વાગતું હોય ‘તુને કાજલ લગાયા ...’ અને ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ પર પીન અટકે પછી દસવાર ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ વાગે. પછી એનાઉન્સરનું ધ્યાન જાય અને એ ટપલું મારે એટલે ‘અંબુઆ કી ડાલી પે ગાય મતવાલી ...’થી આગળ ચાલે. રેકર્ડમાં એટલું સારું હતું, બાકી કેસેટ આવી એમાં એકવાર ટેપ ગુંચવાય પછી એના તોરણો જ બને. કોમ્પુટર કે મ્યુઝીક પ્લેયર તો સીડીમાં ક્રેક કે સ્ક્રેચ પડે એટલે ઘરડા મા-બાપની જેમ એના અસ્તિત્વની નોંધ લેવાનું સાવ બંધ જ કરી દે. વ્યવહારમાં પણ એવું બનતું હોય છે કે લોકોની પીન એકવાર ચોંટે પછી ઉખડે જ નહીં. નેતાઓમાં કોકની ઈ.વી.એમ. ટેમ્પરિંગ પર તો કોકની દલિત પર, અભિનેતાઓમાં કોકની કિક પર તો કોકની કિસ પર, લેખકોમાં કોકની કૃષ્ણ પર તો કોકની સેક્સ પર, અને જનતામાં કોકની હરડે પર તો કોકની લીમડા પર, પીન એકવાર ચોંટે પછી ઉખડતી નથી. 
 
અમારા એક મુરબ્બીની પીન લીમડા ઉપર અટકેલી. એ લીમડાના એટલા મોટા ફેન કે ચૈત્ર મહિનામાં એમના ઘેર કોઈ મહેમાન તરીકે જવા તૈયાર ન થાય. જે આવે એને લીમડાના રસનો ગ્લાસ પકડાવી દે. એમના ઘરના કામવાળા સુધ્ધા કામ છોડીને નાસી જાય એવો એમનો લીમડા પ્રેમ. એમને જયારે ચિકુન ગુન્યા થયો ત્યારે મહિના સુધી કોઈને મોઢું દેખાડ્યું નહોતું. પણ અમે ફોન કરીને એમની ખાસ ખબર પૂછી હતી!

રેકોર્ડમાં એવું હોય કે એ ઘસાય એટલે પીન ચોંટે. જેટલો ઘસારો વધુ એટલી પીન વધુ ચોંટે. પણ માણસોમાં આવો ઘસારો ભૌતિક હોવો જરૂરી નથી. અમુક ઘસારા માનસિક હોય છે. માણસ સાથે કોઈ વિશ્વાસઘાત થાય કે મોટુ આર્થિક નુકશાન થાય અને એને લઈને ડાગળી ચસકે ત્યારે ઘણા કિસ્સાઓમાં પીન અટકી જતી હોય છે. નાના હતા ત્યારે અમારા વિસ્તારમાં બાબુલાલ નામના એક પાગલ આધેડ ફરતા. એમની પીન લાડવા ઉપર અટકેલી. જે મળે એની પાસે એ લાડવા માંગતા. આખા ગામમાં એ ‘બાબુ લાડવા’ તરીકે પ્રખ્યાત. એમની વિચિત્ર બાબત એ હતી કે એ કોઈની પાસે લાડવા માંગે અને સામેવાળો ભૂલથી એની પાસે કંકોતરી માંગે એટલે બાબુલાલની છટકતી. હાથમાં પથ્થર લઈને બાબુલાલ એ કંકોતરી માગનારને રીક્ષાના મીનીમમ ભાડા જેટલું દોડાવતા. વાયકા એવી હતી કે બાબુલાલના લગનના લાડવા બની ગયા હતા એ સમયે જ કન્યા બીજા સાથે ભાગી ગયાના સમાચાર આવેલા અને બાબુલાલ સુધબુધ ખોઈ બેઠેલા. લગભગ ત્રણેક મહિના સુધી મૌન રહ્યા પછી એક દિવસ બાબુલાલ બોલ્યા ‘લાડવા આલો ને ...’. બસ, પછી એ એમનો તકિયા કલામ બની ગયેલો.

તકિયા કલામ અથવા Catchphrase પોતે જ એક પ્રકારની અટકેલી પીન ગણાય. કેટલાક કવિઓ અમુક ચોક્કસ કેન્દ્રવર્તી વિચારની આસપાસ જ લખતા હોય છે. જેમ કે મૃત્યુ, પ્રેમ કે પછી રાધા-કૃષ્ણ. જ્યારે ઘણા કવિઓની પીન ટહુકા કે મોરપીંછ પર અટકેલી હોય છે. એ સહરાના રણ ઉપર કવિતા લખે એમાં પણ ટહુકો આવે આવે ને આવે જ! હિન્દી ફિલ્મોના આવા તકિયા કલામ જાણીતા છે. મુગેમ્બોનો તકિયા કલામ હતો ‘મુગેમ્બો ખુશ હુઆ.’ ધર્મેન્દ્રની પીન ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા’ પર અટકેલી. ગબ્બર સિંઘની પીન રામગઢ પર અટકેલી હતી. સેટમેક્સ ચેનલની પીન સૂર્યવંશમ પર અટકેલી છે. રાજકાણીઓમાં સ્વ. રાજીવ ગાંધીની પીન ‘હમેં દેખના હૈ..’ પર અટકતી. કેજરીવાલની પીન ‘સબ મિલે હુએ હૈ’ પર અટકેલી છે. અને આપણા સાહેબ જ્યારે બોલે કે ‘મેરે પ્યારે દેશવાસિયો...’ ત્યારે આજે પણ દેશવાસીઓના પેટમાં ફાળ પડે છે.

ગુજરાતી લેખકોની પીન મોટે ભાગે ‘હું’ પર અટકે છે. કોકના બેસણામાં પણ પોતાની જ વાતો કરે. થોડી વધારે ઘસાય એટલે આવી પીનો ‘હું સાચો’ પર અટકી જાય છે. પાછું પોતે એમ સમજતા હોય કે ‘હું મારા નિર્ણયો અને વિચારો પર અડગ છું’. એલેકઝાન્ડર હર્ઝ્નના કહેવા મુજબ આવા લોકો મડદા જેવા હોય છે, એમના ટુકડા કરી શકાય પણ એમને કન્વીન્સ ન કરી શકાય!

રાજકારણીઓ, ફિલ્મ કલાકારો અને ખેલાડીઓની કૃપાથી આજકાલ સોશિયલ મીડિયા ધમધમે છે. સોશિયલ મીડિયામાં દરેકની પીન ક્યાંક ને ક્યાંક અટકતી હોય છે. કોઈ ચોક્કસ વિષય કે ઘટના પર સામુહિક રીતે પીન અટકે એને ‘ટ્રોલિંગ’ કહે છે. તાજેતરમાં જ ટ્વિટરબાજીમાં કોઈએ સોનું નિગમનું માથું મુંડી આવનારને દસ લાખ રૂપિયા ઇનામ આપવાનું જાહેર કર્યું. તો સોનું નિગમે જાતેજ માથું મૂંડાવીને દસ લાખ રૂપિયાની માગણી કરી​!​ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો!​ ​સામેવાળી પાર્ટી ‘સોનુ એ બધી શરતો પૂરી કરી નથી’ એમ કહીને ફરી ગઈ! ટૂંકમાં સોનુની એ હાલત થઇ કે ‘બકરે કી જાન ગઈ ઔર ખાનેવાલે કો મજા ન આયા’!! પણ આ મુંડનના દસ લાખે સોશિયલ મીડિયાના ત્રણ દિવસ ટૂંકા કરી આપ્યા.

વારેઘડીયે પીન ચોંટતી હોય તો રેકર્ડ બદલવા સિવાય કોઈ ઉપાય નથી હોતો. પરંતુ માણસ બદલી શકાતો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. રેકોર્ડ જે જમાનામાં વપરાતી એ સમયના જાણીતા વિલન પ્રાણની પ્રકૃતિ જોકે જાતજાતના રોલ કરવાની હતી, એટલે દરેક ફિલ્મમાં ગેટઅપ બદલ્યા કરતા. અમે તો માનીએ જ છીએ કે બદલી શકાતું હોય એ બધું બદલી નાખવું જોઈએ. જોકે તમે જે ઇચ્છતા હશો એ બદલવું એટલું સહેલું નથી, ખાસ કરીને હિંદુ ધર્મમાં, એ સૌ જાણે છે.

મસ્કા ફન

માણસને પોતાના નસકોરાં સંભળાતા નથી.

No comments:

Post a Comment