Wednesday, February 26, 2014

દેશી ઉપાયો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

  • મધને લીંબુ સવારે પીવાથી ચરબી ઓગળી જાય છે. 
  • ‘સોળ ઔંસ’ ચાના પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવીને કોલસ્ટરોલના દર્દીને પિવડાવવાથી બે કલાકમાં દસ ટકા કોલસ્ટરોલ ઘટે છે.
  • રોજ સવારે ઊઠી ‘નરણા કોઠે’ મૂળા ખાવાથી ‘થોડા દિવસોમાં’ કમળો મટે છે. 
  • નિયમિત જમ્યા પહેલા લાલ પાકું ટામેટું કાપી તેની પર ‘સિંધાલુ મીઠું’ અને કાળા મરીનો ભુક્કો નાંખી આદુ સાથે લઈ બાદમાં ભોજન કરવાથી મોઢાના ચાંદા સાજા થઈ જાય છે. 
  • લવિંગ બાળીને એની રાખ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે.

ઇન્ટરનેટ સુલભ થયું ત્યારથી અમુક લોકોએ રોગ અને એના દેશી ઉપાયનો ફેલાવો કરવાનો જાણે ભેખ લીધો હોય એમ લાગે છે. રોજ સવાર પડે અને આપણા મેઇલ-બૉક્સમાં ઉપર મુજબના ઉપાયના ગુણગાન ગાતી મેઇલ આવીને પડે છે. સાચું-ખોટું સાચે જ રામ જાણે, પણ નવરા અને આપત્તિગ્રસ્ત આ બે પ્રકારના લોકો આવી ઈ-મેઇલમાં ખાસ ટીંગાય છે. તો ઘણાં પોતે જલકમલવત્ રહી, આમાં દર્શાવેલા એક્સ્પેરીમેન્ટસ કર્યા વગર બીજા જરૂર કરશે તેવી શ્રદ્ધા સહિત, બારોબાર આવા ઈ-મેઇલ બીજા પચ્ચીસ-પચાસ જણને ફોરવર્ડ કરે છે. આ ઈ-મેઇલ વાંચીને કેટલાય ધંધે લાગી જાય છે. કોઈક જાતે પ્રયોગ કરે છે. અમુક લોકો પોતાના પ્રભાવક્ષેત્રમાં આવતા અન્ય લોકોને પણ આ ઉપાય અજમાવવા મજબૂર કરે છે.


સાયન્સ દ્વારા વર્ષોથી થયેલા સંશોધનને આધારે દવાઓ બને છે. પણ આપણે એ છોડીને કોઈએ ઈ-મેઇલ પર ઉપર જણાવ્યું એવા દર્દ મટાડવાના ઉપાય કે કોઈ ઘરેલું નુસખા બતાવ્યા હોય તેના પર વિશ્વાસ કરી અખતરા કરીએ છીએ. અંતે કેસ બગડે ત્યારે ફરી જે ડોક્ટરો પર વિશ્વાસ નહોતો એમની પાસે જઈએ છીએ. આ દેશી ઉપાયોનું કવિ જલન માતરી કહી ગયા એવું છે, કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?’ તોયે તમે તાણ કરો તો આવા દેશી ઉપાયની તરફેણમાં કાયદાની ભાષામાં હિઅર-સે’, કે જે કોર્ટ માન્ય નથી રાખતી, એવા પુરાવા રજૂ કરવામાં આવે. હિઅર-સે મતલબ બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને કહેતા સાંભળી હોય તેવી વાત. જેમ કે ..

આ એલોપથીની દવાઓ તો ખવાય જ નહિ
કેમ?’
એમાં દર્દના મૂળ સુધી નથી જતા.
એવું તને કોણે કીધું?’
મારા મામાએ
મારી જાણકારી મુજબ તારા મામા કે એમની સાત પેઢીમાં કોઈ ડૉક્ટર નથી. અને ભવિષ્યમાં પણ થાય એવું મને લાગતું નથી!
સારું હવે. એમની ઝેરોક્સની દુકાન છે, અને એ તમને ખબર છે.
ઠીક! તો પછી મામા કોની દવા ખાવાનું કહે છે?’
જુઓ, મામીના પાડોશીના વેવાઈને અમુક પડીકી ફાકવાથી એક અઠવાડિયામાં ડાયાબીટીસ મટી ગયો હતો’.
તે તને આ મામીના પાડોશીના વેવાઈએ કીધું હશે નહિ?’
ના, હું તો એમને ઓળખતી જ નથી
વેવાઈ નહિ તો મામીના પાડોશી ને તો તું મળી હોઈશ એમ ને? શું નામ એમનું?’
ના, એ તો મામીના જુના પાડોશીની વાત છે, ત્યારે તો મામા-મામીના લગ્ન પણ નહોતા થયા’.
ઓહ, પણ  મામા-મામીને એમની સાથે બહુ સારા સંબંધ હશે નહિ?’
ના એવું પણ નથી, મામી લોકો તો કદાચ એક વરસ જ એ સોસાયટીમાં રહ્યા હતા’.
તો મામીને એમના આ એક્સ પાડોશીનાં આ નામ વગરના વેવાઈને ડાયાબીટીસ એક અઠવાડિયામાં મટ્યો એની આધારભૂત માહિતી કઈ રીતે મળી હશે?’
અલા, તમે બહુ લપ કરો છો, આપણે ડાયાબીટીસ મટાડવાથી કામ છે કે મામી એમના પાડોશીના વેવાઈને ઓળખે છે કે નહિ તેની સાથે?’
પણ વેવાઈને એક અઠવાડિયામાં ડાયાબીટીસ મટ્યો હોય તો એ ખરેખર રેકૉર્ડ કહેવાય.
હશે, રેકૉર્ડ હોય તો આપણે શું?’
આપણને કેમ કશું નહિ? આવી અઠવાડિયામાં ડાયાબીટીસ મટાડી દે એવી જાદુઈ પડીકી મળતી હોય તો આપણે એ પડીકીની એજન્સી લઈએ. દેશ વિદેશમાં વેચીએ. એવી પડીકીની પેટન્ટ કરાવીએ. રાતોરાત અબજપતિ થઈ જશું!
આપણને અબજપતિ થવામાં રસ નથી, ડાયાબીટીસ મટાડવામાં રસ છે’.
તને નહિ હોય, પણ મને છે. આવી જાદુઈ પડીકી હોય તો ડાયાબીટીસ ગયો તેલ લેવા, આપણે આ પડીકીનાં રાઈટ્સ લઈ લઈએ’.
જવા દો તમે, ટીકડીઓ ખાધે રાખો
એ ગુમનામ પડીકીઓ કરતા આ ટીકડીઓ સારી
ભલે એમ રાખો, પણ પછી હેરાન થાવ તો મને ના કહેતા
સારું નહિ કહું. પણ એ વેવાઈનું નામ સરનામું મળે તો તપાસ કરજે!
--
વાત ત્યાં પૂરી થઈ. એ દિવસે આ ટીકડી ચાહકનાં જમવામાં પણ ભલીવાર ન આવ્યો. એટલે જમવાનું ઓછું ખવાયું. આમ પડીકીથી તો નહિ તો પડીકીની ચર્ચાથી ડાયાબીટીસ એક દિવસ તો માપમાં રહ્યો!

આ દેશી ઉપાયની એક ખાસિયત એ છે કે એમાં એવી ખરાબ સ્વાદ ધરાવતી વસ્તુઓ ખાવાની કે ચાટવાની હોય છે કે એ ખાધા પછી તમને તમારું દર્દ ઉપચાર કરતાં સારું લાગવા માંડે છે. બાકી જો એમ મધ અને લીંબુનું પાણી પીવાથી ખરેખર ફેટ બળતી હોત તો અત્યારે દુનિયામાં મધ અને લીંબુની અછત સર્જાઈ ગઈ હોત. અને વર્લ્ડ ઓબેસિટી કૅપિટલ ગણાતાં અમેરિકાએ આરબોના તેલના કૂવા છોડી આફ્રિકાના જંગલોમાં મધપુડા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત! અને અમે પણ નોકરી અને લખવાનું છોડી મધ-ઉછેર કેન્દ્ર શરુ કરી દીધું હોત! અને હા, આ લેખ વાંચી કોઈ દેશી ઉપાયવાળાને ગુસ્સો આવ્યો હોય તો બે ગ્લાસ ઠંડું પાણી, એ પણ જે લાગુ પડતો હોય એ કોઠે, પી લે. રાહત રહેશે. સાચ્ચે!

1 comment:

  1. આમાં બતાવેલા મધના પ્રયોગો કરવાથી ચરબી તો ઉતરતા ઉતરશે પણ મધુપ્રમેહ જરૂર થઇ જશે, અને એને માટે કોઈક કહેશે કે નવો ઈમેલ આવશે કે જાંબુના ઠળિયા સુકવીને એનો ભૂકો ખાવ તો તમારે જાંબુની પાર્ટી રાખીને બધા ઠળિયા ભેગા કરવા પડશે અને એ સૂકવવા જતા ઘરમાં કીડી મંકોડા વધી જશે, --- ઉપાધી કઈ ઓછી છે,

    ReplyDelete